Opinion Magazine
Number of visits: 9690616
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મ એક, પથ બે, વાડા અનેક

આશા બૂચ|Opinion - Opinion|19 March 2016

સદીઓથી, અરે, હજારો વર્ષથી લોકો પોતપોતાના જીવન વ્યવહારમાં ગૂંથાયેલાં રહેતાં. સહુને પોતાની ફરજો હતી, અધિકાર હતા અને ભાગે પડતાં સુખ દુ:ખ માણતાં મોટા ભાગની પ્રજા આરામથી જીવ્યે જતી હતી. આ તમે કયા ધર્મના, તમે કેવા (એટલે કે કઈ જ્ઞાતિના), કયા દેશના નાગરિક, મૂળ ક્યાંથી આવ્યા, તમારો દરજ્જો કયો એવા પ્રશ્નો પહેલાં કોઈએ ક્યાં ય પૂછ્યાનું ઓસાણ નથી.

વસતી ગણતરી થાય કે પાસપોર્ટ જેવા મહત્ત્વના દસ્તાવેજ લેવાના હોય ત્યારે અમુક માહિતીઓ એકઠી કરવી અત્યંત જરૂરી છે અને એની સામે વાંધો નથી. પરંતુ આજે તો ડોક્ટર પાસે સારવાર લેવા જાઓ, હોસ્પિટલમાં દાખલ કરે, કોઈ તાલીમ લેવા કે કોઈ પરિષદમાં હાજરી આપો, સાંસ્કૃિતક કાર્યક્રમ જોવા જાઓ, વિદેશ ફરવા જાઓ, અરે, કાર કે ઘર જેવી મોટી મિલકત ખરીદો કે તરત તમારા હાથમાં એક ‘સર્વે’ પકડાવી દેવામાં આવે છે, જેમાં ઉપર કહી તે તમામ વિગતો પૂછવામાં આવે છે. તે ક્યારેક જે તે કાર્ય માટે સુસંગત નથી હોતી. અને કારણ અપાય છે, ‘સમાન અધિકાર અને તકો મળી રહે તે માટે’. આ સાંભળીને હસવું કે રડવું એમ થાય. જો ડગલે ને પગલે દરેક માણસની બધી વિગતો મેળવી લેવાય છે તો હવે શાની આટલી બધી અસમાનતા, અન્યાય અને અધિકાર વંચના ચાલી રહી છે, કોઈ તો સમજાવે ભલા!

તમે કયા ધર્મના, કઈ જ્ઞાતિના એમ પૂછાય, કહેવાય, એકબીજા પ્રત્યે અણગમો અને નફરત કેળવાય, તેનો વાણી-વર્તનમાં પડઘો પડે. લોકો બુલંદ અવાજે ‘અન્ય’ ગણાતી પ્રજા સામે પોતાનો વિરોધ નોંધાવે, લડાઈ કરે, મારા મારી થાય, ખૂન કરે, આતંક ફેલાવે, સરકાર એ બધું ડામવા તેમની સામે લડાઈ જાહેર કરે. આમ ચારે તરફ બૂમરાણ મચી રહ્યું છે. મારો-કાપો, ભાગો-કાઢી મૂકો, જેલમાં પૂરો, શીરચ્છેદ કરો. આ અને આના જેવાં કેટલાં ય ઘૃણિત કૃત્યો રોજ બરોજ બને છે. પૃથ્વી જાણે લોહીલુહાણ થઈ ગઈ છે. બધી બાજુથી આવા એક નહીં ને બીજી ઓળખ માગતા પ્રશ્નોની ઝડી વરસે અને વચ્ચે પેલો ‘માનવ’ સાત કોઠામાં ખોવાયેલ અભિમન્યુની જેમ મોતના મોમાં ધકેલાઈ જાય છે. હવે તો ભારે ગુંગળામણ થાય છે. આઠેય દિશાઓમાંથી જાણે Religion (ધર્મ) અને Faith(ધર્મનો પર્યાય જ તો વળી)નાં ગાણાં ગવાય છે. દિલ દિમાગ આ બલામાંથી છૂટવા એક શાંત જગ્યાએ જઈને મનન કરવા પ્રેરાયું. તે વિચાર વલોણાંમાંથી જે સાર નીકળ્યો એ વાચકો સાથે વહેંચવા બેઠી છું.

માનવ આમ તો પશુ યોનિનો જ ભાગ છે. દરેક પ્રકારનાં પ્રાણીઓની ફરજ (એટલે કે ધર્મ) શ્વસન કરવું, પોષણ લેવું, ભોજક પ્રાણીઓના આક્રમણથી બચાવ કરવો અને બીજી પેઢીને જન્મ આપવો એ જ છે. માનવ એ યોનિમાં સર્વોચ્ચ સ્થાને છે એટલે તેના ઉત્પત્તિ કાળથી તેનો ધર્મ (એટલે કે ફરજ) અન્ય પ્રાણીઓ કરતાં જુદો હોવાનો કેમ કે તેને સર્જનહાર તરફથી બુદ્ધિ અને ભાષા જેવાં અનોખાં તંત્રો મળ્યાં. આથી જ ઉપલી ચાર ફરજો ઉપરાંત એક માનવીનો ધર્મ સ્વતંત્ર રીતે સારાસારનો વિચાર કરવાનો, પોતાના ઉપરાંત અન્યનો કોઈ પણ પ્રકારના જોખમો સામે બચાવ કરવાનો, પરસ્પરની સ્વતંત્રતા જાળવવાનો, દયા અને કરુણાના ભાવોને વિકસાવીને એક સુગઠિત સમાજ બનાવવાનો રહે છે. કોઈ પણ પ્રકારના સંશોધન અને પ્રગતિ પાછળ તેના મનમાં માનવ હિત સતત જળવાતું હશે. અને તેને જ આપણે માનવ ધર્મ તરીકે ઓળખીએ છીએ. આથી એમ ધારવાનું સુગમ પડે કે માનવની ઉત્ત્પત્તિ સમયે માત્ર આવો એક માનવ ધર્મ જ અસ્તિત્વમાં હશે.

જેમ જેમ માનવોની સંખ્યામાં વધારો થયો અને ધરતીના જુદા જુદા પડો પર નાના સમૂહોમાં રહેવા લાગ્યો તેમ તેમ તેણે આ માનવ ધર્મના સ્થાનક સુધી પહોંચવા જુદા માર્ગ લીધા. એ બે મુખ્ય પથને આપણે જ્યુડાઈઝમ અને સનાતન ધર્મ તરીકે ઓળખતા થયા. સનાતન ધર્મ આગળ જતાં હિંદુ ધર્મ તરીકે પ્રચલિત થયો એમ કહેવાય. હવે એ બે પથ ઉપર ચાલતાં ચાલતાં મારગમાં પથિકો વચ્ચે હું મોટો, તું નાનો, ઈશ્વરને ખુશ કરવા અમુક ક્રિયાકાંડ જરૂરી, તે માટેનું જ્ઞાન હું લઉં, તારે માટે તે નિષિદ્ધ કરું વગેરે વિતંડાવાદ ઊભા થયા. આથી કરીને જુઇશ ધર્મની છાયામાં ખ્રિસ્તી ધર્મ ઉદ્ભવ્યો અને આગળ જતાં તેના મોટા ભાગના સિદ્ધાંતોને માન્ય રાખી, થોડો ફેરફાર કરીને ઇસ્લામ પેદા થયો. એવી જ રીતે પૂર્વ દેશોમાં હિંદુ પથ પર બેહિસાબ વધેલા રૂઢિગત રિવાજો, ક્રિયાકાંડ અને ભેદાભેદ યુક્ત અન્યાયી વ્યવસ્થાને પરિણામે એ ધોરી રસ્તાને કાંઠેથી બૌદ્ધ, જૈન અને સીખ ધર્મો કાળક્રમે ઉદ્દભવ્યા. પહેલા ત્રણ ધર્મો ‘એબ્રાહમિક ફેઈથ’ તરીકે અને બાકીના ચાર ‘ધાર્મિક ફેઈથ’ તરીકે ઓળખાવા લાગ્યા. હવે મજાની વાત તો એ છે કે પેલા બે મુખ્ય પથ ખરું જોતાં માનવ જાતને તેના માનવ ધર્મ ભણી દોરીને લઈ જવાના હેતુથી જ ઉદ્દભવેલા, પણ કાશીએ જતો સંઘ જેમ વાટમાં આવેલ જંગલ ઝાડીમાં અટવાઈ જાય તેમ આપણે ધાર્મિક પથ પર ચાલીને ઉત્તમ માનવ બનવાને બદલે પરસ્પર કરતાં પોતાને ચડિયાતા અને અન્યને ઉતરતા સાબિત કરવાની હોડમાં પથને જ ગંતવ્ય સ્થાન માનીને આડા અવળા નાના નાના વાડાઓમાં, કહોને કે પેટા ધર્મો કે પંથોમાં વિખેરાઈ ગયા.

એક શહેરથી બીજા શહેર પહોંચવા કોઈ ધોરી માર્ગ પસંદ કરે, કોઈ નાના રસ્તે જાય તો કોઈ સાંકડી કેડીઓ પર પ્રવાસ કરે. એ વિષે કોઈને કોઈ પ્રકારનો વાંધો ન હોઈ શકે. મૂળ વાત પોતાના ધારેલ સ્થળે ભલે વહેલા મોડા પણ પહોંચવાનું છે. માનવીએ ઉત્તમ માનવ બનવા માનવ ધર્મની વિભાવના ઘડી કાઢી, પછી તમે મૂળ જુઇશ અને સનાતન ધર્મ નામના બે મુખ્ય ધોરી માર્ગે ચાલો કે તેમાંથી ફંટાયેલા અન્ય ચાર-છ નાના રસ્તાઓ પકડો કે પછી ભલે તેની ય નાની નાની શાખાઓ સમાન પંથને અનુસરો. જો આખર તમે એક ઉત્તમ માનવ તરીકે જીવો અને બીજાને જીવવા દો તો તમે સ્વીકારેલ રસ્તાઓ વિષે કોઈ તકરાર નથી અને સાથે સાથે જો અમારી સાથે અમારા જ માર્ગ પર ચાલતા હો અને ઉત્તમ માનવી તરીકે વિચારીને વર્તવાની ગુંજાઈશ ન હોય તો બહેતર છે માનવ જમાતનું સભ્યપદ મેળવવા યોગ્ય તાલીમ લેવી. આખર દરેક સંસ્કૃિત, તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિક મૂલ્યો એક જ સંદેશ કહો કે ઉપદેશ જે કહો તે આપે છે. તો પછી આ નાહકની જીભાજોડી, તકરાર, સંઘર્ષ, યુદ્ધ અને માનવ સંહાર શાને માટે?

દુનિયા આખીમાં પ્રસરી રહેલ સંકુચિતતા અને અસહિષ્ણુતાની અસર ભારત પર પણ જોરદાર પડી રહી છે. નાની નાની બાબતો પર નાના બાળકોની માફક તકરાર થાય અને MLA હોય કે વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી, પોતાના ધ્યેયને અનુસરવાને બદલે અર્થહીન દલીલબાજીમાં ઉતરી પડીને સમય બરબાદ કરે છે જેની સાથે સમાજનું પોત પણ પાતળું થતું જાય છે. સાંપ્રત રાજ્કારણીઓ અને ધર્મ ગુરુઓએ અકબરની જેમ ધર્મનું આજના સમાજમાં શું કર્તવ્ય-સ્થાન છે તે ચકાસચાનો સમય પાકી ગયો છે. સમ્રાટ અકબરે સેક્યુલર એટલે કે ધર્મ નિરપેક્ષ રાજ્ય રચવા એવું તારણ કાઢેલું કે કોઈ વ્યક્તિના જીવનમાં ધર્મને નામે દખલગીરી ન કરવી અને દરેક માણસ પોતાને પસંદ પડે, સુખ આપે એ ધર્મમાં શ્રદ્ધા ધરાવે એ માન્ય રાખવું જોઈએ. કેવો ઉદાર મત ધરાવતો એ વિચાર હતો? આજે આ નીતિની પુન:સ્થાપનની તાતી જરૂર છે. ધર્મની બાદબાકી કરવાથી અને સમાજજીવનમાં તેની ગેરહાજરીથી તો પશુતા જન્મી એના પુરાવાઓ સમયાંતરે મળતા રહ્યા. અકબર હંમેશ તર્કની શોધમાં રહેતા, તેઓ રીત-રીવાજોના બંધનમાં ફસાવા નહોતા માંગતા. તેમનો હંમેશ એવો પ્રયત્ન રહ્યો કે નીતિમત્તા પર ધર્મનું પ્રભુત્વ ઘટાડીને વિશ્લેષ્ણાત્મક તાર્કિક કાર્યકારણની દોરવણીથી જીવન અને રાજ્ય કારભાર કરવો નહીં કે માત્ર પરંપરા પાછળ ખેંચાવું.

આજે જયારે માનવી સફેદ, લીલા, ભગવા કે કાળા રંગોના ધ્વજ નીચે ઢંકાઈ રહ્યો છે ત્યારે ધર્મને દરેક વ્યક્તિની પસંદગી પર છોડીને તેને પોતાની રીતે માનવ ધર્મ તરફ ગતિ-પ્રગત્તિ કરવાની મોકળાશ આપવી હિતકારી છે. ધર્મને રાજકારણ, વેપાર, શિક્ષણ વગેરેમાંથી અળગું કરીએ તો કોમી એખલાસ સ્થપાય. ગાંધીજીએ કહેલું: “રાજકારણમાં ધર્મ લાવો ધર્મમાં રાજકારણ નહીં।” ‘ધર્મ’ શબ્દની વ્યખ્યા તેના ઉદ્દભવ સમયે હતી તે એટલે કે માનવ તરીકેની ઉત્તમ માનવ બનવાની ફરજ એ સમજી સ્વીકારીને શીખવવી રહી. દુનિયાના દરેક શાસક વર્ગે એક સૂરે કહેવાની જરૂર છે કે અમારા દેશમાં દરેકને પોપોતાનો ધર્મ પાળવાની છૂટ છે જ્યાં સુધી એ માનવ ધર્મની પરિસીમામાં હોય અને અન્યને પણ માનવ તરીકે જીવવાનો અધિકાર બક્ષતો હોય.

e.mail : 71abuch@gmail.com

Loading

ભારત માતા કી જયનો વિવાદ : બેવકૂફી અને મરજાદ તોડાવવાની વિકૃતિનો આ મામલો છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|18 March 2016

હિન્દુત્વવાદીઓ જાણે છે કે ધાર્મિક મુસલમાનને મરજાદ નડે છે એટલે તે ભારત માતા કી જય બોલવાનો નથી. તેઓ આગ્રહ ભારત માતા કી જયનો જ રાખશે. ભારત દેશ ઝિંદાબાદ, મેરા ભારત મહાન, ભારત દેશ અમર રહે કે એવાં બીજાં કોઈ દેશભક્તિનાં સૂત્રો તેમને સ્વીકાર્ય નથી

વિકૃત રાજકારણ : મારા ગળા પર છરી મૂકશો તો પણ હું ભારત માતા કી જય નહીં બોલું એવા ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન નામના પક્ષના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કરેલા વિધાનનો ગઈ કાલે [17.03.2016] થાણેમાં વિરોધ કરી રહેલા શિવસંગ્રામ નામની પાર્ટીના સભ્યો.



ભારતમાં મુસલમાનો એક કમનસીબ પ્રજા છે. તેમની કમનસીબી નેતૃત્વના અભાવની છે. ખાસ કરીને આઝાદી પછી ભણેલા-ગણેલા મુસ્લિમ નેતાઓ પાકિસ્તાન જતા રહ્યા હતા અને ભારતીય મુસલમાનોને જુનવાણી અને ધર્મઝનૂની મુલ્લાઓના હવાલે કરતા ગયા હતા. જેઓ ભણેલા-ગણેલા હતા એવા નેતાઓ બહુ દૂરંદેશી ધરાવતા હતા એવું નથી. જો દૂરંદેશી હોત તો ભારતનું વિભાજન જ ન થયું હોત અને અત્યારે ભારતીય ઉપખંડના મુસલમાનો ત્રણ દેશમાં વહેંચાયેલા છે એ વહેંચાયેલા ન હોત. આવો પોતાના પગ પર કુહાડો મારનારો નિર્ણય ભણેલા-ગણેલા મુસલમાનોએ લીધો હતો. આ ઉપરાંત મુસલમાનો અનેક ફિરકાઓમાં વહેંચાયેલા છે એ વધારામાં.

મુસલમાન મુસલમાન છે એ તેની પહેલી ઓળખ છે તો મુસલમાન કોઈ દેશનો નાગરિક છે એ તેની બીજી ઓળખ છે. આવી બીજી પણ એક ડઝન ઓળખ હોવાની. આ જગતમાં કોઈ વ્યક્તિ કેવળ એક ઓળખ લઈને નથી જીવતી. આજના યુગમાં માણસે બહુવિધ ઓળખ સાથે જીવતા શીખવું જોઈએ. હિન્દુઓએ પણ આઝાદી પહેલાં કૉન્ગ્રેસની જગ્યાએ હિન્દુત્વવાદીઓની આંગળી પકડી હોત તો હિન્દુઓની પણ એ જ દશા થઈ હોત જે ભારતીય ઉપખંડના મુસલમાનોની થઈ છે. હિન્દુત્વવાદીઓ પણ એક પ્રબળ હિન્દુ ઓળખનો આગ્રહ રાખે છે.

વન્દે માતરમ અને ભારત માતાની જય એ હિન્દુત્વવાદીઓનો ઓળખનો આગ્રહ છે. આ આગ્રહ એટલા માટે છે કે એ દ્વારા મુસલમાનોને મૂંઝવી શકાય છે. કોઈ માણસ ચિડાતો હોય તો તેને ચિડાવવામાં વિકૃત આનંદ આવે છે. કોઈ માણસની કોઈ દુખતી નસ હાથ લાગે તો એને મોકો મળ્યે દબાવવામાં વિકૃત આનંદ આવે છે. કોઈ માણસ મરજાદી હોય તો તેની મરજાદ તોડાવવામાં વિકૃત આનંદ આવે છે.

બસ, કેટલાક મુસલમાનો સાથે આવું જ થઈ રહ્યું છે. મુસલમાને અલ્લાહ સિવાય કોઈની ઇબાદત (પ્રાર્થના-જયજયકાર) કરવી નહીં એવો કુરાનમાં આદેશ છે. કોઈ એટલે કોઈની પણ નહીં. આની પાછળનો મૂળ ઇરાદો એવો હતો કે અલ્લાહના નામે ધતિંગ કરનારા લોકોને કે ધર્મના ઠેકેદારોને ખાળી શકાય જેથી કોઈ મુસલમાનોનું ધાર્મિક શોષણ ન કરી શકે. ખુદા અને બંદા વચ્ચે કોઈ હોય જ નહીં તો ધતિંગ કેવી રીતે કરી શકે. જો કોઈ અલ્લાહની બરાબરી કરે તો તેને શિર્ક તરીકે ઓળખાવવામાં આવે છે જે ઇસ્લામમાં મોટો ગુનો છે. મૂળ ઉદ્દેશ તો સારો હતો, પરંતુ ધર્મઝનૂનીઓ ગમે એવા સારા ઉદ્દેશનો પોપટપાઠ કરીને અને એનું આંધળું અનુકરણ કરીને એને મારી નાખે છે. અલ્લાહની બરાબરી કરવાની ચેષ્ટા માણસ કરી શકે. શિર્ક એ માણસ માટે વાપરવામાં આવતો શબ્દ છે. જેમ કે અહમદિયા પંથના સ્થાપક મિર્ઝા ગુલામ અહમદ ચુસ્ત મુસલમાનોની દ્રષ્ટિએ શિર્ક છે. મિર્ઝા ગુલામ અહમદ પોતાને મેહદી અને અવતાર તરીકે ઓળખાવતા હતા. એટલે તો કેટલાક મુસલમાનો અહમદિયા મુસલમાનોને મુસલમાન નથી માનતા.

આમ માણસ ખુદાની બરાબરી કરવાની ચેષ્ટા કરે એ સમજી શકાય છે, પરંતુ ભૂમિ ક્યાં આવી કોઈ ચેષ્ટા કરે છે? આપણો જ્યાં જન્મ થયો હોય એ ભૂમિ આપણને વહાલી હોય છે જેમ જન્મ આપનાર મા વહાલી હોય છે. કોઈને વહાલ કરવું અને કોઈનું ઋણ સ્વીકારવું એ સ્વાભાવિક માનવીય વૃત્તિ છે. આમાં ધાર્મિક બંધનો ક્યાં આડાં આવ્યાં? પરંતુ બાબા વાક્યમ્ પ્રમાણમ્. કુરાનમાં કહ્યું છે કે ખુદા સિવાય કોઈની ઇબાદત કરવાની નહીં અને કોઈનો જયકાર કરવાનો નહીં એટલે નહીં કરવાનો. એટલે તો ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના નેતા ઓવૈસીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મારા ગળા પર છરી મૂકશે તો પણ હું ભારત માતા કી જય નહીં બોલું.

આ મરજાદ છે અને આગળ કહ્યું એમ કોઈની મરજાદ તોડાવવામાં વિકૃત આનંદ આવતો હોય છે. તમારામાંથી ઘણાએ બાળપણમાં અણસમજમાં મરજાદીઓને સતાવ્યા હશે. મરજાદીએ બીજી વાર નહાવા જવું પડે એ જોઈને આનંદ આવતો હતો. મોટા થયા પછી એટલું તો સમજાયું હશે કે મરજાદીની મરજાદ તોડાવવી એમાં માણસાઈ નથી. હું અને તમે ઉંમર સાથે સંસ્કારી થયા છીએ અને વિવેકી બન્યા છીએ, પરંતુ હિન્દુત્વવાદીઓ તો વિકૃત ઉપરાંત કોમવાદી પણ છે. તેમનો કોમવાદી રાજકીય એજન્ડા છે. તેઓ જાણે છે કે ધાર્મિક મુસલમાનને મરજાદ નડે છે એટલે તે ભારત માતા કી જય બોલવાનો નથી. તેઓ આગ્રહ પણ ભારત માતા કી જયનો જ રાખશે. ભારત દેશ ઝિંદાબાદ, મેરા ભારત મહાન, ભારત દેશ અમર રહે કે એવાં બીજાં કોઈ દેશભક્તિનાં સૂત્રો તેમને સ્વીકાર્ય નથી. મરજાદી વૈષ્ણવ પાસે જય જય શિવ શંકર બોલાવવા જેવી જ આ વિકૃતિ છે.

એટલે તો હિન્દુત્વવાદીઓ જન મન ગણની જગ્યાએ વન્દે માતરમને રાષ્ટ્રગીત બનાવવા માગે છે. તેમને વન્દે માતરમ માટે કોઈ વિશેષ પ્રેમ છે એવું નથી. શુદ્ધ સંસ્કૃતમાં લખાયેલું એ ગીત તેમને સમજાતું હશે કે કેમ એ પણ સવાલ છે. તેમનો ઇરાદો મુસલમાનોને મૂંઝવવાનો છે. તેમને જાણ છે કે મરજાદી મુસલમાન વન્દે માતરમ બોલવાનો નથી એટલે તેને સહેજે રાષ્ટ્રદ્રોહી ઠરાવી શકાશે. પેલો મુસલમાન બાપડો બે હાથ જોડીને કહે કે ભાઈ, તમે કહો એ દેશભક્તિનું સૂત્ર બોલી બતાવું, પણ ભારત માતા કી જયનો આગ્રહ છોડો તો હિન્દુત્વવાદીઓ એવો આગ્રહ છોડવાના નથી. તેઓ પોતાની શરતે મરજાદી મુસલમાનની પરીક્ષા લઈને દેશપ્રેમમાં મુસલમાનને નાપાસ કરવા માગે છે.

આ વિકૃત રાજકારણ છે અને એમાં આગળ કહ્યું એમ મુસ્લિમ નેતૃત્વ નાદાર છે. વતનપરસ્તીમાં ખુદાની બરાબરી ક્યાં આવી કે તમે આટલા છેડાઓ છો. આગળ કહ્યું એમ માણસ શિર્ક થવાનો પ્રયાસ કરે, ભૂમિ ક્યાં શિર્ક બનીને ખુદાની સામે ઊભી રહેવાની છે? પણ આ વાત મુસલમાનોને સમજાવે કોણ? નેતૃત્વ નાદાર છે અને મુસલમાનો મૌલવીઓની કેદમાં છે.

http://www.gujaratimidday.com/features/columns/bharat-mata-ki-jai-controversy-2

સૌજન્ય : ‘કારણ-તારણ ‘ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 18 માર્ચ 2016

Loading

અનુવાદકોને પોતાનાં મૂલ્યને ઓળખવા-ઓળખાવવાનો સમય પાકી ગયો છે

રૂપાલી બર્ક|Opinion - Literature|17 March 2016

એક ભાષામાંથી બીજી ભાષામાં સાહિત્ય સહિત તમામ જ્ઞાનશાખાઓ વચ્ચે આદાન-પ્રદાનને અનુવાદ થકી માનવસંસ્કૃિતને સમૃદ્ધ બનાવવાનું અતિ મહત્ત્વનું અને અતિ કઠિન કર્મ અનુવાદકો સદીઓથી ખૂબ ખંતપૂર્વક કરતા આવ્યા છે. આ તમામ પ્રક્રિયામાં અનુવાદકો એક ભાષામાં કેદ/સીમિત ગ્રંથને આઝાદ કરી બીજી ભાષામાં તેનું પુનરુત્થાન કરે છે. આમ, અનુવાદ ભાષાસમાજો અને સંસ્કૃિતઓ વચ્ચેનો અમૂલ્ય સેતુ છે અને અનુવાદકો એ સેતુને બાંધવાનું ભગીરથ કાર્ય કરે છે. કોઈ પણ દેશ/પ્રદેશ પોતાનો ઇતિહાસ તપાસશે, તો આ બાબત પુરવાર થયા વિના નહીં રહે. અનુવાદોના પરિણામે માનસિક ક્ષિતિજોનો ઉઘાડ થાય છે, પોતાના સિવાયના સમાજોમાં કેવું સાહિત્ય/જ્ઞાન સર્જાય છે, તે જાણવા મળે છે અને સૌથી અગત્યનું કે પોતાના સમાજના સાહિત્ય/જ્ઞાનવારસાને બીજા સુધી પહોંચાડી શકાય છે. બીજા ભાષાસમાજોમાંથી પોતાના ભાષાસમાજમાં અને પોતાના ભાષાસમાજમાંથી અન્ય ભાષાસમાજ વચ્ચેના અનુવાદોની માત્રા થકી જે-તે ભાષાસમાજનું આદાન-પ્રદાન કરવાનું વલણ માપી શકાય છે.

અનુવાદનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે અને તેના અનેક પ્રકારો/શાખાઓ છે. મુખ્યત્વે અનુવાદ બે ભાગમાં વહેંચી શકાય : સાહિત્યિક અને બિનસાહિત્યિક. વળી, બન્નેમાં કેટલા ય પેટા વિભાગો છે, જે મુજબ અલગ-અલગ પ્રકારની સંવેદનશીલતા અને સજ્જતાની જરૂર પડે છે. સાહિત્યિક અનુવાદમાં કવિતાનો અનુવાદ વાર્તાના અનુવાદ કરતાં જુદી કુશળતા માગી લે છે. બિનસાહિત્યિક અનુવાદમાં સમાજશાસ્ત્રના પુસ્તક માટે જોઈએ, એના કરતાં જુદી સજ્જતા કાનૂની પુસ્તકના અનુવાદ માટે જરૂરી હોય છે. આ વાત લોકોને સમજાતી નથી, એટલે જાણે કે તમે ‘અનુવાદક’ છો, તો કુંડલિનીને લગતાં પુસ્તકનો અનુવાદ કરી આપવાનું કહે પણ સમજે નહીં કે આવું પુસ્તક હાથમાં લેતાં અનુવાદક યા તો બિનસાહિત્યિક અનુવાદ કરતા જ ના હોય અથવા આવા વિષયના જાણકાર ના હોય અને સૌથી મહત્ત્વનું કે એમને આવા વિષયમાં રુચિ ના હોય.

વળી, આ તો અનુવાદક્ષેત્રને લગતી ગુજરાતમાં છવાયેલી અજ્ઞાનતાની હિમશીલાની ટોચ જેટલી જ ઝલક માત્ર છે. અનુવાદ વિશે જોઈએ તેટલી જાગૃતિ ગુજરાતમાં પ્રવર્તતી નથી. અને ના તો આ વ્યાવસાયિક નિપુણતાની કદર છે. આ વિશે વિગતવાર લખવા બેસીએ, તો પુસ્તકોનાં પુસ્તકો લખાય. પ્રસ્તુત લેખનો હેતુ, ખાસ કરીને ગુજરાતમાં થતી અનુવાદકોની અવહેલના વિશે વાત કરવાનો છે.

હાડકાંની બીમારી હોય, તો આંખના સ્પેશ્યાલિસ્ટ પાસે ના જવાય એવું સમજાય પણ અનુવાદકોમાં પણ એવું હોય એ વાત ગળે ના ઊતરે.  અને અનુવાદકને નાણાં ચૂકવવા જોઈએ, ચૂકવવા પડે, એની તો વાત જ ક્યાં? વકીલ પાસે કે ડૉક્ટર પાસે ‘ઍપોઇન્ટમૅન્ટ’ લીધા વગર કે ‘ચાર્જ’ ચૂકવ્યા વગર જેમ જવાનો વિચાર પણ ન કરાય એમ અનુવાદક પણ વ્યાવસાયિક છે, તે યાદ રાખવું જોઈએ. અુનવાદકોનો એક આખો વર્ગ એવો છે (કમર્શિયલ અનુવાદકો) જે સંપૂર્ણપણે વ્યાપારી ધોરણે કાર્ય કરે છે અને નાણાંની ચોખ્ખી વાત, એડવાન્સ પૅમેન્ટ સહિત, કર્યા સિવાય કામ હાથમાં લેતા નથી. એવા પણ અનુવાદકો છે, જે કોઈને પુસ્તક કે થીસિસ નાણાં લઈને (‘ઘોસ્ટ ટ્રાન્સલેટર’) અનુવાદ કરી આપતા હોય છે પણ એ અનુવાદકોની જમાત સાવ જુદી છે. આવા અનુવાદકો માટે અંગત રુચિ કે નૈતિક સિદ્ધાંત કે આવા અનુવાદથી સમાજને થતાં સામાજિક-સાંસ્કૃિતક લાભ કે નુકસાન જેવી બાબતો ગૌણ હોય છે.

ગંભીર અથવા તો સાચા અને સારા અનુવાદો સંદર્ભે આપણે જાણીએ જ છીએ કે ગુજરાતમાં જરૂરી પ્રોત્સાહન મળે તેવા પ્રયત્ન હજુ થવાના બાકી છે. જે થાય છે તે છૂટાછવાયા પ્રયાસો છે અને વ્યક્તિગત ધોરણે થાય છે. સંસ્થાકીય ધોરણે ખાસ કંઈ થતું નથી. આ ક્ષેત્રમાં એટલી તો આંટીઘૂંટીઓ છે કે ના પૂછો વાત. લેખકો કરતાં અનુવાદકો ઊતરતા, અનુવાદ કરવો એ બચ્ચાંનો ખેલ છે, અનુવાદકોને ક્યાં કોઈ મહેનત પડે છે? અનુદિત પુસ્તકના મુખપૃષ્ઠ પરથી, પુસ્તક-વિમોચનના કાર્યક્રમની આમંત્રણ-પત્રિકા તથા કાર્યક્રમ દરમિયાન અનુવાદકોનાં નામની બાદબાકી એ જાણીબુઝીને કરવામાં આવતું અનુવાદકનું શોષણ, હાંસિયાકરણ નથી, તો શું છે? અચાનક કોઈ પરિચિત કે અપરિચિત લેખકનો ફોન આવે અને સમય છે કે નહીં, ઇચ્છા છે કે નહીં, એની દરકાર કર્યા વગર (નાણાકીય વ્યવહારનો તો ઉલ્લેખમાત્ર નહિ) તમે એમના પગારદાર હોવ એવા ઠસ્સાથી એકાદ વાર્તા કે બે-પાંચ કવિતા કે એકાદ એકાંકીનો અને ક્યારેક તો આખા સંગ્રહનો અનુવાદ કરી નાંખવાનું કહી દે. ત્યાર બાદ કૃતિ પ્રકાશિત થાય, તો જણાવે પણ નહીં, નકલ આપવાનો તો વિવેક જ નહીં. એવા પણ કિસ્સા બન્યા છે, જ્યારે કવિના નામ સાથે એ નામ ઘેર-ઘેર બોલાતું નામ છે, એવી નોંધ હોય ને અનુવાદક તરીકે મારું નામ ગાયબ હોય! બચાવમાં લેખક મહાશય દલીલ એવી કરે કે અનુવાદકનું નામ લખીને મોકલાવેલું પણ શું ખબર કેમ છપાયું નહીં. મારી ભૂલ એટલી કે ફલાણા રાજ્યના એક સામયિકમાં મોકલવા અંગ્રેજી અનુવાદ જોઈએ છે તો કરી આપોને એવી લેખક મહાશયની માંગણીને સાવ સાલસતા અને સજ્જનતાથી સ્વીકારતા પહેલાં જરૂરી તકેદારી લીધી ન હોય. અનુવાદક તરીકેના બે દાયકા ઉપરનાં મારા કાર્ય દરમિયાન આ મારો જાતઅનુભવ રહેલો છે, તેથી આવી ચેષ્ટાઓના પુરાવા પણ છે. કહેવાતા સુસંસ્કૃત સમાજ અને સાહિત્યજગત તરફથી આવા અનેક દુઃખદ અનુભવો થવાને કારણે નર્યા સેવાભાવથી અનુવાદ કરી આપવાની ઇચ્છા જાણે મૂર્ખતા લાગે છે.

હાલ ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ માટે સાહિત્યિક અનુવાદોનું સંપાદન કરતા સુશ્રી મીની ક્રિષ્નન (સંપાદનકાર્ય ઉપરાંત દાયકાઓથી તેઓ અનુવાદ અને અનુવાદકોને લગતાં વિવિધ નૈતિક, કાનૂની, સાંસ્કૃિતક, વગેરે પાસાંઓ/સમસ્યાઓ/જોખમો અંગે મોટા ભાગે ‘ધ હિન્દુ’માં એકધાર્યું લખીને વાચકો, લેખકો, પ્રકાશકો, સાહિત્યિક સંસ્થાઓને શિક્ષિત-દીક્ષિત કરવાનું અજોડ કાર્ય કરી રહ્યાં છે.) એમના એક લેખમાંથી નીચે આપેલાં મારા અનુવાદ દ્વારા સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં પરિસ્થિતિ આથી જુદી નથી :

“બહુ પૈસા ના લેતા હોય એવા કોઈ અનુવાદકને જાણો છો? કામ બહુ નથી . . . માત્ર ૫૦ પાનાં છે. મારે ત્રણ દિવસમાં જોઈએ છે.” અવાજમાં બેદરકારી, ઊડતી હવા જેવી દરખાસ્ત, ‘જૉબ-વર્ક’ હાથમાં લેતાં અનુવાદકને પડનારા અથાગ શ્રમ પ્રત્યે લગીરે ય માન કે દરકાર વિના. કારણ કે આ કાર્યને આ રીતે જોવાય છે. ભલે તે સાહિત્ય કે કવિતા ન હોય, માનવજાતે શોધેલા સૌથી થકવી દેનારા વ્યાયામમાંનું એક છે, જેમાં મગજના એક ભાગમાંથી બીજા ભાગમાં ઊર્જા-સ્થળાંતરનો ઉતાર-ચઢાવ એમાં થતો હોય છે. અજ્ઞાનતા પર આધારિત આ માનભંગનો અંત આણવા હું કટિબદ્ધ છું.”

૨૪મી ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ અનુવાદક તરીકે મને થયેલા એક માઠા અનુભવે છેવટે મારી આંખ ખોલી નાખી અને મને કડવું સત્ય સમજાયું છે કે સાંપ્રત સંજોગોમાં અનુવાદકો પોતાનું મૂલ્ય નહીં કરે, પોતાના હક પ્રત્યે સભાન નહીં રહે, વ્યવહારું નહીં બને, તો અનુવાદક દાક્ષિણ્ય ન ધરાવતા સમાજમાં અવહેલના જ વહોરવાની આવશે. પણ સૌથી અગત્યની બાબત કે ગાંધીજીએ કહ્યું છે તેમ – વિશ્વમાં જે બદલાવ આપણે ઇચ્છીએ છીએ, તે બદલાવ આપણે પોતે બનવું જોઈએ, એ શિખામણને ધ્યાનમાં રાખીને આવનારા અનુવાદકો માટે માર્ગ સુલભ બનાવવા સંઘર્ષ કરીને સકારાત્મક ઝુંબેશ ઉપાડવાનો નિર્ણય કર્યો છે. જોગાનુજોગ એ જ ગાળામાં PEN Internationalનો ન્યુઝલેટર ઇ-મેઇલથી મળ્યો. આ સંસ્થાને આવું પગલું લેવાની ફરજ પડી, એટલી અધૂરપ વિશ્વભરમાં આ ક્ષેત્રે પ્રવર્તે છે, તેનો ગુજરાતી વાંચકોને ખ્યાલ આવે તે હેતુથી નીચે ગુજરાતી અનુવાદ આપું છું :

સાહિત્યિક અનુવાદ અને અનુવાદકો અંગેનું PEN International ક્યુબૅક જાહેરનામું (શૅરી સાયમનનાં અંગ્રેજી અનુવાદ પરથી)

ઑકટૉબર, ૨૦૧૫માં મળેલી PEN Internationalની ૮૧મી કૉંગ્રેસમાં હાજર પ્રતિનિધિઓએ, PEN ક્યુબૅકની પહેલથી પ્રેરિત, PEN Internationalની અનુવાદ અને ભાષાકીય હક સમિતિ દ્વારા સમર્થન કરેલા ‘સાહિત્યિક અનુવાદ અને અનુવાદકો અંગેનું ક્યુબૅક જાહેરનામું’ સ્વીકાર્યું છે.

નીચે દર્શાવેલા દસ્તાવેજોમાં આલેખાયેલા સિદ્ધાંતો પર ક્યુબૅક જાહેરનામા આધારિત છે : ‘સાહિત્યિક અને કલાત્મક કૃતિઓના રક્ષણ માટેનું બર્ન-કન્વેન્શન (૧૮૮૬-૧૯૭૯)’, ‘યુનિવર્સલ કૉપીરાઇટ કન્વેન્શન (૧૯૫૨)’, ‘અનુવાદકો તથા અુનવાદોના કાયદાકીય રક્ષણ અંગેની અને અનુવાદકોનો દરજ્જો સુધારવાનાં વાસ્તવિક માધ્યમો અંગેની ભલામણો (૧૯૭૬)’. જાહેરનામાનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી ક્યુબૅકની લવેલ યુનિવર્સિટીના લૂઈ જોલીકુઅર, મોન્ટ્રિયલની કૉનકૉરડ્યા યુનિવર્સિટીના શૅરી સાયમન અને PENના ક્યુબૅક કેન્દ્રના પ્રમુખ ઍમિલી માર્ટલને સોંપવામાં આવી હતી, જેમાં ન્યુયૉર્કની કૉલમ્બિયા યુનિવર્સિટીની બરુચ કૉલેજના એસ્થર ઍલન, મોન્ટૃિયલની કૉનકૉરડ્યા યુનિવર્સિટીના હ્યુ હેઝલટન અને યુનિવર્સિટી ઑફ બરગેમોના ફૅબ્યો સ્કોટોએ પણ યોગદાન આપ્યું હતું.

સિમોના સ્ક્રેબૅકના વડપણ હેઠળની અનુવાદ અને ભાષાકીય હક સમિતિ સાથે સંકળાયેલાં PEN કેન્દ્રોને ક્યુબૅક જાહેરનામાનો પ્રાથમિક મુસદ્દો સુપ્રત કરવામાં આવ્યો હતો. PEN કેન્દ્રોના પ્રતિનિધિઓને જાહેરનામાનાં વિવિધ પાસાંઓ પર ચર્ચા કરવાનો મોકો આપવામાં આવ્યો હતો, જેના આધારે સમિતિની બે સભાઓ દરમિયાન ફ્રેંચ, અંગ્રેજી અને સ્પૅનિશ ભાષાઓમાં આખરી મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. પ્રથમ સભા એપ્રિલ ૨૦૧૫માં બાર્સેલોનામાં ભરાઈ અને બીજી સભા ઑક્ટોબર, ૨૦૧૫માં ક્યુબૅક શહેરમાં ૮૧મી PEN કૉંગ્રેસ દરમિયાન ભરાઈ. વિશ્વભરમાંથી ૫૦થી વધુ પ્રતિનિધિઓએ ચર્ચામાં ભાગ લઈને પોતાના દેશો તથા પ્રાંતોની સાહિત્ય અને ભાષાકીય વાસ્તવિકતાનું ઝીણવટભર્યું જ્ઞાન પૂરું પાડ્યું હતું.

બહોળા ફલક પરની સલાહમસલતની આવી પ્રક્રિયા બાદ સાહિત્યિક અનુવાદ સંદર્ભે PEN International જે સિદ્ધાંતો અને લક્ષ્યોને પ્રોત્સાહન આપવા માગે છે, તેનો છ મુદ્દાનો સંક્ષિપ્ત મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. આ સિદ્ધાંતોમાં તમામ સંસ્કૃિતઓ અને ભાષાઓનું ગૌરવ વધારવામાં અનુવાદનું મહત્ત્વ, આ કાર્યમાં જોડાવવા માટે જરૂરી પરિસ્થિતિ અંગે ધ્યાન દોરવું અને સૌથી અગત્યનું, પ્રત્યાયન શક્ય બનાવતી વ્યક્તિઓને એટલે કે સાહિત્યિક અનુવાદકોના રક્ષણને મહત્ત્વ આપવું.

૧૫ ઑક્ટોબર, ૨૦૧૫ના દિવસે ક્યુબૅક જાહેરનામાને PEN Internationalએ સર્વસંમતિથી બહાલી આપી. ક્યુબૅક કૉંગ્રેસ દરમિયાન ફ્રેંચ, અંગ્રેજી અને સ્પૅનિશ ભાષાઓમાં મુસદ્દાને આખરી ઓપ આપવામાં આવ્યા અને બાકી બધા અનુવાદો PEN-કેન્દ્રો અને તેમના ટેકેદારો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં વધુ ભાષાઓમાં આ જાહેરનામું વંચાય તેની ખાતરી કરવાનો અમારો હેતુ છે અને અમને આશા છે કે બીજી સંસ્થાઓ અને સંગઠનો આ સિદ્ધાંતોને અપનાવશે અને તેનું રક્ષણ અને પ્રચાર-પ્રસાર કરવામાં અમને સહયોગ આપશે. ક્યુબૅક જાહેરનામું PEN Internationalની સાહિત્યિક સર્જનાત્મકતા અને સંસ્કૃિતઓ વચ્ચે અનુસંધાન સંબંધી વ્યાપક વ્યૂહરચનાનો હિસ્સો છે.

સાહિત્યિક અનુવાદ અને અનુવાદકો અંગેનું ક્યુબૅક જાહેરનામું

૧.  સાહિત્યિક અનુવાદ જોશ-જુસ્સામય કળા છે. મોકળાશનાં મૂલ્યોને પ્રોત્સાહિત કરતું, શાંતિ અને સ્વતંત્રતા માટે પ્રયત્નશીલ અને અન્યાય, અસહિષ્ણુતા તથા પ્રકાશન-નિયંત્રણનો વિરોધ કરતું અનુવાદવિશ્વ સંવાદને આહ્‌વાન આપે છે.

૨.  અનુવાદના સંદર્ભમાં તમામ સંસ્કૃિતઓ સમાન નથી. અમુક સંસ્કૃિતઓ મરજીથી અનુવાદ કરે છે, તો અમુક ફરજથી કરે છે. અનુવાદ એ ભાષાઓ અને સંસ્કૃિતઓની રક્ષણની ચાવી છે.

૩.  મૂળ લેખકો અને કૃતિઓ પ્રત્યે માન દાખવતા, અનુવાદકો પોતે સર્જકો છે. તેમનો આશય માત્ર સાહિત્યિક કૃતિને પુનઃપ્રસ્તુિત જ નહીં, પરંતુ તેને આગળ ધપાવવી, વિશ્વમાં તેની હાજરીનો પ્રસાર કરવાનો હોય છે. અનુવાદકો માત્ર સંદેશાવાહકો નથી હોતા : બીજાનો અવાજ બનતાં હોવા છતાં, તેમનો અવાજ તેમનો પોતાનો હોય છે. ખાસ કરીને, તેઓ હાંસિયાકૃત લેખકો, સાહિત્યિક શૈલીઓ અને સામાજિક જૂથોને વફાદાર રહીને સાંસ્કૃિતક વિવિધતાની તરફેણમાં કાર્ય કરે છે.

૪.  અનુવાદકોનાં હકોનું રક્ષણ અનિવાર્ય છે. સરકારો, પ્રકાશકો, પ્રચાર-પ્રસાર-માધ્યમો, નિયોજકો – તમામે અનુવાદકોના દરજ્જા તથા જરૂરિયાતોનું સન્માન કરવું જોઈએ, તેમના નામને પ્રાધાન્ય આપવું જોઈએ અને ન્યાયોચિત પુરસ્કાર તથા તેમનું સન્માન સચવાય એવી કાર્ય કરવાની પરિસ્થિતિની (પ્રિન્ટ અને ડિજિટલ માધ્યમોના તમામ પ્રકારોમાં) ખાતરી આપવી જોઈએ.

૫.  અનુવાદકોની દૈહિક સલામતી અને વાણી-સ્વતંત્રતાની સતત ખાતરી કરવી જોઈએ.

૬.  વિશિષ્ટ કુશળતા અને જ્ઞાન ધરાવતા સર્જનાત્મક લેખકો તરીકે અનુવાદકોનું સન્માન જાળવવું જોઈએ અને તેમના કાર્યને લગતા તમામ પ્રશ્નો અંગે તેમનો સંપર્ક કરવો જોઈએ.

(નોંધઃ આપણા રાજ્યમાં સાહિત્યિક અનુવાદકોનાં બૌદ્ધિક-આર્થિક-માનવીય શોષણ નિવારવા, તેમનું હાંસિયાકરણ અટકાવવા, સંબંધિત વ્યક્તિઓ-સંસ્થાઓને આ ક્ષેત્ર અંગે ઉજાગર કરવા, સંવેદનશીલ બનાવવા, આ ક્ષેત્રમાં પ્રોફેશનલ અભિગમ ઊભો કરવાના હેતુથી PEN Internationalના The Quebec Declaration on Literary Translation and Translatorsનો અનુવાદ કરેલ છે.)

e.mail : rupaleeburke@yahoo.co.in

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ. 18-19

Loading

...102030...3,6493,6503,6513,652...3,6603,6703,680...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved