Opinion Magazine
Number of visits: 9882527
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“અખંડ આનંદ”ની એક વાત

પ્રકાશ લાલા|Opinion - Opinion|26 July 2016

મુરબ્બીઓ ને મિત્રો, આપ સૌને મળીને ધન્યતા અનુભવું છું. વતનથી દૂર વસવા છતાં આપ સૌનો માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો લગાવ તથા ગુજરાતી ભાષા-સાહિત્ય પ્રતિનો પ્રેમ અને તે માટેની આપની પ્રવૃત્તિને સલામ છે.

આજે વિપુલભાઈ કલ્યાણીએ તથા અનિલભાઈ વ્યાસે ‘વાર્તાવર્તુળ’ના ઉપક્રમે આપની સાથે વાતો કરવાનો જે અવસર ઊભો કરી આપ્યો છે તે બદલ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું.

મારે આજે અહીં આપની સાથે વાત કરવાની છે “અખંડ આનંદ”ના સહતંત્રી તરીકે. “અખંડ આનંદ” માટે કૃતિઓની ખાસ કરીને વાર્તાઓની પસંદગીની પ્રક્રિયા વિશે અને “અખંડ આનંદ”ની આ માટે વાર્તાકારો પાસે શું અપેક્ષા છે એ વિશે વાત કરવાની છે.

પ્રથમ કહીશ કે “અખંડ આનંદ” માટે કૃતિઓની પસંદગીની પ્રક્રિયા સામાન્યત: અન્ય સામાયિકો જેવી જ હોય છે. કૃતિની પસંદગી સંદર્ભે ત્રણ મુદ્દા ધ્યાનમાં લેવાતા હોય છે. દરેક સામાયિકનો ચોક્કસ વાચક વર્ગ હોય છે. એટલે પોતાના મોટાભાગના વાચકોની શી રસ-રૂચિ છે, તેમને કયા પ્રકારની કૃતિઓ પસંદ પડે એવી કૃતિઓ જ પ્રકાશિત કરાતી હોય છે એટલે પ્રથમ તો તેની પસંદગી સમયે આ મુદ્દો ધ્યાનમાં લેવાતો હોય છે.

બીજું, દરેક સામાયિકના પ્રકાશન પાછળ તેના સંચાલકોનો ચોક્કસ હેતુ હોય છે. સવિશેષ ધ્યેય-હેતુ સાથે સામાયિક ચલાવવાનું હોય છે. એટલે સીધી વાત છે કે એમાં પ્રગટ કરાતી કૃતિઓ સામયિકના એ ધ્યેય-હેતુને જાળવી રાખે – તેની પુષ્ટિ કરે તેવી જ હોવાની. તેથી કૃતિઓની પસંદગીમાં આ બાબતનો પણ ખ્યાલ રાખવાનો રહે છે. અને ત્રીજી મહત્ત્વની વાત તે સામાયિકનાં પાનાંની મર્યાદાનો ખ્યાલ રાખીને પણ કૃતિઓની પસંદગી કરવી પડે છે.

“અખંડ આનંદ” માટે વાર્તાઓ – લેખો જે કંઈ અમને મળતાં હોય છે તેની પસંદગી પ્રક્રિયા સમયે મેં જણાવ્યા તે મુદ્દાઓ નજર સમક્ષ રાખીને કૃતિનો સ્વીકાર-અસ્વીકાર કરવામાં આવે છે.

“અખંડ આનંદ” ચુસ્તપણે સાહિત્યિક સામાયિક નથી – એટલે કે “શબ્દ સૃષ્ટિ” કે “પરબ” પ્રકારનું મેગેઝિન નથી. એટલે સાહિત્યકાર કે વિવેચકની દૃષ્ટિએ જે વાર્તા – નવલિકા ગણાય તે જ વાર્તા અમારા માટે વાર્તા છે એવું નથી. પરંતુ “અખંડ આનંદ”ના ધોરણ મુજબ માનવજીવનને ઊંચે લઈ જનાર, પ્રેરણાદાયી, માનવીય મૂલ્યોનું જતન અને સંવર્ધન કરે, માનવીય સંબંધોને સંસ્થાનો રચનાત્મક – હકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપે તેવી વાર્તાઓ વધુ આવકાર્ય અને પસંદગીપાત્ર છે. તેથી જ્યારે અમે કોઈ વાર્તા સ્વીકારતા નથી ત્યારે એ સારી નથી – નબળી છે એવો મતલબ ક્યારે ય અમને અતિપ્રેમ નથી હોતો. અને એટલે જ કૃતિ-વાર્તાની અસ્વીકૃતિની જાણ તેના સર્જકને કરીએ છીએ ત્યારે ‘આપની વાર્તા “અખંડ આનંદ”ને અનુકૂળ જણાઈ નથી’ એમ જ કહીએ છીએ. શક્ય છે કે એ જ કૃતિ-વાર્તા અન્ય સામયિકમાં કે દૈનિકની પૂર્તિમાં સ્વીકારાય, પ્રગટ થાય ને પ્રસંશા પણ પામે.

“અખંડ આનંદ”ના ધારાધોરણ મુજબના વિષય ટ્રીટમેન્ટવાળી વાર્તામાં પણ વિષયવસ્તુ ઉપરાંત પ્લોટની ગૂંથણી, રજૂઆતની શૈલી, પાત્રાલેખન, ઘટનાઓ, સંવાદો, સંઘર્ષ, અણધાર્યા વળાંક ને અંત – આ બધાં પાસાં ઉપર અવશ્ય ભાર મૂકવામાં આવે જ એ સ્વાભાવિક છે.

આપનામાંથી જે કોઈ નિયમિત રીતે “અખંડ આનંદ” વાંચતા હોય કે તેના અંકો જોતા હશે તેમને ખ્યાલ હશે કે પહેલાં જેવું દળદાર એનું કદ હવે નથી. ગુજરાતની પ્રજાને સસ્તા દરે સદ્વાચનનો લાભ મળે તે માટે ભિક્ષુ અખંડ આનંદજીએ સસ્તુ સાહિત્ય પ્રકાશનનો પ્રારંભ કરેલો એ વાતથી આપ સુપરિચિત છો જ. એ પછી ભિક્ષુ અખંડ આનંદજીએ પ્રેરણાદાયી અને સુમેળભર્યા માનવીય મૂલ્યો મઢ્યાં. સુદૃઢ સમાજઘડતરના શુભાશયથી 1947માં સદ્વાચન ઘરે ઘરે પહોંચે – બહોળા વાચક વર્ગને એનો લાભ મળે તે હેતુથી 1947માં “અખંડ આનંદ” માસિકનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું.

એ સમયે લોકોમાં સદ્વાચનની ભૂખ હતી, ઝાઝાં સામાયિકો ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં ન હતાં એટલે સ્પર્ધા ન હતી. તેથી ગ્રાહકો – જાહેરખબરો ખૂબ મળતાં. પરિણામે “અખંડ આનંદ” દળદાર વાચન સામગ્રી અને જાહેરાતનાં પૃષ્ઠો તથા જોવાં ગમે એવાં ચિત્રોથી માઇપ્લેટસ સાથે પ્રતિ અંક પ્રગટ થતો.

પરંતુ આજે સામાયિકોની સ્પર્ધા વધી છે, લોકોની એક બાજુ વાચનભૂખ ઘટી રહી છે અને બીજી બાજુ માનવીય મૂલ્યો કથળતાં જઈ રહ્યાં હોવાથી મૂલ્યદાયી – પ્રેરણાદાયી સાહિત્યના વાચનમાં રસ ઓછો થઈ રહ્યો છે. વળી, “અખંડ આનંદ” એની જૂની પરંપરાને એનાં ચોક્કસ હેતુ – ધોરણોને વળગીને જ પ્રગટ થાય છે.. એટલે કે એમાં રાજકારણની ગરમાગરમ ચર્ચાઓ, કૌભાંડો, ખૂની ખટલાની સ્ટોરીઝ, ગલગલિયાં કરાવે તેવા વિષયો પરના લેખો કે વાર્તાઓ, એવી તસવીરોના પ્રકાશનથી દૂર જ રહે છે. એટલે એ રીતે નવા વાચક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરાતો નથી પરિણામે જાહેરખબર ઓછી મળે છે. એની સામે કાગળ, પ્રિન્ટિંગ, પોસ્ટેજ, કાર્યાલય વગેરે ખર્ચ સતત વધતો જતો હોય છે. તેથી સરભર કરવા પાનાંની સંખ્યા ઓછી કરવા જેવા ઉપાયો યોજવા પડ્યા છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં તો 120 પાનાંની સંખ્યા ઘટાડીને 108 (4 ટાઇટલ સાથે) આર્થિક સંકડામણને પરિણામે કરવી પડી છે.

આમ, સામાયિકના અંકનું કદ – પાનાં ઘડવાથી એટલી કૃતિઓ ઓછી સમાવી શકાય તે સ્વાભાવિક છે અને તેથી વાર્તાઓ – લેખોની પસંદગીમાં આ ફેક્ટર પણ ભાગ ભજવી જાય છે.

“અખંડ આનંદ”ના 104 પાનાં પૈકી અનુક્રમણિકા તથા જાહેરાતો મળી 4-5 પાનાં અને ખાસ વિષયો આપીને લખાવાતા લેખો તેમ જ કાયમી વિભાગોને ફાળવાતાં 40 પૃષ્ઠો બાદ થતાં પ્રત્યેક અંકમાં 60 પાનાં રહે છે. “અખંડ આનંદ” ડાઇજેસ્ટ પ્રકારનું સામાયિક હોવાથી અને બાળકો વૈવિધ્યપૂર્ણ વાચન સામગ્રીની અપેક્ષા રાખતા હોવાથી સત્યઘટના, જોયેલું ને જાણેલું, અધ્યાત્મ, જીવનદર્શન, સમાજદર્શન, લલિત નિબંધ, આરોગ્ય, અર્થશાસ્ત્ર, હાસ્ય, પ્રેરણાકથા, વ્યક્તિચિત્ર, સંસ્થા પરિચય વગેરેને આવરી લેતાં લેખો-કૃતિઓ પણ દરેક અંકમાં સમાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વાચકો વાર્તાઓ પણ માગે જ છે એટલે નવલિકાઓ – લઘુકથાઓ પણ પીરસવી જ પડે ! એ માટે સામાન્યત: દરેક અંકમાં 35 પાનાંની જોગવાઈ રખાય છે. અને બને ત્યાં સુધી આ 35 પાનાંમાં અલગ અલગ આઠેક વાર્તાઓ પ્રગટ કરી શકાય તેનો ખ્યાલ રખાય છે.

“અખંડ આનંદ”માં પ્રકાશનાર્થે અમને મળતાં લેખો – વાર્તાઓની સંખ્યા વિપુલ છે, પણ અમને મળતું બધું જ સાહિત્ય પાનાંની મર્યાદા સંદર્ભે સમાવી ન શકાય અને સામાયિકનાં ધોરણોનો ખ્યાલ રાખતાં સમાવવા જેવું પણ ન હોય એવું બને. તેથી એમાંથી જે શ્રેષ્ઠ લાગે – જે કાંઈક નવું અલગ લાગે તે પસંદ થાય છે.

શ્રેષ્ઠ વિષયવસ્તુ પ્રસ્તુિતની દૃષ્ટિએ, વિચાર – સ્ટાઇલની દૃષ્ટિએ, અભિવ્યક્તિની દૃષ્ટિએ અને “અખંડ આનંદ”ના વાચકોની રસ-રૂચિને અનુકૂળ હોય તે દૃષ્ટિએ અલબત્ત શ્રેષ્ઠ એટલે અમારો કહેવાનો અર્થ એ કે સાહિત્ય જગતમાં જે કાંઈ લખાય છે, સર્જાય છે તેમાંથી શ્રેષ્ઠ નહીં પરંતુ અમને જે કંઈ મળે છે તેમાં જે સારું હોય તે દર મહિને અમને મળતી વાર્તાઓમાંથી સામાયિકની અપેક્ષા મુજબની 10થી 12 વાર્તાઓ પસંદગી પામી શકે છે. દરેક અંકમાં આઠેક વાર્તાઓ પ્રકાશિત કરાય છે એટલે દર મહિને 3 થી 4 સ્વીકૃત વાર્તાઓ પેન્ડિંગ રહે છે. તેથી જ સર્જકે – લેખકે “અખંડ આનંદ”માં સ્વીકારાયેલ કૃતિના પ્રકાશન માટે 3 થી 4 માસ રાહ જોવાની રહે છે. સ્વીકૃત કૃતિની જાણ કરતી વખતે આ મુદ્દો સવિનય એમના ધ્યાનમાં મૂકવામાં આવે છે.

પસંદગીની પ્રક્રિયા વિશે જણાવું તો અમને મળેલ કૃતિઓ – વાર્તાઓ પ્રથમ તો હું એક વાચક – ભાષક તરીકે જ વાંચતો હોઉં છું. કયા લેખકની વાર્તા છે – નવોદિત કે નીવડેલ કલમની છે તેવા કોઈ ભાર કે પૂર્વગ્રહ વગર જ. એ પ્રથમ વાચનમાં મજા આવે – વાહ કે સરસ બોલાઈ જાય – હૃદયને સ્પર્શે તેવી વાર્તાઓ અલગ કર્યા પછી બીજા વાચનમાં સંપાદકીય દૃષ્ટિથી ચકાસાય છે. તેમાં મને ગમી પણ “અખંડ આનંદ”ના મોટાભાગના વાચકોને ગમશે? એ માલિકપક્ષે અપનાવેલ ધોરણો – અપેક્ષા મુજબની છે? વાર્તા ગમી છે પણ પાનાંની મર્યાદામાં સમાવી શકાય તેવી છે ? સુવાચ્ય છે? જોડણી – વ્યાકરણની બધી ક્ષતિઓ વાળી નથીને? આ સઘળા સવાલોના સંતોષકારક – હકારાત્મક જવાબો મળે તો તે વાર્તા સ્વીકાર્ય બનતી હોય છે.

ખૂબ ગમી હોય પણ લાંબી હોય તો લેખકને તેનું હાર્દ સચવાઈ રહે તે રીતે ટૂંકાવીને મોકલવા પણ જણાવાય છે. ક્યારેક લેખક સંપાદકને તે અધિકાર સોંપતા હોય છે. આ રીતે જોઈએ તો પ્રત્યેક વાર્તાની લંબાઈ વધુમાં વધુ “અખંડ આનંદ”ના પ્રિન્ટેડ 4 કે 5 પાનાંની હોય તે આવશ્યક છે. ટૂંકી વાર્તા એટલે સાવ લઘુકથા નહીં તેમ લઘુનવલ પણ નહીં તે સમજી લઈએ.

“અખંડ આનંદ” માટે કયા પ્રકારનું વિષયવસ્તુ આવકાર્ય છે તે મેં જણાવ્યું તેમ વાર્તામાં સરળ – બોલચાલની ભાષા પ્રયોજાયેલી હોય, અલંકારિક ભાષા વૈભવ ન હોય, લાંબાં વર્ણનો ન હોય, સંવાદોના માધ્યમથી વાર્તાનો અતિપ્રવાહ આગળ વધતો હોય, અતાર્કિક ઘટનાઓ કે બીનાઓ ન હોય, સરળ રીતે પ્રવાહ વહેતો હોય અને મહત્ત્વની વાત વાર્તા સીધી હૃદયને અસર કરી જતી હોય અને વાંચ્યા પછી લાંબા સમય સુધી વાચકના મન ઉપર છવાયેલી રહે તેવી હોય તેવી વાર્તા જરૂર સૌને ગમે.

આશા છે કે આપ “અખંડ આનંદ” માટે આપની કલમે સર્જાયેલી “અખંડ આનંદ”ના આ ધોરણો સભર વાર્તા મોકલશો તો અવશ્ય સ્વીકારાશે.

ફરી ‘વાર્તાવર્તુળ’ના માધ્યમથી આપની સાથે વાતો કરવાનો અને મારા વિચારો રજૂ કરવાનો મોકો આપવા બદલ અકાદમીના પ્રમુખ વિપુલભાઈનો આભાર. વિપુલભાઈ એવા વડીલ મિત્ર છે કે હું જ્યારે લંડન આવું છું ત્યારે યાદ કરીને અને અકાદમીના કાર્યક્રમોની જાણ કરે છે અને પ્રેમપૂર્વક તેમાં જોડાવવાનું નિમંત્રણ પાઠવે છે.

e.mail : lala.prakash@gmail.com

(યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની માસિકી બેઠક અંતર્ગત, ‘વાર્તા વર્તુળ’ને ઉપક્રમે, શનિવાર, 02 જુલાઈ 2016ના રોજ હેરો વિલ્ડસ્ટૉન લાઇબ્રેરીમાંની રજૂઆત)

Loading

चंपारण सत्याग्रह शताब्दी

जयंत दिवाण, जयंत दिवाण|Gandhiana|26 July 2016

संस्मरण

(Sitting L to R)Rajendra Prasad and Anugrah Narayan Sinha during Mahatma Gandhi's 1917 Champaran Satyagraha

‘भितहरवा’ पश्चिम चंपारण का छोटासा देहाती गांव है. नरकटीयागंज रेल का जंक्शन है. यहां से नेपाल की ओर रेल की पटरी बिछी है. ‘भितहरवा’ जाने के लिए इसी पटरी से रेल दौड़ती है. ‘भितहरवा’ आज रेल्वे स्टेशन है. लेकिन पहले यह रेल्वे स्टेशन नहीं था.

महात्मा गांधी जब चंपारण आये तब ‘भितहरवा’ में उन्होंने आश्रम खोला था. आज भी यह आश्रम ‘स्मारक’ के रूप में खड़ा है.

पुंडलीकजी कातगडे गांधीजी के आवाहन पर ‘भितहरवा’ के आश्रम में सेवा के लिए आये थे. तब गांधीजी चंपारण-सत्याग्रह में डटे थे. यह सन १९१७ की बात है. पुंडलीकजी जब आश्रम में आये तब उनकी उम्र मात्र २३ साल की थी.

चंपारण का सत्याग्रह ख़त्म हुआ. देश आजाद हुआ. चंपारण के कार्यकर्ताओं की इच्छा हुअी की ‘भितहरवा में रेल्वे स्टेशन होना चाहिये. ताकि इस ऐतिहासीक-स्मारक को यात्री भेट दे सके. पुंडलीकजी बेळगाव के थे. उन्होंने ‘भितहरवा में अपनी तरुणाई के दिन बिताये थे. उनके चंपारण के कार्यकर्ताओंसे आत्मिय संबंध थे. पुंडलीकजी काम में जुट गये. सरकारसे खटपट कर उन्होंने भितहरवा में रेल्वे स्टेशन बनवा ही लिया.

कार्यकर्ताओं का आग्रह था की रेल्वे स्टेशन का उदघाटन पुंडलीकजी के हाथों ही करना है. रेल मंत्रीने उनकी इच्छा को मान लिया. उदघाटन कार्यक्रम की तार पुंडलीकजी को भेजी गयी. तार घर पहुँची तब पुंडलीकजी घर पर नहीं थे. चार दिन बाद वे घर लौटे तब उन्हें उदघाटन की जानकारी मिली. हवाई जहाज का सफर कर दौड़धूप करते हुए वे ‘भितहरवा’ पहुँचे. लोगोंने कहा, “हमें पता ही था. कुछ भी हो जाये पुंडलीकजी जरुर आयेंगे.” कर्यकर्ताओ ने रेलमंत्रीजी से पहलेही कह रखा था, “अगर पुंडलीकजी नहीं आये तो ही आपके हाथों उदघाटन होगा.” पुंडलीकजी समय पर पहुँच गये. पहला रेल टिकट उनके हाथों यात्री को दिया गया.

उस समय के मंत्री, कार्यकर्ता व लोगों की ‘सहजता’ मन को प्रसन्न करती है. वैसेही पुंडलीकजी का बिहार से विशेषत: चंपारण से जुड़ा नाता भी मन को भा जाता है.

पुंडलीकजी कातगडे

पुंडलीकजी चंपारण आयें तब उनकी उम्र २३ वर्ष की थी. ‘भितहरवा’ आश्रम में वे सेवा के लिए आये थे. गांधीजीने चंपारण में तीन आश्रम(शाला) खोले थे. इन आश्रमों के लिये उन्हें कार्यकर्ताओं की जरूरत थी. गांधीजीने बेळगाव के गंगाधरराव देशपांडे को पत्र लिखा. कार्यकर्ताओं की मांग की. यह सन १९१७ की बात है.

गंगाधरराव देशपांडे टिळक के अनुयायी थे. उन्हें कर्नाटक सिंह कहा जाता था. बेळगाव कांग्रेस की जिम्मेदारी गंगाधरराव देशपांडे इन्होंने ही ली थी. टिळक के अनुयायी गांधी के साथ जुड़ गये उनमें गंगाधरराव देशपांडे का नाम विशेष है. पुंडलीकजी युवा अवस्था में गंगाधररावसे जुड़ गये. उनके अनुयायी बने. गंगाधरराव के कारण पुंडलीकजीको लोकमान्य टिळक का सान्निध्य मिला. पुंडलीकजी ऐसे व्यक्ति थे जिन्होंने टिळक को भी देखा और गांधी के तो वे साथ ही हो गये.

गंगाधरराव से जब गांधीजीने कर्यकर्ताओं की मांग की तो उन्होंने पहले सदाशिव लक्ष्मण सोमण को  चंपारण भेजा. सोमण जब वहां से लौटे तो उन्होंने चंपारण की स्थिती तथा गोरे कोठीवाले एमेन की ज्यादती के बारे में विस्तारसे साथियों को बताया. गोरे कोठीवालों में एमेन सबसे क्रूर व धूर्त था. सोमणने उसकी क्रूरता का वर्णन किया था. जब पुंडलीकजी पर चंपारण जाने की बारी आयी तब उन्होंने गांधीजी के सामने शर्त रखी. अगर वे उन्हें ‘भितहरवा’ आश्रम में भेजेंगे तो ही वे चंपारण आयेंगे.  एमेन से दो दो हाथ करने की कुलबुलाहट उनमे थी. गांधीजी ने उनकी शर्त मान ली. और २३ वर्ष का यह युवक भितहरवा पहुँच गया.

पुंडलीकजी तब तक भितहरवा डटे रहे जब तक अंग्रेज सरकारने उन्हें जिले से जिला-बदर (जिला निष्कासन) nनहीं किया. एमेन के प्रत्येक बेकानुनी बातों को पुंडलीकजीने आव्हान दिया. एमेन की मनमानी को वे नकारते गये. उनके इस कृती से लोगों का भय दूर होने में मदद हुई. एमेन व सरकार को भी आव्हान दिया जा सकता है यह विश्वास लोगों में जगा. गांधीजी का कहना ही था कि भयभीत लोगों में जाकर बैठना यही हमारा काम है. पुंडलीकजी गांधी के अनुयायी थे. गांधी का काम ही भितहरवा आश्रम में बैठकर पुंडलीकजी कर रहे थे.

पुंडलीकजी का चंपारण के लोग व कार्यकर्ताओंसे अपनापन बना. स्नेह बना. राजेंद बाबू, ब्रजकिशोर बाबू, रामनवमी प्रसाद इनके परिवार के ही वे सदस्य बन गये. यह स्नेह उनकी मृत्यु तक टिका रहा.

पुंडलीकजी अविवाहित थे. बेळगाव में रहते थे. गांधीजी के रचनात्मक कार्यक्रम पर वे काम करते रहे. आजादी के आंदोलन में सक्रीय रहे. महाराष्ट्र व कर्नाटक के लोग उन्हें जानते हैं. वे लेखक थे. ́“'पुंडलीक́' नामसे उन्होंने आत्मचरित्र लिखा है. मराठी भाषा में वह है. चंपारण सत्याग्रह पर उन्होंने विस्तारसे लिखा है. चंपारण के उनके संस्मरण रोचक है.

***************

(यह संस्मरण हिंदी व अन्य भाषओं में प्रकाशित होने चाहिये. ‘कहाँनि:चंपारण सत्याग्रह की” …. यह मेरी किताब सर्व सेवा संघ प्रकाशित कर रहा है. मेरे मूल मराठी किताब का यह अनुवाद है. मराठी किताब भी जल्द प्रकाशित होने जा रही है. इस किताब में पुंडलीकजी के चंपारण सत्याग्रह पर स्वतंत्र प्रकरण दिया गया है.)

Loading

વાક્‌-શક્તિ

વિનોબા|Opinion - Opinion|26 July 2016

એક જાણીતી વાર્તા છે. ધ્રુવ તપસ્યા કરતો હતો. તે બાળક હતો. ભગવાનનું ધ્યાન વગેરે કરતો હતો. ભગવાન પ્રસન્ન થયા. તેઓ તેની સામે ઊભા રહ્યા, પરંતુ તેણે જોયા નહીં. આંખો મીંચેલી હતી. ચિંતન કરતો હતો. પ્રભુએ શંખથી તેના ગાલે સ્પર્શ કર્યો. તો એકદમ તેની વાણી પ્રગટી અને બોલ્યો: योऽन्त: प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति …, नमो भगवते पुरुषाच तुभ्यम्‌ − જેણે મારી અંદર પ્રવેશીને મારી સૂતેલી વાણીને જાગૃત કરી તેવા પરમ પુરુષ આપને હું પ્રણામ કરું છું.

આમ મનુષ્ય જ્યારે મન:પૂર્વક ચિંતન કરે છે ત્યારે પરમ વાક્‌-શક્તિ સ્ફૂર્ત થાય છે. અને તેને ખબર પણ પડતી નથી કે તે ક્યાંથી આવી. તે ઈશ્વરના સ્પર્શથી આવી. આમ જ્યાં ઈશ્વરનો સ્પર્શ થાય ત્યાં સાહિત્ય-શક્તિ, કાવ્ય-શક્તિ પ્રગટે છે તેવો આજ સુધીનો અનુભવ છે.

વાણી ઈશ્વર દ્વારા મનુષ્યને મળેલી એક મોટી દેણ છે. મનુષ્યના ચિંતનનું એ ફલિત છે અને ચિંતનનું સાધન પણ એ જ છે. ચિંતન વગર વાણી નહીં અને વાણી વગર ચિંતન નહીં અને બન્ને વગર મનુષ્ય નહીં.

બીજાં પ્રાણીઓ પાસે પણ પોતાની વાણી છે; પણ તે એટલી સ્ફુટ નથી, સ્પષ્ટ નથી, જેટલી મનુષ્ય પાસે છે. અન્ય પ્રણીઓની વાણીને આપણે સમજી નથી શકતા. કીડી, મકોડા, મધુમાખી વગેરે પણ હળીમળીને સમૂહમાં કામ કરે છે, એટલે સંભવ છે કે એમની પાસે પણ પોતાની કોઈક વાણી હોય. વાણી એટલે વિચાર પ્રકાશનનું સાધન. મનુષ્યને એક વિશેષ પ્રકારની વાણી પ્રાપ્ત થઈ છે. આ એક ભગવાનની દીધેલી બહુ મોટી શક્તિ છે. તેનો ઉપયોગ સારી રીતે થાય, તો તે શક્તિ મનુષ્યની ઉન્નતિ માટેનું સાધન બની શકે છે.

વાણી અને ભાષામાં ફરક છે. ભાષા ભગવાનની દીધેલી નથી, વાણી ભગવાનની દીધેલી છે. ભાષા બદલાય છે, વાણી નહીં. દુનિયામાં જેટલા મનુષ્ય છે, તે બધાને ભગવાને આંખ એટલે કે દર્શનની શક્તિ દીધી છે. તેનું રૂપાંતર ભાષામાં થાય છે. ભાષાઓ અનેકવિધ છે. તે ભાષાઓમાં સાહિત્ય રચાય છે, જે ‘વાડ્‌મય’ કહેવાય છે. તે બધું ગૌણ છે, મુખ્ય વાણી છે. વાણીને આપણે કલ્યાણકારી શક્તિના રૂપમાં પરિણત કરી શકીએ છીએ.

સરસ્વતી કે વાણી બ્રહ્મશક્તિ છે. વાણી બ્રહ્મની બરોબરી કરે છે. તેથી ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ વાણી પણ થાય છે. ઋગ્વેદમાં વાક્ય છે કે બ્રહ્મ જેટલું વ્યાપક છે, તેટલી વ્યાપક વાણી છે – यावद्‌ ब्रह्म विष्ठितं तावती, वाक्। અહીં ‘વાણી’ શબ્દનો અર્થ કેવળ તે સ્થૂળ વાણી નથી જેને આપણે બોલીએ છીએ, પરંતુ એ એક બ્રહ્મશક્તિ છે, જેના આધારે મનુષ્ય ચિંતન કરે છે, તેને પ્રકાશિત કરે છે અને તેને સમજે છે. આ ત્રણેય વાણી દ્વારા થાય છે, મન ચિંતન કરે છે, વાણી બોલે છે અને કાન સાંભળે છે. મન, વાણી અને કાન આ ભેદ તો સ્થૂળ જ છે, પરંતુ અહીં તો ‘વાક્‌’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમાં મન, વાણી અને કાન ત્રણેય સમાયેલાં છે.   

શંકરાચાર્ય પૂછે છે – केषां अमोघ वचनम ? ये च पुन: सत्य-मौन-शम-शीला: − જેનામાં સત્ય છે, જે મૌન રહે છે, જેઓ શન્તિ રાખે છે તેમની વાણી અમોઘ છે.

જો વાણીમાં સત્ય હશે તો તે વાણીનું ફળ પ્રત્યક્ષ પ્રગટે છે. જ્યાં નથી બોલવાનું ત્યાં મૌનની શક્તિ હોવી જોઈએ. એ શક્તિ નથી હોતી ત્યાં શબ્દ વ્યર્થ જાય છે. જે અવસરે ક્ષોભ પેદા થાય, ત્યારે ચિત્તમાં શાન્તિ નથી રહેતી, પરિણામે વાણી ગરબડ કરે છે, સમ્યક્‌ નથી રહેતી. વાણી તો રામબાણ જેવી છે. રામ બાણ બે વાર નથી છોડતા. એક બાણ છોડ્યું કે સફળ જ થવું જોઈએ !

કાળીદાસે ‘રઘુવંશ’માં એક સૂત્ર આપ્યું છે. सत्याय मितभाषिणाम्‌ − સત્યના સંરક્ષણ માટે મિતભાષી બનીએ. આમ તો મુત્સદ્દી લોકો પણ મિતભાષી હોય છે. તેઓ સત્યના સંરક્ષણ માટે નહીં, અસત્ય છુપાવવા માટે મિતભાષી હોય છે. તે અયોગ્ય ભાવ-પ્રકાશન સંયત હોય, તે સત્યાર્થ-પ્રકાશન માટે જરૂરી છે. તેનાથી સમય પણ ખૂબ બચે છે – અને થોડા શબ્દોમાં વિચાર અધિક ખૂલે છે.

અવ્યક્તમાં જે શક્તિ છે, તેનાથી ભિન્ન શક્તિ વ્યક્તમાં છે. અવ્યક્તમાં જે અશક્તિ છે તેનાથી ભિન્ન અશક્તિ વ્યક્તમાં છે. સંયત વાણી વ્યક્ત અને અવ્યક્તની અશક્તિને દૂર કરે છે તથા વ્યક્ત અને અવ્યક્ત શક્તિનો સરવાળો કરે છે. માટે સંયત વાણી. આમ જોઈએ તો પતંજલિના યોગસૂત્રમાં કુલ 195 સૂત્ર છે – નાના અક્ષરે એકાદ પાનામાં બધાં લખી શકાય. પણ આજે અઢી હજાર વર્ષ થયાં છતાં તેનું જોર ઘટ્યું નથી! તે દુનિયા પર અસર કરી રહ્યું છે. એક નાનકડું ‘ઈશાવાસ્યોપનિષદ’. 18 મંત્રોનું ઉપનિષદ છે. કારણ કે બહુ થોડામાં લખીને સંતોષ માન્યો છે.

ધર્મનો સહુથી પહેલો આદેશ છે, ‘સત્યં વદ’. મનુષ્યના બધા વ્યવહાર વાણી ઉપર અવલંબિત છે, અને સત્યનિષ્ઠા જ વાણીના સામર્થ્યનો મૂળ આધાર છે. સત્યપૂત વાણીમાંથી અમોઘ વીર્ય પેદા થાય છે. ‘સત્ય હોય એ જ બોલવું’ – એવા નૈષ્ઠિક સત્યાચરણમાંથી ‘જે બોલવામાં આવશે તે સત્ય થશે’ – એવું સામર્થ્ય પ્રગટ થાય છે. ‘યદ્દ યદ્દ વદતિ તત્તદેવ ભવતિ.’ જેની વાણી સિદ્ધ છે, તે મનુષ્ય જે બોલશે તેવું થશે. ત્યાં સુધી અનુભવ પહોંચ્યો છે કે વાણીની સિદ્ધિ સાક્ષાત્‌ ફળદાયી થાય છે. જે માણસને વાણીની સિદ્ધિ થઈ જાય છે, તે જે શબ્દ બોલે છે, તદનુસાર દુનિયામાં થાય જ છે, એટલી બધી શક્તિ તેનામાં આવે છે. આને આશીર્વાદશક્તિ કહે છે. આ એક સિદ્ધિ છે. જે મનુષ્ય વાણીનો ઉપયોગ વિશેષ પ્રકારે કરે છે, તેને તે સિદ્ધિ મળે છે. જ્વલંત સત્યનિષ્ઠામાંથી કાવ્યનો જન્મ થાય છે. સૃષ્ટિનાં ગૂઢ રહસ્યો અથવા સમાજ-હૃદયની સૂક્ષ્મ ભાવનાઓ ઉકેલી બતાવવાનું સામર્થ્ય જોઈતું હોય, તો સત્યપૂત બોલવું જોઈએ. જે વાચાશુદ્ધ હોય છે, તે વાચાસિદ્ધ થાય છે.

જે સમાજની વાણી દૂષિત છે તે સમાજની ઉન્નતિ નથી થતી. આપણે ત્યાં કહેવાય છે કે જ્યાં  લક્ષ્મી હોય ત્યાં સરસ્વતી નથી હોતી, અને જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી નથી રહેતી.

પરંતુ વેદમાં આવે છે – सक्तुमिव तितउना पुनन्त: । यत्र धीरा मनसा वाचमक्रता अत्रा सखाय: सख्यानि जानते। भद्रेषां लक्ष्मीर्निहिताधि वाचि। જે દેશના લોકો ગરણે ગાળીને વાણી બોલે છે, અર્થાત્‌ મનનપૂર્વક અને બુદ્ધિપૂર્વક, શાંતિપૂર્વક વાણી બોલે છે ત્યાં તે સમાજમાં લક્ષ્મી રહે છે – તેવું વર્ણન કર્યું છે. લક્ષ્મી એટલે પૈસો નહીં. લક્ષ્મી અને પૈસાનો ભેદ લોકો સમજતા નથી. લક્ષ્મી એટલે શોભા, શ્રી, કાંતિ, ઉત્પાદન, સૃષ્ટિનું ઐશ્વર્ય, નિર્માણ. પૈસા તો કૃત્રિમ છે. ઋગ્વેદ જે વાત કરે છે તે લક્ષ્મીની આ વાત છે.

સૃષ્ટિ અને માનવની વચ્ચે પડદો નથી. માનવ સૃષ્ટિ પાસેથી સીધો બોધ ગ્રહણ કરી શકે છે, આજ સુધી તેમ કરતો રહ્યો છે. એ જ બોધ વાણીમાં ઊતરીને વાંગ્મય અને સરસ્વતીની કૃપાથી સારસ્વત બને છે.

વિચારનું પ્રકાશન વાણીથી થઈ શકે છે, પરંતુ વાણી કરતાં ય કિમતેરી ચીજ છે જીવન અને આચરણ. તેના દ્વારા વિચારનું પ્રકાશન થાય છે. વાણી તો સારું સાધન છે જ પરંતુ તેનાથી ય સૂક્ષ્મ સાધન છે, જીવન.

બધાં શાસ્ત્રોનો આધાર છે આચાર. આચારમાંથી જ ધર્મની ઉત્પત્તિ થાય છે. અને ધર્મના સ્વામી છે પરમેશ્વર. એ ધર્મ-સ્વામી પરમેશ્વરના નામ-સ્મરણ અને તેમના ગુણોનું ચિંતન કરવાથી સદાચારની પ્રેરણા મળે છે. સ્વાભાવિક જ આ ગુણ-સ્મરણ માટે મનુષ્યએ નિત્ય જાગરૂક રહેવું જોઈએ.

વાણી વિજ્ઞાનથી પણ આગળ વધીને સીધી હૃદય પર અસર કરે છે. આત્મજ્ઞાન અંદર પ્રકાશ પાથરે છે. વિજ્ઞાન બહાર રહે છે, આત્મજ્ઞાન અંદર જાય છે. એ બન્ને વચ્ચે વાણી પુલ રચે છે. સેતુ બાંધે છે. બંને તટનો સંયોગ કરે છે અને બંને કિનારે પ્રકાશ પાથરે છે. તુલસીદાસ કહે છે

राम नाम मनि दीप धरा जीह देहरी द्वार
तुलसी मीतर बाहेरहुँ जौं चाहसि उजिआर।

અગર તું અંદર અને બહાર બંનેને ઉજ્જવળ કરવા ઈચ્છતો હો તો આ રામનામરૂપી દીપ જીહ્વારૂપી દ્વાર પર મૂક. રામનામરૂપી દીવીને પ્રગટાવતા જ અંદર અને બહાર સર્વત્ર પ્રકાશ ફેલાઈ જશે.

વાણીનો સદુપયોગ

ભક્તિમાર્ગની મુખ્ય શીખવણી છે કે વાણીથી હરિનામ લેતા રહો. શરીર સંસારમાં ભલે કામ કરતું રહે પણ વાણીમાં સંસાર ન હોય. વાણીનો મન પર બહુ મોટો સંસ્કાર ઊઠે છે. કોઈ સુંદર ભજન સાંભળીને સૂતા હોઈએ તો સવારે ઊઠતાં જ તે ભજન આપોઆપ યાદ આવી જશે. એવો નાદ એ ઊંઘમાં પણ મનમાં ઘૂમ્યા કરે છે.

આવું જ મૌન પણ એક સાધન છે. આ મૌન એટલે મૂંગા રહેવું એમ જ નહીં. મનનપૂર્વક મૌન સેવવાનું છે. મૌન રાખીને અંદર સતત સદ્ભાવના સેવતા રહેવાની છે. આવા મનનપૂર્વકના મૌનથી વાણીની તાકાત વધે છે. આવી કેટલીક મર્યાદાઓ પાળીએ તો વાક્‌-શક્તિ પ્રબળ થાય છે.

વાણી દ્વારા સખ્ય પણ સાધી શકાય છે અને વેર પણ બાંધી શકાય છે. વાણીનું વેર જેટલું ટકે છે તેટલું શસ્ત્રનુંયે વેર નથી ટકતું. એટલા વાસ્તે આખા વિશ્વની મૈત્રીની ઈચ્છા રાખનાર વિશ્વામિત્રની પ્રાર્થના છે, ‘અમૃતમં મે આસન્‌’ − મારી વાણીમાં અમૃત હો! ક્યારેક એવો અનુભવ થાય છે કે સહૃદય વ્યક્તિના શબ્દો પણ કટુ હોય છે. સાચી વાત તો એ છે કે ઉતાવળા લોકો જ કટુ વાણી બોલી નાખે છે. સાચા માણસોને જ્યારે અક્કલ નથી હોતી, ત્યારે તેઓ ઉતાવળા થઈ જાય છે અને પછી કટુ બોલી નાખે છે. અક્કલ હોય, તે તેઓ મિત અને મધુર બોલે. મધુરતા સત્યનું અનુપાન છે અને મિતતા એનું પથ્ય છે. જેને આપણે નિશ્ચિત વાણી કહીએ છીએ, તે સત્ય, મિત અને મધુર હોય છે, અને એ જ પરિણામકારક પણ નીવડે છે. સમાજનું હિત નિશ્ચિત વાણીથી જ સધાશે. વાણી વિચારનું શરીર છે. અમુક વિચાર અમુક કોઈ ખાસ શબ્દમાં જ સમાય છે. એટલા વાસ્તે ગંભીર ચિંતન કરનારા નિશ્ચિત વાણીની શોધમાં રહે છે.

વાણીના અવગુણો વર્જ્ય

જ્ઞાનદેવે સાહિત્યકારોને સૂચના આપી છે. તેમણે સાહિત્યના વિચારે વાણીના અવગુણોને વર્જ્ય માન્યા છે. વિરોધ, વાક્પટુતા, પ્રાણીમાત્ર સાથે છળ-કપટ, ઉપહાસ, મર્મસ્પર્શી વાતચીત, આવેગયુક્ત વાર્તાલાપ વગેરેને આજે કૌશલ્યો ગણવામાં આવે છે, તેને જ્ઞાનદેવે વાણીના અવગુણો ગણાવ્યા છે. તેમણે એક જગ્યાએ કહ્યું છે કે સંસારમાં થતી લેણદેણ સુખરૂપ થવા દો. મુખમાંથી મંગળ શબ્દો જ સરવા દો. જેમ કોઈ મહામલ્લની સામે નાનું બાળક મલ્લકુસ્તી કરવા ઊભું રહી જાય, ત્યારે તે મહામલ્લ બાળકને કેવી રીતે રમાડતો હોય છે, લડતો નથી હોતો, તેવી રીતે સાહિત્યકારોએ જાણવું જોઈએ કે તેઓ મહામલ્લ છે અને તેની સામે થતો વિરોધ ઉપરછલ્લો હોય છે.

જ્ઞાનદેવે તો કહેલું કે મારો આ જે વાક્‌-યજ્ઞ થઈ રહ્યો છે, તેનાથી તો આ વિશ્વાત્મક પ્રભુની પૂજા થઈ રહી છે. અને તેનાથી તે પ્રસન્ન છે. સાહિત્યકારો આવા વિરાટ કાર્યના દર્શન કરે. અને પ્રશ્નો, ઝઘડા, વાદો તથા તેને લઈને ઉદ્દભવતા અનેક મતભેદોની ઉપેક્ષા કરીને જોવું. નામ-સંકીર્તન, સત્ય વચન, સ્વાધ્યાય વગેરે દ્વારા વાણીને શુદ્ધ કરી શકાય છે, તેનાથી ચિંતન અને આચરણ બેઉનું નિયમન કરવું સરળ બને છે.

વાણીનું સામર્થ્ય

લોકો મને છે કે તપથી શરીર ક્ષીણ થાય. પણ તે ખોટી ધારણા છે. શરીર તો ભોગથી ક્ષીણ થાય છે. તપથી તો શરીર પુષ્ટ થાય છે. તપનું ધ્યેય શરીરને પુષ્ટ, મજબૂત કરવાનું છે. શરીરમાં મન અને બુદ્ધિ છે. શરીર, વાણી અને મનને મજબૂત બનાવવા માટે ગીતાએ શારીરિક, વાચિક અને માનસિક એવા ત્રિવિધ તપનો ઉલ્લેખ કર્યો છે. તે ત્રણેય અલગ ક્રિયાઓ છે પણ આ ત્રણેયને સ્થૂળ અર્થમાં મજબૂત બનાવવાની અહીં વાત નથી. ત્રણેયને સામર્થ્યવાન બનાવવાની અહીં વાત છે. શરીરનું સામર્થ્ય તનના આરોગ્ય અને સ્ફુિર્તમાં છે. મનનું સામર્થ્ય તેની નિર્મળતામાં છે. વાણીનું સામર્થ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને સત્ય બોલવામાં છે. તપસ્વીની વાણીમાંથી જે પ્રગટે તે સત્ય જ હોય. તેની વાણીમાંથી અસત્ય નીકળે જ નહીં. સત્યનિષ્ઠા એક મહાન શક્તિ છે.

[સંકલિત]

સહયોગ : “ભૂમિપુત્ર”, 16 જુલાઈ 2016; પૃ. 01-02 & 19

મુદ્રાંકન સૌજન્ય : આશાબહેન બૂચ

Loading

...102030...3,6323,6333,6343,635...3,6403,6503,660...

Search by

Opinion

  • સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત
  • Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?
  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved