Opinion Magazine
Number of visits: 9552231
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિજ્ઞેશ મેવાણી ‘હાર્દિક પટેલ’ નથી

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|9 August 2016

ચૂંટણી પર અસર પાડે એટલી દલિતોની વસ્તી નહીં ને દલિત નેતાઓ પક્ષીય વફાદારીના બિલ્લા પહેરી રાજી

સરખામણી જેટલી સ્વાભાવિક અને ઘણી રીતે અનિવાર્ય લાગે, એટલી જ વિચિત્ર પણ છે. ગુજરાતમાં ભાજપની સંપૂર્ણ પકડ અને કોંગ્રેસની અનંત શીતનિદ્રા છતાં ત્રણ યુવા ચહેરા નેતાગીરીની ભૂમિકામાં ઉભર્યા, જેમનાં નામ હવે એક શ્વાસમાં લેવાય છે : હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી. દેખીતું સામ્ય તેમની વયનું અને તેમના ઊભા થયેલા કે થઇ રહેલા બહોળા પ્રભાવનું. હાર્દિક પટેલ તેમની સમજ પ્રમાણે ‘પાટીદાર સમાજને થયેલા અન્યાય’ સામે લડત ચલાવે, અલ્પેશ ઠાકોર વેરવિખેર એવા અન્ય પછાત વર્ગ(ઓબીસી)ના નેતા બને અનેે તેમના હિતની—મુખ્યત્વે અનામતમાં ભાગ ન પડવા દેવાની—વાતે આગળ આવે. આ બન્નેની સરખામણીમાં જિજ્ઞેશ મેવાણીનો પ્રવેશ છેલ્લો થયો.

ઉના અત્યાચારની ઘટના બન્યા પછી જિજ્ઞેશ અને તેમના સાથીદારોએ ઉના દલિત અત્યાચાર લડત સમિતિના નેજા હેઠળ સંગઠિત લડત આપવાની શરૂઆત કરી. આ સંગઠનને કોઈ રાજકીય પીઠબળ કે જ્ઞાતિ સંગઠનોનો આર્થિક ટેકો ન હતાં. એજેન્ડા ઉનાના પીડિતોને ન્યાય અપાવવા ઉપરાંત દલિતો પર થતા અત્યાચાર અને તેના મૂળમાં રહેલા ભેદભાવના વ્યાપક મુદ્દે લડત આપવાનો હતો. અગાઉ થાનગઢમાં ત્રણ દલિત કિશોરોની હત્યા પછી સ્વયંભૂ –અને ભાગ્યે જ જોવા મળે એવો—લોકજુવાળ પેદા થયો હતો. પરંતુ ગુજરાતમાં દલિતોની વસ્તી સાત ટકાથી પણ ઓછી. ચૂંટણીનાં પરિણામો પર અસર પાડવાની તેમની ક્ષમતા નહીં. દલિત નેતાઓ પણ પક્ષની વફાદારીના બિલ્લા પહેરીને રાજી. એટલે થાનગઢ વખતે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દલિત લાગણીને અને તેમની ન્યાયની માગણીને ઘોળીને પી ગયા.

પરંતુ થાનગઢથી ઉના વચ્ચે ઘણો બદલાવ આવ્યો છે. હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને ગુજરાત તેમનું હોમ સ્ટેટ એટલે કે ગૃહરાજ્ય છે. ઉના અત્યાચાર જેવી ઘટના વીડિયોસ્વરૂપે વહેતી થાય – ચગે, ત્યારે ચિંતા ગુજરાતની નથી. ગુજરાતને તો નરેન્દ્ર મોદી-અમિત શાહ ખિસ્સામાં ગણે છે, પણ ગુજરાતના દલિતોનો તીવ્ર અન્યાયબોધ ઉત્તર પ્રદેશ જેવાં નોંધપાત્ર દલિત મતો ધરાવતા રાજ્યમાં પડઘાય, તે શી રીતે પોસાય?’

ઉના દલિત અત્યાચારનો પહેલો બનાવ ન હતો અને ખેદની વાત છે કે, છેલ્લો બનાવ પણ નહીં હોય. છતાં, દલિતોના અન્યાયબોધને, તેમની સમાનતાની, ગરીમાપૂર્ણ વ્યવહાર-વ્યવસાય માટેની ઝંખનાને સુવ્યવસ્થિત સ્વરૂપે વાચા આપે એવા અવાજનો હમણાં સુધી અભાવ હતો. અમદાવાદની રેલીમાં અને એ સિવાય પણ જિજ્ઞેશ મેવાણીને સાંભળ્યા પછી ઘણાને એ અવાજની ખોટ પુરાતી જણાય છે. સવાલ ફક્ત બોલવાની છટાનો નથી. એ કળામાં તો વડાપ્રધાન કુલગુરુ બને એમ છે. પરંતુ આંદોલનનો ચહેરો બનેલા જિજ્ઞેશ મેવાણીની વાતમાં રોષ અને ઉગ્રતાની સાથોસાથ અભ્યાસ અને સંઘર્ષનો અનુભવ પણ રહેલો છે, જે હાર્દિક પટેલ સાથેની તેમની સરખામણીને અપ્રસ્તુત બનાવે દે છે.

જિજ્ઞેશ મેવાણી અચાનક, રાતોરાત આકાશમાંથી ટપકી પડેલો કે કોઈએ ઊભો કરેલો નેતા નથી. તેની પાછળ રાજકીય વ્યક્તિત્વોના દોરીસંચારની આશંકા નથી ને સમૃદ્ધ જ્ઞાતિજનોનો મજબૂત આર્થિક ટેકો પણ નથી. અત્યારે અમદાવાદથી પદયાત્રીઓ સાથે નીકળેલા અને 15મી ઓગસ્ટે ઉના પહોંચીને ધ્વજવંદન કરવા માગતા 35 વર્ષના જિજ્ઞેશ પાસે જાહેર કામનો લાંબો અનુભવ અને વાચનલેખનનો મજબૂત સંસ્કાર છે. બૌદ્ધિકતા, જોશ, કાર્યકરવૃત્તિ અને નેતૃત્વશક્તિ—આ બધાનું સંયોજન દલિતોમાં જ નહીં, સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં દુર્લભ છે.

જિજ્ઞેશ મેવાણીની નેતૃત્વશક્તિની હવે કસોટી છે, પરંતુ બૌદ્ધિક રીતે એ અત્યંત સજ્જ છે. એકાદ દાયકા પહેલાં ગુજરાતના ટોચના ગઝલકાર ‘મરીઝ’ વિશે જિજ્ઞેશે કરેલું સંશોધન ગુજરાતી સાહિત્યમાં અને પત્રકારત્વમાં મૂલ્યવાન ઉમેરો કરે એવું છે, તો ભગતસિંઘ અને ક્રાંતિકારીઓ વિશેનો તેમનો અભ્યાસ ભગતસિંઘના નામે ચરવા નીકળી પડેલાઓ કરતાં તેમને જુદા અને વેંત ઊંચા મૂકી આપે એમ છે. અમદાવાદની એચ.કે. આર્ટસ કોલેજમાંથી અંગ્રેજી વિષયમાં સ્નાતક થયેલા જિજ્ઞેશને સામાજિક સમાનતાના ઘણા પાઠ સંજય ભાવે અને સૌમ્ય જોશી જેવા અધ્યાપકો પાસેથી શીખવા મળ્યા. એ ઘડતર પર અનુભવનું ઘણું ચણતર ગાંધીવાદી ચુનીકાકા (વૈદ્ય) અને જનસંઘર્ષ મંચના ડાબેરી કર્મશીલ મુકુલ સિંહા સાથે કામ કરતાં થયું. ચુનીકાકા સાથે રહીને જમીનવિહોણાને જમીન અપાવવાની લડતથી માંડીને સફાઈ કામદારો હોય કે ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ સિક્યોરિટી ફોર્સના જવાનો, તેમની અન્યાય સામેની લડતમાં જિજ્ઞેશે જનસંઘર્ષ મંચ વતી સામેલગીરી કરી છે.

ચુનીકાકા વિશે કેતન રૂપેરાએ સંપાદિત કરેલા સ્મૃિતગ્રંથમાં જિજ્ઞેશે ચુનીકાકાનો પૂરા આદર સાથેનો, છતાં અણીદાર ઇન્ટરવ્યુ કર્યો છે. તેમાંથી ફક્ત ચુનીકાકાનું જ નહીં, જિજ્ઞેશનું પણ વ્યક્તિત્વ પ્રગટ થાય છે. ઇન્ટરવ્યુની ભૂમિકાના આરંભે જ જિજ્ઞેશે લખ્યું છે, ’ગુજરાતના જાહેરજીવનમાં ત્રણ કાકાઓ અમૂલી જણસ જેવા મળ્યા—ગિરીશકાકા (પટેલ), મુકુલકાકા (સિંહા) અને ચુનીકાકા (વૈદ્ય). ગિરીશકાકા ગાંધી અને માર્કસનું કોમ્બિનેશન કરવામાં માને, મુકુલ સિન્હા માર્કસ ને લેનિનનું કોમ્બિનેશન કરવામા માને, ચુનીકાકા ગાંધીના વિકેન્દ્રીકરણના વિચાર પર આધારિત ગ્રામ સ્વરાજ સ્થાપવા માગે. પારકી છઠ્ઠીના જાગતલ એવા આ ત્રણેય કાકાઓ ખેડૂતો-પશુપાલકો-પીડિતો-દલિતો, અસરગ્રસ્તો માટે બહુ લડ્યા …’ (હાર્દિક સાથે જિજ્ઞેશની સરખામણી કેમ અયોગ્ય છે, એ આ ત્રણ લીટી વાંચીને પણ સ્પષ્ટ થઇ જવું જોઈએ.)

નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રીપદ દરમિયાન અને ત્યાર પહેલાં પણ ગુજરાતમાં સંઘર્ષનું કામ કરનારા બહુ ઓછા નીકળ્યા, માર્ટિન મેકવાન જેવાએ એક તબક્કે સમાનતાના સંઘર્ષ અને નવસર્જનનું કામ સમાંતરે અને અસરકારક રીતે ઉપાડ્યું હતું. હવે જિજ્ઞેશ પાસે (છેલ્લાં વર્ષોમાં મેળવેલી વકીલાતની ડિગ્રી ઉપરાંત) તેમણે ગણાવેલા ત્રણ કાકાઓના સંઘર્ષનો અને એ સિવાય દલિત ચળવળનો વારસો છે. જોસ્સો (પેશન) તેમનો સ્થાયી ભાવ છે, તેનાથી દોરાવાનું નેતા તરીકે ઓળખાયા પછી જોખમી બની શકે છે, પણ કોઈ પણ બાબતને ફક્ત થિયરીના સ્તરે સમજીને સંતુષ્ટ થવાને બદલે, સંવેદનાના સ્તરે અનુભવવી એ જિજ્ઞેશની પ્રકૃતિ છે.

જાહેર જીવનમાં અને દલિત ચળવળમાં જાણકારો પાસેથી સલાહસૂચન-દિશાદર્શન લેવાનું તેમણે હજુ બંધ કર્યું નથી. તેમની સામે આંતરિક તથા બાહ્ય પડકાર ઓછા નથી. જ્ઞાતિવાદની ભયંકર આડપેદાશ જેવા દલિતોના પેટાજ્ઞાતિવાદને વળોટી જાય એવી રીતે ચળવળ ટકાવવી અને આગળ વધારવી, વાજબી રાજકીય મહત્ત્વાકાંક્ષા તથા ઉગ્રતા-કટુતાને ભયજનક સપાટીથી નીચે રાખવી, આંદોલનની વરાળથી પોતાનાં એન્જિન ચલાવવા આવી પડતા રાજનેતાઓથી સલામત અંતર રાખવું, આંદોલનની ધરી વ્યક્તિકેન્દ્રી કે વ્યક્તિવિરોધી-પક્ષવિરોધી નહીં, પણ સમાજકેન્દ્રી, સમાનતાકેન્દ્રી – અત્યાચારવિરોધી રહે તે જોવું … પડકારોની યાદી લાંબી છે. તેમાં સજ્જતાની કસોટી છે, તો પરિવર્તન માટેની તક પણ છે જ.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘અમારે કેટલા ટકા?’, “દિવ્ય ભાસ્કર”, 09 અૉગસ્ટ 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-jignesh-mevani-not-a-hardik-patel-article-by-urvish-kothari-gujarati-news-5391680-NOR.html

Loading

ઇરાક યુદ્ધ અને આપણે તમાશબીનોની વાહવાહી અને ચિચિયારીઓ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 August 2016

લોકો જ્યારે ટોળે વળે, ચાહે એ સિનેમા હોલમાં હોય, ટીવીના પડદા સામે હોય કે પછી દેશના તારણહાર સામે હોય, તાળીઓ પડવી અને તાળીઓ માટે તમાશો થવો એ બહુ સ્વાભાવિક છે. ટોળાંનો સ્વભાવ તમાશબીનનો હોય છે. તમારો રાજ્યાભિષેક થાય ત્યારે જે ટોળું વાહવાહી કરે એ જ ટોળું તમારો શિરચ્છેદ થાય ત્યારે પણ સરાહના જ કરશે. ઇતિહાસમાં જે બ્લન્ડર થયા છે તે આવી રીતે ટોળાંને ખુશ કરવામાંથી થયાં છે.

2003માં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશ અને પ્રધાનમંત્રી ટોની બ્લેરે ચિયરલીડર મીડિયા અને તમાશબીન જનતાની ચિચિયારીઓ વચ્ચે તાનાશાહ સદ્દામ હુસેનના ‘નર્ક’ ઇરાક પર ચઢાઈ કરીને જગતભરના ટેલિવિઝન સ્ક્રીન ઉપર હોળી-દિવાળીનો તમાશો કર્યો હતો. ઘણીવાર આપણને નાસમજણનું એવું ઝનૂન ચઢે છે કે એમાં લાખો લોકો હોમાઈ જાય છે, અને એમાંથી આપણે કંઈ સમજીએ તે પહેલાં નવા તમાશાની તૈયારી કરી લઈએ છીએ. દાખલા તરીકે રાષ્ટ્રપ્રમુખપદની 2016ની ચૂંટણીના પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે એની ‘કડક’ ભાષામાં એકથી વધુ વખત ત્રીજા મહાયુદ્ધના સંકેત આપ્યા છે.

બ્રિટનમાં અત્યારે પૂર્વ બ્યુરોક્રેટ સર જોન ચિલ્કોટનો એક રિપોર્ટ ચર્ચામાં છે, જે આપણી યુદ્ધપરસ્ત માનસિકતાને ઝકઝોરી નાખે તેવો છે. એક એવું યુદ્ધ જેમાં સૈનિકો સહિત અઢી લાખથી વધુ લોકો મરી ગયા હોય અને એમાં જખ્મી, વિકલાંગ, માનસિક આઘાત ઝીલી રહેલા સૈનિકો અને નાગરિકોની સંખ્યા એના કરતાં પણ વધુ હોય, જે યુદ્ધની તબાહીમાંથી ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સીરિયા (આઇ.એસ.અાઇ.એસ.) નામના દુર્જેય સંગઠનનો જન્મ થયો હોય, અગર આ યુદ્ધનાં 13 વર્ષ પછી ખબર પડે કે આ યુદ્ધ તદ્દન ગલત હતું, અન્યાયી હતું અને એના ફેંસલા માટે ટોની બ્લેરને પસ્તાવો થઈ રહ્યો છે તો વિચારો કે તમારા દિલ પર શું અસર થાય?

સર જોન ચિલ્કોટે 7 વર્ષની મહેનત પછી 6,000 પાનાંનો રિપોર્ટ પેશ કર્યો છે. તેમાં 26 લાખ શબ્દો છે અને 12 વોલ્યુમ છે. સર ચિલ્કોટને એક જ મુદ્દાને છાનબીન કરવાની હતી: 2003માં ઇરાક ઉપર ચઢાઈ કરવી જરૂરી અને ઉચિત હતી? આ રિપોર્ટમાં 28 જુલાઈ, 2002ના રોજ ટોની બ્લેરે જ્યોર્જ બુશને લખેલી એક નોંધનો ઉલ્લેખ છે, જેમાં એ વાતનો સંકેત છે કે યુદ્ધ કરવાના ફેંસલા પર જલદીથી અમલ કેમ થઈ ગયો. એમાં બ્લેરે બુશને લખ્યું હતું, ‘જે થવું હોય તે થાય, હું તમારી પડખે રહીશ.’

એ વખતે પૂરી દુનિયા યુદ્ધના વિરોધમાં હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુદ્ધને લીલી ઝંડી ફરકાવવા ઇન્કાર કરી દીધો હતો. અમેરિકાએ ત્યાં પણ ધોંસ જમાવી હતી. અમેરિકાએ રાષ્ટ્રવાદના નામ પર એવું ઝનૂન પેદા કર્યું હતું કે યુદ્ધનો વિરોધ કરનારને આતંકવાદનો સમર્થક ઘોષિત કરવામાં આવતો હતો. અમેરિકન મીડિયાને જાણે તમાશો મળી ગયો હોય તેમ ભાવુકતા પેદા કરી રહ્યું હતું. દુનિયાના જનમતની ઐસી તૈસી કરીને ચેનલોએ એમની રેટિંગને જ જનમત બનાવી દીધો અને યુદ્ધના તમાશામાં સામેલ થઈ ગઈ.

ચિલ્કોટ રિપોર્ટ કહે છે કે ટોની બ્લેરે એમની જનતા સમક્ષ સદ્દામ હુસેનના સંભવિત ખતરાના નામે ગપગોળા જ પેશ કર્યા હતા. જ્યોર્જ બુશે સદ્દામ હુસેનને ‘દુષ્ટતાની ધરી’ (એક્સિસ ઑફ ઇવિલ) તરીકે ઘોષિત કર્યો હતો, જેણે પશ્ચિમી રાષ્ટ્રો સામે આતંકવાદની કમાન રચી હતી. ઇરાક સામે યુદ્ધ છેડવાનું એક ‘નક્કર’ કારણ સદ્દામ હુસેનનો સામૂહિક વિનાશના હથિયારનો કાર્યક્રમ હતો. અમેરિકી અને બ્રિટિશ સૈન્યએ સદ્દામનો ખાત્મો કર્યો તે પછી ખબર પડી કે સદ્દામ પાસે એવાં કોઈ જ હથિયાર ન હતાં.

ઇરાક યુદ્ધમાં બુશ અને બ્લેર બંને ભલે એમના દેશવાસીઓને ગુમરાહ કરતા રહ્યા હોય, પણ જંગના અસલી કારણની બધાને ખબર છે. ઇરાક યુદ્ધ પર ચોપડી લખનાર બ્રિટિશ સમાચાર પત્ર ‘ધ ઇન્ડિપેન્ડેન્ટ’નો પૂર્વ પત્રકાર જસ્ટિસ હગલર કહે છે, ‘ઇરાક યુદ્ધનું એક માત્ર કારણ તેલ હતું. 2003માં બગદાદમાં ધડાધડી થઈ તો અમેરિકાએ સૌથી પહેલાં તેલના કૂવાને સુરક્ષિત કરી દીધા હતા, કારણ કે તેલ જ ખરી તાકાત છે. જનતંત્ર અને માનવમૂલ્યોની સ્થાપનાનાં નામ પર અમેરિકા અને બ્રિટને ઇરાકમાં જે કર્યું, એ હવે દુનિયાની સામે છે. આવી ભયંકર તબાહીનો બીજો દાખલો ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળશે.’

આજે ડોનાલ્ડ ટ્રમ્પ જેની સામે ‘કડક હાથે’ કામ લેવાની ભાષા વાપરે છે અને જેણે બ્રિટનને આતંકની ગિરફ્તમાં લઈ લીધું છે તે આઇસીસ સંગઠન ઇરાકની આ તબાહીમાંથી પેદા થયું છે, એ આપણી યુદ્ધપરસ્ત માનસિકતામાં જડીને રાખવા જેવી હકીકત છે. ટોની બ્લેરે આ વાત સ્વીકારી છે. ઇરાક યુદ્ધ માટે માફી માગતી વખતે બ્લેરે કહ્યું હતું, ‘આતંકવાદી ઇસ્લામિક સંગઠનના જન્મ માટે મારા પર ઇલ્ઝામ મૂકી શકાય. અગર ઇરાક યુદ્ધ ન થયું હોત તો આજે આઇ.એસ. જેવું સંગઠન પૂરી દુનિયામાં હિંસા અને આતંકનો કહેર વરસાવતું ન હોત. સદ્દામ હુસેનને હટાવ્યા પછીની સ્થિતિનો અંદાજ મેળવવામાં ભૂલ થઈ હતી.’

જ્યોર્જ બુશ પણ ઇરાક યુદ્ધની ગલતી માની ચૂક્યા છે. ‘ડિસિઝન પોઇન્ટ’ નામની ચોપડીમાં બુશે લખ્યું છે, ‘ઇરાક યુદ્ધમાં ઘણી ભૂલો થઈ હતી. મારા કાર્યકાળના અંતિમ દિવસોમાં મારી હાલત એવી હતી જાણે હું એક ડૂબતા જહાજનો કપ્તાન હોઉં.’ બુશની વિદેશ મંત્રી રહી ચૂકેલી મૈડલીન અલબ્રાઇટ પણ એક સ્થાને લખે છે, ‘ઇરાક યુદ્ધ અમેરિકાની સૌથી મોટી ભૂલ હતી, જેનાં ફળ આપણે હજુ ય ભોગવી રહ્યાં છીએ.’

જંગમાંથી ઊભરેલું ઇરાક અંતિમવાદી સુન્ની સમૂહ આઇ.એસ.ના કબજામાં આવી ગયું છે. 2003થી ઇરાક અને સીરિયામાં જે ભયાનક સ્થિતિ નિર્માણ થઈ તેમાંથી બચવા લોકો પલાયન થઈ રહ્યા છે અને આઇ.એસ. એ અસ્થિરતામાં પગદંડો જમાવી રહ્યંુ છે. દુનિયાભરમાંથી જે ઇલાકામાંથી સૌથી વધુ શરણાર્થી નીકળી રહ્યા છે, તેમાં ઇરાક અને સીરિયા મોખરે છે. 2003માં બુશ અને બ્લેરે એક ‘સમસ્યા’નું ‘સમાધાન’ લાવવા ખાતરી આપી હતી. આપણે એ ખાતરીમાં તણાઈ ગયા હતા. આજે એ સમાધાન નવી સમસ્યા બની ગયું છે, અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી બુશની જ ભાષામાં ‘સમાધાન’ની વાત કરે છે.

બુશથી લઈને ટ્રમ્પ સુધીની જો બીજી કોઇ નિષ્ફળતા હોય તો એ છે કે લીડરોના સ્તર ઘટી રહ્યા છે. ઇરાક યુદ્ધ વખતે બુશ અને બ્લેર માનવતા અને એમના દેશવાસીઓના મસીહા તરીકે ઊભર્યા હતા. એ વખતે એમણે કેવી ભવ્ય વાતો કરી હતી એ યાદ છે? સર ચિલ્કોટના રિપોર્ટ પછી આજે બંને સામે ‘યુદ્ધ અપરાધી’ તરીકે કામ ચલાવવાની માગણી થઈ રહી છે. આપણને એમાં રસ ન પડે, કારણ કે સામાન્ય જનમાનસ તો ઝનૂનમાં જ જિંદગીનો અહેસાસ કરે છે, વિવેકબુદ્ધિમાં નહીં.

આપણા લીડરો જો શ્રેષ્ઠ અને લાયક હોય તો એ આપણામાં ભાવનાનાં પૂર પેદા ન કરે, પણ સારા-નરસાનો ભેદ પારખવાની સમજ આપે.

ઇરાક યુદ્ધમાં દુનિયાની શાંતિ તો જોખમાઈ જ, સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન જેવા ‘માથાના ફરેલા’ લીડરોનો ઉદય થયો તે બોનસમાં.

ઘણીવાર આપણી સામે એવી સ્થિતિ આવી જાય છે કે આપણે એનાં મૂળમાં જવાની હિંમત અને કાબેલિયત ગુમાવી દઈએ છીએ. આવી દરેક સ્થિતિમાં લીડરો અને મીડિયા આરપારની લડાઈનાં સમાધાન આપતાં રહે છે. આપણે આવી ગોળીઓ ગળતા પણ રહીએ છીએ. સર ચિલ્કોટનો રિપોર્ટ આપણી આ સમજને ઝકઝોરે તેવો છે. ઘણીવાર આંધળા ઝનૂનથી લેવાયેલા નિર્ણય દુનિયાને બહેતર બનાવવાને બદલે કેવી રીતે બદતર બનાવે એના સાક્ષાત્ સાક્ષી બુશ અને બ્લેર છે.

ઇતિહાસ હર મોડ ઉપર કંઇક શીખવાનો અવસર પૂરો પાડે છે. આપણે એ અવસરને તક ગણીએ છીએ કે તમાશો એના પર ભવિષ્યના ઇતિહાસનો આધાર રહે છે.

સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 07 અૉગસ્ટ 2016

https://www.facebook.com/permalink.php?story_fbid=1647581552236564&id=1379939932334062&substory_index=0

Loading

‘િમસ્ટર રે લા–શપેલ’

હરનિશ જાની|Opinion - Opinion|8 August 2016

અંધેરી નગરી અને ગંડુ રાજા

આ વાર્તા નથી. આ દુનિયામાં આવો માણસ હરે–ફરે છે. તેમનું નામ હતું : ‘મિ. રે લા–શપેલ.’ તે મારા બૉસ હતા. પ્લાસ્ટિક કલર કંપનીના પ્રેસિડન્ટ હતા. હું તે કંપનીમાં ટૅકનિકલ ડાયરેક્ટર હતો.

૧૯૯૮ના એપ્રિલમાં એક દિવસે સવારે તે મારી ઑફિસમાં ધસી આવ્યા. તેમના હાથમાં તે દિવસનું ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ હતું. તેમણે તે પેપર મારા ટેબલ પર પછાડ્યું. ‘વોટ ઈઝ ધીસ? આ શું છે?’ મને કાંઈ સમજ ન પડી. મને કહે કે, ‘પેપર વાંચ.’ પહેલા પાના પર મોટા અક્ષરે ન્યુઝ હતા કે ‘ઈન્ડિયાએ રાજસ્થાનના રણમાં અણુધડાકો કર્યો.’ પછી મારા પ્રેસિડન્ટ ઉછળીને બોલ્યા, ‘તમે ઈન્ડિયનો તમારા મગજમાં સમજો છો શું? એટમબોમ્બ ફોડ્યો એટલે અમારી બરોબરના થયા? તમે સાબિત શું કરવા માંગો છો?’ મેં ખૂબ નમ્રતાથી કહ્યું કે, ‘આ એટમબોમ્બ ફોડવામાં મારો હાથ નથી અને જો ઈન્ડિયન ગવર્નમેન્ટને સલાહ આપું તો ત્યાં કોઈ મારું સાંભળે પણ નહીં.’ તે બોલ્યા કે, ‘મિસ્ટર, શનિવારનું ડીનર કેન્સલ.’

આ ડીનરની વાતમાં એમ હતું કે માર્ચના અંતમાં ગૂડી પડવાને દિવસે મારી દીકરી પરણી હતી. તેમાં મિસ્ટર અને મિસીસ લા–શપેલ નહોતાં આવી શક્યાં. તો મેં તેમના કુટુમ્બ સાથે મારા કુટુમ્બનું ડીનર એક ફ્રેન્ચ રેસ્ટોરાંમાં ગોઠવ્યું હતું. આ ગાંડા માણસે ઈન્ડિયાએ અણુ વિસ્ફોટ કર્યો તે મારા માથે ઢોળ્યું અને મારો વાંક કાઢીને ડીનર કેન્સલ કર્યું. ‘તસ્કર ખાતર પાડતાં – ચોર દબાયા ચાર’ જેવો ઘાટ થયો. ઈન્ડિયન ગવર્નમેન્ટમાં મારું ચાલતું હોત તો તે બોંબ રે લા–શપેલના માથે જ ફોડાવત.

હવે આ માણસ કેટલો પાગલ છે તે તો મને પહેલે દિવસે મારા જોબ ઈન્ટરવ્યુ વખતે જ સમજાઈ ગયું હતું. મારો ઈન્ટરવ્યુ લેવા જનરલ મેનેજર અને પ્રેસિડન્ટ બેઠા હતા. હું જેવો તેમની ઑફિસમાં ગયો કે મિ. લા–શપેલ ઊભા થઈ ગયા. ‘ઓહ, માય ગોડ ! યુ આર વેરી હેન્ડસમ. આઈ લાઈક યોર પર્સનાલિટી,’ તેણે બાજુમાં બેઠેલા જનરલ મેનેજર મિ. ફીલ પેટનને કહ્યું કે, ‘મિ. પેટન, તમને આ માણસ ગમ્યો? મને તો બહુ જ ગમ્યો છે. એને નોકરીમાં રાખી દો.’ ટૅકનિકલ ડાયરેક્ટરની પોસ્ટ માટે આવું કેટલાને બન્યું હશે? મારા હાથમાં જાત જાતનાં સર્ટીફિકેટ્સ હતાં, કેરેકટર રેફરન્સીસ હતા. મિ. રે લા–શપેલને કશાની જરુર ન લાગી. તેમને મારો દેખાવ ગમી ગયો. તેમને મારી પર્સનાલિટી ગમી ગઈ. મેં મનોમન મારા મા–બાપને ‘થેન્ક યુ’ કહ્યું. આવું મારા જીવનમાં બીજી વાર બન્યું. પહેલી વાર, મારી પત્નીને પરણતાં પહેલાં જોવા ગયો હતો. ત્યારે બન્યું હતું.

મિ. લા–શપેલે તેમની સેક્રેટરીને અને સ્ટાફની બીજી બે ત્રણ છોકરીઓને બોલાવીને પુછ્યું કે, ‘આ માણસ હેન્ડસમ છે ને ! એને નોકરીમાં લીધો છે.’ મને પોતાને સંકોચ થતો હતો. ઈન્ટરવ્યુમાં કેવા કેવા સવાલ પૂછાશે વગેરે વિચારોથી પરસેવો થતો હતો. અને અહીં તો આ નાટક ! અને હૈયામાં ઠંડક થઈ ગઈ. હકીકતમાં તો મારે તે દિવસે જ સમજી લેવા જેવું હતું કે અહીં તો ‘ટકે શેર ભાજી; ટકે શેર ખાજા છે.’

તેમનો દીકરો અમારી કંપનીમાં સેલ્સમેન હતો. તેની સાથે મારે ઘણી વખતે ટૅકનિકલ મદદ માટે ટ્રાવેલીંગ કરવી પડતી હતી. અને મારી મદદથી તેને ચાર પાંચ સારા ઓર્ડર પણ મળ્યા હતા. તે મારો મિત્ર બની ગયો હતો. એક વખતે કોઈ કારણસર તેને અમારા પ્રેસિડન્ટ ખૂબ વઢ્યા. અને બે વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ. તે આખી ઑફિસે સાંભળ્યું–જોયું. પછી તે મારી ઑફિસમાં આવ્યા અને પોતાના દીકરા વિશે મને કહેવા લાગ્યા કે, ‘તેં એને ચડાવી માર્યો છે.’ ત્યારે મેં તેમને સમજાવ્યા કે ‘અમારા હિન્દુઓમાં કહેવાય છે કે છોકરાં તો બોલે; પણ બાપે તેમને માફ કરી દેવાં જોઈએ.’ તે વાત તેમને ગમી ગઈ અને ત્યાર પછી તે હમ્મેશાં મારી સાથે જાત જાતની હિન્દુ ફિલોસોફીની વાતો કરવા આવતા. મઝાની વાત એ હતી કે હું જનરલ મેનેજરને રિપોર્ટીંગ કરતો હતો. પણ પ્રેસિડન્ટ સીધા મારી ઑફિસમાં કામ સિવાયની વાતો કરવા આવી જતા. શરૂઆતમાં મને કે કોઈને આ વાત નહોતી સમજાતી. પછી મારા બોસ મિ. ફીલ પેટન મને લા–શપેલ સાથે શી શી વાતો થઈ તે પૂછતા. અને હું તેમને સાચું કારણ આપતો કે મિ. લા–શપેલ મારા કુટુમ્બ વિશે પૂછપરછ કરતા હતા. અને મારા બૉસ મને શંકાની નજરે જોતા અને કહેતા કે તારી વાત મને સાચી નથી લાગતી; પણ તું કહેતો હોય તો તારી વાત સાચી માનીશ.

હવે વિચારવા જેવી વાત એ હતી કે આવી મોટી કંપનીના પ્રેસિડન્ટને આમ ગપસપ કરવાનો સમય મળે ખરો? કંપનીનું ૪૮ મીલિયન ડૉલરનું સેલ હતું. અને સોથી વધુ માણસો કામ કરતા હતા. મને લાગતું કે કંપની જનરલ મેનેજર મિ. પેટન ચલાવતા અને પ્રેસિડન્ટ જલસા કરતા હતા.

અમેરિકન ફૂટબોલના એક કાળા પ્લેયર, ઓ. જે. સિમ્પ્સને પોતાની ગોરી પત્નીનું ખૂન કર્યું હતું. તેનો કેસ ચાલતો હતો. અમેરિકન પ્રજાનો મત તો આ વિષય પર વહેંચાયલો હતો. ગોરા માનતા કે તે ખૂની છે; જ્યારે કાળા અમેરિકનો તેને નિર્દોષ માનતા. જે દિવસે એ કેસનો કોર્ટમાં નિર્ણય આવવાનો હતો, તે દિવસે મિ. લા–શપેલ સવારે મારી ઑફિસમાં આવ્યા. મને કહે કે, ‘તને આ કેસ વિશે શું લાગે છે.’ મેં તેમને કહ્યું કે, ‘સિમ્પ્સન નિર્દોષ જાહેર થશે.’ મારી દૃષ્ટિએ કારણ તો બહુ સીધું હતું. અમેરિકાની કોર્ટમાં તેને ગુનેગાર સાબિત કરવો હોય તો દરેક જ્યુરીનો નિર્ણય એક સરખો હોવો જરૂરી હતો. હવે તેમાં બે કાળા જ્યુરી હતા! જે કદી કાળા કેદીને ગુનેગાર ન ગણે. એટલે ગુનેગાર છૂટી જાય. અને થયું પણ તેમ જ. ઓ. જે. સિમ્પ્સન નિર્દોષ જાહેર થયો.

એટલે મિ. લા–શપેલ ગુસ્સે થયા. તે પોતે ગોરા અમેરિકન હતા. અને મને કહે કે, ‘તને ક્યાંથી ખબર પડી કે તે છૂટી જશે?’ તમે માનશો કે ઓ. જે. સિમ્પ્સન નિર્દોષ છૂટ્યો તો તેમાં મારો હાથ હતો? હવે આ માણસને કેવી રીતે જીતાય ! કદાચ કંપનીમાં કોઈ ટૅકનિકલ પ્રોબ્લેમ ઊકેલી ન શકું તો મને જૂતા મારો, ગણીને એક સો; પણ આવી વાહિયાત વાતો પર મારા પર ચીઢાય તેનું શું? પછી મેં નક્કી કર્યું કે : ‘સિંહનું મોઢું સૂંઘવા કરતાં શિયાળની જેમ કહી દેવાનું કે મને શરદી થઈ છે.’

હવે આ પ્રેસિડન્ટની બીજી ઘણી બધી વિચિત્ર બાજુઓ હતી. અમે બે, કોઈ ટૅકનિકલ પ્રેઝન્ટેશન માટે સાથે એર ટ્રાવેલીંગ કરતા. ત્યારે મારું લગેજ એ ઊંચકી લે ! જાતે મારી કૉફી બનાવી આપે ! તેમની સાથે કોઈ રેસ્ટોરાંમાં ડ્રીંક પીતા હોઈએ તો તમારે એ જેટલા પૅગ પીએ એટલા ફરજિયાત પીવા પડે! હા, તેમનો કાયદો હતો કે રેસ્ટોરાંમાં એ પોતે ખુરશીમાં બેસે પછી જ સ્ટાફ બેસે. જો એમની સાથે ટેનીસ રમતા હો તો તે જ જીતવા જોઈએ. જો ભૂલથી તમે જીતો તો પાછા મર્યા !

ટૂંકમાં, તમારા માથા પર બે–ધારી તલવાર લટકતી હોય. મને પોતાને પગાર સરસ હતો અને કંપનીની બધી ટૅકનિકલ મુશ્કેલીઓમાં મને ઊંડી સમજ હતી. તેથી નોકરી છોડવાનું બહુ મન નહોતું થતું. હવે બીજી ન સમજાય તેવી વાત એ હતી કે તે એક ઈન્ડિયન, હરનિશને તે પસંદ કરતા હતા; પરંતુ તેમને ઈન્ડિયા નહોતું ગમતું! બીજા ઈન્ડિયનો પણ નહોતા ગમતા !

તેમાં મારા કમનસીબે, કોઈ ઈન્ડિયને તેમની કારને પોતાની કાર ભટકાડી – અથવા તો એમ કહેવાય કે મિ. લા–શપેલની કાર કોઈ ઈન્ડિયનની કાર સાથે અથડાઈ. વાંક કોનો? ત્યારે કહે કે હરનિશનો. આવ્યા સીધા બીજે દિવસે મારી ઑફિસમાં. ‘તારા ઈન્ડિયનોને કાર ચલાવતા પણ નથી આવડતી. ઊંટગાડી ચલાવો, ઊંટગાડી!’ મને કહેવાનું મન તો થઈ ગયું કે : ‘અમે ઈન્ડિયનો તમારી કંપનીઓ તો ચલાવવાનું જાણીએ છીએ, એટલું ઓછું છે ?’

આ માણસથી છુટવાનું મેં નક્કી કરી નાખ્યું અને મેં પહેલી તકે તે નોકરીમાં રાજીનામું આપી દીધું. તો બીજે દિવસે સવારે મારી ઑફિસમાં આવીને કહે કે, ‘તમે ઈન્ડિયનો તમારા મગજમાં સમજો છો શું? તમારા વિના મારી કંપની બંધ પડી જશે?’

મેં તેમને જવાબ તો ન આપ્યો; પણ મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે ભારત એટમબોંબ ફોડે તો સારું અને તે પણ મિ. લા–શપેલના માથા પર !

લખ્યા તારીખ : 15th May, 2016

4-Pleasant Drive, Yardville, NJ-08620 – USA Email : harnishjani5@gmail.com

સૌજન્ય : “સન્ડે ઈ.મહેફીલ” – વર્ષઃ બારમું – અંકઃ 354 – August 07, 2016

Loading

...102030...3,5093,5103,5113,512...3,5203,5303,540...

Search by

Opinion

  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318
  • બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 
  • વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved