Opinion Magazine
Number of visits: 9552634
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માહિતીના અધિકારને વીસ વર્ષ

નેહા શાહ|Opinion - Opinion|8 November 2025

નેહા શાહ

આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ યાદ છે? – કારગીલ યુદ્ધના શહીદોની વિધવા માટે બનાવવામાં આવેલાં ઘર ઉચ્ચ સ્તરના રાજકારણીઓ, અમલદારો અને લશ્કરી અધિકારી માટેના વૈભવી ફ્લેટ બની ગયાં હતાં ! એ જ રીતે મધ્ય પ્રદેશનું વ્યાપમ કૌભાંડ? – રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓએ ભેગા થઈને રાજ્ય કક્ષાની તેર જેટલી પ્રવેશ પરીક્ષાનો વેપાર કરતા હતા, જેમાં મેડીકલ કોલેજની પ્રવેશ પરીક્ષા પણ આવી ગઈ! આ ઉપરાંત કોમનવેલ્થ રમત કૌભાંડ, ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ, રેલવે ભરતી કૌભાંડ, ઈલેકટોરલ બોન્ડ સ્કીમ? આવા અનેક કૌભાંડો અને ગેરરીતિઓ ખુલ્લી પડવા પાછળનું જો કોઈ એક સામાન્ય પરિબળ હોય તો એ છે માહિતીના અધિકારનો કાયદો – રાઈટ ટુ ઇન્ફોર્મેશન (આર.ટી.આઈ.).

ઓક્ટોબર ૨૦૦૫માં આવેલા આ કાયદાને ૨૦ વર્ષ થયા. માહિતીનો અધિકાર આપીને લોકોનું સાચા અર્થમાં સશક્તિકરણ કરતો આ કાયદો સરકારના કલ્યાણકારી વલણને કારણે નથી આવ્યો – એની પાછલા આશરે બાર -પંદર વર્ષનો લોક સંઘર્ષનો ઇતિહાસ છે. અરુણા રોય, નિખીલ ડે અને શંકર સિંહ જેવાં લોક નેતા અને મઝદૂર-કિસાન શક્તિ સંગઠન જેવાં સંગઠને રાજસ્થાનમાં પંચાયતનાં કામો થકી ગેરરીતિઓ સામે શરૂ કરેલ સંઘર્ષમાંથી ઊભી થયેલી માહિતીના અધિકારની માંગ ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ અને ૨૦૦૫માં એને કાયદાકીય સ્વરૂપ મળ્યું. એટલે એવું કહી શકાય કે માહિતીનો અધિકાર લોકોએ સંઘર્ષ કરીને કમાયેલો અધિકાર છે. આ કાયદાની ઉપયોગિતા માત્ર કૌભાંડોને ઉજાગર કરવા પૂરતી નથી. પૂછાતા પ્રશ્નોમાં નિવૃત્તિ પછી પેન્શન કયા અને કેમ અટક્યું જેવા વ્યક્તિગત અધિકાર અંગે માહિતી મેળવવાથી શરૂ કરીને પાણી, સડક કે વીજળીની વ્યવસ્થા માટે સરકાર શું કરી રહી છે, પંચાયત કે કેન્દ્ર સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિએ શું નિર્ણય લીધા, સરકારી ખર્ચ કયા અને કેવી રીતે  કરવામાં આવ્યા, કોને સરકારી કોન્ટ્રાકટ મળ્યા જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ કાયદો લોકોની સતર્કતા વધારે છે અને લોક પ્રતિનિધિઓની જવાબદેહી. એટલે જ માહિતી અધિકાર ૨૦૦૫ના કાયદાને પારદર્શિતા નક્કી કરતો વિશ્વનો શ્રેષ્ઠ કાયદો ગણાવવામાં આવે છે. માહિતી અધિકારના કાયદા અંતર્ગત દર વર્ષે આશરે ૬૦ લાખ અરજી થાય છે, જેમાંથી પચાસ ટકા જેટલી અરજીના યોગ્ય જવાબ મળતા હોય છે. લોકોએ આર.ટી.આઈ.નો ઉપયોગ કરી સરકારી કામોનો અસરકારક અમલ કરાવ્યાના અનેક દાખલા છે. માહિતીનો અધિકાર અન્ય અધિકારો કરતાં એ રીતે નોખો પડે છે કે એની અસર માત્ર લાભાર્થીને થતા ફાયદા સુધી મર્યાદિત નથી રહેતી, પણ તે સરકાર અને સરકારી અધિકારીઓની જવાબદેહીને અસર કરે છે, જે લોકશાહી વ્યવસ્થાનું માળખું મજબૂત કરે છે.

જે અધિકાર નાગરિકોનું રાજકીય સશક્તિકરણ કરે છે એ રાજકીય વર્ગ માટે ખતરો બની જાય છે. એટલે જ જ્યારથી કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી જ એના અસ્તિત્વ સામે જોખમ ઊભા થયા છે. કાયદાની જોગવાઈઓને નબળી પાડવાનો પહેલો પ્રયાસ ૨૦૦૬માં જ થયો હતો, જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયા દરમ્યાનની ચર્ચાઓમાં જે અભિપ્રાયો આવ્યા હોય, નોંધ લખાઈ હોય, કે જે સૂચનો અંગે ચર્ચા થઇ હોય એને આર.ટી.આઈ.ના દાયરામાંથી બહાર કાઢવા અંગે કેબીનેટ સ્તરે પ્રસ્તાવ રજૂ થયો હતો. નાગરિક સમાજ તરફથી આ પ્રસ્તાવનો વિરોધ થતા એને પડતો મુકવામાં આવ્યો. આટલાં વર્ષનો રેકોર્ડ છે કે દરેક સરકાર એક યા બીજી રીતે જવાબદેહીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે. મહિનાઓ સુધી અપીલ પડી રહે અને એનો કોઈ જવાબ જ ન અપાય એવું દરેક જગ્યાએ બને છે. માહિતી કમિશ્નરનું પદ ખાલી રહે જેને કારણે કેસનું નિરાકરણ લાવવામાં વિલંબ થાય એ ઘટના પણ હવે સામાન્ય બની ગઈ છે. એક અભ્યાસ પ્રમાણે પાછલાં અગિયાર વર્ષમાંથી સાત વર્ષ એવાં રહ્યાં છે કે જ્યારે કેન્દ્રીય માહિતી કમિશનના પ્રમુખનું પદ ખાલી જ હતું. દસમાંથી આઠ કમિશનરના પદની નિમણૂક લાંબા સમય સુધી થઇ જ નહિ, જે માટે સુપ્રીમ કોર્ટે દખલ કરવી પડી. આ વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં લગભગ ચાર લાખ જેટલી અપીલ અને ફરિયાદો અનિર્ણિત હાલતમાં પડી હતી. શાસનમાં ભા.જ.પ. હોય કે કાઁગ્રેસ પરિસ્થિતિ કોઈ પણ રાજ્યમાં સારી નથી જ. અધિકારીની નિમણૂક અને કેસની સુનાવણીમાં વિલંબ જેવા પ્રશ્નો દરેક રાજ્યમાં છે. માહિતી એક એવું શસ્ત્ર છે જેનો દરેક રાજકીય પક્ષને ડર લાગે છે. જો સાચી માહિતી લોકો સુધી પહોંચે તો રાજકીય હેતુ માટે જૂઠનો ઉપયોગ કરવો અઘરો થઇ પડે.  એટલે જ પાછલાં બે-ત્રણ વર્ષમાં આપને જોઈએ છીએ કે ઘણી માહિતીઓને ગોપનિયતાના અધિકાર હેઠળ આવરી લેવાના પ્રયત્ન થઇ રહ્યા છે જે આર.ટી.આઈ. દ્વારા મેળવી શકાય નહિ. દા. ત. ૨૦૨૩માં આવેલો ‘ડીજીટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ’  જે અંતર્ગત કોઈ પણ માહિતીને વ્યક્તિગત માહિતીના નામે રોકી શકાશે. આ સુધારો જ્યારે પૂર્ણપણે અમલમાં આવશે ત્યારે માહિતીનો અધિકાર ઘણો બુઠ્ઠો થઇ જશે. 

લોકશાહી સતત ઉત્ક્રાંત થતી રહેતી વ્યવસ્થા છે. આર.ટી.આઈ. જેવા કાયદા સાચા અર્થમાં આ પ્રક્રિયાને લોકાભિમુખ બનાવે છે. લોકસંઘર્ષની ફલશ્રુતિ રૂપે ઘડાયેલા આ કાયદાની જોગવાઈઓને બચાવવા સંઘર્ષ ચાલુ જ છે – જે દરેક નાગરિકની નિસ્બત હોવી જોઈએ.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુડ્ડી : પૂણે ઇન્સ્ટિટ્યૂટનો ગોવર્ધન કેવી રીતે સિનેમાનો અસરાની બની ગયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 November 2025

રાજ ગોસ્વામી

ગઈ 20મી ઑક્ટોબરે લોકો દિવાળીના દીવડા પ્રગટાવી રહ્યા હતા ત્યારે, હિન્દી સિનેમાના એક બહેતરીન હાસ્યકલાકાર (ગોવર્ધન કુમાર) અસરાનીનો, 84 વર્ષે, જીવનદીપ બુઝાઈ ગયો. ચાર દાયકાઓથી લોકોને હસાવનારા આ કલાકારે ચુપચાપ અલવિદા લીધી હતી. તેમની વિદાયના સમાચાર તેમના અંતિમસંસ્કાર પછી સાર્વજનિક કરવામાં આવ્યા હતા. અસરાની ચાર દિવસ પહેલાં બીમાર પડ્યા હતા. તેમની ઇચ્છા હતી કે તેમના મૃત્યુને મીડિયાથી છેટું રાખવામાં આવે અને તેના પર બહુ શોરબકોર ન થાય. એટલા માટે પત્ની મંજુ, તેમની બહેન, ભત્રીજા અને નજીકના અન્ય લોકોની ઉપસ્થિતિમાં તેમને વિદાઈ આપવામાં આવી હતી.

અસરાનીએ હમણાં બે મહિના પહેલાં જ, જાણીતા ટી.વી. હોસ્ટ ઈરફાન સાથે બી.બી.સી. પર તેમના જીવન અને કામ અંગે વિગતે વાતો કરી હતી. એ તેમનો અંતિમ ઇન્ટરવ્યૂ સાબિત થયો હતો. તેમાં તેમણે તેઓ કેવી રીતે હિન્દી સિનેમામાં આવ્યા અને કેવી રીતે પહેલી ફિલ્મ મળી તેની રોચક વાતો કરી હતી. 

એ ફિલ્મ હતી ઋષિકેશ મુખર્જીની ‘ગુડ્ડી.’ 1971માં તે રિલીઝ થઇ હતી. અસરાનીના કહેવા પ્રમાણે, તેમણે સામે ચાલીને ઋષિ’દા પાસે આ ફિલ્મમાં રોલ માંગ્યો હતો. જયપુરમાં જન્મેલા અસરાની દસમું ધોરણ પાસ કરીને ફિલ્મોમાં નસીબ અજમવા માટે મુંબઈ આવી ગયા હતા, પરંતુ કોઈ ગજ ન વાગતાં પાછા જતા રહ્યા અને એક્ટર તરીકે તાલીમ હાંસલ કરવા માટે પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી થઇ ગયા.

ઋષિકેશ મુખર્જી ત્યારે મુંબઈમાં એક મોટા ફિલ્મકાર હતા અને ઇન્સ્ટિટ્યૂટમાં એડિટિંગ ભણાવવા માટે પણ આવતા હતા. તે વખતે તેઓ ધર્મેન્દ્ર સાથે અનુપમા, મજલી દીદી અને સત્યકામ અને સંજીવ કુમાર સાથે આશિર્વાદ જેવી જાણીતી ફિલ્મો બનાવી ચુક્યા હતા. 1971માં, તેઓ રાજેશ ખન્ના સાથે આનંદ અને બાવર્ચી પર કામ કરી રહ્યા હતા. એ વચ્ચે, તેમણે ‘ગુડ્ડી’ નામની એક નાનકડી ફિલ્મ બનાવવા માટે વિચાર કર્યો હતો (ફિલ્મ વિશે આપણે પછી વાત કરીએ). 

‘ગુડ્ડી’ હિરોઈન પ્રધાન ફિલ્મ હતી અને તેના રોલ માટે તેમને એક નવી છોકરીની જરૂર હતી. તેની તલાશમાં એકવાર તેઓ ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા હતા. સાથે તેમની આખી ટીમ હતી. જેમાં લેખક ગુલઝાર પણ હતા. અસરાનીને ખબર પડી કે ઋષિ’દા ફિલ્મ બનાવી રહ્યા છે, એટલે તેઓ તેમની પાસે ગયા અને કહ્યું કે હું અહીં એક્ટિંગનો કોર્સ કરી રહ્યો છું અને મારા માટે કોઈ નાનો-મોટો રોલ હોય તો કહેજો. 

“હાં, હોગા તો બતાયેંગે” કહીને ઋષિ’દા જતા રહ્યા. થોડા દિવસ પછી તેઓ પાછા આવ્યા અને અસરાની અંગે પૂછપરછ કરી. અસરાનીને એમ કે તેમને રોલ આપશે, પણ ઋષિ’દાએ કહ્યું, “ગુડ્ડી કે લિયે હમકો એક લડકી ચાહીએ.” તેમને ખબર હતી કે જયા ભાદુરી નામની એક છોકરી ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગનો કોર્સ કરી રહી છે. 

ઋષિકેશ મુખર્જી અસરાનીને જયા વિશે પૂછ્યું અને કહ્યું કે તેને બોલાવી લાવીશ? અસરાની ગયા ચાની કેન્ટીનમાં. જયા ત્યાં તેની સખીઓ સાથે બેઠી હતી. અસરાનીએ જઈને સંદેશો આપ્યો કે ઋષિકેશ મુખર્જી તને યાદ કરે છે. જયા તેમને મળવા ગઈ. પ્રણામ કર્યા, ચરણસ્પર્શ કર્યાં અને ઋષિ’દા જયા સાથે વાત કરતાં કરતાં દૂર જતા રહ્યા. 

અસરાની મૂંઝવણમાં. રોલ કેવી રીતે માંગવો? ત્યાં થોડે દૂર જીપમાં ઋષિકેશ મુખર્જીની ટીમના લોકો બેઠેલા હતા. એમાં ગુલઝાર પણ હતા. અસરાની તેમની પાસે ગયા અને પોતાની ઓળખાણ આપીને કહ્યું કે ઋષિ’દાની ફિલ્મમાં રોલ કેવી રીતે મળે? ગુલઝારે કહ્યું કે હું તો લેખક છું અને ફિલ્મની વાર્તા વિશે કે પાત્રો વિશે કશું જાહેર કરી ના શકું, આ ડિરેકટર બહુ કડક છે, અમને નોકરીમાંથી કાઢી મૂકે.

એટલામાં ઋષિકેશ મુખર્જી અને જયા પાછાં આવ્યાં. અસરાનીએ ફરી હાથ જોડીને કહ્યું કે દાદા, કોઈ રોલ હોય તો કહેજો અને ઋષિ’દાએ કહ્યું, ભાઈ, હશે તો કહીશ, અત્યારે તો છોકરી શોધવા માટે આવ્યો છું. એમાં કહીને તેઓ ક્લાસ લેવા જતા રહ્યા. અસરાનીને ચટપટી હતી કે ફિલ્મમાં કોઈ રોલ છે કે નહીં, પણ કોઈ વાર્તા કહેતું નહોતું. 

એટલે તેમણે ફરીથી ગુલઝારને પકડ્યા અને કહ્યું કે સર થોડુંક તો બતાવો. ગુલઝારે કહ્યું, મારું નામ ના આપતો પણ એક નાનકડો રોલ છે. ફિલ્મમાં એક છોકરો હીરો બનવા માટે મુંબઈ આવે છે અને ઝીરો બનીને પાછો જતો રહે છે. અસરાનીએ ઋષિ’દાને ફરી પકડ્યા અને કહ્યું કે દાદા એક છોકરો ગામડેથી મુંબઈ આવે છે એવો રોલ છે ને! ઋષિ’દાએ ફરી ગાજર લટકાવ્યું કે હું મુંબઈ જઈને છોકરીને બોલાવીશ ત્યારે તેને કહીશ.

થોડા દિવસ પછી, જયા ભાદુરીને નામે ઇન્સ્ટિટ્યૂટમાં ઋષિકેશ મુખર્જીનું પોસ્ટકાર્ડ આવ્યું. ‘ગુડ્ડી’ ફિલ્મ માટે તે સત્તાવાર આમંત્રણ હતું. જો કે એ પહેલાં અસરાની મુંબઈ પહોંચી ગયા અને ઋષિ’દાને ફરી વિનંતી કરી કે મને ‘ગુડ્ડી’માં કામ આપો. અસરાનીનો ખંત જોઇને દાદા નમ્યા અને કુંદન નામના એક છોકરાનો રોલ આપ્યો. 

કુંદન ફિલ્મ જગતના ગ્લેમરથી ખેંચાઈને મુંબઈ આવે છે અને કાદર ભાઈ (કેશ્ટો મુખર્જી) નામનો એક ઠગ ફિલ્મોમાં કામ આપવાના બહાને તેની પાસેથી પૈસા પડાવી લે છે. કુંદન ઘરમાં પૈસાની ચોરી કરીને મુંબઈમાં નસીબ અજમાવવા આવ્યો હતો, પણ ફિલ્મ જગતની વાસ્તવિકતા તેને તોડી નાખે છે અને અંતે એક જુનિયર આર્ટિસ્ટ બનીને રહી જાય છે. 

અસરાનીનો કિરદાર ફિલ્મના કેન્દ્રીય વિષયને ટેકો આપતો હતો; બોલીવુડમાં રીલ-લાઈફ અને રિયલ-લાઈફ ઘણી અલગ હોય છે. સિનેમાના ગ્લેમરથી ખેંચાઈને મુંબઈ દોડી આવતા યુવાનો પર ઋષિકેશ મુખર્જી એક ફિલ્મ બનાવવા માંગતા હતા. ફિલ્મની નાયિકા ગુડ્ડી (જયા ભાદુરી) સ્કૂલગર્લ છે અને ધર્મેન્દ્ર પર ફિદા છે. તે એવું માને છે કે તેનો હીરો પડદા પર જેવો સાહસિક અને ઉદાર છે તેવો જ અસલી જીવનમાં પણ છે. ઋષિ’દા ગુડ્ડીની માસુમિયત મારફતે સિનેમાના ગ્લેમરના ભ્રમને તોડવા માંગતા હતા. 

ઋષિ’દા અને ગુલઝાર વચ્ચે એકવાર સહજ રીતે જ વાત થઇ હતી કે ફિલ્મ સ્ટારો પ્રત્યેનો ભક્તિભાવ કેવી રીતે કુમળાં મગજ પર અસર કરે છે. એમાંથી ‘ગુડ્ડી’ ફિલ્મનો વિચાર જન્મ્યો હતો. “ગુડ્ડી” જયા ભાદુરીની કારકિર્દી માટે પણ પાયાનો પથ્થર સાબિત થઇ હતી. પહેલી જ ફિલ્મમાં તેમને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. 

ઋષિ’દાએ ‘ગુડ્ડી’માં અમિતાભ બચ્ચનને નવીનની ભૂમિકામાં લીધા હતા (જે કુસુમ ઉર્ફે ગુડ્ડીનો હાથ માંગે છે) પરતું તેમની જ ફિલ્મ ‘આનંદ’માં અમિતાભનું કદ વધી જતાં બંગાળી એક્ટર સુમિત ભાંજાને લીધા હતા. કુસુમની ભૂમિકા પહેલાં મૌસમી ચેટરજીએ ઓફર થઇ હતી પણ તેમણે સ્કૂલનો સ્કર્ટ ડ્રેસ પહેરવાની ના પાડી દીધી હતી, તો ઋષિ’દા પાસે ડિમ્પલ કાપડિયાનો ફોટો પણ હતો, પરંતુ તેમને એવી છોકરી જોઈતી હતી જે દેખાવમાં, મૂરખની હદે, માસૂમ હોય. જયાજીએ તેમની પહેલી જ ફિલ્મમાં રંગ રાખી દીધો હતો. 

તેમનો કુંદનનો કિરદાર એટલો વખણાયો કે અસરાની માટે પણ ‘ગુડ્ડી’ લોટરી સાબિત થઇ. “ફિલ્મનું પરિણામ એ આવ્યું કે, “અસરાનીએ પેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “મને આઠ ફિલ્મો મળી અને પછી મેં પાછું વાળીને જોયું નહીં.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 06 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

સોનલ પરીખ|Gandhiana|7 November 2025

11 સપ્ટેમ્બરે આચાર્ય વિનોબા ભાવેનો જન્મદિન આવશે. 5 સપ્ટેમ્બરે મધર ટેરેસાની પુણ્યતિથિ હતી. વિનોબાજીએ ઋષિપરંપરાને તાજી કરી. મધર ટેરેસાને લગભગ એક દાયકા પહેલા ‘સંત’ ઘોષિત કરાયાં એટલે કે સેન્ટહૂડ મળ્યું. આ બે મેગ્સેસે વિજેતા, ભારતરત્ન વિભૂષિત આધુનિકકાળના ભારતીય સંતોને આપણે ઓળખીએ છીએ? સમજીએ છીએ?  

આચાર્ય વિનોબાજી

‘પથ્થર ભલે એક પ્રહારથી તૂટ્યો હોય, પણ તેને તોડવામાં અંતિમ પ્રહાર પહેલાના તમામ પ્રહારોનો એટલો જ ફાળો હોય છે.’ વિનોબાજીના આ સાદા લાગતાં વિધાનમાં અર્થોની અનેક શક્યતાઓ ભરેલી છે. મધર ટેરેસા કહેતાં, ‘ભગવાન એ અપેક્ષા રાખતા નથી કે આપણે સફળ થઈએ, પણ ભગવાન એ અપેક્ષા જરૂર રાખે છે કે આપણે પ્રયાસ કરીએ.’ આ વિધાન પણ સાદું, સુંદર અને અર્થગર્ભ છે.  

મધર ટેરેસા અને આચાર્ય વિનોબા ભાવે આ બંનેનાં વ્યક્તિત્વ, ધર્મ અને કાર્યપદ્ધતિમાં બહુ ઓછી સમાનતા છે, છતાં બંનેની માટી જાણે એક છે. બંને આજીવન બ્રહ્મચારી, સ્વેચ્છાએ ગરીબ રહેનાર, માનવીય કરુણાથી પ્રેરિત અને દીનદુખિયાનાં સતત સક્રિય સેવકો. 11 સપ્ટેમ્બરે વિનોબાજીનો જન્મદિન છે. પ સપ્ટેમ્બરે મધર ટેરેસાની પુણ્યતિથિ હતી. વિનોબાજી ઋષિ ગણાતા હતા, મધર ટેરેસાને સેન્ટહૂડ એટલે કે સંતપદ આજથી એકાદ દાયકા પહેલા 4 સપ્ટેમ્બરે મળ્યું હતું. બંને મેગ્સેસે ઍવોર્ડ વિજેતા અને ભારતરત્ન. આધુનિક કાળના આ સંતોની સરખામણી કરવાની ધૃષ્ટતા કરવાનો બિલકુલ ઇરાદો નથી. તારીખોના જરા તાલમેલને લીધે બંને વિષે એકસાથે થોડા વિચાર આવ્યા, એ જ વ્યક્ત કરી રહી છું. 

ગાંધીમાર્ગી સેવક, ચિંતક અને સંત વિનોબાજીનો જન્મ મહારાષ્ટ્રના ગાગોદે ગામના ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં. મૂળ નામ વિનાયક નરહરિ ભાવે. પિતા સ્વમાની, વ્યવસ્થાપ્રિય, વૈજ્ઞાનિક અને બુદ્ધિનિષ્ઠ. માતા રુક્મિણીબાઈ ભક્ત અને ભોળાં. એમના મુખેથી સંતોનાં ભજનો અને દાદા, દાદી, મા પાસેથી સાંભળેલી રામાયણ-મહાભારતની વાતોએ  વિનાયકમાં બાળપણમાં બ્રહ્મજિજ્ઞાસા પેદા કરી. આઠમે વર્ષે એમણે ‘જ્ઞાનેશ્વરી’ વાંચી. સંત તુકારામ અને મોરોપંત પંડિતનું સાહિત્ય વાંચ્યું. રામદાસના અભંગો અને ‘દાસબોધ’ની ઊંડી અસર પડી. 

21મા વર્ષે એમણે ઘર છોડ્યું. અધ્યાત્મ અને વિપ્લવનું આકર્ષણ તેમને હિમાલય લઇ ગયું. 1916ની સાલ હતી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી તાજા જ ભારત આવ્યા હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપન પ્રસંગે આપેલ ભાષણમાં ગાંધીજીએ જે નિર્ભીક સ્પષ્ટતાથી બ્રિટિશ અધિકારીઓ, રાજામહારાજાઓ અને ક્રાંતિકારીઓને ખંખેર્યા તે સાંભળી વિનોબાને થયું કે આ માણસમાં હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિનો સંગમ છે, પણ ઉતાવળ કર્યા વિના એમણે ગાંધીજી પાસે પોતાને બરાબર વ્યક્ત કર્યા, વિચારપૂર્વક એમના સાથી બન્યા અને પછી ગાંધીજીએ શરૂ કરેલ સેવાગ્રામ આશ્રમમાં રહ્યા. તે પછી વર્ધામાં પાવનાર અને આસામમાં મૈત્રી આશ્રમ સહિત દેશભરમાં આશ્રમો સ્થાપ્યા. 

ગાંધીજીનાં બધાં રચનાત્મક કામો તેમણે હાથ ધર્યા. તપોમય જીવન જીવ્યા. ‘ઉપનિષદોનો અભ્યાસ’, ‘ગીતાપ્રવચનો’, ‘ગીતા-પદાર્થ-કોશ’, ‘સ્થિતપ્રજ્ઞદર્શન’, ‘સ્વરાજ્ય-શાસ્ત્ર’ જેવાં પુસ્તકો લખ્યાં. કર્મયોગ પણ સાથે સાથે ચાલ્યો. ‘ગીતાઈ’ અને ‘ગીતાપ્રવચનો’ વિનોબાની અત્યંત લોકપ્રિય કૃતિઓ છે. ‘ગીતાઈ’નો શબ્દશ: અર્થ સમજવા માટે એમણે ‘ગીતાઈ શબ્દકોશ’ તૈયાર કર્યો અને ગીતાના શ્લોકોના ગહન અર્થ સમજવા માટે એમણે ‘ગીતાઈ-ચિંતનિકા’ તૈયાર કરી. વિશિષ્ટ જનો માટે વિનોબાએ ‘ગીતાધ્યાયસંગતિ’, ‘સ્થિતપ્રજ્ઞદર્શન’ અને ‘સામ્યસૂત્ર’ની રચના કરી. આ રીતે વિનોબા ગીતાના સૂત્રકાર, ભાષ્યકાર, કોશકાર અને સમાલોચનાકાર બન્યા. 

બીજા મહાયુદ્ધ (1939–45) વખતે બ્રિટિશ સરકારે હિંદને વગર પૂછ્યે યુદ્ધમાં સંડોવ્યું એટલે યુદ્ધવિરોધી વ્યક્તિગત સત્યાગ્રહની યોજના ગાંધીજીએ વિચારી. એના પહેલા સત્યાગ્રહી તરીકે વિનોબાને જાહેર કર્યા. વિનોબાએ સત્યાગ્રહ કરી ત્રણ વાર જેલ ભોગવી. 1942માં ‘ભારત છોડો’ આંદોલન વખતે પણ વિનોબાની ધરપકડ થઈ. એમને તમિલનાડુની વેલોર જેલમાં રાખ્યા. ત્યાં એમણે તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાળમ એ દક્ષિણની ચાર ભાષાઓ શીખવાનું શરૂ કર્યું. લાંબા જેલવાસ પછી 1945માં તેમને મુક્તિ મળી અને તેઓ પવનાર પાછા આવ્યા.

ગાંધીજીની હત્યા પછી વિનોબાએ સર્વોદય સમાજ રચવાનો વિચાર રજૂ કર્યો. કાંચનમુક્તિ અને ઋષિખેતીના પ્રયોગો કર્યા. વિનોબાનું સૌથી મહત્ત્વનું કાર્ય 1951માં એમણે શરૂ કરેલું ભૂદાનયજ્ઞ આંદોલન હતું. જમીનદારો અને ભૂમિહીનો વચ્ચેની ખાઈ પૂરવાનો આ પ્રયત્ન હતો. વિચાર એટલો મૌલિક હતો કે આજે તો તેની કલ્પના પણ ન આવે. તેઓ ગામલોકોને કહેતા, ‘તમારે પાંચ દીકરા હોય તો મને છઠ્ઠો દીકરો ગણો ને મારા ભાગે આવતી જમીન મને આપો.’ મળેલી જમીન ત્યાં ને ત્યાં કોઈ ભૂમિહીનને અપાઈ જતી. સતત 14 વર્ષ ચાલેલી પદયાત્રા દરમ્યાન 50 લાખ એકર જમીન ભૂદાનમાં મળી. તેમાંથી 32 લાખ એકર જમીનનું વિતરણ થઈ ચૂક્યું છે. ભૂદાનમાંથી ગ્રામદાન, જીવનદાન, સંપત્તિદાન, સર્વોદય-પાત્ર, શાંતિસેના, ડાકુઓનું હૃદયપરિવર્તન, કાંચનમુક્તિ, ઋષિખેતી વગેરે કાર્યક્રમો અસ્તિત્વમાં આવ્યા. 

વિનોબાજી 11 ભાષાઓ જાણતા. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક વારસ ગણાતા. તેમનું અધ્યાત્મ બુદ્ધિનિષ્ઠ હતું અને સમર્પણ પ્રજ્ઞાવાન. નવેમ્બર 1982માં તેમણે દવા, પાણી, આહાર છોડી સહજ પ્રાણત્યાગ કર્યો. પવનારની બહેનોએ તેમણે મુખાગ્નિ આપ્યો. 

મધર ટેરેસા વિનોબાજી કરતાં 15 વર્ષ નાનાં. અત્યારના મેસિડોનિયાના સ્કોપ્જેમાં જન્મેલાં આલ્બેનિયન સાધ્વી. ભારત તેમની કર્મભૂમિ. 1928માં તેઓ કૉલકાતા આવ્યાં અને થોડાં વર્ષમાં પોતાના ધર્મસંઘની ભારત શાખાનાં વડા બન્યાં. 1948માં કૉલકાતામાં મરણપથારી પર પડેલા નિરાશ્રિતો માટે આશ્રયસ્થાન શરૂ કર્યું. બીમારોને સારી સારવાર મળે તે માટે તાલીમ લીધી. 1950માં તેમણે ભારતનું નાગરિકત્વ લીધું. એ જ વર્ષે ‘મિશનરીઝ ઑફ ચેરિટી’ની સ્થાપના કરી. તેની શાખાઓ અત્યારે 133 દેશોમાં છે. ભારતમાં જ 30 જેટલી શાખાઓ છે. બ્રહ્મચર્ય, ગરીબી, આજ્ઞાંકિતતા અને આજીવન સેવાવ્રત ધારણ કરનારી 4,500 સાધ્વીઓ અનાથાલય, સૂપ કિચન્સ, શાળાઓ, હોસ્પિટલો ચલાવે છે અને ટી.બી.-એઈડઝ-રક્તપિત્તના રોગીઓની સારવાર કરે છે. 

મધર ટેરેસા

1862માં મધર ટેરેસાને મેગ્સેસે પુરસ્કાર મળ્યો, 1979માં નોબેલ શાંતિ ઈનામ અને 1980માં ભારતરત્ન. ભારતરત્ન મેળવનાર તેઓ પહેલા ભારતીય-વિદેશી નાગરિક છે. તેમના પછી 1987માં ખાન અબ્દુલ ગફારખાનને અને 1990માં નેલ્સન મંડેલાને આ માન મળ્યું.  

ખ્રિસ્તી ધર્મપરંપરામાં સંતત્વ એટલે કે સેન્ટહૂડ મેળવવાની પ્રક્રિયા ખૂબ અટપટી અને લાંબી હોય છે. 2016માં તેના દરેક તબક્કા પસાર કરી મધર ટેરેસા ‘સંત’ ઘોષિત થયાં. ‘સિસ્ટર’ અને ‘મધર’થી ‘સેન્ટ’ સુધીની આ પ્રક્રિયા ઘણી પ્રેરક અને રસપ્રદ છે, પણ આપણને પૂછવાનું મન થાય કે સેન્ટહૂડ વધારે મહત્ત્વનું કે મધરહૂડ? સંતત્વ મોટું કે માતૃત્વ? પણ એમાં ન પડીએ તે જ સારું, આપણને બાંધ્યા વિના ચાલતું હોતું નથી અને મહાન આત્માઓ કદી બંધાતા હોતા નથી.

વિનોબાજી કટોકટી અંગેના તેમનાં વિધાનોને કારણે અને મધર ટેરેસા ગર્ભપાત અંગેના વિચારોને કારણે વિવાદોમાં ઘેરાયાં હતાં, પણ તેમની મહાનતા તેનાથી ખરડાતી નથી. અનુશાસિત જીવન અને મુક્ત આત્મા આ બંનેનો આદર્શ હતો. સેવાના ભેખધારીઓ આ જ રીતે વિચારે અને જીવે. 

વિનોબાજીએ કહ્યું હતું કે ‘વિશ્વમાં આજે જેટલી સમસ્યાઓ છે તેની પાછળ ઓછી મહેનતે વધારે લાભ ઉઠાવવાની સ્વાર્થી લાલસા છે. આ ચોરી છે.’ મધર કહેતાં, ‘કેટલું આપ્યું તે કરતાં કેટલા પ્રેમથી આપ્યું તે વધારે મહત્ત્વનું છે. સંખ્યા પાછળ ન પાડો. એક સમયે એક વ્યક્તિને મદદ કરો અને જે તમારી આસપાસ જ છે તેમનાથી શરૂઆત કરો.’ આ બંને વિચારનો અમલ અઘરો નથી, આપણે જ્યાં હોઈએ ત્યાંથી એક નાની શરૂઆત કરી શકાય તેમ છે. 

હૃદયના ગહન મૌનમાં આ વિચારોનો પ્રકાશ ફેલાવા દઈએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 સપ્ટેમ્બર  2025

Loading

...102030...36373839...506070...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved