ફેબ્રુઆરી ૧, ‘નિરીક્ષક’માં વિપુલ કલ્યાણીનો લેખ ‘આતમનો તારો પ્રગટાવ દીવો’ વાંચતાં કેટલાંક સ્મરણો તાજાં થયાં.
બારડોલીના સત્યાગ્રહ સમયે મારા પિતાશ્રીને થયેલા અને પરિચિતોમાં કાંતિભાઈ પારેખ, ભાઈલાલભાઈ પટેલ (આદર્શ દુગ્ધાલય, મુંબઈવાળા), મહેતાબંધુઓ (કલ્યાણજીભાઈ અને કુંવરજીભાઈ) ઉત્તમચંદ શાહ, વગેરે. કાંતિભાઈ અને ભાઈલાલભાઈએ, બારડોલી સત્યાગ્રહ પછી છાપખાનું શરૂ કરેલું. હુલ્લડમાં એ બાળી નાખવામાં આવેલું અને બંનેને ઢોરમાર પડેલો. ભાઈલાલભાઈ અને પટેલ (મહેતા) બંધુઓએ પાટીદાર આશ્રમ શરૂ કરેલો.
કાંતિભાઈના ભાઈ જયંતીભાઈ સાથે ભોગીભાઈનો પરિચય ૧૯૨૬થી, ત્યારે જયંતીભાઈ ગાંધીઆશ્રમમાં રહેતા. વર્ષ ૧૯૪૨, જેલમાંથી જયપ્રકાશને ભગાડવામાં મદદ કરનાર બી.કે. મજમુદાર ભૂગર્ભમાં ચાલ્યા ગયા, ત્યારે કાંતિભાઈના ભટ્ટવાડી(હવે અવંતિકાબાઈ ગોખલે રોડ)ને ઘેર રહેલા. કાંતિભાઈના પિતાશ્રીએ મારા પિતાશ્રીને આપેલો ખિસ્સાકોશ હજી મારી પાસે છે. કાંતિભાઈ સાથેના જૂના પરિચયને કારણે વારંવાર મળવાનું થયું.
વર્ષ ૧૯૪૬, જૂનનું છેલ્લું અઠવાડિયું. ગીરગામના અમારા રહેઠાણે વસંતરાવ હેગિષ્ટે આવેલા. અમે જમતાં હતાં. મારાં માતુશ્રીએ (શારદાબહેને) જમવાનો આગ્રહ કર્યો. ત્યારે તેમણે અન્ય સ્થળે જમવા જવાનું હતું, તેથી જમ્યા નહીં, પરંતુ એક ટામેટું ખાધેલું. પહેલી જુલાઈ સાંજે અમારો પરિવાર કાંતિભાઈને ઘેર મળવા ગયો, ત્યારે કાંતિભાઈએ વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણીની હત્યાના ચમાચાર આપેલા.
આઝાદી આવી ત્યારે દેશભરમાંથી સામ્યવાદીઓની ધરપકડો શરૂ થઈ, ત્યારે જયંતીભાઈને ભટ્ટવાડીમાં ઢોરમાર પડ્યો હતો. પછી અમદાવાદમાં ધરપકડ થઈ ત્યારે તેમને સાબરમતી જેલમાં રાખવામાં આવેલા તેમને જેલમાંથી ભગાડી મૂકવાનું કાવતરું થયું અને જેલમાં ગોળીબાર થયો. તેમાં જયંતીભાઈ અને અન્ય યુવક માર્યા ગયા હતા.
કાંતિભાઈના ઘરની સ્તરે ઊંધા યુ આકારમાં મકાનોનું ઝુમખું હતું. રોડ તરફના ભાગમાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા કેસરબાઈ કેલકર રહેતાં હતાં. રજાના દિવસોએ હું તેમનો રિયાઝ સાંભળવા તેમના ઘરની દીવાલ પાસે ઊભો રહેતો. તેમના પડોશમાં મરાઠી સાહિત્યના જાણીતા વિવેચક ન.રા. ફાટક રહેતા હતા. (આચાર્ય પી.કે. અત્રે પોતાના અખબારમાં ‘નરાધમ ફાટક’ લખતા.) એ જ સંકુલમાં ઊંચા ઘરાનાની કેટલીક તવાયફો રહેતી હતી. તેમના કથકના ઘૂંઘરું સાંભળવા જતો એ પણ યાદ કરું છું.
કાંતિભાઈના મકાનથી ડાબે હાથે વળો એટલે સેન્ડહર્સ્ટ રોડ (હવે સરદાર વલ્લભભાઈ પટેલ રોડ) આવે. ડાબે હાથે વળો એટલે થોડેક દૂર અંબિકાનિવાસ લૉજ આવે. એ ખાંચામાં રણછોડભાઈ લોટવાળા રહે અને વિદ્યાર્થીઓને રહેવાની હૉસ્ટેલ આવે. એક સમયે તેમાં ભીખુભાઈ પારેખ, કે.ડી. દેસાઈ, પ્રવીણભાઈ શેઠ, આર.એલ. રાવલ વગેરે રહેલા. અમે ભણતાં તેની પાસે જ મારવાડી વિદ્યાલય આવે. તેમાં ડૉ. કેશવલાલ શાહનું દવાખાનું હતું. રોડની સામે સર્જિકલ સ્ટોર હતો. તેની ઉપર ઉષાબહેન અને ચંદ્રકાન્ત મહેતા (બહેન-ભાઈ) રહેતાં. મારવાડી વિદ્યાલયથી આગળ જાવ, ત્યારે ઑપેરા હાઉસ આવતું. તેમાં પૃથ્વીરાજ કપૂરનાં ‘દિવાર’, પૈસો, ‘કિસાન’ ‘પઠાણ’ નાટકો ભજવાતાં. એનો છેડો ચોપાટીમાં આવે.
કાંતિભાઈના ઘરથી સેન્ડહર્સ્ટ રોડને જમણે હાથે વળો એટલે ગોળપીઠા તરફ જવાનું. ત્યાં ‘ગ્લોબ’ અને ‘પ્લેહાઉસ’ (‘વીલા હાઉસ’) આવે. એને અડીને બે નાનકડા રસ્તા – ફૉકલૅન્ડ રોડ અને ફોરાસ રોડ આવે. ત્યાં કૂટણખાનું ચાલતું. એની પાસે સામ્યવાદીઓનું કમ્યુન આવતું. કુન્દનલાલ સાયગલનું ‘સ્ટ્રીટસિંગર’ સિનેમા મેં ગ્લોબ થિયેટરમાં જોયું હતું.
ત્રણેક દૃશ્યો યાદ છે.
એક અમારા દિલીપ નિવાસ સામેથી જમણી બાજુએ સેન્ડહર્સ્ટ રોડ આવે. ખૂણામાં કબુબાઈ હાઈસ્કૂલ હતી. તેના ચોગાનમાં રવિવારે અને રજાના દિવસોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હાથમાં ચામડાની નાની ઢાલ અને નેતરની સોટીથી પટાબાજી કરતા.
બે, ચોપાટી પર કોઈએ સામ્યવાદી પક્ષ વિરુદ્ધ ભાષણ આપ્યું. ઉશ્કેરાયેલું ટોળું કમ્યુન પાસે આવ્યું. ભોંયતળિયે આવેલા છાપખાનાને આગ ચાંપી. સાથી બિરાદરો હાથમાં જે આવ્યું તે રોડ પર ફેંકતા હતા. ત્રણ, કમ્યુનના ઉપલા માળે ‘બૉક્સિંગ કિટ’ છત પરથી લટકતી રહેતી. ત્યાં, ભોગીભાઈ અને તેમના સાથી બિરાદરો એની સાથે મુક્કાબાજી કરતા.
ભોગીભાઈના વડોદરાના રામજીમંદિરના રહેઠાણમાં ભોગીભાઈના લખવાના ટેબલ પરથી ભીંત પર જયંતી પારેખનો ફોટો રહેતો હતો.
કાંતિભાઈને મળ્યાનું છેલ્લું સ્મરણ – ગઈ સદીના સિત્તેરના દાયકામાં (વર્ષ યાદ નથી) તેઓ અમદાવાદના નિવાસસ્થાને આવ્યા હતા. મિરઝાપુર રોડ પર કોઈક મકાનની એક ઓરડીમાં પગે ફ્રૅક્ચરવાળાં વૃદ્ધાને આર્થિક મદદ કરવા આવેલા, એ વૃદ્ધા એટલે ગાંધીજીએ જેને દીકરી ગણેલાં એ લક્ષ્મી.
પાલડી, અમદાવાદ-૦૭
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 12