Opinion Magazine
Number of visits: 9882385
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે ગાંધીજનોની પહેલ

મુદિતા વિદ્રોહી|Gandhiana|6 September 2016

દલિતો પર વિવિધ પ્રકારના અત્યાચાર આખા દેશમાં અને ગુજરાતમાં ઠેરઠેર થયા જ કરે છે અને તેના સમાચારો આપણા સુધી પહોંચ્યા કરતા હોય છે. તે વિશે કાયમ ચિંતા અને મનોમંથન ચાલ્યા કરતું હોય છે, પરંતુ આ વખતે ઉનામાં બનેલી ઘટનાએ જાણે બધાને અંદરથી હલાવી મુક્યા છે. આ ઘટનાના વિરોધમાં અને ફરી આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે ૩૧મી જુલાઈના રોજ અમદાવાદમાં આશરે ૨૦,૦૦૦ લોકો ભેગા થયા અને દલિતો સામે થતા અત્યાચારના વિરોધમાં મહાસંમેલનનું આયોજન યોજાયું. ત્યાંથી એમ પણ જાહેરાત કરવામાં આવી કે પાંચથી ૧૫ ઑગસ્ટ દરમિયાન એક યાત્રા અમદાવાદથી નીકળી ઉના પહોંચશે અને ત્યાં ધ્વજવંદન કરી સ્વતંત્રતાદિવસની ઉજવણી થશે.

દરમિયાન સર્વોદયના સાથીઓ વારાણસીમાં ૨૮થી ૩૦ જુલાઈ દરમિયાન એક બેઠક માટે ભેગા થયા હતા, ત્યારે ગુજરાતમાં દલિતોના પ્રશ્ન માટે, ખાસ કરીને તાત્કાલિક ધોરણે ઉનાના પ્રશ્નને લઈને તરત જ કંઈક કરવું જોઈએ એવું એક સૂરે નક્કી થયું. ત્યાં પણ એક યાત્રા કરવી એવો પ્રસ્તાવ આવ્યો હતો. છેવટે નક્કી થયું કે મોટા સમઢિયાળા જઈ પીડિતોની મુલાકાત લેવી અને તેમની પડખે ઊભા રહી તેમને હિંમત આપવી.

૯મી ઑગસ્ટના રોજ સર્વોદય અને ગાંધીવિચારના ૧૦ કાર્યકર્તા, જેમાં સેવાગ્રામ આશ્રમ-પ્રતિષ્ઠાનના અધ્યક્ષ જયવંત મઠકરજી, સર્વ સેવા સંઘના અધ્યક્ષ મહાદેવ વિદ્રોહી, લોકસમિતિ તરફથી નીતા મહાદેવ વિદ્રોહી, મુંબઈ સર્વોદય મંડળના અધ્યક્ષ જયંત દીવાન, વિનોબા આશ્રમ-ગાગોદેના વિજય દીવાણ, શંકર બગાડે, રામકૃષ્ણ દિઝસકર, સદ્ભાવનાસંઘના શેખ હુસૈન, મુદિતા વિદ્રોહી અને ધીમંત બઢિયા વગેરે ઉના જવા રવાના થયાં. યાત્રાની શરૂઆત સાબરમતી આશ્રમમાં હૃદયકુંજના ઓટલા ઉપર પ્રાર્થના સાથે થઈ.

આ દરમિયાન દલિત અસ્મિતાયાત્રા બરવાળા પહોંચી હતી. રસ્તામાં તેમની મુલાકાત લીધી. દલિત અસ્મિતાયાત્રા જિજ્ઞેશ મેવાણીના નેતૃત્વ હેઠળ ચાલી રહી હતી અને આ યાત્રાને ગામેગામથી સારો પ્રતિભાવ મળી રહ્યો હતો. તે દિવસે જિજ્ઞેશને તાવ હતો અને તબિયત ઠીક ન હોવાને કારણે તેઓ બરવાળામાં હતા, તેથી પહેલા તેમને ત્યાં મળવા ગયા. તેમની સાથે મિત્રોએ સારી ચર્ચા કરી. વિજય દીવાણ જન્મે બ્રાહ્મણ અને સર્વોદય કાર્યકર્તા છે. મહારાષ્ટ્રમાં મૃત પશુઓનું ચામડું ઉતારવાનું કામ કરે છે, જેથી દલિતોને આ કામમાંથી મુક્તિ મળે. તેમણે જિજ્ઞેશ મેવાણીને કહ્યું કે મહારાષ્ટ્રમાં દલિતોએ ઘણા સમયથી ચામડું કાઢવાનું કામ બંધ કરી દીધું છે. ગુજરાતના દલિતોએ પણ બંધ કરી દેવું જોઈએ. જિજ્ઞેશને પૂછ્યું કે તે આગળ શું કરવા માગે છે, ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ દરેક દલિત પરિવાર માટે પાંચ એકર જમીનની સરકાર પાસે માગણી કરે છે, જેમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. જો સરકાર આ વાત નહીં માને તો તેઓ રેલ રોકો આંદોલન કરશે. મહાદેવ વિદ્રોહીએ કહ્યું કે ગુજરાતમાં ભૂદાનની જમીન પણ વણવહેંચાયેલી પડી છે. આ જમીન પણ ભૂમિહીન દલિતોમાં વહેંચાય, તે માટે માગણી કરવી જોઈએ.

જિજ્ઞેશને મળીને અમે સૌ યાત્રા આગળ જ્યાં પહોંચી હતી ત્યાં પહોંચ્યાં. લગભગ બોટાદ પહેલાં એક જગ્યાએ, ત્યાં અન્ય મિત્રો અને દલિત અસ્મિતાયાત્રા સાથે સંકળાયેલા રાહુલ શર્મા, પ્રતીક સિંહા તેમ જ અન્યો સાથે મુલાકાત થઈ. યાત્રામાં પોલીસ ખૂબ મોટી સંખ્યામાં સાથે જ હતી. યાત્રાને મળીને અમે પાછા ઉના તરફ નીકળ્યાં. ગુજરાત લોકસમિતિના આંદોલનના સ્થળ મીઠી વિરડીની મુલાકાત અન્ય મિત્રોને પણ થાય તે હેતુથી ત્યાં ગયાં. ગામલોકોને મળ્યાં અને મીઠી વિરડીના અણુમથક વિરોધી આંદોલનથી બધાને માહિતગાર કર્યાં.

ત્યાંથી નીકળી લગભગ રાતે દસેક વાગ્યે ઉના પહોંચ્યાં. અહીં ગીર વિકાસમંડળના આનંદવાડી પરિસરમાં મુરબ્બી નવનીતભાઈ ભટ્ટની મદદથી રહેવાની વ્યવસ્થા થઈ હતી. નવનીતભાઈ સાથે થોડું બેસવાનું થયું, ત્યારે તેમણે પણ ત્યાંના સ્થાનિક પ્રશ્નો, દલિતોની સ્થિતિ તેમ જ હાલમાં બનેલી ઘટના વિશે અમને વિશેષ માહિતગાર કર્યા. સ્થાનિક વ્યક્તિઓ પાસેથી વધુ નક્કર માહિતી અને માર્ગદર્શન મળે તે અમને નવનીતભાઈ પાસેથી મળ્યું.

ચર્ચા દરમિયાન વાત નીકળી કે જો દલિતો ચામડું કાઢવાનું કામ બંધ કરી દેશે, તો અન્ય કયા રોજગાર તેમને મળશે? વિજય દીવાણનો જવાબ એ હતો કે બાબાસાહેબ આંબેડકરના આવાહન પર મહારાષ્ટ્રમાં દલિતોએ ચામડું કાઢવાનું કામ બંધ કર્યું, પણ તેઓ કંઈ ભૂખે નહોતા મર્યા. તેઓ શહેરોમાં ગયા તથા અન્ય કોઈ ને કોઈ વૈકલ્પિક રોજગાર તેમણે શોધી લીધો. જો ગુજરાતના દલિતો ચામડું કાઢવાનું બંધ કરશે, તો તેઓ પણ ભૂખે નહીં મરે. કોઈક રસ્તો ચોક્કસ નીકળશે. અહીં પ્રશ્ન માત્ર ગૌરક્ષાનો નથી, પ્રશ્ન જાતિ-નિર્મૂલનનો છે.

બીજે દિવસે સવારે, ૧૦ ઑગસ્ટના રોજ, અમે ઉનાથી નીકળી મોટા સમઢિયાળા ગયાં જ્યાં પીડિતો રહે છે. પીડિતોને તેમના ઘરે મળતા જતાં પહેલાં અમે તે જગ્યાએ ગયાં, જ્યાં મૃત પશુઓનું ચામડું કાઢવામાં આવે છે. આ એ જ જગ્યા છે જ્યાં આ ચાર દલિત યુવાનોને મારવામાં આવ્યા હતા. આ જગ્યા ગામથી લગભગ ચાર-પાંચ કિલોમીટર દૂર એક નાની ટેકરી ઉપર છે. ત્યાં ઢોરનાં હાડકાં વિખેરાયેલાં પડ્યાં હતાં.

એ પછી ગામમાં આવ્યાં અને પીડિત યુવાનોના ઘરે પહોંચ્યાં. નીતાબહેન તેમને ત્યાં પહેલાં પણ પી.યુ.સી.એલ.ની ફૅક્ટ-ફાઇન્ડિંગ કમિટીના સભ્ય તરીકે મામલાની તપાસ માટે આવી ચૂક્યાં હતાં. ગામમાં પ્રવેશતાં જ નાકા ઉપર પોલીસના ઘરની આસપાસ પણ પોલીસનો પહેરો છે. ચારે ય પીડિતો સાથે મુલાકાત થઈ. સાથે તેમનાં માતા-પિતા તથા કુટુંબના અન્ય સભ્યો સાથે પણ મુલાકાત થઈ. પહેલાં રાજકોટ અને પછી અમદાવાદથી સિવિલ હૉસ્પિટલમાં સારવાર લઈને આવ્યા પછી પણ હજી યુવાનોની સ્થિતિ તદ્દન સુધરી ગઈ છે તેવું નથી. ઉંમરમાં પણ ઘણા નાના છે. આખી ઘટનાનો તેમના ઉપર માનસિક આઘાત પણ ઘણો ઊંડો લાગ્યો છે. હજી તે લોકો ઘણી દહેશતમાં છે. એક ભાઈના હાથ પર હજી પ્લાસ્ટર છે. બે જણને મારના લીધે કાનના પડદામાં નુકસાન થયું છે, જેનું ઑપરેશન કરાવવાનું છે. તેઓએ અમને તે દિવસે બનેલી ઘટનાનો વિસ્તૃત ચિતાર આપ્યો. સાંભળતા રુંવાડાં ઊભાં થઈ જાય એવી યાતનામાંથી તેઓ પસાર થયા હતા. એક સારી વાત એ બની કે જે મરેલી ગાયનું ચામડું તેઓ ઉતારી રહ્યા હતા તેના માલિક બાજુના ગામના છે, તેમણે પોલીસને પોતાનું બયાન આપ્યું કે ગાય મરી ગઈ હતી અને તેમણે જ આ લોકોને તેને ઉપાડી જવા બોલાવ્યા હતા. બીજી એક સારી વાત એ પણ જાણવા મળી કે ગામમાં સરપંચને બાદ કરતાં તમામ ઘરેથી લોકો આ પરિવારને મળવા, તેની તબિયત જોવા અને સાંત્વના આપવા આવ્યાં. આમાં તમામ બિન-દલિત પરિવારોનો સમાવેશ પણ થાય છે. એ વાત આગળ વધારવાની જરૂર છે. દલિતો અને બિન-દલિતોએ દીવાલ ઊભી કરવાને બદલે વધારે નજીક આવવાની જરૂર છે. આપણા પ્રયત્નો પણ તે પ્રકારના જ હોવા જોઈએ. જો એમ નહીં થાય તો દરેક પોતપોતાના વાડામાં જ રહેશે અને નાતજાતની લીટી કદી ભૂંસાશે જ નહીં.

ચાર યુવાનો-વશરામ, અશોક, રમેશ અને બેચરભાઈ સાથે વાત કરતાં જાણ્યું કે ચામડાના કામમાંથી તેઓ મહિને આશરે બારેક હજાર રૂપિયા કમાય છે. તેમનામાંથી કોઈ પણ ભણ્યું નથી. એમની પાસે એક છકડો છે. જ્યારે પણ પશુના મરવાની ખબર મળે, ત્યારે તેને એમાં લાદીને એ લોકો લઈ આવે છે. એક ઢોરનું ચામડું વેચતાં તેમને આશરે ૩૦૦ રૂપિયા મળે છે.

યુવાનો અને તેમના પિતા હજી ખાસ્સા ભયભીત છે. તેમને બીક છે કે અત્યારે નહીં તો પછી પણ એમની પર કોઈક ને કોઈક રીતે હુમલો જરૂર થશે. રોડ પર નીકળશે, તો અકસ્માત પણ કરીને જતા રહેશે. આ વાતો સાંભળી સેવાગ્રામ આશ્રમના અધ્યક્ષ જયવંત મઠકરજીએ તેમને કહ્યું કે જો તેઓ ઇચ્છે તો સેવાગ્રામ આશ્રમમાં રહેવા આવી શકે છે. જો તેઓ આવવા માગતા હોય, તો દરેક પરિવાર માટે ૨૫ વર્ષ સુધી તેઓ રહેવાની વ્યવસ્થા કરી આપશે. તે ઉપરાંત, પરિવાર દીઠ પાંચ-પાંચ એકર ખેડવા માટે જમીન અને બાળકો માટે મફત શિક્ષણની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે.

અહીંનાં બાળકો બહુ ઓછું ભણે છે, તેથી નીતા મહાદેવે તેમને જણાવ્યું કે બાળકો ગુજરાતમાં ગમે ત્યાં બુનિયાદી શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરવા જઈ શકે તેવી ગોઠવણ તેઓ કરી આપવા તૈયાર છે. આ વ્યવસ્થા છોકરાઓ અને છોકરીઓ બંને માટે થઈ શકે. આ વાત પણ તેમને ખૂબ સારી લાગી. એ ઉપરાંત, તેમને એમ પણ કહેવામાં આવ્યું કે જો તેઓ કોઈ પણ પ્રકારની વ્યાવસાયિક તાલીમ લેવા માંગતા હોય, તો તે માટે પણ વ્યવસ્થા કરવામાં મદદરૂપ થઈશું.

આ ઉપરાંત, સેવાગ્રામ આશ્રમ, સર્વસેવા સંઘ, ગુજરાત લોકસમિતિ અને સદ્ભાવનાસંઘ મળીને પીડિતોને રૂ. ૫૦,૦૦૦/-ની આર્થિક મદદ પણ કરશે. આ વાતની જાણ પણ પીડિતોને કરવામાં આવી. પરિવાર સાથે ખૂબ નિરાંતે વાત થઈ. તેમને પણ સારું લાગ્યું તેવું અમને બધાને લાગ્યું. તકલીફના સમયે બારણે જઈને પડખે ઊભા રહેવું, તેની એક ખૂબ મોટી ભૂમિકા હોય છે.

ત્યાંથી પાછાં આવી ૧૧મી ઑગસ્ટે અમદાવાદમાં ગાંધીઆશ્રમ પાસે ઇમામ મંઝિલમાં તમામ લોકો એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેઠાં. તેમાં ગાંધીઆશ્રમમાં દલિત ભાઈ-બહેનો પણ જોડાયાં હતાં. આનો મુખ્ય હેતુ દલિત-અત્યાચાર સામેની લડાઈમાં સર્વોદય અને ગાંધીયન મિત્રોની નિસબત અને ભાગીદારી વ્યક્ત કરવાનો હતો. શહેરના નિસબત ધરાવતા અન્ય નાગરિકો, વ્યક્તિગત રીતે અને સંસ્થાકીય રીતે આ કાર્યક્રમમાં જોડાયા. એકંદર પ્રતિસાદ ખૂબ સારો મળ્યો.

૧૧મીએ સાંજે ગાંધીઆશ્રમની પ્રાર્થનાભૂમિમાં સર્વધર્મપ્રાર્થના કરીને ઉપવાસ પૂરો કરવામાં આવ્યો.

આવનાર દિવસોમાં સમાજ પ્રગતિ કરી જાતપાતના વાડામાંથી બહાર આવવા મથશે, તેવી આશા.

e.mail : mvidrohi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 07-08

Loading

સ્વતંત્રતા એટલે…

પેરુમલ મુરુગન|Opinion - Literature|6 September 2016

પ્રશ્ન : તમારા લખાણોને નિશાન બનાવ્યા પછી તમે અરજી કરવા ઇચ્છતાં નહોતા. હવે મદ્રાસ હાઈ કોર્ટે નમક્કલ જિલ્લા વહીવટીતંત્રે તમારા પુસ્તક માથોરુભાગન પર મૂકેલા પ્રતિબંધને ગેરકાયેદસર ગણાવતો આદેશ આપ્યો છે. તમને કેવી અનુભૂતિ થાય છે?

મુરુગન : હાઈ કોર્ટના આદેશે એક લેખક તરીકે મારી જવાબદારી વધારી દીધી છે. એટલે કે આ ઓર્ડર મને લખવા માટે, ફરી લખવું જોઈએ એવી પ્રેરણા આપે છે. કોર્ટના આદેશ અને તેમાં રહેલા ન્યાયિક મૂલ્ય પર જનતાને ચર્ચા કરવા દો. સાચું કહું તો એક વ્યક્તિ તરીકે મેં જે વેઠ્યું છે તેમાંથી હજુ બહાર આવી રહ્યો છું. હું ધીમે ધીમે ફરી લખવાનું શરૂ કરવા વિચારી રહ્યો છું.

પ્રશ્ન : એક લેખક ૧૯ મહિના સુધી પોતાની કલમને વિરામ આપી શકે? તમે તમારા વિચારોને વ્યક્ત ન કરી શકવા બદલ ગૂંગણામણ નહોતા અનુભવતા?

મુરુગન : હું કશું વિચારી જ શકતો નહોતો, હું સંવેદનશૂન્ય થઈ ગયો હતો. મારા લખાણ પર વિવાદ થયાના ત્રણ મહિના પછી સૌ પ્રથમ ફેબ્રુઆરી, ૨૦૧૫માં મને કશું લખવાની વિનંતી કરવામાં આવી હતી. એ દિવસે મેં કવિતા લખી હતી અને ત્યારથી અત્યાર સુધી ૨૦૦ કવિતાઓ લખી છે. કોર્ટના આદેશ પછી કવિતાસંગ્રહ સ્વરૂપે મેં તેને પ્રકાશિત કરવાની સંમતિ આપી નહોતી ત્યાં સુધી મારી એ અભિવ્યક્તિઓના એકમાત્ર હું જ સાક્ષી હતો.

પ્રશ્ન : તમે તમારો વિરોધ કરતાં જૂથો સામે ન લડવા “લેખકના મૃત્યુ”ની જાહેરાત કરી હતી. તેના કારણે અનેક વાચકોએ તમારી ટીકા કરી હતી …

મુરુગન : હા, ઘણા લોકો ઇચ્છતાં હતાં કે હું નિવેદનો આપીને અને વિરોધ કરીને સામી લડત આપું. વિદ્યાર્થીઓએ મારા માટે વિરોધ પ્રદર્શનો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે મને ગંભીર ધમકીઓ મળી હતી, ત્યારે વકીલોએ મને પોલીસ ફરિયાદ કરવાની કે કોર્ટમાં અરજી દાખલ કરવાની સલાહ આપી હતી. પણ મને ખબર જ નહોતી કે મારો દુશ્મન કોણ છે, મારો વિરોધ કોણ કરી રહ્યું છે. એટલે હું ચહેરા વિનાના અજ્ઞાત દુશ્મન સામે લડવા નહોતો ઇચ્છતો. જો સરકારની ભૂમિકાનો વિચાર કરવામાં આવે, તો હું કહીશ કે તે અન્ય કિસ્સાઓમાં જે રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાને પ્રાથમિકતા આપે છે, તે રીતે મારા કિસ્સામાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાની પ્રાથમિકતા આપવાની જરૂર હતી. હું જ્ઞાતિ-સામુદાયિક જૂથોને ગુનેગાર માનતો નહોતો, કારણ કે તેઓ ઈશ્વર અને શ્રદ્ધાના મુદ્દે ખરેખર કેટલાં ગંભીર છે કે સમજદાર છે તેના વિશે મને શંકા છે. જ્યારે મારા વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું આયોજન કર્યું હતું, ત્યારે મેં તેમને પૂછ્યું હતું કે, તેમણે મારા સાહિત્યનો વિરોધ કરવા જે ભાષાનો ઉપયોગ કર્યો હતો એ જ ભાષાનો ઉપયોગ આપણે કરવો જોઈએ? એક બૌદ્ધ સાધુએ તેઓ તેમનું વારંવાર અપમાન કરનાર વ્યક્તિઓને કોઈ પ્રતિક્રિયા શા માટે આપતા નથી એ સમજાવ્યું હતું.

પ્રશ્ન : તમે સાહિત્ય સમારંભો કે જાહેર કાર્યક્રમોનાં આમંત્રણોનો અસ્વીકાર કરવા માટે પણ જાણીતા છો. તમે અંતર્મુખી છો કે જાણીજોઈને તમે પબ્લિસિટી મેળવવા ઇચ્છતા નથી?

મુરુગન :  હું લેખક છું. હું મારા લખાણો મારફતે મારી ફરજ અદા કરું છું. લોકો મારી પાસે એવી અપેક્ષા શા માટે રાખે છે કે હું રાજકારણીની જેમ સ્ટેજ પર ભાષણ આપું? ઘણા લોકો મને તાજેતરમાં થયેલા વિવાદ વિશે મને બોલવા સતત દબાણ કરી રહ્યાં છે. અરે, મારે કોઈ પણ પેપર રજૂ કરવાની તૈયારી માટે ઓછામાં ઓછા બે મહિનાની જરૂર છે. જો હું સાહિત્ય સમારંભોના આમંત્રણો સ્વીકારું, ખાસ કરીને કેરળમાં, તો હું વધારે કશું લખી શકીશ નહીં અને આખો વર્ષ જાહેર સભાઓમાં હાજરી આપવી પડશે. અત્યારે તો હું ઘણી બાબતો વિશે વિચારી રહ્યો છું. મારા મનમાં કવિતાઓ જ આવે છે, કદાચ મારું મન મારા ઘા ભરવા માટે કવિતાઓને જન્મ આપતું હશે. જેમ આપણા શરીરમાં ઝેરી પદાર્થો દૂર થવા ગૂમડાં થાય છે, તેમ મારા જખમોને ભરવા મન કવિતાઓનું સર્જન કરતું હશે.

પ્રશ્ન : કોંગુ પ્રદેશમાં એક જ્ઞાતિની સંસ્થાએ તમારો વિરોધ કર્યો હતો. આ પ્રદેશ શક્તિશાળી ઓબીસી-ગૌંડેર જ્ઞાતિની વસતિ માટે જાણીતો છે. તમારી નજરે જ્ઞાતિ એટલે શું?

મુરુગન : હકીકતમાં તેને હજુ સુધી હું સમજી શક્યો નથી. મારા માટે રહસ્ય છે. જ્યારે મારાં પુસ્તકનો વિરોધ થયો હતો, ત્યારે તેની પાછળ કોણ હતું તેનો મારી પાસે સ્પષ્ટ જવાબ નથી. કોઈને જવાબદાર ઠેરવી શકાય તેવું નહોતું. મારા પુસ્તક પર કોણે પ્રતિબંધ મૂક્યો હતો, સરકારે કે પછી જ્ઞાતિવાદી પરિબળોએ એની મને ખબર નથી.

પ્રશ્ન : તમારી નવલકથામાં તમે ગૌંડેર મહિલાઓની છબીને ખરડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તમારા સાહિત્યને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમાં તમે વર્ણન કર્યું હતું કે એક પત્નીને તેનો પરિવાર મંદિરની ધાર્મિક વિધિમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. આ વિધિ મુજબ મહિલા અજાણ્યાં પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધીને બાળક મેળવે છે. અમને તિરુશેન્ગોડેના સામાજિક ઇતિહાસમાં મહિલાઓ અને તેમની ભૂમિકાઓ વિશે જણાવો.

મુરુગન :  કોંગુ વિસ્તારમાં સમૃદ્ધિ લાવનાર મહિલાઓ છે. તિરુશેન્ગોડે કે નમક્કલ, સેંકડો ટ્રક ઓપરેટર્સ કે ડ્રાઇવર્સ કે રિગ ઓપરેટર્સ ધરાવે છે, પણ હકીકત એ છે કે એ કુટુંબની મહિલાઓએ જ જમીનને ફળદ્રુપ રાખવામાં મદદ કરી હતી, ખાસ કરીને તેમના પતિ મહિનાઓ સુધી કામકાજ માટે બહાર ગયા હોય છે. મહિલાઓ જ બાળકોનું લાલનપાલન કરતી હોય, ખેતીવાડી કરે અને ઘરની સંભાળ લે. સાયકલની શોધ થઈ ત્યારથી અમારા વિસ્તારમાં મહિલાઓ તેનો સારો એવો ઉપયોગ કરતી હતી. અમારા વિસ્તારમાં ૧૯૮૦ના દાયકામાં મહિલાઓ ટીવીએસ-૫૦ (ટૂ-સીટર મોપેડ) ફેરવતી હતી. ૧૯૯૦ના દાયકામાં રિગ વ્યવસાયનો ઉદય થયો હતો અને તેની સાથે અમારા સામાજિક માળખામાં પરિવર્તનોની શરૂઆત. એ સમયે પરંપરાગત કુટુંબોના પુરુષોએ ઔપચારિક શિક્ષણ વિશે વિચારવાની શરૂઆત કરી હતી. પણ મહિલાઓએ ઔપચારિક શિક્ષણ લઈ લીધું હતું, તેમાંથી ઘણી મહિલાઓએ તો પ્રાથમિક શિક્ષણ પણ લીધું હતું અને થોડી મહિલાઓ કૉલેજ પણ જતી હતી. વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે દરેક મહિલા પોતાની બચત ધરાવતી હતી. જ્યારે ગોંડેર પુરુષોએ રિગ વ્યવસાય માટે ઉત્તર ભારત તરફ પ્રયાણ કરવાની શરૂઆત કરી હતી, ત્યારે મહિલાઓ જ ખેતીવાડીનું ધ્યાન રાખતી હતી. તિરુશેન્ગોડેના પરિવર્તનની ગાથા અમારી મહિલાઓ સાથે જોડાયેલી છે.

પ્રશ્ન : જ્યારે તમારા વતન નમક્કલમાં લોકો તમારો વિરોધ કરતાં હતાં ત્યારે થયેલા દુઃખ વિશે જણાવી શકો?

મુરુગન : એ વખતની મારી મનોદશા વર્ણવી શકું, ન એવો હું છટાદાર વકતા છું કે ન એવો વિચારક છું. તમને મારી તમામ પીડા કે વેદનાની અનુભૂતિ મારી કવિતામાં થઈ શકે છે. (તેમણે આ ગાળામાં પ્રથમ કવિતા આયિરામાયિરામ લખી હતી. તેમાં તેમણે લખ્યું હતું કેઃ “હું ઝેરથી મરી ગયેલા ઉંદરના શરીરમાં પ્રવેશી રહ્યો છું. જાણે હું દુઃસ્વપ્ન જોતો હોય, તેમ અંદરથી ડર સાથે, એક આંચકા સાથે જાગી ગયો છું. આસપાસના વાતાવરણના ડરથી તે દોટ મૂકે છે અને વેગથી વહેતી નદીને સમાતંર એક છિદ્ર જુએ છે. જ્યારે તે ગંદકીમાંથી બહાર નીકળે છે, ત્યારે સૂર્યના કિરણો અને મંદ હવાની લહેરનો સ્પર્શ થતાં તે ધ્રુજી ઊઠે છે. ત્યાં હજારો દર છે અને હવે હું આવા શોધી ન શકાય તેવા દરમાં છુપાઈ ગયો છું?”)

પ્રશ્ન : નીરુ વિલાયાટ્ટુમાં તમે લખ્યું હતું કેઃ “તેના હાથ નરમ પડી ગયા હતા અને તેની પકડ ઢીલી પડી ગઈ હતી. તે ખુલ્લાં મોં અને ફેલાયેલા અંગો સાથે દેડકાની જેમ પોતાની પીઠ પર પડ્યો હતો.” તમે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર સાથે સંબંધ ધરાવો છો. એ વિવરણ તમારી વાર્તાઓમાં પાણી માટેની પ્યાસ સૂચવે છે?

મુરુગન : અમારા વિસ્તારમાં તળાવો કે નદીઓ કે સરોવરો મોટી સંખ્યામાં નથી. કદાચ એટલે મને કૂવાઓ પ્રત્યે વધુ લગાવ છે. મારા બાળપણમાં કૂવાઓ જ પાણીનો સ્ત્રોત હોવાથી મારા લખાણમાં તેનું વર્ણન આવી જાય છે. એ દેડકાની જેમ હું પણ કૂવાઓમાં મારા અંગો ફેલાવીને પડ્યો રહેતો હતો. શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વખત મારી પીઠને બહુ ઇજા થઈ હતી. અત્યારે પણ મને પીઠનો દુઃખાવો હોવાથી હું લાંબો સમય બેસી શકતો નથી એટલે મારે સૂતાં સૂતાં જ વાંચવું પડે છે.

પ્રશ્ન :  તો દુષ્કાળગ્રસ્ત જમીનમાં પાણી હંમેશાં પરિવર્તનનું વાહક બની રહે છે …

મુરુગન :  હા, મારા બાળપણના દિવસો દરમિયાન અમારે દરરોજ ઘણું દૂરના કૂવાઓમાંથી પાણી ભરીને લાવવું પડતું હતું. અમે મોટા ભાગે સાઇકલની બંને બાજુએ બે ઘડા બાંધીને પાણી લાવતા હતા. તે દિવસોમાં પાણી લાવવા માટેની કાવેરી કે મતર યોજનાઓએ આકાર લીધો નહોતો. ૧૯૮૦ના દાયકામાં સતત ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો હતો. આ નપાણિયા વિસ્તારો સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે. મને તેની પાછળ રહેલાં વિજ્ઞાનની ખબર નથી, પણ માન્યતાઓ ખરેખર કામ કરે છે એ મેં જોયું છે. કેટલાંક લોકો કૂવા ખોદવા માટે જગ્યાઓ શોધવા હાથમાં નાળિયેર પકડતાં હતાં. પછી જ્યાં સુધી નાળિયેર ગોળ ફરવાનું શરૂ ન કરે ત્યાં સુધી ધીમે ધીમે ચાલતા હતા. જ્યાં નાળિયેર ગોળ ફર્યું હોય ત્યાં નિશાની કરતાં હતાં. પછી અમે ત્યાં મોટો કૂવો ખોદતા હતા … કૂવાઓ કે પાણીની તંગી તમામ પરિવર્તનોના પાયામાં રહેલી છે. મેં આ જ વાત ૧૯૯૧માં યેરુવેયિલમાં રજૂ કરી હતી. મેં આ વાર્તામાં ગામમાં શહેરીકરણના સંઘર્ષ અને પડકારો વિશે ચર્ચા કરી હતી.

પ્રશ્ન : તમારી નવલકથામાં તમે તિરુશેન્ગોડેના અર્ધનારેશ્વર મંદિરના દેવનું અપમાન કર્યું એવો આરોપ તમારા પર મૂકવામાં આવ્યો હતો અને તેના કારણે તમને તથા તમારી નવલકથાને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તમે ઈશ્વરમાં કેટલી આસ્થા ધરાવો છો?

મુરુગન : મારા પિતા પેરુમલનું અવસાન ૨૦ વર્ષની ભરયુવાન વયે થયું હતું. તેઓ મુરુગન (પલાણી મુરુગન મંદિરના મુખ્ય દેવ)ના પરમ ભક્ત હતા. તેઓ મને કહેતા હતા કે, મારો જન્મ મુરુગનના આશીર્વાદથી થયો છે. તેઓ મારી માતા ગર્ભવતી થયા એ અગાઉ તેમની પલાણી મંદિરની મુલાકાતો યાદ કરતાં હતાં. હું નાસ્તિક નથી. અત્તુરમાં અરિગ્નાર અન્ના ગર્વનમેન્ટ આટ્ર્સ કોલેજમાં જોડાયા અગાઉ હું વાડેસેન્ની પર્વતમાળામાં સ્થિતિ મુરુગન કોઇલના મંદિરના દર્શનાર્થે જતો હતો. મારું કુટુંબ મુરુગનનું અનન્ય ભક્ત છે. પણ તેમ છતાં મને ઈશ્વરના અસ્તિત્વ પરની ચર્ચામાં રસ છે. તેના બદલે ઈશ્વરની જરૂર છે કે નહીં તેના પર ચર્ચા વધારે સંવેદનશીલ અને આવશ્યક હોઈ શકે છે. જો તમે તમારી આસપાસ નજર કરશો, તો તમને સમજાશે કે અનેક મનુષ્યો ઈશ્વરમાં આસ્થા ધરાવતા હોવાથી જ જીવંત છે. ઈશ્વર આપણી રોજિંદી ઘટમાળમાં શૂન્યાવકાશને ભરે છે. જ્યારે લોકો તેમની ખુશી અને પીડા પોતાની આસપાસના લોકો સાથે વહેંચવામાં નિષ્ફળ નિવડે છે, જ્યારે અન્ય લોકો તેમની અને તેમની વાતોની અવગણના કરે છે, ઉપેક્ષા કરે છે, ત્યારે ઈશ્વરની ભૂમિકા શરૂ થાય છે. આપણે ઈશ્વરને આપણી નાનીમોટી દરેક વાત કહી શકીએ છીએ.

મારી માતા પણ ઈશ્વરમાં અજોડ આસ્થા ધરાવતી હતી. મેં પોતે તેવરમ (સંગમ સાહિત્ય) અને નવમી સદીના શિવભક્ત કવિ માનિક્કવસાગરના થિરુવસગમનો અભ્યાસ કર્યો છે. જ્યારે હું નમક્કલ અંજાનેયર મંદિરની મુલાકાત લઉં છું, ત્યારે હું કમ્બ રામાયણ(તમિળ મહાકાવ્ય)ના છંદ કે દોહા ગાઉં છું. જ્યારે મારા કુટુંબના સભ્યો ઇચ્છે છે, ત્યારે હું પૂજા કે પ્રાર્થના સભામાં સામેલ પણ થાઉં છું.

પ્રશ્ન : સામાજિક સુધારક અને દ્રવિડ આંદોલનના પ્રણેતા પેરિયાનું જન્મસ્થળ ઇરોડ તમારા વિસ્તાર પછી તરત છે. જ્ઞાતિ અને સામાજિક અનિષ્ટો સામેની તેમની વિચારધારા તિરુશેન્ગોડના લોકોને પ્રભાવિત કેમ કરી શકી નહીં?

મુરુગન : જેમ આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પાણી દુર્લભ છે, તેમ અહીં બ્રાહ્મણો અતિ ઓછી સંખ્યામાં છે. તમિલનાડુનાં અન્ય વિસ્તારોની સરખામણીમાં અમારા વિસ્તારોમાં મંદિરોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. પેરિયારની આત્મસન્માનની ચળવળ બ્રાહ્મણવિરોધી લાગણી પર આધારિત હતી એટલે તેનો પ્રભાવ ગૌંદેર અને મધ્યસ્થી કરાવનાર અન્ય વસતિ ધરાવતા વિસ્તારમાં ઓછો થયો હતો એ સ્વાભાવિક છે.

પ્રશ્ન : દેશ આઝાદીના ૭૦માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મહિલાઓ, દલિતો, વિદ્યાર્થીઓના અધિકારો તથા લેખકો અને સર્જકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પ્રશ્ર વધુને વધુ વિકટ બની રહ્યો છે. તમે શું માનો છો?

મુરુગન : સાચું કહું તો હું રાજકારણી નથી, જે આઝાદી અને સ્વતંત્રતાની ગાથાઓ વિશે મોટી મોટી વાતો કરે છે. મારા માટે સ્વતંત્રતાનો એક જ અર્થ છે – અન્ય લોકોની સ્વતંત્રતા અને અધિકારોને છીનવ્યાં વિના કંઈ પણ કરવાની આઝાદી. આપણે વંચિતો, મહિલાઓ, દલિતો, લઘુમતીઓના અધિકારો તથા વિદ્યાર્થીઓ અને લેખકોની અભિવ્યક્તિની આઝાદી વિશે વાત કરીએ એ અગાઉ સૌથી મોટો પ્રશ્ર એ છે કે આપણે આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની સ્વતંત્રતા ધરાવીએ છીએ!

અનુવાદક : કેયૂર કોટક

(પોતાનાં કેટલાંક લખાણોનો અસહ્ય વિરોધ થતાં તમિળ સાહિત્યકાર પેરુમલ મુરુગને પોતાને લેખક તરીકે મૃત જાહેર કર્યા હતા. મદ્રાસ હાઇકોર્ટે તેમને ફરી લખતા થવાના આપેલા ચુકાદા પછી 200 કવિતાઓના પ્રકાશન સાથે તેઓ સાહિત્યક્ષેત્રે ફરી પ્રવેશી રહ્યા છે, એ સંદર્ભે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(22-08-2016)માં અરુણ જનાર્ધનને લીધેલી વિસ્તૃત મુલાકાત.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 12-13

Loading

વર્ણવાસ્તવ: ઇતિહાસબોજ અને ઇતિહાસબોધ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|3 September 2016

સિંગુર, સાણંદ, ઉના … શું છે આ બધું. સિંગુર ને સાણંદનો સંબંધ તો જાણે કે સમજ્યા, પણ ઉના એમાં ક્યાંથી આવ્યું?

લખવાનું લંગર છૂટી તો રહ્યું છે સિંગુર ચુકાદાના ધક્કેથી, પણ આ જહાજ ઉનાની ગોદીનું છે અને ગાંધીનગર-દિલ્હી જતે છતે એની સામે અભિગમની રીતે દિશાચીંધ હોકાયંત્ર એક અર્થમાં સેવાગ્રામ આશ્રમનું હોઈ શકે છે. વૈકલ્પિક રાજનીતિનો પથ પ્રશસ્ત કરી શકતી સુપ્રતિષ્ઠ મહુવા કૂચની વાંસોવાંસનાં વરસોમાં આવેલી પ્રથિતયથ ઉના કૂચ હજુ આપણા વાયુમંડળમાં શ્વસેનિ:શ્વસે છે તેવે સિંગુર ચુકાદાને કેમ ઘટાવશું વારુ? ભાઈ, સાદો હિસાબ છે, તમે કહેશો-ખેડે તેની જમીન! હા, પણ મારી પાસે ખેડ સારુ જમીન તો હોવી જોઈએ ને, મારા જેવું કોક અદકપાંસળું જણ પૂછશે.

રહો, ઉનાસેવાગ્રામની સફરના સળ ઉકેલને પહેલે જરી સિંગુર ચુકાદાને જાડો જાડો પણ વાંચી લઈએ. ડાબેરી સરકારે ‘ખેડે તેની જમીન’ની ઘાટીએ શરૂમાં કામ તો સોજ્જું કીધું, પણ ઝડપી અને વ્યાપક ઔદ્યોગિકીકરણની ઘાઈમાં ખેડૂતોની જમીન પૂરી સમજાવટ અને ધારાધોરણસર નહીં લેતાં સરકારી (અને પક્ષીય) જંતરડા વાટે કોઈ એક ઉદ્યોગગૃહ માટે હસ્તગત કરી. તો, કાનૂની પ્રક્રિયાભંગનો પ્રત્યક્ષ પ્રશ્ન (અને કોર્ટનો સીધો ઈલાકો નહીં એવો કૃષિ-ઉદ્યોગ સંતુલનનો વિવેકમુદ્દો) એકદમ જ ચિત્રમાં આવ્યાં અને ડાબેરીઓએ ખોયેલી ચૂંટણી પર કેમ જાણે અદાલતી થપ્પો પણ વાગ્યો.

સિંગુર જો કે નરેન્દ્ર મોદીના ‘વિકાસ’વેશને સુંડલામોંઢે ફળ્યું અને ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગેલા તાતા શેઠે કહ્યું પણ ખરું કે ગુજરાતમાં ન આવે તે ‘સ્ટુપિડ’ છે. એમને તો ત્યારે કૃષિ’વર્સિટી સારુ નવપ્રયોગ માટે ફાળવેલી જમીન બખ્ખેબખ્ખા મળી, પણ આ જમીન પર ‘નેનો’ની ફસલ ન થઈ તે ન થઈ. ‘સ્ટુપિડ’ થવાનું ગુજરાતને ભાગે આવ્યું, બીજું શું. સૉરી, ભાગે આવ્યું એ કહેવું અધૂરું ને અપૂરતું છે. ભાગે ચાલુ રહ્યું એમ કહેવું જોઈએ, કેમ કે નમોના ‘સ્વાગતમ’ એસએમએસ અને રતન તાતાના ‘સ્ટુપિડ’ગાન વખતે પણ ગુજરાતચકિત ઉર્ફે મૂર્છિત હતું અને હવે ભરનોતરે નેનોની નકો નકો ફસલ વખતે ય છે. વિકાસ કદાચ વેશે ઓછો અને સંમોહિત ને મૂર્છિત કરતી મૂઠ વધુ છે!

સિંગુર, સાણંદ, ઉના … શું છે આ બધું. સિંગુર ને સાણંદનો સંબંધ તો જાણે કે સમજ્યા, પણ ઉના એમાં ક્યાંથી આવ્યું, ને વળી સેવાગ્રામ? પાટો જડતો નથી, એમ લાગે છે. સબૂર, ભાઈ, પાટેથી ખડી ગયાનો તો આ મામલો છે. મુદ્દે, મનુષ્યજાતિ ઘૂમન્તુ મટી સ્થિરવાસ કરતી થઈ અને કૃષિ સંસ્કૃિત વિકસી ત્યારથી નાનુંમોટું પણ પોતીકું ભૂમિસાધન એ માણસને નાગરિકમાં સ્થાપી શકે એવું મહત્ત્વનું ઘટક રહ્યું છે. ઉત્પાદનનાં સાધનોની બદલાતી તરેહ અને એથી માલિકીપલટા ને વર્ગસંક્રાન્તિની આખી લાંબી મીમાંસામાં નહીં જતાં અહીં એટલું જ કહીશું કે વિનોબાના અનન્ય ભૂમિદાન આંદોલનનો સૂત્રપાત જ આ ઇતિહાસબોજમાંથી અને એમાંથી શક્ય ઇતિહાસબોધમાંથી થયો હતો.

જે પહેલું ભૂદાન એમણે મેળવ્યું તે એક ભૂમિહીન શ્રમિકની એ માંગને પગલે હતું કે અમને કાંક નાનુંસરખું પણ ભૂમિસાધન મળી રહે તો હાઉં. હમણાં મેં ખેતમજૂરની જિકર કરી પણ એ એક વર્ગીય ઓળખ છે. ખેતમજૂર એ ઘણુંખરું દલિત હોય છે. અને આવી વર્ણીય ઓળખ એ ભારતીય સંસ્કૃિતનાં ઘણાં ઉમદા હોઈ શકતાં પાસાં વચાળે આપણી એક દુર્દૈવ નિયતિ રહેલી છે. ઉના આંદોલન દલિત પરિવાર દીઠ પાંચ એકર જમીનને મુદ્દે સૂચ્યગ્રપણે ઠરવા કરે છે ત્યારે ઇતિહાસનું એક આખું ચક્ર જાણે કે સમતા અને ન્યાય આધારિત નવા સમાજના સુસંકલ્પ અને અગ્રચરણ સાથે પૂરો થાય છે.

ગાંધીએ જન્મે સર્વપ્રથમ સત્યાગ્રહી તરીકે હક અને હોંશથી બરક્યા હતા તે વિનોબાએ સ્વરાજ પછી તેના અનન્ય ભૂદાન આંદોલનમાં પહેલું દાન એક દલિત કુટુંબ પાસેથી મેળવ્યું હતું. એ જોગાનુજોગ સમતા અને ન્યાયની દિશામાં માપી શક્યા હતા. એજન્ડાની દૃષ્ટિએ સૂચક છે. ગાંધીની વાત ન્યારી એ અર્થમાં હતી કે બેસતા સ્વરાજે એમણે કૉંગ્રેસ પ્રમુખ તરીકે જયપ્રકાશ નારાયણને કલ્પ્યા હતા. જે ત્યારે હજુ સર્વોદયરંગી કરતા વધુ તો માર્ક્સવાદી સમાજવાદી હતા એટલે એમના અભિગમમાં સ્વાભાવિક જ વર્ગસભાનતા હતી.

આ જ ગાંધીએ એ અરસામાં પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ તરીકે આંબેડકરનું નામ સૂચવ્યું હતું. એવી પણ એક વાયકા છે. ગમે તેમ પણ આપણે એટલું તો જાણીએ છીએ કે ગાંધીના સૂચનથી નેહરુ અને પટેલે આંબેડકરને કેબિનેટ સાથી તરીકે જોતર્યા અને બંધારણની વડી જવાબદારી પણ આંબેડકરને હિસ્સે આવી. જેમ વર્ગવાસ્તવને સમજવામાં જયપ્રકાશની જોડ નહોતી તેમ વર્ણવાસ્તવને સમજવામાં આંબેડકર અજોડ હતા. વર્ણ અને વર્ગ બન્ને વાસ્તવિકતાને સમજી ગાંધી સ્વરાજને સાર્થકતા આપવા આતુર હતા. પણ એ તો મજલ શરૂ થઈ તે, હજુ કેટકેટલીયે દડમજલ બાકી છે, ન જાણે.

ગમે તેમ પણ, આ પાયાનો મુદ્દો સ્વરાજના સિત્તેરમા વરસે ગાંધીનગર અને નવી દિલ્હીનાં સત્તાપ્રતિષ્ઠાનોને કેટલો પકડાયો છે એની ખાતરીબંધ ખબર આજની તારીખે તો આપણને નથી. ઉના આંદોલનથી જે વિચારોને ધાર અને આધાર સાંપડ્યા છે એમાં એક વિગત એ પણ છે કે હાલની ગુજરાત સરકારનો નવો ભૂમિસંપાદન કાયદો અન્યાયકારી છે.

બીજે છેડેથી, જૂના ભૂમિમાલિકો (છૂટ લઈને કહીએ તો બિલ્ડરો) પાટીદાર અનામતનો ઝંડો લઈ મેદાનમાં આવ્યા એ પણ યુગબલિહારી છે. આવતે અઠવાડિયે (8 સપ્ટેમ્બર, ગુરુવારે) ગુજરાતની પટેલધાની વરાછા રોડ પર ભાજપ શ્રેષ્ઠીઓનું સામૈયું કરતો પાટીદાર ઓચ્છવ યોજાઈ રહ્યો છે. આ યોજકો હમણાં સુધી આંદોલનની પર્યાયી ઓળખ બની રહેલા હાર્દિક પટેલ પ્રત્યે ફરિયાદના સૂરમાં પણ જણાય છે. અનામત માટે આપણે બહાર પડ્યા હતા, પણ હાર્દિક હવે રાજનીતિ કરી રહ્યો છે, એવું એમનું કહેવું છે. હવે અનામતનું કોઈ બંધારણીય લૉજિક નથી એ સૌ જાણે છે.

જો જમીનમાલિકમાંથી બિલ્ડર કે અન્ય વ્યવસાયી થઈ પાટીદારો આગળ વધ્યા હોય તો એમની નવી પેઢીને વિકાસતકો નથી એવું તો નથી. જો જમીન પર જ રહ્યાથી પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે ફરિયાદ હોય તો એ પ્રશ્ન કૃષિ નીતિ, એકંદર અર્થનીતિ અને હાલના નિયોલિબરલ સંદર્ભમાં યોગ્ય નવસંસ્કરણ કરવાનો છે. જૂનીનવી ભાજપ-પાટીદાર યુતિએ કે તે ખરી કરવાની માગ અને મેળવવાના જવાબનાં આ વાસ્તવ સંદર્ભ છે. ભાજપ જોડે જે દલિત બૌદ્ધિકો ને કર્મશીલો પોતાને નજીક અનુભવે છે એમણે પણ હિંદુત્વ રાજનીતિ સબબ વર્ણવાસ્તવ ઉપરાંત આ સંદર્ભમાં માંડવાપણું છે.

ઉના આંદોલનમાં દલિત-મુસ્લિમ એકતાનું જે પાસું ખૂલ્યું ને ખીલ્યું તે કોમી ધ્રુવીકરણની વોટબૅંકી રાજનીતિ કરતાં જરૂર એક જુદી સ્વાગતાર્હ શક્યતા હોઈ શકે છે. પણ તે એકતાએ પણ આ વાસ્તવસંદર્ભ સાથે કોઈક ધોરણે કામ તો પાડવું જ રહેશે. વિકાસની નિયોલિબરલ ધારાની તેમ જ હિંદુત્વ રાજનીતિની ટીકા કરતાં બિનપક્ષીય જૂથો ગુજરાતમાં ખાસાંબધાં છે. પ્રશ્ન એ છે કે પાટીદાર અનામતથી માંડીને ઉના આંદોલન સહિતનાં બળે મારફતે નમો રાજનીતિની મર્યાદાઓ પડકારપાત્ર ધોરણે ઉભરી એ સાચું.

પણ હમણાં નિર્દેશ્યાં તે વૈકલ્પિક જૂથો અને આ નવાં બળો વચ્ચે કોઈ સાર્થક સંવાદ અને સિનર્જીની શક્યતાઓની દિશામાં કોઈ વિચારણા અને કાર્યવાહી થઈ શકે કે કેમ. અલબત્ત કેવળ કાનૂનસુધારે અટક્યે નહીં ચાલે. આખી પ્રક્રિયા કંઈક ઊંજણ/સ્નેહન માગી લે છે. ઉનાના અસરગ્રસ્તો ચાહે તો એમને સેવાગ્રામ આશ્રમમાં આવકારવાની, પચીસ વરસ લગી એમની બાલાશ જાણવાની ઑફર એ રીતે ગાંધીવિનોબાની ધારામાં હોઈ શકતી એક સહૃદય ચેષ્ટા છે.

સૌજન્ય : ‘દડમજલ’, “દિવ્ય ભાસ્કર”, 03, સપ્ટેમ્બર 2016

Loading

...102030...3,6113,6123,6133,614...3,6203,6303,640...

Search by

Opinion

  • Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?
  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન
  • સગડ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved