
રવીન્દ્ર પારેખ
સાધારણ રીતે પગારદારો/પેન્શનરો બજેટની ચિંતા કરતા હોય છે. એટલી બીજા ભાગ્યે જ કરતા હશે. મધ્યમવર્ગને મુખ્યત્વે ઇન્કમટેક્સમાં કેટલી અને કેવી રાહત મળે છે, તેમાં રસ હોય છે, કદાચ એમાં જ રસ હોય છે. આ વખતે સતત નવમું રેકોર્ડબ્રેક યુનિયન બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારામને રજૂ કર્યું. ગયે વર્ષે તેમણે 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે એવી જાહેરાત કરીને મધ્યમવર્ગને ઘણી રાહત આપી, પણ આ વખતે નાણા મંત્રીએ ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ ન કરીને જૂનો સ્લેબ જ ચાલુ રાખ્યો છે. એનો અર્થ તો એવો થાય કે એક વર્ષમાં બીજું બધું પણ ગયા વર્ષ જેટલું ને જેવું જ રહ્યું છે. વર્ષમાં મોંઘવારી વધી નથી ને આવક તો વધી જ છે, તો કોઈ સ્લેબ વધ્યો ન હોય છતાં જેમની આવક ગયે વર્ષે 12.75 લાખ હોય ને આ વખતે પગાર વધતા 12.75 લાખથી થોડી પણ વધી હોય તો ટેક્સ લાગે એ શક્ય છે. ઇન્કમટેક્સ માળખામાં તો કોઈ બદલાવ થયો નથી, પણ રિવાઇઝડ રિટર્ન ફાઈલ કરવાની તારીખ 31 ડિસેમ્બરથી લંબાઈને 31 માર્ચ પર આવી છે.
મધ્યમવર્ગ બચત અને લગ્ન જેવા પ્રસંગોએ સોનાચાંદીની ખરીદી કરતો હોય છે. છેલ્લાં 5 વર્ષમાં સોનાનો ભાવ ત્રણ ગણો વધ્યો છે. એવું જ ચાંદીમાં થયું છે. જી.એસ.ટી. કલેકશનમાં પણ અનેક ગણો વધારો થયો છે. એ ઉપરાંત રોજ બ રોજ ઉપયોગમાં આવતી ખાવાપીવાની, કપડાંલત્તાની, ભણવાગણવાની ચીજ વસ્તુઓના ભાવ આકાશે પહોંચ્યા છે, એની સામે ઇન્કમટેક્સ 12.75 લાખ સુધી ન લાગે, એ આવકાર્ય બાબત હોય તો પણ, તેનાથી ખરેખર કેટલી મદદ થાય છે તે વિચારવાનું રહે. ટૂંકમાં, વધતી મોંઘવારીને પહોંચી વળવા સરકાર ઇન્કમટેક્સની લિમિટ હજી વધારે અથવા મોંઘવારી ઘટાડે તે તીવ્રપણે અપેક્ષિત હતું, પણ તેમાં નિરાશા સાંપડી છે.
મધ્યમવર્ગ સરકારનો સમર્થક રહ્યો છે, એટલે ઇન્કમટેક્સમાં રાહત અને મોંઘવારીમાં ઘટાડો ઇચ્છે તે સમજી શકાય એવું છે ને સરકારને ઘણો ટેક્સ મધ્યમવર્ગનાઓ તરફથી મળે છે, તો એ એવી વ્યવસ્થા ને યુક્તિ કરી શકે કે ઇન્ક્મટેક્સ ઘટે ને બીજા ટેક્સ વધે. ઇન્કમટેક્સ એકટ પહેલી એપ્રિલથી લાગુ થવાની વાત છે, ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો હજી કેન્દ્ર સરકારે પાળ્યો નથી, તેને બદલે નાળિયેર પ્રોત્સાહન યોજનામાં ત્રણેક કરોડ લોકોને જોડવાની વાત છે. મત્સ્યપાલનને 500 તળાવો અને અમૃત સરોવરોના વિકાસ દ્વારા પ્રોત્સાહિત કરવાની દરખાસ્ત છે. ભારતીય ચંદન ઉદ્યોગ તંત્રને ફરી સ્થાપિત કરવાની વાત પણ છે. એ ખરેખર ક્યારે થશે તે તો નથી ખબર, પણ 2030 સુધીમાં કાજુ-કોકોને ઓળખ આપવાની વાત છે. સરકાર તટસ્થ થઇ હોય એમ લાગે છે, કારણ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણીઓ આવતી હોવા છતાં, તેને સીધી અસર કરતી કોઈ જાહેરાતો થઈ નથી.
દેશનું સંરક્ષણ બજેટ 6.81 લાખ કરોડથી વધીને રેકોર્ડ 7.85 લાખ કરોડ થયું છે. સંરક્ષણ બજેટની ખાસ વાત એ છે કે હથિયારોની ખરીદી અને આધુનિકરણની તુલનામાં ગયા વર્ષના 1.80 લાખ કરોડની સામે આ વખતે 2.19 લાખ કરોડ ફાળવાયા છે. એ ઉપરાંત મુંબઈ-પુણે, દિલ્હી-વારાણસી જેવી 7 હાઈસ્પીડ રેલ કોરીડોરની જાહેરાત થઈ છે. કેન્સરની દવા દર વર્ષે સસ્તી થાય છે, તો પણ વર્ષ દરમિયાન મોંઘી થઈને જ રહે છે. ૩ આયુર્વેદ AIIMS ખોલવાની જાહેરાત છે. આયુર્વેદિક દવાઓના ટેસ્ટિંગ માટે નેશનલ લેબ્સ પણ બનશે. 15 હાજર સેકન્ડરી સ્કૂલો અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનાવવાની પ્રપોઝલ છે. 800 જિલ્લાઓમાં છોકરીઓ માટે હોસ્ટેલ બનાવવાની દરખાસ્ત પણ છે. લખપતિ દીદીની જેમ મહિલા સ્વયમ સહાય જૂથની ઉદ્યોગ સાહસી મહિલાઓ માટે SHE-માર્ટ પણ બનશે. હેન્ડલૂમ કારીગરોની મદદ માટે મેગા ટેક્સ્ટાઇલ પાર્ક બનાવવામાં આવશે. ટૂરિઝમ, વિદેશ અભ્યાસને લગતી જોગવાઈઓ પણ બજેટમાં છે. દેશનું કુલ દેવું 2030-’31 સુધીમાં જી.ડી.પી.ના 50% બરાબર લાવવાની વાત છે. 2025-‘26માં દેવું 56.1 ટકા હતું તે 2026-’27માં ઘટીને 55.6 ટકા રહેવાનો અંદાજ છે.
આ બજેટ સંદર્ભે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, કાઁગ્રેસના પ્રિયંકા ગાંધી, પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમ જેવા વિપક્ષી નેતાઓની ટિપ્પણીમાં અસંતોષ અને નિરાશાના સૂર સંભળાયા છે, તો વડા પ્રધાને બજેટને વિકસિત ભારત માટે ઐતિહાસિક અને અન્ય ભા.જ.પી. નેતાઓએ બજેટને વિકસિત અને આત્મનિર્ભર ગણાવ્યું છે. યોગી આદિત્યનાથે બજેટને આશાઓનું ને સુધારાઓનું બજેટ ગણાવ્યું છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ બજેટ સંદર્ભે સ્પષ્ટ કહ્યું છે કે પ્રસ્તુત બજેટ વાસ્તવિક કટોકટીને સંબોધવાને બદલે તેને નજરઅંદાજ કરે છે. બંગાળના મમતા બેનર્જીએ બંગાળની અવગણના કરતાં બજેટને હમ્પ્ટી ડમ્પ્ટી ગણાવ્યું છે.
કેન્સરની દવાઓ સસ્તી થઇ છે, તો માઇક્રોવેવ ઓવનના પાર્ટ્સ પર રાહત અપાઈ છે. ઇલેક્ટ્રિક ગાડીઓ, સોલાર પેનલ, દરિયાઈ ઉત્પાદન, કપડાંનાં એક્સપોર્ટને પ્રોત્સાહન જેવી ઘણી જાહેરાતો થઈ છે. પણ સવાલ એ છે કે જે સસ્તું હાય છે, તે બજેટના બીજા દિવસથી સસ્તું થઈ જાય છે? ના. જૂનો સ્ટોક સસ્તા ભાવે નથી કઢાતો. ભાવની અસર નવા સ્ટોક પર જ થાય છે. દર વખતની જેમ જ આ વખતે પણ બજેટ માટે મિશ્ર પ્રતિભાવો આવ્યા છે, પણ આ વખતનું બજેટ પહેલી વાર રવિવારે રજૂ થયું છે ને સાધારણ રીતે રવિવારે શેર બજારમાં ઉથલપાથલ જોવા નથી મળતી, પણ આ રવિવારે હજારોમાં વધતાં સોનાચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે. ચાંદી કિલોએ 73,00૦ ગગડી ગઈ, તો સોનું 10 ગ્રામે 31,00૦ ગગડી ગયું. સેન્સેક્સ પણ 1,000 ઘટીને 80 હજાર સુધી ઊતરી આવ્યો છે. બજારમાં લાખો કરોડનું ધોવાણ થયું છે. બજેટ પહેલાં જ ગેસ સિલિન્ડર અને સિગારેટ મોંઘાં થયાં છે. ફાસ્ટ ટેગના નિયમો પણ બદલાયા છે. આ બજેટમાં કેટલીક ભુલાયેલી યોજનાઓ પણ પાછી લાવવામાં આવી છે, જેમ કે, 20 કરોડની સી-પ્લેન યોજના નિષ્ફળ ગયેલી તે ફરી લાવવાની વાત છે.
બજેટ દર વર્ષે આવે છે ને દર વર્ષે, થોડું કંઇ સસ્તું અથવા મોંઘુ થાય છે. આ વખતે સોનાચાંદી અને શેરબજારમાં પહેલીવાર રવિવારે મોટી હાનિ સર્જાઈ છે. બજેટની સૌથી વધુ પરવા મધ્યમવર્ગ કરે છે, તે ઇન્કમટેક્સમાં રાહત સંદર્ભે, પણ આ વખતે રવિવાર શુષ્ક રહ્યો છે. ભલભલી યોજનાઓની જાહેરાત થતી રહે છે, પણ કેટલીક યોજનાઓ શરૂ થાય છે, પછી એ આગળ ચાલે છે કે કેમ એની ખબર પડતી નથી, તો કટલીક યોજનાઓ તો શરૂ જ નથી થતી, તો કેટલીક અભરાઈ પરથી નીચે ઉતારી ફરી અમલમાં મુકાય છે. પણ આમાં સામાન્ય માણસો સુધી કેટલું પહોંચે છે, એ પણ જોવાનું રહે. વિકાસની હરણફાળ તો ભરાય છે, પણ હરણને પડતી ફાળનો વિચાર ખાસ થતો નથી. નોકરિયાતોને મોંઘવારી સામે મોંઘવારી ભથ્થું મળે છે, પણ જેટલી ઝડપે મોંઘવારી વધે છે એટલી ઝડપે મોંઘવારી ભથ્થું વધતું નથી. મોંઘવારીની સામે મોંઘવારી ભથ્થું હંમેશ ઓછું જ હોય છે ને જેમને પગાર જ નથી એવા બેકારોને તો મોંઘવારી ભથ્થું પણ મળતું નથી, એમની શી હાલત થતી હશે તેની તો કલ્પના જ કરવાની રહે છે. બજેટ જાણવામાં આવે છે તો એવી વસ્તુઓ સસ્તી થાય છે જે રોજિંદા વપરાશમાં ભાગ્યે જ આવે છે, તો રોજિંદા વપરાશમાં આવતાં અનાજપાણી અંગે જે તે વર્ગે જ માથાં ફોડવાનાં આવે છે. બજેટ ગરીબો નહીં જ સાંભળતાં હોય, કારણ તેને તો બધું જ મોંઘુ છે, ત્યાં સરકાર સસ્તું કરે કે મોંઘું, શો ફરક પડે છે?
બજેટ ગરીબ અને સામાન્ય વર્ગ સુધી ઓછું જ પહોંચતું હશે. એવી સ્થિતિ આવે કે ગરીબ પણ બજેટ જાણવા ઇચ્છે, તો બજેટ આખા ભારતનું હોય એમ લાગે. ગરીબને કશું ફાળવાતું નથી, કારણ તે પોતે જ ફાળવાયેલો રહે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ફેબ્રુઆરી 2026
![]()





આ ડીલ થઈ તેનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે છે. ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ અને દિલ્હીની રશિયન તેલની ખરીદી પર 25%નો વધારાનો બેઝ ટેરિફ લાદીને ટ્રમ્પે અમેરિકાને ભારત માટેના ‘એલ ડોરાડો'(અખૂટ તકો ધરાવતા પ્રદેશ)માંથી એક સાંકડી ગલીમાં ફેરવી નાખ્યું. જ્યારે તમારો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર બજારમાં પ્રવેશને જ હથિયાર બનાવી દે, ત્યારે તમે દયાની ભીખ માંગવાને બદલે નવો રસ્તો શોધી કાઢો—ભારતે એ જ કર્યું.