Opinion Magazine
Number of visits: 9843419
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાઝામાં મા ક્યારે ય સૂતી નથી

ને’મા હસન [અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|18 April 2025

કવિયિત્રીઃ ને’મા હસનના મૂળ અરબી પરથી અંગ્રેજી અનુવાદઃ મોસાબ અબૂ તોહા અને તે પરથી ગુજરાતી અનુવાદઃ રૂપાલી બર્ક

અંધકારને એ સાંભળે છે,
એની કિનારીઓ શોધે છે અને ધ્વનિઓની છણાવટ કરે છે –
એક એક ધ્વનિ કરીને –
જેથી એના સંતાનોને સુવાડવા
ઉચિત વાર્તા પસંદ કરી શકે.

સંતાનો પોઢી ગયા બાદ
એ ઊભી રહે છે મૃત્યુ સામે
એમની ઢાલ બનીને.

ગાઝામાં મા રડતી નથી.
પોતાના ફેફસાંમાં ડર, ગુસ્સો, અને પ્રાર્થના ભરી લે છે,
યુદ્ધના હવાઈ જહાજોની ઘરેરાટી શમવા લાગે છે,
પછી શ્વાસ છોડે છે.

ગાઝામાં મા બીજી માઓ જેવી નથી હોતી.
પોતાની આંખોના નમકથી બ્રૅડ બનાવે છે.
વતનને એનાં સંતાનોનો ભોગ ધરાવે છે.


(Photo Courtesy: Ahmedabad Mirror, April 18, 2025)

 e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

સ્ત્રીને પોતાની ઈચ્છા મુજબ જીવવાની મોકળાશ કેમ નહીં?

સોનલ પરીખ|Opinion - Opinion|18 April 2025

પોતાની ઓળખ મેળવવાનો માર્ગ મોટેભાગે અઘરો હોય છે, પણ ઓળખ પ્રાપ્ત થાય ત્યારે સમજાય છે કે એને મેળવવા માટે જે કરીએ, જે સહીએ તેનો એક અર્થ હોય છે, એક અનિવાર્યતા હોય છે. કોઈપણ સંબંધ બંધનરૂપ ન હોય ત્યારે જ તેનું સાચું સૌંદર્ય, સાચું સાર્થક્ય પ્રગટે છે …  

આંતરરાષ્ટ્રીય મહિલા દિન થોડા દિવસ પહેલા ગયો. આ વર્ષનો મહિલા દિન પચાસમો હતો. શું છે અડધી સદીની પ્રાપ્તિ? સ્ત્રીઓ આગળ આવી રહી છે એમાં શંકા નથી, પણ આજે પણ ભારત જેવા દેશમાં કૌટુંબિક વાતાવરણ, દીકરા-દીકરી વચ્ચેનો ભેદભાવ, બોજારૂપ લાગતું સ્ત્રીનું અસ્તિત્વ અને સ્ત્રીને જોવાનું આપણું દૃષ્ટિબિંદુ ખાસ બદલાયું નથી. દેશ સ્વતંત્ર છે, લોકશાહી પદ્ધતિ પ્રમાણે ચાલે છે, પણ સ્ત્રી પોતાના માટે ખૂલીને શ્વાસ લઈ શકે તેવું હવામાન હજી સાર્વત્રિક બન્યું નથી એ સ્વીકારવું પડે. 

20 માર્ચે આંતરરાષ્ટ્રીય ‘હેપીનેસ ડે’ છે. હેપીનેસ એટલે કે સુખ અને આનંદની વ્યાખ્યા શી? આમ તો કોઈ પણ વ્યક્તિ સંદર્ભે – પણ આજે જે પુસ્તકની, જે નવલકથાની વાત કરવી છે એના અનુસંધાનમાં સ્ત્રી સંદર્ભે – હેપીનેસનો અર્થ સ્વેચ્છાએ જીવન વિતાવવાની મોકળાશ એવો ચોક્કસ કરી શકાય. આ નવલકથાનું નામ જ ‘સ્વેચ્છા’ છે. તેલુગુ લેખિકા પી. લલિતાકુમારી એનાં લેખિકા છે. જાણીતાં લેખિકા અને વક્તા મીનળ દવેએ તેનો સુંદર ગુજરાતી અનુવાદ કર્યો છે. અરુણોદય પ્રકાશને એ પ્રગટ કર્યો છે અને ચાર વર્ષમાં તેની ત્રણ આવૃત્તિ થઈ છે. 

પોપુરી લલિતા કુમારી ‘વોલ્ગા’

74 વર્ષનાં તેલુગુ લેખિકા પી. લલિતાકુમારી ‘વોલ્ગા’ તખલ્લુસથી લખે છે. સુંદર કારકિર્દી ધરાવે છે અને પુસ્તકો અને સન્માનોની ખાસ્સી મોટી યાદી એમના નામે બોલે છે. જેમાં ‘સ્વેચ્છા’ને મળેલા બે ઍવોર્ડ અને ‘વિમુકતા’ને મળેલો સાહિત્ય અકાદમી ઍવોર્ડ સામેલ છે. તેલુગુ ભાષાના વાચકોને પશ્ચિમી નારીવાદીઓ, તેમનું આંદોલન અને નારીવાદના પહેલા-બીજા મોજાનો નો પહેલો પરિચય વોલ્ગા દ્વારા મળ્યો છે. તેઓ પોતાના નારીવાદી લખાણોથી પ્રસિદ્ધ છે જેમાં સ્ત્રીને એક મુક્ત આત્મા તરીકેની વાસ્તવિક ઓળખ મળે તેવો આગ્રહ દેખાય છે. ‘સ્વેચ્છા’ 1987માં લખાયેલી તેમની બીજી નવલકથા છે, જેમાં લગ્ન સ્ત્રીને માટે કેવું બંધનરૂપ બની જાય છે તેની વાત છે. 

‘સ્વેચ્છા’ની નાયિકા અરુણા ઘણા બધા પારિવારિક બંધનો વચ્ચે મોટી થઈ છે અને એમ.એ. સુધી માત્ર એ કારણે ભણી શકી છે કે તેના પિતા પાસે તેનાં લગ્ન કરાવવાના પૈસા નથી. અરુણા પ્રકાશમ્‌ને ચાહે છે. તેની સાથે લગ્ન કરે છે ત્યારે પોતાને સ્વતંત્રતા મળશે એવો તેને વિશ્વાસ છે. જો કે તેની સખી ઉમા કહે છે કે લગ્ન પછી પ્રકાશમ્‌ એકલો જ એટલાં બંધન મૂકશે જે તારો આખો પરિવાર અત્યારે મૂકી રહ્યો છે. 

અરુણાને નોકરી મળે છે, બંને લગ્ન કરે છે. પાંચેક વર્ષ સુધી માતૃત્વ ન ઇચ્છતી અરુણા ત્રીજા મહિને જ સગર્ભા બને છે ત્યારે એને સમજાઈ જાય છે કે દેહ ભલે પોતાનો હોય, એની માલિકી પ્રકાશમ્‌ની છે. સ્વેચ્છા પર પ્રહાર થવાની શરૂઆત અહીંથી જ થઈ જાય છે. પોતાનાથી સ્વતંત્ર એવી કોઈ ઈચ્છા કે કોઈ પ્રવૃત્તિ અરુણાને હોય તે પ્રકાશમ્‌ને પસંદ નથી. પણ પુસ્તકો વાંચતી, આસપાસની દુનિયા જોતી અને સામાયિક માટે કામ કરતી અરુણાનો પ્રાણ એવાં સાંકડા વર્તુળમાં રૂંધાય છે. આર્થિક શોષણનો ભોગ બનતી સ્ત્રી-કામદારો, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ, શરીર વેચતી સ્ત્રીઓ, બંધનોમાં જીવતી વિદ્યાર્થિનીઓ, પુત્ર દ્વારા જાકારો પામતી વૃદ્ધાઓ – આ બધાને જોઈને તેને પ્રતીતિ થતી જાય છે કે કોઈપણ સ્ત્રી, કોઈપણ ઉંમરે પોતાની મરજી મુજબ જીવવાની સ્વતંત્રતા ધરાવતી નથી. સમાજની સમસ્યાઓ માટે સામયિક કાઢતા પુરુષો પણ તેમની પત્નીની સંવેદનાની ઉપેક્ષા કરે છે. આ પુરુષો અરુણાનો પણ એમના સાધન તરીકે ઉપયોગ કરે છે એ સમજાતાં અરુણ સામયિક છોડી દે છે. 

અરુણા પોતાને ગાંઠતી નથી એ જોઈ પ્રકાશમ્‌ તેને પત્નીધર્મ અથવા બહારનું કામ એ બેમાંથી એક પસંદ કરી લેવાનું કહે છે. અરુણા ઘર છોડે છે, પણ માત્ર સ્વેચ્છાએ જીવન જીવી શકાય એટલા માટે નહીં. તેને સમજાયું છે કે સ્વેચ્છાએ જીવવાનો કોઈ હેતુ હોવો જોઈએ, તો જ અસ્તિત્વનું સાર્થક્ય અનુભવાય. માર્ગ કપરો છે પણ સાચો છે એવી પ્રતીતિ સાથે નવલકથા પૂરી થાય છે. 

નવલકથા નાની છે, પણ એમાં લગ્નમાં શારીરિક બળજબરીથી માંડીને લગ્ન વગરના સહજીવનની અંગત સમસ્યાઓ અને સાથે સ્ત્રીને થતાં સામાજિક અન્યાયો અને બેવડાં ધોરણો સુધીની સ્ત્રીજીવનની ઘણીબધી સમસ્યાઓ ઘટનાઓનો ભાર ન લાગે એવી રીતે, નજાકતથી વણાઈ ગઈ છે. પાત્રો વિલન કહેવાય એવાં નહીં, પણ પરંપરા અને સંકીર્ણતાઓથી ઘેરાયેલાં હોય તેવાં વધારે છે. 

નવલકથા લખાયાને પોણાચાર દાયકા જેટલો સમય થયો છે. કદાચ આજે આ વિષય એટલો નવો ન લાગે, પણ સ્થિતિ તો હજી બદલાઈ નથી. સ્વતંત્ર નાગરિક તરીકે સહજ મોકળાશથી જીવી શકાય, વિકસી શકાય એવું વાતાવરણ આજે પણ સ્ત્રીને મળ્યું નથી.  

વોલ્ગાની ‘વિમુક્તા’ નામની નવલકથાને 2015નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો. આ નવલકથાનો ‘લિબરેશન ઓફ સીતા’ નામથી અનુવાદ, એમણે પોતે જ કર્યો છે. તેમાં રામાયણનાં જાણીતાં પાત્રો સુર્પણખા, અહલ્યા, ઊર્મિલા અને રેણુકા પોતપોતાનાં વીતકો અને એને લીધે લાધેલી સમજણ લઈને સીતાને મળે છે. વિશ્રવા મુનિ અને કૈકસી રાક્ષસીની દીકરી સુર્પણખા એટલે રાવણની સગી બહેન. એ વિદ્યુતજિહ્વા નામના દાનવને પરણી એથી રાવણ બંનેને મારવા તૈયાર થયો. દાનવને તો તેણે મારી નાખ્યો, પણ મંદોદરીના કહેવાથી સુર્પણખાને છોડી દીધી. રામ અને લક્ષ્મણે એને એકબીજા તરફ ધકેલી અને રૂપ છીનવી લીધું. અહલ્યા ગૌતમ ઋષિની પત્ની. ખૂબ સુંદર. ઇન્દ્ર ગૌતમનું રૂપ લઈને આવ્યો અને સંબંધ બાંધ્યો. ગૌતમે અહલ્યાને પત્થર બની જવાનો શાપ આપ્યો. રામના ચરણસ્પર્શ કર્યા પછી તે પોતાનું માનવસ્વરૂપ પાછું મેળવે છે. નાગલક્ષ્મીનો અવતાર ઊર્મિલા લક્ષ્મણની પત્ની હતી. કોઈ અપરાધ વગર, પતિના આદર્શને કારણે તેને  જીવનના 14 શ્રેષ્ઠ વર્ષો પતિની પ્રતીક્ષામાં એકલા ગાળવા પડે છે. અને રેણુકા જમદગ્નિની પત્ની. એક વાર નદીએ નહાવા ગઈ અને ઘેર આવતાં મોડું થયું તો ઋષિએ ક્રોધમાં પુત્રોને એનું માથું કાપી નાખવા આજ્ઞા આપી. બીજા પુત્રો ખંચાયા પણ પરશુરામે ભાઈઓનાં માથાં સહિત માતાનું માથું કાપી નાખ્યું. પિતાએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું, ત્યારે તેણે ભાઈઓ અને માતાને સજીવન કરવાનું માગ્યું. 

આ સ્ત્રીઓ સાથેની વાતો, રામ દ્વારા પરિત્યક્ત થયેલી સીતાને સ્વ-ઓળખની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. હવે વારો રામનો છે. આદર્શ રાજા અને પ્રેમી પતિ વચ્ચે એમણે પણ પોતાની ભૂમિકા શોધવાની છે. 

‘સ્વેચ્છા’નો પ્રાણ અરુણાનું પાત્ર છે. અરુણાને પહેલા તો ઈચ્છા પ્રમાણે હરવુંફરવું એટલું જ જોઈતું હતું. પણ એનાં વ્યક્તિત્વની પરતો ધીરે ધીરે ખૂલતી ગઈ. તે ફક્ત ગૃહિણી કે અધ્યાપક રહેવાને બદલે બીજાની વેદનામાં ભાગીદાર બની અને એ દ્વારા પોતાની ઓળખને પામી. આ રૂપાંતરને વોલ્ગાએ જેટલી સહજતાથી અને વાચાળ બન્યા વિના દર્શાવ્યું છે, મીનળબહેને એ જ સહજતા, એ જ શાંત મક્કમતા અનુવાદમાં દર્શાવી છે. બંને સ્ત્રીઓ છે, સર્જક છે, અરુણાને થયા તેવા અનુભવોથી પરિચિત છે. કથાવસ્તુ એવી રીતે ઊઘડતું આવે છે કે વાચકો પણ પોતાના જીવનના કોઈ ને કોઈ પાસાનો પરિચય પામે. અનુભૂતિનું આ સ્તર જ તો સર્જનાત્મક સાહિત્યની કસોટી છે. અઘરી બાબતને સ્તર સાથે કોઈ સમાધાન કર્યા વિના સરળ બનાવી શકે એ સર્જનાત્મકતા સાચી. પોતાની ઓળખ મેળવવાનો માર્ગ મોટેભાગે અઘરો હોય છે, પણ ઓળખ પ્રાપ્ત થાય ત્યારે સમજાય છે કે એને મેળવવા માટે જે કરીએ, જે સહીએ તેનો એક અર્થ હોય છે, એક અનિવાર્યતા હોય છે. સ્ત્રીને પતિ સિવાયનું પણ એક વિશ્વ ન હોઈ શકે? માતૃત્વ સિવાયનો પણ જીવનનો ઉચ્ચ અર્થ હોઈ ન શકે? આ પ્રશ્ન દરેક સ્ત્રીએ પોતાને પૂછી લેવા જેવો છે, કેમ કે કોઈપણ સંબંધ બંધનરૂપ ન હોય ત્યારે જ તેનું સાચું સૌંદર્ય, સાચું સાર્થક્ય પ્રગટે છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 માર્ચ  2025

Loading

ગુજરાત સરકાર જ ગુજરાતી ભાષાની ઘોર ખોદી રહી છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 April 2025

રવીન્દ્ર પારેખ

નવી શિક્ષા નીતિ-2020 લાગુ થઈ, તેમાં માતૃભાષા, અંગ્રેજી, ઉપરાંત અન્ય એક ભાષા, ત્રીજી ભાષા તરીકે શીખવવા પર ભાર મૂકવામાં આવ્યો, તો એનો તમિલનાડુ સરકારને વાંધો પડ્યો. તેને એવો ડર છે કે ત્રીજી ભાષા તરીકે હિન્દી દાખલ પડી જશે. એમ થશે તો હિન્દી ભાષા અને સંસ્કૃતિનું વર્ચસ્વ વધશે અને તમિલની મૂળ સંસ્કૃતિ ઝાંખી પડશે. જો કે, નવી શિક્ષા નીતિમાં એવો આગ્રહ નથી કે ત્રીજી ભાષા હિન્દી જ હોય, પણ હિન્દી માટેનો પૂર્વગ્રહ તમિલનાડુ સરકારને એવો છે કે ઉત્તર ભારતના હિન્દી બહુલ પ્રદેશોમાં ત્રીજી ભાષા તરીકે દક્ષિણની ભાષાઓ શીખવાતી ન હોય તો દક્ષિણના રાજ્યો હિન્દીનો મહિમા શું કામ થવા દે? એ પણ છે કે તમિલનાડુ હિન્દી સિવાય અન્ય પ્રાદેશિક ભાષા જેવી કે બંગાળી, ગુજરાતી પણ નહીં અપનાવે, કારણ કે એ રાજ્યોમાં પણ દક્ષિણની ભાષાઓ શીખવાતી નથી. આમ ત્રીજી ભાષાનું ગાડું ઘોંચમાં પડ્યું હોવાથી કેન્દ્ર સરકારે તમિલનાડુને મળવાપાત્ર સમગ્ર શિક્ષા અભિયાનનું 2,152 કરોડનું ફંડ ફાળવ્યું નથી. 

થોડા વખત પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા સુરેશ ભૈયાજી મુંબઇમાં એવું બોલ્યા કે મુંબઇમાં રહેનારે મરાઠી શીખવી અનિવાર્ય નથી. નેતાઓ વિચારીને બોલે એવું અપવાદોમાં બનતું હોય તો પણ, પ્રજા તો પ્રતિક્રિયા આપતી જ હોય છે. મુંબઈની મરાઠી પ્રજા ભૈયાજીની ભાષા ટિપ્પણીથી એવી દુભાઈ કે ઠેર ઠેર વિરોધ શરૂ થયો ને વાત મહારાષ્ટ્ર વિધાનસભા સુધી પહોંચતાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરવી પડી કે મરાઠી શીખવી દરેક મુંબઈગરાની ફરજ છે. બીજી તરફ મરાઠીનો જ મહિમા કરવા એક અરજી અકોલા જિલ્લાની પાતુર નગમ નિગમની પૂર્વ કાઉન્સિલર વર્ષાતાઈ સંજય બાંગડેએ કરી હતી. તેમણે સાઇન બોર્ડ પરની ઉર્દૂ ભાષાના ઉપયોગ સામે વાંધો લેતા ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર સ્થાનિક ઓથોરિટી (સત્તાવાર ભાષા) એક્ટ, 2022 હેઠળ ફક્ત મરાઠીનો જ ઉપયોગ થવો જોઈએ. મુંબઈ હાઇકોર્ટે એ અરજી કાઢી નાખી, તો વાત સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને સુપ્રીમની જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ કે. વિનોદચંદ્રનની બેન્ચે પણ અરજી ફગાવી દેતાં કહ્યું કે ભાષા કોઈ ધર્મની ન હોઈ શકે, તે સમુદાય કે ક્ષેત્ર કે લોકોની હોય છે. ભાષા સંસ્કૃતિનો હિસ્સો છે. તેનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા ન હોય. કોર્ટે એવું પણ ઉમેર્યું કે ઉર્દૂ ‘ગંગા-જમની તહેજીબ’નું શ્રેષ્ઠ ઉદાહરણ છે ને તેનો જન્મ ભારતમાં જ થયો છે. ઉર્દૂ અને મરાઠી બંનેને બંધારણ હેઠળ સમાન દરજ્જો પ્રાપ્ત છે. સુપ્રીમે એ સ્પષ્ટતા પણ કરી કે જો સ્થાનિકો ઉર્દૂ ભાષાથી પરિચિત છે, તો સાઇન બોર્ડ પર આ ભાષાના પ્રયોગ સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. 

બીજા રાજ્યોને પણ માતૃભાષાનું મમત્વ હશે, પણ તમિલ અને મહારાષ્ટ્ર, માતૃભાષા પરત્વે વધુ સંવેદનશીલ છે. બીજી ભાષા માતૃભાષા પર વર્ચસ્વ ન ભોગવે એટલે હિન્દી કે ઉર્દૂના પ્રભાવને આ રાજ્યો વધવા નથી દેતા. એ ખરું કે ત્રીજી ભાષા તરીકે હિન્દીનો આગ્રહ કેન્દ્ર સરકારનો નથી જ, છતાં તેનો આગ્રહ થવાના ભયે તમિલનાડુ સરકારને મળવા પાત્ર 2,152 કરોડનું ફંડ લેવાની પણ ઉતાવળ નથી. એ પણ છે કે મરાઠી વિરુદ્ધ કોઈ હિલચાલ મહારાષ્ટ્ર રાજ્ય કે પ્રજા સહન કરી શકતી નથી, એટલે જ તો ભૈયાજી જેવા નેતાની વિરુદ્ધ પડીને પણ પ્રજા સરકારમાં પોતાનો કક્કો ખરો કરાવે છે કે પાતુર નગમ નિગમના પૂર્વ કાઉન્સિલર પણ મરાઠીનો જ મહિમા થાય એટલે ઉર્દૂ સાઇન બોર્ડનો પ્રભાવ ન રહે એની ચિંતા કરે છે. મહારાષ્ટ્ર અને દક્ષિણનાં રાજ્યો ભાષા બાબતે આંદોલન કરે છે, એવું એક આંદોલન ગુજરાતી માટે ગુજરાતમાં થયાનું યાદ આવતું નથી. 

અંગ્રેજોનું શાસન હતું ત્યારે સુરતમાં 1836માં ઘણું ખરું ખ્રિસ્તી મિશનરી દ્વારા ગુજરાતી શાળા શરૂ થઈ. મતલબ કે ગુજરાતી શાળા અંગ્રેજોએ શરૂ કરી ને કમાલ જુઓ કે ગુજરાત સરકાર ગુજરાતી સ્કૂલો બંધ કરે છે ને અંગ્રેજી સ્કૂલોનું લાઇસન્સ આપે છે. ગુજરાતી સ્કૂલો બંધ થાય છે તેનું કારણ એમ અપાય છે કે વિદ્યાર્થીઓ નથી મળતા. સવાલ એ થાય કે સાત કરોડ ગુજરાતીઓ જન્મે અંગ્રેજ છે કે અંગ્રેજી સ્કૂલો ખૂલે ને ગુજરાતી સ્કૂલો બંધ કરવી પડે? સાત કરોડની વસ્તી ગુજરાતની હોય ને વિદ્યાર્થીઓ ન મળે એ વાત ગળે ઊતરે એમ નથી. વિદ્યાર્થીઓ મળતા નથી કે વિદ્યાર્થીઓ મળે જ નહીં તેવા પ્રયત્નો થાય છે? એવું તો નથી ને કે ગુજરાતી પ્રજાનો ટેક્સ સરકારને ખપે છે, પણ ગુજરાતી સ્કૂલોનું બર્ડન ખપતું નથી, એટલે ગુજરાતી સ્કૂલો ઓવારીને ચકલે નાખી દેવાઈ છે? 

– ને આ ગુજરાતી પ્રજા વિષે શું કહેવું? ગુજરાતીઓને નર્મદે ‘ઠંડા લોહીના, વિદ્યા વિનાના, હઠીલા, ખુશામતિયા, બીકણ, મર્દાઈ વિનાના’ કહ્યા જ છે. એમાં આટલે વર્ષે પણ બહુ ફેર પડ્યો નથી. સ્વમાન, ભાષાપ્રીતિ, આત્મગૌરવ જેવું ગુજરાતીઓમાં ઓછું જ છે. સંસ્કાર વારસો જાળવવાને બદલે, ગુજરાતીને બીજાની નકલ કરવાથી ચાલી જાય છે, એટલે વિદેશ જવાના લોભમાં તે અંગ્રેજીની કરે છે એટલી ચિંતા ગુજરાતીની કરતો નથી. અંગ્રેજીનો કે બીજી કોઈ પણ ભાષાનો અનાદર ન જ હોય, પણ ભૂમિભાષાનો આદર તો હોયને ! અંગ્રેજીનો ‘એ’ ન જાણતો વાલી, દીકરાને અંગ્રેજી માધ્યમમાં ભણાવે તો છે, પણ મોંઘી ફી ન પરવડતાં સ્કૂલેથી ઉઠાડીને હીરાની ઘંટીએ કે બેંકમાં પટાવાળામાં ગોઠવી દે છે. 

જે વિદેશ જવા માંગે છે, તે ભલે અંગ્રેજીમાં નિપુણતા મેળવે, પણ 7 કરોડ ગુજરાતીઓ વિદેશમાં ઠલવાવાના નથી ને અહીં જ રોટલો રળવાના છે, તો, તેઓ ગુજરાતી શીખવા સુધારવાના પ્રમાણિક પ્રયત્નો તો કરે ને ! કોઈ ગુજરાતી ભાષા સાચી બોલતો સંભળાય તો આનંદ થાય, પણ હવે તો વર્તમાનપત્રોની ભાષા પણ શરમાવે એવી છે. માતૃભાષાનું મહત્ત્વ હવે માતૃભાષા દિને પણ નથી જળવાતું. સંસ્થાઓ એ દિવસે ખરુંખોટું ગુજરાતી લખી, બોલી, વાંચીને ખુશ થાય છે ને તે સિવાય રાજકીય હેતુ પાર પાડવાના દાખલા ગણાય છે. 

આવી પરિસ્થિતિમાં સરકાર ભાષા બચાવનું એક સાચું અભિયાન શરૂ કરી શકે તે અપેક્ષિત છે, પણ તે માટે ગુજરાતીનો મહિમા કરવાનું અંતરથી સ્વીકારવું પડે. એવું એટલે થાય એમ નથી કે સરકાર સોગંદપૂર્વક ગુજરાતીના હિતમાં વિચારતી નથી. એનો વધારે નહીં તો એક જ દાખલો જોઈએ. ગુજરાતી વાર્તાકાર અને સંપાદક કિરીટ દૂધાતે ‘પરબ’ના એપ્રિલ, 2025ના સંપાદકીયમાં એક વાત નોંધી છે કે ગુજરાતની જી.પી.એસ.સી. (GPSC)ની સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ 1 અને વર્ગ 2માંથી ગુજરાતી ભાષાનું સ્થાન મેરિટમાંથી ખસેડી દેવાયું છે અને પાસ થવા માટે 25 ટકા માર્કસ પણ પૂરતા છે, એવું 3 માર્ચ, 2025ના ગુજરાત સરકારના એકસ્ટ્રા ઓર્ડિનરી ગેજેટથી નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતી વહીવટી સંવર્ગની વર્ગ 1 અને 2 અને ગુજરાત નગરપાલિકા ચીફ ઓફિસરની ભરતી પરીક્ષાઓના નિયમો 2025ની જોગવાઇઓ મુજબ સેકશન 3માં પેપર નંબર 1 અને 2, અનુક્રમે ગુજરાતી અને અંગ્રેજીમાં, 300માંથી 25 ટકા માર્કસ મેળવ્યા હશે તો પણ ચાલશે. સીધો સવાલ એ છે કે ગુજરાતીને મેરિટમાંથી કાઢવાની જીવદયા દાખવવાની જરૂર કેમ પડી? અન્ય વિષયોની જેમ જ ગુજરાતી મેરિટમાં ગણાય તો ભાષાનું કે સરકારનું કયું અહિત થાય તેમ છે? બીજા વિષયો માટે મેરિટ અનિવાર્ય હોય તો ગુજરાતી માટે જ આવી આભડછેટ કેમ? 

25 ટકાના આ ફરમાનનાં દૂરગામી પરિણામો એવાં હશે કે ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકોની ભાષા બાબતે ગંભીરતા ઘટશે, કારણ ગુજરાતી તો જી.પી.એસ.સી.માં મેરિટમાં પણ નથી, એટલે 25 ટકાથી વધુ માર્કસ મેળવવા તરફ વિદ્યાર્થી શરૂથી જ બેફિકર રહેશે. એક તરફ 1961થી ગુજરાતમાં THE GUJARAT OFFICIAL LANGUAGE ACT અમલમાં છે. એની કલમ 2 મુજબ ગુજરાતના તમામ સત્તાવાર હેતુઓ માટે ગુજરાતીનો આગ્રહ, મેરિટમાંથી ગુજરાતી કાઢવાની વાતે અસરકારક નહીં રહે. ગુજરાતી લેંગ્વેજ બિલ, 2023 અમલમાં છે ને તે મુજબ બાળકોને ગુજરાતી ભણાવવાનું ફરજિયાત છે. આ વાત જી.પી.એસ.સી.ના 25 ટકા પાસિંગ જોડે સુસંગત છે? 2023ના ગુજરાતી બિલ મુજબ અંગ્રેજી માધ્યમની સ્કૂલો પણ બે વર્ષથી ગુજરાતી ભણાવતી થઈ હતી, તે જી.પી.એસ.સી.ના 25 ટકાવાળા નવા કન્સેશનથી પીછેહઠ કરે એવું, ખરું કે કેમ? 

સાદી વાત એ છે કે 25 ટકાવાળી સગવડ આવી મળતાં બીજી રીતે હોંશિયાર અધિકારીઓ ગુજરાતીમાં સરળતાથી વહીવટ કરી શકશે એવું સરકારને કઈ રીતે લાગે છે? એક તરફ ગુજરાતીનો પ્રભાવ પરીક્ષામાંથી ઘટાડવાની વાત છે, તો બીજી તરફ ગુજરાત બહારથી આવતા આઇ.એ.એસ. અધિકારીઓને ગુજરાતી શીખવવાની વાત છે. વાહ ! છે તે ગુજરાતીઓ માટે ગુજરાતી મેરિટમાંથી કઢાય છે ને બહારથી આવે છે તેને ગુજરાતી માથે મરાય છે કે પછી ઑફિસોમાંથી પણ ગુજરાતીને કાઢવાનો ઇરાદો છે? નથી ખબર …   

સરકાર જ ઊઠીને માતૃભાષાનું મહત્ત્વ ઘટાડવાનું ને અંગ્રેજીનો મહિમા વધારવાનું કરતી હોય તો પ્રજા  ભાષા બાબતે ઉદાસીન રહે તો તેનો શો વાંક કાઢીશું? એટલું આશ્વાસન છે કે ગુજરાતી ભાષાને ખતમ કરવા અન્ય ભાષીઓની જરૂર નહીં પડે, એને માટે ગુજરાતીઓ જ પૂરતા છે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,18 ઍપ્રિલ 2025

Loading

...102030...368369370371...380390400...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved