પોતાની ઓળખ મેળવવાનો માર્ગ મોટેભાગે અઘરો હોય છે, પણ ઓળખ પ્રાપ્ત થાય ત્યારે સમજાય છે કે એને મેળવવા માટે જે કરીએ, જે સહીએ તેનો એક અર્થ હોય છે, એક અનિવાર્યતા હોય છે. કોઈપણ સંબંધ બંધનરૂપ ન હોય ત્યારે જ તેનું સાચું સૌંદર્ય, સાચું સાર્થક્ય પ્રગટે છે …
આંતરરાષ્ટ્રીય મહિલા દિન થોડા દિવસ પહેલા ગયો. આ વર્ષનો મહિલા દિન પચાસમો હતો. શું છે અડધી સદીની પ્રાપ્તિ? સ્ત્રીઓ આગળ આવી રહી છે એમાં શંકા નથી, પણ આજે પણ ભારત જેવા દેશમાં કૌટુંબિક વાતાવરણ, દીકરા-દીકરી વચ્ચેનો ભેદભાવ, બોજારૂપ લાગતું સ્ત્રીનું અસ્તિત્વ અને સ્ત્રીને જોવાનું આપણું દૃષ્ટિબિંદુ ખાસ બદલાયું નથી. દેશ સ્વતંત્ર છે, લોકશાહી પદ્ધતિ પ્રમાણે ચાલે છે, પણ સ્ત્રી પોતાના માટે ખૂલીને શ્વાસ લઈ શકે તેવું હવામાન હજી સાર્વત્રિક બન્યું નથી એ સ્વીકારવું પડે.
20 માર્ચે આંતરરાષ્ટ્રીય ‘હેપીનેસ ડે’ છે. હેપીનેસ એટલે કે સુખ અને આનંદની વ્યાખ્યા શી? આમ તો કોઈ પણ વ્યક્તિ સંદર્ભે – પણ આજે જે પુસ્તકની, જે નવલકથાની વાત કરવી છે એના અનુસંધાનમાં સ્ત્રી સંદર્ભે – હેપીનેસનો અર્થ સ્વેચ્છાએ જીવન વિતાવવાની મોકળાશ એવો ચોક્કસ કરી શકાય. આ નવલકથાનું નામ જ ‘સ્વેચ્છા’ છે. તેલુગુ લેખિકા પી. લલિતાકુમારી એનાં લેખિકા છે. જાણીતાં લેખિકા અને વક્તા મીનળ દવેએ તેનો સુંદર ગુજરાતી અનુવાદ કર્યો છે. અરુણોદય પ્રકાશને એ પ્રગટ કર્યો છે અને ચાર વર્ષમાં તેની ત્રણ આવૃત્તિ થઈ છે.

પોપુરી લલિતા કુમારી ‘વોલ્ગા’
74 વર્ષનાં તેલુગુ લેખિકા પી. લલિતાકુમારી ‘વોલ્ગા’ તખલ્લુસથી લખે છે. સુંદર કારકિર્દી ધરાવે છે અને પુસ્તકો અને સન્માનોની ખાસ્સી મોટી યાદી એમના નામે બોલે છે. જેમાં ‘સ્વેચ્છા’ને મળેલા બે ઍવોર્ડ અને ‘વિમુકતા’ને મળેલો સાહિત્ય અકાદમી ઍવોર્ડ સામેલ છે. તેલુગુ ભાષાના વાચકોને પશ્ચિમી નારીવાદીઓ, તેમનું આંદોલન અને નારીવાદના પહેલા-બીજા મોજાનો નો પહેલો પરિચય વોલ્ગા દ્વારા મળ્યો છે. તેઓ પોતાના નારીવાદી લખાણોથી પ્રસિદ્ધ છે જેમાં સ્ત્રીને એક મુક્ત આત્મા તરીકેની વાસ્તવિક ઓળખ મળે તેવો આગ્રહ દેખાય છે. ‘સ્વેચ્છા’ 1987માં લખાયેલી તેમની બીજી નવલકથા છે, જેમાં લગ્ન સ્ત્રીને માટે કેવું બંધનરૂપ બની જાય છે તેની વાત છે.
‘સ્વેચ્છા’ની નાયિકા અરુણા ઘણા બધા પારિવારિક બંધનો વચ્ચે મોટી થઈ છે અને એમ.એ. સુધી માત્ર એ કારણે ભણી શકી છે કે તેના પિતા પાસે તેનાં લગ્ન કરાવવાના પૈસા નથી. અરુણા પ્રકાશમ્ને ચાહે છે. તેની સાથે લગ્ન કરે છે ત્યારે પોતાને સ્વતંત્રતા મળશે એવો તેને વિશ્વાસ છે. જો કે તેની સખી ઉમા કહે છે કે લગ્ન પછી પ્રકાશમ્ એકલો જ એટલાં બંધન મૂકશે જે તારો આખો પરિવાર અત્યારે મૂકી રહ્યો છે.
અરુણાને નોકરી મળે છે, બંને લગ્ન કરે છે. પાંચેક વર્ષ સુધી માતૃત્વ ન ઇચ્છતી અરુણા ત્રીજા મહિને જ સગર્ભા બને છે ત્યારે એને સમજાઈ જાય છે કે દેહ ભલે પોતાનો હોય, એની માલિકી પ્રકાશમ્ની છે. સ્વેચ્છા પર પ્રહાર થવાની શરૂઆત અહીંથી જ થઈ જાય છે. પોતાનાથી સ્વતંત્ર એવી કોઈ ઈચ્છા કે કોઈ પ્રવૃત્તિ અરુણાને હોય તે પ્રકાશમ્ને પસંદ નથી. પણ પુસ્તકો વાંચતી, આસપાસની દુનિયા જોતી અને સામાયિક માટે કામ કરતી અરુણાનો પ્રાણ એવાં સાંકડા વર્તુળમાં રૂંધાય છે. આર્થિક શોષણનો ભોગ બનતી સ્ત્રી-કામદારો, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ, શરીર વેચતી સ્ત્રીઓ, બંધનોમાં જીવતી વિદ્યાર્થિનીઓ, પુત્ર દ્વારા જાકારો પામતી વૃદ્ધાઓ – આ બધાને જોઈને તેને પ્રતીતિ થતી જાય છે કે કોઈપણ સ્ત્રી, કોઈપણ ઉંમરે પોતાની મરજી મુજબ જીવવાની સ્વતંત્રતા ધરાવતી નથી. સમાજની સમસ્યાઓ માટે સામયિક કાઢતા પુરુષો પણ તેમની પત્નીની સંવેદનાની ઉપેક્ષા કરે છે. આ પુરુષો અરુણાનો પણ એમના સાધન તરીકે ઉપયોગ કરે છે એ સમજાતાં અરુણ સામયિક છોડી દે છે.
અરુણા પોતાને ગાંઠતી નથી એ જોઈ પ્રકાશમ્ તેને પત્નીધર્મ અથવા બહારનું કામ એ બેમાંથી એક પસંદ કરી લેવાનું કહે છે. અરુણા ઘર છોડે છે, પણ માત્ર સ્વેચ્છાએ જીવન જીવી શકાય એટલા માટે નહીં. તેને સમજાયું છે કે સ્વેચ્છાએ જીવવાનો કોઈ હેતુ હોવો જોઈએ, તો જ અસ્તિત્વનું સાર્થક્ય અનુભવાય. માર્ગ કપરો છે પણ સાચો છે એવી પ્રતીતિ સાથે નવલકથા પૂરી થાય છે.
નવલકથા નાની છે, પણ એમાં લગ્નમાં શારીરિક બળજબરીથી માંડીને લગ્ન વગરના સહજીવનની અંગત સમસ્યાઓ અને સાથે સ્ત્રીને થતાં સામાજિક અન્યાયો અને બેવડાં ધોરણો સુધીની સ્ત્રીજીવનની ઘણીબધી સમસ્યાઓ ઘટનાઓનો ભાર ન લાગે એવી રીતે, નજાકતથી વણાઈ ગઈ છે. પાત્રો વિલન કહેવાય એવાં નહીં, પણ પરંપરા અને સંકીર્ણતાઓથી ઘેરાયેલાં હોય તેવાં વધારે છે.
નવલકથા લખાયાને પોણાચાર દાયકા જેટલો સમય થયો છે. કદાચ આજે આ વિષય એટલો નવો ન લાગે, પણ સ્થિતિ તો હજી બદલાઈ નથી. સ્વતંત્ર નાગરિક તરીકે સહજ મોકળાશથી જીવી શકાય, વિકસી શકાય એવું વાતાવરણ આજે પણ સ્ત્રીને મળ્યું નથી.
વોલ્ગાની ‘વિમુક્તા’ નામની નવલકથાને 2015નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો. આ નવલકથાનો ‘લિબરેશન ઓફ સીતા’ નામથી અનુવાદ, એમણે પોતે જ કર્યો છે. તેમાં રામાયણનાં જાણીતાં પાત્રો સુર્પણખા, અહલ્યા, ઊર્મિલા અને રેણુકા પોતપોતાનાં વીતકો અને એને લીધે લાધેલી સમજણ લઈને સીતાને મળે છે. વિશ્રવા મુનિ અને કૈકસી રાક્ષસીની દીકરી સુર્પણખા એટલે રાવણની સગી બહેન. એ વિદ્યુતજિહ્વા નામના દાનવને પરણી એથી રાવણ બંનેને મારવા તૈયાર થયો. દાનવને તો તેણે મારી નાખ્યો, પણ મંદોદરીના કહેવાથી સુર્પણખાને છોડી દીધી. રામ અને લક્ષ્મણે એને એકબીજા તરફ ધકેલી અને રૂપ છીનવી લીધું. અહલ્યા ગૌતમ ઋષિની પત્ની. ખૂબ સુંદર. ઇન્દ્ર ગૌતમનું રૂપ લઈને આવ્યો અને સંબંધ બાંધ્યો. ગૌતમે અહલ્યાને પત્થર બની જવાનો શાપ આપ્યો. રામના ચરણસ્પર્શ કર્યા પછી તે પોતાનું માનવસ્વરૂપ પાછું મેળવે છે. નાગલક્ષ્મીનો અવતાર ઊર્મિલા લક્ષ્મણની પત્ની હતી. કોઈ અપરાધ વગર, પતિના આદર્શને કારણે તેને જીવનના 14 શ્રેષ્ઠ વર્ષો પતિની પ્રતીક્ષામાં એકલા ગાળવા પડે છે. અને રેણુકા જમદગ્નિની પત્ની. એક વાર નદીએ નહાવા ગઈ અને ઘેર આવતાં મોડું થયું તો ઋષિએ ક્રોધમાં પુત્રોને એનું માથું કાપી નાખવા આજ્ઞા આપી. બીજા પુત્રો ખંચાયા પણ પરશુરામે ભાઈઓનાં માથાં સહિત માતાનું માથું કાપી નાખ્યું. પિતાએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું, ત્યારે તેણે ભાઈઓ અને માતાને સજીવન કરવાનું માગ્યું.
આ સ્ત્રીઓ સાથેની વાતો, રામ દ્વારા પરિત્યક્ત થયેલી સીતાને સ્વ-ઓળખની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. હવે વારો રામનો છે. આદર્શ રાજા અને પ્રેમી પતિ વચ્ચે એમણે પણ પોતાની ભૂમિકા શોધવાની છે.
‘સ્વેચ્છા’નો પ્રાણ અરુણાનું પાત્ર છે. અરુણાને પહેલા તો ઈચ્છા પ્રમાણે હરવુંફરવું એટલું જ જોઈતું હતું. પણ એનાં વ્યક્તિત્વની પરતો ધીરે ધીરે ખૂલતી ગઈ. તે ફક્ત ગૃહિણી કે અધ્યાપક રહેવાને બદલે બીજાની વેદનામાં ભાગીદાર બની અને એ દ્વારા પોતાની ઓળખને પામી. આ રૂપાંતરને વોલ્ગાએ જેટલી સહજતાથી અને વાચાળ બન્યા વિના દર્શાવ્યું છે, મીનળબહેને એ જ સહજતા, એ જ શાંત મક્કમતા અનુવાદમાં દર્શાવી છે. બંને સ્ત્રીઓ છે, સર્જક છે, અરુણાને થયા તેવા અનુભવોથી પરિચિત છે. કથાવસ્તુ એવી રીતે ઊઘડતું આવે છે કે વાચકો પણ પોતાના જીવનના કોઈ ને કોઈ પાસાનો પરિચય પામે. અનુભૂતિનું આ સ્તર જ તો સર્જનાત્મક સાહિત્યની કસોટી છે. અઘરી બાબતને સ્તર સાથે કોઈ સમાધાન કર્યા વિના સરળ બનાવી શકે એ સર્જનાત્મકતા સાચી. પોતાની ઓળખ મેળવવાનો માર્ગ મોટેભાગે અઘરો હોય છે, પણ ઓળખ પ્રાપ્ત થાય ત્યારે સમજાય છે કે એને મેળવવા માટે જે કરીએ, જે સહીએ તેનો એક અર્થ હોય છે, એક અનિવાર્યતા હોય છે. સ્ત્રીને પતિ સિવાયનું પણ એક વિશ્વ ન હોઈ શકે? માતૃત્વ સિવાયનો પણ જીવનનો ઉચ્ચ અર્થ હોઈ ન શકે? આ પ્રશ્ન દરેક સ્ત્રીએ પોતાને પૂછી લેવા જેવો છે, કેમ કે કોઈપણ સંબંધ બંધનરૂપ ન હોય ત્યારે જ તેનું સાચું સૌંદર્ય, સાચું સાર્થક્ય પ્રગટે છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 માર્ચ 2025