Opinion Magazine
Number of visits: 9552430
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વતંત્રતા એટલે…

પેરુમલ મુરુગન|Opinion - Literature|6 September 2016

પ્રશ્ન : તમારા લખાણોને નિશાન બનાવ્યા પછી તમે અરજી કરવા ઇચ્છતાં નહોતા. હવે મદ્રાસ હાઈ કોર્ટે નમક્કલ જિલ્લા વહીવટીતંત્રે તમારા પુસ્તક માથોરુભાગન પર મૂકેલા પ્રતિબંધને ગેરકાયેદસર ગણાવતો આદેશ આપ્યો છે. તમને કેવી અનુભૂતિ થાય છે?

મુરુગન : હાઈ કોર્ટના આદેશે એક લેખક તરીકે મારી જવાબદારી વધારી દીધી છે. એટલે કે આ ઓર્ડર મને લખવા માટે, ફરી લખવું જોઈએ એવી પ્રેરણા આપે છે. કોર્ટના આદેશ અને તેમાં રહેલા ન્યાયિક મૂલ્ય પર જનતાને ચર્ચા કરવા દો. સાચું કહું તો એક વ્યક્તિ તરીકે મેં જે વેઠ્યું છે તેમાંથી હજુ બહાર આવી રહ્યો છું. હું ધીમે ધીમે ફરી લખવાનું શરૂ કરવા વિચારી રહ્યો છું.

પ્રશ્ન : એક લેખક ૧૯ મહિના સુધી પોતાની કલમને વિરામ આપી શકે? તમે તમારા વિચારોને વ્યક્ત ન કરી શકવા બદલ ગૂંગણામણ નહોતા અનુભવતા?

મુરુગન : હું કશું વિચારી જ શકતો નહોતો, હું સંવેદનશૂન્ય થઈ ગયો હતો. મારા લખાણ પર વિવાદ થયાના ત્રણ મહિના પછી સૌ પ્રથમ ફેબ્રુઆરી, ૨૦૧૫માં મને કશું લખવાની વિનંતી કરવામાં આવી હતી. એ દિવસે મેં કવિતા લખી હતી અને ત્યારથી અત્યાર સુધી ૨૦૦ કવિતાઓ લખી છે. કોર્ટના આદેશ પછી કવિતાસંગ્રહ સ્વરૂપે મેં તેને પ્રકાશિત કરવાની સંમતિ આપી નહોતી ત્યાં સુધી મારી એ અભિવ્યક્તિઓના એકમાત્ર હું જ સાક્ષી હતો.

પ્રશ્ન : તમે તમારો વિરોધ કરતાં જૂથો સામે ન લડવા “લેખકના મૃત્યુ”ની જાહેરાત કરી હતી. તેના કારણે અનેક વાચકોએ તમારી ટીકા કરી હતી …

મુરુગન : હા, ઘણા લોકો ઇચ્છતાં હતાં કે હું નિવેદનો આપીને અને વિરોધ કરીને સામી લડત આપું. વિદ્યાર્થીઓએ મારા માટે વિરોધ પ્રદર્શનો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે મને ગંભીર ધમકીઓ મળી હતી, ત્યારે વકીલોએ મને પોલીસ ફરિયાદ કરવાની કે કોર્ટમાં અરજી દાખલ કરવાની સલાહ આપી હતી. પણ મને ખબર જ નહોતી કે મારો દુશ્મન કોણ છે, મારો વિરોધ કોણ કરી રહ્યું છે. એટલે હું ચહેરા વિનાના અજ્ઞાત દુશ્મન સામે લડવા નહોતો ઇચ્છતો. જો સરકારની ભૂમિકાનો વિચાર કરવામાં આવે, તો હું કહીશ કે તે અન્ય કિસ્સાઓમાં જે રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાને પ્રાથમિકતા આપે છે, તે રીતે મારા કિસ્સામાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાની પ્રાથમિકતા આપવાની જરૂર હતી. હું જ્ઞાતિ-સામુદાયિક જૂથોને ગુનેગાર માનતો નહોતો, કારણ કે તેઓ ઈશ્વર અને શ્રદ્ધાના મુદ્દે ખરેખર કેટલાં ગંભીર છે કે સમજદાર છે તેના વિશે મને શંકા છે. જ્યારે મારા વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું આયોજન કર્યું હતું, ત્યારે મેં તેમને પૂછ્યું હતું કે, તેમણે મારા સાહિત્યનો વિરોધ કરવા જે ભાષાનો ઉપયોગ કર્યો હતો એ જ ભાષાનો ઉપયોગ આપણે કરવો જોઈએ? એક બૌદ્ધ સાધુએ તેઓ તેમનું વારંવાર અપમાન કરનાર વ્યક્તિઓને કોઈ પ્રતિક્રિયા શા માટે આપતા નથી એ સમજાવ્યું હતું.

પ્રશ્ન : તમે સાહિત્ય સમારંભો કે જાહેર કાર્યક્રમોનાં આમંત્રણોનો અસ્વીકાર કરવા માટે પણ જાણીતા છો. તમે અંતર્મુખી છો કે જાણીજોઈને તમે પબ્લિસિટી મેળવવા ઇચ્છતા નથી?

મુરુગન :  હું લેખક છું. હું મારા લખાણો મારફતે મારી ફરજ અદા કરું છું. લોકો મારી પાસે એવી અપેક્ષા શા માટે રાખે છે કે હું રાજકારણીની જેમ સ્ટેજ પર ભાષણ આપું? ઘણા લોકો મને તાજેતરમાં થયેલા વિવાદ વિશે મને બોલવા સતત દબાણ કરી રહ્યાં છે. અરે, મારે કોઈ પણ પેપર રજૂ કરવાની તૈયારી માટે ઓછામાં ઓછા બે મહિનાની જરૂર છે. જો હું સાહિત્ય સમારંભોના આમંત્રણો સ્વીકારું, ખાસ કરીને કેરળમાં, તો હું વધારે કશું લખી શકીશ નહીં અને આખો વર્ષ જાહેર સભાઓમાં હાજરી આપવી પડશે. અત્યારે તો હું ઘણી બાબતો વિશે વિચારી રહ્યો છું. મારા મનમાં કવિતાઓ જ આવે છે, કદાચ મારું મન મારા ઘા ભરવા માટે કવિતાઓને જન્મ આપતું હશે. જેમ આપણા શરીરમાં ઝેરી પદાર્થો દૂર થવા ગૂમડાં થાય છે, તેમ મારા જખમોને ભરવા મન કવિતાઓનું સર્જન કરતું હશે.

પ્રશ્ન : કોંગુ પ્રદેશમાં એક જ્ઞાતિની સંસ્થાએ તમારો વિરોધ કર્યો હતો. આ પ્રદેશ શક્તિશાળી ઓબીસી-ગૌંડેર જ્ઞાતિની વસતિ માટે જાણીતો છે. તમારી નજરે જ્ઞાતિ એટલે શું?

મુરુગન : હકીકતમાં તેને હજુ સુધી હું સમજી શક્યો નથી. મારા માટે રહસ્ય છે. જ્યારે મારાં પુસ્તકનો વિરોધ થયો હતો, ત્યારે તેની પાછળ કોણ હતું તેનો મારી પાસે સ્પષ્ટ જવાબ નથી. કોઈને જવાબદાર ઠેરવી શકાય તેવું નહોતું. મારા પુસ્તક પર કોણે પ્રતિબંધ મૂક્યો હતો, સરકારે કે પછી જ્ઞાતિવાદી પરિબળોએ એની મને ખબર નથી.

પ્રશ્ન : તમારી નવલકથામાં તમે ગૌંડેર મહિલાઓની છબીને ખરડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તમારા સાહિત્યને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમાં તમે વર્ણન કર્યું હતું કે એક પત્નીને તેનો પરિવાર મંદિરની ધાર્મિક વિધિમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. આ વિધિ મુજબ મહિલા અજાણ્યાં પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધીને બાળક મેળવે છે. અમને તિરુશેન્ગોડેના સામાજિક ઇતિહાસમાં મહિલાઓ અને તેમની ભૂમિકાઓ વિશે જણાવો.

મુરુગન :  કોંગુ વિસ્તારમાં સમૃદ્ધિ લાવનાર મહિલાઓ છે. તિરુશેન્ગોડે કે નમક્કલ, સેંકડો ટ્રક ઓપરેટર્સ કે ડ્રાઇવર્સ કે રિગ ઓપરેટર્સ ધરાવે છે, પણ હકીકત એ છે કે એ કુટુંબની મહિલાઓએ જ જમીનને ફળદ્રુપ રાખવામાં મદદ કરી હતી, ખાસ કરીને તેમના પતિ મહિનાઓ સુધી કામકાજ માટે બહાર ગયા હોય છે. મહિલાઓ જ બાળકોનું લાલનપાલન કરતી હોય, ખેતીવાડી કરે અને ઘરની સંભાળ લે. સાયકલની શોધ થઈ ત્યારથી અમારા વિસ્તારમાં મહિલાઓ તેનો સારો એવો ઉપયોગ કરતી હતી. અમારા વિસ્તારમાં ૧૯૮૦ના દાયકામાં મહિલાઓ ટીવીએસ-૫૦ (ટૂ-સીટર મોપેડ) ફેરવતી હતી. ૧૯૯૦ના દાયકામાં રિગ વ્યવસાયનો ઉદય થયો હતો અને તેની સાથે અમારા સામાજિક માળખામાં પરિવર્તનોની શરૂઆત. એ સમયે પરંપરાગત કુટુંબોના પુરુષોએ ઔપચારિક શિક્ષણ વિશે વિચારવાની શરૂઆત કરી હતી. પણ મહિલાઓએ ઔપચારિક શિક્ષણ લઈ લીધું હતું, તેમાંથી ઘણી મહિલાઓએ તો પ્રાથમિક શિક્ષણ પણ લીધું હતું અને થોડી મહિલાઓ કૉલેજ પણ જતી હતી. વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે દરેક મહિલા પોતાની બચત ધરાવતી હતી. જ્યારે ગોંડેર પુરુષોએ રિગ વ્યવસાય માટે ઉત્તર ભારત તરફ પ્રયાણ કરવાની શરૂઆત કરી હતી, ત્યારે મહિલાઓ જ ખેતીવાડીનું ધ્યાન રાખતી હતી. તિરુશેન્ગોડેના પરિવર્તનની ગાથા અમારી મહિલાઓ સાથે જોડાયેલી છે.

પ્રશ્ન : જ્યારે તમારા વતન નમક્કલમાં લોકો તમારો વિરોધ કરતાં હતાં ત્યારે થયેલા દુઃખ વિશે જણાવી શકો?

મુરુગન : એ વખતની મારી મનોદશા વર્ણવી શકું, ન એવો હું છટાદાર વકતા છું કે ન એવો વિચારક છું. તમને મારી તમામ પીડા કે વેદનાની અનુભૂતિ મારી કવિતામાં થઈ શકે છે. (તેમણે આ ગાળામાં પ્રથમ કવિતા આયિરામાયિરામ લખી હતી. તેમાં તેમણે લખ્યું હતું કેઃ “હું ઝેરથી મરી ગયેલા ઉંદરના શરીરમાં પ્રવેશી રહ્યો છું. જાણે હું દુઃસ્વપ્ન જોતો હોય, તેમ અંદરથી ડર સાથે, એક આંચકા સાથે જાગી ગયો છું. આસપાસના વાતાવરણના ડરથી તે દોટ મૂકે છે અને વેગથી વહેતી નદીને સમાતંર એક છિદ્ર જુએ છે. જ્યારે તે ગંદકીમાંથી બહાર નીકળે છે, ત્યારે સૂર્યના કિરણો અને મંદ હવાની લહેરનો સ્પર્શ થતાં તે ધ્રુજી ઊઠે છે. ત્યાં હજારો દર છે અને હવે હું આવા શોધી ન શકાય તેવા દરમાં છુપાઈ ગયો છું?”)

પ્રશ્ન : નીરુ વિલાયાટ્ટુમાં તમે લખ્યું હતું કેઃ “તેના હાથ નરમ પડી ગયા હતા અને તેની પકડ ઢીલી પડી ગઈ હતી. તે ખુલ્લાં મોં અને ફેલાયેલા અંગો સાથે દેડકાની જેમ પોતાની પીઠ પર પડ્યો હતો.” તમે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર સાથે સંબંધ ધરાવો છો. એ વિવરણ તમારી વાર્તાઓમાં પાણી માટેની પ્યાસ સૂચવે છે?

મુરુગન : અમારા વિસ્તારમાં તળાવો કે નદીઓ કે સરોવરો મોટી સંખ્યામાં નથી. કદાચ એટલે મને કૂવાઓ પ્રત્યે વધુ લગાવ છે. મારા બાળપણમાં કૂવાઓ જ પાણીનો સ્ત્રોત હોવાથી મારા લખાણમાં તેનું વર્ણન આવી જાય છે. એ દેડકાની જેમ હું પણ કૂવાઓમાં મારા અંગો ફેલાવીને પડ્યો રહેતો હતો. શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વખત મારી પીઠને બહુ ઇજા થઈ હતી. અત્યારે પણ મને પીઠનો દુઃખાવો હોવાથી હું લાંબો સમય બેસી શકતો નથી એટલે મારે સૂતાં સૂતાં જ વાંચવું પડે છે.

પ્રશ્ન :  તો દુષ્કાળગ્રસ્ત જમીનમાં પાણી હંમેશાં પરિવર્તનનું વાહક બની રહે છે …

મુરુગન :  હા, મારા બાળપણના દિવસો દરમિયાન અમારે દરરોજ ઘણું દૂરના કૂવાઓમાંથી પાણી ભરીને લાવવું પડતું હતું. અમે મોટા ભાગે સાઇકલની બંને બાજુએ બે ઘડા બાંધીને પાણી લાવતા હતા. તે દિવસોમાં પાણી લાવવા માટેની કાવેરી કે મતર યોજનાઓએ આકાર લીધો નહોતો. ૧૯૮૦ના દાયકામાં સતત ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો હતો. આ નપાણિયા વિસ્તારો સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે. મને તેની પાછળ રહેલાં વિજ્ઞાનની ખબર નથી, પણ માન્યતાઓ ખરેખર કામ કરે છે એ મેં જોયું છે. કેટલાંક લોકો કૂવા ખોદવા માટે જગ્યાઓ શોધવા હાથમાં નાળિયેર પકડતાં હતાં. પછી જ્યાં સુધી નાળિયેર ગોળ ફરવાનું શરૂ ન કરે ત્યાં સુધી ધીમે ધીમે ચાલતા હતા. જ્યાં નાળિયેર ગોળ ફર્યું હોય ત્યાં નિશાની કરતાં હતાં. પછી અમે ત્યાં મોટો કૂવો ખોદતા હતા … કૂવાઓ કે પાણીની તંગી તમામ પરિવર્તનોના પાયામાં રહેલી છે. મેં આ જ વાત ૧૯૯૧માં યેરુવેયિલમાં રજૂ કરી હતી. મેં આ વાર્તામાં ગામમાં શહેરીકરણના સંઘર્ષ અને પડકારો વિશે ચર્ચા કરી હતી.

પ્રશ્ન : તમારી નવલકથામાં તમે તિરુશેન્ગોડેના અર્ધનારેશ્વર મંદિરના દેવનું અપમાન કર્યું એવો આરોપ તમારા પર મૂકવામાં આવ્યો હતો અને તેના કારણે તમને તથા તમારી નવલકથાને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તમે ઈશ્વરમાં કેટલી આસ્થા ધરાવો છો?

મુરુગન : મારા પિતા પેરુમલનું અવસાન ૨૦ વર્ષની ભરયુવાન વયે થયું હતું. તેઓ મુરુગન (પલાણી મુરુગન મંદિરના મુખ્ય દેવ)ના પરમ ભક્ત હતા. તેઓ મને કહેતા હતા કે, મારો જન્મ મુરુગનના આશીર્વાદથી થયો છે. તેઓ મારી માતા ગર્ભવતી થયા એ અગાઉ તેમની પલાણી મંદિરની મુલાકાતો યાદ કરતાં હતાં. હું નાસ્તિક નથી. અત્તુરમાં અરિગ્નાર અન્ના ગર્વનમેન્ટ આટ્ર્સ કોલેજમાં જોડાયા અગાઉ હું વાડેસેન્ની પર્વતમાળામાં સ્થિતિ મુરુગન કોઇલના મંદિરના દર્શનાર્થે જતો હતો. મારું કુટુંબ મુરુગનનું અનન્ય ભક્ત છે. પણ તેમ છતાં મને ઈશ્વરના અસ્તિત્વ પરની ચર્ચામાં રસ છે. તેના બદલે ઈશ્વરની જરૂર છે કે નહીં તેના પર ચર્ચા વધારે સંવેદનશીલ અને આવશ્યક હોઈ શકે છે. જો તમે તમારી આસપાસ નજર કરશો, તો તમને સમજાશે કે અનેક મનુષ્યો ઈશ્વરમાં આસ્થા ધરાવતા હોવાથી જ જીવંત છે. ઈશ્વર આપણી રોજિંદી ઘટમાળમાં શૂન્યાવકાશને ભરે છે. જ્યારે લોકો તેમની ખુશી અને પીડા પોતાની આસપાસના લોકો સાથે વહેંચવામાં નિષ્ફળ નિવડે છે, જ્યારે અન્ય લોકો તેમની અને તેમની વાતોની અવગણના કરે છે, ઉપેક્ષા કરે છે, ત્યારે ઈશ્વરની ભૂમિકા શરૂ થાય છે. આપણે ઈશ્વરને આપણી નાનીમોટી દરેક વાત કહી શકીએ છીએ.

મારી માતા પણ ઈશ્વરમાં અજોડ આસ્થા ધરાવતી હતી. મેં પોતે તેવરમ (સંગમ સાહિત્ય) અને નવમી સદીના શિવભક્ત કવિ માનિક્કવસાગરના થિરુવસગમનો અભ્યાસ કર્યો છે. જ્યારે હું નમક્કલ અંજાનેયર મંદિરની મુલાકાત લઉં છું, ત્યારે હું કમ્બ રામાયણ(તમિળ મહાકાવ્ય)ના છંદ કે દોહા ગાઉં છું. જ્યારે મારા કુટુંબના સભ્યો ઇચ્છે છે, ત્યારે હું પૂજા કે પ્રાર્થના સભામાં સામેલ પણ થાઉં છું.

પ્રશ્ન : સામાજિક સુધારક અને દ્રવિડ આંદોલનના પ્રણેતા પેરિયાનું જન્મસ્થળ ઇરોડ તમારા વિસ્તાર પછી તરત છે. જ્ઞાતિ અને સામાજિક અનિષ્ટો સામેની તેમની વિચારધારા તિરુશેન્ગોડના લોકોને પ્રભાવિત કેમ કરી શકી નહીં?

મુરુગન : જેમ આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પાણી દુર્લભ છે, તેમ અહીં બ્રાહ્મણો અતિ ઓછી સંખ્યામાં છે. તમિલનાડુનાં અન્ય વિસ્તારોની સરખામણીમાં અમારા વિસ્તારોમાં મંદિરોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. પેરિયારની આત્મસન્માનની ચળવળ બ્રાહ્મણવિરોધી લાગણી પર આધારિત હતી એટલે તેનો પ્રભાવ ગૌંદેર અને મધ્યસ્થી કરાવનાર અન્ય વસતિ ધરાવતા વિસ્તારમાં ઓછો થયો હતો એ સ્વાભાવિક છે.

પ્રશ્ન : દેશ આઝાદીના ૭૦માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મહિલાઓ, દલિતો, વિદ્યાર્થીઓના અધિકારો તથા લેખકો અને સર્જકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પ્રશ્ર વધુને વધુ વિકટ બની રહ્યો છે. તમે શું માનો છો?

મુરુગન : સાચું કહું તો હું રાજકારણી નથી, જે આઝાદી અને સ્વતંત્રતાની ગાથાઓ વિશે મોટી મોટી વાતો કરે છે. મારા માટે સ્વતંત્રતાનો એક જ અર્થ છે – અન્ય લોકોની સ્વતંત્રતા અને અધિકારોને છીનવ્યાં વિના કંઈ પણ કરવાની આઝાદી. આપણે વંચિતો, મહિલાઓ, દલિતો, લઘુમતીઓના અધિકારો તથા વિદ્યાર્થીઓ અને લેખકોની અભિવ્યક્તિની આઝાદી વિશે વાત કરીએ એ અગાઉ સૌથી મોટો પ્રશ્ર એ છે કે આપણે આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની સ્વતંત્રતા ધરાવીએ છીએ!

અનુવાદક : કેયૂર કોટક

(પોતાનાં કેટલાંક લખાણોનો અસહ્ય વિરોધ થતાં તમિળ સાહિત્યકાર પેરુમલ મુરુગને પોતાને લેખક તરીકે મૃત જાહેર કર્યા હતા. મદ્રાસ હાઇકોર્ટે તેમને ફરી લખતા થવાના આપેલા ચુકાદા પછી 200 કવિતાઓના પ્રકાશન સાથે તેઓ સાહિત્યક્ષેત્રે ફરી પ્રવેશી રહ્યા છે, એ સંદર્ભે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(22-08-2016)માં અરુણ જનાર્ધનને લીધેલી વિસ્તૃત મુલાકાત.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 12-13

Loading

વર્ણવાસ્તવ: ઇતિહાસબોજ અને ઇતિહાસબોધ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|3 September 2016

સિંગુર, સાણંદ, ઉના … શું છે આ બધું. સિંગુર ને સાણંદનો સંબંધ તો જાણે કે સમજ્યા, પણ ઉના એમાં ક્યાંથી આવ્યું?

લખવાનું લંગર છૂટી તો રહ્યું છે સિંગુર ચુકાદાના ધક્કેથી, પણ આ જહાજ ઉનાની ગોદીનું છે અને ગાંધીનગર-દિલ્હી જતે છતે એની સામે અભિગમની રીતે દિશાચીંધ હોકાયંત્ર એક અર્થમાં સેવાગ્રામ આશ્રમનું હોઈ શકે છે. વૈકલ્પિક રાજનીતિનો પથ પ્રશસ્ત કરી શકતી સુપ્રતિષ્ઠ મહુવા કૂચની વાંસોવાંસનાં વરસોમાં આવેલી પ્રથિતયથ ઉના કૂચ હજુ આપણા વાયુમંડળમાં શ્વસેનિ:શ્વસે છે તેવે સિંગુર ચુકાદાને કેમ ઘટાવશું વારુ? ભાઈ, સાદો હિસાબ છે, તમે કહેશો-ખેડે તેની જમીન! હા, પણ મારી પાસે ખેડ સારુ જમીન તો હોવી જોઈએ ને, મારા જેવું કોક અદકપાંસળું જણ પૂછશે.

રહો, ઉનાસેવાગ્રામની સફરના સળ ઉકેલને પહેલે જરી સિંગુર ચુકાદાને જાડો જાડો પણ વાંચી લઈએ. ડાબેરી સરકારે ‘ખેડે તેની જમીન’ની ઘાટીએ શરૂમાં કામ તો સોજ્જું કીધું, પણ ઝડપી અને વ્યાપક ઔદ્યોગિકીકરણની ઘાઈમાં ખેડૂતોની જમીન પૂરી સમજાવટ અને ધારાધોરણસર નહીં લેતાં સરકારી (અને પક્ષીય) જંતરડા વાટે કોઈ એક ઉદ્યોગગૃહ માટે હસ્તગત કરી. તો, કાનૂની પ્રક્રિયાભંગનો પ્રત્યક્ષ પ્રશ્ન (અને કોર્ટનો સીધો ઈલાકો નહીં એવો કૃષિ-ઉદ્યોગ સંતુલનનો વિવેકમુદ્દો) એકદમ જ ચિત્રમાં આવ્યાં અને ડાબેરીઓએ ખોયેલી ચૂંટણી પર કેમ જાણે અદાલતી થપ્પો પણ વાગ્યો.

સિંગુર જો કે નરેન્દ્ર મોદીના ‘વિકાસ’વેશને સુંડલામોંઢે ફળ્યું અને ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગેલા તાતા શેઠે કહ્યું પણ ખરું કે ગુજરાતમાં ન આવે તે ‘સ્ટુપિડ’ છે. એમને તો ત્યારે કૃષિ’વર્સિટી સારુ નવપ્રયોગ માટે ફાળવેલી જમીન બખ્ખેબખ્ખા મળી, પણ આ જમીન પર ‘નેનો’ની ફસલ ન થઈ તે ન થઈ. ‘સ્ટુપિડ’ થવાનું ગુજરાતને ભાગે આવ્યું, બીજું શું. સૉરી, ભાગે આવ્યું એ કહેવું અધૂરું ને અપૂરતું છે. ભાગે ચાલુ રહ્યું એમ કહેવું જોઈએ, કેમ કે નમોના ‘સ્વાગતમ’ એસએમએસ અને રતન તાતાના ‘સ્ટુપિડ’ગાન વખતે પણ ગુજરાતચકિત ઉર્ફે મૂર્છિત હતું અને હવે ભરનોતરે નેનોની નકો નકો ફસલ વખતે ય છે. વિકાસ કદાચ વેશે ઓછો અને સંમોહિત ને મૂર્છિત કરતી મૂઠ વધુ છે!

સિંગુર, સાણંદ, ઉના … શું છે આ બધું. સિંગુર ને સાણંદનો સંબંધ તો જાણે કે સમજ્યા, પણ ઉના એમાં ક્યાંથી આવ્યું, ને વળી સેવાગ્રામ? પાટો જડતો નથી, એમ લાગે છે. સબૂર, ભાઈ, પાટેથી ખડી ગયાનો તો આ મામલો છે. મુદ્દે, મનુષ્યજાતિ ઘૂમન્તુ મટી સ્થિરવાસ કરતી થઈ અને કૃષિ સંસ્કૃિત વિકસી ત્યારથી નાનુંમોટું પણ પોતીકું ભૂમિસાધન એ માણસને નાગરિકમાં સ્થાપી શકે એવું મહત્ત્વનું ઘટક રહ્યું છે. ઉત્પાદનનાં સાધનોની બદલાતી તરેહ અને એથી માલિકીપલટા ને વર્ગસંક્રાન્તિની આખી લાંબી મીમાંસામાં નહીં જતાં અહીં એટલું જ કહીશું કે વિનોબાના અનન્ય ભૂમિદાન આંદોલનનો સૂત્રપાત જ આ ઇતિહાસબોજમાંથી અને એમાંથી શક્ય ઇતિહાસબોધમાંથી થયો હતો.

જે પહેલું ભૂદાન એમણે મેળવ્યું તે એક ભૂમિહીન શ્રમિકની એ માંગને પગલે હતું કે અમને કાંક નાનુંસરખું પણ ભૂમિસાધન મળી રહે તો હાઉં. હમણાં મેં ખેતમજૂરની જિકર કરી પણ એ એક વર્ગીય ઓળખ છે. ખેતમજૂર એ ઘણુંખરું દલિત હોય છે. અને આવી વર્ણીય ઓળખ એ ભારતીય સંસ્કૃિતનાં ઘણાં ઉમદા હોઈ શકતાં પાસાં વચાળે આપણી એક દુર્દૈવ નિયતિ રહેલી છે. ઉના આંદોલન દલિત પરિવાર દીઠ પાંચ એકર જમીનને મુદ્દે સૂચ્યગ્રપણે ઠરવા કરે છે ત્યારે ઇતિહાસનું એક આખું ચક્ર જાણે કે સમતા અને ન્યાય આધારિત નવા સમાજના સુસંકલ્પ અને અગ્રચરણ સાથે પૂરો થાય છે.

ગાંધીએ જન્મે સર્વપ્રથમ સત્યાગ્રહી તરીકે હક અને હોંશથી બરક્યા હતા તે વિનોબાએ સ્વરાજ પછી તેના અનન્ય ભૂદાન આંદોલનમાં પહેલું દાન એક દલિત કુટુંબ પાસેથી મેળવ્યું હતું. એ જોગાનુજોગ સમતા અને ન્યાયની દિશામાં માપી શક્યા હતા. એજન્ડાની દૃષ્ટિએ સૂચક છે. ગાંધીની વાત ન્યારી એ અર્થમાં હતી કે બેસતા સ્વરાજે એમણે કૉંગ્રેસ પ્રમુખ તરીકે જયપ્રકાશ નારાયણને કલ્પ્યા હતા. જે ત્યારે હજુ સર્વોદયરંગી કરતા વધુ તો માર્ક્સવાદી સમાજવાદી હતા એટલે એમના અભિગમમાં સ્વાભાવિક જ વર્ગસભાનતા હતી.

આ જ ગાંધીએ એ અરસામાં પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ તરીકે આંબેડકરનું નામ સૂચવ્યું હતું. એવી પણ એક વાયકા છે. ગમે તેમ પણ આપણે એટલું તો જાણીએ છીએ કે ગાંધીના સૂચનથી નેહરુ અને પટેલે આંબેડકરને કેબિનેટ સાથી તરીકે જોતર્યા અને બંધારણની વડી જવાબદારી પણ આંબેડકરને હિસ્સે આવી. જેમ વર્ગવાસ્તવને સમજવામાં જયપ્રકાશની જોડ નહોતી તેમ વર્ણવાસ્તવને સમજવામાં આંબેડકર અજોડ હતા. વર્ણ અને વર્ગ બન્ને વાસ્તવિકતાને સમજી ગાંધી સ્વરાજને સાર્થકતા આપવા આતુર હતા. પણ એ તો મજલ શરૂ થઈ તે, હજુ કેટકેટલીયે દડમજલ બાકી છે, ન જાણે.

ગમે તેમ પણ, આ પાયાનો મુદ્દો સ્વરાજના સિત્તેરમા વરસે ગાંધીનગર અને નવી દિલ્હીનાં સત્તાપ્રતિષ્ઠાનોને કેટલો પકડાયો છે એની ખાતરીબંધ ખબર આજની તારીખે તો આપણને નથી. ઉના આંદોલનથી જે વિચારોને ધાર અને આધાર સાંપડ્યા છે એમાં એક વિગત એ પણ છે કે હાલની ગુજરાત સરકારનો નવો ભૂમિસંપાદન કાયદો અન્યાયકારી છે.

બીજે છેડેથી, જૂના ભૂમિમાલિકો (છૂટ લઈને કહીએ તો બિલ્ડરો) પાટીદાર અનામતનો ઝંડો લઈ મેદાનમાં આવ્યા એ પણ યુગબલિહારી છે. આવતે અઠવાડિયે (8 સપ્ટેમ્બર, ગુરુવારે) ગુજરાતની પટેલધાની વરાછા રોડ પર ભાજપ શ્રેષ્ઠીઓનું સામૈયું કરતો પાટીદાર ઓચ્છવ યોજાઈ રહ્યો છે. આ યોજકો હમણાં સુધી આંદોલનની પર્યાયી ઓળખ બની રહેલા હાર્દિક પટેલ પ્રત્યે ફરિયાદના સૂરમાં પણ જણાય છે. અનામત માટે આપણે બહાર પડ્યા હતા, પણ હાર્દિક હવે રાજનીતિ કરી રહ્યો છે, એવું એમનું કહેવું છે. હવે અનામતનું કોઈ બંધારણીય લૉજિક નથી એ સૌ જાણે છે.

જો જમીનમાલિકમાંથી બિલ્ડર કે અન્ય વ્યવસાયી થઈ પાટીદારો આગળ વધ્યા હોય તો એમની નવી પેઢીને વિકાસતકો નથી એવું તો નથી. જો જમીન પર જ રહ્યાથી પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે ફરિયાદ હોય તો એ પ્રશ્ન કૃષિ નીતિ, એકંદર અર્થનીતિ અને હાલના નિયોલિબરલ સંદર્ભમાં યોગ્ય નવસંસ્કરણ કરવાનો છે. જૂનીનવી ભાજપ-પાટીદાર યુતિએ કે તે ખરી કરવાની માગ અને મેળવવાના જવાબનાં આ વાસ્તવ સંદર્ભ છે. ભાજપ જોડે જે દલિત બૌદ્ધિકો ને કર્મશીલો પોતાને નજીક અનુભવે છે એમણે પણ હિંદુત્વ રાજનીતિ સબબ વર્ણવાસ્તવ ઉપરાંત આ સંદર્ભમાં માંડવાપણું છે.

ઉના આંદોલનમાં દલિત-મુસ્લિમ એકતાનું જે પાસું ખૂલ્યું ને ખીલ્યું તે કોમી ધ્રુવીકરણની વોટબૅંકી રાજનીતિ કરતાં જરૂર એક જુદી સ્વાગતાર્હ શક્યતા હોઈ શકે છે. પણ તે એકતાએ પણ આ વાસ્તવસંદર્ભ સાથે કોઈક ધોરણે કામ તો પાડવું જ રહેશે. વિકાસની નિયોલિબરલ ધારાની તેમ જ હિંદુત્વ રાજનીતિની ટીકા કરતાં બિનપક્ષીય જૂથો ગુજરાતમાં ખાસાંબધાં છે. પ્રશ્ન એ છે કે પાટીદાર અનામતથી માંડીને ઉના આંદોલન સહિતનાં બળે મારફતે નમો રાજનીતિની મર્યાદાઓ પડકારપાત્ર ધોરણે ઉભરી એ સાચું.

પણ હમણાં નિર્દેશ્યાં તે વૈકલ્પિક જૂથો અને આ નવાં બળો વચ્ચે કોઈ સાર્થક સંવાદ અને સિનર્જીની શક્યતાઓની દિશામાં કોઈ વિચારણા અને કાર્યવાહી થઈ શકે કે કેમ. અલબત્ત કેવળ કાનૂનસુધારે અટક્યે નહીં ચાલે. આખી પ્રક્રિયા કંઈક ઊંજણ/સ્નેહન માગી લે છે. ઉનાના અસરગ્રસ્તો ચાહે તો એમને સેવાગ્રામ આશ્રમમાં આવકારવાની, પચીસ વરસ લગી એમની બાલાશ જાણવાની ઑફર એ રીતે ગાંધીવિનોબાની ધારામાં હોઈ શકતી એક સહૃદય ચેષ્ટા છે.

સૌજન્ય : ‘દડમજલ’, “દિવ્ય ભાસ્કર”, 03, સપ્ટેમ્બર 2016

Loading

What ‘Sheng’ means to us

Dennis Dancan Mosiere, Dennis Dancan Mosiere|Diaspora - Language|1 September 2016

By Dennis Dancan Mosiere (also known as ‘Grand Master Masese’) & Others.

KiSwahili is a well-developed Bantu language of the WaSwahili people who reside along the East African coast. It is now the national language of Kenya and Tanzania and is spoken widely in the East and Central African region. It was, however, born out of interactions with different Bantus from the hinterland as well as with Arabs from Oman and Shiraz, and South Asians from the Indian sub-continent. Organically it grew from a need to standardize the Bantu languages at the point of contact for trade and other social and political needs.

So Kiswahili then is also, originally like Sheng, a ‘slang’ language. I use the word slang meaning informal words or phrases which are more common in speech than in writing and are used by a certain group of people. Kenglish or Engsh are two slangs emerging from the educated urban, middle class Kenyan youth who are a mixture of different African ethnicities, Asian, European and other nationalities. The word ‘sheng’ is a combination of ‘swahili’ and ‘english’. Kenglish is mostly spoken by the college youth. Its basic medium is English. Eg: ‘If I kuja or pitia I will pata some chipo (if I come or pass by I will get some fries). Kenglish can be singled out as the more ‘expatriate’ of the two. To sum up then, Sheng is more Kiswahili-based while Engsh and Kenglish are more English-based.

The youth sometimes speak sheng as a cant i.e. the jargon of a group, often employed to exclude or mislead people outside the group. It has been given an extra boost by the matatus (public taxis), many of which cater specially to the youth.

An example of the various forms of Sheng is the phrase ‘can you help me?’ as expressed in the different slangs: 

In Sheng : Si mniokolee?

In Engsh:  Si you okoa me?    

In Kenglish: Si you help me?

In KiSwahili: Si mniokoe?  

It is interesting to look at the history of Zanzibar which was originally known as Unguja, before it was settled by visitors from the mainland and later from abroad. It was a virgin place with flourishing clove plantations and all the fisher-people and food enthusiasts met there. The measure for buying cloves was a traditional container made out of dry coconut leaves, and it was called ‘Ungo’. A buyer would then say ‘Ungo Jaa’ (fill it up). That is how the island got its name – Unguja.

Zanzibar is the island where Kiswahili is standardized because it still has the original language(s) as spoken then by the inhabitants. Zanzibar has got more than six Kiswahili dialects, like Kimakunduchi, Kimangapwani and Kinemba or Kikwale among others.

So Kiswahili is a mixture of all these dialects, to which have been added words from the non-African languages. And just as the Ki-Unguja Kiswahili is significantly different from Ki-Amu (spoken in the Lamu area) so the Sheng patois spoken in Westlands varies from that spoken in Dandora though both places are in Nairobi. One of the earliest incorporations of Indian words into Kiswahili is in ‘Cutchi Swahili’. (Cutch is a district in India). This patois developed with the entry of the first South Asian traders in Zanzibar. It has since become extinct and it is difficult to find the original speakers.

Later in Kenya, with the building of the Uganda Railway when the ‘natives’ met the ‘coolies’, the Swahili language was further expanded. Most of the Asian/English words in Sheng have come via Kiswahili. Here are some examples:

******** 

Indian                    English                Swahili               Sheng

Kalam (urdu)         pen                      kalamu               kalameh         

Guni (cutchi)          jute sack             gunia                  sack/gunia                                 

Chaa(Gujarati)       tea                      chai                    tiabe/chai              

Paisa                     money                 pesa                   doh                                    

Hari Ambe                  –                      harambee          harambee                

Dukan                    small shop           duka                  dukeh/shopeeh                                  

Kachumbari           salad                    kachumbari        kachuh                        

Kuli                        menial labourer    kuli                      kuli

Bhang                    marijuana             bangi                  bangili/koro/ngwai                        

Buddho                  old man                buda                   buda(age mate)

Ghodhro                 mattress              godoro                 godoro                            

Jhokham                risk, responsibility jukumu                jukumu                  

   –                           Grandmother           –                       grandmasa

So                           hundred                mia                     so

Kismet                    luck/fate                kismat                 kismat

I believe that just as it is the interaction of peoples that enrich and develop a language; that language also helps to bring people together. Small wonder then, that the society in the domains of Kiswahili, Tanzania and Pwani-Kenya, are so remarkably cosmopolitan.

Grandmaster Masese is a Nairobi based Performing artist, Human rights Educator, Fahamu Pan African Fellow for Social Justice, 2012, and a cultural music consultant and tutor in East Africa.

courtesy : “The AWAAZ”, Volume 13, Issue 01, 2016 ; pages 14-15

Loading

...102030...3,4983,4993,5003,501...3,5103,5203,530...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved