Opinion Magazine
Number of visits: 9552636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉંમર

હિતેશ રાઠોડ|Opinion - Opinion|9 November 2025

લઘુકથા

શ્રાવણી સરેવડા શરૂ થાય એ પહેલાના અષાઢના આખરી દિવસો ઓસરી રહ્યા હતા, છતાં બાફ અને ઉકળાટ ઓછા થવાનું નામ લેતા નહોતા. અસહ્ય બફારા વચ્ચે રોજની જેમ અમે સૌ સ્ટાફ મિત્રોએ ઑફિસની પહેલી ચા માટે કેન્ટિન તરફ પ્રયાણ કર્યું. બહુમાળી ઈમારતના ચોથા મજલે આવેલ કેન્ટિનની બહાર બેસવાની જગ્યા ન મળતા રોજિંદી ટેવ મુજબ અમે સૌ પગથિયા પર ઉપર-નીચે આડા-અવળા ગોઠવાઈ ગયા. મારી બાજુમાં એક વૃદ્ધજન બેઠા હતા. સફેદ ટી-શર્ટ અને ઘેરા કાળા રંગના પાટલૂનધારી એ વયોવૃદ્ધ વડીલની ઊંડે ઉતરી ગયેલ આંખોમાં કંઈક અંશે કળી શકાય એવી વેદના તગતગતી હતી, પણ એ વેદનાને વાંચનાર કે એમની આપવીતી સાંભળનાર કદાચ હવે કોઈ એમની પાસે નહોતું! એક સમયે ઘરના મોભી રહ્યા હશે એવા એ વૃદ્ધજન આજે પગથિયા પર અમારી સાથે છતાં સાવ એકલા-અટૂલા નિ:શબ્દ બેઠા હતા. 

ચાની રાહ જોતા અમે સૌ આડી-અવળી વાતોએ વળગ્યા. એટલામાં ચા આવી. અમારી પાસે બેઠેલ એ વૃદ્ધ વ્યક્તિને અમે ચાનો આગ્રહ કર્યો. એમણે સાભાર ઈનકાર કર્યો. વાતોના તડાકા સાથે અમે સૌ ચાની ચુસ્કી મારવા લાગ્યા. કેટલીક આડી-અવળી ચર્ચાઓ અને અલકમલકની વાતો અમારી વચ્ચે થઈ.

દરમિયાન અમારા સ્ટાફમાંનાં એક મહિલા કર્મીએ સહજ ભાવે એ વૃદ્ધ સાથે વાત કરવા પ્રયાસ કર્યો. એ મહિલા કર્મીએ વૃદ્ધને શું પૂછ્યું એ તો ન સંભળાયું પણ જવાબમાં એ વૃદ્ધજનના ત્રૂટક-ત્રૂટક શબ્દોનો મર્મ હું પામી ગયો. એમના કહેવાનો ભાવાર્થ કદાચ એવો હતો કે મારી દીકરી તો મને બહુ સારી રીતે સાચવે છે, પણ …, પણ પછી આગળના શબ્દો એ વડીલના મોંએથી ન નીકળ્યા! એમનાથી આગળ બોલી શકાયું નહીં. કદાચ એ બોલવા માગતા પણ નહોતા. એ વૃદ્ધની ઊંડે ઉતરી ગયેલ આંખોમાં જળજળિયાં આવી ગયાં. ઉંમરને આંબવા આવેલ એ વૃદ્ધજનની આંખના અશ્રુઓએ મને અવાચક બનાવી દીધો. હું એ વડીલની વાતનો મર્મ પામી ગયો. એમની વાત એવી હતી કે દીકરો-વહુ એમને સાચવતા નથી એટલે નાછૂટકે એમણે હવે દીકરીના ઘેર રહેવું પડતું હશે. જીવનના સંધ્યાકાળ અને પાછલી અવસ્થાએ છતે દીકરા-વહુએ દીકરીના ઘરે રહેવું પડે એ બાપને કેટલું વસમું લાગતું હશે, એનો અંદાજ એમના ચહેરાના હાવભાવ પરથી આવી ગયો. એમની આંખોમાં ડોકાતા ઘણા પ્રશ્નોના જવાબ કહ્યા વિના જ અમને મળી ગયા. નાનકડી એવી આ ઘટના સમાજની એક એવી કરુણતા છતી કરી ગઈ, જેનો ઉકેલ કદાચ આપણી સમાજ વ્યવસ્થામાં નથી. એ વૃદ્ધ પણ ક્યારેક યુવાન રહ્યા હશે, ઘરનો મોભ રહ્યા હશે અને કંઈ કેટલાયના જીવનનો સહારો રહ્યા હશે. આજે જીવનની આથમતી સંધ્યાએ જ્યારે એમને સહારાની જરૂર છે ત્યારે એમનો સગો દીકરો પણ એમનો સહારો બનવા રાજી નથી એ પરિસ્થિતિ એ વૃદ્ધજન માટે કેટલી કપરી હશે એ એમના ચહેરા પરથી કળી શકાતું હતું!

e.mail : h79.hitesh@gmail.com 

Loading

મલાલા યુસૂફજઈ : મહાનતાના બોજથી સ્વયં બનવાની સરળતા સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 November 2025

રાજ ગોસ્વામી

લગભગ 400 વર્ષ પહેલાં, વિલિયમ શેક્સપિયરે તેમના કોમેડી નાટક ‘ટ્વેલ્થ નાઈટ’માં લખ્યું હતું, ‘અમુક લોકો જન્મથી મહાન હોય છે, અમુક મહાનતા હાંસલ કરે છે, અને અમુક પર મહાનતા થોપવામાં આવે છે.’

શેક્સપિયર રાજાઓ અને ઉમરાવોના જમાનામાં રહેતા હતા, જ્યાં લોકોને પદ-પ્રતિષ્ઠા પેરેન્ટ્સ તરફથી વારસામાં મળતી હતી. અમુક લોકો મહેલમાં જન્મ્યા હોવાથી મહાન હતા, અમુક લોકો ઉત્તમ નેતા બનીને મહાન બનતા હતા અને અમુક લોકો નકામા હોવા છતાં મહાન ગણાઇ જતા હતા. 

આજે રાજા-રજવાડાં નથી પણ મીડિયા છે અને સાર્વજનિક જીવન છે, જે લોકોને મહાન બનાવી દે છે. એનું જીવતું ઉદાહરણ છે પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર મલાલા યુસૂફજઈ. માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય મીડિયાની ‘ડાર્લિંગ’ બની ગયેલી મલાલાએ તેના એક નવા પુસ્તકમાં એકરાર કર્યો છે કે તેને જે રીતે એક હિરોઈન બનાવી દેવામાં આવી છે તેવી તે અસલમાં છે નહીં.

15 વર્ષની ઉંમરે તાલિબાનોના હુમલામાંથી પોતાનો જીવ બચાવીને અને આ કટ્ટરપંથીઓનાં કુકર્મો પર ડાયરી લખીને મલાલા દુનિયામાં ‘સાહસ’, ‘ત્યાગ’ અને ‘સ્ત્રી શક્તિ’નું પ્રતિક બની ગઈ હતી. તેને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, તેને સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપવા માટે બોલાવામાં આવી હતી, અને તે શિક્ષણના અધિકાર માટેનો વૈશ્વિક અવાજ બની ગઈ હતી. 

આ બધી ઘટનાઓનું વર્ણન કરતાં, મલાલા તેના નવા સંસ્મરણ ‘ફાઈન્ડિંગ માય વે’માં તેની આ પ્રસિદ્ધ ઈમેજને નકારે છે અને લખે છે, ‘હું ડરતી પણ હતી, હું ભૂલ પણ કરતી હતી, પણ લોકોએ મારી એવી ઈમેજ બનાવી દીધી જાણે હું કોઈ સંત કે દેવી હોઉં. એ લોકોનએ મને એક એવી સદાચારી, કર્તવ્યનિષ્ઠ હિરોઈન બનાવી દીધી હતી, જેને હું પોતે ઓળખતી નહોતી.’

15 વર્ષની ઉંમરે જ્યારે મલાલાને તાલિબાનોએ માથામાં ગોળી મારી હતી કારણ કે તેણે શાળાએ જવાની ગુસ્તાખી કરી હતી, ત્યારે આખી દુનિયાએ તેને ‘સાહસ’ની પ્રતિમા તરીકે જોઈ હતી. તેની એ વાર્તા તેના પ્રથમ પુસ્તક ‘આઇ એમ મલાલા’માં નોંધવામાં આવી છે જેણે શિક્ષણના અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

પરંતુ હવે 28 વર્ષની ઉંમરે એક નવા પુસ્તક મારફતે તે આપણને યાદ અપાવે છે કે તે દુનિયાની કલ્પના પર કબજો જમાવીને બેઠેલી ‘હંમેશાં બહાદુર અને અડગ’ મલાલા નથી. તે કહે છે; ‘જ્યારે પણ લોકો મને મળે છે, ત્યારે તેઓ મને ‘બહાદુર’ અને ‘મજબૂત’ કહે છે. ત્યારે હું અટકીને વિચારું છું – શું હું ખરેખર આ શબ્દોમાં ખરી ઉતરું છું?’

તેના આ સવાલમાં ઊંડું આત્મ-નિરીક્ષણ છે. તે સ્વીકારે છે કે તે દરેક હરહંમેશ આત્મવિશ્વાસી અથવા નિડર નથી હોતી. બીજા દરેક માણસોની જેમ, તેની અંદર પણ ક્યારેક ડર, સંશય અને કમજોરીની ક્ષણો આવે છે. મલાલા ઇચ્છે છે કે લોકો તેની નવી આત્મકથા વાંચીને સમજશે કે ‘હીરો’ બનાવી દેવાયેલા લોકો પણ ક્યારેક અસુરક્ષિત અનુભવ કરે છે, તેમને પણ પોતાને લઈને શંકા થાય છે.

મલાલાના આ શબ્દોનો સાચો અર્થ એ છે કે સાહસનો અર્થ ડરનો અભાવ નહીં, પણ ડર હોવા છતાં આગળ વધતા રહેવાનો થાય છે. મલાલા આ પુસ્તકમાં કહે છે કે તેના જીવનની કહાની હવે 15ની એ છોકરીની નથી રહી જેણે ગોળી ખાધી હતી પણ તે સ્ત્રીની છે જે આજે પણ પોતાને સમજવાના, સ્વીકારવાના અને પોતાનો માર્ગ શોધવાની યાત્રા પર છે. તેનું આ બયાન આપણને એ સમજવામાં મદદ કરે છે કે પ્રેરણાદાયક વ્યક્તિત્વની પાછળ પણ એક એવો સામાન્ય, સંવેદનાપૂર્ણ માણસ છુપાયેલો હોય છે – જે ક્યારેક નબળો પડી શકે છે, પરંતુ તેમ છતાં સત્યના માર્ગ પર ચાલતો રહે છે.

પ્રસિદ્ધ થઇ જવાની આ સમસ્યા છે. સમાજ પછી તેને માણસ તરીકે જોવાનું બંધ કરી દે છે અને પોતાની કલ્પનાનું પ્રતિક બનાવી દે છે. શેક્સપિયરનાં શબ્દોમાં કહીએ તો – મલાલા એક સાધારણ છોકરી હતી, પણ તેના પર મહાનતા લાદવામાં આવી હતી. 

માલાલા હવે 28 વર્ષાની છે. તે લખે છે કે ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં તેણે પ્રથમ વખત એક એવી ‘સામાન્ય છોકરી’ની જેમ જીવવાની ઇચ્છા કરી હતી, જે મિત્રો બનાવતી હોય, ટેલીવિઝન જોતી હોય, ભૂલો કરતી હોય અને ક્યારેક ક્યારેક ઉદાસ પણ થતી હોય. લોકો તેને ‘મલાલા ધ સિંબલ’ તરીકે ઓળખતા હતા, પરંતુ તે ઇચ્છતી હતી કે તેઓ તેને ‘માલાલા ધ સ્ટૂડન્ટ’ કહે. મલાલાને ઘણી વાર પેનિક એટેક અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસનો સામનો કરવો પડ્યો હતો. તેણે થેરાપિ લીધી હતી, લગ્નને લઈને આસમંજસ અનુભવી હતી. આ બધું તેણે પહેલીવાર લખ્યું છે, જેથી લોકોના મનમાંથી ‘મહાન મલાલા’ની ઈમેજ દૂર થાય.

એમાં તો શેક્સપિયરના વિધાનનો બીજો હિસ્સો પણ મલાલા પર લાગુ થાય છે – તેણે મહાનતા હાંસલ કરી છે. મલાલાએ નિડરતાપૂર્વક પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને છોકરીઓનાં શિક્ષણની લડાઈ જીતી છે તે વાત પણ એટલી જ સાચી છે, પણ આ નવું પુસ્તક કહે છે કે આ ‘મહાનતા’ માત્ર પ્રેરણા નથી, એક ભાર પણ છે. 

મીડિયા અને સમાજે ‘દેવી-સમાન’ મલાલાની જે ઈમેજ બનાવેલી છે તેમાં એક કિશોરીની માનવીય થકાવટ, ગુસ્સો, અને મૂંઝવણ માટે કોઈ જગ્યા નહોતી. તે લખે છે, ‘હું આ ઈમેજમાં મને ઓળખી શકી નથી. તે મલાલા મારી નથી.’ આ સ્વીકાર માત્ર સાહસિક નથી, પરંતુ મુક્તિનો સૂચક છે. મલાલા કહે છે કે આપણે દુનિયાએ આપેલા લેબલ કરતાં પણ વધુ કૈંક છીએ. 

‘મહાન’ બનવાની પ્રક્રિયામાં ઘણી વાર વ્યક્તિ પોતાની નિજતા ગુમાવી દે છે. મલાલા કોઈ યુદ્ધનો ચહેરો બનવા માંગતી નહોતી, તેને તો કેવળ શાળાએ જવું હતું. પણ જ્યારે તેના પર ગોળી ચાલી, તો તેની વાર્તા તેના હાથમાંથી નીકળી ગઈ અને દુનિયાએ નક્કી કર્યું કે એ કોણ છે અને તેણે શું કરવું જોઈએ. 

આને જ મહાનતા લાદી કહેવાય. શેક્સપિયરનું કથન આજે પણ એટલું જ પ્રાસંગિક છે. મહાનતાનો  અર્થ માત્ર ઊંચાઈ નહીં, ગહેરાઈ પણ થાય છે. મહાન બનવું એટલે માત્ર દુનિયાને બદલવાની તાકાત નથી – તે પોતાને ઓળખવાની, સ્વીકારવાની અને સામાન્ય માણસ બની રહેવાની ક્ષમતા પણ છે. કદાચ સાચી મહાનતા એ જ છે – જ્યારે વ્યક્તિ ‘મહાન’ બનવાને બદલે ‘સ્વયં’ બની રહે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 08 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તૂ મેરે સામને હૈ, તેરી ઝુલ્ફેં હૈં ખુલી …

સોનલ પરીખ|Opinion - Opinion|9 November 2025

તૂ મેરે સામને હૈ, તેરી ઝુલ્ફેં હૈં ખુલી
તેરા આંચલ હૈ ઢલા, મૈં ભલા હોશ મેં કૈસે રહૂં

તેરી આંખેં તો છલકતે હુએ પૈમાને હૈં
ઔર તેરે હોઠ લરજતે હુએ મયખાને હૈં
મેરે અરમાન ઈસી બાત પે દિવાને હૈં
મૈં ભલા હોશ મેં કૈસે રહૂં, કૈસે રહૂં

તૂ જો હસતી હૈ તો બિજલી સી ચમક જાતી હૈ
તેરી સાંસોં સે ગુલાબોં કી મહક આતી હૈ
તૂ જો ચલતી હૈ તો કુદરત ભી બહક જાતી હૈ
મૈં ભલા હોશ મેં કૈસે રહૂં, કૈસે રહૂં

એક યુવક અને એક યુવતી, પ્રેમ કરી, વિરોધો સહીને પરણે છે, પણ પતિ કોઈ અકસ્માતનો ભોગ બને છે અને શરીરસંબંધ બાંધવા યોગ્ય રહેતો નથી. પ્રેમ સાચો છે એટલે પતિ પત્નીને મુક્ત કરવા માગે છે અને પત્ની પતિને છોડવા તૈયાર નથી. આવી વાર્તા પર ફિલ્મ તો બને, પણ તેમાં લગ્નમાં શરીરસુખનું મહત્ત્વ ઉવેખી શકાય નહીં એ મુદ્દો કલાત્મકતાથી વણાય ત્યારે વાત નોંધ લેવા જેવી થાય.

આ વાર્તા અડધી સદી પહેલા બનેલી ‘સુહાગન’ ફિલ્મની છે. એ સમયે આવો વિષય લઈ ફિલ્મ બનાવવી એ સાહસ જ કહેવાય. ફિલ્મની માવજત પણ સારી હતી. જો કે નાયક નાયિકાને એના પિતાએ પસંદ કરેલ યુવક સાથે પરણવા મજબૂર કરે અને નાયિકા સૌભાગ્યવતીના શૃંગારમાં નાયકનાં ચરણોમાં જ મૃત્યુ પામે એવી અંતની નાટકીયતા, આ ફિલ્મમાં એક પડકારરૂપ વિષયને ગરિમા અને શાલીનતાથી રજૂ કર્યા પછી હાસ્યાસ્પદ લાગે.
ગુરુ દત્ત, માલા સિંહા અને ફિરોઝ ખાનની આ ફિલ્મનું સંગીત મદન મોહનનું હતું. તેનાં ત્રણ ખૂબ સુંદર, રોમેન્ટિક ગીતો ‘તૂ મેરે સામને હૈ, તેરી ઝુલ્ફેં હૈં ખુલી, તેરા આંચલ હૈ ઢલા, મૈં ભલા હોશ મેં કૈસે રહૂં’, ‘ભીગી ચાંદની, છાઈ બેખુદી, આ જા ડાલ દે બાંહોં મેં અપની બાંહેં’, ‘તુમ્હીં તો મેરી પૂજા હો, તુમ્હેં દિલ મેં બસાયા હૈ’ આજે પણ તરોતાજાં છે.

આ ગીતો લખનાર હસરત જયપુરીની પુણ્યતિથિ 17 સપ્ટેમ્બરે છે. એ નિમિત્તે ‘તૂ મેરે સામને હૈ’ ગીત લઈ શાયરને સલામ કરીએ. ગીતની સિચ્યુએશન એવી છે કે હકીકતથી બેખબર નાયક ઉત્કટપણે પત્નીને નિકટ લેવા ઝંખે છે અને પત્ની બધું જાણે છે, એટલે ને સામીપ્યની પતિની અને પોતાની પણ ઝંખનાનું ગળું દબાવી દૂર રહેવા મથે છે. ઓરડામાં એકરાર અને ઈનકારનો આ જીવલેણ ખેલ ચાલે છે ને બહાર નાયકની મા યુવાન દીકરા-વહુના જીવનની કરુણતા પર આંસુ વહાવી રહી છે. નખશિખ રોમેન્ટિક ગીત સાથે હસરતજીએ ફિલ્મમાં નખશિખ ઉદાસ ગીત પણ આપ્યું છે, ‘મુઝે અપને આપસે હૈ ગિલા, મેરે પ્યાર મેં તુઝે ક્યા મિલા’ બંને મહમ્મદ રફીએ ગાયાં છે. ગાયકનો કંઠ અને શાયરની કલમ રોમાન્સના બન્ને ચહેરાથી વાકેફ છે!

1949ની ‘બરસાત’ એ ‘માસ્ટર ઑફ રોમાન્સ’ ગણાતા હસરત જયપુરીની પહેલી ફિલ્મ અને ‘જિયા બેકરાર હૈ’ પહેલું ગીત. ‘બરસાત’નાં ‘મૈં ઝિંદગી મેં હરદમ રોતા હી રહા હૂં’ અને ‘છોડ ગયે બાલમ’ પણ હસરતનાં. આ ફિલ્મથી બનેલી શૈલેન્દ્ર-હસરત, શંકર-જયકિશન અને રાજ ક્પૂરની ટીમે એક આખી પેઢીને એવો જલસો કરાવ્યો કે એના પછીની પેઢીઓ પર પણ એનો નશો છવાયેલો રહ્યો. મઝા એ હતી કે આ સુપર્બ ટીમના દરેક સભ્યની વ્યક્તિગત હસ્તી પણ નોંધ લેવી જ પડે એવી હતી. હસરત જયપુરીએ આર.કે. બેનર માટે માત્ર 32 ગીત લખ્યાં છે, પણ એમણે રાજકપૂરની પોતાને પહેલો બ્રેક આપનાર તરીકે ખૂબ ઇજ્જત કરી છે.

હસરત જયપુરી

હસરત જયપુરીનું મૂળ નામ ઈકબાલ હુસેન. નાના ફિદા હુસેન ફિદા પાસે ઉર્દૂ-પર્શિયન ભાષાની તાલીમ લઈ વીસમા વર્ષે એમણે લખવાનું શરૂ કર્યું. એ જ ગાળામાં રાધા નામની એક કન્યા પ્રત્યે પ્રેમ જાગ્યો. મૌન પ્રેમ શાયરીમાં વ્યક્ત થયો – ‘યે મેરા પ્રેમપત્ર પઢકર કે તુમ નારાઝ ન હોના’ રાધાને પ્રેમપત્ર પહોંચ્યો કે નહીં તે આપણે જાણતા નથી પણ રાજ કપૂરે તેનો ઉપયોગ ‘સંગમ’ ફિલ્મમાં કર્યો અને દુનિયાને પહોંચાડ્યો. યોગાનુયોગ આ ગીત પણ મહમ્મદ રફીએ ગાયું છે અને ‘સંગમ’ ને ‘સુહાગન’ બન્ને એક જ વર્ષમાં-1964માં રિલિઝ થયેલી ફિલ્મો છે. ‘તૂ મેરે સામને હૈ’ ગીત એમને કેમ્પસ કોર્નરના એક ટ્રાફિક સિગ્નલ પર એક સુંદર પારસી સન્નારીને જોઈ સ્ફૂર્યું હતું. ‘તેરી પ્યારી પ્યારી સુરત કો કિસીકી નઝર ન લગે, ચશ્મે બદ્દૂર’ શબ્દો એમને લગ્નનાં સાત વર્ષ પછી પ્રાપ્ત થયેલા દીકરાને પહેલી વાર જોઇને સ્ફૂર્યા હતા.

1971 સુધી હસરત જયપુરીએ શૈલેન્દ્ર સાથે રાજ કપૂરની ફિલ્મો માટે ગીતો લખ્યાં. જયકિશનના મૃત્યુ અને ‘મેરા નામ જોકર’ અને ‘કલ, આજ ઔર કલ’ની નિષ્ફળતા પછી રાજ કપૂર અન્ય શાયરો-સંગીતકારો તરફ વળ્યા. 1982ની ફિલ્મ ‘પ્રેમ રોગ’ માટે રાજ કપૂરે હસરતજીને બોલાવ્યા ખરા, પણ પછી ગીતો અમીર કઝલબક્ષ પાસે લખાવ્યાં. તો પણ હસરતજીએ ‘રામ તેરી ગંગા મૈલી’ માટે ‘સુન સાહિબા સુન’ લખ્યું. આ ગીત માટે એમને 45 અંતરા લખ્યા હતા – હું એ જ છું, બદલાયો નથી એની જાણે સાબિતી ન આપતા હોય! ‘હીના’ માટે પણ ત્રણ ગીત લખ્યાં. દરમિયાન રાજ કપૂરનું મૃત્યુ થયું. ‘હીના’નાં ગીતો રવીન્દ્ર જૈને પોતાના નામે કર્યાં એવો આક્ષેપ મૂકતા હસરતજી પછીનાં વર્ષોમાં રાજ કપૂરની વાત થોડી કડવાશ, થોડા ગુસ્સા અને થોડી નિર્લેપતા સાથે કરતા.

શૈલેન્દ્રની ફિલ્મ ‘તીસરી કસમ’ના ગીતકાર હસરતજી હતા. ઉર્દૂ સાહિત્યમાં પણ એમનું મોટું પ્રદાન છે. એમના સંગ્રહનું નામ છે ‘આબશાર-એ-ગઝલ’. આબશાર એટલે નિરંતર વહેતું જળ. 350 ફિલ્મોનાં લગભગ 2,000 ગીતો લખનાર હસરતજીએ પત્નીની સલાહથી પોતાની મૂડી મકાનોમાં રોકી હતી. નિયમિત આવક થતી, રોજીરોટીની ચિંતા વગર તેઓ નચિંતપણે અને સ્વતંત્રપણે લખી શકતા. 70થી વધારે સંગીતકારો સાથે એમણે કામ કર્યું. લાંબી કારકિર્દીના અંત ભાગમાં જતીન-લલિત અને ભપ્પી લહેરી સાથે પણ કામ કર્યું. મૃત્યુ સમયે તેઓ ગઝલના એક પુસ્તક પર કામ કરી રહ્યા હતા. ‘ઝનક ઝનક તોરી બાજે પૈજનિયાં’ ગીતમાં હિંદી અને વ્રજ ભાષાના સંયોજન માટે તેમને અવૉર્ડ મળ્યો હતો. મદન મોહન સાથે એમની 3 ફિલ્મો હતી – ‘સુહાગન’, ‘રિશ્તેનાતે’ અને ‘નયા કાનૂન’

વિ. શાંતારામ પ્રત્યે એમને એટલો આદર કે એમની ‘સહેરા’, ‘તુફાન ઔર દિયા’, ‘ગીત ગાયા પથ્થરોને’ અને ‘ઝનક ઝનક પાયલ બાજે’ માટે માત્ર 1 રૂપિયો લઇ ગીતો લખ્યાં. એમના પરિવાર પાસે આજે પણ આ રૂપિયા સચવાયા છે. સામાન્ય માણસને સમજવા લોકલ ટ્રેનમાં જવાનું પસંદ કરતા.

પોતાનું મૂલ્ય બરાબર જાણતા હસરતજીએ લખ્યું છે, ‘તુમ મુઝે યું ભૂલા ન પાઓગે, જબ કભી ભી સુનોગે ગીત મેરે, સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે …’ સાચું જ છે, ‘પંખ હોતી તો ઊડ આતી રે’, ‘બહારો ફૂલ બરસાઓ’, ‘દિલ કે ઝરોખે મેં’, ‘તેરે ખયાલોં મેં હમ’, ‘તૂ કહાં યે બતા’, ‘મુહબ્બત ઐસી ધડકન હૈ’, ‘ઓ આસમાનવાલે’ ‘નૈન સો નૈન’, ‘તેરી ઝુલ્ફોં સે જુદાઈ’ (ફિલ્મોમાં આવતા પહેલા લેમ્પ પોસ્ટ નીચે લખાયેલી ગઝલ), ‘અજહુ ન આયે બાલમા’, ‘દુનિયા બનાનેવાલે’(પહેલી બે લાઇન મજરૂહજીની અને અંતરા  હસરતજીના) જેવાં ગીતો કોઈ ભૂલી શકે ખરું?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 12 સપ્ટેમ્બર 2025

Loading

...102030...33343536...405060...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved