Opinion Magazine
Number of visits: 9768408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૈડાંવાળી ખુરશીને સહારે જીવતા પ્રોફેસરને માઓવાદીઓ સાથેના કાવતરા માટે આજીવન કેદની સજા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|11 March 2017

ડૉક્ટર વિનાયક સેન, કાર્ટૂનિસ્ટ અરુણ ફરેરિયા, કબીર કલા મંચના કલાકારો પછી હવે સાઈબાબા

નેવુ ટકા વિકલાંગતાને કારણે પૈડાંવાળી ખુરશી પર જીવતા દિલ્હી યુનિવર્સિટીની અધ્યાપક ડૉ.જી.એન. સાઈબાબાને પૂર્વ મહારાષ્ટ્રના અંતરિયાળ ગડચિરોલી જિલ્લાની કોર્ટે બુધવારે જનમટીપની સજા ફટકારી. છત્તીસગઢમાં સરકારે અપનાવેલી જનવિરોધી નીતિઓ સામે અવાજ ઊઠાવનાર આ અધ્યાપક પર રાષ્ટ્રવિરોધી માઓવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના ગુનેગાર ગણવામાં આવ્યા છે. તેમની સાથે આ સજા પામનાર બીજા ચાર જણ છે – જનવાદી કલાકાર અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી હેમ મિશ્રા, કર્મશીલ પત્રકાર પ્રશાન્ત રાહી, સ્થાનિક આદિવાસી ખેડૂતો મહેશ તિર્કી અને પાંડુ નરોટે. છત્તીસગઢના આદિવાસી મજૂર વિજય તિર્કીને દસ વર્ષની સખ્ત મજૂરીની સજા ફરમાવવામાં આવી છે.

આ બધાને મુખ્યત્વે અનલૉફુલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ (યુ.એ.પી.એ.) હેઠળ સજા કરવામાં આવી છે. આ જ કાનૂન હેઠળ નક્ષલવાદીઓ સાથે સંડોવણીના આરોપસર 2007ના મે મહિનામાં છત્તીસગઢના રાયપુરમાં ડૉક્ટર વિનાયક સેનની ધરપકડ કરવામાં આવી હતી. વિનાયક સેન બે દાયકાથી દુર્ગમ વિસ્તારમાં આદિવાસીઓના તબીબ હતા. પિપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝના કર્મશીલ તરીકે તે લોકજાગૃતિનાં કામ અને સરકારની આદિવાસીઓ અંગેની નીતિની તપાસમાં સામેલ હતા. દેશ અને દુનિયામાં સન્માનિત વિનાયક પર પર રાજદ્રોહનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. તેમને સ્થાનિક અદાલતે ડિસેમ્બર 2010માં આજીવન કેદની સજા ફટકારી હતી, જે વડી અદાલતે ચાલુ રાખી હતી. તેમને 2011ના એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે જામીન આપ્યા હતા. મુંબઈના કર્મશીલ તેમ જ કાર્ટૂનિસ્ટ અરુણ ફરેરિયા પણ યાદ આવે. તેમની પર સુરક્ષાદળોએ  માઓવાદી આગેવાન હોવાને લગતા અગિયાર  આરોપ યુ.એ.પી.એ. હેઠળ કર્યા હતા. તેમણે પણ સાઈબાબાની જેમ નાગપુર જેઈલની ભયંકર અંડા સેલમાં પાંચ વર્ષ વીતાવ્યાં હતા. મુંબઈની વડી અદાલતે 2014ના ફેબ્રુઆરીમાં અરુણને સંપૂર્ણ નિર્દોષ જાહેર કર્યા. યુ.એ.પી.એ. હેઠળ કબીર કલા મંચના શીતલ સાઠે અને સચિન માળી સહિતનાં કલાકારો પર રાજ્યના જુલમ અને અદાલતના જામીનની અલગ દાસ્તાન છે.

પચાસ વર્ષના અધ્યાપક સાઈબાબા પરના સિતમનું મૂળ મનમોહન સિંગની સરકાર વખતે  ‘ઑપરેશન ગ્રીન હન્ટ’ના નામે માઓવાદીઓની સામે 2009 જે જંગ છેડ્યો તેના તેમણે કરેલા વિરોધમાં છે. બીજા ઘણા કર્મશીલોની જેમ સાઈબાબા પણ માને છે ઑપરેશન ગ્રીન હન્ટ અને સાલવા જુડુમની નીતિ કૉર્પોરેટ કંપનીઓને જમીન આપવાનો ઇન્કાર કરનાર આદિવાસીઓને ખતમ કરવાનો પેંતરો છે. એટલે આ પ્રોફેસરે અનેક શહેરોમાં ઑપરેશન ગ્રીન હન્ટના વિરોધ માટેના કાર્યક્રમો  યોજવામાં મદદ કરી. તેના પછી તેમની તાવણી શરૂ થઈ.

બારમી સપ્ટેમ્બર 2013ના દિવસે પચાસેક હથિયારધારી પોલીસે તેમના ઘર પર છાપો માર્યો. તેમની પાસે ગડચિરોલી જિલ્લાના અહેરી ગામમાં થયેલી ચોરીની તપાસ માટેનું વોરન્ટ હતું. પોલીસે લૅપ ટૉપ, હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઇવ્ઝ લઈ લીધાં. પાસ વર્ડ લઈને બધું વાંચ્યું. નવ જાન્યુઆરીએ 2014ના રોજ પોલીસે તેમના ઘરે જ તેમની કલાકો સુધી પૂછપરછ કરી. અંતે નવમી મે 2014એ રસ્તામાંથી અપહરણ કરવામાં આવે તે રીતે, અથવા કોઈ આતંકવાદીને ચીલઝડપે ઝભે કરવામાં આવે તેમ, સાઈબાબાની ધરપકડ કરી. તેમની ઉપર માઓવાદીઓની સાથે ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો.  એ જ રાત્રે તેમને વિમાનમાં નાગપુર અને ત્યાંથી પછી સેંકડો પોલીસોની ફોજ સાથે રોડ માર્ગે આહેરી લઈને પાછા નાગપુરની જેલના ભયંકર અંડા સેલમાં નાખવામાં આવ્યા. આ બધા ગાળામાં વ્હીલચેરને પુષ્કળ નુકસાન થયું. વ્હીલચેર વિના તેમને લઈ જવામાં આવતા અને આધાર વિના હલચલન કરવામાં તેમની કરોડરજ્જુને ભારે ઇજા પહોંચી.

લોકની વાત લઈને ભણવા-ભણાવવામાં ડૂબેલા રહેતા અંગ્રેજીના વિદ્વાન અધ્યાપક સાઈબાબા  2014ના મે મહિનાથી કથળતી તબિયત સાથે નાગપુરની જેલમાં સબડ્યા. તેમને ખતરનાક ગુનેગારો માટેની હવા-ઉજાસ વિનાના અંડા સેલમાં પૂરવામાં આવ્યા હતા. તેમની મદદ માટે કોઈ ન હતું. તેમને ચોપગા થઈને ઘસડાતા ઘસડાતા ટૉઇલેટ માટે જવું પડતું. તેમની કરોડરજ્જુ ખલાસ થવા લાગી હતી. જમણો હાથ તો ક્યારનો ય નકામો થઈ ચૂક્યો છે. અપંગ કેદીઓ માટેની જોગવાઈનો લાભ તેમને આપવાનો જેલના સત્તાવાળાએ ઇન્કાર કર્યો હતો. જેલ ડૉક્ટરે ઍન્જિઓપ્લાસ્ટીની જરૂરિયાત જણાવી હતી. તેમનાં મૂત્રાશય અને પિત્તાશયમાં પથરીઓ થઈ.  સ્થાનિક અદાલતે તેમની જામીન અરજી ત્રણ વખત નામંજૂર કર્યા પછી ત્રીસ જુલાઈ 2015ના રોજ મુંબઈની વડી અદાલતે તેમને જામીન આપ્યા. અદાલતે જણાવ્યું કે આવી હાલતમાં સાઈબાબાને જામીન નકારવામાં અદાલત એમના મૂળભૂત અધિકારનો ભંગ ગણાશે. જેલમાં  તેમણે ગાલિબ અને ફૈજ પહેલી વાર તેમ જ  માર્ક્સ અને લેનિન ફરીથી વાંચ્યા. 

સાઈબાબા આંધ્રના અમલપુર જિલ્લાના નાના ગામના ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મેલા અને સફાઈકામદારોના વિસ્તારમાં ઉછરેલા છે. નાનકડી જમીન પણ તેમના સંપૂર્ણ અભણ પિતાએ દેવા હેઠળ વેચી દેવી પડી હતી. તેમના ઘરે વીજળી ન હતી. સાઈબાબાએ પાંચ વર્ષની ઉંમરે  પોલિયોને કારણે પગ ગુમાવ્યા. વ્હીલચેર તો તે પચીસ વર્ષની ઉંમરે દિલ્હી પહોંચ્યા પછી વસાવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે તે ગામની શાળામાં શિષ્યવૃત્તિઓ પર ભણ્યા. પૂર્વ ગોદાવરી જિલ્લાની કૉલેજમાં તે વિદ્યાર્થી સંગઠનમાં પણ જોડાયા. હૈદરાબાદમાં એમ.એ.ના અભ્યાસ માટેની ફી તેમનાં પત્નીએ ચૂકવી. વસંથા દસમા ધોરણથી તેમનાં પ્રેમિકા હતાં.

કૉલેજનાં બધાં વર્ષોમાં તેમણે ગદર, જન નાટ્યમંડળી અને સામાજિક નિસબત ધરાવતા લેખકો-બૌદ્ધિકોના પ્રભાવ હેઠળ ચાલતા ઑલ ઇન્ડિયા પિપલ્સ રેઝિસ્ટન્સ ફોરમની કામગીરી પણ હાથ ધરી. કેટલાક સમય પછી તેના મહામંત્રી તરીકેની જવાબદારી સ્વીકારીને પત્ની વસંથા અને દીકરી મંજિરાને હૈદરાબાદમાં મૂકીને દિલ્હી ગયા. પાટનગરમાં તેમની પ્રવૃત્તિ ઘણી વિસ્તરી. વૈશ્વિકરણ, નવસામ્રાજ્યવાદ, જાતિવાદ સામેની લડતોમાં તે જોડાતા રહ્યા. ઝારખંડ, આસામ, મણિપુર અને કાશ્મીરમાં માનવધિકારોના પ્રશ્ને રચાતી નાગરિક તપાસ સમિતિઓ સાથે પણ તે સંકળાતા રહ્યા.  અભ્યાસ તરફ પણ ધ્યાન આપીને તે 2003માં રામ લાલ આનંદ કૉલેજમાં અધ્યાપક બન્યા. સાઈબાબા ક્યારે ય વર્ગ પડતો ન મૂકતા, તે ક્યારે ય મોડા ન પડતા. સાઈબાબા સાહિત્યને સોશ્યો-પૉલિટિકલ દૃષ્ટિબિંદુથી જુએ છે. તેમણે સાહિત્યમાં વંચિતો તરફની વિમુખતા વિશે લખ્યું છે. કબીર અને જનવાદી તમિલ કવિઓ પર તેમણે કામ કર્યું છે.

દિલ્હી યુનિવર્સિટીના અધ્યાપક તરીકે તે વિદ્યાર્થી-વિરોધી શૈક્ષણિક સુધારા તેમ જ આપખુદશાહી સામે લડતા રહ્યા છે. અપંગ અધ્યાપક માટેની જોગવાઈના હેઠળ યુનિવર્સિટી પરિસરમાં મળેલું ઘર છોડવા માટે દબાણ પણ આવતું રહ્યું છે. અદાલત તેમને ગુનેગાર ઠેરવે તે પહેલાં કૉલેજે તેમને સસ્પેન્ડ કર્યા હતા. કૉલેજમાં તેમની પર હુમલા પણ થયા હતા. અલબત્ત અનેક વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંગઠનો તેમની સાથે પણ રહ્યા છે. તેમને છોડાવવા માટેની સમિતિ પણ રચાઈ છે. સાઈબાબાના ભાઈ ઉપરાંત તેમની પાછળ અડીખમ ઊભાં રહેનારાં પત્ની વસંથાએ ચૂકાદા પછી કહ્યું: ‘ઈસ ફાસિસ્ટ ગવર્નમેન્ટ ને હમારે સાથ ઐસા કિયા કી હમારી આંખમેં આંસુ નહીં આ રહે હૈ, આગ આ રહી હૈ.’

09 માર્ચ 2017

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 10 માર્ચ 2017

Loading

નારીમુક્તિની જલતી મશાલો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 March 2017

દેશની સ્ત્રીઓ માટે આખરી મંઝિલ, માત્ર પિતા-પતિ કે પુત્રના નહીં, આ દેશના ખળાનો અડધો ભાગ જ હોઈ શકે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ[08 માર્ચ]ની વળતી સવારે પણ દેશજનતાના દિલોદિમાગમાં ગુરમેહર કૌર છવાયેલાં છે. સ્ત્રીશક્તિ અને તેના અપ્રતિમ સાહસનું એ તાજંુ ઉદાહરણ છે. આ પંજાબી કન્યાએ ડર્યા અને ડગ્યા વિના કામચલાઉ ઘરખૂણો પાળ્યો છે ત્યારે એક બીજી પંજાબી કન્યાનું સ્મરણ થાય છે. ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાએ અમદાવાદના ગાંધી સ્મારક સંગ્રહાલયમાં સંગ્રહિત ગાંધીજીને સંબોધીને લખાયેલા એક પત્રનો હવાલો આપી તાજેતરમાં એક લેખ લખ્યો છે. પંજાબની એક કૉલેજકન્યાએ યુવાનો દ્વારા થતી છેડતી અને સતામણી અંગે ગાંધીજીનું માર્ગદર્શન માગ્યું હતું. જવાબમાં ગાંધીજીએ 31મી ડિસેમ્બર, 1938ના ‘હરિજન’ પત્રમાં ‘વિદ્યાર્થિનીઓની શરમ’ શીર્ષક હેઠળના લેખમાં, પુરુષો દ્વારા ‘સ્ત્રીઓની છેડતી ભારતમાં વધી રહી’ હોવાનું સ્વીકારી, ‘આવા તમામ કિસ્સા, દોષીઓના નામ સાથે જાહેર કરવા’ પીડિત યુવતીઓને જણાવ્યું હતું. યુવતીઓને આત્મરક્ષણની સામાન્ય કલા શીખવા સાથે અનુચિત વ્યવહારનો જોરદાર વિરોધ કરવા પણ મહાત્માજીએ સલાહ આપી હતી.

આ જ પત્રમાં સ્ત્રીમુક્તિના મોટા પુરસ્કર્તા અને આઝાદી આંદોલનમાં સ્ત્રીઓને મોટી સંખ્યામાં જોડનાર ગાંધીજીએ મહિલાઓના પહેરવેશ સંદર્ભે ટિપ્પણી કરતાં લખ્યું હતું, ‘મને એ વાત ચિંતિત કરે છે કે જ્યારે એક આધુનિક યુવતી અડધો ડઝન રોમિયોની જુલિયેટ બનવાનું પસંદ કરે છે. તેને રોમાંચ પસંદ છે. આધુનિક યુવતીઓ એવાં કપડાં પહેરે છે, જે ટાઢ, તડકો કે વરસાદ સામે તેને રક્ષણ આપતા નથી, પણ આકર્ષણનું કેન્દ્ર જરૂર બનાવે છે.’ આ બાબતનો જોરદાર વિરોધ કરતો એક પત્ર ગાંધીજીને કલકતાની 11 યુવતીઓએ લખ્યો હતો. ‘પરમ પૂજ્ય મહાત્માજી’ને સંબોધીને લખાયેલા આ પત્રમાં તેમણે ગાંધીજીની સલાહને ‘ઉત્સાહવર્ધક નહીં’ લેખીને તેમણે ‘સ્ત્રીઓના માથે સઘળો દોષ ઢોળી દીધા’નો વિરોધ કરી જણાવ્યું હતું કે, ‘ખરેખર તો તે (સ્ત્રીઓ) જ દ્વેષપૂર્ણ સામાજિક પરંપરાનો વધુ શિકાર બને છે. ‘પોતાના મનમરજીનાં કપડાં પહેરવાના હકનો બચાવ કરીને સ્ત્રીના પોષાકને જે દૃષ્ટિએ ગાંધીજી જોતાં હતા તેને ‘સમગ્ર મહિલા બિરાદરીનું અપમાન’ ગણાવ્યું હતું.

1939માં કોલકાતાની 11 અનામી પત્રલેખિકાઓએ ગાંધીજીને પડકાર્યા હોય, તે દેશમાં 2017માં ગુરમેહરનું હોવું આશ્વસ્ત કરે છે. જો કે, જે પ્રકારની પિતૃસત્તાક સમાજવ્યવસ્થા દેશમાં વ્યાપ્ત છે, તેની સામે નારીમુક્તિની મશાલ જલતી રહે છે તેમાં નામીની જેમ ગુમનામ સ્ત્રીઓનો પણ સિંહફાળો છે.

દેશમાં સ્ત્રીઓ અને દલિતો માટે શિક્ષણના દ્વાર ખોલનાર જોતીરાવ ફુલે અને સાવિત્રી ફુલે નિ:શંક પ્રથમ હતાં. પરંતુ જોતીરાવનો ઉછેર કરનાર અને તેમને અંગ્રેજી શિક્ષણ અપાવનાર એમનાં બાળવિધવા માસી સુગનાબાઈ હતાં. આ જ સુગનાબાઈએ 1846માં અસ્પૃશ્યો માટે પહેલી નિશાળ ખોલી હતી, જે છ મહિના પછી બંધ પડેલી. ડાબેરી લેખક-પત્રકાર સુભાષ ગાતાડેએ ફુલેદંપતીને પહેલી શાળા શરૂ કરવામાં ફાતિમા શેખ નામક મુસ્લિમ મહિલાએ મદદ કર્યાંનું અને ઇતિહાસના આ ગુમનામ પાત્ર વિશે વધુ ખણખોદ કરવા લખ્યું છે. ઇતિહાસકાર મકરન્દ મહેતાએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 1930ના નાસિકના કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહમાં અસ્પૃશ્ય સ્ત્રીઓની મોખરાની ભૂમિકા આલેખી, રામનવમીના દિવસે સત્યાગ્રહ લોહિયાળ બન્યો અને પ્રવેશબંધી થઈ ત્યારે અજાણી અસ્પૃશ્ય મહિલાએ જ મંદિરના પૂજારીને જોશભેર લાફો માર્યાનું નોંધ્યું જ છેને?

ગુરમેહરથી અનેક નામીઅનામી સ્ત્રીઓના આવા અપવાદરૂપ સાહસની કથાઓ વચ્ચે સ્ત્રીઓ જીવન જીવ્યે રાખે છે. જે પિતૃસત્તાક સમાજમાં તે શ્વસે છે તેની બહાર વિચારવું તેને માટે લગભગ અશક્ય છે. દલિત કર્મશીલ માર્ટિન મેકવાને ગુજરાતમાં જ્યાંથી પહેલી વાર માથે મેલું પ્રથાની ભાળ મળેલી તે અમદાવાદ જિલ્લાના રાણપુરનો અનુભવ લખ્યો છે. સફાઈકામ કે માથે મેલુંના વિકલ્પમાં રોજગારીની ચર્ચાની માથાપચ્ચીમાં ભાગ્યે જ કોઈ ઝાડુની બહાર વિચારતા હોવાનો માર્ટિનભાઈને અહેસાસ થઈ રહ્યો હતો ત્યારે એક યુવતીને બ્લાઉઝ પીસ વેચવાની વાત સૂઝેલી! અને એની આ વાત પર ફળિયાના લોકો ઉકળી પડેલા.

પણ આજે ન માત્ર રાણપુરની વાલ્મીકિ સ્ત્રીઓ, બલ્કે દેશ આખાની સ્ત્રીઓ બદલાઈ છે. તે નવા જમાનાને અનુરૂપ વિચારે છે, આચરે છે. તાજમહેલની નગરી આગ્રામાં છેલ્લાં બે-ત્રણ વરસથી એસિડએટેકનો ભોગ બનેલી મહિલાઓ ‘શીરોજ હૅંગ આઉટ’ નામનું કૅફે ચલાવે છે. આ તેજાબપીડિતાઓ પોતાના બદસૂરત બદનનો બોજ ચૂપચાપ વેંઢારીને જીવવાને બદલે સ્વમાનનું જીવન જીવે છે. આગ્રાના તાજ વ્યૂ ચૌરાહે આવેલી આ કૅફે નીતુ, રિતુ, ડોલી, રૂપા, અંશુ જેવી એસિડપીડિતાઓ સંભાળે છે. આ તેમનું પુનર્વસન કેન્દ્ર નથી, પણ તેમના આત્મવિશ્વાસ અને સ્વમાનનું પ્રતીક છે. એટલે કૅફેના મેનુની વાનગીઓમાં કોઈ ભાવ લખવામાં આવતા નથી. તેની દીવાલો લલિત કલા એકેડેમીના વિદ્યાર્થીઓનાં ચિત્રોથી કંડારાઈ છે. ત્યાં લાઈબ્રેરી, બૂટિક અને ક્રાફ્ટ સેક્શન પણ છે. આ કૅફેનું નામ ‘હીરો’ની જેમ ‘શીરોજ’ રાખ્યું છે. તાજની નગરીનું આ અનોખું કૅફે ભારતીય નારીના દેવહુમાકરણનું, સ્વાભિમાનનું પણ પ્રતીક છે.

જૉબલેસ ગ્રોથના વર્તમાન માહોલમાં સ્ત્રીઓના ઘરકામની કોઈ કિંમત નથી. પુરુષોને મન તે બેઠાખાઉં કે રોટલાખાઉં માત્ર છે. વાસ્તવિકતા એ છે કે સ્ત્રીના શ્રમ પર જ સમાજ ઊભો છે. સ્ત્રી કાયમ બહેતર રોજગારની તલાશમાં હોય છે. જ્યારે તે કોઈ નવું કામ શોધી કાઢે છે, ત્યારે આરંભે જાત-જમાતનો ડારો દઈ તેને હલકું, નકામું કે ઉતરતું ગણી સ્ત્રીને તોડી પડાય છે. નીતીશકુમારના બિહારની મહાદલિત મહિલાઓના એક વૃંદ ‘સંગમ બૅન્ડ’ની આજકાલ પટણામાં ધૂમ છે. જ્યારે ખેતમજૂરી સંકોચાઈ અને બે છેડા ભેગા કરવા મુશ્કેલ પડવા લાગ્યા, તો પટણા નજીકના દાનાપુર તાલુકાના ઢીંબરા ગામની બારેક દલિત મહિલાઓએ મળીને સંગમ બૅન્ડની રચના કરી. 

મહિલા કર્મશીલ સુધા વર્ગીસની સહાય અને તાલીમ મળ્યાં. એટલે 65 વરસનાં ચિત્રલેખાદેવી, 60 વરસનાં સાવિત્રીદેવી સહિતની મધ્ય અને યુવા વયની આ મહિલાઓએ ઢોલ-નગારાં હાથમાં લીધાં. પતિ અને મોટેરાંઓને આ કામ ન ગમ્યું. મારપીટ ને ઉપેક્ષા પણ થઈ, છતાં તે અડગ રહી કામને વળગી રહ્યાં. પરંપરાગત જાતિગત કામને જાકારો દીધો ને નવો રોજગાર મેળવ્યો. આજે તે એક કાર્યક્રમના દશ હજાર રૂપિયા રળે છે. પૈસા અને પ્રતિષ્ઠા બેઉ રીતે આ કામ સારું છે એટલે પુરુષોને તે ગમવા લાગ્યું છે.

‘શીરોજ હૅંગ આઉટ’ અને ‘સંગમ બૅન્ડ’ તો આ દેશની મહિલાઓ માટે એક પડાવ છે. જો કે, ગુલાબી, પીળી અને કાળી ગેંગનાં કારનામા કરતાં આ બહેતર છે, પણ એમની આખરી મંઝિલ, માત્ર પિતા-પતિ કે પુત્રના નહીં, આ દેશના ખળાનો અડધો ભાગ જ હોઈ શકે. અડધી આબાદી માટે આ જરાય વધારે પડતું નથી.

લેખક સામાજિક-રાજકીય પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘આખરી મંઝિલ’, “દિવ્ય ભાસ્કર”, 09 માર્ચ 2017

Loading

સમ્બન્ધો વગરનું સહજીવન

હીરલ શાહ, હીરલ શાહ|Opinion - Opinion|8 March 2017

વિશ્વનું એક અદ્યતન શહેર લંડન. લગ્ન કરીને અહીં આવ્યે મને બે વર્ષ થઈ ગયાં છે. ઑફિસમાં ત્યાંની સખીઓ સાથે સારી એવી મૈત્રી બંધાઈ ગઈ છે. એક દિવસ સવારે ઑફિસ પહોંચીને હું મારું કામ શરુ કરી રહી હતી ત્યાં જ કેથરિન મારી ખુરશી પાસે આવી. અમે વાતોએ વળગ્યાં. વાત વાતમાં તેણે મને કહ્યું કે લગ્ન પહેલાં તેને કોઈ છોકરા સાથે પ્રેમ હતો. એક આખો દાયકો તેણે પોતાના પ્રેમી સાથે વીતાવ્યો; પણ અંતે તે તેને છોડીને કોઈ અન્ય છોકરી સાથે પરણી ગયો. આજે આટલાં વર્ષો પછી પણ હું તેને ભૂલી શકી નથી. એમ કહીને કેથરિન મૌન થઈ ગઈ.

થોડીક વાર રહીને તે મારી સામે જોઈને બોલી, ‘હીરલ, તમે લોકો કેટલાં નસીબદાર છો ! તમે યોગ્ય ઉમ્મરે લગ્ન કરો છો. તમને પતિ અને કુટુમ્બ સાથેની સલામત જિન્દગી મળે છે અને તમે આખું જીવન સ્વસ્થ અને સંતુલિત રીતે જીવો છો. અમારું તો સમ્બન્ધો વગરનું સહજીવન હોય છે.’ પોતાની કેબિન તરફ જતાં તે મારો હાથ એના હાથમાં લઈને બોલી, ‘મારો બીજો જન્મ હું ભારતમાં ઈચ્છું છું ….’ મેં ધ્યાનથી જોયું તો કેથરિનની આંખોમાં આંસુ હતાં.

કેથરિન સાથેના આ ક્ષણિક વાર્તાલાપે મારા ચિત્તને ઊથલપાથલ કરી નાખ્યું. હું એકદમ અવાક્ થઈ ગઈ! મારી આંખ સામે મારા ભૂતકાળના અનુભવો તરવરી ઊઠ્યા અને વિચારોના પ્રદેશમાં વિહરતાં હું સીધી બૅંગ્લોર જઈ પહોંચી. હજુ મારી કારકિર્દીના શરૂઆતનાં એ વર્ષો હતાં. મારી મહત્ત્વાકાંક્ષા લગ્ન પહેલાં કોઈ મલ્ટિનેશનલ કંપનીમાં સારી જોબ લેવાની અને ઊંચા પગારને આંબવાની હતી અને તેવામાં મને બૅંગલોરની એક કંપનીની ઑફર મળી. દેશના કોઈ પણ ખૂણે જવાની મારી માનસિક તૈયારી હતી જ. એટલે જીવનમાં પહેલીવાર હું મારું શહેર છોડીને બૅંગ્લોર જઈ પહોંચી. મારે માટે આ સાવ નવી દુનિયા હતી. આંખોમાં કેટલાં ય સપનાં આંજીને જીવનમાં આગળ વધવાનું હતું. નક્કી કરેલા ધ્યેયને પહોંચી વળવા દિવસ-રાત મહેનત કરવાની હતી. પરન્તુ ત્યાં તો શરૂઆતના દિવસોમાં મારે ભારે આશ્ચર્યજનક અનુભવોમાંથી પસાર થવાનું થયું !

વાત એમ બની હતી કે મેં મારી એક સખી સાથે બૅંગ્લોરમાં રુમ ભાડે રાખીને રહેવાનું શરૂ કર્યું. હજી માંડ બે-ત્રણ મહિના થયા હશે ત્યાં મારી એ સખીની બીજા શહેરમાં બદલી થઈ. હું એકલી પડી. ઘરનું ભાડું પરવડે એ માટે, હવે મારે કોઈક બીજી રુમ-પાર્ટનર શોધવાની જરૂરિયાત ઊભી થઈ. મારા મનમાં એમ હતું કે મારી જેમ જ જૉબ કરતી કોઈ ગુજરાતી યુવતી મને મળી જાય તો ઘણું સારું. અહીં નવી જગ્યાએ એકબીજાનો સાથ પણ રહે અને સાથે રહેવાનો આનંદ પણ મળે. મોટા શહેરોમાં ઘણા લોકો આ રીતે ભાડે રહીને નોકરી કરતા હોય છે. હું મારા જેવી કોઈ યુવતીની શોધમાં હતી. ત્યાં એક જણે મને એક જાણીતી વેબસાઈટનું સરનામું આપ્યું અને કહ્યું કે આ વેબસાઈટ પરથી તને ભાડે મકાન શોધનાર કોઈક મળી રહેશે. મેં એ વેબસાઈટ પર મારા ફોન નંબર સહિત જાહેરાત મૂકી અને મારા આશ્ચર્ય વચ્ચે મને ‘લીવ-ઈન રિલેશન’ ઑફર કરતા યુવકોના ફોન આવવાના શરૂ થયા. હું તો હતપ્રભ થઈ ગઈ ! શું કરવું એ મને સમજાયું નહીં. પહેલાં તો એકદમ રડવા જેવી થઈ ગઈ અને પોતાને નિ:સહાય અનુભવવા લાગી. ઘરે પરિવારજનો ચિન્તા કરે તેથી તેમને કંઈ જણાવ્યું નહીં. જીવનમાં પહેલીવાર એવું બન્યું કે હું એકલતા મહેસૂસ કરતી હતી. જો કે પરિવારજનો સૌ મને મદદરૂપ થાય તેમ હતાં; પરંતુ તે છતાં હું તેમને શું કહું અને કેવી રીતે કહું તે મને કંઈ સમજાયું નહીં. છેવટે નક્કી કર્યું કે આ સમસ્યાનો મારે એકલે હાથે જ સામનો કરવો પડશે. મેં મક્કમ બનીને યુવકોના ફોન અવગણવાનું શરૂ કર્યું.

ફોન કરનાર યુવકો બહુ ચાલાક હતા. ખૂબ ઠાવકાઈથી પોતાનો પરિચય આપીને મને પુછતાં કે, તેઓ પોતાની બહેન માટે રહેવાની જગ્યા શોધી રહ્યા છે અને એમની બહેનને ફલાણી કંપનીમાંથી ઑફર મળી છે તો તેઓ આ ઘર જોવા આવી શકે ? ગમે તેમ કરીને તેઓને મારા સુધી પહોંચવું હતું. આ પ્રકારના સંવાદો મારી કલ્પના બહારના હતા. મારે તેમને જણાવવું પડતું કે હું તમારી બહેન સાથે જ વાત કરી લઈશ. એમાં વળી એક છોકરો તો બહુ હોશિયાર હતો. એણે ફોન કરીને મને ગુજરાતીમાં વાત કરતાં કહ્યું કે, ‘કેમ ઓળખાણ પડે છે? ઘરે બધા કેમ છે?’ એ પોતાને મારો જૂનો મિત્ર માનતો હતો. પોતાનો પરિચય આપીને એણે પોતાની કંપનીની, પગારની, ઈન્ટરવ્યુની વગેરે વાતો ચાલુ કરી; પરંતુ મને હજી તેની કોઈ ઓળખાણ પડતી નહોતી. એટલે હું તો ત્યાં જ અટકી હતી. મેં તેને ફરીવાર જરા કડક અવાજે પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે તે મારી સાથે રહેવામાં રસ ધરાવે છે. વાત સાંભળતાં જ મારો મિજાજ ગયો અને મેં તેને ધમકાવીને કહ્યું કે જો હવે ફોન કરવાની હિંમત કરશે તો એની કંપનીમાં હું જાણ કરી દઈશ. વધુ કંઈ પણ વાત કર્યા વગર મેં ફોન કાપી નાંખ્યો. એ પછી તો મારી જેમ બીજી અનેક યુવતીઓ આ સમસ્યાનો ભોગ બની હશે, તેથી સૌએ મળીને એ વેબસાઈટને ફરિયાદ કરી અને તે લોકોએ અમારી અંગત વિગતોને ખાનગી રાખવાની સુવિધા કરી આપી.

જીવનના આ અનુભવે મને વિચાર કરતાં કરી દીધી. કારણ કે આ પ્રકારના સંબંધો માટે જે છોકરાઓના ફોન આવતા હતા, એ બધાં કોઈ રસ્તે રખડતા છોકરાઓ નહોતા. બધા જ લોકો મોટે ભાગે સારાં સંસ્કારી ઘરોમાંથી આવતા હતા. મલ્ટિનેશનલ કંપનીઓમાં મોટા પગાર પર કામ કરતા હતા; પરંતુ તેઓ કોઈ લગ્નની જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતા. મેં ફરીવાર એ વેબસાઈટ જોઈ ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે અધધધ … કહી શકાય એટલી ‘લીવ-ઈન રિલેશન’ની જાહેરાતો હતી. સૌને સમ્બન્ધો વગરનું સહજીવન જોઈતું હતું. એમાં તેઓને કંઈ પણ અજુગતું નહોતું લાગતું. કેટલાકે તો એવી જાહેરાતોમાં વળી એમ પણ લખ્યું હતું કે ‘યુવતીએ ભાડું આપવાનું રહેશે નહીં. બસ, એ જૉબ કરતી હોવી જોઈએ અને દેખાવે સારી હોવી જોઈએ.’ અરેરે ….! ક્યાં ભારતનું આપણું યુવાધન અને ભારતીય સંસ્કૃિતની વાતો અને ક્યાં આ વિકૃિતથી ખદબદતો સમાજ ! આપણે આવા ભણેલા ? ભણતરે આપણને આ મુક્ત સાહચર્ય શીખવ્યું ?

મારો પ્રશ્ન તો હજી ઊભો જ હતો. એ પછી મને વિચાર આવ્યો કે હું કોઈ પેઈંગ-ગેસ્ટ બહેનને શોધી કાઢું અને એમને ત્યાં રહેવા જતી રહું. પરન્તુ એ મારે માટે શક્ય નહોતું; કારણ કે મને રસોડામાં પૂરી આઝાદી જોઈતી હતી અને ત્યાં તો શાકાહારી-માંસાહારી બધું ભેગું ચાલતું હતું ! વળી, મારે મારા માતાપિતાને દક્ષિણ ભારતની સફર પણ કરાવવી હતી. ક્યારેક તેઓ મારી સાથે આવીને રહે તેવી પણ મારી ઈચ્છા હતી. કોઈક કુટુમ્બીજનને પણ આવીને રહેવું હોય તો ભાડાનું ઘર જ સારું એથી મેં પેઈંગ-ગેસ્ટનો વિચાર માંડી વાળ્યો. છેવટે ખૂબ મહેનત પછી તપાસ કરતાં એક સરળ અને સાલસ છોકરી મને મળી. તે મારી ખૂબ સારી મિત્ર બની ગઈ અને અમે સાથે રહેવા લાગ્યાં. ધીમે ધીમે બૅંગ્લોરમાં રહીને હું ઘણું બધું શીખી ગઈ. કોની સાથે કેટલી વાત કરવી, કેવી રીતે વાત કરવી, માણસોની પરખ કેવી રીતે કરવી તેની ચાવીઓ મને સમજાવા લાગી. પરન્તુ જેમ જેમ મારું મિત્રવર્તુળ વધતું ગયું તેમ તેમ અનેક સખીઓ પાસેથી ‘લીવ-ઈન રિલેશન’ના ગજબના કિસ્સાઓ સાંભળવા મળ્યા. તેમના વર્તમાન જીવનમાં જરાક ડોકિયું કર્યું, તો એમનાં દુ:ખ, દર્દ, બિનસલામત જિન્દગી અને તેમની ભૂતકાળની વાતો જાણવા મળી.

મારી એક બહેનપણી ભણવામાં ખૂબ હોશિયાર હતી; પણ તે એવા કુટુમ્બમાંથી આવતી હતી કે જ્યાં છોકરીનો જન્મ ગુનો ગણાતો ! કુટુમ્બમાં તો છોકરો જ જન્મવો જોઈએ એવી માન્યતા હતી. એ છોકરી આ પ્રકારના માહોલમાં, અપમાનનાં ઘુંટડા પીને મોટી થયેલી. તેથી સ્વાભાવિક રીતે જ તે પ્રેમ કે હુંફ માટે તરસતી રહેતી. કૉલેજકાળ દરમિયાન તેને એક યુવક સાથે પ્રેમ થયો અને ત્યાર બાદ આ પ્રેમ ઝંખતી છોકરી તે યુવક સાથે ‘લીવ-ઈન રિલેશન’માં રહેવા લાગી. થોડો વખત બધું ઠીક ચાલ્યું; પણ પછી ઝઘડા થવા લાગ્યા. છોકરો વારંવાર લગ્ન નહીં કરવાની ધમકી આપીને સમ્બન્ધ તોડી નાખતો. ઘણાં વર્ષો પછી એ લોકોએ હવે લગ્ન કર્યાં; પરન્તુ સમ્બન્ધ વગરના સહજીવનમાં લાંબો સમય રહ્યા બાદ, લગ્ન કરવા માટે આમ કાલાવાલા કરવા પડે, પ્રેમ અને હુંફ મેળવવા માટે તડપતાં રહેવું પડે, એવી જિન્દગીનો શો અર્થ ? એવા સમ્બન્ધો કેટલા ટકાઉ ? આ પ્રકારની યુવતીઓને અનેક માનસિક પીડામાંથી પસાર થવું પડે છે.

અમારા જ વિસ્તારમાં, એક પેઈંગ-ગેસ્ટ તરીકે કામ કરતાં બહેનની બાજુના ઘરમાં, એક યુગલ આ રીતે રહેતું હતું. એ યુવતી પણ ખુબ દુ:ખી હતી. તે ગર્ભવતી હતી અને એ દરમિયાન મકાનમાલિકે મકાન ખાલી કરવાનું પણ કહ્યું હતું. અન્તે ન છૂટકે તેઓએ લગ્ન કરવા પડેલાં; પરન્તુ આવાં થીંગડાં મારીને કરેલાં લગ્નનું આયુષ્ય કેટલું ? લગ્ન બાદ પણ દમ્પતીમાં ખૂબ ઝઘડા થતા. યુવતીએ આ બાબતે કોઈ વાત પોતાના પરિવારજનોને કહી નહોતી. તેની હાલત ખૂબ દયનીય હતી.

આ જ સમય દરમિયાન મેં એક બીજો કિસ્સો પણ સાંભળેલો કે જેમાં, એક યુગલ બે–એક વર્ષ સુધી આ રીતે ‘લીવ-ઈન’માં રહ્યું અને પછી હવે એ લોકો અલગ થઈ ગયાં ! કેટલું ખરાબ ! જાણે ‘વાપરો અને ફેંકી દો!’ છોકરાએ કહ્યું કે હવે આપણા વિચારો મળતા નથી, એટલે આપણે એકબીજાને અનુકૂળ નથી; માટે તું તારે ઘરે અને હું મારે ઘરે ! વાહ ભાઈ, વાહ ! કેવી બેફિકરાઈ ! જાણે જીવન તો એક રમત છે ! એ છોકરાએ તો બીજે લગ્ન કરી લીધાં; પણ છોકરીની હાલત ખરાબ છે.

મને એક બીજો પ્રસંગ પણ યાદ આવે છે. હું અમદાવાદ કામ કરતી હતી ત્યારે એક શીખાઉ છોકરી મારી સાથે હતી. એક દિવસ તેણે તેના બૉયફ્રેન્ડ વિશે વાત કરી અને મને પૂછ્યું કે તમારો બોયફ્રેન્ડ કોણ છે ? મેં જવાબમાં ‘ના’ કહી. ત્યારે તેણે મને કહ્યું કે ‘મૅડમ, આજના જમાનામાં તો બૉયફ્રેન્ડ ના હોવો એ શરમજનક બાબત છે ! બૉયફ્રેન્ડ ના હોય તો લોકો એમ કહે કે તમારામાં કંઈક ખૂટે છે !’ બી.ઈ.ના છેલ્લા વર્ષમાં ભણતી એ છોકરીએ મને કહ્યું કે ‘બૉયફ્રેન્ડ ના હોય તો હું મારા ગ્રુપમાં રહી જ ન શકું. એ લોકો મને બોલાવે જ નહીં !’ – હું ફરી એકવાર કહેવા માગું છું કે આ કોઈ સામાન્ય ઘરનાં છોકરા-છોકરીઓની વાત નથી. આ બધા જ કહેવાતા સંસ્કારી કુટુમ્બોમાંથી આવે છે !

હું જાણું છું કે વ્યક્તિ પ્રેમ, હૂંફ કે કાળજી વગર રહી નથી શકતો. માણસ, માણસનો ભૂખ્યો હોય છે. હું એ પણ સમજી શકું છું કે બદલાતા જમાના સાથે, કૉલેજમાં અભ્યાસ કરતાં પરિપક્વ યુવક-યુવતીઓ ‘લગ્ન કરીને’ પોતાનું જીવન પોતાની રીતે જીવવા માંગે તો તે આવકારદાયક છે. પરન્તુ જ્યારે લગ્ન સંસ્થાનો જ સદન્તર છેદ ઊડાડીને જવાબદારી વગરના મુક્ત સહજીવનની વાત આવે છે, ત્યારે તે ક્યારે ય સ્વીકાર્ય નથી બની શકતી. એ પ્રકારના સહજીવનમાં ક્યારેક તો દેહાકર્ષણ જ કામ કરતું હોય છે અને પછી જ્યારે ઢોળ ઊતરી જાય છે, ત્યારે ઉજ્જડ વગડા સિવાય કશું જ હાથમાં હોતું નથી.

પશ્ચિમના લોકોને આપણી લગ્ન સંસ્થા માટે ભારે માન છે અને કંઈક અંશે તેઓ તેને ધીમે ધીમે અપનાવવાની કોશિશ પણ કરી રહ્યાં છે અને આપણે ! .. આ કોનું અનુકરણ કરી રહ્યાં છે તે ખુદને પૂછવું રહ્યું. આ બધી બાબતો માટે કોર્ટને નહીં; માણસે પોતાના હાર્ટને પૂછીને આગળ વધવું જોઈએ. લગ્નસંસ્થા ભારતીય સંસ્કૃિતનો પાયો છે. મહાન આત્માઓને અવતરવાનો રાજમાર્ગ છે. સમાજને પુષ્ટ કરવા માટે ગૃહસ્થાશ્રમનો ધર્મ છે. લગ્નસંસ્થામાં એકબીજાને આજીવન સુખ-દુ:ખમાં સાથ આપવાનું વચન હોય છે જ્યારે ‘લીવ-ઈન’માં તો – ‘સુખમાં સાંભરે સોની’ જેવી હાલત છે. ખરાબ સમયમાં કહેવાતા પ્રેમનું એક ક્ષણમાં બાષ્પીભવન થઈ જાય છે ! લગ્નજીવનમાં દમ્પતી પરિવાર સાથે આનન્દથી સમય વ્યતિત કરે છે, જ્યારે ‘લીવ-ઈન’ ક્યારેક સમય પસાર કરવાનું સાધન બની રહે છે. સ્વાભાવિક રીતે જ લગ્ન બાદ પત્નીનો, પતિની સમ્પત્તિ પર કાનૂની અધિકાર રહે છે, જ્યારે ‘લીવ-ઈન’માં જો કોઈ કાયદો ઘડાય તો પણ; એ ફક્ત કાગળનો વાઘ જ બની રહેવાનો. દામ્પત્યજીવનમાં કોઈ મતભેદ ઊભા થાય તો, દમ્પતીને પોતાના કુટુમ્બ અને સમાજનો સાથ મળે છે અને એક પ્રકારની માનસિક મદદ મળી રહે છે. જ્યારે ‘લીવ-ઈન’ એટલે લટકતી તલવાર! એમાં કોઈ કોઈની મદદે આવીને ઊભું રહેતું નથી. પોતાનાં સન્તાનોના સ્વસ્થ શારીરિક અને માનસિક વિકાસ માટે લગ્નસંસ્થાનો કોઈ વિકલ્પ નથી; કારણ કે સમ્બન્ધો વગરનું સહજીવન પાયાવિહોણું હોઈને ક્યો વિકાસ આપી શકશે ?

કેથરિનના શબ્દો મારા મનમાં વારંવાર ગૂંજે છે કે ‘મારો બીજો જન્મ હું ભારતમાં ઈચ્છું છું….’. આપણી પાસે જે હોય તેની આપણે ક્યારે કદર કરતાં શીખીશું? મોટા શહેરોમાં રહીને મલ્ટિનેશનલ કંપનીઓમાં તગડી કમાણી કરતા આજના યુવાવર્ગને, તેમાં ય ખાસ કરીને યુવતીઓને, મારી એટલી જ વિનન્તિ છે કે તેઓ પોતાનાં જીવન–મૂલ્યોને સાચવીને પોતના ક્ષેત્રમાં પ્રગતિ કરે; કારણ કે આખરે ‘શીલ’ નામની પણ કોઈ વસ્તુ આ જગતમાં છે. સહજીવન તો સમ્બન્ધોના તાણાવાણાથી જ શોભે. આથી જ દાદા ધર્માધિકારીએ કહ્યું છે કે :

સહજીવનમાં સાથે રહેવાની ઈચ્છા છે,

સંગતિમાં જીવનનો આનંદ ને સુગંધ છે.

બાગમાં દરેક ફૂલની ખુશબો હોય છે,

તેમ દરેક વ્યક્તિનીયે સૌરભ હોય છે.

સહજીવનમાં સ્ત્રીની મધુર સુગંધ છે,

પુરુષનાયે સાંનિધ્યમાં વિશેષ સૌરભ છે.

તેથી જ બેઉને સાથે રહેવાની ઉત્કંઠા છે,

સહજીવનની પ્રેરણા નૈસર્ગિક છે.

પણ, સંયોજન અને વ્યવસ્થા સાંસ્કૃિતક છે,

જેઓ એકમેકના જીવનને સમ્પન્ન કરે છે,

સુરભિત કરે છે, એમનું સહજીવન

ચરિતાર્થ થાય છે, આનંન્દમય થાય છે…

મારી પૃચ્છાના જવાબમાં લેખિકાબહેન હીરલ શાહ કહે છે : ‘ઉત્તમકાકા, આ લેખ મેં ૨૦૧૦માં લખેલો. આજે હું લંડનમાં છું. પરણી છું. મારાં બે સંતાન પણ છે. મારી આજુબાજુ અને સમગ્ર પશ્ચિમવિશ્વમાં આ ‘સમ્બન્ધ વિનાના સહજીવન’(લીવ ઈન રિલેશનશીપ)નો વ્યવહાર વાયરાની જેમ વ્યાપેલો જોઉં છું. ભારત એમાં બકાત નથી. દરેક રીતિરિવાજના જેમ કેટલાક ફાયદા હોય, તેમ ગેરફાયદા પણ હોય જ. મારા વિચારોમાં આમૂલ પરિવર્તન તો નથી આવ્યું; પણ આ બદલાતા જમાનાની તાસીરને અને આવા રિવાજોનેયે, ઉદારતાથી જોવાની નજર જરૂર સાંપડી છે.’ – ઉત્તમ ગજ્જર

સર્જક-સમ્પર્ક : 17, Scott Close; Emmer Green, Reading, RG4 8NY, UK

e.mail – hiral.shah.91@gmail.com 

સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ બારમું – અંકઃ 369 –March 05, 2017

અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

Loading

...102030...3,4973,4983,4993,500...3,5103,5203,530...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved