જેમ ભારતના રાજકીય ઇતિહાસમાં ૧૮૫૭ની સાલ સીમાચિહ્ન રૂપ છે, તેમ ભારતીય સાહિત્યના ઇતિહાસમાં પણ ૧૮૫૭ની સાલ સીમાચિહ્ન રૂપ છે. કારણ, ભારતીય સાહિત્યની પહેલી નવલકથા ૧૮૫૭માં પ્રગટ થઈ હતી. આ નવલકથા તે બાબા પદમનજીની મરાઠી નવલકથા યમુનાપર્યટણ. આ નવલકથા પ્રગટ થઈ તે જ અરસામાં દેશના સામા કાંઠે, ટેકચંદ ઠાકુર ઉર્ફે પિયારીચંદ મિત્રા બંગાળી ભાષાની પહેલી નવલકથા આલા ઘરેર દુલાલ માસિક પત્રિકા નામના પોતાના સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રગટ કરી રહ્યા હતા. પણ તે પુસ્તક રૂપે પ્રગટ થઈ ૧૮૫૮માં. ૧૮૬૬માં પ્રગટ થયેલી નંદશંકર મહેતાની ‘કરણઘેલો’ એ ભારતીય ભાષાની ત્રીજી નવલકથા.
૧૮૫૭ના વર્ષમાં આપણા દેશમાં જે ત્રણ યુનિવર્સિટી સ્થપાઈ તેમાંની બે મુંબઈ અને કલકત્તા ખાતે શરૂ થઈ હતી. પહેલી ત્રણ નવલકથા આપણને મરાઠી, બંગાળી અને ગુજરાતી પાસેથી મળે છે તે સાવ અકસ્માત નથી. આ યુનિવર્સિટી શરૂ થઈ તે પહેલાં ચાળીસેક વર્ષે બોમ્બે પ્રેસિડેન્સી અને કલકત્તા પ્રેસિડેન્સીમાં બ્રિટીશ પદ્ધતિનું શિક્ષણ આપતી નિશાળો શરૂ થઈ ચૂકી હતી, અને તેમાં ભણતા છોકરાઓ (એ વખતે છોકરીઓ ભાગ્યે જ નિશાળોમાં ભણવા જતી) અંગ્રેજી સાહિત્યની કૃતિઓના સંપર્કમાં આવી ચૂક્યા હતા. આ પરિચયને પ્રતાપે અંગ્રેજી ભાષામાં લખાયેલી કૃતિઓ જેવી કૃતિઓ પોતાની ભાષામાં લખવાના કોડ તેમના મનમાં જાગ્યા. મુંબઈને કારણે મરાઠી અને ગુજરાતીમાં અને કલકત્તાને કારણે બંગાળીમાં આ અંગે પહેલ થાય તે સ્વાભાવિક હતું.
આપણા દેશની ઘણીખરી ભાષાઓ પાસે કવિતા કે પદ્યની તો ઠીક ઠીક લાંબી અને સમૃદ્ધ પરંપરા હતી, પણ વિવિધ ગદ્ય પ્રકારોનું ખેડાણ કરવા માટેની પ્રેરણા તો અંગ્રેજી સાહિત્યમાંથી મળી. પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં ગદ્યકથાનું સ્વરૂપ ખેડાયેલું જોવા મળે છે, પણ જેને આપણે મરાઠીમાં કાદમ્બરી તરીકે અને ગુજરાતીમાં નવલકથા તરીકે ઓળખીએ છીએ તે ગદ્ય પ્રકાર તો આપણે અંગ્રેજી સાહિત્યમાંથી અપનાવ્યો છે.
પહેલી મરાઠી નવલકથા યમુનાપર્યટણના લેખક બાબા પદમનજીનો જન્મ ૧૮૩૧નાં મેં મહિનામાં, એ વખતે મુંબઈ ઇલાકામાં આવેલા બેળગાંવના એક રૂઢીચુસ્ત કુટુંબમાં થયેલો. વ્રત-ઉપવાસ, કથાકીર્તન, પૂજા-યાત્રામાં તેમની માને દ્રઢ વિશ્વાસ. બેળગાંવની સરકારી નિશાળમાં કન્નડ ભાષા દ્વારા પ્રાથમિક શિક્ષણ લીધા પછી ૧૮૪૩માં ત્યાંની જ મિશન હાઈ સ્કૂલમાં તેઓ દાખલ થયા. ૧૮૪૯માં તેઓ મુંબઈ ગયા. ફ્રી ચર્ચ હાઈ સ્કૂલમાં અને પછી એજ્યુકેશન સોસાયટીની એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભણ્યા. અહીં તેમને ખ્રિસ્તી ધર્મમાં રસ પડવા માંડ્યો. તેઓ જ્ઞાતિપ્રથા અને મૂર્તિપૂજાના વિરોધી અને વિધવાવિવાહના હિમાયતી હતા. પોતાના આ વિચારોનું સમર્થન તેમને પરમહંસ સભાની વિચારણામાં દેખાયું અને તેઓ તેમાં જોડાયા. પણ પછી બીજા કેટલાક સભ્યો સાથે મતભેદ થતાં તેમણે તે છોડી અને ૧૮૫૪ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે ખ્રિસ્તી ધર્મ સ્વેચ્છાએ અંગીકાર કર્યો. બાબા પદમનજીએ લખેલાં સો જેટલાં પુસ્તકોમાં યમુનાપર્યટણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
આપણે જેને સુધારક યુગ તરીકે ઓળખીએ છીએ તે સમયના, એટલે કે ઓગણીસમી સદીના ઘણા સુધારકો અને લેખકો માટે તત્કાલીન હિંદુ સમાજમાંની સ્ત્રીની દુર્દશા એ એક કૂટ સમસ્યા હતી અને સ્ત્રીઓની દશા સુધારવા માટેના જુદા જુદા રસ્તાઓએ તેમનું સવિશેષ ધ્યાન ખેંચ્યું હતું. મરાઠીની પહેલી નવલકથા યમુનાપર્યટણ અને ગુજરાતીની પહેલી સામાજિક નવલકથા મહીપતરામ નીલકંઠની સાસુ વહુની લડાઈ (૧૮૬૬) એ બંને નવલકથાઓના કેન્દ્રમાં હિંદુ સમાજમાંની સ્ત્રીની દુર્દશા રહેલી છે. યમુના પર્યટણનું ઉપશીર્ષક છે : 'अथवा हिंदु विधवांच्या स्थितीचें निरूपण.' બાબા પદમનજીની નવલકથાનું મુખ્ય પાત્ર યમુના પોતે તો નહીં, પણ તેના સંપર્કમાં આવતાં બીજાં સ્ત્રી પાત્રો હિંદુ સમાજના એક યા બીજા કુરિવાજનો ભોગ બનેલાં છે. જ્યારે મહીપતરામની નવલકથાની નાયિકા સુંદર પોતે જ સંયુક્ત કુટુંબમાં રહીને સાસુના ત્રાસનો ભોગ બને છે. બાબા પદમનજીની યમુના ખ્રિસ્તી મિશનરી સ્કૂલમાં ચાર ચોપડી ભણેલી છે અને તેને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષણ અભ્યાસકાલથી જ છે. તેનો પતિ વિનાયકરાવ પણ સમજુ, શાણો, અને સુશિક્ષિત છે. પડોશમાં રહેતી વિધવા થયેલી ગોદુ મુંડન વિધિમાંથી બચવા માટે ઘરેથી ભાગી તો નીકળે છે, પણ પછી બીજો કોઈ રસ્તો ન દેખાતાં કૂવામાં પડી આપઘાત કરે છે તે જોઈ યમુના અને વિનાયકનું હૃદય દ્રવે છે. થોડી આશાયેશ મેળવવા બંને પર્યટને (મુસાફરીએ) નીકળી પડે છે. સાતારામાં બહુ ચુસ્તતાપૂર્વક વિધવાજીવનના નિયમો પાળતી વેણુના સંપર્કમાં આવે છે. પછી નાગપુરમાં વિનાયકના એક મિત્રને ત્યાં પહોંચે છે. એ મિત્રની યુવાન વિધવા બહેન તેને ધર્મોપદેશ આપવા માટે કુટુંબે રોકેલા ભૂદેવ સાથે જ ભાગી ગઈ છે. તો સાતારાની બીજી એક ખાધેપીધે સુખી કુટુંબની દીકરીનાં લગ્ન ગ્વાલિયરના એક યુવાન સાથે થયા પછી થોડા કલાકોમાં જ તે વિધવા બને છે. પણ આ યુવતી વિધવા કરતાં વેશ્યા તરીકે જીવવાનું વધુ પસંદ કરે છે. પંઢરપુરની એક વિધવા શરીરની ભૂખ શમાવવા રાતે વેશ બદલી ઘરની બહાર જતી રહે છે. આ બધાં જ પાત્રોની દુર્દશાના સાક્ષી બનનાર યમુના અને વિનાયકના જીવનમાં હવે અણધાર્યો વળાંક આવે છે. મુસાફરી દરમ્યાન વિનાયકને જીવલેણ અકસ્માત થાય છે. મૃત્યુ પહેલાં યમુનાને હાથે તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે. તેના મૃત્યુ પછી યમુના પંઢરપુર પાછી આવે છે. કેટલાંક સગાંઓ તેના કેશવપનની તૈયારી કરે છે પણ યમુના તે માટે મક્કમતાથી ના પાડી દે છે અને તેના સસરા પણ તેને ટેકો આપે છે. બાકીનું જીવન વિધવા તરીકે વિતાવાવાને બદલે તે સ્વેચ્છાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે અને એક ખ્રિસ્તી યુવક સાથે ફરી લગ્ન કરે છે.
કૃતિના નામમાં જે ‘પર્યટણ’ છે તે ભૌગોલિક પ્રવાસનો નિર્દેશ તો કરે જ છે, પણ તેના કરતાં વધુ તો યમુનાના આંતરિક પ્રવાસનો નિર્દેશ કરે છે. આની સરખામણીમાં મહીપતરામની નવલકથાની નાયિકા સુંદર કથાને અંતે મૃત્યુ પામે છે એટલું જ નહીં, એક આદર્શ હિંદુ નારીની જેમ મરતાં પહેલાં એવું નિવેદન કરે છે કે મારા મૃત્યુ માટે મારા પતિ કે સાસરિયાં જવાબદાર નથી. યમુના ફરી લગ્ન કરી શકે છે કારણ તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે. યમુનાપર્યટણ લખવા પાછળ બાબાના બે મુખ્ય હેતુ હતા. પહેલો, હિંદુ સમાજમાં વિધવાની જે દુર્દશા થાય છે તે તરફ સમાજનું ધ્યાન દોરવું, અને બીજો, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવો. આખી કૃતિમાં જુદી જુદી વિધવાઓની વિટમ્બણાઓ આલેખીને તેમણે પહેલો હેતુ પાર પાડ્યો, તો કથાને અંતે યમુનાને ખ્રિસ્તી થતી બતાવીને બીજો હેતુ પાર પાડ્યો.
મરાઠી ભાષાની પહેલી જ નવલકથાના લેખક વિધવાવિવાહ કરાવવાની હિંમત બતાવી શક્યા. જ્યારે ગુજરાતી નવલકથામાં છેક ૧૮૮૦માં પહેલી વાર વિધવાવિવાહ જોવા મળે છે. કમલાકુમારી નામની કૃતિમાં લીમડી જેવા નાના ગામમાં રહેતા ભવાનીશંકર નરસિંહરામ કવિએ બાળવિધવા રાજકુંવરી કમલા કુમારીનાં પુનર્લગ્ન જુગલકિશોર નામના વિધુર યુવક સાથે કરાવ્યાં છે, એટલું જ નહીં, અલકાપુર નામના દેશી રાજ્યના લોકો પણ તેને ટેકો આપે છે એમ બતાવ્યું છે. આ નવલકથાની ૧૯૦૯માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિમાં રમણભાઈ નીલકંઠે અંગ્રેજીમાં સોળ પાનાંની પ્રસ્તાવના લખી છે. તેમાં તેઓ લખે છે : “The author Mr. Bhavanishankar Narsinhram of Limdi has rendered a service to the cause of social reform. He has depicted faithfully the condition of Hindu society and his story makes the necessity of reform self-evident.” સામાજિક સમસ્યાઓ સાથે નિકટનો નાતો ધરાવતી નવલકથાની પરંપરા બાબા પદમનજી પછી હરી નારાયણ આપટે, વામન મલ્હાર જોશી, સાને ગુરુજી, વિભાવરી શિરુરકર, ભાઉ પાધ્યે, અનંત કદમ, દીનાનાથ મનોહર, જેવા લેખકોએ ચાલુ રાખી છે.
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’ સ્થંભ, “ગુજરાતમિત્ર”, 29 માર્ચ 2014
e.mail : deepakbmehta@gmail.com
માર્ચ ૨૭ એટલે ‘વર્લ્ડ થિયેટર ડે.’
આપણને નાટકો જોવામાં થોડો રસ ખરો, વાંચવામાં નહિ. અને આવા દિવસની રંગેચંગે ઉજવણી કરવાની તો વાત જ ક્યાં? દસ્તાવેજીકરણ – ડોક્યુમેન્ટેશનમાં તો આપણને રસ જ શેનો પડે? ભૂતકાળને ભૂલી જનારા આપણે. વર્લ્ડ થિયેટર ડે નિમિત્તે આજે આપણી ભાષામાં પહેલવહેલા મૌલિક અને પુસ્તક રૂપે છપાયેલા નાટકનો અહીં પરિચય આપ્યો છે. અને હા, આ નાટકના લેખક મૂળ સુરતના વતની હતા એ હકીકત આપણે માટે સવિશેષ મહત્ત્વની.
“ગુજરાતીમાં હજુ સુધી આવું નાટક લખાઉં નથી ને આ પેલું છે. માટે એમાંની ખોડોને વાસ્તે માફ માગવાનો મને વધારે હક છે એવો મારો વિચાર છે.” આ શબ્દો લખાયા છે ૧૮૬૨ના ઓગસ્ટની પાંચમી તારીખે. લખનાર છે નગીનદાસ તુલસીદાસ. ઉંમર વર્ષ બાવીસ. વ્યવસાય? મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ.
એ ઉંમરે પણ પોતાની પહેલી કૃતિને વિવેચકની દૃષ્ટિથી જોઈ શકે એટલા પરિપક્વ હતા નગીનદાસ. પ્રસ્તાવનામાં લખે છે : “આ નાટકના પહેલા બે અંકો અને છેલ્લા ત્રણ અંકોમાં કંઈ જ સંબંધ નથી એવું કેટલાકને લાગશે, પણ ઊંડી નજરે જોતાં માલમ પડશે કે તેઓમાં સંબંધ છે.” એ જમાનામાં આ નાટક દ્વારા લેખકે પુખ્તવયે થતા પ્રેમલગ્નનો પુરસ્કાર કર્યો છે. અલબત્ત, એ વખતે જ્ઞાતિપ્રથાની પકડ એટલી મજબૂત હતી કે નાટકનાં નાયક-નાયિકા ભોગીલાલ અને ગુલાબ બન્ને એક જ જ્ઞાતિનાં છે એવું લેખકે જણાવવું પડ્યું છે. પ્રસ્તાવનામાં નગીનદાસ કહે છે : “આપણા લોકો નાતોમાં જ છોકરાં પરણાવવા ને નહાનપણે પરણાવવા, સારું છે એમ ગણે છે તે ખોટું છે, અને તેને બદલે કઈ રીતે લગ્ન કરવા તે હું તેમને આ વાંચીને પોતાની મેળે વિચારવાને રહેવા દેઉ છું.” સુધારાનો પુરસ્કાર કરવાની ધગશ ખરી, પણ તે માટેનો હઠાગ્રહ નથી અહીં.
ગુલાબ નાટક આપણા બે ભ્રમ ભાંગી શકે તેમ છે. પહેલો ભ્રમ એ કે સરકારી કામકાજમાં લાંચરુશ્વત, ભ્રષ્ટાચાર, એ આઝાદી પછીની આપણી સરકારોએ આપણને આપેલી ભેટ છે. આ નાટક વાંચતાં સમજાય કે કાગડા બધે જ કાળા હોય છે એટલું જ નહિ, આજે છે તેવા જ કાળા ઓગણીસમી સદીમાં પણ હતા. બંદરના સરકારકૂન જીજીભાઈ અને એક આડતિયા નરિયા વચ્ચેનો આ સંવાદ જુઓ :
જીજી : બોલ નરીઆ, તેં ઘી મોકલાવ્યું’તું કે નહિ? તેં તો નહિ જ મોકલાવ્યું હોય. બચ્ચા તારું તો કોઈ દહારો ઠોબરૂં જ અટકાવસ તારે તુ થેકાને આવસે. દોર સવારે લઈને આવજે.
નરીઓ : અરે મુરબ્બી સાહેબ, જરા ઘરમાં ખબર તો કાહાડો, પછી ઘુસ્સે થાઓ. એમ ગરીબ વાનીઆ પર સું ઘુસ્સે થાઓ છો. બપોરનું મોકલાવ્યું છું.
જીજી : હું માનું નહિ. પૂછી જોવા દે, — મોબેત.
મોબેત : જી.
જીજી : આ મારફતીઓ ઘી મન ૧ આપી ગયોચ?
મોબેત : હા જી.
જીજી : જાઓ – લાવ નરીઆ, તને સહી તારે કરી આપસ.
અને હા, આ વાતચીત ખાનગીમાં નથી થતી, બીજા આડતિયાઓની હાજરીમાં જ થાય છે, અને બધા પાસેથી જીજીભાઈ કંઈ ને કંઈ આ રીતે ઉઘરાવે છે. ફરક હોય તો એટલો કે પૈસાની નહિ, ચીજવસ્તુઓની લાંચ લે છે. અલબત્ત, અમદાવાદની ‘મહાપાઠશાળા’માં અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ પામેલો ભોગીલાલ માત્ર પ્રેમલગ્ન કરવામાં જ રોકાયેલો નથી રહેતો. લાંચરુશ્વતની સામે મોરચો પણ માંડે છે. અદાલતમાં જીજીભાઈ સામે કેસ માંડે છે અને જીતે છે. એટલું જ નહિ, અદાલતના ચુકાદાને કારણે જેમને આર્થિક રીતે સહન કરવું પડ્યું છે, તેમને એ જ ભોગીલાલ આર્થિક મદદ તો કરે જ છે, પણ તેમની નોકરી પણ બચાવે છે. અને એ રીતે ‘તું પાપ સાથે નવ પાપી મારતો’ નો આદર્શ પાળી બતાવે છે.
આપણા સાહિત્યના વિવેચન અને ઇતિહાસમાં એક ભ્રમ એવો ફેલાયો છે કે આપણા સાહિત્યમાં પ્રાદેશિક કે વર્ગવિશેષની બોલીનો ઉપયોગ તો ગાંધી યુગથી જ શરૂ થયો. પણ આ નાટકના પહેલા બે અંકમાં લેખકે એ જમાનામાં બોલાતી વિવિધ બોલીઓનો ભરપટ્ટે ઉપયોગ કર્યો છે. સુરતી વેપારીની બોલી, ખલાસીઓ અને બંદર પરના મજૂરોની બોલી, પારસી તથા નાગર અમલદારોની બોલી, અરે, બ્રિટીશ જજની અંગ્રેજી મિશ્રિત ગુજરાતી બોલી. અહીં પાત્ર અને પ્રસંગને અનુરૂપ થાય એવી રીતે પ્રયોજાઈ છે. અદાલતના સીનમાં તો બોલીઓનો ભરપટ્ટે ઉપયોગ કરવાની તક લેખકને મળી ગઈ છે. અંગ્રેજ જજ, અદાલતનો નાગર અધિકારી મધુવછરામ, અને જુદી જુદી કોમના સાક્ષીઓ. દાયકાઓ પછી ચંદ્રવદન મહેતાએ લખેલા નાટક ‘આગગાડી’ના પ્લેટફોર્મ સીનનો પુરોગામી બની રહે તેવો આ કોર્ટ સીન છે. અંગ્રેજ જજ, મધુવછરામ અને ટંડેલ સાક્ષી વચ્ચેનો આ સંવાદ જુઓ :
જજ : તમે સોગન ખાઓ ને કોહો કે તમારું નામ જોગી બીજા ચે.
જોગી (ઘભરાઈને ધ્રુજતો ધ્રુજતો) : અરે છાએબ, મને કોલીડાને તે તમે છું ‘તમે’ કોહો!
બળવછ : એમાં તું નાહાના માબાપનો થઇ ગયો કે લોંઠા? સીધો સાહેબને જવાબ દે, સાહેબ કેહે છે કે તારું નામ જોગી બીજા?
જજ : બેલવેચરેમ, તમે ગરીબ આદમીને ગભારાવો નહિ. ગરીબ લોકો શું કોર્ટની વાત જાને? બોલ, તુને કેમ મેં હઇ બોલાવ્યો ચે?
જોગી : છાબ! મને છારૂં બોલતા નથી આવડતું. જેવું બોલાછે તેવું બોલું છું. મને મારા છેઠની તરફથી છાએથી પુરાવા બોલાવ્યો છે.
પ્રસ્તાવનામાં લેખકે એક બીજી વાત કરી છે જે પૂરેપૂરી સાચી લાગતી નથી. તેઓ કહે છે : “મને સંસ્કૃત ભાષા આવડતી નથી માટે તેમાં નાટકો કઈ પ્રકારે લખાય છે તે વાતની મને ખબર નથી. મેં આ નાટકનું બંધારણ અંગ્રેજી નાટકો પરથી બાંધેલું છે.” ગુલાબ નાટકના પહેલા બે અંકોમાં તો સંસ્કૃત નાટકોનો પરિચય હોય તે જરૂરી પણ નથી. પણ પછીના ત્રણ અંકો જોતાં લાગે છે કે કંઈ નહિ તો કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલ’ નાટકથી તો લેખક પરિચિત હોવા જ જોઈએ. તેમણે એ નાટક સંસ્કૃતમાં ન વાંચ્યું હોય તો તેનો અંગ્રેજી અનુવાદ વાંચ્યો હોવો જોઈએ. એ નાટકના પહેલા બે ગુજરાતી અનુવાદ (એક ઝવેરીલાલ યાજ્ઞિકનો અને બીજો દલપતરામ ખખ્ખરનો) તો ૧૮૬૭માં, ગુલાબ છપાયા પછી, પ્રગટ થયા એટલે ગુજરાતી અનુવાદ વાંચ્યો હોય એ શક્ય નથી. પણ નાયક ભોગીલાલ અને નાયિકા ગુલાબ વચ્ચેના પ્રેમસંબંધનો જે રીતે પ્રારંભ થાય છે અને પછી તેનો વિકાસ થાય છે તેના પર શાકુન્તલની સ્પષ્ટ અસર છે. વળી આખા નાટકમાં – પહેલા બે અંકમાં પણ – નગીનદાસે વચમાં વચમાં શ્લોક ગોઠવ્યા છે. સંસ્કૃત નાટકના પરિચય વગર એ શક્ય બને?
પણ આ નગીનદાસ હતા કોણ? ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના અગિયાર ભાગમાં તેમનું નામનિશાન મળતું નથી. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા ‘ગુજરાતી સાહિત્યકોશ’ના બીજા ભાગમાં તેમને વિષે ‘અધિકરણ’ છે. પણ અમદાવાદી વિવેચકોની ટૂંકી દૃષ્ટિના પુરાવા જેવું છે. તેમાં આ ગુલાબને નહિ, પણ દલપતરામના ‘લક્ષ્મીનાટક’ અને ‘સ્ત્રીસંભાષણ’ને આપણી ભાષાનાં પહેલાં નાટકો ગણાવ્યાં છે. તેમાનું પહેલું મૌલિક નથી, એરિસ્તોફેનિસના નાટકનું રૂપાંતર છે, અને બીજું તો નાટક જ નથી. તેના ટાઈટલ પેજ પર જ છાપ્યું છે તેમ એ છે ‘ગુજરાતી બાયડીઓની વાતચીતનું વર્ણન.’ પણ ગુજરાતી સાહિત્યની વાત આવે ત્યારે દરેક ક્ષેત્રમાં પહેલ કરનાર તો કોઈ ને કોઈ અમદાવાદી જ હોવો જોઈએ એમ ઘણા વિવેચકો માને છે. ખેર. ચંદ્રવદન મહેતાએ ભારે મહેનત કરી નગીનદાસનું પગેરું શોધ્યું. તે પ્રમાણે, નગીનદાસનો જન્મ સુરતમાં, ૧૮૪૦માં. વેપારી કુટુંબ. આડતિયાનું કામ એટલે અટક પડી મારફતિયા. પ્રાથમિક શિક્ષણ સુરતમાં. પછી આગળ ભણવા મુંબઈ ગયા. ૧૮૬૨માં મુંબઈ યુનિવર્સિટીએ પહેલી વાર બી.એ.ની પરીક્ષા લીધી. તેમાં માત્ર ચાર છોકરાઓ પાસ થયેલા, ચારે મરાઠીભાષી. બીજે વર્ષે, ૧૮૬૩માં લેવાયેલી પરીક્ષામાં પાસ થઈ નગીનદાસ પહેલવહેલા ગુજરાતી ગ્રેજ્યુએટ બન્યા. પોતે ભણેલા તે એલ્ફિન્સ્ટન કોલેજમાં જુનિયર દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું. પછી વકીલ થયા, વકીલાત કરી. કોલેજમાં ભણતા ત્યારથી કવિ નર્મદ સાથે દોસ્તી. આ ગુલાબ નાટક નગીનદાસે નર્મદને જ અર્પણ કર્યું છે. નર્મદના સાપ્તાહિકનું “ડાંડિયો” નામ પાડનાર પણ આ નગીનદાસ જ. તેમાં અવારનવાર લખતા પણ ખરા. ગુલાબ ઉપરાંત બીજું એક નાટક ‘માણેક’ પણ લખેલું જે ત્રિમાસિક “બુદ્ધિવર્ધક ગ્રંથ”માં પ્રગટ થયેલું. પણ પુસ્તકરૂપે પ્રગટ થયું હોવાનું જાણવા મળતું નથી. મુંબઈ યુનિવર્સિટી વિષે લખેલું પુસ્તક ૧૮૬૯માં પ્રગટ થયેલું. આ યુનિવર્સિટી વિષે કોઈ પણ ભાષામાં લખાયેલું આ પહેલું જ પુસ્તક. નગીનદાસ આમ તો રોજ હવેલીમાં દર્શને જતા, ત્યાં બેસી ભજનો ગાતા. પણ મહારાજ લાયબલ કેસમાં સુધારાવાદીઓની સાથે રહેલા. નર્મદનાં પુનર્લગ્નને પણ તેમણે ટેકો આપેલો અને નર્મદના અવસાન પછી પણ તેની પત્નીઓ ડાહીગૌરી, સવિતાગૌરી, અને પુત્ર સાથે સંબંધ ચાલુ રાખેલો. ૧૯૦૨માં બાસઠ વર્ષની વયે નગીનદાસનું અવસાન થયું.
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 23 માર્ચ 2014