Opinion Magazine
Number of visits: 9770136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાબહેન નીલકંઠ : સામાજિક પરિવર્તનનાં આદ્યપ્રણેતા

શિરીન મહેતા|Opinion - Opinion|16 May 2016

હાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિદ્યાબહેન નીલકંઠ વિશેનો દળદાર ગ્રંથ પ્રકાશિત થયો છે. વિદ્યાબહેનના દોહિત્ર સુકુમારભાઈ પરીખે સંપાદનનું કામ ખૂબ જહેમત અને ખંતથી કર્યું છે. વિદ્યાબહેને લખેલાં લખાણો, પત્રો, તેમનાં પુસ્તકો તેમની ઉપર આવેલાં લખાણોનો અદ્‌ભુત સંગ્રહને સાચવી રાખી પ્રકાશિત કર્યો છે, તે પ્રશંસનીય છે. આ નિમિત્તે, ઓગણીસમી અને વીસમી સદીના સામાજિક, રાજકીય, આર્થિક પરિવર્તનની પ્રક્રિયામાં વિદ્યાબહેનની ભૂમિકા અંગે …

દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી ગાંધીજીએ ગુજરાત અને તેમાં પણ અમદાવાદને પોતાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું. આ સમયે સામાજિક ક્ષેત્રે ગુજરાતમાં ઘણું ખેડાણ થઈ ચૂક્યું હતું. ભૂમિ ફળદ્રુપ હતી. તૈયાર હતી. ગાંધીજીએ ફળપ્રાપ્તિ માટે વાવણી કરવાની જરૂર હતી. કઈ વ્યક્તિઓએ આ ખેડાણ કર્યું ? કયાં ઐતિહાસિક પરિબળોએ ભાગ ભજવ્યો ?

આ ખેડાણ કરનારાઓમાં વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ(૧૮૭૬-૧૯૫૮)ની ભૂમિકા મહત્ત્વની હતી. તેઓ ગુજરાતમાં જ નહીં, દેશભરમાં વિશેષ કરીને સ્ત્રીશિક્ષણક્ષેત્રમાં પ્રતીકરૂપ રહ્યાં. નામ પ્રમાણે જ તેઓ વિદ્યાવ્યાસંગી હતાં અને વિદ્યાના સ્રોત હતાં. વિદ્યાબહેનનાં ૮૧ વર્ષના જીવનમાં તેઓ ૧૯મી તેમ જ ૨૦મી સદીના સામાજિક, રાજકીય અને આર્થિક પરિવર્તનની પ્રક્રિયાના સાક્ષાત્‌ સાક્ષીરૂપ રહ્યાં. ૧૯મી સધીનો ઉત્તરાર્ધ અને ૨૦મી સદીનો પૂર્વાધ બે ય સદીઓનાં સીમાચિહ્‌નરૂપ પરિબળોનું તેમણે સિંચન કર્યું.

અંગ્રેજી કેળવણી પામેલા ગુજરાતી સમાજસુધારકોએ સમાજસુધારાની દિશા અને પરિમાણોમાં ૧૮૭૫ પછી પરિવર્તન કર્યું. સાંસ્થાનિક બ્રિટિશ રાજે અનેક સામાજિક કાયદાઓ દાખલ કર્યા. વિધવા પુર્નલગ્નનો કાયદો(૧૮૫૬), લગ્નવિષયક છોકરા-છોકરીની ઉંમર વધારવી (૧૮૫૪),  સંમતિ-કાયદો (૧૮૯૨) વગેરે કાયદાઓ પસાર કર્યા. સ્ત્રીશિક્ષણ પર ભાર મૂકી અનેક છોકરીઓની શાળાઓ સ્થાપી. પરિણામે સમાજસુધારકોએ સ્ત્રી ઉત્કર્ષ ઉપર ભાર મૂકતા અનેક કાર્યક્રમોનું ઘડતર ૧૯મી સદીના અંતમાં કર્યું. મધ્યમ વર્ગના સુધારકોએ ‘પતિ-પત્ની’, ‘કુટુંબ’નાં સમીકરણો બદલ્યાં. અત્યાર સુધી ભારતીય નારી એટલે આર્ય સન્નારી, ‘ગૃહપ્રિય દેવાંગના’ કહેવાતી … હવે ‘સહધર્મચારિણી’ને બદલે ‘સહમિત્ર’, ‘સ્ત્રી-પુરુષ’ એકબીજાંનાં પૂરક તથા કુટુંબ અને સમાજની જવાબદારી એકબીજાંના સહકારથી ચાલવી જોઈએ, એવા અભિગમો કેળવાયા. સ્ત્રીની ભૂમિકા વધારે આક્રમક, આગળ પડતી ઘડાઈ – કેવળ ઘરની ચાર દીવાલ કે રસોડું નહીં.

આ ભૂમિકા અદા કરવા માટે સ્ત્રી-કેળવણી હશે તો જ દેશ પ્રગતિ કરશે. કુટુંબનાં બાળકોનો ઉછેર સુંદર રીતે થઈ શકશે. કુટુંબની વ્યાખ્યામાં પતિ-પત્નીનાં તેમનાં બાળકો રહ્યાં. ગૃહજીવન અને બાહ્ય જીવનની લક્ષ્મણરેખા સ્ત્રીઓ માટે સાંકડી થઈ ગઈ છતાં પણ સ્ત્રી અને પુરુષની કેળવણીની ભેદરેખા હતી. પુરુષે અંગ્રેજી કેળવણી લઈ નોકરી પ્રાપ્ત કરવાની હતી, જ્યારે સ્ત્રીઓને નવા યુગને અનુરૂપ બાળઉછેર, કુટુંબ, સમાજના વિકાસ માટે કેળવણી લેવાની હતી.

વિદ્યાબહેનના માતૃપક્ષે ભોળાનાથ સારાભાઈ દિવેટિયા કુટુંબ અને શ્વશુરપક્ષે મહિપતરામ રૂપરામ નીલકંઠ અને તેમના પુત્ર રમણભાઈ નીલકંઠ, જેમની સાથે વિદ્યાબહેનનું લગ્ન થયું હતું. એ સમાજ સુધારકોની હારમાળા સાથે સંકળાયેલા હતા. તેઓ નવી પરિપાટીના સમાજસુધારકો હતા, ભોળાનાથ ફારસી, અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ ધરાવતા. બ્રિટિશ રાજ સાથે ઘનિષ્ટ સંબંધ. સરદારનો ઇલકાબ મેળવેલો અને મુનસીફની પદવી સુધી પહોંચેલાં. બંગાળના ધુરંધર સુધારકો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને સત્યેન્દ્રનાથ ટાગોરની અસર હેઠળ બ્રહ્મોસમાજની વિચારસરણીને અનુરૂપ પ્રાર્થનાસમાજની સ્થાપના ૧૮૭૨માં ભોળાનાથે કરેલી. જાગીરદાર ઘરાનાના મોટી હવેલી ધરાવતાં ભોળાનાથ નાનાને ઘેર વિદ્યાબહેનનું બાળપણ વીત્યું. બાળલગ્ન નિષેધ મંડળી, વિધવા પુર્નલગ્ન મંડળી પણ તેમણે સ્થાપેલી. દિવેટિયા કુટુંબ સાથે નીલકંઠ કુટુંબ પણ ગાઢ રીતે સંકળાયેલું. મહિપતરામ રૂપરામ મહાન કેળવણીકાર, સાહિત્યકાર અને સમાજસુધારક હતા. કાળાં પાણી ઓળંગવા ઉપર નાગર જ્ઞાતિએ પ્રતિબંધ મૂક્યો હતો છતાં ૧૮૬૦માં જ્ઞાતિનો જબરજસ્ત ખોફ વહોરીને પણ તેઓ ઇંગ્લૅન્ડ ગયા હતા. તેમનાં પત્ની પાર્વતીકુંવરનો અનેરો સાથ અને સહકાર હતો. મહિપતરામ ટ્રેઇનિંગ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે સુરતથી અમદાવાદ આવ્યા અને પ્રાર્થનાસમાજ, વિધવાવિવાહ ઉત્તેજક મંડળી, બાળલગ્ન નિષેધ મંડળી વગેરે પ્રવૃત્તિ સાથે જોડાયા. પાર્વતીકુંવર પણ વહેમ, અંધશ્રદ્ધા વગેરે સામે સુરતમાં શરૂ થયેલી ઝુંબેશ સાથે સંકળાયેલાં હતાં. મોટી ઉંમર સુધી બાળકો ના થયાં તો પણ મંત્રેલું પાણી કે દોરાધાગાનો આશરો નહોતો લીધો. પતિ-પત્નીના નવા સંબંધો રૂપે companionate model રીતે પાર્વતીકુંવર મહિપતરામ તંત્રીપદેથી ‘પરહેજગર’ માસિક બહાર પાડતાં તેનું બધું જ કામ તેઓ કરતાં. મહિપતરામે સ્ત્રીકેળવણીને પ્રગતિ અને વિકાસનું સાધન ગણી પાર્વતીકુંવરને ભણાવતાં તેઓના પુત્ર રમણભાઈ નીલકંઠ પણ સ્નાતક થયા અને મુંબઈમાં વકીલાતનું ભણતા. આવા નીલકંઠ કુટુંબના રમણભાઈ સાથે વિદ્યાબહેનનું લગ્ન ૧૮૮૯માં થયું. તેમની ૧૩ વર્ષની ઉંમર હતી અને રમણભાઈની ૨૧ વર્ષની. વિદ્યાબહેનને વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો સામેનું વલણ અને સમાજસુધારો ગળથૂથીમાંથી મળ્યાં.

વિદ્યાબહેનનો વિદ્યાવ્યાસંગ ૨૧મી સદીમાં પણ કોઈ પણ સ્ત્રી માટે પ્રેરણારૂપ છે. વિદ્યાબહેનમાં કેળવણી માટેની ધગશ, ખંત અને ધ્યેયની સિદ્ધિ માટેની (clear goal directedness) મહેચ્છા દાદ માંગે તેવી હતી. તેમનો અભ્યાસકાળ સાત વર્ષની વયથી, ૧૮૮૩ શરૂ થઈ ૧૯૦૧ સુધી ૧૭ વર્ષનો રહ્યો. પચીસમે વર્ષે ગુજરાતમાં વિદ્યાબહેન અને તેમનાં બહેન શારદાબહેન સૌ પ્રથમ સ્નાતકો થયાં પરંતુ વિદ્યાબહેન માટે આ સમય કારમા સંઘર્ષ અને ઝંઝાવાતનો રહ્યો. પ્રાથમિક, માધ્યમિક કેળવણી મગનભાઈ કરમચંદ સ્કૂલમાં લીધી. ૧૮૮૭માં મહાલક્ષ્મી ટ્રેઇનિંગ કૉલેજમાં દાખલ થયાનાં બે જ વર્ષ થયાં ત્યાં લગ્ન થયું. પરંતુ સસરા મહિપતરામ અને પતિ રમણભાઈના ટેકાથી ૧૮૯૨માં મૅટ્રિક થયાં. ૧૮૯૨માં પુત્રી કિશોરીનો જન્મ થયો પણ તે જ વર્ષે મૃત્યુ પામી. ૧૮૯૪માં શિરીષ પુત્રનો જન્મ થયો તે પણ તે જ વર્ષે મૃત્યુ પામ્યો. આમ, મૅટ્રિક થયાનાં બે વર્ષ થયાં, ખંત, હિંમત હતી છતાં ભણી શકાયું નહીં. ક્યાં ગયો વિદ્યાબહેનનો શૈશવકાળ અને કિશોર અવસ્થા? પંદર વર્ષની ઉંમરથી માતૃત્વ છતાં પણ પોતાની હિંમત, ધ્યેયપ્રાપ્તિની તમન્ના અને પતિના સહકારથી ૧૮૯૪માં વિદ્યાબહેન ગુજરાત કૉલેજમાં દાખલ થયાં. પોતાનું pull factor અને પતિનું push factor કારગત નીવડ્યાં. હજી કૉલેજનો અભ્યાસ માંડ બે વર્ષ ચાલ્યો. ત્યાં ઉપરાઉપરી બે પુત્રીઓ(૧૮૯૭-૯૮)નો જન્મ થયો. વળી પાછો અભ્યાસ ખોરંભાયો. વિદ્યાબહેનમાં આર્યસક્ષારીનું પ્રતિક કામ કરી ગયું. બાળકોની જવાબદારીને પ્રાથમિકતા આપી. અભ્યાસ ઉપર પૂર્ણ વિરામ સર્જ્યું. ૧૯૦૦માં ફરી એક પુત્રનો જન્મ થયો.

રમણભાઈ મુંબઈ હતા. એલએલ.બી.નો અભ્યાસ પૂરો કરેલો. મુનસીફની કક્ષા સુધીની સરકારી નોકરીએ પહોંચેલા પણ ‘પત્નીને ભણાવવી છે’ એ ધ્યેય હતું. સાથે-સાથે બાળકોની જવાબદારી પણ હતી. અમદાવાદમાં વકીલાતનો ધંધો શરૂ કરીશું એમ નક્કી કરી રમણભાઈ અમદાવાદ આવ્યા. વિદ્યાબહેન અને રમણભાઈ મહિપતરામના સરકારે આપેલા મકાનમાં રહ્યાં. ૧૮૯૧માં મહિપતરામ મૃત્યુ પામ્યા. પુત્રવધૂ મૅટ્રિક થયાં તે જોવા ધગશ હતી, છતાં જીવી શક્યા નહીં. તેમના મૃત્યુ બાદ મહિપતરામના ત્રણ પુત્રો અનામતરાવ, ગુણીજન અને રમણભાઈ છૂટા થયા. કુટુંબ અંગેનાં નવાં સમીકરણો આવી ગયાં હતાં. ગુણીજન અને તેમનાં પત્ની છોટીગૌરી સાથે વિદ્યાબહેનને સંઘર્ષ થતાં નવું મકાન ભાડે રાખ્યું. માતા બાળાબહેન અને પિતા ગોપીલાલ ધ્રુની બાજુમાં મકાન ભાડે રાખ્યું, જેથી બાળકોની દેખભાળમાં માની મદદ મળે અને અભ્યાસ શરૂ કરી શકાય. પતિ-પત્નીના નવા સંબંધો સ્થપાયા હતા. new conjugality આવી હતી. રમણભાઈએ ગુણીજનભાઈને સ્પષ્ટ કહી દીધું કે “વિદ્યાને સાંજના ઘોડાગાડી મળવી જોઈએ.”

પતિ-પત્નીએ ફરીથી ૧૯૦૦માં ગુજરાત કૉલેજમાં દાખલ થવાનો અડગ નિર્ણય લીધો. ત્રણ બાળકો ઉપર પૂરતું ધ્યાન અપાતું. રમણભાઈ પોતે વિદ્યાબહેન અને તેમનાથી સાત વર્ષે નાનાં શારદાબહેન, જેઓ વિદ્યાબહેનની સાથે થઈ ગયાં હતાં તે બંનેને ભણાવતાં એમ કરતા ૧૯૦૧માં વિદ્યાબહેન અને શારદાબહેન ગુજરાત કૉલેજમાંથી પ્રથમ સ્ત્રીસ્નાતકો આખા ગુજરાતમાં થયાં. આમ, સ્ત્રીઓ માટે ઉચ્ચશિક્ષણનાં દ્વાર ખોલી આપવામાં આ બહેનોનો ફાળો નાનોસૂનો નથી. વિદ્યાબહેન લખે છે કે “પુરુષો જે કામ કરે છે, તે બુદ્ધિશક્તિ સ્ત્રીઓમાં પણ છે.” (જ્ઞાનસુધા, ૧૯૦૬). સ્ત્રીશક્તિનો પરિચય ૧૯૦૧માં વિદ્યાબહેને કરાવ્યો. સ્ત્રીશક્તિનો પરિચય ગાંધીજીને તો છેક ૧૯૦૮માં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ સમયે થયો, પણ બહેનોની શક્તિની પરિપાટી વિદ્યાબહેન તેમ જ કેટલીક ગ્રામીણ બહેનોએ પણ ફિમેલ ટ્રેઇનિંગ કૉલેજમાં કેળવણી લઈ તૈયાર કરી હતી. વિદ્યાબહેન નમ્રભાવે નોંધે છે કે “હું જે કંઈ છું તે પૂર્વજોના સંસ્કાર, શિક્ષણ અને પરિસ્થિતિને લીધે છું.”

વિદ્યાબહેન જીવનભર નમ્ર, વિવેકી, શાંત અને તટસ્થ અભિગમવાળા રહ્યાં. આર્યસન્નારીનાં મૂલ્યો અનુસાર તેમનું વર્તન રહ્યું. જેમ તેમનાં સાસુ ‘પરહેજગાર’ સામયિક સંભાળતાં તેમ વિદ્યાબહેન પણ જ્યારે બાળકો નિદ્રાધીન થાય, ત્યારે પતિ સાથે ‘જ્ઞાનસુધા’ જનરલ જે રમણભાઈ પ્રકાશિત કરતા હતા તે ફાનસના દીવે તપાસતાં, રમણભાઈના આગ્રહથી વિદ્યાબહેન પણ સ્નાતક થયાં પછી ‘જ્ઞાનસુધા’માં બાળકોની જવાબદારીમાંથી શ્વાસ લેવાનો વખત મળે ત્યારે લેખો લખતાં. પતિની અસરને લીધે વિનોદવાળા હાસ્યરસના લેખો લખતાં. ૧૯૦૦થી ૧૯૧૬ સુધી તેમના લેખો સ્ત્રીસામયિકો જેવાં કે ‘સ્ત્રીબોધ’, ‘સુન્દરી સુબોધ’ ‘બુદ્ધિપ્રકાશ’, ‘ગુલશન’ વગેરેમાં લખતાં પણ આ પ્રવૃત્તિની શરૂઆત હતી. સ્ત્રીકેળવણી, આરોગ્ય, ગૃહવિજ્ઞાન-કલા વગેરે વિષયો રહેતા. તેઓ ૧૯૦૦માં ‘જ્ઞાનસુધા’માં લખે છે. “હું કોઈને અભ્યાસ પૂરો થતાં સુધી લગ્ન કરવાની ભલામણ ના કરું. બંને જવાબદારી અદા કરવામાં માનસિક તનાવ રહે છે.                                

વિદ્યાબહેન – ગાંધીયુગ, 20મી સદી

રમણભાઈ અને ગાંધીજી વચ્ચે વૈચારિક મતભેદોની ખાઈ હતી, છતાં પણ બંને વચ્ચે સુંદર સહઅસ્તિત્વ-સંબંધોનો ઉત્તમ નમૂનો હતો. રમણભાઈ વિનીત મતના હતા. બંધારણ અને વાટાઘાટો દ્વારા સંસ્થાકીય બ્રિટિશ હકૂમત સાથે કામગીરી કરવામાં માનતા. ગાંધીજીના અસહકારના આંદોલન અને સત્યાગ્રહ ચળવળોમાં બિલકુલ વિશ્વાસ નહીં. ૧૯૨૦ના અરસામાં ગાંધીજીએ ‘એક વર્ષમાં સ્વરાજ’નો નાદ જગવેલો, તેમાં તેમને લવલેશ પણ ખાતરી નહીં. બ્રિટિશ હકૂમત તરફ કૂણું વલણ હતું. અંગ્રેજી રાજ્યનાં સારાં તત્ત્વો તેમની નજરે ગણનાપાત્ર હતાં.

આમ છતાં, ગાંધીજીનો સ્વદેશપ્રેમ, સાદાઈ, સત્યનિષ્ઠા, ઋજુ સ્વભાવથી બંને પતિપત્ની આકર્ષાયાં હતાં. ૧૯૧૬માં ગાંધીજી મુંબઈથી અમદાવાદ આવ્યા, ત્યારે પતિ-પત્ની સ્ટેશને લેવા ગયા હતા. વિદ્યાબહેન લખે છે કે “કાઠિયાવાડી ફાળિયું અને અંગરખું. ગાંધીજીનું જરા પણ અસરકારક વ્યક્તિત્વ ના લાગ્યું”. એમનો અનુભવ પણ ૧૯૧૫માં મુંબઈમાં પારસી પિટિટે કુટુંબે ગાંધીજીને તેમને ઘેર આમંત્ર્યા હતા, ત્યારે એક પારસી બહેન ગાંધીજીને જોઈને બોલી ઊઠ્યાં હતાં કે ‘આ તો આપણો ઢનો દરજી’ એવો જ રહ્યો.

વિદ્યાબહેન બાળકોની જવાબદારીને લીધે કૉંગ્રેસનાં અધિવેશનનો ભરી શકતાં નહીં, પણ રમણભાઈ એકેએક અધિવેશનમાં જતા. ૧૯૦૨માં અમદાવાદના કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લીધો હતો. વિદ્યાબહેન અને શારદાબહેને સુંદર કંઠથી ‘વંદેમાતરમ્‌’ રાષ્ટ્રગીત ગાયું હતું.

રમણભાઈના અનુમોદનથી તેમ જ સ્વસ્ફુરણાથી વિદ્યાબહેન ગૃહજીવનમાંથી બાહ્યજીવન તરફ વધવા માંડ્યાં. ગાંધીયુગ પહેલાં પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિઓ, ભજનો ગાવાં, વિધવાવિવાહ ઉત્તેજકમંડળી, બાળલગ્ન નિષેધ મંડળીઓ સાથે સમાજસુધારાનાં કાર્યોમાં જોડાયાં હતાં. લેખનપ્રવૃત્તિ પણ કરતાં. ગાંધીજીના આગમનથી સ્વતંત્રતા, આઝાદી, આંદોલનનો પવન ફૂંકાયો. ૧૯૧૬માં ગાંધીજી જેવા અમદાવાદ આવ્યા કે તરત જ તેમણે બહેનોની સંસ્થાઓ ‘ભગિની-સમાજ’ અને ‘અખિલ હિન્દ હિન્દુ સ્ત્રીમંડળ’ને સંદેશો મોકલ્યો હતો કે “સામાન્ય રીતે કેળવાયેલી બહેનો, શહેરી બહેનો ગ્રામીણ બહેનો સાથે સંપર્ક ઇચ્છતી નથી. પણ આ રોગ જવો જોઈએ. ૮૫ ટકા બહેનો માટે ગામડાંમાં કામ છે.” ગાંધીજી ઇચ્છતા હતા કે કેળવાયેલી બહેનો શહેર અને ગામડાં વચ્ચે સેતુ સમાન રહે. વિદ્યાબહેનનાં બહેન શારદાબહેને અને તેમના પતિ સુમન્ત મહેતાએ ગાંધીયુગમાં અસહકારનાં આંદોલનોમાં ઝંપલાવ્યું. ૧૯૧૮થી ખેડા સત્યાગ્રહ, ૧૯૨૦-૨૨ અસહકારનું આંદોલન, ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ, ૧૯૩૦માં દાંડીકૂચ અને ૧૯૪૨-૪૫ સુધી ચાલેલી ‘હિંદ છોડો લડત’ સુધી મહત્ત્વની ભૂમિકા ભજવી સક્રિય કાર્ય કરી રહ્યા હતાં. પરંતુ વિદ્યાબહેન આજીવન મૂક સેવક, સમાજસેવિકા અનેક સંસ્થાઓમાં સ્થાપક અને લેખિકા તરીકેની કામગીરી બજાવતાં રહ્યાં. સ્ત્રી-ઉત્કર્ષની અનેક પ્રવૃત્તિઓ કરી, સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીઓનાં જીવન સાથે સંકળાયેલા અનેક પ્રશ્નો સાથે હંમેશાં સંકળાતાં રહ્યાં. તેમનાં લખાણોએ સ્ત્રી માટેની વૈચારિક ભૂમિકા ઊભી કરી.

૧૯૨૭માં સાબરમતીમાં પૂર આવ્યું. ગામડાંઓ ડૂબ્યાં. અનેક લોકો ઘરબાર વગરના થયા. વિદ્યાબહેને ફંડફાળા ઉઘરાવ્યાં, કપડાં ઉઘરાવ્યાં. આ કપડાંઓનું સમારકામ કરી લોકોમાં વહેંચ્યાં, અનાજ ઉઘરાવ્યું. આ કાર્ય ગાંધીજીએ તેમના ‘નવજીવન’માં ખૂબ બિરદાવ્યું. ૧૯૧૧-૧૨ના દુષ્કાળ વખતે પણ તેમનાં રાહતકાર્યો પ્રશંસનીય હતાં, તેથી જ ગાંધીજી વિદ્યાબહેનનાં કાર્યોને બિરદાવતાં નોંધે છે, “જેઓ રાજકારણમાં નથી પણ મૂક સેવક છે. સમાજ ઉપયોગી કાર્યોમાં સંકળાયેલાં છે, જેઓ વિધવાઓનાં આંસુ લૂછે છે, અસ્પૃશ્યોને મદદ કરે છે, તેમનાં કાર્યોનું મૂલ્ય આંકો એટલું ઓછું છે.” આમ વિદ્યાબહેન ભલે રાજકીય આંદોલનો સાથે સક્રિય સંકળાયેલાં હતાં પણ દેશદાઝ, સ્વદેશી ચીજવસ્તુઓ પ્રત્યે તેમનો પ્રેમ ઉત્કટ રહ્યો. ગાંધીયુગમાં તેમણે આજીવન ખાદી પહેરવાનું સ્વીકાર્યું હતું. વિદ્યાબહેનને ગાંધીજીએ ૬૦ મે વર્ષે આશીર્વાદ આપતો તેમને લબેથે “તમે કદી જીર્ણ ….. નથી.” વૈચારિક મતભેદ હોવા છતાં ગાંધીજી અવારનવાર રમણભાઈને ત્યાં જતા ૧૯૨૭માં રમણભાઈના બીમારીના બિછાને આવ્યા હતા. દુઃખ સાથે તેમણે કહ્યું હતું કે “આ તો યાત્રાના થાય છે. કમનસીબે હું વખતો વખત આવી શકતો નથી.” ૧૯૨૮માં રમણભાઈ મૃત્યુ પામ્યા ત્યારે પણ ગદ્‌ગદીત કંકે તેમણે શોકાંજલિ આપી હતી.

વિદ્યાબહેનની જાહેરપ્રવૃત્તિઓ

તેમની જાહેર પ્રવૃત્તિઓનો વ્યાપ બહુ મોટો હતો. ૧૯૨૮માં રમણભાઈના મૃત્યુબાદ તેમના બધા જ સંસ્થાકીય, સામાજિક કાર્યક્રમો વિદ્યાબહેનો સનિષ્ઠાથી ઉપાડી લીધા. સૌ પ્રથમ તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (૧૯૪૮) જે પાછળથી વિદ્યાસભા કહેવાઈ તેના પ્રમુખ તરીકે વરણી પામ્યાં અને ૧૯૫૬ સુધી તેના મંત્રીપદે હતાં. ગુજરાતી ભાષાને ઉત્તેજન આપવા માટે અનેક પુસ્તકો પ્રકાશિત કર્યાં. ગ્રંથ અને ગ્રંથકારના ગ્રંથોનું સંપાદન સુંદર રીતે કર્યું. સાહિત્યકારોએ જેની નોંધ નથી લીધી તેવી ગ્રામીણ મહિલાઓથી કૃતિઓને આ ગ્રંથોમાં વિદ્યાબહેને નોંધ લીધી. દા.ત. લૂણાવાડાની મહિલા શિક્ષિકા, કૃષ્ણાગૌરી હીરાલાલ રાવળની નવલિકા ‘સદ્‌ગુણી હેમંતકુમારી’ (૧૮૯૯). તેવી જ રીતે જમનાબાઈ પંડિતા જામનગરની શિક્ષિકાએ ગુજરાતમાં પ્રથમ નારીવાદી પુસ્તક ‘સ્ત્રીપોકાર’ (૧૯૦૭) લખ્યું, તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ (૧૯૦૧), તેના પ્રમુખ પણ ૧૯૪૩માં બન્યાં, ગુજરાત પુસ્તકાલય પરિષદ સાથે સંકળાયેલાં હતાં. ૧૯૩૦માં વડોદરા રાજ્ય પુસ્તકાલય અને ૧૯૩૪માં ગુજરાતે રાજ્ય પુસ્તકાલયના અધિવેશનના પ્રમુખ રહી ચૂક્યાં હતાં. અખિલ હિંદ મહિલા પરિષદના પ્રમુખ ૧૯૩૨ અને ૧૯૫૦માં રહી ચૂક્યાં હતાં. સાહિત્ય, શિક્ષણના ક્ષેત્રમાં તેમની કામગીરી ઉમદા રહી.

તેમનું ચણતર અને ઘડતર પંડિતયુગમાં સાક્ષરોની અસર હેઠળ થયું, પણ ગાંધીયુગની સરળ લોકભોગ્ય ગુજરાતી ભાષાસભર તેમનાં લખાણો રહ્યાં. તેમનું પ્રથમ પુસ્તક ૧૯૩૧ ‘ગૃહદીપિકા’ પ્રકાશિત થયું. ‘ફોરમ’ (૧૯૫૫) આલેખો અને સ્મૃિતચિત્રોનો ધ્યાન ખેંચે તેવો સંગ્રહ છે. ‘નારીકુંજ’ (૧૯૫૬) સ્ત્રીઓના સંદર્ભમાં લખાયેલા લેખોનો સંગ્રહ છે. તેમનાં આદર્શ સ્ત્રીપાત્રો રમાભાઈ રાનડે, મિસિસ સીડની વેબ, મિસિસ – ફેની ઈરાની, પર્લબક રહ્યાં હતાં. જે સ્ત્રીઓએ કુટુંબ, બાળકો, પતિને સંભાળ્યાં હતાં અને સાથે-સાથે સામાજિક સેવાનાં કાર્યો, સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી હતી. જેઓએ ગૃહજીવન અને બાહ્યજીવનની સમતૂલા જાળવી હતી. તેમની સમકાલીન ક્રાંતિકારી સ્ત્રીઓ રમાબાઈ સરસ્વતી, લક્ષ્મીબહેન ડોસાણી, [‘હું બંડખોર કેમ બની’ની લેખિકા (૧૯૩૩)] એ કદી તેમને અનુસરવારૂપ દૃષ્ટાંત લાગ્યાં ન હતાં. તેઓ છેવટ સુધી આર્ય સન્નારીનાં મૂલ્યોને વરેલાં રહ્યાં, છતાં આધુનિકયુગનાં પરિવર્તનો પણ સહર્ષ સ્વીકાર્ય હતાં.         

F-2, આયોજનનગર સોસાયટી, શ્રેયસ રેલવે ક્રૉસિંગ પાસે, અમદાવાદ – 380 007

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2016; પૃ. 08-09 તેમ જ 16 મે 2016; પૃ. 18-19

Loading

યુરોપનો ઈસ્લામોફોબિયા અને લંડનના ‘પ્રથમ’ મુસ્લિમ મેયર

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 May 2016

લંડનના મેયર તરીકે મૂળ પાકિસ્તાનના મુસ્લિમ સાદિક ખાનનો ચુનાવ સમગ્ર યુરોપ માટે મહત્ત્વનો છે. સાદિકે માત્ર ચૂંટણીમાં જ નહિ ઈસ્લામોફોબિયા પર વિજય મેળવ્યો છે

યુરોપિયન ભાષાઓમાં છેલ્લાં વીસેક વર્ષથી ‘ઈસ્લામોફોબિયા’ નામનો શબ્દ પ્રવેશ્યો છે. ફોબિયા એટલે ભય અથવા આશંકા. બ્રિટનમાં વંશીય સમાનતા માટે કામ કરતા રનીમીડ ટ્રસ્ટે 1997માં ઇસ્લામ અથવા મુસ્લિમો પ્રત્યેની નફરત, ઘૃણા અને ભયને લઈને એક રિપોર્ટ બનાવેલો ત્યારથી આ શબ્દ બોલ-ચાલની ભાષામાં આવી ગયો છે. સીરિયા, અફઘાનિસ્તાન અને ઇરાકમાંથી આવી રહેલા મુસ્લિમ નિર્વાસિતો અને મુસ્લિમ આતંકવાદમાં પિસાઈ રહેલા યુરોપમાં લંડને ગયા સપ્તાહે પહેલીવાર મુસ્લિમને મેયર પદે ચૂંટ્યો એમાં ‘યુરોપના ઉદાર અને ધર્મનિરપેક્ષ સમાજનું ધનોતપનોત નીકળી જશે’થી લઈને ‘સાદિક ખાનના મેયર બનવાથી ઈસ્લામોફોબિયાનો અંત આવી જશે’ જેવી દલીલો વચ્ચે યુરોપમાં અત્યારે ‘લંડનના પહેલા મુસ્લિમ મેયર’ પર ગરમાગરમ બહસ ચાલી રહી છે.

ભારતમાં (અને યુરોપમાં પણ) ઘણા લોકો એવું માને છે કે યુરોપ એટલે ગોરી ચામડીવાળા ઈસાઈ લોકોનો પ્રદેશ અને મુસ્લિમો તો બહારથી આવેલા આક્રમણખોરો. એટલા માટે જ યુરોપના (અને વિશ્વના) સમાચારપત્રોમાં સાદિક ખાન લંડનના મેયર તરીકે ચૂંટાયા તેના સમાચારોમાં ‘પ્રથમ મુસ્લિમ’ શબ્દ પર બહુ ભાર મૂકવામાં આવ્યો હતો. પૂરા યુરોપમાં ઈસાઈ-મુસ્લિમનું ધ્રુવીકરણ એટલું સખત છે કે યુરોપમાં ઈસ્લામ (ઈસાઈ પૂર્વે) 1300 વર્ષ જૂનો છે અને યુરોપના ઘણાં શહેરો પર મુસ્લિમોનું શાસન હતું એવો ઇતિહાસ ભુલાઇ ગયો છે.

આ ‘ભૂલચૂક’માંથી જ એક એવી ગલતફહમી સર્જાઈ છે કે ઈસ્લામિક આતંકવાદીઓ યુરોપમાં ઈસાઈ ધર્મને નિશાન બનાવી રહ્યા છે. હકીકતમાં તામસિક ઈસ્લામ યુરોપની આધુનિકતા સામે લડી રહ્યો છે. તામસિક ઈસ્લામને યુરોપના ઉદારવાદ સામે (જેમાં વિવાહપૂર્વે સેક્સ, ગર્ભનિરોધકતા, સમલૈંગિકતા, વ્યભિચાર અને ઉઘાડી સ્ત્રીઓનો સમાવેશ થાય છે) વાંધો છે જે, એમના મતે, ઈસ્લામને ભ્રષ્ટ કરી રહ્યો છે.

યુરોપનો એક મોટો ભૂતકાળ બર્ફ યુગમાં દફનાયેલો છે. 25,000થી 13,000 વર્ષનો એક ગાળો એવો હતો જ્યારે યુરોપમાં ત્રણ માઇલ ઊંચો બર્ફ છવાયેલો રહ્યો હતો. આ બર્ફ ઓગળ્યો તે પછી હાલના તુર્કી, સીરિયા, યુરોશિયા અને આફ્રિકામાંથી સૌ પહેલું સ્થળાંતર થયું હતું. ઈસાઈ ધર્મનો સંગીન પ્રસાર ઈસુ પછીની ચોથી સદીથી શરૂ થયો અને ચારસો વર્ષમાં જ સ્પેન અને ફ્રાન્સમાં એનો અહમ સામનો ઈસ્લામથી થયો. લોકમાન્યતાથી વિપરીત યુરોપમાં ઈસાઈ ધર્મ ધીમેથી આવ્યો હતો. મધ્યકાલીન યુરોપ મૂળભૂત રીતે પેગન, ઈસાઈ અને ઈસ્લામ વચ્ચે વહેંચાયેલું હતું.

711થી 1492મી સદી સુધી સ્પેનમાં મુસ્લિમ શાસન હતું. 756માં દમાસ્કસ, સીરિયામાં જન્મેલા અબ્દ અલ-રહેમાન પ્રથમને દક્ષિણ સ્પેનના કોર્દોબા પ્રદેશના અમીર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે મધ્યકાલીન યુરોપમાં રોમન સામ્રાજ્ય અને ઇટાલિયન રેનેસાની સમકક્ષ જે સંસ્કૃિતનો વિકાસ થયો તેનો યશ સ્પેનની ઈસ્લામિક સંસ્કૃિતને જાય છે, જેની મોટી અસર ઈસાઈ અને યહૂદી સંસ્કૃિત પર હતી.

છેક 1860 સુધી સ્વતંત્ર રહેલા ભૂમધ્ય મહાસાગરના દ્વીપ સિસિલીમાં 831થી 1072 સુધી આરબ મુસ્લિમોની અમીરાત હતી, અને જફર અલ-કલ્બી નામના અમીર સિસિલીની રાજધાની પલેરમોના મેયર હતા. અત્યારે ગ્રીસ તરીકે ઓળખાતા પશ્ચિમી સભ્યતા અને પશ્ચિમ લોકતંત્રના જનક એવા પ્રદેશમાં 1458થી 1832 સુધી ઓટ્ટોમાન વંશનું તુર્કીશ સામ્રાજ્ય હતું. ઓટ્ટોમાનનું શાસન હંગેરીમાં (1541થી 1677) પણ હતું, અને આજે યુરોપના મહત્ત્વના શહેર ગણાતા બુડાપેસ્ટ(જે ત્યારે હંગેરીની રાજધાની હતું)માં અલ્બેનિયન અબ્દુરહેમાન અબ્દી પાશા સૈનિક જનરલ હતો.

1402થી 1912 સુધી સર્બિયામાં (જેની રાજધાની બેલગ્રેડ દક્ષિણપૂર્વ યુરોપનું સૌથી મોટું શહેર છે) ઓટ્ટોમાન શાસન હતું, અને હસી મુસ્તફા આગા 1739માં બેલગ્રેડનો ગવર્નર હતો. એક સમયે કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખાતા આજના ઇસ્તંબુલમાં ડૉ. કાદીર ટોપ્બાસ નામનો મુસ્લિમ મેયર છે. દક્ષિણ પૂર્વ યુરોપમાં જાત-ભાતની સીમાઓમાં વહેંચાયેલા બાલ્કન પેનીન્સુલા(પ્રાયદ્વીપ)ના ઘણાં શહેરોમાં છેક 20મી સદીની શરૂઆત સુધી મુસ્લિમ ગવર્નરો હતા.

લંડનના મેયર તરીકે મૂળ પાકિસ્તાનના મુસ્લિમ સાદિક ખાનનો ચુનાવ સમગ્ર યુરોપ માટે મહત્ત્વનો છે. યુરોપ અત્યારે તામસિક ઈસ્લામના ગુસ્સામાં તપી રહ્યું છે. બ્રિટનમાં અને અન્ય યુરોપિયન શહેરોમાં ઈસાઈ અતિવાદીઓ સાદિક ખાનના ચુનાવને નફરતથી જોઈ રહ્યા છે, પણ હકીકત એ છે કે યુરોપને પરિભાષિત કરવામાં ઈસ્લામની ભૂમિકા બહુ મોટી હતી, અને હવે કરોડો તુર્ક, આરબ, અલ્જિરિયન અને બીજા મુસ્લિમો દેશાંતર તથા અતિવાદી બની ગયેલા મુસ્લિમ યુવાનોના આતંકથી યુરોપ ફરીથી પરિભાષિત થઈ રહ્યું છે. વર્ષો સુધી યુરોપિયન લોકોને બહારથી આવેલા આ સસ્તા શ્રમિકો ખાસા ઉપયોગી લાગતા હતા. હવે આ સ્થળાંતરિત મુસ્લિમ વસ્તી યુરોપમાં સાંસ્કૃિતક અને રાજકીય તાકાત બની ગઈ છે.

આ મુસ્લિમો, ખાસ કરીને યુવાન પેઢી, યુરોપિયન સમાજમાં ભળ્યા નથી, અને એ અલગાવને કારણે સામાજિક તનાવ વધી રહ્યો છે, જે આતંકવાદી ગતિવિધિઓમાં પરિણમી રહ્યો છે. યુરોપ ગુસ્સાવાળા મુસ્લિમોને પહેલીવાર જોઈ રહ્યું છે. ઈસાઈ અને ઈસ્લામ વચ્ચેનાં ધર્મયુદ્ધો યુરોપે બહુ જોયાં છે, પરંતુ યુરોપની આધુનિકતા સામે ઈસ્લામની લડાઈ એમના માટે નવી છે.

બહુ લાંબા સમય સુધી યુરોપને એમ લાગતું હતું કે મુસ્લિમોનો આતંક અને ગુસ્સો અમેરિકાનો ‘પ્રોબ્લેમ’ છે, પરંતુ પાછલા કેટલા ય હુમલાઓ અને ઈસીસ (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવાન્ટ)ના આશ્ચર્યજનક પગપેસારા પછી યુરોપ સાવ જ નવા ઈસ્લામનો સામનો કરી રહ્યું છે, જેને ઈસાઈ ધર્મ સામે નહીં, પણ યુરોપની જીવનશૈલી સામે વાંધો છે. એક સર્વે પ્રમાણે આત્મઘાતી હુમલાઓને જર્મનીના 22 પ્રતિશત અને ફ્રાન્સના 24 પ્રતિશત યુવાન મુસ્લિમોનું સમર્થન છે.

નેધરલેન્ડમાં 80 પ્રતિશત ડચ તુર્કોને ઈસીસમાં કંઈ જ ખોટું દેખાતું નથી. બ્રિટનમાં આજે બ્રિટિશ સૈન્ય કરતાં ઈસીસમાં જોડાનારાઓની સંખ્યા વધારે છે. બ્રિટનમાં દર પાંચ મુસ્લિમો પૈકીના એકને ઈસીસની ખિલાફત પ્રત્યે સહાનુભૂતિ છે.

અમેરિકાના શિકાગોથી લઈને બ્રિટનના બ્રેડફર્ડ અને ઑસ્ટ્રેલિયાના મેલબોર્નથી લઈને ફ્રાન્સના પેરિસ સુધી ઈસીસનું જે વશીકરણ છે તેનું કારણ આતંક નહીં, પણ ખિલાફતનો એનો વિચાર છે. ખિલાફત ખલીફા શબ્દ પરથી આવે છે. ખલીફા એટલે ઉત્તરાધિકારી. મોહમ્મદ પયગંબરના ઉત્તરાધિકારીને ખલીફા કહેવાય અને એ ખલીફાનું જે ઇલાકામાં કાર્યક્ષેત્ર હોય તેને ખિલાફત કહેવાય.

આધુનિક ઈસ્લામમાંથી ખલીફાનું આ પદ ગાયબ થઈ ગયું છે, અને ઈસીસના નેતા અબુ બકર અલ-બગદાદીએ પોતાને ખલીફા જાહેર કર્યો છે. ઈસ્લામમાં ખલીફા બનવા માટે કેટલીક જરૂરી શરતો છે: એના નિયંત્રણમાં કોઈ ઇલાકો હોવો જોઈએ, એ ઇલાકામાં શરિયતનો કાનૂન હોવો જોઈએ અને ખલીફા કુરૈશ (કુરેશી) કબીલામાંથી હોવો જોઈએ, જે કબીલામાંથી મોહમ્મદ પયગંબર આવ્યા હતા.

યુરોપમાં સામાજિક લગાવ અને વ્યક્તિગત ઓળખ વગરના (યુરોપમાં 50 પ્રતિશત મુસ્લિમ યુવાનો બેરોજગાર છે) યુવાનો માટે ખિલાફતનો આખો વિચાર જ લલચાવનારો છે. યુરોપની કથિત ‘નગ્ન’ સંસ્કૃિત વચ્ચે એમને ખિલાફત શાસનમાં નૈતિક અનુશાસન નજર આવે છે. યુરોપની સમસ્યા આતંકવાદ નહીં, પણ સામાજિક-સાંસ્કૃિતક છે એવું ઘણાને સમજાતું નથી. યુરોપ એના ઇતિહાસમાં સૌથી મોટી શરણાર્થી મુસીબતનો સામનો કરી રહ્યું છે. મધ્યપૂર્વ અને આફ્રિકામાં ચાલતાં ગૃહયુદ્ધોથી પરેશાન દસ લાખ લોકો 2015માં યુરોપમાં ઘૂસી આવ્યા છે. 2016ના પ્રથમ બે મહિનામાં જ 1,35,000 શરણાર્થી આવી ચૂક્યા છે.

આ ગૃહયુદ્ધોમાં અને યુરોપમાં ભાગી આવેલા મુસ્લિમો પર ઈસીસનો ખાસો પ્રભાવ છે. યુરોપને ખબર નથી કે આ મુસીબતનો સામનો કેવી રીતે કરવો. કેટલા ય યુરોપિયન દેશોએ સરહદો પર દીવાલો ઊભી કરી દીધી છે. જર્મન ચાન્સેલર, અને યુરોપની એક માત્ર સશક્ત નેતા, એન્જેલા મર્કેલે યુરોપિયન સમાજમાં વ્યાપ્ત બેચેનીના ઉપાય તરીકે બેરોજગાર, બેબસ અને દિશાહીન મુસ્લિમ યુવા પેઢીના યુરોપમાં એકીકરણનું સૂચન કર્યું છે. મોઝાર્ટ અને ગોથે અને શોપનહાર અને સાર્ત્ર અને બીથોવનનું યુરોપ ક્યારનું ય ખતમ થઈ ગયું છે. એક જમાનામાં જેનો ડંકો વાગતો હતો એ યુરોપિયન અર્થતંત્ર કમ્મરેથી બેવડ વળી ગયું છે.

સાદિક ખાન એન્જેલા મર્કેલની એકીકરણની યોજનાના સમર્થક છે. શરણાર્થીઓને પાછા ધકેલી મૂકવાને બદલે તેમને રોટી, કપડાં ઔર મકાન આપવાની એક ઝુંબેશ ચાલે છે. સાદિક આ ઝુંબેશના કાર્યકર છે. સાદિક એવા સમયે મેયર બન્યા છે જ્યાં લંડન(અને બીજાં અનેક શહેરો)ના ઈસાઈ યુવકો પણ ભ્રમિત થઈ ગયા છે. આપણે જેને જાણતા હતા એ યુરોપ તો ક્યારનું ય મરી ગયું છે. હવે એક નવા યુરોપનો જન્મ થઈ રહ્યો છે.

200 વર્ષમાં પહેલીવાર એક મોટા યુરોપિયન શહેરના મેયર બનેલા સાદિક ખાન યુરોપના આ નવા પ્રસવમાં દાયણની ભૂમિકા ભજવે છે કે ડાકણની એની લંડન રાહ જોઈ રહ્યું છે.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 15 મે 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5324308-NOR.html

Loading

મેઝરિંગ મોદી – 1 : ગૉડ ધૅટ ફેઇલ્ડ

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2016

એવો એક પણ દિવસ નથી ગયો કે લોકોએ નરેન્દ્ર મોદીનાં વચનોને યાદ ન કર્યા હોય કે ન કરાવ્યાં હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જેમના બચાવમાં ખાસ રચવામાં આવેલા સાઇબર સેલે કામ કરવું પડે છે અને ભક્તોએ બચાવ કરવા સોશ્યલ મીડિયા પર રોજ સરેરાશ એક કલાક ખર્ચવો પડે છે. ભગવાનને બે પગે ઊભા રાખવા માટે ભક્તોએ જહેમત ઉઠાવવી પડે એવો અપૂર્વ પ્રસંગ ભારતમાં જોવા મળી રહ્યો છે

નરેન્દ્ર મોદીનું આ સદ્ભાગ્ય છે કે દુર્ભાગ્ય એ તો તેઓ જાણે, પરંતુ તેમની સરકાર રચાઈ ત્યારથી તેઓ સતત કસોટીની એરણ પર છે. આવું આ પહેલાં ભારતમાં ક્યારે ય નથી બન્યું. એવો એક પણ દિવસ નથી ગયો કે લોકોએ નરેન્દ્ર મોદીનાં વચનોને યાદ ન કર્યા હોય કે ન કરાવ્યાં હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જેમના બચાવમાં ખાસ રચવામાં આવેલા સાઇબર સેલે કામ કરવું પડે છે અને ભક્તોએ બચાવ કરતા મેસેજિઝ ફૉર્વર્ડ કરવા રોજ સરેરાશ એક કલાક ખર્ચવો પડે છે. ભગવાનને બે પગે ઊભા રાખવા માટે ભક્તોએ જહેમત ઉઠાવવી પડે એવો અપૂર્વ પ્રસંગ ભારતમાં જોવા મળી રહ્યો છે.

ભગવાન અને ભક્તની વાત આવી એટલે તુલના ખાતર મને રશિયન સામ્યવાદી શાસનની યાદ આવે છે. ૧૯૧૭માં બૉલ્શેિવક રેવલ્યુશન પછી જગતને કહેવામાં આવ્યું હતું કે સર્વહારા વંચિત માણસે હવે કલ્પનાના ઈશ્વર પાસે હાથ જોડવાની કે ભીખ માગવાની જરૂર નથી. માણસ પોતે સ્વપુરુષાર્થ દ્વારા પોતાનું ભાગ્ય બદલી શકે છે અને એની શરૂઆત રશિયામાં થઈ ગઈ છે. દુનિયા હવે લૂંટનારાઓ અને સરખે ભાગે વહેંચનારાઓ વચ્ચે વહેંચાઈ ગઈ છે અને એક દિવસ વહેંચનારાઓ જગતને જીતી લેશે અને એ સાથે લૂંટનારાઓનો અને તેમની મતલબી વિચારધારાનો અંત આવી જશે.

બૉલ્શેિવક રેવલ્યુશને જગતમાં પ્રચંડ આશા પેદા કરી હતી. ઘડી ભર લોકો લોકતંત્રના અભાવને અને હિંસાને ભૂલી ગયા હતા. મસમોટું સપનું તો ‘સ્ટેટ વિલ વિધર અવે’ એટલે કે રાજ્યના અસ્તનું હતું. લોકોનું રાજ્ય હશે અને સંપત્તિની સરખે ભાગે વહેંચણી થશે. આ સપનું સાકાર કરવા માટે થોડો સમય તાનાશાહી, હિંસા, અરાજકતા સહન કરી લેવી જોઈએ. વિશ્વના અનેક મેધાવી વિદ્વાનો સામ્યવાદ તરફ આકર્ષાયા હતા. ભારત જેવા ગુલામ દેશોના નેતાઓ આઝાદી પછી નૂતન સમાજરચનાના નવા વિકલ્પને તપાસવા રશિયા જતા હતા. આશા એવી પેદા કરવામાં આવી હતી કે પૃથ્વીના ગોળા પર ઉત્તરના છેડે રામરાજ્યની રચના થઈ રહી હોય.

દિવસો અને વર્ષો વીતતાં ગયાં, પરંતુ ઉત્તરના છેડેથી ગુપ્તતાની લોખંડી દીવાલો વચ્ચેથી હિંસા સિવાય કોઈ ખબર બહાર આવતા નહોતા. રામરાજ્યના તો કોઈ સગડ નહોતા મળતા, પરંતુ સાઇબીરિયામાં વિરોધીઓને સતાવવામાં આવી રહ્યા છે એવા સમાચાર આવતા હતા. ધીરે-ધીરે હતાશા વધવા માંડી અને બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાંની સાથે જ જાણીતા સાહિત્યકાર અને વિચારક આર્થર કાસ્લરે ‘ગૉડ ધૅટ ફેઇલ્ડ’ની ઘોષણા કરી દીધી. જાણીતા બ્રિટિશ સાહિત્યકાર જ્યૉર્જ ઓરવેલે ૧૯૪૫માં ઍનિમલ ફાર્મ નામનું પ્રહસન લખીને કહ્યું હતું કે રશિયન સામ્યવાદમાં બધા લોકો સમાન છે, પણ થોડા લોકો વધારે સમાન છે. બાય ધ વે, આર્થર કાસ્લર અને જ્યૉર્જ ઓરવેલ એક સમયે સામ્યવાદી શાસનના પ્રસંશક નહીં, ભક્ત હતા.

ભક્તોનો ભ્રમ ભાંગ્યો અને ઘોષણા થઈ : ગૉડ ધૅટ ફેઇલ્ડ. આર્થર કાસ્લર દ્વારા સંપાદિત ‘ધ ગૉડ ધૅટ ફેઇલ્ડ’ નામના પુસ્તકમાં સામ્યવાદના એક સમયના છ વિદ્વાન સમર્થકોએ રશિયન સામ્યવાદનું મૂલ્યાંકન કર્યું હતું અને એ પછી તો ‘ગૉડ ધૅટ ફેઇલ્ડ’ સામ્યવાદની નિષ્ફળતાનું મહાવાક્ય બની ગયું હતું. જો બીજું વિશ્વયુદ્ધ વચ્ચે ન આવ્યું હોત તો ઈશ્વરની નિષ્ફળતાની જાહેરાત પશ્ચિમમાં ઘણી વહેલી થઈ ગઈ હોત.

મને ખબર નથી કે આને નરેન્દ્ર મોદીનું દુર્ભાગ્ય કહેવું કે કવિન્યાય, પણ બે જ વર્ષમાં આપણે ત્યાં ‘ગૉડ ધૅટ ફેઇલ્ડ’ની જાહેરાત કરવી પડે એવો સમય આવી ગયો છે. આમ તો ગયા વર્ષે જ HDFCના અધ્યક્ષ દીપક પારેખે કહ્યું હતું કે એકંદરે સંજોગો આશા વધારનારા નથી

તો બાયોકોનનાં અધ્યક્ષા કિરણ મઝુમદાર-શૉએ કહ્યું હતું કે હજી એક વરસ રાહ જોવી જોઈએ. હવે બીજું વર્ષ પૂરું થવા આવ્યું છે અને સંજોગો નિરાશાજનક છે. અહીં કવિન્યાય શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ સ્થિતિ માટે નરેન્દ્ર મોદી પોતે જવાબદાર છે. જનમાનસમાં તેમણે પ્રચંડ આશા પેદા કરી હતી. તેઓ નેતા તરીકે નહીં પણ સવર્‍શક્તિમાન ભગવાન તરીકે અવતર્યા હોય એવી છાપ પ્રજામાનસમાં તેમણે પેદા કરી હતી.

નેતા હંમેશાં આપણેની ભાષામાં વાત કરે છે અને સમર્થ સાથીઓની ટીમ બનાવીને લોકોનું નેતૃત્વ કરે છે. ભગવાન સ્વનામધન્ય હોય છે એટલે તે ભક્તોનો ભૂખ્યો હોય છે, તેને સાથીની જરૂર હોતી નથી. બૉલ્શેિવક રેવલ્યુશન વખતે એના નેતા વ્લાદિમીર લેનિને ક્યારે ય કહ્યું નહોતું કે તેઓ ક્રાન્તિ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે વિચારમાં ક્રાન્તિ છે અને જો એ વિચાર અપનાવશો તો ક્રાન્તિ થશે. લેનિને રશિયનોને પ્રેરિત કર્યા હતા અને તેમનું નેતૃત્વ કર્યું હતું. ક્રાન્તિનો જનક વિચાર હતો, ક્રાન્તિ લોકોએ કરી હતી અને લેનિને નેતૃત્વ કર્યું હતું. બે વિશ્વયુદ્ધ વચ્ચેની અમેરિકન મંદી વખતે અને એ પછી તરત થયેલા બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકન પ્રમુખ ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે ક્યારે ય કહ્યું નહોતું કે તેમની પાસે સંકટમાંથી બહાર નીકળવાનો કોઈ જાદુઈ ચિરાગ છે. તેમણે કહ્યું હતું કે જો અમેરિકનો સંગઠિત થઈને કૃતનિશ્ચય કરે તો સંકટનો સામનો સફળતાપૂવર્‍ક થઈ શકે એમ છે. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે આપણે સરહદે લડીશું, શહેરોની ભાગોળે લડીશું, જરૂર પડશે તો ગલીઓમાં લડીશું; પણ મેદાનમાંથી ભાગીશું નહીં. હજી હમણાં ૨૦૦૮માં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વખતે ડેમોક્રૅટિક પાર્ટીના ઉમેદવાર તરીકે બરાક ઓબામાએ કહ્યું હતું કે આપણે ધારીએ તો પડકારોનો સામનો કરવા સક્ષમ છીએ. ‘વી કૅન ડૂ’નો ફ્રેઝ જગતભરમાં તેમના થકી જાણીતો થયો છે.

‘વી કૅન ડૂ ઍન્ડ નૉટ આઇ વિલ ડૂ’. નેતા જ્યારે નિષ્ફળ નીવડે ત્યારે એને દુર્ભાગ્ય કહેવાય. સ્વનામધન્ય વ્યક્તિ જ્યારે સમાજ અને સંજોગોની વાસ્તવિકતા ઓળખ્યા વિના ગજાબહારના અવ્યવહારુ દાવાઓ કરે અને નિષ્ફળ નીવડે તો એને કવિન્યાય કહેવાય. નરેન્દ્ર મોદી સાથે કવિન્યાય થઈ રહ્યો છે. એટલે તો ભગવાનનો બચાવ કરવા ભક્તોએ રોજ એક કલાક સોશ્યલ મીડિયા પર ફાળવવો પડે છે. આ અપૂર્વ ઘટના છે. આવું આ પહેલાં જગતમાં ક્યારે ય જોવા મળ્યું નથી.

આપણે બૉલ્શેવિક રેવલ્યુશનની વાત કરતા હતા. ૧૯૧૭માં રશિયામાં થયેલી બૉલ્શેિવક ક્રાન્તિ અને ૨૦૧૪માં ભારતમાં થયેલી સપનાંના વાવેતરની ક્રાન્તિ પરિણામોની બાબતમાં સમાંતર ચાલે છે. ક્રાન્તિ પછી તરત જ લેનિનનું અવસાન થયું હતું અને સત્તા જોસેફ સ્ટાલિનના હાથમાં આવી હતી. સ્ટાલિનને સામ્યવાદ કરતાં સત્તામાં વધારે રસ હતો. સ્ટાલિન કોઈ પણ કિંમતે સત્તામાં ટકી રહેવા માગતો હતો. આ બાજુ આશા નિરાશામાં ફેરવાતી જતી હતી અને લોકોમાં અસંતોષ વધતો જતો હતો. સ્ટાલિને સત્તા ટકાવી રાખવા રશિયન સમાજની અંદર દીવાલો બાંધવાનું અને વિભાજનની રેખાઓ ખેંચવાનું શરૂ કર્યું હતું. વિચારનારા લોકો, યુનિવર્સિટીઓ જેવાં વિચાર-વિમર્શનાં સંસ્થાનો, વિચારને કલાત્મક પણ સ્વતંત્ર અભિવ્યક્તિ આપનારા સાહિત્યકારો-કલાકારો અને એવી સંસ્થાઓ સ્ટાલિનને આંખમાં કણાની માફક ખૂંચવા લાગ્યાં હતાં.

ધીરે-ધીરે આવા સ્વતંત્ર લોકોને પ્રતિક્રિયાવાદી, સર્વહારાના દુશ્મન, મૂડીવાદના એજન્ટ, રનિંગ ડૉગ ઑફ કૅપિટલિઝમ જેવાં લેબલ ચોંટાડવામાં આવ્યાં હતાં જેમ આપણે ત્યાં અત્યારે દેશદ્રોહનાં લેબલ ચોંટાડવામાં આવી રહ્યાં છે. જૂઠા પ્રચારની પ્રચંડ યંત્રણા ઊભી કરવામાં આવી હતી જેમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હતા. મારી પેઢીના વાચકોએ ‘સોવિયેટ લૅન્ડ’ નામના મફતમાં આવતા સામયિકના અંક જોયા હશે જેમાં રશિયાના ઝડપી વિકાસની જૂઠી વાર્તાઓ આવતી હતી. ‘સોવિયેટ લૅન્ડ’ એકલી ગુજરાતી ભાષામાં નહીં, જગતભરની લગભગ બધી ભાષામાં નીકળતું હતું; કારણ કે નિષ્ફળ નીવડી રહેલા ગૉડને બચાવવાનો હતો. અત્યારે ‘સોવિયેટ લૅન્ડ’ની જગ્યા સોશ્યલ મીડિયાએ લીધી છે.

ડિલિવર ન કરી શકતા હો તો સમાજમાં વિભાજન પેદા કરો. અસંતોષનો તાપ સહન ન થતો હોય તો અસંતોષીઓ સામે જ અસંતોષ પેદા કરો. ઘરવાપસી, લવ-જેહાદ, ગોમાતા, બીફ, દેશદ્રોહ, ભારત માતા વગેરે અસંતોષ વ્યક્ત કરનારાઓ સામે અસંતોષ પેદા કરીને ઠેકાણે પાડવાની રમત છે. દેશદ્રોહનો પ્રશ્ન ઉઠાવીને કન્હૈયાકુમારો સામે એટલી હદે અસંતોષ પેદા કરો કે એમાં ડિલિવરી વિશેનો અસંતોષ ઢબૂરાઈ જાય. ૨૦મી સદીમાં પહેલા ભગવાન તરીકે અવતરેલા સામ્યવાદી ભગવાને આ બધા હથકંડા સોવિયેટ રશિયામાં અજમાવી લીધા છે. પ્રજા વચ્ચે દીવાલો પેદા કરવામાં આવી હતી, ટીકાકારોના કપાળ પર દુ:શ્મનનું લેબલ ચોંટાડવામાં આવતું હતું અને અસંતોષનો અવાજ ઉઠાવનારાઓ સામે પ્રચંડ અસંતોષ પેદા કરીને તેમને મૂંગા કરવાનો પ્રયાસ થતો હતો. એ જ રમત છે જેને આધારે આર્થર કાસ્લર અને લુઇ ફિશર જેવાઓએ કહ્યું હતું કે ઈશ્વર નિષ્ફળ નીવડ્યો છે અને આજે એ જ રમતના આધારે અહીં કહેવું પડે છે કે ભારતમાં ઈશ્વર નિષ્ફળ નીવડ્યો છે અને ૨૦૧૪માં ભારતની પ્રજા છેતરાઈ હતી.

વડા પ્રધાન ગુસ્સાને પાત્ર નથી, દયાને પાત્ર છે. શું અપેક્ષા પેદા કરી હતી અને લોકોનો કેવો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ૧૯૮૪ પછી પહેલી વાર ભારતની પ્રજાએ સ્પષ્ટ બહુમતી આપીને શાસક પક્ષની વરણી કરી હતી. એ બહુમતી ભારતીય જનતા પાર્ટીને નહોતી મળી, નરેન્દ્ર મોદીને મળી હતી અને આવું ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર બન્યું હતું. સ્પષ્ટ બહુમતી હોય, લોકોનો પ્રેમ અને શ્રદ્ધા હોય, પક્ષ પર પૂરી પકડ હોય, વિરોધ પક્ષ નિર્બળ હોય તો બીજું જોઈએ શું? પડકારો વિકટ હતા, પણ પડકારોનો સામનો કરવા માટેની અનુકૂળતા પૂરી હતી. પી. વી. નરસિંહ રાવથી લઈને ડૉ. મનમોહન સિંહને જે અનુકૂળતા નહોતી એ નરેન્દ્ર મોદી પાસે હતી. આમ છતાં નરસિંહ રાવ, વાજપેયી અને મનમોહન સિંહ વધારે કામ કરતા ગયા છે એ હકીકત છે.

શું ખૂટે છે વડા પ્રધાનમાં અથવા તો તેઓ કઈ ચીજનો શિકાર બની રહ્યા છે એની વાત :

— 2 —

નરેન્દ્ર મોદી પાસે જો કોઈ વિઝન હોત તો નીતિ આયોગ દ્વારા દેશ સમક્ષ પ્રગટ થયું હોત. નીતિ આયોગનું નામ જ છે નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ઑફ ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા

એક વાત યાદ રાખજો, આ દેશમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પછી અને કદાચ તેમના કરતાં પણ વધુ મહાન વડા પ્રધાન તે જ સાબિત થવાનો છે જે સિસ્ટમને હાથ લગાડવાની અને સુધારવાની હિંમત કરશે. 56ની છાતીની ખરી કસોટી ત્યાં થવાની છે. નરેન્દ્ર મોદીએ હજી સુધી તો એવી હિંમત બતાવી નથી અને જે પહેલાં બે વરસમાં ન બતાવી શકે એ પછીનાં ત્રણ વરસમાં બતાવી શકે એવી બહુ ઓછી શક્યતા છે

એક પ્રશ્ન થાય છે અને કદાચ તમને પણ થતો હશે કે નરેન્દ્ર મોદી ગજાબહારનાં વચનો આપ્યાં એટલે હાસ્યાસ્પદ બની રહ્યા છે કે પછી વચનપૂર્તિ માટેનું ગજું નથી એટલે બદનામ થઈ રહ્યા છે? બહુ મહત્ત્વનો સવાલ છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મૂલ્યાંકન કરવા માટે. ચૂંટણીના રણમેદાનમાં સામે માનવમેદની જોઈને ઘણા લોકો બહેકી જતા હોય છે અને પોતાને સમર્થ સાબિત કરવા ગજાબહારનાં વચનો આપવા લાગે છે. નરેન્દ્ર મોદીમાં પણ આ મર્યાદા છે અને તેમણે ગજા બહારનાં અનેક વચનો આપ્યાં હતાં એ આપણે જાણીએ છીએ. જ્યારે આવાં વચનો આપવામાં આવતાં હતાં ત્યારે જાણકારોને જાણ હતી કે આ બનવાનું નથી, આ તો લોકોને ભરમાવીને સત્તા સુધી પહોંચવાનો બેત છે.

બીજો સવાલ એ થાય છે કે શું તેમણે આપેલાં બધાં જ વચનો સત્તા મેળવવાના નશામાં આપેલાં ગજાબહારનાં હતાં? ના, એવું નથી. એવાં ઘણાં વચનો હતાં જે વ્યવહારુ અમલમાં મૂકી શકાય એવાં છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં એવાં કેટલાંક વચનો છે જે કેન્દ્ર સરકાર ધારે તો અમલમાં મૂકી શકે એમ છે. જો કે ચૂંટણીઢંઢેરાની આજકાલ કોઈ કિંમત નથી રહી એ જુદી વાત છે, અને હવે તો શાસકો પણ એને વાંચતા નથી.

એક ત્રીજો સવાલ પણ ઉપસ્થિત થશે કે એવા કોઈ પ્રશ્નો છે જેનાં વચનો આપવાં જોઈતાં હતાં, પણ નથી આપવામાં આવ્યાં? ખાસ કરીને અમલમાં મૂકવાં શક્ય હોય અને એ છતાં એવાં વચનો આપવામાં ન આવ્યાં હોય, એવું ખરું? જી હા, એવા ઘણા પ્રશ્નો છે જેને કાં તો યાદ કરવામાં આવ્યા નથી અને કાં મૅનિફેસ્ટોમાં કોઈક જગ્યાએ નાનકડી અપ્રસ્તુત જગ્યા ફાળવવામાં આવી છે.

ચોથો સવાલ પણ અહીં ઉપસ્થિત થઈ શકે કે એવા કોઈ મુદ્દા ખરા જેનો હરફ પણ ઉચ્ચારવામાં ન આવ્યો હોય, પણ લાગુ કરવામાં આવતા હોય? જી હા, આવું પણ બની રહ્યું છે અને મોટા પ્રમાણમાં બની રહ્યું છે. ટીકાકારો આને પાછલા બારણેથી લાગુ કરવામાં આવતો ‘હિડન એજન્ડા’ કહે છે.

નરેન્દ્ર મોદીની સરકારનાં બે વર્ષને આ ચાર પ્રશ્નોની એરણે માપવા જોઈએ, પણ એ પહેલાં આ ચાર પ્રશ્નોનું સ્વરૂપ અને એનાં પરિણામો સમજી લેવાં જોઈએ. 1. ગજાબહારની વાતો કોઈ પણ માણસની ઠેકડી ઉડાડવાનું કારણ બને. 2. આપણા ગજાનાં, લાગુ કરી શકાય એવાં વ્યવહારુ વચનો આપવામાં આવે અને એના પર અમલ કરવામાં આવે તો એવો શાસક વ્યવહારવાદી સફળ શાસક તરીકે અમર થતો હોય છે. 3. જેને હાથ લગાડવામાં જોખમ છે અને સામાન્ય શાસકો જેને હાથ લગાડતાં ડરતા હોય એવાં મૂળભૂત વ્યવસ્થાકીય વચનો જે આપી શકે અને અમલમાં મૂકી શકે એવા શાસકો મહાન શાસક તરીકે અમર થતા હોય છે. 4. એ તો દેખીતી વાત છે કે પ્રજાને વિશ્વાસમાં લીધા વિના નહીં જાહેર કરવામાં આવેલો ‘હિડન એજન્ડા’ લાગુ કરવામાં આવે તો એ કોઈ પણ સરકારને બદનામ કરી શકે છે. આ પ્રજા સાથેની છેતરપિંડી છે.

હવે કહો કે બે વરસ દરમ્યાન નરેન્દ્ર મોદીની પોતાની અને તેમની સરકારની કઈ ઇમેજ બની છે? એક ઇમેજ ગજાબહારનાં વચનો આપનાર, ચોવીસે કલાક પોતાને કેન્દ્રમાં રાખનાર અને અવસર મળ્યે મોટી વાતો કરનાર ફેકુ તરીકેની છે અને બીજી ઇમેજ RSSનો એજન્ડા લાગુ કરનાર ફાસિસ્ટ તરીકેની છે. આ ઇમેજ બની છે તો એના માટે નરેન્દ્ર મોદી પોતે અને તેમની સરકાર જવાબદાર છે, વિરોધ પક્ષો કે તેમના ટીકાકાર જવાબદાર નથી. એવાં અનેક કામો છે જેના દ્વારા અચ્છે દિન આવી શકે એમ છે, પરંતુ એ કરવામાં આવતાં નથી અને જે કરવામાં આવશે એમ કહેવામાં પણ નહોતું આવ્યું એ થઈ રહ્યાં છે. આજે સ્થિતિ એવી છે કે વિકાસલક્ષી મંત્રાલયો લગભગ નિષ્ક્રિય છે અને જેમાં RSSને રસ છે એવાં શિક્ષણ અને સંસ્કૃિતને લગતાં મંત્રાલયો સક્રિય છે. વિકાસલક્ષી મંત્રાલયો એ છે જે ભારતીય નાગરિકના ભૌતિક વિકાસ કરવા માટે કામ કરે છે; જેમ કે નાણાં, વાણિજ્ય, ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ, ખેતી વગેરે. શિક્ષણ અને સાંસ્કૃિતક બાબતોને લગતાં મંત્રાલયો ભારતીય નાગરિકના ચિત્તપ્રદેશને તત્ત્વનિષ્ઠાની ઉપાસના કરતાં શીખવાડીને વિકસાવે છે કાં કુપ્રચાર કરીને અભડાવે છે.

વડા પ્રધાન સતત ઇલેક્શન મોડમાં રહે છે, કારણ વિના દુનિયા ઘૂમી રહ્યા છે. જ્યારે બોલે ત્યારે સાંભળનાર જો સમજદાર હોય તો ઘા ખાઈ જાય અને ઘેલો હોય તો રાજીનો રેડ થઈ જાય એવી મોટી-મોટી વાતો કરે છે અને સરકાર? સરકાર પાછલા બારણેથી RSS ચલાવે છે. નરેન્દ્ર મોદીના ટેકેદારોને આ ન ગમે તો માફ કરે, પણ આજની આ વાસ્તવિકતા છે. ફેકુ અને ફાસિસ્ટની ઇમેજ જો બની છે તો એને માટે તેઓ સ્વયં જવાબદાર છે. સરકારમાં RSS સૌથી વધુ સક્રિય છે. દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓને કબજે કરવામાં આવી છે. યુનિવર્સિટીઓમાં ચડ્ડીધારીઓને બેસાડવામાં આવ્યા છે જેમનામાં પોતાનામાં શૈક્ષણિક સજ્જતાનો અભાવ છે એટલે ધીરે-ધીરે શિક્ષણસંસ્થાઓ બુદ્ધિદરિદ્રતાનો ભોગ બની રહી છે. વિરોધ કરનારાઓને સતાવવામાં આવે છે. પ્રતિષ્ઠિત વિદ્વાનોને હટાવવામાં આવી રહ્યા છે.

ભારતમાં પાઠ્યપુસ્તકોનું પાકિસ્તાનીકરણ કરવું હોય તો બે ચીજ અનિવાર્ય છે. એક તો એવા લોકો શિક્ષણ સંસ્થાઓમાં હોવા જોઈએ જેઓ સંઘની શાખાઓમાં તૈયાર થયા હોય અને જેમનામાં સ્વતંત્ર રીતે વિચારવાની આવડત જ ન વિકસી હોય. એ લોકો વિદ્વાન ખરા પણ રોબો જેવા. ચાવી આપો એટલે શાખામાં સાંભળેલું બોલી દે. બધું જ સાંભળેલું હોય, વિચારેલું કંઈ જ ન હોય. હા, તેમની સ્મરણશક્તિને દાદ આપવી હોય તો બીજી વાત છે. બીજી લાયકાત બાળકના કુમળા મનમાં ઝેર રોપવા જેટલી નિદર્‍યતા હોવી જોઈએ. સંઘની શાખાઓમાં અનેક દીનાનાથ બાત્રાઓ તૈયાર થયા છે જેઓ આવી બન્ને લાયકાત ધરાવે છે. રાજસ્થાનમાં રોબોએ પાઠ્યપુસ્તકમાંથી જવાહરલાલ નેહરુનું પ્રકરણ હટાવી દીધું છે અને એ પણ ભારત માતા પરનું પ્રકરણ. કદાચ તેમને નેહરુનાં ભારત માતા મૅડમ જેવાં લાગ્યાં હશે. નેહરુનું પ્રકરણ હટાવવાથી નેહરુને કોઈ નુકસાન થવાનું નથી. જે નુકસાન થશે એ ભારતના આવતી કાલના નાગરિકોને થવાનું છે. પાઠ્યપુસ્તકો અને શિક્ષણ સંસ્થાઓમાંથી ઉદારમતવાદીઓને હટાવીને પાકિસ્તાને જેવી બે પેઢી પેદા કરી છે એવી સંઘ ભારતમાં પેદા કરવા માગે છે. સંઘનો આ ખતરનાક ખેલ છે અને આપણા વડા પ્રધાન જે-તે ઇવેન્ટ યોજીને પોતાની પબ્લિસિટીના ખેલ પાડવામાં મસ્ત છે.

આમ આવતી કાલના નાગરિકને ઘડવાનું કામ વડા પ્રધાને RSSને સોંપી દીધું છે અને સ્મૃિત ઈરાની સાથે મળીને સંઘ એ કામ પૂરી સક્રિયતાથી કરી રહ્યો છે. આ બાજુ વિકાસલક્ષી મંત્રાલયોએ બે વર્ષમાં કયું મોટું કામ કર્યું એ બતાવો કે આપણે આફરીન થઈ જઈએ? મોટા ભાગના પ્રધાનોમાં આવડત નથી અને જેમનામાં આવડત છે તેમને સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવતું નથી. આંતરરાષ્ટ્રીય સ્થિતિ અનુકૂળ હોવા છતાં કશું નોંધપાત્ર બનતું નથી. ભાવ ઘટતા નથી, બેરોજગારીમાં ઘટાડો થતો નથી. ઇન્ફ્રા-સ્ટ્રક્ચરમાં કોઈ નવા ઉપક્રમ હાથ ધરવામાં આવ્યા નથી, ખેડૂતો આત્મહત્યા કરતા અટક્યા નથી, મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવતું નથી, સંસદ ચાલતી નથી, ખરડાઓ પસાર થતા નથી. આના કરતાં તો અટલ બિહારી વાજપેયીએ અને પહેલી મુદત દરમ્યાન ડૉ. મનમોહન સિંહે વધારે મોટાં કામ કર્યા હતાં. હજી બે વરસ વીતવા છતાં જાણે કે દેશમાં નવી-નવી સરકાર આવી હોય એમ જાહેરાતો જ થઈ રહી છે. ્’મેક ઇન ઇન્ડિયા’, ‘સ્કિલ ઇન્ડિયા’ વગેરે હજી આજે પણ જાહેરાતના જ સ્તરે અટકેલી છે.

નીતિ આયોગ તો સૌથી મોટું ફારસ છે. મોટા ઉપાડે આયોજન પંચને વિખેરી નાખવામાં આવ્યું અને એની જગ્યાએ રચવામાં આવેલા નીતિ આયોગે શું કામ કરવાનું છે એ જ સ્પષ્ટ નથી. ‘નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ઑફ ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા’ આયોગ એ નીતિ આયોગનું પૂરું નામ છે. પહેલી વાત તો એ કે આ ઇન્સ્ટિટ્યુશન છે કે આયોગ છે? કમિશન અને ઇન્સ્ટિટ્યુશનમાં જમીન-આસમાનનો ફરક છે અને કદાચ એટલે જ નીતિ આયોગ નક્કી નથી કરી શકતું કે એણે કરવાનું શું છે? નીતિ આયોગ રચાયે ૧૫ મહિના વીતી ગયા છે, પરંતુ હજી વિઝન-ડૉક્યુમેન્ટની રાહ જોવાય છે જે આપણને કહે કે ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા કઈ રીતે કરવાનું છે. લોકો નીતિ આયોગને ભૂલી ગયા છે. જૂના આયોજન પંચના બૌદ્ધિક યોગદાન સાથે નીતિ આયોગની કોઈ તુલના જ થઈ શકે એમ નથી. આશ્ચર્ય એ છે કે આજે ૧૫ મહિના પછી પણ નીતિ આયોગની પૂરી રચના કરવામાં આવી નથી. નવાની નિર્મિતિ કર્યા વિના જૂનાને તોડવાથી કોઈ ફાયદો થતો નથી.

તો પ્રારંભમાં ચાર લક્ષણો કહ્યાં એમાંથી વડા પ્રધાન ઇલેક્શન મોડમાં મોટી વાતો કરે છે અને ફેકુની ઇમેજને વધારે મજબૂત બનાવી રહ્યા છે અને કન્હૈયાકુમારની ભાષામાં મનુસ્મૃિત ઈરાની RSSની સાથે મળીને ભારતનું પાકિસ્તાનીકરણ કરી રહ્યાં છે. જે પ્રશ્નો સહેજે હાથ ધરી શકાય એમ છે અને જે વડા પ્રધાનને સફળ વડા પ્રધાન સાબિત કરી શકે એમ છે એના પર ધ્યાન આપવામાં નથી આવતું. નરેન્દ્ર મોદીને સફળ વડા પ્રધાન બનાવનારા પ્રશ્નો હાથ ન ધરાતા હોય ત્યાં નરેન્દ્ર મોદીને મહાન વડા પ્રધાન તરીકે અમર કરનારા મુદ્દાઓ હાથ ધરવામાં ન આવે એ સ્વાભાવિક છે.

એક વાત યાદ રાખજો, આ દેશમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પછી અને કદાચ તેમના કરતાં પણ વધુ મહાન વડા પ્રધાન એ જ સાબિત થવાનો છે જે સિસ્ટમને હાથ લગાડવાની અને સુધારવાની હિંમત કરશે. 56ની છાતીની ખરી કસોટી ત્યાં થવાની છે. નરેન્દ્ર મોદીએ હજી સુધી તો એવી હિંમત બતાવી નથી અને જે પહેલાં બે વરસમાં ન બતાવી શકે એ પછીનાં ત્રણ વરસમાં બતાવી શકે એવી બહુ ઓછી શક્યતા છે. બીજું, આને માટે વિઝનની અને વિરોધીઓને પણ જીતવાની આવડત જોઈએ જે નરેન્દ્ર મોદીમાં નથી એ દિલ્હી, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં અને એ ઉપરાંત સંસદમાં સાબિત થઈ ગયું છે. ખરું પૂછો તો નરેન્દ્ર મોદીની ત્રીજી એક ઇમેજ સરમુખત્યારની છે.

ટૂંકમાં, હરખાવા જેવું તો કંઈ જ નથી. ઊલટું સંઘ દ્વારા પાછલા બારણેથી ફાસિસ્ટ એજન્ડા લાગુ કરવામાં આવતો હોવાથી ચિંતાજનક સ્થિતિ છે. જાણીબૂજીને સમાજમાં તિરાડો પાડવામાં આવશે અને અથડામણનું રાજકારણ અપનાવવામાં આવશે; કારણ કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત જેવાં નિર્ણાયક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લડવાની છે. ૨૦૧૭નું વર્ષ દેશ માટે અને નરેન્દ્ર મોદી માટે નિર્ણાયક નીવડવાનું છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 08 મે 2016 તેમ જ 15 મે 2016

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-08052016-7

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-15052016-12

Loading

...102030...3,6573,6583,6593,660...3,6703,6803,690...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved