Opinion Magazine
Number of visits: 9736338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાનમ પણ ન લાગે …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat|6 February 2026

રવીન્દ્ર પારેખ

આપણામાં હવે નાનમ, સંકોચ કે શરમ શોધવાં પડે એ સ્થિતિ છે. એનું મુખ્ય કારણ પ્રજા તરીકેનું આપણું મૌન છે. ગમે તે થાય, પણ એની સાથે કોઈ લેવાદેવા ન હોય એમ આપણે કતરાતું જીવીએ છીએ. એમ જીવવાનો પુરાવો જ એ કે શ્વાસ ચાલે છે. એથી વધારે જીવવાની જરૂર ન હોય એમ આ દેશના વિકાસમાંથી, તેના વ્યવહારમાંથી, તેનાં પરિણામોમાંથી આપણે, આપણી જાતને બહાર કાઢી લીધી છે. દેશ, દુનિયામાં કંઇ પણ થાય, આપણને કોઈ ફરક પડતો નથી. આપણને ચશ્માંની જેમ જ સંવેદનનાં નમ્બર આવ્યા હોય તેમ, કંઇ જ સ્પર્શતું નથી. એમાં પણ શિક્ષણની બાબતમાં આપણે સર્વનાશને જ નોતર્યો હોય એવી હાલત છે. કોઈ ઇચ્છતું નથી કે આપણે શિક્ષિત થઈએ. તે એટલે કે ભણે તો સામે શિંગડાં કરે, એટલે પ્રજા ભણે જ નહીં એવું તંત્ર ગોઠવાયેલું છે. સરકાર લોકશાહીનું મહોરું પહેરીને પ્રજાને બોલતી બંધ કરવા માંગે છે ને અત્યારે તો બોલે તો બે ખાય એવી સ્થિતિ છે. સરકારને કદાચ વિરોધ ખપતો નથી. નથી ખપતો એટલે ખુશામત કેન્દ્રમાં આવી રહે છે.

કેન્દ્ર સરકાર કે ઇવન રાજ્ય સરકારો પ્રમાણિક રીતે આંકડાઓ આપીને વિકાસ કે પ્રગતિનો ખ્યાલ આપતી રહે છે, પણ હકીકત કહી દેવાથી જે હાનિ પહોંચે છે, એમાં ફેર પડતો નથી. ઘાની જાણકારી, તે ઘાનો ઈલાજ નથી. આજનું વાતાવરણ નબળાઈઓને બચાવમાં ફેરવનારું છે. એક સમયે ગુનો ગણાતું કૃત્ય ગુણ ગણાય ને તેને સમર્થન આપનારા મળી રહે એ પણ બુદ્ધિની બલિહારી જ ને ! ઘણીવાર તો કોઈ પ્રતિક્રિયા પણ આવતી નથી. ગુજરાત રાજ્ય એમાં અવ્વલ નંબરે આવે એમ છે. થોડા વખત પર શિક્ષણ સંદર્ભે એવી વાત બહાર આવી કે ગુજરાત શિક્ષણ સંદર્ભે શ્રેષ્ઠ દસમાં તો નથી જ, પણ નબળા દસમાં પણ છેલ્લે છે. આવી સ્થિતિમાં સરકાર તરફથી કોઈ ખુલાસો નથી આવ્યો, એટલું જ નહીં, જે સ્થિતિ છે એમાં સુધાર થશે એવું આશ્વાસન પણ ક્યાંયથી મળ્યું નથી.

શિક્ષણની બાબતમાં શિક્ષણ વિભાગનું મૌન ઘાતક છે. દુનિયા કંઇ પણ કહે, તેને ફરક પડતો નથી. તેને જીવ જ બચ્યો ન હોય તેમ, ગમે તે થાય, કોઈ અસર નથી. લખલૂટ ખર્ચ થતો રહે, અધિકારીઓનાં પગાર પેન્શન થતાં રહે, રોજ પરિપત્રો ને ડેટાનો કારભાર ચાલ્યા કરે, ત્યારે જ શિક્ષણ વિભાગ સજીવ હોય છે, છતાં શિક્ષક અને શિક્ષણની ગુણવત્તા અંગે કોઈ ખુલાસો થતો નથી તે પ્રજાનું કમભાગ્ય છે.

વિદ્યાર્થીઓ નથી મળતા એવા બહાના હેઠળ સરકારી સ્કૂલો બંધ થતી રહે છે ને કોઈનું રૂંવાડું ય ફરકતું નથી. કોઈ પુરસ્કારની જાહેરાત હોય તેમ સ્કૂલો બંધ થવાના આંકડા અપાતા રહે છે ને એની કોઈ ચિંતા ગુજરાતમાં નથી. ગુજરાત સૌથી વધુ ઉદાસીન શિક્ષણ બાબતે છે. વસ્તી વધે છે, બાળકો વધે છે ને સ્કૂલો બંધ થાય છે. ડ્રોપ આઉટ રેશિયો વધતો જ આવે છે ને તેની ટકાવારી પણ સરકાર જ આપે છે. ગુજરાતમાં કરોડોની વસ્તી છતાં, વિદ્યાર્થીઓ નથી મળતા, એ બહાના હેઠળ સ્કૂલો બંધ થાય છે તે ચિંત્ય છે.

યુનિફાઈડ ડિસ્ટ્રિકટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE+) તરફથી ૩ સપ્ટેમ્બર, 2025ને રોજ વિગતો આવી તે જોઈએ. યુનિવર્સિટી મિનિસ્ટ્રી દ્વારા 2024-’25નાં શૈક્ષણિક વર્ષ માટે જાહેર થયેલ ડેટા એવું કહે છે કે દેશભરમાં 2021માં 15,09,136 સ્કૂલો હતી, જે છેલ્લાં પાંચ વર્ષમાં ઘટીને 14,71,473 થઈ છે. મતલબ કે 37,663 સ્કૂલો બંધ થઈ છે. આમાં 23,000 સરકારી અને ગ્રાન્ટ પર નભતી સ્કૂલો છે. 2024-‘25માં 5,30૩ સરકારી અને સહાય પર નભતી સ્કૂલો બંધ થઈ છે.

ગુજરાતમાં છેલ્લાં 8 વર્ષમાં 525 સરકારી સ્કૂલો બંધ થઈ છે, તે ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત હોવાને બહાને સરકાર 5,912 સ્કૂલો બંધ કરવાની વેતરણમાં છે. વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ગુજરાતમાં સૌથી વધુ છે. 2024-’25માં 54,541 બાળકો શાળા છોડી ગયાં હતાં. આમ તો એ આંકડો 2,40,486 હતો, પણ સરકારે 2,30,196 વિદ્યાર્થીઓને ફરી જોડ્યા એવું કહેવાય છે. એવું હોય તો એ સારી વાત છે. એ આંકડો 2025-’26માં ભારે ઉછાળા સાથે 2,40,809 પર પહોંચ્યો છે. એનો સાદો અર્થ એવો થાય કે ગરીબ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને તો શિક્ષણની કોઈ તક જ રહેતી નથી. ક્યાં તો એમણે ભણતર છોડવું પડે અથવા તો ખાનગી સ્કૂલોમાં ભારે ફી ભરીને એડમિશન લેવું પડે. હવે એટલી તાકાત હોત તો તે ગરીબ કે નબળો હોત જ શું કામ?

એક તરફ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઇ રહી છે, તો બીજી તરફ ખાનગી સ્કૂલો શરૂ થઈ રહી છે. 2024-‘25માં જ 5,30૩ સ્કૂલો બંધ થઇ છે, તો સામે 8,475 ખાનગી સ્કૂલો શરૂ થઈ છે. આ આંકડો 2023 -’24માં 7,678 હતો. મતલબ કે એક વર્ષમાં 797 પ્રાઇવેટ સ્કૂલો ખૂલી અને 5,30૩ સ્કૂલો બંધ થઈ. એવું નથી લાગતું કે શિક્ષણ વિભાગની જ દાનત નથી કે સ્કૂલો ચાલુ રહે? વિદ્યાર્થીઓ નથી એમ સરકાર કહે છે, તો 797 ખાનગી સ્કૂલો એક જ વર્ષમાં ખૂલે એવું બને ખરું? સરકારી સ્કૂલોમાં મફત ભણવાનું છે ને ત્યાં વિદ્યાર્થીઓ જતાં નથી ને ખાનગી સ્કૂલોમાં મોંઘી ફી ભરીને દાખલ થાય એમાં કયો તર્ક કામ કરે છે, તે નથી સમજાતું. લોકોના ટેક્સમાંથી સરકારી સ્કૂલો ચાલે છે, તે દયા દાન ધરમથી નથી ચાલતી ને તોય સરકારી સ્કૂલો બંધ થાય છે, એમાં સરકારની દાનત એ છે કે સરકારી સ્કૂલો બંધ થવા દેવી ને ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપવું. જેથી સરકારી સ્કૂલો ગમે ત્યારે ઓવારી દઈ શકાય.

વારુ, દેશમાં જે સરકારી સ્કૂલો ચાલે છે તેમાં પ્રાથમિક સુવિધાઓનાં પણ ઠેકાણાં નથી. 1.54 લાખ સ્કૂલોમાં પુસ્તકાલય નથી. 14.21 લાખ સ્કૂલોમાંથી 13.72 લાખમાં જ કન્યાઓને શૌચાલયની સગવડ છે. છોકરાઓ માટે 13.90 લાખ સ્કૂલોમાં શૌચાલય છે, પણ ચાલુ હાલતમાં 13.34 લાખ જ છે. 14,432 સ્કૂલોમાં પીવાના પાણીની સગવડ નથી. 2,48,822 સ્કૂલોને રમતનું મેદાન જ નથી. 850થી વધુ શાળાઓ 1-1 શિક્ષકથી ચાલે છે. કાયમી શિક્ષકોની ભરતી થતી નથી અને બીજી તરફ સ્કૂલોમાં ભણાવવા પૂરતા શિક્ષકો નથી. બધી જ અછત ને કરકસર શિક્ષણમાં જ છે ને કેન્દ્ર કે રાજ્ય સરકારોને એનો જરા ય અફસોસ કે સંકોચ નથી તે દુ:ખદ છે. સ્કૂલ હોય ને શિક્ષક ન હોય એ તે કેમ ચાલે? વગર શિક્ષકે ભણાવવાનો સરકાર વિક્રમ કરવા માંગતી હોય તેમ તે વર્તે છે. છેલ્લે ૩ ફેબ્રુઆરીએ એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રીએ જે આંકડાઓ જાહેર કર્યા છે તે જોવા જેવા છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લાં 10 વર્ષમાં 93,00૦ શાળાઓ બંધ થઈ છે. એમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 24,60૦ છે. બીજા નંબરે મધ્ય પ્રદેશમાં એ આંકડો 22,40૦નો છે. આ આંકડાઓ વસ્તીનાં પ્રમાણમાં અન્ય રાજ્યોમાં પણ દયનીય છે. આવા બધા આંકડા સરકાર જાહેર કરે છે, એમાં અફસોસ કે હતાશાનો સૂર નથી. એમાં સચ્ચાઈ હોય તો પણ, તે એવી રીતે રજૂ થાય છે કે દેશે જાણે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. 93,00૦ સ્કૂલો બંધ થાય ને ચામડી તતડે નહીં તો એમાં નીમ્ભરપણું જ પ્રગટ થાય છે. એ આંકડાઓ ઘટે એ માટે કોઈ પ્રયત્ન થતા હોય એવું લાગતું નથી. એવું હોત, તો આંકડાઓ વધવાને બદલે ઘટ્યા હોત, પણ એવું લાગતું નથી.

શિક્ષણને મામલે આખો દેશ ખંધો પુરવાર થઈ રહ્યો છે. શરમ તો દૂર દૂર સુધી ક્યાં ય જણાતી જ નથી. આટલી નિર્લજ્જતા ને નફ્ફટાઈ દેશમાં અગાઉ ક્યારે ય ન હતી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ફેબ્રુઆરી 2026

Loading

સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 February 2026

સુરક્ષા 

ટાળંટોળી છેવટે તો છબી જ બગાડશે

નેતા પ્રતિપક્ષે જેના તરફ ધ્યાન દોરવા માંગ્યું છે તે વિગત બાબતે ટેકનિકલ આડશનો વ્યૂહ રાષ્ટ્રીય સુરક્ષાને મોરચે સલાહભર્યો નથી. નેતૃત્ત્વ ચાહે તો આ મર્યાદાનો ખુલ્લા દિલે સ્વીકાર કરીને દેશને દોષ–દુરસ્તીની રીતે વિશ્વાસમાં લઈ શકે છે.

પ્રકાશ ન. શાહ

28મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદનાં બંને ગૃહોને વિધિવત સંબોધન તો કર્યું, પણ એમના સંબોધન પરની લોકસભાની ચર્ચા, વિમાન ભલે ચકરાવા પર ચકરાવા લે પરંતુ ઉડ્ડયન ન કરી શકે એવી સ્થિતિમાં આ દિવસોમાં મુકાઈ ગયેલી વરતાય છે. વડા પ્રધાન છેવટે બુધવારે સાંજે બોલી શકશે એમ જણાતું હતું પણ ચાલતે છતે નહીં ચાલેલી તો નહીં ચાલ્યાથી જ ચાલ્યા જેવી ચર્ચા હવે ગુરુવારે અગિયાર વાગ્યે ચકરાવેથી ઉડ્ડયન લગી, વડા પ્રધાનના સંભવિત ઉત્તર સાથે આગળ વધે છે કે કેમ તે જોવું રહે છે. 

આ અનિશ્ચિતતાના મૂળમાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ ઊભો કરવા ધારેલ મુદ્દો છે કે એ મુદ્દો બાબતે સત્તાવાર ટાળંટાળીનો રવૈયો છે, એમ બેઉ છેડેથી જોઈ શકાય. પણ એક વાત ચોક્કસ છે કે સત્તાપક્ષ એ મુદ્દો ટાળવાની પેરવી ને પેચ પવિત્રામાં છે અને અધ્યક્ષ ઓમ બીરલાની આ ટાળંટાળીમાં કથિત ટેકનિકલ આડશે પ્રધાનમંડળના ભેરુ જેવી છાપ ઊપસી રહી છે. ગૃહને સત્તાપક્ષ સાથે સમીકૃત કરવાનો એમનો આશય ન હોય તો પણ કમનસીબે ચિત્ર તો એવું અને એવું જ ઊપસી રહ્યું છે. 

પ્રસ્તાવના જરી લંબાઈ ગઈ, આસપાસ ગાલિબ હાજર હોય તો ગઝલનુમા ડબકો પણ મૂકી દે કે, ‘માજરા કયા હૈ’. ભાઈ, સમજવાનું એ છે કે હાલની સરકાર રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાને પોતાની અનન્યસાધારાણ ઓળખ સરખું મહત્ત્વ આપી રહી છે, આગલી સરકાર દબ્બુ હતી અને પોતે સવા શેર છે એવી એક મૂછેતાવ મુદ્રાના રક્ષણને એ અહોરાત્ર અભિભાષણ પર નેતા પ્રતિપક્ષે કરેલી કિંચિત ચર્ચાકોશિશમાં એને આ ઓળખમાં ગોબો બલકે કાણું પડવાનો કંઈક ભય લાગે છે. છેવટે તો એ આપણી સરકાર છે, અને આપણે ઇચ્છીએ કે આપણી છાપ ખોટી પડે. પણ એ તો ચર્ચા ચાલવા દેવાય અને ધોરણસર જવાબ અપાય તે પછી જ નક્કી થઈ શકે ને.

ઓગસ્ટ 2020માં પૂર્વ લડાખમાં ભારત-ચીન સીમાસંઘર્ષનું ખરું ને પૂરું ચિત્ર આજે છઠ્ઠે વરસે પણ દેશજનતા સમક્ષ નથી આવ્યું એ વિગત ઉજાગર કરી સુરક્ષા મોરચે કિલ્લેબંદીની રીતે આપણે ઊણા પડ્યાના ને ઊણા ન પડવું જોઈએ એની ચર્ચા નેતા પ્રતિપક્ષને અભિમત છે. એ સત્તાપક્ષ અને ખાસ તો રાષ્ટ્રીય નેતૃત્વ પર પ્રહાર કરવા ઇચ્છતા હોય એટલા માત્રથી તો એમને રોકી ન શકાય પણ નેતા પ્રતિપક્ષ પાસે તે વખતના લશ્કરી વડા નરવણે થકી બહાર આવેલ વિગત હુકમના એક્કા જેવી છે. નેતૃત્વ ચાહે તો આ મર્યાદાનો ખુલ્લા દિલે સ્વીકાર કરીને દેશને દોષદુરસ્તીની રીતે વિશ્વાસમાં લઈ શકે છે. પણ જે રીતે ટાળંટાળીનો એનો રવૈયો આપણી સામે આવ્યો છે એ જોતાં હાલ તો ઊભી થતી છાપ કશીક દિલચોરી અને કમજોરીની છે. અલબત્ત, ગુરુવારે ચર્ચા આગળ ચાલે અને વડા પ્રધાન અને એમના સાથીઓ ધોરણસર વાત મૂકે (મૂકી શકે) તો ચોક્કસ કંઈક જુદી વાત પણ બને. 

નરવણેનાં સ્મરણો બોલે છે કે જે ઢળતી સાંજે ને બેસતી રાતે ચીની લશ્કરી કારવાઈ સામે તાત્કાલિક સૈનિકી કામગીરીની તાકીદ હતી ત્યારે છેક રક્ષામંત્રી સુધી ને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વગેરે સુધી મિનિટ બ મિનિટ દરબદર ભટકવાની નિયતિ એમની હતી. લશ્કરી સૂઝસમજ અને સુગ્રધિત ચારિત્ર્ય એ નરવણેની ચિરઓળખ એમની સમગ્ર કારકિર્દીમાં રહી છે. તત્ક્ષણ નિર્ણય લઈ આખી વાતને નિર્ણાયક અંજામ આપવાની એમની કાબેલિયત ચર્ચાતીત છે. 

કમનસીબે, જેવી રાહુલ ગાંધીએ નરવણેના આપણે ત્યાં પુસ્તકરૂપે અપ્રકાશિત સંસ્મરણોનો હવાલો ‘ઉપરના હુકમની રાહ જોવાની’ એમની નિરુપયતા રજૂ કરવાની કોશિશ કરી ત્યાં રક્ષા મંત્રી ને ગૃહ મંત્રી બિલકુલ સરહદી મુઠભેડની રીતે ઊભા થઈ ગયા. ‘પુસ્તક પ્રગટ થયું નથી’ (અમે રજા નથી આપી)ની તરજ પર એમણે એનો હવાલો બિનસંસદીય જણાવ્યો હતો. રાહુલ ગાંધી પાસે જે સામગ્રી હતી તેને ઓથેન્ટિકેટ કરાવી આગળ વધી શકાયું હોત, પણ …

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 04 ફેબ્રુઆરી 2026

Loading

આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ

દીપક મહેતા|Opinion - Literature|5 February 2026

ગ્રંથયાત્રા – 25

એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ (૧૮૨૧-૧૮૬૫) ગુજરાત બહાર મુખ્યત્વે ‘રાસમાળા’ના કર્તા તરીકે જાણીતા છે. તેમણે ગુજરાતનાં ઇતિહાસ, કળા, સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, વગેરેનો અભ્યાસ કરી તેનું ઉચિત ગૌરવ કર્યું અને ‘રાસમાળા’ના બે દળદાર ગ્રંથ દ્વારા ગુજરાતના ભૂતકાળની મહત્તા પહેલીવાર અંગ્રેજીભાષી વિદ્વાનો અને અભ્યાસીઓ આગળ રજૂ કરી. પણ ‘રાસમાળા’ એ ફાર્બસની એક માત્ર કૃતિ નથી. તેમણે કરેલા બે કૃતિઓના અંગ્રેજી અનુવાદ તરફ આજ સુધીમાં આપણે ત્યાં ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે.

ફાર્બસના અવસાન પછી ‘જર્નલ ઓફ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી’ના ૧૮૬૭-૭૦ના અંક ૯મા ફાર્બસની બીજી એક કૃતિ પણ છપાયેલી જોવા મળે છે (પા. ૨૦ થી ૧૦૦). અલબત્ત, આ તેમની મૌલિક કૃતિ નથી, પણ રત્નમાળ નામની કૃતિનો અનુવાદ છે. આ કૃતિનું કર્તૃત્ત્વ કૃષ્ણાજી નામના કવિનું હોવાનું મનાય છે. અનુવાદ સાથેની પાદટીપમાં એ જર્નલના સંપાદકે નોંધ્યું છે : 

“મને જેવો મળ્યો તેવો જ આ અનુવાદ અહીં છાપ્યો છે. ૧૮૪૯માં આ અનુવાદ કર્યા પછી ફાર્બસે તેમાં કશા સુધારા-વધારા કર્યા નથી.”

 

 

રત્નમાળનું પહેલું પાનું

એટલે કે રાસમાળા લખી તે પહેલાં ફાર્બસે આ અનુવાદ કર્યો હતો અને એક વાર કર્યા પછી ફરી મઠાર્યો નહોતો. દલપતરામની મદદથી ફાર્બસે ગુજરાતના ઇતિહાસ અંગેની જે કૃતિઓ એકઠી કરી હતી તેમાં આ રત્નમાળની હસ્તપ્રતનો પણ સમાવેશ થતો હતો. વઢવાણના દેશળજી ગઢવી પાસેથી આ હસ્તપ્રત મળી હતી. એ અધૂરી હતી, છતાં તે ગુજરાતના ઇતિહાસને લગતી હતી તેથી ફાર્બસે દલપતરામ પાસે તેનો ડીંગળમાંથી ગુજરાતીમાં અનુવાદ કરાવ્યો હતો. મૂળ પદ્યમાં લખાયેલી આ કૃતિનો દલપતરામે ગદ્યમાં અનુવાદ કર્યો હતો, અને તેના પરથી ફાર્બસે અંગ્રેજી અનુવાદ કર્યો હતો. પણ ખાસ ધ્યાનપાત્ર બાબત એ છે કે ફાર્બસે પોતાના અનુવાદમાં પદ્યરચનાના બંધને અનુસરવાનો પ્રયત્ન કર્યો છે. આ કૃતિ મેળવવા પાછળ અને તેનો અનુવાદ કરવા પાછળ ફાર્બસનો હેતુ રાસમાળાના લેખનમાં મદદરૂપ થાય તેવી સામગ્રી તૈયાર કરવાનો હતો. અનુવાદ પ્રગટ કરવાનો તેમનો આશય નહિ હોય. આથી તેમણે અનુવાદ માટે પ્રસ્તાવના લખી નથી. આ કૃતિના જે આઠ રત્ન (ખંડ) બચ્યા છે તે મુખ્યત્વે સોલંકી વંશના રાજાઓને લગતા છે. આરંભ રાજા ભુવડની વાતથી થાય છે. પોતે આવાં ૧૦૮ રત્નોની રચના કરવા માગે છે અને રાજા જયસિંહ સિદ્ધરાજ સુધીના વૃત્તાન્તને આવરી લેવા માગે છે એમ તેના કર્તાએ કહ્યું છે. ચાવડા વંશ વિષે સંક્ષેપમાં વાત કર્યા પછી કર્તા રાજા ભુવડ અને ચાવડા વંશના રાજા જય શિખરી વચ્ચેની લડાઈનું વર્ણન કરે છે. ભુવડને હાથે રાજા જય શિખરી મરાય છે અને તેના પુત્ર વનરાજનો જન્મ થાય છે ત્યાં આઠમું (અને અત્યારે મળતું છેલ્લું) રત્ન પૂરું થાય છે. ફાર્બસના અવસાન પછી આ અનુવાદ જસ્ટિસ ન્યુટને ૧૮૬૮ના ફેબ્રુઆરીની ૧૩મી તારીખે એશિયાટિક સોસાયટીના સભ્યો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો, અને પછીથી સોસાયટીના જર્નલમાં તે પ્રગટ થયો હતો. 

રત્નમાળની હસ્તપ્રત

ફાર્બસના અનુવાદની વિશિષ્ટતાનો ખ્યાલ આવે તે માટે તેના અનુવાદનો થોડો ભાગ જોઈએ :

Among cows, Kamadhenu is a jewel,

Among trees, the jewel is Mandar,

Among men, the learned man is a jewel,

Among women, the faithful wife is a jewel.

A tailor, an artificer, a wanio, a Bhat,

A barber, an outcast, a potter,

A physician, a man who knows the Veds,

A watchman, a land’s lord, a Josi,

The city in which these are not

Is not a city, but a jangal;

The whole of this flourish then only

When there are good poets.

The past, the future, the present,

Many men and cities we hear of;

But they who obtain a poet,

Their name alone remains famous.

The poet’s verses are pleasing,

Men and women delight to read them,

As a pearl in the world shines,

The drop of rain in the oyster’s mouth.

Therefore Raja Bhuwad, he

Poet’s skill was examining;

Krore on krore of money spending,

He kept them to his own city bringing them.

આ કૃતિ અંગે બીજી એક વાત પણ નોંધવી જોઈએ. ફાર્બસે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ પહેલાં પ્રગટ થયો, મૂળ કૃતિ (જેટલી ઉપલબ્ધ હતી તેટલી) તો છેક ૧૯૦૩માં છપાઈ હતી. રેવાશંકર અંબારામ ભટ્ટે તે છપાવીને પ્રગટ કરી હતી. જો કે પુસ્તકના ટાઈટલ પેજ પર તેમણે આ કૃતિ દલપતરામે લખી હોવાનો ભ્રમ ઊભો થાય તે રીતે તેમનું નામ મૂક્યું છે : “આ ગ્રંથ એલેક્ઝાન્ડર કીન્લાક ફાર્બસ સાહેબે મેળવેલો અને કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ લખેલો.’ આપણે અગાઉ જોયું તેમ દલપતરામ રત્નમાળના કર્તા નથી, અનુવાદક છે. છપાયેલા પુસ્તકમાં દલપતરામે એકઠી કરેલી બીજી કેટલીક સામગ્રી પણ રેવાશંકરે સમાવી લીધી છે. 

૧૮૫૬માં પ્રગટ થયેલ અંગ્રેજી રાસમાળાની પ્રસ્તાવનામાં એક વાક્ય આવું જોવા મળે છે :

“પ્રબંધ ચિંતામણીની એક નકલ મને ભેટ આપવા માટે અને તેના અનુવાદમાં અનિવાર્ય એવી મદદ કરવા માટે હું પીરચંદજી ભૂધરજીનો ખાસ આભારી છું.” તેઓ મારવાડના વતની હતા અને જૈન હતા. તેઓ હતા તો વેપારી, અને વેપારીઓ મોટે ભાગે સાહિત્ય પ્રત્યે ઉદાસીન હોય છે. પણ પીરચંદજી પ્રશિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય બંનેના સારા જાણકાર હતા.     

આનો અર્થ એ થયો કે ફાર્બસે ‘પ્રબંધ ચિંતામણી’નો અનુવાદ પણ કર્યો હતો. પણ પ્રસ્તાવનામાંના આ વાક્ય ઉપર આજ સુધી ભાગ્યે જ કોઈએ ધ્યાન આપ્યું છે. તેનું એક કારણ એ હોઈ શકે કે આભાર દર્શનના ફકરામાંનાં આવાં વાક્યો ઘણાખરા વાચકો વાંચતી વખતે કૂદાવી જતા હશે – એમાં તે શું વાંચવું, એમ વિચારીને. રત્નમાળાનો ફાર્બસે કરેલો અનુવાદ એશિયાટિક સોસાયટીના જર્નલમાં પ્રગટ થયો ત્યારે જસ્ટિસ ન્યૂટને સાથે એક નાની નોંધ ઉમેરી હતી. તેમાં તેમણે પણ ફાર્બસે કરેલા પ્રબંધ ચિંતામણીના અનુવાદનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહિ, ફાર્બસે પોતાના અનુવાદને અંતે મૂકેલી નોંધ પણ તેમણે શબ્દશઃ ટાંકી હતી :

“જો આ પુસ્તક બીજા કોઈના હાથમાં આવે તો મારે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ અનુવાદ સો ટકા સાચો છે એવો મારો દાવો નથી. મારા પોતાના ઉપયોગ માટે જ મેં આ અનુવાદ તૈયાર કર્યો છે.” 

આનો અર્થ એ થયો કે ફાર્બસે કરેલો પ્રબંધ ચિંતામણીનો અનુવાદ જસ્ટિસ ન્યૂટને જોયો હતો. નહિતર તેમણે ફાર્બસે લખેલી નોંધ અહીં શબ્દશઃ ટાંકી હોત નહિ. પણ પ્રબંધ ચિંતામણીનો ફાર્બસે કરેલો અનુવાદ ક્યારે ય પ્રગટ થયો હતો ખરો? બ્રિટિશ લાયબ્રેરી, અમેરિકાની લાયબ્રેરી ઓફ કાઁગેસ, બીજાં કેટલાંક પુસ્તકાલયો, અને ઈન્ટરનેટ પર તપાસ કર્યા છતાં ફાર્બસનો આ અનુવાદ પ્રગટ થયાની માહિતી ક્યાંયથી આ લખનારને મળી નહિ. પણ તો પછી જસ્ટિસ ન્યૂટને અનુવાદની જે હસ્તપ્રત જોઈ હતી તે ક્યાં ગઈ? ફાર્બસે પોતાના સંગ્રહમાંનાં કેટલાંક પુસ્તકો મુંબઈની એશિયાટિક સોસાયટીને ભેટ આપ્યાં હતાં, પણ એ સોસાયટી પાસે એ હસ્તપ્રત નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યા સભા) પાસે નથી. ફાર્બસના અવસાન પછી હસ્તપ્રતો અને પુસ્તકોના તેમના સંગ્રહનો મોટો ભાગ મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ ફાર્બસનાં પત્ની પાસેથી ખરીદી લીધો હતો. પછીથી મેળવેલી હસ્તપ્રતોની સાથે એ સંગ્રહ પણ આ સંસ્થાની લાયબ્રેરીમાં પ્રમાણમાં સારી રીતે આજ સુધી જળવાયો છે. આ લખનારે એ સંગ્રહમાં ખાંખાંખોળાં કરવાનું શરૂ કર્યું. અને એક દિવસ આનંદનો પાર ન રહ્યો. સાચા ચામડામાં બાંધેલો એક ચોપડો. સારા, જાડા કાગળ. અને તેમાં ફાર્બસના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલો પ્રબંધ ચિંતામણીનો અંગ્રેજી અનુવાદ! દોઢસો વર્ષ કરતાં ય વધુ જૂનો ચોપડો, ફાર્બસના પોતાના મરોડદાર રનિંગ હેન્ડ અક્ષરો! એ પાનાંને અડતાં પણ રોમાંચ થાય! ફાર્બસના અવસાન પછી થોડા વખતમાં જ આ બધી સામગ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મેળવી હતી અને ત્યારથી આજ સુધી આ ચોપડો તેની પાસે જ રહ્યો છે, એટલે ફાર્બસના અવસાન પછી આ અનુવાદ કોઈએ છાપ્યો હોય એ સંભવિત નથી. પણ પછી એક સવાલ થયો: જસ્ટિસ ન્યૂટને જે હસ્તપ્રત જોઈ હતી તે આ જ હસ્તપ્રત? હા ચોક્કસ. પણ ખાતરીથી કેમ કહી શકાય? કારણ જસ્ટિસ ન્યૂટને ફાર્બસની જે નોંધ પોતાની પાદ ટીપમાં ટાંકી છે તે અક્ષરશઃ આ અનુવાદને અંતે જોવા મળે છે. 

પ્રબંધ ચિંતામણીના અનુવાદની હસ્તપ્રતને અંતે ફાર્બસે મૂકેલી નોંધ

અનુવાદના પહેલા પાને પોતે આ અનુવાદ કરવાનું કામ ૧૮૪૯ના મે મહિનાની ૨૨મી તારીખે શરૂ કર્યું હોવાનું ફાર્બસે નોંધ્યું છે. એટલે કે રાસમાળા પ્રગટ થઇ તેના કરતાં સાત વર્ષ પહેલાં તેમણે આ અનુવાદ કર્યો હતો. હસ્તપ્રતના છેલ્લા પાનાની નીચે ફાર્બસે તારીખ નાખી છે : ૧૫ ઓગસ્ટ, ૧૮૪૯. એટલે કે ફાર્બસે આ અનુવાદ ત્રણ મહિના કરતાં ય ઓછા સમયમાં કર્યો હતો. પ્રબંધ ચિંતામણી જેવી કૃતિનો અનુવાદ આટલા ટૂંકા સમયગાળામાં કરવો એ સહેલી વાત નથી. 

ઈ.સ. ૧૩૦૪માં વર્ધમાન પૂરમાં જૈન સાધુ મેરુતુંગાચાર્યે લખેલા આ પ્રબંધમાં સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ, અને કેટલીક સ્થાનિક બોલીઓનો ઉપયોગ થયો છે. આમ, એક કરતાં વધુ ભાષાને કારણે તેનો અનુવાદ કરવાનું કામ વધુ મુશ્કેલ બને છે. ગુજરાતના અને તેની આસપાસના પ્રદેશના રાજાઓ, તેમનાં જીવન, શાસન, યુદ્ધો, તેમાં મળેલા વિજયો કે પરાજયો વગેરેની વાત આ ગ્રંથમાં થઇ છે. જુદા જુદા રાજાઓને લગતા ઘણા રસપ્રદ કિસ્સાઓ પણ તેમાં વણી લેવાયા છે. રાજ દરબારની રીતભાત, કવિઓ વચ્ચે યોજાતી સ્પર્ધાઓ, વગેરેની વિગતો પણ તેમાં વણી લેવાઈ છે. 

આ અનુવાદ કરવા પાછળનો ફાર્બસનો હેતુ રાસમાળાના લેખનમાં ઉપયોગી થાય તેવી સામગ્રી એકઠી કરવાનો હતો. તેથી તેમણે સમગ્ર કૃતિનો અનુવાદ કર્યો નથી. તેના પાંચ ‘પ્રકાશ’માંથી પહેલા બેનો અનુવાદ ફાર્બસે કર્યો નથી. માત્ર ત્રીજા, ચોથા, અને પાંચમાં ‘પ્રકાશ’નો અનુવાદ કર્યો છે. હિસાબ માટેના ચોપડા(લેજર)ના કદના દરેક પાનાને ફાર્બસે બે કોલમમાં વહેંચ્યું છે. ડાબી બાજુની કોલમ મોટે ભાગે કોરી રાખી છે. માત્ર કેટલીક નોંધ કે સંસ્કૃત શબ્દોના અર્થ ડાબી કોલમમાં નોંધ્યા છે. અનુવાદ જમણી કોલમમાં લખ્યો છે. આમ કેમ કર્યું હશે? એક કારણ એ હોઈ શકે કે પછીથી મૂળ કૃતિનો પાઠ બીજા કોઈ પાસે ડાબી કોલમમાં લખાવી લેવાનું તેમણે વિચાર્યું હોય. પણ વધુ સંભવિત કારણ એ છે કે હાથે લખાતી હસ્તપ્રતમાં પાનાની નીચે પાદ ટીપ લખવાનું ફાવે નહિ. તેથી પાદ ટીપ જેવી નોંધો લખવા માટે તેમણે ડાબી કોલમ રાખી હોય. 

આજથી ૧૭૭ વર્ષ પહેલાં એક અંગ્રેજ અમલદાર પ્રબંધ ચિંતામણી જેવી કૃતિનો અંગ્રેજી અનુવાદ કરે અને તેની હસ્તપ્રત આજ સુધી સચવાઈ રહે, અને તે પણ પ્રમાણમાં સારી હાલતમાં, એ નાનીસૂની વાત નથી. હવે આ અનુવાદ ગ્રંથ રૂપે પ્રગટ થાય તો ફાર્બસના ગુજરાત-યજ્ઞનું એક વધુ સમિધ અભ્યાસીઓ સુધી પહોચી શકે.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

04 ફેબ્રુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...33343536...405060...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved