Opinion Magazine
Number of visits: 9768183
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફિયરલેસ નાદિયા: સ્ત્રીશક્તિનું ફિલ્મી પ્રતીક

વિશાલ શાહ|Opinion - Opinion|8 March 2017

ભારતનો પહેલો સુપરહીરો ‘હીરો’ નહીં, પણ ‘હીરોઇન’ હતી. એ અડધી બ્રિટિશ અને અડધી ગ્રીક હતી. એનો વાન ગોરો અને આંખો નીલી હતી. પ્રેમ, સુંદરતા, આનંદ અને કામુકતાની ગ્રીક દેવી એફ્રોડાઇટનું એને વરદાન હતું. એ મજબૂત બાંધાની, આત્મવિશ્વાસુ અને બિંદાસ સ્ત્રી હતી. એ હાથમાં બંદૂક અને કમર પર હંટર રાખતી. ગુંડા-મવાલીઓને એ ચાબુકથી ફટકારતી, બે હાથમાં ઊઠાવીને જમીન પર પટકતી અને ક્યારેક તો ધાંય ધાંય કરીને વીંધી પણ નાંખતી. એ ઊંચી બિલ્ડિંગ પરથી સમરશોટ મારીને ઘોડા પર બેસીને અલોપ થઈ જતી. ‘પંજાબ કા બેટા’, ‘રાજપૂત’ અને ‘બહાદુર’ નામના ઘોડા એના મિત્રો હતા. ‘ટાઇગર’ નામનો આલ્શેિસયન કૂતરો એનો પડછાયો હતો. અરે, સિંહો પણ એની સાથે નમ્રતાથી વર્તતા. દુનિયા એને ‘હંટરવાલી’, ‘ડાયમંડ ક્વિન’, ‘તૂફાન ક્વિન’, ‘ફાઇટિંગ ક્વિન’, ‘હરિકેન હંસા’, ‘મિસ ફ્રન્ટિયર મેલ’ અને ‘પંજાબ મેલ’ જેવાં નામે ઓળખતી. વો કૌન થી? કહેવાની જરૂર નથી કે, એ ફિયરલેસ નાદિયા હતી.

ફિયરલેસ નાદિયા અને ‘રંગૂન’માં જુલિયાના કિરદારમાં કંગના

વિશાલ ભારદ્વાજની ૨૪મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ‘રંગૂન’નું ટ્રેલર જોઈને જ ગપસપ શરૂ થઈ હતી કે, આ ફિલ્મમાં કંગનાનો જુલિયા તરીકેનો કિરદાર ફિયરલેસ નાદિયાથી પ્રેરિત છે. વિશાલ ભારદ્વાજે આ દાવો ફગાવી દીધો છે, પરંતુ વાડિયા મૂવિટોન પ્રાઇવેટ લિમિટેડના વારસદારોએ તેમની સામે કોપીરાઇટ ભંગની ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રી તરીકે નાદિયાની ફિલ્મ કારકિર્દી વાડિયા મૂવિટોનની ‘ધ પ્રિન્સેસ એન્ડ હંટર’ (૧૯૩૫) નામની એક્શન ફિલ્મથી શરૂ થઈ હતી. એ પછી નાદિયાએ ચાળીસેક એક્શન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી. ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં એકેય અભિનેત્રીનાં નામે આટલી બધી ‘ફિમેલ લીડ’ ફિલ્મો નથી બોલતી. નાદિયાએ જીવનભર વાડિયા મૂવિટોન સાથે કામ કર્યું. આ ફિલ્મ સ્ટુડિયોના સ્થાપકો મૂળ ગુજરાતના સુરતના હતા, એટલે નાદિયાની વાત કરતી વખતે વાડિયા મૂવિટોનનો ઉલ્લેખ ના કરીએ તો વાત અધૂરી ગણાય!

વાડિયા મૂવિટોનનું ટ્રેન સાથેનું ‘લવ અફેર’

જમશેદ બોમન હોમી વાડિયા અને હોમી વાડિયા નામના મૂળ સુરતના બે પારસી ભાઈઓએ ૧૯૩૩માં વાડિયા મૂવિટોનની સ્થાપના કરી હતી. ફિલ્મોની દુનિયામાં જમશેદજી ‘જે.બી.એચ. વાડિયા’ તરીકે ઓળખાતા અને તેમનું નામ ખૂબ આદર સાથે લેવાતું. વાડિયા મૂવિટોન શરૂ કરતા પહેલાં જમશેદજી ‘વસંત લીલા’ (૧૯૨૮) સહિત ૧૧ મૂંગી ફિલ્મો બનાવી ચૂક્યા હતા. આ બધી જ મૂંગી ફિલ્મોનું ડિરેક્શન, ફોટોગ્રાફી અને રાઇટિંગને લગતું ઘણું બધું મહત્ત્વનું કામ વાડિયા બંધુઓ જ સંભાળતા. વર્ષ ૧૯૩૨માં જે.બી.એચ. વાડિયાએ ‘તૂફાન મેઇલ’ નામની મૂંગી એક્શન ફિલ્મ બનાવી હતી, જેનો મોટા ભાગનો હિસ્સો ચાલતી ટ્રેન પર ફિલ્માવાયો હતો. આ ફિલ્મ પછી જ વાડિયા મૂવિટોનનું ટ્રેન સાથેનું ‘લવ અફેર’ શરૂ થયું.

વાડિયા બંધુઓની ફિલ્મોગ્રાફી પર નજર કરતાં થોડી રમૂજ થાય છે કે, તેઓ ‘મિસ ફ્રન્ટિયર મેઇલ’ (૧૯૩૬), ‘હરિકેન હંસા’ (૧૯૩૭), ‘તુફાન એક્સપ્રેસ’ (૧૯૩૮) અને ‘પંજાબ મેઇલ’ (૧૯૩૯) અને ‘રિટર્ન ઓફ તુફાન મેઇલ’ (૧૯૪૨) જેવા ધસમસતા શીર્ષકો ધરાવતી ફિલ્મો સાથે એક યા બીજી રીતે સંકળાયેલા હતા. ‘રિટર્ન ઓફ તુફાન મેઇલ’ બનાવવા રણજિત મુવિટોને વાડિયા મુવિટોન સાથે જોડાણ કર્યું હતું. એ રીતે ભારતમાં મૂંગી ફિલ્મોની સિક્વલ બનાવવાનું શ્રેય પણ વાડિયા બંધુઓને જાય છે. ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, ૧૯૩૦થી ૧૯૩૨ વચ્ચે ભારતમાં ૧,૩૦૦ મૂંગી ફિલ્મ રિલીઝ થઈ, જેમાંથી અડધી ગુજરાતીઓની માલિકીના સ્ટુડિયોમાં બની હતી.

વાડિયા મૂવિટોનની સ્થાપના કર્યા પછી વાડિયા બંધુઓએ ફિલ્મની દુનિયામાં અનેક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા હતા. જેમ કે, એક પણ ગીત વિનાની ફિલ્મ ‘નૌજવાન’ (૧૯૩૭), દેશના ભાગલા પછી સિંધી ભાષાની પહેલી ફિલ્મ ‘એકતા’ તેમ જ ભારતની પહેલી ટેલિ સિરીઝ ‘હોટેલ તાજ મહલ’ વાડિયા મૂવિટોને બનાવી હતી. દેશની પહેલી અંગ્રેજી ફિલ્મ ‘કોર્ટ ડાન્સર’ (૧૯૪૨) બનાવવાનું ભગીરથ કામ પણ તેમણે જ કર્યું હતું. આ ફિલ્મ હિન્દી અને બંગાળીમાં ‘રાજ નર્તકી’ નામે બની હતી, જેમાં એક નૃત્યાંગના ચંદ્રકીર્તિ નામના રાજાના પ્રેમમાં પડે છે એવી વાર્તા છે. આ રાજાની ભૂમિકા પૃથ્વીરાજ કપૂરે ભજવી હતી. આ ઉપરાંત સુરતના કડોદ નજીક હરિપુરા ગામમાં યોજાયેલી કોંગ્રેસની વાર્ષિક બેઠકની ફૂલલેન્થ ડોક્યુમેન્ટ્રી ‘હરિપુરા કોંગ્રેસ’ પણ વાડિયા મૂવિટોને જ બનાવી હતી.

વાડિયા બંધુઓની પહેલી ‘બોલતી’ ફિલ્મ

વાડિયા મુવિટોનની સ્થાપના કર્યા પછી વાડિયા બંધુઓએ બોલતી ફિલ્મ બનાવવાનો ક્રાંતિકારી વિચાર કર્યો. ક્રાંતિકારી એટલા માટે કે, જમશેદજી અને હોમી વાડિયા આ દિશામાં વિચારી રહ્યા હતા ત્યારે અરદેશર ઈરાનીની ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ રિલીઝ થયાને માંડ બે વર્ષ થયા હતા. ‘આલમઆરા’ ૧૪મી માર્ચ, ૧૯૩૧ના રોજ રિલીઝ થઈ હતી. જો કે, વેપારી સાહસમાં વાડિયા બંધુઓનો જોટો જડે એમ ન હતો. છેવટે વાડિયા બંધુઓએ વર્ષ ૧૯૩૩માં જે.બી.એચ. વાડિયાએ જ લખેલી વાર્તા પરથી વાડિયા મુવિટોનની પહેલી બોલતી ફિલ્મ ‘લાલ-એ-યમન’ બનાવી. આ એક એક્શન ફિલ્મ હતી, જેનું ડિરેક્શન જે.બી.એચ. વાડિયાએ અને સિનેમેટોગ્રાફી હોમી વાડિયાએ સંભાળી હતી.

જે.બી.એચ. વાડિયા અને હોમી વાડિયા 

‘લાલ-એ-યમન’માં બોમન શ્રોફ નામના હીરોએ જબરદસ્ત એક્શન દૃશ્યો ભજવ્યા હતા, પરંતુ એ દૃશ્યોને હેમખેમ પાર પાડવાનો શ્રેય સ્ટંટ ડિરેક્ટર નાદિયાને પણ મળ્યો. ‘લાલ-એ-યમન’ની સફળતા પછી વાડિયા મુવિટોને નાદિયાને લઈને વધુ એક એક્શન ફિલ્મ બનાવી, ‘હંટરવાલી’. આ ફિલ્મમાં જાન પૂરી દેવા તેમણે વર્ષ ૧૯૩૫માં રૂ. બે લાખનો ખર્ચ કર્યો હતો, પરંતુ આટલી મોંઘી ફિલ્મ લેવા એકેય ડિસ્ટ્રિબ્યુટર તૈયાર નહોતો. જો કે, વાડિયા બંધુઓએ ગમેતેમ કરીને ‘હંટરવાલી’ રિલીઝ કરી અને બોક્સ ઓફિસ પર તે બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે તેના બજેટથી પાંચ ગણી કમાણી કરી હતી.

‘હંટરવાલી’ બનાવતી વખતે નાદિયા તો ઠીક, વાડિયા બંધુઓને પણ અંદાજ ન હતો કે, વિદેશી મૂળ ધરાવતી આ સ્ત્રી ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં ‘ફિયરલેસ નાદિયા’ અને ‘હંટરવાલી’ તરીકે અમર થઈ જવાની છે! ‘હંટરવાલી’ની સફળતા વટાવવા વાડિયા મુવિટોને એ જ વર્ષે ‘ધ પ્રિન્સેસ એન્ડ ધ હંટર’ અને ૧૯૪૩માં ‘હંટરવાલી કી બેટી’ જેવી ફિલ્મો પણ બનાવી. ‘હંટરવાલી’ બ્રાન્ડ નેમ બની જતા વાડિયા બંધુઓએ લગભગ દરેક ફિલ્મમાં નાદિયાના હાથમાં હંટર થમાવી દીધી હતી.

સ્ત્રીસશક્તિકરણ માટે પણ ગેમ ચેન્જર

‘હંટરવાલી’ નાદિયાની કારકિર્દી માટે જ નહીં, ફિલ્મો થકી સ્ત્રી સશક્તિકરણનો પવન ફૂંકવામાં પણ ગેમ ચેન્જર સાબિત થઈ. બ્રિટિશ કાળમાં ભારતીય ફિલ્મો-નાટકોમાં સ્ત્રીઓનું પાત્ર પુરુષો ભજવતા અને અભિનય ‘ઈજ્જત વગરનું કામ’ ગણાતું. એ સમયે રૂપેરી પડદા પર નાદિયા ‘બોલ્ડ’ કહી શકાય એવાં કપડાં પહેરીને આવતી અને સ્ત્રી સમાનતાની હિમાયત કરતી. વાડિયા બંધુઓએ લગભગ બધી જ ફિલ્મમાં નાદિયાને ‘અન્યાય સામે લડતી’ અને ‘પુરુષનું આધિપત્ય ફગાવી દેનારી’ ક્રાંતિકારી સ્ત્રી તરીકે રજૂ કરી. એટલું જ નહીં, અનેક ફિલ્મમાં તેમણે નાદિયાના મુખે સ્ત્રી સમાનતાની હિમાયત કરતા સંવાદો પણ મૂક્યા. એ દૃષ્ટિએ ફિલ્મ થકી સ્ત્રીસશક્તિકરણને હવા આપવામાં જે.બી.એચ. વાડિયાને ખાસ યાદ કરવા પડે.

ગેમ ચેન્જર ફિલ્મ ‘હંટરવાલી’નું પોસ્ટર અને એ ફિલ્મના હીરો જ્હોન કાવસ સાથે નાદિયા

સુરત શહેરના પારસી પરિવારમાં ૧૩મી સપ્ટેમ્બર, ૧૯૦૧ના રોજ જન્મેલા જમશેદજીએ ફર્સ્ટ ક્લાસ બી.એ., એમ.એ. અને પછી એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમનું પેશન હતું સિનેમા. યુવાન વયથી જ જમશેદજી ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં પણ સક્રિય હતા. આ દરમિયાન તેઓ વિખ્યાત ક્રાંતિકારી નેતા અને સમાજ સુધારક એમ.એન. રોયના સંપર્કમાં આવ્યા. રોય સાથેની મિત્રતાના કારણે જ જમશેદજીના મનમાં સિનેમા જેવા સબળ માધ્યમથી સામાજિક સુધારાની દિશામાં કંઈક કરવાના વિચાર મજબૂત થયા હતા. રોયના વૈચારિક પ્રભાવના કારણે વાડિયા બંધુઓની ફિલ્મોમાં ફિયરલેસ નાદિયા અજાણતા જ સ્ત્રી ક્રાંતિના પ્રતીક તરીકે ઊભરી હતી.

નાદિયા ભારતીય નહીં, સ્કોટિશ હતી

આઠમી જાન્યુઆરી, ૧૯૦૮ના રોજ સ્કોટિશ પરિવારમાં જન્મેલી નાદિયાનું અસલી નામ મેરી એન ઈવાન્સ હતું. નાદિયાના પિતા હર્બર્ટ ઈવાન્સ ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ લશ્કરમાં ફરજ બજાવતા. વર્ષ ૧૯૧૩માં હર્બર્ટ ઈવાન્સની બદલી ભારત થતાં તેઓ બોમ્બે સ્થાયી ગયા. એ વખતે મેરીની ઉંમર પાંચ વર્ષ હતી. ભારત આવ્યાના બે જ વર્ષમાં હર્બર્ટ ઈવાન્સ પહેલા વિશ્વયુદ્ધમાં જર્મનો સામેના યુદ્ધમાં શહીદ થઈ ગયા. એટલે ઈવાન્સ પરિવાર પેશાવરમાં (હાલ પાકિસ્તાનમાં) સ્થાયી થયો. પેશાવરમાં જ મેરીએ ઘોડેસવારી, શૂટિંગ, જિમ્નાસ્ટિક જેવી કળાઓ શીખી. આ દરમિયાન મેરીએ સર્કસમાં પણ કામ કર્યું અને બેલે ડાન્સ પણ શીખ્યો. વર્ષ ૧૯૨૮માં ઈવાન્સ પરિવાર ફરી મુંબઈ આવ્યો. અહીં મેરીએ સારી નોકરી મેળવવા સ્ટેનો ટાઇપિંગ પર હાથ અજમાવ્યો.

લુગદી સાહિત્યનો મહારથી જ્હોનસ્ટન મેકકલી અને હોલિવૂડનો લેટેસ્ટ ઝોરો (પર્સનલ ફેવરિટ) એન્ટોનિયો બેન્ડરેસ 

મેરી એન ઈવાન્સને કોઈ ફિલ્મ ડિરેક્ટરે નાદિયા નામ નહોતું આપ્યું, પરંતુ એક ભવિષ્યવેત્તાએ મેરીને કારકિર્દીમાં આગળ વધવું હોય તો ‘એન’થી શરૂ થતું નામ અપનાવવાની સલાહ આપી હતી. એટલે મેરીએ પોતાનું જ નવું નામ પાડ્યું, નાદિયા. એ પછી નાદિયાએ પેશાવરમાં અને સર્કસમાં શીખેલી કળાઓને ફિલ્મી પડદે રજૂ કરવામાં જે.બી.એચ. વાડિયા નિમિત્ત બન્યા, પરંતુ નાદિયાને સ્ટારડમ અપાવ્યું હોમી વાડિયાએ.

‘લાલ-એ-યમન’ બનાવતી વખતે જે.બી.એચ. વાડિયાએ જ નાદિયાને બ્રેક આપ્યો હતો. હોમી વાડિયાનો જન્મ ૨૨મી મે, ૧૯૧૧ના રોજ થયો હતો. મોટા ભાઈથી તેઓ દસ વર્ષ નાના હતા. મેટ્રિક પછી ભણવાનું છોડીને તેઓ જે.બી.એચ. સાથે ફિલ્મમેકિંગમાં જોડાયા હતા. હોમી વાડિયાના દિમાગમાં યુવાનીથી જ લુગદી સાહિત્યના મહારથી જ્હોન્સ્ટન મેકકલીએ સર્જેલા કાલ્પનિક પાત્ર ‘ઝોરો’ પરથી ફિલ્મ બનાવવાના વિચારો ઘુમરાતા હતા. વાડિયા મૂવિટોનની અમુક ફિલ્મોમાં માસ્ક, ઓવરકોટ, બૂટ અને હાથમાં તલવાર સાથે સજ્જ ઝોરોની નકલ કરી હોય એવા પાત્રો પણ દેખાયા. જો કે, નાદિયાની એન્ટ્રી થયા પછી હોમી વાડિયાએ ઝોરોના દેખાવમાં થોડો ફેરફાર કરીને નાદિયાને જ માસ્ક, હંટર અને ફૂલ બૂટમાં પેશ કરવાનો અખતરો કર્યો, જેને દર્શકોએ હોંશે હોંશે અપનાવી લીધો.

***

નાદિયા અને હોમી વર્ષ ૧૯૪૦માં જ ગળાડૂબ પ્રેમમાં પડી ચૂક્યા હતા. આ સંબંધને લઈને ફક્ત જમશેદજી હોમીની સાથે હતા. વિદેશી યુવતી સાથે લગ્ન કરવાની વાત કરતા જ વાડિયા પરિવાર બંને ભાઈઓની વિરુદ્ધ થઈ ગયો હતો. વળી, ફિલ્મ મેકિંગને કારકિર્દી તરીકે અપનાવીને પણ વાડિયા બંધુઓ વડીલોની નારાજગી વ્હોરી ચૂક્યા હતા. ખાસ કરીને હોમી વાડિયાના માતા ધૂનમાઈ ખૂબ રૂઢિચુસ્ત હતા. આ સંજોગોમાં હોમી અને નાદિયા લગ્ન કરીને સાથે ન રહી શક્યાં, પરંતુ ધૂનબાઈના મૃત્યુ પછી, ૧૯૬૧માં, તેમણે લગ્ન કર્યા. એ વખતે હોમી ૫૦ વર્ષના હતા, જ્યારે નાદિયા ૫૩નાં. હોમીના મૃત્યુના આઠ વર્ષ પહેલાં નવમી જાન્યુઆરી, ૧૯૯૬ના રોજ નાદિયાનું મૃત્યુ થયું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પહેલી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ સુપર હીરોઈન, એક્શન સ્ટાર અને સ્ટંટ ડિરેક્ટર તરીકે નાદિયાને ફિલ્મ રસિયા હંમેશાં યાદ રાખશે!

e.mail : vishnubharatiya@gmail.com

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/shatdal/magazine-shatdal-frankly-speaking-vishal-shah-01-march-2017

Loading

પ્લીઝ હેલ્પ મી મારે હિન્દુત્વવાદીઓ સાથે સદ્દભાવપૂર્વક ડાયલૉગ કરવો હોય તો કોની સાથે કરવો?


રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|7 March 2017

તેમની પાસે તર્કબદ્ધ દલીલો હોતી નથી અને ત્યાં સુધી કે તેમની પીડા પણ તેમની પોતાની હોતી નથી. એ સાંભળેલી, અનુમાનિત કે ઉપજાવેલી (કન્સ્ટ્રક્ટેડ) પીડા હોય છે. જેમ કે; ભારતની પડતી એટલા માટે થઈ કે મ્લેચ્છો ભારતીય વિજ્ઞાન અને શાસ્ત્રો ચોરી ગયા હતા (સાંભળેલી દલીલ) અથવા આ જગતમાં જે કાંઈ જ્ઞાન છે એનું મૂળ વેદોમાં છે (અનુમાનિત) અથવા મુસલમાનોએ વધારે બાળકો પેદા કરીને આખા જગતને ઇસ્લામમય બનાવવાનું કાવતરું રચ્યું છે (ઉપજાવેલી-કન્સ્ટ્રક્ટેડ) વગેરે. તમે પણ આવી દલીલો સાંભળી હશે

પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર, લેખક અને રાજકીય સમીક્ષક ગુરચરણ દાસે ગયા વરસે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કન્હૈયા કુમાર સાથેની ઘટના પછી લખ્યું હતું કે એકંદરે ઉદારમતવાદીઓ હિન્દુત્વવાદીઓ કે રૂઢિચુસ્ત સનાતનીઓ સાથે તોછડાઈથી વર્તે છે એ બરાબર નથી. ઍરગન્ટ લિબરલ્સ આર ડુઇંગ અ બિગ ડિસસર્વિસ ટુ લિબરલિઝમ ર્શીષકવાળો તેમનો લેખ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રકાશિત થયો એ પછી મેં એ લેખનું કાતરણ સાચવી રાખ્યું હતું અને ખબર નહીં કંઈકેટલીયે વાર એ લેખ વાંચ્યો છે. તેમણે લખ્યું હતું કે કોઈને હસી કાઢવા કે ધુતકારી કાઢવા એ ઉદારમતવાદ નથી. ઉદારમતવાદી ઉદાર હોવો જોઈએ. એ પણ જો અનુદાર વલણ અપનાવે તો જીવન જીવવાની શરતો મૂકનારા હિન્દુત્વવાદીમાં અને તેમનામાં ફરક શું કહેવાય?

વાત તો સાચી. હું પણ મારી જાતને ઉદારમતવાદી (લિબરલ) ગણાવું છું અને મેં પોતે અનેક વાર કાલીઘેલી ભાષામાં દેશપ્રેમની, રાષ્ટ્રવાદની, મહાન હિન્દુ સંસ્કૃિતની દલીલો કરનારાઓની ઠેકડી ઉડાડી છે. તેમની ટીકા કરવાનો તો જાણે મને અધિકાર છે; પરંતુ તેમની ઠેકડી ઉડાડવાનો અને બેવકૂફ સમજીને ઉપેક્ષા કરવાનો મને કોઈ અધિકાર નથી. એક લિબરલ તરીકે મારી ફરજ બને છે કે મારે તેમને પૂરા સદ્દભાવ અને ધીરજ સાથે સાંભળવા જોઈએ. તેમની સાથે સંવાદ કરવો જોઈએ. જરૂરી નથી કે તેઓ આપણી દલીલ સ્વીકારે, પરંતુ તેમની સાથે સંવાદ-સેતુ રચવો જોઈએ. જો હું આ ન કરું તો ગુરચરણ દાસે કહ્યું એમ મારા પક્ષે એ બિગ ડિસસર્વિસ ટુ લિબરલિઝમ કહેવાય.

હવે સવાલ એ આવે કે તેમની સાથે સંવાદ-સેતુ રચવો કેવી રીતે? બીજો સવાલ એ આવે કે કોની સાથે સંવાદ કરવો? ઘણા સમયથી હું આ બાબતે પ્રામાણિકતાપૂર્વક મથામણ કરી રહ્યો છું. જેમનો કોઈ અભ્યાસ હોતો નથી, જેમને દલીલો કરતા આવડતું નથી, જેઓ સભાની મર્યાદા જાળવી શકતા નથી, જેઓ કાં તો ગાંડીઘેલી દલીલો કરે છે અને કાં ગાળાગાળી કરે છે એવાં લોકો સાથે સંવાદ કઈ રીતે શક્ય બને? મોટા ભાગના હિન્દુત્વવાદીઓ, રૂઢિચુસ્તો અને દેશપ્રેમીઓ આવા જ છે તો તેમની સાથે વાતચીત કરવી કઈ રીતે? ધુતકારી કાઢીને કે ઉપેક્ષા કરીને હું ઉદારમતવાદના મહાન આદર્શને નુકસાન પહોંચાડવા નથી માગતો તો મારે કયો માર્ગ અપનાવવો?

ગુરચરણ દાસે તેમના લેખમાં લખ્યું હતું કે કોઈને ફાંકડું અંગ્રેજી ન આવડતું હોય, દલીલ કરતા ન આવડતી હોય, સભાગૃહની મર્યાદા ન જાળવી શકતા હોય તો એ બધી મર્યાદા ક્ષમ્ય ગણવી જોઈએ અને તેમને સાંભળવા જોઈએ અને આપણે વળતી દલીલ કરીને સંવાદ સાધવો જોઈએ. મોટા ભાગના હિન્દુ રાષ્ટ્રવાદીઓનું અંગ્રેજી નબળું હોય છે અને સભ્યતામાં જરાક કાચા હોય છે. પહેલી નજરે ગુરચરણ દાસની આ દલીલ ગળે ઊતરે એવી છે, પણ એમાં એક સમસ્યા છે. અંગ્રેજી તો બહુજન સમાજના પ્રશ્નો ની વકીલાત કરનારાઓમાંથી પણ ઘણાને આવડતું નથી. દલિતો અને આદિવાસીઓ ફાંકડા અંગ્રેજીમાં દલીલો કરી શકતા નથી. શોષિત સ્ત્રીઓ, મજૂરો અને વ્યંડળો પણ અંગ્રેજીમાં દલીલ કરી શકતા નથી કે સભાગૃહનું ડેકોરમ જાળવવાની તાલીમ ધરાવતા નથી. ઉદારમતવાદીઓ આ કોઈની ઉપેક્ષા કરતા નથી કે હાંસી ઉડાવતા નથી. ઊલટું તેમની સાથે સંવાદ સાધે છે અને તેમને તેમના સંઘર્ષમાં મદદ પણ કરે છે. માત્ર હિન્દુત્વવાદીઓ સાથે જ સંવાદ મુશ્કેલ બને છે.

તો આનો અર્થ એ થયો કે ઘેલા દેશપ્રેમીઓની કે હિન્દુત્વવાદીઓની કરવામાં આવતી ઉપેક્ષા કે ઠેકડીને અંગ્રેજી ભાષા કે સભ્યતા સાથે સંબંધ નથી, દલીલ સાથે સંબંધ છે. તેમની પાસે તર્કબદ્ધ દલીલો હોતી નથી અને ત્યાં સુધી કે તેમની પીડા પણ તેમની પોતાની હોતી નથી. એ સાંભળેલી, અનુમાનિત કે ઉપજાવેલી (કન્સ્ટ્રક્ટેડ) પીડા હોય છે. જેમ કે; ભારતની પડતી એટલા માટે થઈ કે મ્લેચ્છો ભારતીય વિજ્ઞાન અને શાસ્ત્રો ચોરી ગયા હતા (સાંભળેલી દલીલ) અથવા આ જગતમાં જે કાંઈ જ્ઞાન છે એનું મૂળ વેદોમાં છે (અનુમાનિત) અથવા મુસલમાનોએ વધારે બાળકો પેદા કરીને આખા જગતને ઇસ્લામમય બનાવવાનું કાવતરું રચ્યું છે (ઉપજાવેલી-કન્સ્ટ્રક્ટેડ) વગેરે. તમે પણ આવી દલીલો સાંભળી હશે. આમ તેમની પીડા પણ સાચકલી અને પોતીકી હોતી નથી.

આની સામે વ્યંડળ જ્યારે પોતાની પીડા વ્યક્ત કરે છે ત્યારે તે તેની પોતીકી હોય છે અને એટલે દલીલો તેને સાથ આપે છે. તે પોતાની પીડા વ્યક્ત કરતી વખતે સમાનતાની દલીલ કરશે, માનવીય ગરિમાની દલીલ કરશે, ઈશ્વરની રચનાની દલીલ કરશે, સમાન તકની દલીલ કરશે, સમાજની ફરજની દલીલ કરશે, સરકારના દાયિત્વની દલીલ કરશે. આવી ગળે ઊતરે એવી દલીલ કરવા માટે નથી એને અમત્યર્‍ સેન જેવા ફળદ્રુપ દિમાગની જરૂર પડતી કે નથી અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વની જરૂર પડતી. માનવીય ગરિમા અને સમાનતાની ઊંડી અને સાચી ચાહતને દલીલો આપોઆપ ફૉલો કરે છે. પગમાં સ્લિપર અને ગંજી પહેરેલા દલિત શોષિતને બ્રિલિયન્ટ દલીલ કરતા મેં સાંભળ્યા છે અને દલીલપૂર્વક અધિકારની માગણી કરતી સાવ ગરીબ જુઝારૂ મહિલાને સ્ટૅન્ડિંગ ઓવેશન આપતા લિબરલોને મેં જોયા છે. આ લોકો અંગ્રેજી જાણતા નથી કે સેમિનાર સર્કિટના પ્રાણી નથી અને છતાં સભાખંડમાં મેદાન મારી જાય છે, કારણ કે જીવનનું નક્કર સત્ય તેમની સાથે છે. જે લોકો પેટ ચોળીને શુળ પેદા કરે છે અને ભ્રામક પીડા લઈને જીવે છે એવા લોકો પીડાને વાચા આપી શકતા નથી.

હશે, કાલીઘેલી દલીલો કરનારાઓ સાથે સંવાદ મુશ્કેલ બનતો હોય તો વાંધો નહીં, આપણે હિન્દુત્વવાદી અને હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવનારા વિદ્વાનો સાથે દલીલ કરવી જોઈએ. આ દેશમાં એવા એકાદ ડઝન વિદ્વાન છે જેમને આપણે અભ્યાસી કહી શકીએ. તેઓ અંગ્રેજી જાણે છે અને સભાગૃહની મર્યાદા જાળવવા જેટલી સભ્યતા ધરાવે છે. મ્લેચ્છો આપણું જ્ઞાન ચોરી ગયા હતા એવી હસવું આવે એવી દલીલ તેઓ નથી કરતા. સીતારામ ગોયલ, રામ સ્વરૂપ, અરુણ શૌરી, કૉનરાડ એલ્સ્ટ, ડેવિડ ફ્રૉલે, શ્રીકાન્ત તલાગેરી જેવા કુલ મળીને આઠ-દસ જણ છે જેઓ હિન્દુત્વવાદી વિચારકો ગણાય છે.

વાસ્તવમાં તેમનાં લખાણોનો જો અભ્યાસ કરશો તો ધ્યાનમાં આવશે કે તેઓ હિન્દુત્વવાદી વિચારકો નથી. તેઓ હિન્દુત્વની તર્કસંગત માંડણી નથી કરતા, પરંતુ ઇસ્લામ અને ઈસાઈ ધર્મનું ખંડન કરે છે જે આસાન છે. આ જગતમાં જેટલા ધર્મો છે એ બધા જ માનવીનું સર્જન છે એટલે એમાંથી તર્કવિસંગતિ શોધવી એ આસાન છે. એમાં વળી ક્રિશ્ચિયન ચર્ચ તો વેલ ડૉક્યુમેન્ટેડ છે એટલે ચર્ચે કરેલા ગોરખધંધાનના ચર્ચના ડૉક્યુમેન્ટ્સમાં જ લેખિત પુરાવાઓ મળે છે. તેઓ જાણીબૂજીને હિન્દુ ધર્મની ચિકત્સા નથી કરતા, પણ બીજા પાશ્ચાત્ય ધર્મોની ચિકિત્સા કરીને આડકતરી રીતે હિન્દુ સર્વોપરિતા સ્થાપવામાં હિન્દુત્વવાદીઓને મદદરૂપ થાય છે. તો શું તેઓ એમ કહેવા માગે છે કે હિન્દુ ધર્મ મર્યાદા વિનાનો સંપૂર્ણ છે? જો એમ તેઓ માનતા હોય તો હિન્દુ ધર્મની સંપૂર્ણતાની તેમણે માંડણી કરવી જોઈએ. જો એમ તેઓ ન માનતા હોય તો અન્ય ધર્મોની જેમ હિન્દુ ધર્મની મર્યાદા પણ તેમણે ચીંધી બતાવવી જોઈએ, કારણ કે ધર્મ માત્ર કોઈને ને કોઈને અન્યાય કરતો હોય છે. હિન્દુ ધર્મ દલિતો અને સ્ત્રીઓને અન્યાય કરે છે.

આ વિદ્વાન મંડળી બીજા ધર્મોની મર્યાદા બતાવીને હિન્દુત્વવાદીઓને શસ્ત્રો પૂરાં પાડવાનું કામ કરે છે, પરંતુ હિંદુ ધર્મની સર્વોપરિતાની નથી માંડણી કરતી કે નથી એની મર્યાદા બતાવતી. હિન્દુ ધર્મ દલિતો અને સ્ત્રીઓને અન્યાય કરે છે એ બાબતે પણ તેમનું દિલ વલોવાતું નથી. તો આનો અર્થ એટલો જ થયો કે એ બૌદ્ધિક રીતે અપ્રામાણિક જમાત છે. લોકો હસે, ઠેકડી ઉડાડે, ભૂંડા લાગીએ એવાં કામ તેઓ દીનાનાથ બત્રાઓ માટે છોડી દે છે અને વિધર્મીઓ સામેનાં શસ્ત્રો તૈયાર કરવાનું કામ તેઓ કરે છે. જે લોકો સરાસર બૌદ્ધિક રીતે અપ્રામાણિક છે તેમની સાથે કઈ રીતે ડાયલૉગ થઈ શકે? પસંદગીના ધોરણે જે લોકો અભ્યાસ કરતા હોય અને દારૂગોળો પેદા કરતા હોય તેમની સાથે સંવાદનું ઔચિત્ય શું? તેઓ બૌદ્ધિક વિમર્શ નથી કરતા, ચોક્કસ એજન્ડા પર કામ કરે છે.

ચાલો, એ લોકોને પણ જવા દઈએ. એવા તો કોઈક હશેને જે હિન્દુ ધર્મની સર્વોપરિતા અને સંપૂર્ણતા સિદ્ધ કરવા માટે કામ કરતા હશે. પ્રામાણિકતા સાથે અને શુદ્ધ તાર્કિકતા સાથે કોઈ ધર્મનો બચાવ કરવો શક્ય નથી એટલે એમાં દીનાનાથ બત્રા કરતાં વધારે મોટો વિદ્વાન મળવો મુશ્કેલ છે. તો પછી સદ્ભાવપૂર્વક ડાયલૉગ કરવો કોની સાથે એ પ્રશ્ન તો બાકી બચે જ છે. સરેરાશ હિન્દુત્વવાદી દેશપ્રેમી કે હિન્દુ રાષ્ટ્રવાદી તિલક, તરાઝુ અને તલવાર સાથે જોવા મળશે. તમે હિન્દુ ધર્મની ટીકા કરશો કે તરત દલીલ કરશે; તમે હિન્દુિવરોધી દેશદ્રોહી સ્યુડો સેક્યુલર છો (લેબલ-તિલક). બીજી દલીલ કરશે – ઇસ્લામની ટીકા કરી બતાવો કે પછી કૉન્ગ્રેસે આવું કર્યું હતું ત્યારે તમે કેમ કાંઈ બોલ્યા નહોતા (તટસ્થતાનો તકાદો-ત્રાજવું) અને ત્રીજી દલીલ કરશે – તમારા જેવા દેશદ્રોહીઓને પાકિસ્તાન મોકલી આપવા જોઈએ (સીધી સજા-તલવાર). આ સિવાયની ચોથી દલીલ આજ સુધી મને સાંભળવા નથી મળી. તમને સાંભળવા મળી છે? જો કોઈ તાર્કિક દલીલ હાથ લાગી હોય તો ધ્યાન દોરવા વિનંતી.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 05 માર્ચ 2017

Loading

સેક્સ રજીસ્ટ્રી: સંયમ અને શૃંગારથી શર્મ અને સજા સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 March 2017

કેરળ સરકાર ભારતની સૌ પ્રથમ સેક્સ રજીસ્ટ્રી સ્થાપવા જઈ રહી છે. મલયાલમ ફિલ્મોની એક શીર્ષ અભિનેત્રી સાથે ચાલુ કારમાં ત્રણ કલાક સુધી દુર્વ્યવહાર થયો તે પછી રાજ્ય સરકારે સેક્સના ગુનાના મુજરિમોને લગતી તમામ માહિતી એક સિસ્ટમમાં એકઠી રાખવાનો અને કોઈ પણ વ્યક્તિ એનાથી સૂચિત થઈ શકે તે માટે તેને ઓનલાઇન સાર્વજનિક કરવાનો નિર્ણય લેવાયો છે.

કેરળમાં મહિલાઓ અને બાળકો સંબંધી ગુનાની સંખ્યા ગયા વર્ષે 17 હજાર હતી, જેમાં 2,500 ગુના બળાત્કારના હતા. એમાં ગયા સપ્તાહે લોકપ્રિય અભિનેત્રી સાથે જે થયું તે પછી સરકારે પેનિક બટન દબાવીને સેક્સ અપરાધીઓને સાર્વજનિક રીતે શરમમાં મૂકવાનું નક્કી કર્યું છે, જેથી એમને ગુનો દોહરાવતાં રોકી શકાય. સેક્સ રજીસ્ટ્રી અંગ્રેજી-ભાષી દેશોમાં સાધારણ બાબત છે. આ દિશામાં ભારત પ્રથમ બિન-અંગ્રેજી ભાષી દેશ હશે, જે સેક્સ રજીસ્ટ્રી શરૂ કરશે. આ પ્રકારની વ્યવસ્થા અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, દક્ષિણ આફ્રિકા, જમૈકા અને ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં છે. આમાંથી અમેરિકાની સેક્સ રજીસ્ટ્રી જ આમ જનતા માટે પણ ખુલ્લી છે, જ્યારે બાકીના દેશોમાં કાનૂન વ્યવસ્થા સંબંધી એજન્સીઓ જ સેક્સ-રજીસ્ટ્રી ચેક કરી શકે છે.

દિલ્હીમાં નિર્ભયા સમૂહ-બળાત્કાર બાદ આ બીજો ભીષણ કિસ્સો છે, જેના કારણે પૂરા કેરળ રાજ્યમાં જનતામાં પ્રચંડ રોષ છે, અને રાજ્યમાં પ્રતિદિન સ્ત્રી વિરોધી ગુનાઓની સ્થિતિ ગંભીર થતી જોઇને સેક્સ-રજીસ્ટ્રીનો વિચાર અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ભારતમાં બીજાં રાજ્યો પણ આનું અનુકરણ કરે તે સ્વાભાવિક છે, કારણ કે ભારતમાં વધતા-ઓછા અંશે દરેક રાજ્યમાં સ્ત્રીઓને રંજાડવાનું બહુ સામાન્ય છે.

કેરળ ભારતનું સૌથી શિક્ષિત રાજ્ય છે. કેરળમાં બીજાં રાજ્યોની સરખામણીમાં સ્ત્રીઓનો રેશિયો (એક હજાર પુરુષે 1058 સ્ત્રીઓ) પણ વધારે છે. છેલ્લી અડધી સદીથી કેરળમાં સુખ-સંપત્તિનું જબ્બર જુનૂન છે. ઘરબાર, પ્રદેશ છોડીને લાખોની સંખ્યામાં મલાયલીઓ બીજાં રાજ્યોમાં સુખની તલાશમાં ગયા છે. કેરળમાં સૌથી વધુ શરાબ પીવાય છે. મલાયલીઓ ભૌતિક સુખને સૌથી વધુ મહત્ત્વ આપે છે. સુખવાદ અને ઉપભોગીપણાનાં કારણે જ સમાજ અને પરિવારનો ઢાંચો (જેમાં માણસાઇ અહમ હોય છે) હલી ગયો છે, અને આ જ કારણથી સેક્સ સંબંધી ગુના (જેનો સીધો સંબંધ સુખવાદ સાથે છે) વધી રહ્યા છે.

સેક્સ સંબંધી ગુનાઓમાં શું કરવું અને ન કરવું, એ પોલીસ કે કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન એના સ્થાને છે, પરંતુ એનાથી ય અહમ પ્રશ્ન એ છે કે સેક્સ સાથે (એની બહેતરીન પ્રસ્તુિતમાં કે એના બદતરીન કરતૂતમાં) આપણે કેવી રીતે પનારો પાડવો? જે દેશમાં 51 કરોડનો યુવા વર્ગ હોય તેની પાસે સેક્સને લઇને કોઇ દિશા-દોરી ન હોય એ એક સમાજ તરીકે, એક રાષ્ટ્ર તરીકે આપણી વિફળતા કહેવાય. એનું સૌથી મોટું કારણ એ છે કે સેક્સને લઇને આપણો દૃષ્ટિકોણ પશ્ચિમના ચોકઠામાં ફિટ થઈ ગયો છે. ચાહે એ કાયદા-વ્યવસ્થાનો પ્રશ્ન હોય કે પછી સિનેમા-કળાનો હોય (જેમ કે ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર) આપણે ઉત્તરોત્તર એનાં સમાધાનો કે ઉપાયો પશ્ચિમી સમાજના સંદર્ભોમાં ખોજીએ છીએ.

સેક્સની શરમ કરવાનો કે એને સજા કરવાનો અભિગમ જ પશ્ચિમથી આવ્યો છે. ભારતની પરંપરામાં સેક્સ ક્યારે ય બેઇજ્જતી કે તિરસ્કારનો વિષય રહ્યો ન હતો. જ્યારથી એમાં સંકુચિતતા અને ચીઢ પ્રવેશી ત્યારથી દમન શરૂ થયું અને એમાંથી જ સેક્સને દંડવાની જરૂરિયાત પણ ઊભી થઈ. કેરળ જેવા ‘સુસંસ્કૃત’ સમાજમાં સેક્સ એના પારંપરિક માનવીય સહવાસમાંથી નીકળીને ક્રાઇમ બની જાય, તેનું કારણ સેક્સને પોતાનો દીકરો ગણવો કે અનૌરસ સંતાન? એની મૂંઝવણ છે. આ ભાંજગડ ભારતની નથી, ઉછીની આવેલી છે.

મુસ્લિમ અને બ્રિટિશ શાસનના એક લાંબા સમય દરમિયાન જે નુકસાન થયું તે હિન્દુ સમાજના આત્મવિશ્વાસનું. આજે આપણે મિલિટરી અને આર્થિક તાકાતના જોરે દુનિયા સાથે સ્પર્ધા કરવા કોશિશ કરીએ છીએ, પરંતુ એક સંસ્કૃિત તરીકે આપણામાં ભારોભાર સંશય છે. એક તરફ કામસૂત્ર, ગીત ગોવિંદ, કોણાર્ક અને ખજૂરાહોનો ઇતિહાસ છે, તો બીજી તરફ હિન્દી ફિલ્મોમાં ચુંબનને સેન્સર કરવાનો વર્તમાન છે. આપણે એક એવો સમાજ છીએ જેનામાં સેક્સના દમન અને સેક્સના શૃંગારની ભેળસેળ થઈ છે.

આનું કારણ એ નથી કે ક્રિશ્ચિયાનિટીમાં કે ઇસ્લામમાં કામુકતા ન હતી. ક્રિશ્ચિયાનિટીમાં સેક્સનો તિરસ્કાર રોમન અને ગ્રીક સંસ્કૃિતના આંત્યતિક સુખવાદમાંથી આવ્યો હતો, જ્યારે ઇસ્લામિક સમાજમાં તો વિષયાસક્તિની ધૂમધામ રહી છે. આમ છતાં હિન્દુ સમાજમાં શંૃગાર પ્રત્યે સંશય પેદા થયો, કારણ કે આપણે વિદેશી શાસકોને આપણા કરતાં બહેતર ગણવાનું શરૂ કર્યું. એમાંથી સેક્સનું દમન અને એને સજા કરવાનો ભાવ આવ્યો.

પશ્ચિમના પંડિતોએ એમના સમાજમાં સેક્સને ચીઢથી જોયો હતો, એટલે એમણે જ્યારે શંૃગારને ભારતીય જીવનમાં સહજતાથી ગોઠવાયેલો જોયો ત્યારે તેમાં એમને એક પ્રકારના વિદ્રોહ અને ચુનૌતી દેખાઈ. વિદેશી પંડિતોએ આ જ ચોકઠામાં સેક્સને વ્યાખ્યાઇત કર્યો. ભારતીયો આ નજરથી સેક્સને જોવા ટેવાયેલા ન હતા, અને પશ્ચિમના વિશ્લેષકોએ જ્યારે આ સહજતાને ‘આધુનિકતા’માં ખપાવી ત્યારે હિન્દુ સમાજમાં એક પ્રકારની શર્મિન્દગી પેદા થઈ. વિદેશીઓને આજે પણ શિવલિંગની પ્રાર્થના જોઇને આશ્ચર્ય થાય છે.

પશ્ચિમના અભ્યાસુઓએ ભારતીય સેક્સને આધ્યાત્મિકતાથી હટાવીને જોવાનું શરૂ કર્યું એમાંથી હિન્દુ સમાજને પોતાની સંસ્કૃિતમાંથી વિશ્વાસ ડગી ગયો અને આપણે ક્રિશ્ચિયન તથા ઇસ્લામિક પરિપ્રેક્ષ્યને માનતા થઈ ગયા. 19મી સદીમાં ભારતમાં સામાજિક સુધારનો જે દૌર આવ્યો તેમાં શુદ્ધતા અને વિકાસની આખી વ્યાખ્યા પશ્ચિમના રંગે રંગાયેલી હતી અને હિન્દુ સમાજ માટે જે બાબતો સહજ હતી (અને વિદેશીઓ માટે દૂષિત) તેને પણ વાળીઝૂડીને બહાર મૂકી દેવાઈ.

માણસની તમામ વૃત્તિઓમાંથી એક માત્ર સેક્સ જ ખાસો જટિલ રહ્યો છે. એ શાલીન કે સાધારણ નથી. એ આપણને અસ્વસ્થ કરી મૂકે છે. સેક્સ બેતુકો, બેઢંગ અને વિવેકશૂન્ય છે. સેક્સ માણસની ઉચ્ચતમ જવાબદારીઓ અને મૂલ્યો સાથે દ્વંદ્વ ઊભો કરે છે. સેક્સ એવી અરાજક અને ધૃષ્ટ તાકાત છે, જે સહજ અને સાધારણ રીતે એની સામે પેશ આવવાના આપણા બધા પ્રયાસોને વિફળ બનાવીને રોડાં પાથરતો રહે છે.

હિન્દુ સમાજે સેક્સના મામલે ચતુરાઇ કેળવી હતી.

પશ્ચિમથી વિપરીત, જેમણે સેક્સને મનોરંજન અને પ્રજનનના ચોકઠામાંથી જ જોયો છે, આપણે સેક્સને બાકી ત્રણ પુરુષાર્થ (ધર્મ, અર્થ અને મોક્ષ) સાથે મૂકીને ‘નોર્મલ’ બનાવ્યો હતો. ઉત્તરોત્તર વિક્ટોરિયન નૈતિકતા અને વિદેશીઓ સાથે ભારતના બ્રાહ્મણ વર્ગની પરોક્ષ બંદિશના કારણે સેક્સ જીવનની સહજ આધ્યાત્મિકતામાંથી નીકળીને ‘ગિલ્ટ’માં તબદીલ થઈ ગયો. આજે (અનેક સર્વે અને અભ્યાસ કહે છે તેમ) ભારતનો એક મોટો વર્ગ સેક્સને લઈને દમન, અપરાધ અને કુંઠામાં જીવે છે.

સેન્સર બોર્ડ પ્રકાશ ઝાની ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ને ‘પોર્નોગ્રાફિક ફેન્ટસી’ ગણીને સર્ટિફાઇ કરવાનો ઇન્કાર કરે કે પછી કેરળ સરકાર બળાત્કારીઓને સાર્વજનિક રીતે શર્મિંદા કરવાનું નક્કી કરે તે બતાવે છે કે આપણે સેક્સને એના ‘ઉચિત’ સ્થાનેથી ગુમાવી બેઠા છીએ, અને સંયમ તથા શંૃગારના સહઅસ્તિત્વના સ્થાને કટ્ટરતાનો શિકાર બની ગયા છીએ.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 05 માર્ચ 2017

Loading

...102030...3,4983,4993,5003,501...3,5103,5203,530...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved