Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9299638
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુચરિતાનું વીણાવાદન

દીપક મહેતા|Opinion - Literature|14 October 2014

(ગયા સોમવારે [06 અૉક્ટોબરે] મનુભાઈ પંચોળી દર્શકની નવલકથા ‘દીપનિર્વાણ’ની નાયિકા સુચરિતાની વાત રજૂ કરતી એકોક્તિનો પૂર્વાર્ધ રજૂ કર્યો હતો. આજે એનો ઉત્તરાર્ધ, જન્મશતાબ્દી ટાણે દર્શકને આદરાંજલિ સાથે. વીણાવાદિની યુવતીનું રાજા રવિ વર્માનું ચિત્ર અહીં કેવળ પ્રતીકાત્મક રીતે રજૂ કર્યું છે તેની નોંધ લેવા વિનંતી.)

હા, સુદત્ત બોલ્યો ખરો કે ‘આનંદ, સુચરિતા તારી હં – તારી.’ પણ અરે! એ તે ક્યારે? ભસમ સૌ થઈ ગયું પછીથી. ત્યારે નંદીગ્રામ ભસ્મીભૂત થઈ ચૂક્યું હતું. પિતાજીએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. હજારો સૈનિકોએ જાન ખોયા હતા. અરે! સુદત્તના જીવનની પણ એ છેલ્લી ઘડી હતી. હું તો ત્યારે તેને વારવા ગઈ હતી. તે મારા પરના રોષને લઈને આખું નંદીગ્રામ છિન્નભિન્ન કરી રહ્યો હતો. તેથી તે માગે તો મારુંયે મોત તેને ચરણે ધરવા ગઈ હતી. પણ ત્યારે જ તેના કહેવાથી મને ખબર પડી કે સાધ્વીની નહિ, પણ મને વિહારિણીની દીક્ષા આપવામાં આવી છે. ત્યાં સુધી હું તો એમ જ માનતી હતી કે મને સાધ્વીની દીક્ષા અપાઈ છે અને તેથી હવે આ ભવે તો હું ક્યારે ય આનંદની થઇ શકીશ નહિ. જો કે મેં દીક્ષા લીધી ત્યારે પિતાજીએ જે આશીર્વાદ આપ્યા તે સાંભળીને મને અચંબો થયેલો. તેમણે કહેલું : ‘ચિરસૌભાગ્યવતી થા, બહેન.’ તેમના એ શબ્દો પાછળ રહેલું રહસ્ય તો મને સુદત્તે કહેલી વાત પછી જ સમજાયું. અને ખરેખર, એ આશીર્વાદ છેવટે સાચા પડયા. હું આ જન્મમાં સદેહે આનંદની બની શકી. હા, તમે કદાચ મને પૂછશો : “સુચરિતા! બીજું બધું તો ઠીક, પણ તેં તારી જાતને અને તારી દીક્ષાને છેતરી નથી? ભલે તને દીક્ષા વિહારિણીની અપાઈ હોય, તેં તો એમ જ માનેલું ને કે તું સાધ્વી બની ગઈ છે. તેં અષ્ટાદશ વ્રતો પણ લીધેલાં. દીક્ષાથી નહિ, તો ય મનથી સાધ્વી બન્યા પછી તું ફરી સંસારી બની તે યોગ્ય કહેવાય? તેં ન તો સુદત્તને આપેલું વચન પાળ્યું, ન તો ધર્મને આપેલું વચન પાળ્યું.”

સાચી વાત કહું? મેં ઉતાવળમાં સુદત્તને વચન આપી દીધું એ જ મારી ભૂલ હતી. આજે મને થાય છે કે સુદત્ત જ્યારે પદ્મપાણિની મૂર્તિનું સર્જન કરી રહ્યો હતો ત્યારે જ મૂર્તિ અનવદ્ય થશે તો ય હું તને પરણવાની નથી એમ કહેવાની હિંમત હું કેમ ન કરી શકી? મહાકાશ્યપની પુત્રીમાં આટલી હિંમત ન હોય? પણ જીવનમાં એકાદ ભૂલ પણ ન કરી હોય એવો કોઈ કાળા માથાનો માનવી છે ખરો? હું જેને ચાહતી હતી તે આનંદની પત્ની બની શકું એમ નહોતું, અને જેને ચાહતી નહોતી તે સુદત્તની પત્ની હું બનવા માગતી નહોતી. ત્યારે પણ આનંદ સાથે લગ્ન થઈ શકે તેમ હોત તો મેં એ રસ્તો જ લીધો હોત. મેં ઘેનભરી અવસ્થામાં સુદત્તને વચન આપ્યું હતું એમ તો પિતાજી પણ સ્વીકારતા હતા. પણ તેમનું કહેવું હતું કે એક વાર વચન આપ્યું તો મારે તે પાળવું જ જોઈએ. મને ક્યારેક વિચાર આવે છે કે મારા વચનને ધાર્મિક પ્રતિજ્ઞા જેવું સ્વરૂપ પિતાજીએ ન આપ્યું હોત તો? સુદત્તને આપેલું વચન પૂરું ન કરવું પડે એટલા ખાતર મેં દીક્ષા લીધી. મનમાં જાગેલા વૈરાગ્યને કારણે નહિ. એટલે છેવટે જો સુદત્ત મને વચનમાંથી મુક્ત કરતો હોય એટલું જ નહિ, હું આનંદની બનું એમ સાચા હૃદયથી ઇચ્છતો હોય, અને આનંદ પણ મને સ્વીકારવા તૈયાર હોય, ધર્મના આચારનો પણ કશો બાધ નડતો ન હોય, અને આત્રેયદાદા અને ગુરુ શીલભદ્ર જેવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વડીલોના આશીર્વાદ મને મળતા હોય, તો હું વિહારિણી મટી ફરી સંસારિણી બનું એમાં ખોટું શું છે? મેં સુદત્તને વચન આપ્યું એ ભૂલની પૂરતી શિક્ષા શું મેં ભોગવી નથી? એક વાર સુદત્તે મને કહેલું : ‘સુચરિતા, મેં તને આટલી દુચરિતા નહોતી ધારી.’ પણ મને લાગે છે કે માણસના આચરણને, તેના ચરિતને સારું અને ખરાબ એવાં બે ખાનાંમાં વહેંચી શકાતું નથી. સંજોગો તેને સારું કે ખરાબ ઠેરવે છે. હા, મેં સુદત્તને આપેલું વચન ન પાળ્યું. હા, હું તેની બનવાને બદલે આનંદ તરફ ઢળી. હા, મેં દીક્ષાનો ત્યાગ કરી ફરીથી ગૃહસ્થ જીવન સ્વીકાર્યું. પણ આ બધું શું મને દુચરિતા ઠરાવી શકે એમ છે? એક સ્ત્રી તરીકે, એક વ્યક્તિ તરીકે મને મારી મરજી મુજબની પસંદગી કરવાનો હક્ક તો હોય ને? મને સુદત્ત ન બાંધી શકે તેમ પિતા મહાકશ્યપ પણ ન બાંધી શકે. મારા સિવાય બીજું કોઈ મને બાંધી ન શકે.

હા. આજે સિત્તેર વરસ પછી મનુદાદા અંગે એક-બે ફરિયાદ કરવાનું રોકી શકતી નથી. પહેલું તો, સુદત્તને મારી નાખવાની ખરેખર જરૂર હતી? તેને થયેલો પશ્ચાત્તાપ તો સાચા હૃદયનો હતો. પેલા જંગલી મૈનેન્દ્ર માટે કૃષ્ણાને શોધી લાવ્યા તેમ સુદત્ત માટે પણ કોઈ કલાભક્ત કન્યા કેમ શોધી ન લાવ્યા મનુદાદા? તો અમે ચારે પરસ્પરનાં મિત્રો બનીને નંદીગ્રામનું નવનિર્માણ કરવામાં લાગી ગયા ન હોત? આવી અટપટા પ્રસંગોની ઘટમાળમાંથી પસાર થયા પછી છેવટે આનંદ અને હું એકમેકનાં થઈ તો શક્યાં. પણ એક વાત કહું? જેમ કોઈ બાપ બાળકને પહેલાં સારી પેઠે માર મારે અને પછી તેને મીઠાઈ ખાવા આપે તેવું કંઈક મનુદાદાએ અમારી સાથે કર્યું એમ મને લાગે છે. આથી મીઠાઈ ખાતી વખતે પણ કોઈ કોઈ વાર અગાઉ ખાધેલી ધોલ યાદ આવે અને મીઠાઈ મોળી લાગે એવું કૈંક મને લાગે છે, ક્યારેક.

પણ અમારી વાતને મનુદાદાએ ‘દીપનિર્વાણ’ એવું નામ આપ્યું છે. નિર્વાણ શબ્દનો મૂળ અર્થ, વાચ્યાર્થ, તો થાય છે ‘બુઝાઈ જવું.’ પ્રાચીન ભારતમાં પ્રગટેલો ગણતંત્ર રાજ્યનો એક દીપ બુઝાઈ ગયો તેની આ વાત. પણ બૌદ્ધ ધર્મની પરિભાષામાં ‘નિર્વાણ’ શબ્દનો અર્થ વધુ ગૂઢ અને ગહન છે. આ સંસારમાં દુઃખ શા માટે છે? કારણ રાગ, દ્વેષ, અને મોહના ત્રિવિધ તાપ આપણને બાળે છે. આ ત્રિવિધ તાપ જ્યારે બુઝાઈ જાય, શમી જાય, ત્યારે દુઃખનો અંત આવે છે, સંપૂર્ણ શાંતિ મળે છે, પરમ આનંદ મળે છે. આવી શાંતિ, આવો આનંદ, એ જ નિર્વાણ. માણસ માત્ર માટે એ છે અંતિમ પ્રાપ્તિ. એ પ્રાપ્ત કર્યા પછી બીજું કશું મેળવવાનું રહેતું નથી. મારા, આનંદના અને સુદત્તના જીવનમાંના ત્રિવિધ તાપ પણ અંતે બુઝાઈ ગયા છે. અમારા દુઃખનો અંત આવ્યો છે. સુદત્ત તો હવે રહ્યો નથી, પણ આનંદના અને મારા જીવનમાં સંપૂર્ણ શાંતિ છે. અને મારા જીવનમાં તો હવે પતિ રૂપે આનંદ પણ મળ્યો છે. એનું જ બીજું નામ છે નિર્વાણ. તમને થતું હશે : વીણા વગાડતાં વગાડતાં આ બધું ક્યાંથી, ક્યારે શીખી આ છોકરી? મહાકાશ્યપની પુત્રીને, આનંદની સહચરીને, આટલું તો આવડે જ ને?

મારા પિતા મહાકાશ્યપે અંતે યજ્ઞ કરતાં શરીર હોમ્યું હતું. અને હવે તો મનુદાદા પણ સદેહે આપણી વચ્ચે નથી. ત્યારે એ બંને વિષે ફરિયાદ કરવી એ મને ન શોભે. જે વિધિનિર્મિત હતું તે થયું. અને હા, ક્યારેક વિચારું છું ત્યારે મને થાય છે કે ગોવર્ધનરામ ત્રિપાઠીની કુમુદસુંદરી કરતાં, કનૈયાલાલ મુનશીની મંજરી કરતાં, પન્નાલાલ પટેલની જીવી કરતાં તો હું વધુ નસીબદાર નીવડી. ન મારે કુમુદની જેમ આનંદને બીજી સ્ત્રી સાથે પરણાવવો પડ્યો. ન મારે મંજરીની જેમ આનંદ વગર તરફડતાં જીવ કાઢવો પડ્યો. ન મારે જીવીની જેમ આનંદનો સાથ મેળવતાં પહેલાં ગાંડા થવું પડ્યું. વીણાના તારમાંથી કેવા સૂર કાઢવા તે વીણા પોતે નક્કી નથી કરી શકતી. એ નક્કી કરે છે તે તો તેનો બજવૈયો. અને મારા બજવૈયાએ મને એ ત્રણ સખીઓ જેટલું સહન કરવાની ફરજ તો નથી પાડી. તો  ચાલો, આનંદે મને પહેલી વાર જોઈ ત્યારે વીણા વગાડતી હતી તેમ આજે પણ હું વીણા વગાડવા લાગું. અને હા, મારું વીણા વાદન સાંભળતી વખતે આંખો બંધ કરી દેજો. મને નહિ, મારા માંહ્યલાને જોશો ત્યારે જ મને સાચી રીતે જાણી શકશો.

સૌજન્ય : ‘ફોકસ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 13 અૉક્ટોબર 2014

Loading

આપણી ભાષાની એક મહાન નવલકથા

દીપક મહેતા|Opinion - Literature|13 October 2014

“રોહિણી, સત્યકામ, હેમંત, બેરિસ્ટર, ગોપાળબાપા, અચ્યુત, રેખા, એ છે મારું આવતી કાલનું ગુજરાત. તેને સાવ ભૂંસી નાખવાં શક્ય નથી.”

હા, આત્મશ્રદ્ધા અને આત્મશ્લાઘા વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે. પણ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના આ શબ્દોમાં એક સાચા સર્જકની આત્મશ્રદ્ધા ભરી પડી છે, તેમાં આત્મશ્લાઘાનો અંશ પણ નથી. આ, અને બીજાં અનેક પાત્રોને સજીવ કરીને વાચકના મનમાં કાયમી સ્થાન મેળવનાર નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ની ગણના આપણી ભાષાની થોડી ઉત્તમોત્તમ નવલકથાઓમાં કરવી પડે.

ત્રણ ભાગમાં વિસ્તરેલી આ નવલકથા માત્ર સુદીર્ઘ જ નથી, તેના કથાપટમાં જેટલી વિશાળતા છે તેટલી જ ગહનતા પણ છે. તેનો પહેલો ભાગ બહાર પડ્યો ૧૯૫૨માં. દેશમાં આઝાદી આવી હતી, પણ દેશના ભાગલા અને ગાંધીજીની હત્યાને કારણે એનો આનંદ ઝાઝો નહોતો. બીજો ભાગ પ્રગટ થયો ૧૯૫૮માં. આઝાદ ભારતના તંતુઓ વિદેશો સાથે, ત્યાંની ઘટનાઓ સાથે જોડાતા થયા હતા અને વિશ્વના દેશોની સભામાં પોતાનું સ્થાન મેળવવા ભારત મથી રહ્યું હતું. પણ તે પછી વર્ષો વીતતાં ગયાં. ત્રીજા ભાગ માટેની આતુરતા ધીમે ધીમે સંદેહમાં બદલાવા લાગી. દર્શક પાસેથી ત્રીજો ભાગ મળશે? નહિ મળે? મળશે તો ક્યારે?

અને છેવટે ૧૯૮૫માં ત્રીજો અને છેલ્લો ભાગ પ્રગટ થયો. હા, એવા વાચકો અને વિવેચકો ત્યારે પણ હતા અને આજે પણ છે જે ત્રીજા ભાગ કરતાં બીજા ભાગ વિષે અને બીજા ભાગ કરતાં પહેલા ભાગ વિષે વધુ ઉમળકાથી વાત કરતા હોય. રોહિણી અને સત્યકામ વચ્ચેનો પ્રેમ એ આ કથાનું સળંગસૂત્ર છે એ સાચું. પણ દર્શકને માત્ર પ્રણયની વાત કરવામાં જેમ ‘દીપનિર્વાણ’માં રસ નહોતો તેમ આ નવલકથામાં પણ નહોતો. તેમની નેમ કથાને ઘણા વ્યાપક ફલક પર મૂકી આપવાની રહી છે. રઘુવીર ચૌધરીએ કહ્યું છે તેમ ‘ગુજરાતી વાચકને વૈશ્વિક અનુભવોમાં ભાગીદાર બનાવવામાં એમનો ફાળો બીજા કોઈ ગુજરાતી લેખક કરતાં વધારે છે.’

વખત પહેલાં એક કન્નડ લેખક વિષે લખતાં આપણા એક આવા વિવેચકે લખ્યું કે “એના નાયકે ‘મોટા’ અને ‘ઐતિહાસિક’ બનવા દર્શકના સત્યકામ જેમ યુદ્ધ કાળના જર્મનીમાં કે કશે જવું પડતું નથી.” અરે ભઇલા, દુનિયાની કેટલીયે ઉત્તમોત્તમ નવલકથાનાં પાત્રોને તેના લેખકોએ ઠેર ઠેર ફેરવ્યાં છે. નામ ગણાવવા બેસીએ તો પાર ન આવે. દર્શક ખોટા, એ બધા ખોટા, સાચા એક પેલા કન્નડ લેખક જ? આવા વિવેચકોને જવાબ આપવા માટે જ કદાચ વર્ષો પહેલાં દર્શકે લખ્યું હતું : “સર્જન કોઈને માટે થતું નથી; કોઈને ઉપયોગી અવશ્ય થાય છે. વિવેચક ને વાચકે કરેલી કદર સહાયભૂત થાય છે. પણ સર્જનનાં ફૂલો તો ચડે છે અંતરદેવતાને.”

આ નવલકથા અંગેની એક સાચી વાત યશવંત શુક્લે કહે હતી : “ઝેર તો પીધાં છે જાણી જાણી ગુજરાતી ભાષા સાહિત્યક્ષેત્રની એક અપૂર્વ ઘટના છે. આ પૂર્વે વિશાળકાય નવલકથાઓ આપણને મળી છે. સરસ્વતીચંદ્રના ચાર ખંડોને તો ભૂલાય જ કેમ? કથાત્રયીઓ પણ ગુજરાતીમાં દર્શાવી શકાશે. પણ તુલનાની તરખડમાં પડ્યા વિના ઝેર તો પીધાં છે જાણી જાણીને હું અપૂર્વ ઘટના એટલા માટે કહું છું કે ગુજરાતના જ નહિ, ભારતના સીમાડા સુધ્ધાં ઓળંગીને, આ બૃહદ નવલકથાએ જાગતિક સંદર્ભ પ્રયોજ્યો છે. ગુજરાતી ભાષામાં અવતરેલી વૈશ્વભાવ નિરૂપતી આ એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કથા છે.” આ નવલકથાનું નાટ્ય રૂપાંતર ૧૯૬૨-૬૩માં અત્યંત સફળતાથી ભજવાયું હતું. તેનો સૌથી પહેલો પ્રયોગ સુરતના રંગ ઉપવનમાં ૧૯૬૨ના ઓક્ટોબરની બાવીસમી તારીખે રજૂ થયો હતો. રોહિણીની ભૂમિકામાં વર્ષા આચાર્ય (જે પછીથી વર્ષા અડાલજા બન્યાં), સત્યકામની ભૂમિકામાં ઉપેન્દ્ર ત્રિવેદી, અને ગોપાળબાપાની ભૂમિકામાં વિષ્ણુકુમાર વ્યાસને રજૂ કરતું આ નાટક ગુજરાતી રંગભૂમિનું એક સીમાચિહ્ન બની રહ્યું.

આપણી ભાષામાં નવલકથાઓને બે ખાનાંમાં વહેંચી નાખવાનો ચાલ છે. નવલકથા આજની વાત કરે છે? તો નાખો એને સામાજિક નવલકથાના ખાનામાં. નવલકથા ગઈ કાલની વાત કરે છે? તો નાખો એને ઐતિહાસિક નવલકથાના ખાનામાં. ચણે તો ચકલું, નહિતર મોર, એ ન્યાયે. અને વળી ઐતિહાસિક નવલકથાના લેખકને માથે એક બિન-સાહિત્યિક જવાબદારી નાખવામાં આવે છે : ‘ઇતિહાસ’ને વફાદાર રહેવાની. કોઈ પાત્ર, કોઈ પ્રસંગ, જરા આઘું પાછું થયું કે બૂમ પડે, ઇતિહાસના દ્રોહની. આપણા કેટલાક વિવેચકોએ આવાં કારણો આગળ કરીને કનૈયાલાલ મુનશીને માથે માછલાં ધોયાં હતાં. પણ એ વિવેચકોનાં આજે નામ પણ ભૂલાઈ ગયાં છે, જ્યારે જય સોમનાથ, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ હજી આજે ય વંચાતી રહી છે. આપણી પહેલી નવલકથા કરણઘેલો લખનાર નંદશંકર મહેતા ઇતિહાસ પ્રત્યેની અને અંગ્રેજ સરકાર પ્રત્યેની વફાદારી સાચવી શક્યા તેટલી નવલકથા પ્રત્યેની વફાદારી સાચવી ન શક્યા. દર્શક નવલકથાકાર તરીકે નંદશંકરના નહિ, મુનશીના અનુગામી છે. આથી જ તેમણે કહ્યું છે : “ઝેર તો પીધાં છે જાણી જાણી વર્તમાન કાળની ઐતિહાસિક કથા છે. તેમાં કેટલાંક પાત્રો યથાવત છે, કેટલાંક ઐતિહાસિક કલ્પનામાંથી પ્રગટ્યાં છે, પણ ઇતિહાસના સારને લાગેવળગે છે ત્યાં સુધી તે ઐતિહાસિક ગણાય. અહીં ઇતિહાસ એટલે ઇતિહાસનું પાઠ્યપુસ્તક લક્ષમાં નથી. ઝેર તો પીધાં છે જાણી જાણી તેમ જ મારી બીજી નવલકથાઓમાં ઇતિહાસને તેના પ્રદીપ રૂપે પ્રગટ કરવા મેં કોશિશ કરી છે, કારણ કે ઇતિહાસનું પ્રત્યક્ષીકરણ જ લોકસ્ય ચક્ષુઃ છે.”

કથાના આરંભે મહારાજા સયાજીરાવ દૂર દેખાતી ટેકરીઓ દૂરબીન માંડીને જોતા હતા. ત્યાં કોતરોમાંથી આવેલો એક ખેડુ માણસ પ્રણામ કરીને શ્રીમંત સયાજીરાવને ફળ ભેટ ધરે છે. હાથમાંનું દૂરબીન બાજુએ મૂકીને મહારાજ પૂછે છે, ‘શું છે?’ ‘બોર.’ કાગદી લીંબુ જેવડાં બોરને જોઈને રાજવીએ પૂછ્યું. ‘બોર! આવડાં મોટાં? ક્યાંથી લાવ્યા?’ ‘અહીંની મારી બોરડી પરથી. મેં એ જાતે ઉછેરી છે.’ આપણા કેટલાક વિવેચકો પણ સતત દૂરબીન માંડીને દૂરની ટેકરીઓ જોતા રહે છે. દર્શક જેવો કોઈ લેખક ઝેર તો પીધાં છે જાણી જાણી જેવી નવલકથા લઈને આવે ત્યારે પૂછે છે : ‘આ શું છે?’ કારણ તેઓ તો દૂર દેશની ટેકરીઓ પરની નાનકડી ચણોઠીને દૂરબીનથી જોઈને શ્રીફળમાં ખપાવતા હોય છે. એટલે સત્તાવાહી સ્વરે પૂછે : ‘ક્યાંથી લાવ્યા?’ ગોપાળબાપા મહારાજને જે જવાબ આપે છે તે જ જવાબ આવા વિવેચકોને દર્શક પણ કદાચ આપે : ‘અહીંની મારી બોરડી પરથી. મેં એ જાતે ઉછેરી છે.’

લગભગ ૬૦૦ પાનાંમાં વિસ્તરેલી આ નવલકથાનો સાર થોડા શબ્દોમાં આપવાનું શક્ય નથી. પણ સપાટી પરથી જોતાં આ રોહિણી અને સત્યકામ વચ્ચેના યોગ, વિયોગ, અને સંયોગની કથા છે. યશવંતભાઈ દોશી આપણા એક અત્યંત સ્વસ્થ, તટસ્થ, અને સમતોલ સમીક્ષક હતા. તેમણે આ નવલકથા વિષે લખ્યું છે : “ગુજરાતીમાં રસપ્રદ અને કલામય નવલકથાઓ ઘણી છે, પણ મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે : સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ, અને ઝેર તો પીધાં છે જાણી જાણી. આ નવલકથાના લેખકની વિશેષતા એ છે કે તેમણે જેમ મુલાયમ પાત્રોથી ભરપૂર એક માધુર્યસભર કલાસૃષ્ટિ સર્જી આપી છે, તેમ કોઈ એક મર્યાદિત દેશ-પરદેશના જ નહિ, પણ જગત ભરના માનવસમાજની એક મહાસમસ્યાનું ગુજરાતીમાં તો અનન્ય એવું દર્શન કરાવ્યું છે. વિશ્વ સાહિત્યમાં મહાન લેખકોએ જ આવી કૃતિઓનું નિર્માણ કર્યું છે.”

XXX XXX XXX

સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 12 ઓક્ટોબર 2014

Loading

નિર્વ્યાજ, નિરપેક્ષ સ્નેહ

નંદિતા ઠાકોર|Opinion - Opinion|13 October 2014

મારી હથેળીમાં સમાય એવડો નાનકડો હતો એ, ને તો ય અને અડતાં, ઊંચકતા મને ફાવતું નહીં. સહેજ ડર પણ લાગતો. અણગમો નહિ, પણ ગમો ય નહીં. બસ એક નિર્વિકાર ભાવ.
પણ દૂરથી હું એને જોતી. મારી દીકરી એને રમાડતી તે ય જોતી. ત્યાં મને અચાનક ખ્યાલ આવ્યો કે એના નાનકડા પિંજરામાંથી એ પણ મને જુએ છે. મોટી મોટી આંખોમાં ક્યારેક વિસ્મય, ક્યારેક હું ના સમજી શકું એવું કૈક,ને ક્યારેક ખુશી, આનંદ જેવું ય કૈંક. કોઈવાર મને થતું કે આ ભાવવૈવિધ્ય ખરે જ છે કે પછી એ મારા જ મનનાં સંચલનો છે? પણ ધીરે ધીરે એક પરિચય કેળવાતો ગયો. હું એને કોઈવાર બોલાવતી, એની નોંધ લેતી અને એ એની રીતે, એની ભાષામાં આ નોંધ લેવાયાનો પડઘો પાડતો.

વ્યોમા હવે ક્યારેક એને બહાર કાઢીને છૂટો મૂકતી અને એ ઘર આખામાં રખડીને કોક મનપસંદ ખૂણો શોધી બેસી જતો. એક દિવસ બહાર કાઢ્યા પછી એ સીધો રસોડામાં આવ્યો અને હું ઊભી રહીને કામ કરતી હતી ત્યાં મારા પગ પાસે ગોઠવાઈને બેસી ગયો! એણે આ પહેલ કરી પછી પણ મને એને આવકારતાં સહેજ વાર લાગતી પણ મારો એની સાથેનો વાર્તાલાપ વધ્યો, એની આદતો, જરૂરતો સમજાવા લાગ્યા.
હવે તો હું જ્યાં હોઉં ત્યાં મારા ચરણોમાં જ સ્થાન ગ્રહણ કરી લેવું એવું એણે નક્કી જ કરી લીધું! થોડા દિવસમાં તો મારી બાજુમાં બેસવું, કે હું સંગીત શીખવતી હોઉં ત્યારે એકધ્યાન થઈ શાંતિથી સાંભળવું એ શરૂ થયું. મારો એના તરફનો ગમો વધવા લાગ્યો. વ્યોમાએ પાડેલું 'બબા' નામ મને ગમતું નહીં એટલે હું એને જાતજાતના નામે બોલાવતી અને 'ચિમચિમ' નામ પડ્યા પછી ય આખરે ચીમન કહેતી થઈ તે ય એણે સ્વીકાર્યું..

અને પછી એક વાર ગુડનાઈટ કહેવા આવેલી દીકરીના હાથમાંથી ધરાર કૂદકો મારી એ બેસી ગયો મારા ખોળામાં અને મારી સામું જોઈ રહ્યો – જાણે કહેતો હોય, 'તું એકલી નાનુને જ વ્હાલ કેમ કરે છે? મને પણ કર! ' મેં એના માથા પર, શરીર પર હળવેથી હાથ ફેરવ્યો અને એ તો આંખ બંધ કરી, શરીર રીલેક્સ કરી ગોઠવાઈ ગયો! પછી તો આ રૂટીન થતું ગયું. મારો પગરવ ઓળખીને હું નજીક આવું તો એની ભાષામાં મને બોલાવવી, પાણી કે ખાવાનું ખલાસ થયું હોય તો અવાજ ઊંચો કરી ફરિયાદ કરવી, અને રાત્રે એના માથે હાથ ફેરવી બે વાત ન કરું ત્યાં સુધી જવું જ નહિ એ પ્રથા એણે શરૂ કરી. મને ખબર પણ ન પડી કે હું ક્યારે એના રૂટીનમાં ગોઠવાઈ ગઈ! એની હાજરી, અવાજ, આદતો, જરૂરતો, તકલીફો એ બધામાં હું ક્યારે ભળી ગઈ એ જ સમજાયું નહિ! એકવાર મુંબઈથી દીકરીઓ સાથે skype પર વાત કરતાં મને જોઈ, સાંભળી એણે લેપટોપના સ્ક્રીન પર કૂદકો માર્યો, મારી પાસે આવવા, અને મારા રહ્યા સહ્યા બંધ પણ છૂટી ગયા .. સહજ મમતાની આડે હવે કશું ય રહ્યું નહીં!

આઠમી ઓક્ટોબરે સવારે એણે સાડા પાંચ વર્ષ અમારી પાસે રહી કાયમી વિદાય લીધી – એની આગલી સાંજે પણ એની નાદુરસ્ત તબિયતે મારા ખોળામાં જ એ શાંતિથી થોડું ઊંઘ્યો હતો. 
એને વિદાય આપવાનું વ્યોમા માટે તો આકરું થયું જ,પણ મારા માટે પણ – કારણ કે એણે જ તો પોતાને સાવ સહજતાથી મને સમર્પી દઈ મને નિર્વ્યાજ, નિરપેક્ષ સ્નેહ કરતાં શીખવાડ્યું!

https://www.facebook.com/profile.php?id=1474836073&fref=nf

Loading

...102030...3,6323,6333,6343,635...3,6403,6503,660...

Search by

Opinion

  • ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ!
  • કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !
  • સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’
  • સોક્રેટિસ ઉવાચ-૮  : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ
  • જમીન 

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved