Opinion Magazine
Number of visits: 9843882
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જમીન 

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|21 May 2025

બેલા નાનું એવું ગામ. વસ્તી આશરે પાંચ હજારની. જમીન સારી, પાણીની વ્યવસ્થા સારી એટલે લોકો ખાધે પીધે સુખી હતાં. ગામમાં હજી પણ જૂની પ્રથા હતી કે ગામનો કોઈપણ પ્રશ્ન ઊભો થાય તો ગામના મુખ્ય પાંચ લોકોની પંચાયત ગામનાં ચોરે મળે અને બંને પક્ષને સાંભળી ન્યાય આપે; જે મહદ્દઅંશે બધાંને માન્ય હોય. એમ આજે પણ ગામની પંચાયત મળી હતી.

“તો બોલો વિરજીભાઈ, તમારે શું કહેવું છે?”

“હું….હું શું કહું! મેં જ મારા હાથે કાંડા કાપી નાખ્યા હતા. તમે મને ઘણું સમજાવ્યો હતો પણ પુત્રના પ્રેમમાં બધું જ બે છોકરાને નામે કરી દીધું; હવે બંને ના-મકર જઈ અમને રાખવા તૈયાર નથી. દીકરીએ પણ સમજાવ્યાં હતાં. અમે તેને પણ દબાણ કરી વારસાઈ હક્ક જતો કરવા માટે તેની પાસે લખાણ કરાવ્યું હતું. અમારે તો ઉપર આભ અને નીચે જમીન છે. તમે જે નિર્ણય આપો તે.”

“વિરજીભાઈ, તમે બધું જ સરકારી ચોપડે બંને દીકરાને નામે ચડાવી દીધું છે એટલે એમા તો પંચાયત શું! કરે; તમારા દીકરાને સમજાવી જોઈએ, જો, સમજે તો.”

“સારું, .. બાપલિયા એમ કરો.”

“રઘુ અને જનુ, તમને ખબર છે કે તમારા બાપાએ જમીન બંને ભાઈ વચ્ચે દસ, દસ વિઘાના ભાગ પાડી તમને આપી છે; હવે તેની પાસે જીવન નિર્વાહની કોઈ મૂડી નથી, તો તમારી ફરજ છે તેમને સાચવવાની, તમે ના-મકર ન જઈ શકો.”

“તો અમે ક્યાં ના પાડી છે પણ આટલી ટૂંકી જમીનમાં બધાંનો નિર્વાહ કરવો શક્ય નથી, અમારે પણ વસ્તાર છે.”

“તમે આ ઉંમરે બંનેને છૂટા પાડો એ તમને યોગ્ય લાગે છે? એ લોકોની હવે ક્યાં લાંબી જિંદગી છે. અત્યાર સુધી તમારો ઉછેર કરતાં કરતાં સાથે જ રહ્યાં છે. દીકરા તરીકે એ લોકો વિષે વિચારવાની તમારી પણ ફરજ છે.”

“પણ, આ સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. બંને છોકરા નફફટ થઈ આવો જવાબ આપી ચાલ્યા ગયા.”

“બોલો વિરજીભાઈ, તમારું શું કહેવું છે?”

“હવે અમારી ક્યાં લાંબી જિંદગી બાકી રહી છે. અમે ક્યાંક બટકુક રોટલો રળી ખાસું.”

“મારી પંચને એક વિનંતી છે.”

“બોલો ઉમેદચંદશેઠ, તમારે વિનંતી ન કરવાની હોય, વાત જ કરવાની હોય.”

“મારી પાસે ઘણાં ખેતર-વાડી છે અને હું તો ભાગિયું જ કામ કરાવું છું, તેમાંથી એક વાડી પડું પંદર વિઘાનું છે તે વિરજી પટેલને વાવવાં આપું; એક મારો ભાગિયો તેને મદદ કરશે અને જે કંઈ ઉપજ આવે તે ભાગિયા સાથે સુવાંગ વિરજીભાઈની. બોલો છે મંજૂર?”

પંચાયત એક સાથે હકારમાં ઉમેદચંદશેઠની વાતને વધાવી લીધી. વિરજીભાઈની આંખમાં હર્ષનાં ઝળઝળિયાં આવી ગયાં; નામ એવા ગુણ ધરાવતા શેઠે ગામની અને વિરજીભાઈની આબરૂ સાચવી લીધી.

વિરજીભાઈ નખશીખ ખેડૂત હતા. તેની સૂઝબૂઝ, અનુભવ અને ભાગિયાની કાર્યદક્ષતાને લીધે વાડીમાં ત્રણ ત્રણ સિઝનનો મબલખ પાક ઉતારવા લાગ્યો. છોકરા સાથે સંબંધો ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું હતું. દીકરી, સારસંભાળ લેવા આવતી. શરૂઆતમાં ચીજ વસ્તુઓ પણ પહોંચાડતી હતી, પછી વિરજીભાઈને જરૂરત ન રહી, દીકરીને આપી શકે તેવી સ્થિતિ થઈ ગઈ હતી.

કહે છે ને “વાવે તેવું લણે”, એવું જ રઘુ અને જનુની બાબતમાં થયું. બાપાના અનુભવનો, ખેતી વિષયક જ્ઞાનનો લાભ ન લીધો કે ત્યારે ખેતીમાં ધ્યાન ન આપ્યું એટલે બાપાના વખતમાં દુઝતી ખેતીની જમીન બંજર થઈ ગઈ. પણ બાપા પાસે જઈ શકાય એમ નહોતું. ઘરમાં હાંડલા કુસ્તી કરવાં લાગ્યા હતાં. માથે વાળ જેટલું દેવું થઇ ગયું હતું. જમીન વેચવા સિવાય કોઈ રસ્તો બાકી રહ્યો નહોતો.

“આવો વિરજીભાઈ, બોલો, બધું ઠીક ઠાક છે ને?”

“તમે તો વાડીએ પછી આવ્યા જ નહીં?”

“અરે! વિરજીભાઈ તમારી જેવા કાબેલ ખેડૂતને વાડી સોંપ્યાં પછી એમાં જોવાનું ન હોય, બોલો શું કામ છે? બાકી વાડી તો તમે અને તમારા ઘરવાળા જીવે ત્યાં સુધી તમારી પાસે જ રહેશે.”

“શેઠજી, મેં સાંભળ્યું છે કે મારા છોકરા જમીન વેચી શહેરમાં જવાના છે?”

“તમે સાચું સાંભળ્યું છે ખેતી કરવી એ તમારા દીકરાની હાથની વાત નથી અને દેવું પણ ચૂકવવું પડેને; બાપના રાજમાં જલસા જ કર્યા છે. પણ તમે શું કામ ચિંતામાં છો?”

“શેઠજી, એક વાત કહું, ખેડૂતના દીકરા માટે જમીન એ “મા”તુલ્ય હોય છે. સંજોગોવસાત ક્યારેક જમીન વેચવી પડે તો પણ એ તેના માટે મૃત્યુ સમાન હોય છે. જ્યારે મારા દીકરામાં અણઆવડત છે, અણઘણ છે જમીનના મૂલ્યની કિંમતની ખબર નથી.”

“જાવ વિરજીભાઈ, તમારી વાત હું સમજી ગયો, જમીન હું ખરીદી લઈશ અને તમે મને જમીનના પૈસા ચૂકતે ન કરો ત્યાં સુધી એ જમીન મારી પાસે તમારી અમાનત તરીકે રહેશે, બસ, હવે છે કોઈ ચિંતા?”

“શેઠજી, આજે તમે મારી “મા”તુલ્ય જમીનને બીજાના હાથમાં જતી, મરતી બચાવી લઈ મને જિંદગીભરનો ઋણી બનાવી દીધો”…. .વિરજીભાઈની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો હતો અને ઉમેદચંદશેઠ નિષ્પૃહી નજરે વિરજીભાઈને, જમીન પ્રેમી વિરજીભાઈને નીરખી રહ્યા હતા ….

ભાવનગર
e.mail : Nkt7848@gmail.com

Loading

ગાંધી અને લાદેન વચ્ચેનો કાલ્પનિક સંવાદ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 May 2025

પ્રકાશ ન. શાહ

અલબત્ત, જોગાનુજોગ, પણ બે વાત લગભગ એક સાથે બની : પહેલગામની આતંકી ઘટનાના હેવાલો હવામાં હશે અને કુરિયર વાટે ‘લોર્ડ ભીખુ પારેખ : પરિચય અને પરીક્ષણ’ એ પુસ્તક આવી મળ્યું. નેવું નાબાદ ભીખુ પારેખ બ્રિટનના જાહેર જીવનનું એક જાણવાજોગ જણ છે, અને રાજ્યશાસ્ત્ર તેમ રાજકીય ફિલસૂફી સહિતનાં ક્ષેત્રોમાં અમલસાડનું આ સોની સંતાન પોતાના નિકષ સાથે સક્રિય છે.

નાગરિક નિસબત સાથેની એમની સ્વાધ્યાય સક્રિયતાનું એક વિલક્ષણ ઉદાહરણ મને હંમેશ એમણે નાઈન / ઈલેવન ખ્યાત બિન લાદેન અને મહાત્મા ગાંધી વચ્ચે યોજેલ કાલ્પનિક સંવાદરૂપે વરતાતું રહ્યું છે. એટલે આતંકી ઘટનાના દિવસોમાં ભીખુભાઈ વિષયક પુસ્તક આવી મળે ત્યારે સ્વાભાવિક જ પહેલું સ્મરણ બે’ક દાયકા પરના એમના આ કાલ્પનિક સંવાદનું થાય.

ઇતિહાસકાર મકરંદ મહેતા આ પુસ્તક પર એમના અંતિમ પર્વમાં કામ કરી રહ્યા હતા. એમના નિધન પછી શીરીન મહેતા ને સિતાંશુ યશશ્ચંદ્રની વિદ્યાવત્સલ માવજત પામીને આ પુસ્તક આપણી પાસે આવ્યું છે અને એમાં ઉક્ત સંવાદનીયે ઝાંખી છે. જો કે આ સંવાદ તો પાછળથી ‘ડિબેટિંગ ઈન્ડિયા’(2015)માં ગ્રંથસ્થ થયો એનાયે દસ-અગિયાર વરસ પહેલાં ‘પ્રોસ્પેક્ટ’ સામયિકમાંથી વિપુલ કલ્યાણી વાટે ‘ઓપિનિયન’ ને ‘નિરીક્ષક’માં ગુજરાતી અનુવાદમાં સુલભ થયો હતો.

એક રીતે જુઓ તો મામલો બેઉ પક્ષે નાઈન / ઈલેવનનો છે. ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ ધરાશાયી થઈ ગયા એ ઘટના જો 2001ના સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની હતી તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો ઉદ્દભવ થયો એ ઘટના 1906ના સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની હતી.

એપ્રિલ 2004ના ‘પ્રોસ્પેક્ટ’માં ‘ગાંધી અને લાદેન વચ્ચે એક કાલ્પનિક સંવાદ’ પ્રગટ કરતી વેળાએ ભીખુભાઈએ જે મુખડો બાંધ્યો હતો તે અહીં સાંભરે છે. એમણે લખ્યું હતું કે જગતભરના કરોડો લોકોની જેમ નાઈન-ઈલેવનની ઘટનાથી આતંકવાદનો જે ભય પેદા થયો છે તેનો હું પણ ટીકાકાર છું. આવા હિંસાચારના વિષચક્રનો કોઈ વિકલ્પ જ નહીં હોય? અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીથી ‌વિશેષ બીજી કોઈ વ્યક્તિ પાસેથી આના જવાબો મળી શકે જ નહીં. એમની અને બિન લાદેન વચ્ચે કાલ્પનિક વાદ-વિવાદ જગવવા પાછળ મારા બે હેતુઓ છે. એક, જગતભરમાં ફરી વળેલ વિકૃત વિચારને સમજવાનો આશય છે, કેમ કે તે સમજ્યા વગર તેને પરાજિત કરી શકાય તેમ નથી. બે, અવગણાયેલા અહિંસક વિકલ્પ વિશે દુનિયાને જાગૃત કરવી જરૂરી છે.

ભીખુ પારેખ

‘પ્રોસ્પેક્ટ’માં 2004માં છપાયેલો લેખ 2015માં ‘ડિબેટિંગ ઈન્ડિયા’માં ગ્રંથસ્થ થયો તેના વચગાળાનાં વર્ષો સંભારીને ભીખુ પારેખે કહ્યું છે કે ભલે આ સંવાદ કાલ્પનિક છે, પણ તે કોઈ રાજકીય શૂન્યાવકશામાં થઈ રહ્યો છે એમ કૃપા કરીને માનશો નહીં. લાદેન રૂપે કે ગાંધી રૂપે કરેલી રજૂઆત માત્ર બે વ્યક્તિની જ વાત નથી. લાદેનની હિલચાલ સાથે આરબો સહિત મુસ્લિમ સમાજને સંકળાયેલ ગણીએ તો તાજા ઘટનાક્રમમાં યાદ રાખવાજોગ વિગત 2009-2012ની ‘આરબ સ્પ્રિંગ’ની પણ છે. જુઓ કે ગાંધીના આચારવિચારથી પ્રભાવિત થઈ પશ્ચિમ એશિયાના હજારો મુસ્લિમોએ ટ્યુનિસિયા, ઈજિપ્ત અને યમનના સરમુખત્યારો સામે અહિંસક આંદોલનો કર્યાં હતાં. ઊલટ પક્ષે, 1906થી દક્ષિણ આફ્રિકામાં મંડાયેલ સવિનય કાનૂનભંગની ચળવળ સંભારો. (અને, એમ તો, ભારતમાં દાંડીકૂચ પ્રકારના વામન પણ વિરાટ અભિક્રમો ક્યાં નથી?)

ગાંધી ને લાદેન વચ્ચે કેટલુંક સામ્ય છે. બંને ધાર્મિક છે, પોતપોતાને સમજાયેલ નૈતિક મૂલ્યો માટે જાન આપવા તૈયાર છે. બંને પશ્ચિમની ભોગવાદી, ભૌતિકવાદી, લશ્કરવાદી સંસ્કૃતિના આકરા ટીકાકાર છે. પણ માનવ ઇતિહાસ અને માનવ સમસ્યાઓને જોવાનો બંનેનો અભિગમ ભિન્ન છે. ધર્મની બાબતમાં ગાંધી સમાવેશી (ઈન્ક્લુઝિવ) છે, લાદેન મુસ્લિમ કોમ પૂરતો એકાંગી (એક્સ્ક્લુસિવ) છે. નેલ્સન મંડેલા, ડેસમન્ટ ટુટુ, માર્ટિન લ્યુથર કિંગની ચળવળો એક બાજુ અલ કાયદા, લશ્કરે તૈયબા, જેશે મહમદ બીજી બાજુ – આ બેઉ અભિગમો વચ્ચેનો ભેદ સ્ફુટ કરે છે.

લાદેન ગાંધી પાસે ધારો કે સહકાર માગે તો શું કહે? મહાન ઈસ્લામે તેરમા સૈકામાં દક્ષિણ યુરોપ, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકામાં રાજ કર્યું હતું. પશ્ચિમે ઔદ્યોગિક ક્રાંતિ કરી અમારા સામ્રાજ્યનો નાશ કર્યો, પેલેસ્ટાઈનનું વિભાજન કર્યું. યુરોપ-અમેરિકાને ફક્ત હિંસાની જ ભાષા આવડતી હોવાથી અમે પણ તેમ કરીશું. મારે મુસ્લિમ દેશોને અમેરિકાની પકડમાંથી છોડાવવા છે. ભૌતિકવાદ સામેના જંગમાં તમારો સાથ માંગું છું.

અને ગાંધી શું કહે? હું પણ છેક 1908થી સાવરકર, ઢીંગરા, શ્યામજી કૃષ્ણવર્મા જેવા હિંસામાં માનતા ક્રાંતિકારીઓના પરિચયમાં હતો. મને તે જચતું નહોતું અને દક્ષિણ આફ્રિકાથી શરૂ કરી મેં અહિંસાના અસરકારક પ્રયોગો કર્યા. બહાદુરી અને બલિદાની તૈયારીનો હું પ્રશંસક છું, પણ હિંસા કરતાં અહિંસાથી સામાનું મન જીતી લેવું તે વધારે ટકાઉ અને નૈતિક દૃષ્ટિએ શ્રેષ્ઠ છે. તમે સામ્રાજ્યવાદનો વિરોધ કરો છો, પણ તમે પણ સામ્રાજ્યવાદી જ છો, કેમ કે તમારે ઈસ્લામી સામ્રાજ્ય સ્થાપવું છે. જેમ મેં મારા ધર્મની મર્યાદાઓ જોઈ તેની ઊણપો દૂર કરવાના પ્રયાસ કર્યા, પણ ઈસ્લામના સામાજિક કલેવરમાં સુધારો કરવાની તમારી કોઈ યોજના નથી. સમજો કે આત્મભોગ અને નૈતિક દબાણ દ્વારા જે શક્ય છે તે દમનનીતિ દ્વારા નથી.

ખરું જોતાં આખી જ ચર્ચા વાંચવી જોઈએ, પણ અહીં તો એક આછી ઝલક કે ઝાંખી જ, નેવું નાબાદ ભીખુ પારેખની સાખે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 મે 2025

પુરવણી :

Loading

ધરપકડ માટે કારણભૂત બનેલી *પ્રો.અલી ખાન મહેમૂદાબાદની પોસ્ટ:*

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|20 May 2025

અલી ખાન મેહમૂદાબાદ

પાકિસ્તાનમાં લશ્કર અને આતંકવાદી (એટલે કે બિન-રાજ્ય કર્તાઓ) વચ્ચે વિલય પામતા રહેલા તફાવતના સંદર્ભમાં ભારતે વાસ્તવમાં વ્યૂહાત્મક રીતે નવા તબક્કાનો આરંભ કર્યો છે. હકીકતમાં કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિઓ સામેનો પ્રતિભાવ પરંપરાગત ઉત્તરને જ આમંત્રે, અને તેથી તેની જવાબદારી પાકિસ્તાની લશ્કરની છે કે તે હવે આતંકવાદીઓ અને બિન-રાજ્ય કર્તાઓની પાછળ સંતાય નહીં. 

પાકિસ્તાન ઘણા લાંબા સમયથી લશ્કરીકૃત બિન-રાજ્ય કર્તાઓનો ઉપયોગ આ પ્રદેશને અસ્થિર કરવા માટે કરી રહ્યું છે અને છતાં તે આતંકવાદથી અસરગ્રસ્ત છે તેવું વૈશ્વિક મંચ પર દાવા સાથે કહે છે. તેણે એ જ લોકોનો ઉપયોગ પાકિસ્તાનમાં સંપ્રદાયવાદી તનાવ ઊભો કરવા માટે પણ કર્યો છે અને તેમાંના કેટલાક પર તાજેતરમાં હુમલા કરવામાં આવ્યા છે. 

ઓપરેશન સિંદૂર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના તમામ પ્રસ્થાપિત સિદ્ધાંતોને પુન: ગોઠવે છે, અને તે એમ કહે છે કે આતંકવાદી હુમલાનો જવાબ લશ્કરી પ્રતિભાવ તરીકે આપવામાં આવશે,  અને તે બે વચ્ચેના કોઈ પણ લવારિયા તફાવતને નેસ્તનાબૂદ કરે છે. 

આ તફાવત તૂટ્યો તેમ છતાં, ભારતના લશ્કર દ્વારા એની કાળજી લેવાઈ છે કે લશ્કરી કે નાગરિક મથકો પર કે માળખાગત સવલતો પર હુમલા ન થાય કે જેથી ખોટો બિન-જરૂરી ભડકો ન થાય. આમ, સંદેશ બહુ સ્પષ્ટ છે : જો તમે તમારે ત્યાંના આતંકવાદની સમસ્યા નહીં ઉકેલો તો અમે એ ઉકેલીશું! નાગરિકોની જિંદગીની નુકસાની બંને પક્ષે દુઃખદાયી છે અને તે જ એક મુખ્ય કારણ છે કે યુદ્ધ ટાળવું જોઈએ.

કેટલાક લોકો બેફામપણે યુદ્ધની વકીલાત કરે છે પરંતુ તેમણે કદી પણ સંઘર્ષનો પ્રદેશ જોયો હોતો જ નથી, ત્યાં રહેવાની કે તેની મુલાકાત લેવાની વાત તો સાવ જ બાજુ પર. મોક સિવિલ ડિફેન્સ ડ્રીલના ભાગ બનવાથી તમે સૈનિક નથી બની જતા અને તમે કદી એ જાણતા પણ નથી કે સંઘર્ષને કારણે જે સહન કરે છે એની શી પીડા હોય છે. યુદ્ધ ઘાતકી છે. ગરીબોને ખૂબ સહન કરવું પડે છે અને જેમને લાભ થાય છે તે છે રાજકારણીઓ અને શસ્ત્રો પેદા કરનારી કંપનીઓ. રાજકારણનું મૂળ મુખ્યત્વે હિંસા હોય છે તેથી યુદ્ધ અનિવાર્ય બની જાય છે, માનવજાતનો ઇતિહાસ તો કમ-સે-કમ આ જ શીખવે છે. આપણે એ સમજવું પડશે કે રાજકીય સંઘર્ષો ક્દી પણ લશ્કરી માર્ગે ઉકેલાયા નથી.

છેલ્લે, મને એ વાતની ખુશી છે કે ઘણા જમણેરી વિવેચકોએ પણ કર્નલ સોફિયા કુરેશીની પ્રશંસા કરી છે. પરંતુ તેમણે એટલા જ બુલંદ અવાજે એવી માગણી કરવી જોઈએ કે મોબ લિન્ચિંગ, સ્વચ્છંદી રીતે ચલાવાતાં બુલડોઝર અને ભા.જ.પ.ના નફરતનાં પીપૂડાંના અસરગ્રસ્તોનું પણ ભારતના નાગરિકો તરીકે રક્ષણ થાય. 

બે મહિલા સૈનિકોને લશ્કરની વાત કહેવા માટે રજૂ કરવાના દેખાડા મહત્ત્વના છે, પણ હકીકતમાં તે જમીની સ્તરે વાસ્તવિકતા બનવું જોઈએ, નહીં તો તે દંભ માત્ર બની રહે છે. જ્યારે અગ્રણી મુસ્લિમ રાજકારણીઓ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ કહે છે અને તેમને તેથી પાકિસ્તાનીઓ દ્વારા ટ્રોલ કરવામાં આવે છે; ત્યારે ભારતના જમણેરી વિવેચકો તેમનો એમ કહીને બચાવ કરે છે કે “એ તો અમારા મુલ્લા છે.” અલબત્ત, આ રમૂજી બાબત છે, પણ તે એ બાબત પ્રત્યે પણ ધ્યાન ખેંચે છે કે કોમવાદ ભારતના રાજકીય દેહમાં કેટલો ઊંડે સુધી ઘૂસી ગયો છે.

મારા માટે એ પત્રકાર પરિષદ એ તો એક ક્ષણિક આવેશ હતો, એ કદાચ પાકિસ્તાનનું નિર્માણ જેના પર થયું છે તે તર્કને નકારતો ભ્રમ પણ હતો અને અછડતો સંકેત પણ. મેં કહ્યું તે પ્રમાણે સામાન્ય મુસ્લિમો જેનો સામનો કરે છે તે જમીની સ્તરની વાસ્તવિકતા સરકાર જે બતાવવા માગે છે તેના કરતાં જુદી જ છે. પરંતુ તેની સાથે સાથે પત્રકાર પરિષદ એમ દર્શાવે છે કે ભારત તેની વિવિધતામાં એક છે અને તેની વિભાવના સાવ મારી પરવારી નથી.

જય હિન્દ 

*ઉપરોક્ત પોસ્ટ હરિયાણાની વિશ્વ વિખ્યાત અશોક યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના અધ્યાપક પ્રો. અલી ખાન મહેમૂદાબાદ દ્વારા FB પર જય હિન્દ અને રાષ્ટ્રધ્વજ સાથે તા. ૦૮-૦૫-૨૦૨૫ના રોજ મૂકાઈ હતી અને તેમના પર FIR કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.*

*હું આ ધરપકડનો સખત વિરોધ કરું છે કારણ કે તે બંધારણમાં લખવામાં આવેલા વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારના ભંગ સમાન છે.* 

હું મારા એ જ અધિકારનો ઉપયોગ કરીને એ પોસ્ટનો અનુવાદ ગુજરાતી વાચકો માટે પ્રસ્તુત કરું છું. 

તા. ૧૯-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...332333334335...340350360...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved