Opinion Magazine
Number of visits: 9456090
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘શોલે’ અન-સેન્સર્ડ : સિપ્પીને એવો ડાકૂ જોઈતો હતો જેને ક્રૂરતામાં આનંદ આવે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 August 2025

રાજ ગોસ્વામી

‘શોલે’ 25 ઓગસ્ટ 2025ના રોજ 50 વર્ષ પૂરાં કરે છે. એ નિમિત્તે, સેન્સરબોર્ડના કારણે કાપી નાખવામાં આવેલાં અમુક દૃશ્યો સાથે ફિલ્મને ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે. મહિના પહેલાં, ઇટાલીના સિનેમા રિટ્રોવાટો ફેસ્ટિવલમાં તેનો એક શો યોજાઈ પણ ગયો છે. આ સપ્તાહે તે નોર્થ અમેરિકામાં રિલીઝ થઇ છે. ભારતમાં તારીખ જાહેર થઇ નથી. 

ભારતના ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન અને સિપ્પી ફિલ્મ્સના સહકારમાં મૂળ ફિલ્મ જે રીતે બનાવવામાં આવી હતી તેને ફરીથી જોડવામાં આવી છે. જેમ કે મૂળ વાર્તા પ્રમાણે, કલાઇમેક્સમાં ઠાકુર બલદેવ સિંહ તેમના ખીલાવાળા પગથી ગબ્બરસિંહની હત્યા કરીને વેર લે છે, પરંતુ તે વખતે દેશમાં કટોકટીનો માહોલ હતો એટલે સેન્સર બોર્ડે કાયદો હાથમાં લેવાની વાતનો વિરોધ કર્યો, પરિણામે ફિલ્મના નિર્માતા-નિર્દેશક રમેશ સિપ્પીએ છેલ્લા દૃશ્યમાં ગબ્બરને પકડવા માટે પોલીસને પહોંચતી બતાવી હતી.

એવી જ રીતે, ગબ્બરની હિંસાને વધુ પડતી નહીં બતાવવા માટે, ઈમામ ચાચા(એ. કે. હંગલ)ના દીકરા અહેમદ(સચિન પિલગાંવકર)ની હત્યાનું દૃશ્ય પણ કાપી નાખવામાં આવ્યું હતું. તમને યાદ હોય તો ગબ્બર ખાટલામાં ઊંધો પડીને હેલનનો ડાન્સ જુવે છે અને તે વખતે તેના હાથ પર એક કીડી ચઢે છે એટલે તે બીજા હાથની ઝાપટથી કીડીને મારી નાખે છે. એ પછી તે દૃશ્ય કટ થાય છે અને બીજા દૃશ્યમાં અહેમદનો મૃતદેહ એક ઘોડા પર રામગઢમાં આવતો બતાવ્યો હતો.

એવું લાગે છે કે જે પ્રમાણે ફિલ્મને શૂટ કરવામાં આવી હતી તેમાં ગબ્બર સિંહનો કિરદાર ઘણો વધુ ક્રૂર હતો. સેન્સર બોર્ડની સૂચના પ્રમાણે એવાં અનેક હિંસક દૃશ્યોને દૂર કર્યા પછી 198 મિનિટની લંબાઈવાળી ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. જો કે 1990માં મૂળ 204 મિનિટની ફિલ્મ હોમ મીડિયા પર ઉપલબ્ધ થઇ ચુકી હતી.

2018માં, પૂણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલતાં ફિલ્મમાં નિર્દેશક રમેશ સિપ્પીએ કહ્યું હતું, “મેં ઠાકુર તેના પગ વડે ગબ્બરને મારી નાખે છે તેવો એન્ડ શૂટ કર્યો હતો, પરંતુ સેન્સર બોર્ડે તે ગમ્યું નહોતું. હું ગૂંચવાઈ ગયો હતો – તો પછી ઠાકુર તેને કેવી રીતે મારે? હાથ તો હતા નહીં એટલે હથિયાર ચલાવી ન શકે. બોર્ડને અન્ય હિંસા પણ ગમી નહોતી. તેમણે કહ્યું કે એન્ડ બદલો. મને ગમ્યું નહોતું, પણ માનવું પડ્યું.”

‘શોલે’ કેવી રીતે હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી સફળ અને લોકપ્રિય ફિલ્મ બની તેની કહાની પણ એક ફિલ્મના પ્લોટથી ઓછી નથી. તેના લેખકો સલીમ-જાવેદ પર “રિટન બાય સલીમ-જાવેદ” નામના પુસ્તકમાં લેખક-પત્રકાર દિપ્તકીર્તિ ચૌધરી લખે છે કે શરૂઆતમાં સલીમ-જાવેદે બલદેવ પુષ્કર્ણા નામના ફિલ્મ નિમાર્તાને 20 હજાર રૂપિયામાં માત્ર ચાર લાઈનની એક વાર્તા ઓફર કરી હતી – એક આર્મી ઓફિસરના પરિવારની હત્યા થાય છે. તેને કોર્ટમાર્શલ થયેલા બે જુનિયર ઓફિસર યાદ આવે છે. એ બે બદમાશ પણ સાહસિક હતા. નિવૃત્ત ઓફિસર વેરની વસૂલાત માટે એ બે જણાની મદદ લે છે.

બલદેવ પુષ્કર્ણાએ જીતેન્દ્ર અને મુમતાઝ સાથે ‘રૂપ તેરા મસ્તાના’ (1972) નામની એક હિટ ફિલ્મ બનાવી હતી અને નવી ફિલ્મ માટે મનમોહન દેસાઈને રોક્યા હતા. દેસાઈએ ત્યારે ‘સચ્ચા-જૂઠા’ અને ‘રામપુર કા લક્ષ્મણ’ નામની સફળ કોમેડી ફિલ્મો આપી હતી. તેમને આ વેરની વસુલૂત વાળો વિષય પસંદ ન આવ્યો. એટલે સલીમ-જાવેદે તેમને ‘સચ્ચા-જૂઠા’ની વાર્તા ઓફર કરી. 

તે વખતે પ્રકાશ મહેરા તેમની વાર્તા પરથી ‘ઝંઝીર’ બનાવી રહ્યા હતા એટલે તેમની પાસે પણ આ વેરની વસૂલાતની વાર્તા માટે સમય નહોતો. સલીલ-જાવેદ પછી તેમના મૂળ ‘સાહેબ’ જી.પી. સિપ્પી પાસે ગયા. તેમની કારકિર્દીની શરૂઆત સિપ્પી ફિલ્મ્સમાં જ થઇ હતી, જ્યાં તેમણે ‘અંદાઝ’ (1971) અને ‘સીતા ઔર ગીતા’(1972)ની વાર્તા લખી હતી. 

તે વખતે સિપ્પી તગડી સ્ક્રિપ્ટની તલાશમાં હતા. અગાઉની બંને ફિલ્મોમાં સલીમ-જાવેદને નામ નહોતું મળ્યું. સિપ્પીના દીકરા રમેશ સિપ્પીએ ખાતરી આપી હતી કે તેઓ તેમની બીજી ફિલ્મમાં બંને લેખકોને ક્રેડિટ જરૂર આપશે. 

રમેશ સિપ્પી નવી પેઢીના સર્જક હતા અને તેમને આ બે નવાસવા પણ સર્જનાત્મકતાથી ભરેલા લેખકોની કિંમત સમજાતી હતી. તેમણે દોઢ લાખ રૂપિયામાં ચાર લાઈનની વાર્તા ખરીદી લીધી અને કહ્યું કે આને ‘મોટી ફિલ્મ’ તરીકે ડેવલપ કરો.

મુંબઈના લેમીંગ્ટન રોડ પર નાઝ બિલ્ડીંગમાં આવેલી સિપ્પી ફિલ્મ્સની ઓફીસના એક નાનકડા રૂમમાં સલીમ-જાવેદે માર્ચ 1973માં ‘શોલે’ની સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરી હતી. પંદર દિવસમાં તેમણે પહેલો ડ્રાફ્ટ લખી નાખ્યો. વાર્તા સાવ નવી નહોતી. પરદેશમાં ‘સેવન સમુરાઈ,’ મેગ્નનિફિશન્ટ સેવન’ અને હિન્દીમાં રાજ ખોસલાની ‘મેરા ગાંવ મેરા દેશ,’ અને ‘ખોટે સિક્કે’નો વિષય પણ આવો જ હતો. નિર્માતા-નિર્દેશક જોગીન્દરે પણ દાવો કર્યો કે આ તો મારી જ ફિલ્મ ‘બિંદીયા ઔર બંદૂક’(1972)ની ચોરી છે.

સલીમ-જાવેદે એ એકરાર કર્યો હતો કે તેમણે હોલીવૂડની ફિલ્મોમાં અહીં-તહીંથી અમુક આઈડિયા ઉઠાવ્યા હતા, પરંતુ તેમણે ડ્રામા, એક્શન, ઈમોશન્સ, ટ્રેજેડી અને કોમેડીનું એક એવું તોતિંગ સ્ટ્રકચર ઊભું કર્યું હતું જે હિન્દી સિનેમામાં બેજોડ હતું. નિર્દેશક તરીકે રમેશ સિપ્પી વચ્ચે તેમનો ઇનપૂટ પણ આપતા હતા એટલે સલીમ-જાવેદ ફિલ્મને ‘જોઈ’ શકતા હતા. 

દૃશ્યો લખાતાં હતાં, રદ્દ થતાં હતાં, પાત્રો આવતાં હતાં, નીકળી જતાં હતાં, જાણે વાર્તા જાતે જ પોતાને લખી રહી હતી. જાવેદ અખ્તર તેને યાદ કરીને કહે છે કે, “જાણે સર્જનાત્મકતાનો સમુદ્ર હિલ્લોરે ચડ્યો હતો. મને બરાબર યાદ છે કે અમે બે દૃશ્યો લખીએ અને રાહ જોઈએ કે હમણાં ગબ્બર આવશે.’ 

તેમને ગબ્બરનો કિરદાર લખવાની બહુ મજા આવી હતી. તેના માટે તેમણે એક અલગ જ ભાષા પેદા કરી હતી, જેનાથી તેની ક્રૂરતામાં ઔર નિખાર આવ્યો હતો. તેની ભાષામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બોલાતી અવધી અને ખડીબોલીનું મિશ્રણ હતું. ‘ગંગા-જમુના’માં ગંગા બનતા દિલીપકુમારની ભાષા પણ એવી હતી. જાવેદ કહે છે કે અમારો ગબ્બર બીજા ડાકૂઓની જેમ બસંતીની ‘ગોરી ચમડી ઉતાર દૂંગા’ એવું ન બોલે, તે ‘ખુરચ ખુરચ કે ઉતાર દૂંગા’ એવું બોલે. તેમાં તેની નિર્મમતા ઝળકે છે.

નસરીન મુન્ની કબીરના પુસ્તક ‘ટોકિંગ ફિલ્મ્સ’માં જાવેદ કહે છે, “ગબ્બરમાં મેક્સિકન ખૂન છે. એ બેન્ડિટ (લૂટારો) છે, ડાકૂ નહીં.” ગબ્બર હિન્દી ફિલ્મોનો પહેલો ડાકૂ હતો જે જીન્સમાં અને આર્મી શર્ટમાં હતો, તે ખૈની (તમાકુ) ખાતો હતો. ગબ્બરના કિરદારને બનાવવા પાછળ તેમને કોઈ સામજિક વિષમતા બતાવવી નહોતી. તેમને તો શુદ્ધ રૂપે એક એવો નિર્મમ ડાકૂ જોઈતો હતો જેને ક્રૂરતામાં આનંદ આવતો હોય.

ગબ્બર એક નવા જ પ્રકારનો ખલનાયક હતો. એટલે એમાં કોઈ જ આશ્ચર્ય નથી કે સંજીવ કુમાર અને અમિતાભ બચ્ચન બંને ગબ્બરનો કિરદાર કરવા માંગતા હતા. એ તો સિપ્પી અને સલીમ-જાવેદનો આગ્રહ હતો ગબ્બર દેખાવમાં પણ ક્રૂર હોવો જોઈએ. એટલા માટે તેમણે ડેની ડેન્ઝોગ્પાને રોકી પણ લીધો હતો, પરંતુ તેને ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ના શૂટિંગ માટે તેને અફઘાનિસ્તાન જવાનું આવ્યું એટલે તેણે ‘શોલે’ પડતી મૂકી અને સલીમ-જાવેદને નાટકોમાં કામ કરતા અમજદ ખાનનો વિચાર આવ્યો. અને પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઈઝ અ હિસ્ટ્રી.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 20 ઑગસ્ટ 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મહાત્માની કિટલી અને નરેન્દ્રની ચા 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|22 August 2025

હેમંતકુમાર શાહ

જબરો સંયોગ છે આશરે દોઢસો વર્ષના અંતરાલમાં!

મહાત્મા મોહનદાસ અથવા કહો કે મોનિયો હતા ત્યારની આ વાત છે. તેઓ તેમની આત્મકથાના બીજા પ્રકરણમાં લખે છે :

“હાઈસ્કૂલના પહેલા જ વર્ષનો પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્ય છે. કેળવણી ખાતાના ઇન્સ્પેક્ટર જાઇલ્સ નિશાળ તપાસવા આવ્યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્દ લખાવ્યા. એમાં એક શબ્દ કેટલ (kettle) હતો. તેની જોડણી મેં ખોટી લખી. માસ્તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ હું ઘણો ચેતું? મને એમ ભાસી ન શક્યું કે માસ્તર મને સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે. માસ્તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડ્યા ને એકલો હું ઠોઠ ઠર્યો! મારી ‘મૂર્ખાઈ’ મને માસ્તરે પાછળથી સમજાવી; પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડ્યું.”

મોહનદાસે ‘કિટલી’ શબ્દને બદલે ‘કેટલ’ શબ્દ ગુજરાતીમાં લખ્યો છે. અંગ્રેજી જોડણીમાં kettle તો કૌંસમાં લખેલો જ છે.

હવે જરા નરેન્દ્ર મોદીની વાત કરીએ. તેઓ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી આવી ત્યારે કહેતા રહ્યા કે તેઓ વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. તેઓ પણ કિટલીમાં જ ચા વેચતા હશે ને! 

જો કે, તેમને તેઓ ચા વેચતા હતા તે છેક ૨૦૧૪માં જ યાદ આવ્યું હતું. કદાચ એનું કારણ એ હતું કે વારાણસીમાં ઠેર ઠેર ચાના ગલ્લા હતા. બાજુમાં પાનની દુકાન હોય. ચા પીવાની અને પાન ખાવાનું એ વારાણસીના નાગરિકોની હંમેશની તાસીર અને તસવીર. 

નરેન્દ્ર મોદી ૨૦૦૨, ૨૦૦૨, ૨૦૦૭, અને ૨૦૧૨ એમ વિધાનસભાની ચાર ચૂંટણીઓ રાજકોટ અને મણિનગરમાં લડેલા ત્યારે એમને તેમણે વેચેલી કિટલીની ચા યાદ આવી નહોતી. 

જુઓ તો ખરા! ભારતની રાજનીતિમાં કિટલી અને ચા, બંને કેવા સામસામે છે! મહાત્મામાં નીતિ અને નરેન્દ્રમાં રાજ! 

મહાત્મા ગાંધીના ‘કિટલી’ શબ્દ વિશેના આ સત્યના પ્રયોગ વિશે દુનિયામાં કોઈને શંકા જ નથી થઈ, પણ નરેન્દ્ર મોદીના ચા વેચાણના કહેવાતા પ્રયોગ વિશે ભાતભાતની શંકાઓ વ્યક્ત થયેલી છે! પાંચસાત વર્ષના એક છોકરાને ચોરી કરતાં આવડતું નથી અને બીજા ૭૫ વર્ષના વૃદ્ધને આજે દેશની સંસદમાં ચોર કહીને નવાજવામાં આવે છે! 

ચા વેચાણ કદાચ નોન-બાયોલોજિકલ હશે! નરેન્દ્રની ચા મહાત્માની કિટલીમાં તો ન વેચાય ને! 

તા. ૨૧-૦૮-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય અને શ્રી ગોવર્ધનસ્મૃતિ મંદિર, નડિયાદ…..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 August 2025

રવીન્દ્ર પારેખ

રિક્ષા થોભી અને અમે ઊતર્યા. અમે એટલે હું, ઉદ્યોગપતિ રોહિત મારફતિઆ અને લેખક, પત્રકાર બકુલ ટેલર. હું પહેલી વખત અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય પાસે હતો. નીચે બંને બાજુએ બાંકડા હતા. પુસ્તકાલયમાં, ડાબી-જમણી બાજુએથી ચડીને પ્રવેશી શકાય એવાં પગથિયાં હતાં. નીચેથી જોયું તો વચમાં ચબૂતરા જેવું હતું ને જૂની શૈલીનું, ઘેરા લાલ, લીલા, ગુલાબી રંગોવાળું, ક્યાંક ઘસાઈ ગયેલા કોફીરંગી થાંભલાઓવાળું, ક્યાંક નાજુક કોતરણીવાળું મકાન આકર્ષતું હતું. વચમાં કાળાબોર્ડ પર સફેદ અક્ષરોમાં પુસ્તકાલયનું નામ ચીતરેલું હતું, તો ઉપર સુવર્ણરંગી પતરા પર દેવનાગરીમાં અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકશાળા કોતરાયેલું હતું. તેની ઉપર વીણાધારી સરસ્વતીનું નાનકું ચિત્ર હતું.

વચ્ચે ‘સરસ્વતીચંદ્ર’ના સર્જક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો ફોટો થાંભલા પર જોવા મળ્યો. આસપાસ વાર્નિશ કરેલાં લાકડાનાં જૂનાં કબાટોમાં વિષયવાર પુસ્તકો તાળાંમાં સચવાયેલાં હતાં. બહાર સ્ટેન્ડ પર છાપાં હતાં ને અંદર પુસ્તકો હતાં. આ ઉપરાંત અહીં 80 જેટલાં સામયિકો આવે છે એ પણ જાણ્યું.

આ પુસ્તકાલયની સ્થાપના ગોવર્ધનરામના પિતરાઈ ને એમના માર્ગદર્શક મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ, 25 એપ્રિલ, 1898(વૈશાખ સુદ ચોથ, સંવત 1954)ને રોજ ૩૦,૦૦૦ને ખર્ચે, પત્ની ડાહીલક્ષ્મીની સ્મૃતિમાં કરી. અંગ્રેજોનાં શાસનમાં તેને પુસ્તકાલયનો દરજ્જો મળ્યો. હજારો પુસ્તકો લાઈબ્રેરીઓમાં તો હોય, પણ તે આધુનિક મકાનમાં હોય તેની ફીલિંગ જુદી છે ને ડાહીલક્ષ્મી જેવી 127 વર્ષ જૂની લાઈબ્રેરીમાં હોય એની ફીલિંગ જુદી છે.

અમે પ્રવેશ્યા ત્યારે વિજ્ઞાનની વિદ્યાર્થિની નાઝનીને અમને આવકાર્યા ને લાઈબ્રેરી અંગે માહિતી આપી ને પછી પણ આપતી રહી. અમે લાકડાની ખુરશી પર બેઠા. એમ લાગ્યું, વાર્નિશ કરેલા સમયમાં બેઠા છીએ. ભીંતમાં ચણેલા ઊભા થાંભલાને સ્પર્શીએ તો એ સમય પણ આંગળીઓને અડકતો લાગે છે. અમે લાકડાનો દાદર ચડી ઉપર આવ્યા, પણ એમ લાગ્યું સમયમાં નીચે ઊતરી રહ્યા છીએ. ડાબી બાજુએ લોખંડી ઘોડાઓમાં વિષયવાર પુસ્તકો ગોઠવાયેલાં જોયાં. કેટલાંકનું બાઈન્ડિંગ પણ થયું હતું. એક જૂનું થોથું ઉપાડ્યું. નામ હતું – ‘ક્રોસવાયર’, લેખક રવીન્દ્ર પારેખ. મને હું અહીં જોવા મળ્યો એનો આનંદ હતો. આ વિભાગ સીતાબહેન જેવાં અનુભવી સન્નારી સંભાળે છે. અહીં lawને બદલે low જોવા મળ્યું. ‘લાયબ્રેરી’ શબ્દકોશમાં જ નથી, લાઈબ્રેરી છે. નડીઆદ, નડિયાદમાંથી કોઈ એકને અપનાવી શકાય કે કેમ? ક્યાંક નડીયાદ પણ વાંચવા મળ્યું. લાઈબ્રેરી થોડી સભાન રહે તો ગમે.

ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં મહિનાના પહેલા રવિવારે ‘ગ્રંથનો પંથ’ શીર્ષક હેઠળ પુસ્તકનો પરિચય અપાય તે સ્તુત્ય પગલું છે. સંસ્થામાં બાળકો માટે પણ અલગ વિભાગ છે. લગભગ 26,00૦થી વધુ પુસ્તકો આ લાઈબ્રેરીમાં યોગ્ય રીતે જળવાયાં છે. અહીં મેઘાણીનાં પુસ્તકો અલગ રીતે સચવાયાં છે. મહેન્દ્ર મેઘાણીએ યોગ્ય રીતે જ આ લાઈબ્રેરીને ‘પુરાતન યુગનો જ્ઞાનકોશ’ કહી છે. લાઈબ્રેરીને ઉચિત રીતે જ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ગ્રંથાલયનો શ્રી મૂળજીભાઈ અમીન એવોર્ડ પણ મળ્યો છે.

ડાહીલક્ષ્મીમાં 600-700 વર્ષ જૂની હસ્તપ્રતોનો ભંડાર છે. આ હસ્તપ્રતો ‘શ્રી નારાયણ હસ્તપ્રત ભંડાર’માં જળવાઈ છે. નડિયાદનો એ અક્ષરદેહ છે. ડાબી બાજુ વળીએ તો નડિયાદના સાક્ષરોની યાદી જોવા મળે છે અને અંદર જતાં ગોવર્ધનરામ, મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સાક્ષરોના પરિચય વંચાય છે, તો તેની નીચે, કાચમાં તેમનાં પુસ્તકો પણ જોવાં મળે છે, તો ઉપર, નડિયાદ નગરના ફોટોગ્રાફ્સ પણ ધ્યાન ખેંચે એ રીતે મુકાયા છે. અમે આ બધું જોતાં હતાં, ત્યાં કેમિકલ એન્જીનિયર અને લેખક, બીરેન કોઠારી આવ્યા. તેમને પહેલી વખત મળવાનું થયું. તેમણે લાઈબ્રેરીમાં સચવાયેલી ૩,૦૦૦ જેટલી હસ્તપ્રતો અંગે વાત કરી. ઉપરથી જોઈ શકાય એમ કાચ નીચે એકાદ હસ્તપ્રત જોવા મળી. મેં બીજી હસ્તપ્રત જોવા માંગી તો એમણે લાલ કપડામાં લપેટાયેલી ને સફેદ કવરોમાં રખાયેલી એક હસ્તપ્રત બહાર કાઢીને બતાવી. એ સમયના દેવનાગરી મરોડો જોઇને અભિભૂત થઇ જવાયું. નાઝનીને એક ટેબલ પર મોટો ચોપડો લાવીને મૂક્યો. એમાં હસ્તપ્રતોની વિગતો અનેક ખાનાઓમાં અપાઈ હતી. એ ખરું કે ઋતુઓની અસરો કાગળો, શાહી પર થતી હોય છે. જાળવણી છતાં કાગળો બરડ થતાં હોય કે તૂટી જતાં હોય છે. એ સ્થિતિમાં હસ્તપ્રતો જાહેરમાં મૂકવાનું હિતાવહ નથી, છતાં તે સમયની લખાવટનાં, જુદા જુદા હાથના (અક્ષરોના) મરોડનાં દર્શન થાય એ પણ જરૂરી છે. એવી વ્યવસ્થા હશે, પણ મારા જોવામાં એકાદ અપવાદ સિવાય ન આવી.

એ પછી નડિયાદની ગલીઓ, પોળોમાં જવાનું બન્યું. સાથે બીરેનભાઈ હતા તે નડિયાદી સાક્ષરોના ઘરો બતાવતાં હતાં. એક ઘર બતાવતાં કહ્યું- આ ઘર ગોવર્ધનરામની માતા શિવકાશીનું છે. ગોવર્ધનરામનું ઘર તો પૈતૃક છે, પણ આ ઘર ગોવર્ધનરામે પોતે બંધાવેલું. સાંકડી પોળોમાં જે થોડાં ઘર જોવાના થયાં, તેમાં ઇન્દુલાલ યાજ્ઞિક, કુલીનચન્દ્ર યાજ્ઞિક, મન:સુખરામ ત્રિપાઠી, રસાયણશાસ્ત્રી અને ગોવર્ધનરામના મિત્ર ટી.કે. ગજ્જર, ભૌતિકશાસ્ત્રના લેખક અને કર્નલ પ્રદ્યુમ્ન આણંદજી પંડ્યા, કવિ-ચિત્રકાર, નવલકથાકાર, અભિનેતા જયકૃષ્ણ ચીમનલાલ સુરતી, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસુ અંબાલાલ બુલાખીરામ જાનીનાં મુખ્ય હતાં. ઘણાં ઘરો મૂળ સ્વરૂપમાં રહ્યાં નથી, પણ જે રહ્યાં છે તે નડિયાદની ઓગણીસમી સદી સાચવીને બેઠાં છે. ઘરની આગળ જે તે સાક્ષરોનાં રેખાંકન સાથે પરિચયાત્મક તકતીઓ મુકાઈ છે. આવું મારી જાણમાં તો ગુજરાતમાં ક્યાં ય નથી. મોટે ભાગના વિકસિત શહેરોમાં સમય નવો નક્કોર વહે છે, ત્યાં ભૂતકાળ ન સચવાય તે સમજી શકાય એવું છે. બકુલ કહે છે તેમ નગરો થોડાં ગરીબ રહે તે પણ સારું છે. એ ગરીબીને જ સમય સાચવવાની પડી હોય છે, બાકી તો જ્યાં ને ત્યાં કોન્ક્રેટી જંગલો જ મળવાનાં.

વેલ, અમે ગોવર્ધનસ્મૃતિ મંદિર નજીક આવ્યા. આગળ જાળીવાળો જૂનો રંગીન દરવાજો હતો ને ઉપલા માળની નીચે, લાકડા પર સફેદ અક્ષરોમાં ચીતરાયું હતું- શ્રી ગોવર્ધનસ્મૃતિ મંદિર. આ ઘરમાં જાળીનો ગજબનો મહિમા હતો. નાની, મોટી જાળીઓ ને એમાંથી આવતાં કિરણો જે ભાત પાડે છે તે હવે ભાગ્યે જ જોવા મળે છે. એક પળ તો કોઈ અદીઠ સાક્ષરી હાથ અમને ઘરમાં લઈ જતો હોય એવું અનુભવાયું. એ સમયની બાંધણી એવી હતી કે વચ્ચે ખુલ્લું હોય, જેથી તડકો વિટામીનની ગરજ સારે. આ ઘર પણ એવું જ હતું. નીચે સોફા હતા. એના પર બેઠા, એટલામાં નડિયાદના વતની અને સૂરજબા મહિલા કોલેજના આચાર્ય ડો. હસિત મહેતા આવી ચડ્યા. ડાહીલક્ષ્મી લાઈબ્રેરીના તેઓ રાહબર છે. તેમણે રોહિતભાઈના પુસ્તક ‘સુરતનું ગૌરવવંતુ ગોપીપરું’ની પ્રશંસા કરતાં નડિયાદના નાગરવાડા અને સુરતના ગોપીપરાના સાક્ષરો વચ્ચે સામ્ય છે એવું જણાવ્યું. એમાં તથ્ય છે. મને તો ગોપીપરું અને નાગરવાડો એક જ ગર્ભનાળથી જોડાયેલાં લાગ્યાં છે. ચં.ચી. મહેતાએ તો નડિયાદની જેમ સુરતને પણ અસલ સાક્ષર નગરી જાહેર કરેલી. ટૂંકમાં, નડિયાદ અને સુરત સાક્ષરી સંબંધે જોડાયેલાં છે ને એ સંબંધ વિકસતો રહે એ ઇચ્છનીય છે.

બીરેનભાઈએ સ્કેન કરીને એક અવાજ સંભળાવ્યો – હું ગોવર્ધનરામની પાઘડી છું – ને બાજુમાં જ કાચના બોક્સમાં મુકાયેલી ગોવર્ધનરામની પાઘડી એમણે બતાવી. એ જ રીતે ગોવર્ધનરામ જે કિત્તો, કલમ વાપરતાં, જે શાહીદાનમાં શાહી ભરતાં એ બધું પણ જોવાનું થયું. એક સાવ સાંકડો લાકડાનો દાદર ચડીને ઉપર આવ્યા. એ ખંડમાં ગોવર્ધનરામનું હિંચકે ઝૂલતું બ્લેક લોન્ગકોટ, ધોતી, પાઘડી પહેરેલું મૂર્ત રૂપ જોયું ને અમે સૌએ એમની પાછળ ઊભા રહી ફોટા પડાવ્યા. સરસ્વતીચન્દ્રના ભાગો હસ્તાક્ષરમાં જોયા. આજે તો પેન/બોલપેનથી કે બોલીને ફટાફટ લખાય છે, પણ તે વખતે કલમને શાહીમાં બોળી બોળીને સરસ્વતીચન્દ્ર અને અન્ય સાહિત્ય ગોવર્ધનરામે કેમ કેમ લખ્યું હશે એ વિચારે ચકરાવે ચડી જવાય છે. ભીંતો પર કેટલાંક ચિત્રો, લખાણો ધ્યાનાકર્ષક હતાં. ગોવર્ધનરામનાં ઘરનાં કેટલાંક શ્રુતચિત્રો જોયાં, જે ઘર જોડે ઘણો મેળ ખાતાં હતાં. તેમનું અંગત પુસ્તકાલય પણ હતું, જેમાં સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી પુસ્તકો જળવાયેલાં હતાં.

નીચે માત્ર સામયિકોના કબાટનો ખંડ હતો. તેમાં સંસ્કૃતિ, વીસમી સદી, ભૂમિપુત્ર, જ્ઞાનસુધા, ગુજરાત, સ્ત્રીજીવન જેવાં પ્રતિષ્ઠિત સામયિકોની ફાઈલો હતી. એવા તો ચારેક વિભાગો હતા. બાકી હતું તે જન્મભૂમિની ફાઈલો પણ હસિતભાઈએ મેળવી હતી. મહાભારતનું સ્કેનિંગ થતું જોયું. કામ ધીમું હતું, પણ સમૃદ્ધિ વધારનારું હતું. કાગળો સંપત્તિ વધારે તે કરન્સી નોટો પરથી ખબર પડે, પણ કાગળો સંસ્કૃતિ પણ વધારે એ લાઈબ્રેરી ને ‘મંદિર’ પરથી અનુભવાય. નડિયાદ જનારે લાઈબ્રેરી અને મંદિરે જવું જ જોઈએ. એ તીર્થના અનુભવથી ઓછું નહીં જ હોય એવું ગર્વથી કહી શકાય …..

                                                                                                                                 000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ઑગસ્ટ 2025

Loading

...102030...33343536...405060...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved