Opinion Magazine
Number of visits: 9663568
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—320

દીપક મહેતા|Opinion - Opinion|20 December 2025

મુંબઈનો એક રાજ મહેલ કઈ રીતે બન્યો કોલેજ?          

થોડા દિવસ પહેલાં એક મિત્રને મળવાનું થયું. કહે : આ સોફિયા કોલેજ તો કોલેજ છે કે રાજ મહેલ? 

કેમ? તમે કોલેજ બદલવાનું વિચારો છો?

ના, રે ના. બે દિવસ પહેલાં એક કોન્ફરન્સમાં કી-નોટ એડ્રેસ આપવા ત્યાં ગઈ હતી. 

મેં કહ્યું : હા, આજે એ કોલેજ છે પણ એક જમાનામાં એ ઈમારત રાજમહેલ હતી. 

હોય નહિ! એક રાજમહેલ મુંબઈમાં! અને એ બને કોલેજ! 

હા. વાત થોડી અટપટી છે, લાંબી છે. થોડા દિવસમાં એને વિષે લખીશ ત્યારે વાંચી લેજો. 

*

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકાર છેવટે તો હતી વેપારીઓની સરકાર. હિન્દુસ્તાનની સરકાર કોઈ પણ કામમાં ખરચ કરે તે લંડનના બડેખાંઓને આંખના કણાની જેમ ખૂંચે. ટાઉન હોલ બંધાયા પહેલાં મુંબઈ-લંડન વચ્ચે કેવી ખેંચતાણ ચાલેલી એ આપણે જોયું છે. એટલે મુંબઈના માંધાતાઓએ એક નવો નુસખો શોધેલો. એ વખતે મુંબઈની પુષ્કળ જમીન વણવપરાયેલી, પડતર, ઉજ્જડ. એટલે કોઈએ મોટી મદદ કરી હોય, કે કોઈની મોટી મદદ મેળવવાની જરૂર હોય ત્યારે મુંબઈ સરકાર જે-તે વ્યક્તિને મુંબઈની થોડી જમીન ‘ઇનામ’ આપતી. એ માટે ખાસ અલાયદી રાખેલી જમીન ‘ઇનામદારી જમીન’ તરીકે ઓળખાતી. 

અસલ ઈમારત – આજે બની છે ચેપલ

‘એશબર્નર’ મૂળ તો અંગ્રેજોની અટક. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાક અધિકારીઓની પણ એ જ અટક. પારસીઓએ અંગ્રેજોની માત્ર રહેણીકરણી કે રિવાજો જ અપનાવ્યાં એવું નહોતું. તેમનાં નામ-અટક પણ અપનાવેલાં. એવી એક અટક તે આ ‘એશબર્નર.’ આ કુટુંબના કોઈ મોભીએ ખરે ટાણે કંપની સરકારને મદદ કરેલી. અને બદલામાં સરકારે ખંભાલા હિલ વિસ્તારમાં ‘ઇનામની જમીન’માંથી એક ટુકડો એ એશબર્નરને આપ્યો. તેમણે એ જગ્યાના એક હિસ્સા પર મોટું મકાન કે નાનો બંગલો કહી શકાય એવી ઈમારત બાંધી અને મુંબઈ સરકારના લશ્કરના વડા સર હેન્રી સમરસેટને રહેવા આપી. એટલું જ નહિ, તેનું નામ પણ રાખ્યું સમરસેટ હાઉસ. આ અસલ મકાન આજે પણ ઊભું છે અને તેનો ઉપયોગ કોલેજના ‘ચેપલ’ તરીકે થાય છે. 

સર હેન્રી સમરસેટનો જન્મ ૧૭૯૪ના ડિસેમ્બરની ૩૦મીએ. અવસાન થયું ૧૮૬૨ના ફેબ્રુઆરીની ૧૫મીએ. ૧૮૧૧ના ડિસેમ્બરની પાંચમી તારીખે બ્રિટિશ લશ્કરમાં જોડાયા. જૂદાં જૂદાં યુદ્ધોમાં સફળ કામગીરી બાદ ૧૮૫૧ના નવેમ્બરની ૧૧મી તારીખે મેજર-જનરલ બન્યા અને ૧૮૫૩માં બન્યા ‘નાઈટ કમાન્ડર ઓફ બાથ.’ એ સાથે જ તેમની બદલી મુંબઈ સરકારના લશ્કરના વડા તરીકે થઈ. ૧૮૫૫ના માર્ચની ૨૬મીથી ૧૮૬૦ના માર્ચના અંત સુધી તેઓ આ પદે રહ્યા. ત્યાર બાદ સ્વદેશ પાછા ગયા. જિબ્રાલ્ટર ખાતે ૧૮૬૨માં તેમનું અવસાન થયું. 

એશબર્નર પછી આ જગ્યાના માલિક બન્યા બદરુદ્દીન તૈયબજી. ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના ત્રીજા પ્રમુખ (૧૮૮૭-૧૮૮૮). ૧૮૪૪ના ઓક્ટોબરની ૧૦મી તારીખે મુંબઈમાં જન્મ, ૧૯૦૬ના ઓગસ્ટની ૧૯મીએ લંડનમાં અવસાન. યુનિવર્સિટી કોલેજ, લંડન, મિડલ ટેમ્પલમાં ભણીને મુંબઈના પહેલવહેલા હિન્દી બેરિસ્ટર બન્યા. ૧૮૭૪માં તેમણે મુંબઈમાં અંજુમન-એ-ઇસ્લામ કોલેજની સ્થાપના કરી. આરબ જમાતનું તેમનું કુટુંબ અસલમાં હતું ખંભાતનું વતની. બદરુદ્દીનજીના વાલીદને સાત બેટા. સાતેને તેમણે ભણવા માટે ગ્રેટ બ્રિટન મોકલેલા. પાછા આવ્યા પછી બોમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટીસ શરૂ કરી. ૧૮૭૩માં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય નિમાયા. ૧૮૭૫થી ૧૯૦૫ સુધી યુનિવર્સિટી ઓફ બોમ્બેની સેનેટના સભ્ય રહ્યા. ૧૮૮૨માં બોમ્બે લેજિસલેટિવ કાઉન્સિલના સભ્ય નિમાયા. પણ નબળી તબિયતને કારણે ૧૮૮૬માં રાજીનામું આપ્યું. ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપનામાં બદરુદ્દીન અને તેમના મોટા ભાઈ કમરૂદ્દીન, બંનેનો મોટો ફાળો. ૧૮૯૫માં તેમની નિમણૂક બોમ્બે હાઈ કોર્ટના જજ તરીકે થઈ. આ હોદ્દા પર નીમાનારા તેઓ પહેલા મુસ્લિમ હતા. ૧૯૦૨માં તેઓ બોમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા હિન્દી ચીફ જસ્ટિસ બન્યા. તેઓ સ્ત્રી શિક્ષણના પ્રખર હિમાયતી હતા. પોતાની બધી જ દીકરીઓને તેમણે મુંબઈની સ્કૂલોમાં ભણાવેલી એટલું જ નહિ, ૧૯૦૪માં બે દીકરીઓને ઈંગ્લન્ડ ભણવા મોકલી. 

રાજ મહેલ બન્યો સોફિયા કોલેજ

બદરુદ્દીન તૈયબજી

એશબર્નર કુટુંબ પાસેથી ૧૮૮૨માં સમરસેટ હાઉસ ખરીદ્યા પછી બદરુદ્દીન તૈયબજીએ તેમાં ‘સમરસેટ એનેકસ’ ઈમારત બંધાવી. એ ઈમારતનો મોટો ભાગ આજે ‘સાયન્સ બિલ્ડિંગ’ તરીકે ઓળખાય છે. પણ પછી ફરી એક વાર માલિક બદલાય છે. નવા માલિક છે હોરમસજી નસરવાનજી વકીલ. ૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૪મી તારીખે સોલિસીટરની પરીક્ષામાં પાસ થયેલા એટલી માહિતી સિવાય તેમને વિષે બીજું કાંઈ જાણવા મળતું નથી. પણ વ્યવસાયે વકીલ એટલું તો કહી જ શકાય. તેમણે અસલ ઈમારતની પૂર્વ બાજુએ નવી ઈમારત બાંધીને વિસ્તાર વધાર્યો. પણ તેમના હાથમાં આ મિલકત ઝાઝો વખત રહી નહિ. ૧૯૨૩માં ઇન્દોરના મહારાજા તુકોજીરાવ હોળકર ત્રીજાએ આ જગ્યા ખરીદી. તેને મહેલ જેવી બનાવી. ઈન્દોરની ઉનાળાની ગરમીથી બચવા ઘણી વાર અહીં આવી રહેતા. તુકોજીરાવ હોળકરનું નામ પડતાં જ અમારા ચતુર સુજાણ વાચકોના કાન ચમક્યા હશે. ૧૯૨૫ની શરૂઆતથી બે-ત્રણ વરસ માટે ‘બાવલા ખૂન કેસ’માં સંડોવાયેલા તે જ આ તુકોજીરાવ તો નહિ? હા, જી. એ જ તુકોજીરાવ. અને આપ જાણો છો તે પ્રમાણે અંગ્રેજ સરકાર સાથે વાટાઘાટ કરી, રાજપાટ છોડી, પરદેશ ચાલ્યા ગયા હતા અને એક અમેરિકન સ્ત્રીને પરણ્યા હતા એ જ તુકોજીરાવ. દેખીતી રીતે, હવે તેમને મુંબઈના મહેલમાં રસ રહ્યો નહોતો. મહેલ વેચવા માટે ઘરાક શોધતા હતા. ૧૯૩૭માં ભાવનગરના દેશી રાજ્યના રાજવી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજીએ તુકોજીરાવ પાસેથી આ મહેલ ખરીદી લીધો. 

ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી

કૃષ્ણકુમારસિંહજીનો જન્મ ૧૯૧૨ના મે મહિનાની ૧૯મી તારીખે. અવસાન ૧૯૬૫ના એપ્રિલની બીજી તારીખે. રાજગાદીએ બેઠા ત્યારે ઉંમર ફક્ત સાત વરસ. એટલે ૧૯૩૧માં તેઓ પુખ્ત વયના થયા ત્યાં સુધી સત્તા બ્રિટિશ સરકારે નીમેલી રીજન્સી પાસે રહી. સત્તા હાથમાં આવ્યા પછી તેમણે લોકહિતનાં ઘણાં કામ કર્યાં અને દેશની આઝાદી માટેની લડતને આડકતરી રીતે ટેકો આપતા રહ્યા. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે સ્વેચ્છાએ પોતાનું રાજ ભારત સરકારને ધરી દીધું હતું. પછી ૧૯૪૮થી ૧૯૫૨ સુધી તેઓ તે વખતના મદ્રાસ રાજ્યના ગવર્નરના પદે રહ્યા હતા. 

પણ ભાવનગર નરેશ પાસે પણ આ મહેલ ઝાઝો વખત રહ્યો નહિ. ૧૯૪૦માં સોસાયટી ઓફ ધ સેકરેડ હાર્ટ ઓફ જીસસે તે ખરીદી લીધો. આ સોસાયટીની સ્થાપના ઈ.સ. ૧૮૦૦માં ફ્રાન્સમાં થઈ હતી. તેનો મુખ્ય હેતુ છોકરીઓના શિક્ષણ માટેની સગવડો ઊભી કરવાનો હતો. આ સોસાયટીએ મુંબઈમાં કામ પ્રમાણમાં મોડું શરૂ કર્યું. ૧૯૩૯માં તેના ‘ઇન્ડિયન પ્રોવિન્સ’ની શરૂઆત થઈ. આ સંસ્થાએ ભાવનગરના મહારાજા પાસેથી મહેલ ખરીદી લીધો અને ૧૯૪૦માં ત્યાં સોફિયા કોલેજની શરૂઆત કરી. તેનું ઉદ્ઘાટન હીઝ ગ્રેસ આર્ચબિશપ રોબર્ટસને હાથે થયું હતું અને મધર એન્ડરસન તેના પહેલા પ્રિન્સિપાલ નિમાયાં હતાં. ૧૯૪૧માં આર્ટસ ફેકલ્ટી શરૂ થઈ ત્યારે યુનિવર્સિટી ઓફ બોમ્બેએ તેને કામચલાઉ માન્યતા આપી હતી. ૧૯૫૦માં તેને કાયમી માન્યતા મળી. ૧૯૫૨માં વિજ્ઞાન શાખા શરૂ થઈ અને ૨૦૦૧માં સોફિયા સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝ એન્ડ ડેવલપમેન્ટની શરૂઆત થઈ. ૨૦૧૮થી આ કોલેજને ઓટોનોમસ (સ્વાયત્ત) કોલેજનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ફ્રાન્સિસ વોર્ડન

આ કોલેજ જે રસ્તા પર આવેલી છે તે રસ્તાનું આજનું નામ ભુલાભાઈ દેસાઈ રોડ, અસલ નામ વોર્ડન રોડ. ફ્રાન્સિસ વોર્ડન મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી હતા. વખત જતાં તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક ડિરેક્ટર નિમાયા હતા. 

આ કોલેજ આવેલી છે તે વિસ્તાર ખંભાલા હિલ તરીકે ઓળખાય છે. જાણકારોને પણ મૂંઝવે એવું આ નામ છે, ખંભાલા હિલ. અંગ્રેજીમાં તેના બે સ્પેલિંગ જોવા મળે છે: Cumballa અને Kambala. પણ આ નામ પડ્યું કેવી રીતે? ખંભાલા હિલ પરના એક બંગલામાં એક મિજબાની દરમ્યાન એક મહેમાને પૂછેલું: ‘પણ આ મિસ્ટર ખંભાલા હતા કોણ?’ આજુબાજુ બેઠેલાઓ હસ્યા હતા. પણ કોઈએ જવાબ આપ્યો નહોતો. કારણ આ નામનો ગળે ઊતરે એવો ખોલાસો હજી સુધી મળ્યો નથી. કોઈ ‘કમ્બાલા’ને કમળનાં ફૂલ સાથે સાંકળે છે. અને કહે છે કે ‘કમળ’ નામથી થયું ‘કમ્બાલા.’ પણ ખાટલે મોટી ખોડ એ કે કમળ કાંઈ જમીન પર ખીલતાં નથી, અને ખંભાલા હિલ પર મોટું તળાવ હોવાનું કોઈએ કહ્યું નથી. તો એક વિદ્વાન રિચાર્ડ એટન કહે છે કે આ નામ ઇથોપિયાના ‘કમબાતા’ શહેરના નામ સાથે જોડાયેલું છે. એક જમાનામાં હબસીઓને ગુલામ તરીકે હિન્દુસ્તાન મોકલવામાં આવતા. પણ મુશ્કેલી એ છે કે આવા ગુલામો વહાણ દ્વારા લવાતા અને વહાણ કાંઈ ટેકરી ઉપર નાંગરે નહિ. તો કોઈ વળી કહે છે કે એક જમાનામાં અહીં કબ્રસ્તાન અને સ્મશાન ભૂમિ આવેલાં હતાં. અંતિમ વિધિ થયા પછી મરનારના માનમાં અહીં ખંભા કહેતાં થાંભલા ખોડાતા એટલે નામ પડ્યું ખંભાલા હિલ. આમાં બે મુશ્કેલી : એક તો અહીં કબ્રસ્તાન કે સ્મશાન ભૂમિ હતાં એવું ક્યાં ય નોંધાયું નથી. બીજું, મુસ્લિમ બિરાદરો જે બાંધે છે તેને ‘કબર’ કહેવાય છે, ‘ખંભા’ નહિ. હા, ગુજરાત-મહારાષ્ટ્રમાં ધીંગાણામાં માર્યા ગયેલા વીરોની ખાંભી ખોડાય છે, પણ તેને ‘ખંભા’ કહેતાં નથી. વળી આ ટેકરી ઉપર ક્યારે ય કોઈ ધીંગાણું થયું હોય એવું જાણવા મળતું નથી. 

બીજો અભિપ્રાય એવો કે આ ટેકરી પર મોટા પ્રમાણમાં જોવા મળતાં કંબલ નામના ઝાડને કારણે આ નામ પડ્યું. આ ‘કંબલ’ આપણને ‘શમી વૃક્ષ’ તરીકે વધુ જાણીતું છે. તેનું બીજું નામ ‘ખીજડો.’ શમી વૃક્ષનો ઉલ્લેખ છેક રામાયણ મહાભારતમાં પણ જોવા મળે છે. બીજી બાજુ ખીજડાના ઝાડ પર ભૂતનો વાસ હોય છે એવી લોકમાન્યતા પણ છે. બધી વાતોમાં આ વાત સૌથી વધુ ગળે ઊતરે તેવી છે. જે ટેકરી પર મોટા પ્રમાણમાં ‘કંબલ’નાં ઝાડ, એ ટેકરીનું નામ કંબાલા હિલ. પછીથી બન્યું ખંભાલા હિલ. મુંબઈના બીજા ઘણા રસ્તાનાં નામ પણ કોઈ ને કોઈ ઝાડ પરથી ક્યાં નથી પડ્યાં?

સોફિયા કોલેજને સમાવીને બેઠેલા આ મહેલથી થોડે દૂર બીજો એક રાજ મહેલ હતો. દાયકાઓ સુધી રોજેરોજ એ મહેલની બહાર આતુર લોકોની લાંબી લાંબી લાઈનો લાગતી. એ મહેલ તે કિયો? એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 ડિસેમ્બર 2025

Loading

‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?

નેહા શાહ|Opinion - Opinion|19 December 2025

નેહા શાહ

નામ માં શું રાખ્યું છે? રોમિયો – જુલિયટ લખતા શેક્સપિયર આ સારી સલાહ આપી ગયો હતો. “નામ વ્યક્તિના સાચા પાત્રની ઓળખ નથી આપતું, એ તો માત્ર મથાળા છે.” એટલે કે ગુલાબનું નામ ગમે તે રાખો એની સુગંધમાં કોઈ ફરક નથી પડવાનો. વર્તમાન સરકાર યોજનાઓનાં નામ બદલાવાનો શોખ છે – નાના-મોટા ફેરફાર સાથે સ્વાવલંબન યોજના અટલ પેન્શન યોજના બની ગઈ, ઇન્દિરા આવાસ યોજનાનું નામ પ્રધાન મંત્રી આવાસ યોજના થયું, નિર્મલ ભારત યોજના હવે સ્વચ્છ ભારત યોજના છે. છેલ્લો ઉમેરો છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી યોજના (મનરેગા) હવે બદલાઈ ને ‘વિકસિત ભારત ગ્રામીણ વિસ્તાર રોજગાર અને આજીવિકાની ખાતરી માટે મિશન (Viksit Bharat Guarantee for Rozgar and Ajeevika Mission Gramin — VB-G RAM G Bill) યોજના બનાવવાનો ખરડો સંસદમાં રજૂ થઇ ચુક્યો છે.

સરકારના પ્રવક્તા કહે છે કે યોજનાના નામ સાથે આત્મા બદલવા ની વાત છે – આ જરા સાવધ કરનારી વાત છે. કારણ કે, છેડછાડ તો આત્મા સાથે જ છે! મનરેગા યોજના નથી, પણ કાયદો છે જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સરકાર ૧૦૦ દિવસના રોજગારની માત્ર ખાતરી નહિ, અધિકાર આપે છે. ૨૦૦૫માં શરૂ થયેલી આ યોજનાનો આત્મા એટલે,

૧. ગરિમા પૂર્ણ રોજગાર ને મૂળભૂત અધિકાર ગણવાની સ્વીકૃતિ.

૨. રોજગારના અભાવમાં ગ્રામીણ વિસ્તારમાં સરકાર પાસે રોજગાર માંગવાનો અધિકાર.

૩. સમગ્ર દેશમાં એકસરખો અધિકાર

૪. વર્ષના ૧૦૦ દિવસ સુધી લઘુત્તમ વેતન સાથે રોજગાર પૂરો પાડવાનું સરકારનું દાયિત્વ.

યોજનાનો આત્મા દિવસની મર્યાદામાં નથી – આત્મા છે સાર્વત્રિક રીતે ગરિમાપૂર્ણ રોજગારને અધિકાર ગણવાની સ્વીકૃતિમાં. વળતરમાં માત્ર લઘુતમ મળે પણ, ભૂખ મારાથી બચવા માટે આનાથી વધુ ગરિમાપૂર્ણ વિકલ્પ શું હોઈ શકે? કોવીડ સમયે આપણે જોયું કે કરોડો લોકો અધિકારને કારણે ટકી ગયા.

આ કેન્દ્રીય યોજનાનો અમલ સમગ્ર દેશમાં એક સમાન રીતે થતો હતો અને કેવા પ્રકારનાં કામ લોકો પાસે કરાવી શકાય એ નિર્ણય રાજ્ય સરકાર લેતી રહી છે. નવા ખરડા કેટલીક જોગવાઈ રોજગારની બાંહેધરીની વિભાવના પર અસર કરે છે જે ચિંતાજનક છે. – એક, નવા ખરડામાં કેન્દ્ર સરકારના હાથમાં નિર્ણય લેવાની ઘણી સત્તા અપાઈ છે, જ્યારે આર્થિક ભારણ ઓછું કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં અને કયા વિસ્તારમાં આ યોજના લાગુ કરવી એનો નિર્ણય કેન્દ્ર સરકાર નક્કી કરશે. ક્યાં અને ક્યારે આ યોજના લાગુ પડશે એ અંગેનું જાહેરનામું સરકાર અવારનવાર બહાર પાડતી રહેશે. એટલે કે રોજગારની બાહેંધરી અધિકાર સમગ્ર ગ્રામીણ ભારતમાં સાર્વત્રિક રીતે લાગુ નહિ પડે! આ બાંહેધરી મળશે કે કેમ એની કોઈ ખાતરી નથી.!!!

બે, મનરેગા પાછળ થતાં ખર્ચમાં વળતરની ચુકવણીનો ૧૦૦ ટકા અને સામગ્રી પાછળ ૭૫ ટકા ખર્ચ કેન્દ્ર સરકારની જવાબદારી હતી. એટલે લગભગ ૯૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર કરતી હતી. નવી યોજનામાં આ ગુણોત્તર ૬૦:૪૦નો રખાયો છે. આ મુદ્દો જરા પેચીદો છે, કારણ કે, ગરીબ પ્રદેશોની સરકાર પાસે આવક પણ ઓછી હોવાની, એમાં એમણે જો ૪૦ ટકા જેટલો ખર્ચ ભોગવવાનો આવે તો અમલમાં ધાંધિયા થવાની શક્યતા ખરી. જી.એસ.ટી. પછીના સમયમાં રાજ્ય સરકાર પાસે જ્યારે આવકના મર્યાદિત સાધનો બચ્યા છે તેવા સંજોગોમાં રોજગારના દિવસો વધારી એનું નાણાંકીય ભારણ રાજ્ય સરકાર પર વધે તો યોજનાનો અમલ કેટલો અસરકારક રીતે થશે એ સવાલ તો થાય. વળી, જ્યાં વિરોધ પક્ષની સરકાર છે એવા રાજ્યો પ્રત્યે કેન્દ્ર સરકારનું ઓરમાયું વર્તન છૂપું નથી. પશ્ચિમ બંગાળમાં લગભગ ત્રણ વર્ષથી મનરેગાનું ફંડિંગ બંધ હતું, જે નાણાં છૂટા કરવાનો આદેશ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કેન્દ્ર-સરકારની મડાગાંઠમાં રોજગાર માંગનાર વ્યક્તિ જ અટવાઈ જાય.

ત્રણ, નવા ખરડામાં ૧૨૫ દિવસની ખાતરી અપાઈ છે જે વાવણી-લણણીની ઋતુના બે મહિના દરમ્યાન લાગુ નહિ થાય.

ચાર, કેવા પ્રકારનું રોજગાર આ યોજના થકી આપી શકાય એ માટે ચાર શ્રેણી વ્યાખ્યાયિત કરવામાં આવી છે – જળ સુરક્ષા, મુખ્ય ગ્રામીણ માળખાગત સુવિધાઓ, આજીવિકાનું માળખું અને આપત્તિ નિવારણ અને આબોહવાની સ્થિતિસ્થાપકતા. આ સિવાયની શ્રેણીમાં કામ ઊભું કરવાની લવચીકતા રાજ્ય સરકાર પાસે રહેશે કે નહીં, એ અંગે સ્પષ્ટતા નથી.

સરકારે રોજગારના દિવસો વધારવાની વાત તો કરી, પણ પાછલાં પાંચ વર્ષમાં કાયદાનો ટેકો હોવા છતાં સરેરાશ માત્ર પંચાવન દિવસ જ કામ અપાયું છે. જો કોઈ સુધારાની જરૂર હતી તો એવું માળખું ઊભું કરવાની કે જેથી લોકોને ૧૦૦ કે હવે ૧૨૫ દિવસનાં રોજગારની બાહેંધરીની બાહેંધરી આપવાની. વેતનના દર બજારના ભાવ પ્રમાણે સુધારવાની અને લોકોને સમયસર વેતન મળી રહે એ જોવાની.

મધ્યમ વર્ગના નાગરિકને મનરેગા જેવા કાયદામાં થયેલા ફેરફારથી ફરક ના પડે. પણ અહીં એ યાદ રાખવું જરૂરી છે કે દેશના સાડા છ કરોડ કરતાં પણ વધુ લોકો આ યોજના પર આધાર રાખે છે. ગુલાબને કોઈ અન્ય નામ આપો તો ફર્ક નથી પડતો પણ ગુલાબમાંથી એની સુગંધ જ કાઢી નાખીએ તો? મનરેગા સાથે એવું જ કાંઇક થવા જઈ રહ્યું છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|19 December 2025

હેમંતકુમાર શાહ

ભા.જ.પ.ના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનો દેશદ્રોહનો કેસ ગુજરાતની ભા.જ.પ.ની સરકારે પાછો ખેંચ્યો તેને સુરતની જિલ્લા અને સેશન્સ અદાલતે તા.૧૮-૧૨-૨૦૨૫ના રોજ મંજૂરી આપી દીધી હોવાના સમાચાર છે. ગયા માર્ચ મહિનામાં અમદાવાદની સેશન્સ અદાલત દ્વારા પણ આ જ રીતે હાર્દિક પટેલ સામેનો કેસ પાછો ખેંચવા માટેના ભા.જ.પી. સરકારના નિર્ણયને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

આ બંને કેસમાં હાર્દિક પટેલની સાથે સાથે તેમના ચારેક સાથીઓને પણ રાહત મળી. 

૨૦૧૫માં હાર્દિક પટેલે કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલા નેતા કે કાર્યકર તરીકે નહીં પણ ભારતના એક નાગરિક તરીકે ગરીબ સવર્ણ લોકોને અનામત મળે તે માટે જે આંદોલન કરેલું તે સબબ આ કેસ તેમની સામે કરવામાં આવેલા. સુરતમાં હાર્દિક પટેલે પટેલ યુવાનોને આત્મહત્યા કરવાને બદલે પોલિસને જ મારવા માટે હાકલ કરેલી તે બદલ આ કેસ કરવામાં આવેલો. આ કેસમાં ત્રણ વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે. પણ હવે કેસ રહ્યો જ નહીં.

શા માટે હાર્દિક પટેલ સામેના કેસ ગુજરાતની ભા.જ.પ. સરકારે પાછા ખેંચ્યા? અહીં ગુજરાતની ભા.જ.પ. સરકાર એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સમજવું, કારણ કે એ બેને પૂછ્યા વિના ગુજરાત સરકારમાં પાંદડું પણ હાલતું નથી એમ લોકવાયકા છે. 

કેસ પાછા ખેંચાયા તેનું કારણ એ છે કે હાર્દિક પટેલ ભા.જ.પ.માં છે. તેઓ ૨૦૧૯માં કાઁગ્રેસમાં જોડાયેલા અને ૨૦૨૦માં તેમની કાઁગ્રેસના કાર્યકારી પ્રમુખ જેવા બહુ ઊંચા પક્ષીય હોદ્દા પર નિમણૂક થયેલી. પણ તેઓ કેમ પછી એ ભા.જ.પ.માં જોડાઈ ગયેલા કે જે ભા.જ.પ.ના અમિત શાહને તેમણે “જનરલ ડાયર” કહેલા? 

હાર્દિક પટેલને ચોક્કસ એવી બીક લાગી હશે કે તેમની સામેના કેસમાં તેમને સજા થશે અને તો જેલમાં જવું પડશે. એટલે રાજકીય સોદાબાજીના ભાગરૂપે જ એવી ગોઠવણ થઈ હશે કે “આવો ભા.જ.પ.માં, તો બધા કેસ પાછા ખેંચાઈ જશે.”

સવાલ હાર્દિક પટેલનો નથી, સવાલ તો કાયદા અને શાસનની વ્યવસ્થાનો તેમ જ ન્યાય પ્રણાલીનો છે. શું હાર્દિક પટેલે દેશદ્રોહ કર્યો જ નહોતો? તો પછી તેમની સામે કેસ થયો કેમ? અને જો તેમણે દેશદ્રોહી વર્તન કર્યું હતું તો તે અદાલતમાં સાચું કે ખોટું પુરવાર થાય તે પહેલાં સરકારે કેમ કેસ પાછો ખેંચ્યો? એનું કારણ તો એ જ કે તેઓ અત્યારે ભા.જ.પ.માં છે. ૨૦૧૫થી ૨૦૨૨ સુધી તો તેમની સામેનો કેસ ભા.જ.પી. સરકારે પાછો ખેંચ્યો નહોતો કારણ કે તેઓ ત્યારે ભા.જ.પ.માં નહોતા. 

હવે ગુજરાતની ભા.જ.પ. સરકારનું વર્તન જુઓ. તે નાગરિકો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરે છે. જે મામકા: છે તે દોષિત હોઈ જ ન શકે એમ સરકાર સમજે અને એ રીતે વર્તે તો એ સ્પષ્ટપણે લોકશાહીના કાયદાના શાસનના સિદ્ધાંતનો અને ભારતના બંધારણની કલમ-૧૪ અને કલમ-૧૫માં લખવામાં આવેલા સમાનતાના મૂળભૂત અધિકારનો ભંગ છે. પણ આવા બધા સિદ્ધાંતો જાય તેલ પીવા. આ તો “જનરલ ડાયર”નું શાસન છે, એની મરજી, એણે જ નક્કી કરવાનું છે કે કોના પર દયાનો વરસાદ વરસાવવો અને કોના પર નહીં. આજના ભા.જ.પી. શાસનમાં દયાની ભીખ કેવી રીતે મંગાય છે અને અપાય છે એનો ખ્યાલ આમાંથી આવે છે. 

હવે આની સામે જિગ્નેશ મેવાણીનો કેસ જુઓ.

જિગ્નેશ મેવાણીની સામે આસામમાં કોકરાઝારમાં એક ભા.જ.પી. કાર્યકરે ૨૦૨૨માં કેસ કરી નાખ્યો અને આસામની ભા.જ.પ. સરકારની પોલિસ તાબડતોબ પાલનપુર આવીને રાતોરાત જિગ્નેશને ઉઠાવી ગઈ. જિગ્નેશને આસામના ધક્કા ખાતો કરી નાખ્યો! આવો કેસ જિગ્નેશ પર કરવાનો વિચાર આસામના એ ભા.જ.પી. કાર્યકરને આવ્યો હશે કે “જનરલ ડાયર”ને? જરા, કલ્પના કરી જોજો. પણ એ કેસમાંથી બચવા માટે તેણે ભા.જ.પ.માં જોડાવાનું નક્કી કર્યું નહીં, જે થવું હોય તે થાય! જિગ્નેશ માટે વ્યક્તિની આઝાદી મહત્ત્વની છે, હાર્દિક પટેલ માટે “જનરલ ડાયર”ની દયા! 

મનુષ્યની મૂળભૂત ચાર વૃત્તિઓમાંની એક છે ભય. દુનિયાભરમાં સત્તામાં બેઠેલાઓ હંમેશાં ભયનો ઉપયોગ સત્તા કાયમ કરવા માટે કરે છે. જેઓ ભય પામતા નથી તેઓ ભોગવે છે, આ રાજકારણનો નિયમ છે. પણ યાદ રાખો, ભય પામનારા કરતાં ભય આપનારા વધારે ક્રૂર, નિર્દય, નરાધમ અને નાલાયક હોય છે. એવું બધું થાય તો એ તાનાશાહી અને રાજાશાહી કહેવાય, લોકશાહી નહીં.  

હા, હાર્દિક પટેલ મારો દોસ્ત છે અને જિગ્નેશ મેવાણી મારો વિદ્યાર્થી. બંને ધારાસભ્યો છે. એક ભા.જ.પ.માંથી અને એક કાઁગ્રેસમાંથી. બોલો, કોની પર મારે ગર્વ કરવાનો? 

અરે, ગર્વની વાત પણ બાજુ પર મૂકો, આ રીતે લોકશાહીનું જે ધનોતપનોત છડેચોક નીકળી રહ્યું છે એની ચિંતા કરવાની કે નહીં?

તા.૧૯-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...36373839...506070...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved