Opinion Magazine
Number of visits: 9552634
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ડિ-સ્ટ્રેસ’ થવા તમે શું કરો છો?

સોનલ પરીખ|Opinion - Opinion|11 November 2025

અમુક હદ સુધી સ્ટ્રેસ પૉઝિટિવ હોય છે. એ આપણને ચાલતા, દોડતા, કામ કરતા, પ્રગતિ કરતા કરે છે. પણ જ્યારે તેની અસર શારીરિક તકલીફરૂપે દેખાવા લાગે ત્યારે ચેતી જવું જોઈએ. તમે આવા અનહેલ્ધી સ્ટ્રેસના શિકાર તો નથી ને? એનાથી છૂટવા શું કરવું જોઈએ? 

સોનલ પરીખ

આધુનિક જીવનશૈલીએ બે શબ્દોને ચલણી બનાવ્યા છે – એ બે શબ્દો છે ‘સ્ટ્રેસ’ અને ‘બર્ન આઉટ’. સ્ટ્રેસ એટલે તાણ. કોઈપણ પડકાર ઊભો થાય ત્યારે શરીર-મનમાં એક તાણ ઊભી થાય છે. આમ તો એ તાણને લીધે જ આપણે મહેનત કરવા પ્રેરાઈએ છીએ અને વિકસીએ છીએ. પણ જ્યારે તાણ એટલે કે સ્ટ્રેસ કાયમી બની જાય ત્યારે એ શરીર-મન માટે જોખમી બની જાય છે. એમાંથી જ બર્નઆઉટની પરિસ્થિતિ ઊભી થાય છે. બર્નઆઉટનો ભોગ બનેલો માણસ માનસિક રીતે અત્યંત થાકી જાય છે અને તેથી હતાશા અને શારીરિક થાકથી ઘેરાય છે. સ્ટ્રેસને લીધે માણસ વધારે કામ કરે છે, જ્યારે બર્નઆઉટથી પીડાતો માણસ કામ કરી શકતો નથી. તેનો પોતાના પરથી અને સ્થિતિ પરથી કાબૂ લગભગ ચાલ્યો જાય છે. 

વર્ષ 2023માં ન્યૂયોર્કની મેકકિન્સે હેલ્થ ઇન્સ્ટિટ્યૂટે વિશ્વના 30 દેશોના 30 હજાર કર્મચારીઓ પર એક સર્વે કર્યો હતો. તેમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં સરેરાશ 20% કર્મચારીઓ બર્નઆઉટની ફરિયાદ કરે છે. જ્યારે ભારતમાં આ આંકડો 59% એટલે કે લગભગ ત્રણ ગણો વધારે છે. એ સર્વે મુજબ નાની કંપનીઓમાં કામ કરતા 18થી 24 વર્ષના યુવાનો સ્ટ્રેસ અને બર્નઆઉટનો વધુ શિકાર બની રહ્યા છે. જો કે સ્ટ્રેસે કોઈને છોડ્યા નથી. કોઈપણ વયની વ્યક્તિ તેનો શિકાર બની શકે છે. 

આપણી આસપાસ આવાં અનેક ઉદાહરણો છે. મનોજભાઈ અને તરલાબહેન બંને પંચાવન પાર કરી ગયેલી વ્યક્તિઓ છે. મનોજભાઈ આમ તો સ્વસ્થ અને ધીરગંભીર, પણ ક્યારેક એમને સ્ટ્રેસની ખૂબ તકલીફ થાય. પછી તર્કથી, શ્રદ્ધાથી, ધીરજથી તેઓ તેમાંથી મુક્ત થાય. ક્યારેક પોતાને નાનો વિરામ આપી પ્રકૃતિને ખોળે ચાલ્યા જાય. તરલાબહેન એટલા નસીબદાર નથી. તેમને સ્ટ્રેસથી છૂટવા મેડિકલ હેલ્પ લેવી પડે છે. 

સ્ટ્રેસ એવી સમસ્યા છે કે જો તેનું નિવારણ સમયસર કરવામાં ન આવે તો તેની અસર શરીરની તંદુરસ્તી પર પણ પડે છે. ચાલીસ વર્ષની કેયા રોજ સવારે ઊઠે ત્યારે ગળું અને ખભો જ્યાં મળે એ જ્ગ્યાએ કશુંક ગંઠાઈ ગયેલું લાગે. ઘણા દિવસ સુધી તો એને એમ લાગ્યું કે અમુક રીતે સૂવાને કારણે ખભો અને ગળું ખોટી રીતે દબાઈ જતાં હશે. એ ઘર અને જોબમાં ખૂબ વ્યસ્ત રહેતી. પેઈનકિલર લઈ લેતી અને કામે વળગતી. પણ પછી તો ખભો આખો ગંઠાઈ જવા માંડ્યો, દુ:ખાવો પેઈનકિલર-પ્રૂફ થઈ ગયો અને દિવસો સુધી રહેવા માંડ્યો. એક રાત્રે ગરમ પાણીની કોથળી ખભા પર દબાવતાં એણે પતિને કહ્યું, ‘એક તો આટઆટલાં કામ ઉપરથી આ દુ:ખાવો …’ ત્યારે પતિએ કહ્યું, ‘મને લાગે છે કે તારે ડિ-સ્ટ્રેસ થવાની જરૂર છે.’ એ ક્ષણે કેયાને પહેલી વાર એવું લાગ્યું કે એનું સ્ટ્રેસ અને ખભાનો દુખાવો બે જુદી ચીજો નથી.

માથાનો દુખાવો, અલ્સર, અપચો, બ્લડપ્રેશર – આ બધું સ્ટ્રેસનું સીધું પરિણામ હોઈ શકે. એ અચાનક થાય છે એમ પણ હોતું નથી. કેટલો ય વખત તો શરીરે મગજના દબાણ સાથે અનુકૂલન સાધ્યું હોય છે, પછી એ સંભવ ન રહે ત્યારે શરીર પર તેની અસર દેખાય છે. મેડિકલ સાયન્સ કહે છે કે મોટા ભાગના રોગો સાયકોસોમેટિક હોય છે. એટલે કે શરીરના કારણે મનને અને મનના કારણે શરીરને થાય છે. 

કેયાએ ‘ડિ-સ્ટ્રેસ’ થવા શું કર્યું? સફળતાપૂર્વક સ્ટ્રેસમુક્ત થયા પછી એ કહે છે, જો તમે સ્ટ્રેસ સાથે લડી રહ્યા હો, તો આટલું પોતાની જાતને પૂછી લો, ‘કોની ચિંતા મારા માથા પર સવાર થઈ છે?’ – સ્ત્રી માટે કુટુંબના સૌનાં સુખદુ:ખ પોતાનાં જ હોય છે. વળી કોઈ કંઈ કહે એટલે એ સીધું મન પર લઈ લે છે. તેનાથી જીવનશક્તિ રુંધાતી જાય છે. અજાણે એ ખરીદી, ટેલીવિઝન, ખૂબ ખાવું જેવા ઉપાયો તરફ વળે છે. પુરુષને સ્ટ્રેસ આવે ત્યારે એ ખાવા-સૂવાની અનિયમિતતા ઉપરાંત સિગરેટ અને આલ્કોહોલનું શરણું શોધે છે.

જ્યારે સ્ટ્રેસ આવે, ચિંતાનું કારણ સમજી લો. બાળકને સ્કૂલમાં પ્રોબ્લેમ થયો છે? પતિને ઑફિસનું ટેન્શન છે? મિત્રો વચ્ચે બોલાચાલી થઈ છે? બાળકો, પતિ, મિત્રો માટે હમદર્દી, પ્રેમ, મહેનત બધું આવકાર્ય, પણ એનું ટેન્શન તમારું માથું કાણું કરે ત્યારે ચેતવું પડે. આવું થાય ત્યારે વિચારો, આ સ્ટ્રેસની તમારા મન પર શું અસર થઈ છે? જો તમે અચાનક ચિડિયા, અધીરા, અસ્થિર બન્યા હો તો સ્પષ્ટ થઈ જાઓ કે કઈ ચીજ તમારા કાબૂમાં છે અને કઈ કાબૂ બહાર છે. બન્ને પર તાત્કાલિક કામ શરૂ કરી દો.  જે કાબૂમાં હોય તેને સરખી કરી લો, જે કાબૂ બહાર હોય તેની સાથે સમાધાન કરી લો. અદ્દભુત પરિણામ મળશે. 

‘ચિંતા કરવાથી સ્થિતિ સુધરશે?’ આ પ્રશ્ન બહુ અગત્યનો છે. ચિંતાથી તાણ વધે છે, સ્વસ્થતા ચાલી જાય છે અને તમે સ્થિતિને સુધારી પણ શકતા નથી. એ પણ વિચારી જુઓ કે નાની ચિંતાને તમે બહુ મોટી તો બનાવી દીધી નથી ને? એની પાછળ વધુ પડતાં સમય-શક્તિ તો વેડફાતાં નથી ને? ખરાબ ભવિષ્યની આશંકા વર્તમાનમાં જે સારું છે તેને ઢાંકી દેતી તો નથી ને?

કેટલીક વાર ઘણુંબધું કરી લેવાની લ્હાય આપણો જીવ ઊંચો રાખે છે. એક દડો હવામાં ઉછાળ્યો હોય તો આસાનીથી પાછો ઝીલી શકાય છે, પણ જો આઠદસ દડા એકસાથે ઉછાળ્યા હોય તો? જિંદગી નાની છે, કેટલુંક થશે? શ્વાસ લેવાનો ય સમય ન મળે એટલું કામ એકઠું ન કરો. નિષ્ફળતાઓને પણ સ્વાભાવિક ગણી સ્વીકારો. કોઈ બાબત પાર ન પડે, કોઈ પાર પડતા સમય લાગે એવું થાય. શાંતિથી કામ કર્યા કરો, બાકીનું સમય પર છોડતાં શીખી જાઓ. 

પોતાની કાળજી લો છો કે નહીં? પોતાની કિંમત કરવી, પોતાની જાતને પ્રેમ કરવો એનો અર્થ સ્વકેન્દ્રી કે સ્વાર્થી થવું એવો નથી. પોતાનો સમય, પોતાની શક્તિ, પોતાનું મૂલ્ય આ બધું રોજનાં દબાણો સામે બેલેન્સ કરનારું નીવડે છે. 

ઉપરાંત, ઊંડા શ્વાસ લેવાથી મગજમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જે મનને શાંત કરે છે અને તણાવ ઓછો કરે છે. યોગ અને ધ્યાન ફક્ત શરીરને લવચીક જ નહીં, પણ મનને પણ સ્થિર કરે છે. દરરોજ ચાલવું – ખુલ્લી હવામાં ચાલવાથી તાજગી આવે છે. એન્ડોર્ફિન નામનું હોર્મોન મુક્ત થાય છે, જે તણાવ ઘટાડે છે. હાસ્ય સ્ટ્રેસ-થેરપી જેવું છે. હસતા રહેવાથી મન હળવું રહે છે. ઊંઘનો અભાવ તણાવ વધારે છે અને માનસિક થાક તરફ દોરી જાય છે. માનસિક સ્વાસ્થ્ય માટે દરરોજ 7-8 કલાક ગાઢ ઊંઘ લેવી જરૂરી છે. તે માટે સ્ક્રીનનો સમય ઓછો કરો અને સૂતા પહેલા આરામદાયક વાતાવરણ બનાવો. ચિત્રકામ, સંગીત, નૃત્ય, બાગકામ જેવા શોખને સમય આપી ખીલવો. તેનથી મન પ્રસન્ન રહે છે અને સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે.

જીવવું છે એ રીતે કેમ જીવી શકાતું નથી? કરવું હોય છે એ કેમ કરી શકાતું નથી? લોકો, સંબંધો, પરિસ્થિતિઓ આખરે આટલી જટિલ કેમ હોય છે? આ સવાલોનાં કારણ બહાર હોઈ શકે પણ એનો જવાબ પોતાની અંદર જ છે. આખરે પરિસ્થિતિ તમારી છે, તમે પરિસ્થિતિના નથી અને યાદ રાખો કે હળવા ખભે ચાલવાનું એક સુખ હોય છે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 સપ્ટેમ્બર  2025

Loading

કોલર ટ્યુન

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|10 November 2025

બરોબર અગિયાર વાગે ભારતનાં એક નાની કક્ષાનાં શહેરમાં, અચાનક, બધાનાં મોબાઈલમાં, કમ્પ્યુટરમાં, લેપટોપ કે બીજા અન્ય ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સમાં એક કોલર ટ્યુન વાગવા માંડી. બધાં જ માણસો કોલરટ્યુન સાંભળવામાં તલ્લીન થઈને રોકાઈ ગયા, માનો કોલર ટ્યુનનાં નશામાં મસ્ત થઈને ઝૂમવા લાગ્યા. પરિણામે અચાનક રસ્તા પરના વાહનો સ્થંભી જતાં કેટલાં ય અકસ્માત થયાં. કેટલા ય માણસો ઘવાયા કે મૃત્યુ પામ્યાં. માણસો જાણે મીણનાં પૂતળા હોય એમ ઊભા રહી ગયાં, સ્થંભી ગયાં. બરોબર બે મિનિટ સુધી કોલર ટ્યુન વાગતી રહી. બે મિનિટ પછી કોલર ટ્યુન વાગતી બંધ થઈ ગઈ એટલે બધું જ પૂર્વવત થઈ ગયું. પણ ત્યાં સુધીમાં કેટલા ય લોકો ઘવાયા અને મૃત્યુ પામ્યાં હતાં. આ ભયાવહ દૃશ્ય જોઈને માણસો રઘવાયા થઈ અહીં તહીં દોડવા લાગ્યાં. રસ્તા પર જ્યાં ત્યાં  અફડાતફડી મચી ગઈ હતી. કોઈને કંઈ જ ન સમજાયું કે આવું કેમ બની ગયું. એવું તે શું બન્યું? કે આવો અરાજકતાનો માહોલ ઊભો થઇ ગયો હતો. કોઈ કોઈને આશ્વાસનનાં બે શબ્દો બોલી શકે એવી સ્થિતિમાં નહોતા. પાછી નવાઈની વાત એ હતી કે કોઈને કોલર ટ્યુન સાંભળી હતી એ યાદ જ નહોતું. બધાં જ બાઘાની જેમ આમ તેમ આથડતાં હતાં. પ્રશાસનની બધી જ ઓફિસો પણ મૂંઝવણમાં હતી. કારણ કે ત્યાં પણ આવો જ માહોલ હતો. ત્યાં પણ બધાએ કોલર ટ્યુન સાંભળી હતી પણ એ વિશે કોઈને કંઈ જ યાદ નહોતું રહ્યું. બે મિનિટ માટે કોલર ટ્યુન દ્વારા કોઈ અદૃશ્ય શક્તિએ આખા શહેરનો કબજો લઈ લીધો હતો. આખા ય દેશમાં આ બાબતની ચર્ચા હતી. જુદા જુદા ક્ષેત્રમાંથી વિવિધ મતો આવતાં હતાં. ક્યાંક કેટલી ય સારી-ખરાબ ચર્ચાઓ થતી હતી. બધાનાં મનમાં એક જ વાત હતી કે આ એલિયન્સનું તો કારસ્તાન નહીં હોય ને? બધાં ચિંતા અને દ્વિધામાં હતાં. કારણ કે ભૂતકાળમાં આવા કિસ્સા બન્યાની વાતો લોકોએ સાંભળી હતી. જે લોકવાયકા પ્રમાણે અલિયન્સનું કામ હતું એમ બધાં માનતા હતા. ભલે તેનો કોઈ દાર્શનિક પુરાવો નહોતો મળ્યો પણ એલિયન્સ દ્વારા આવું બન્યું છે અને બને છે એમ બધાં માનતા હતા.

બે દિવસ પછી ભારતનાં એક બીજા નાની કક્ષાનાં શહેરમાં બરોબર અગિયાર વાગે કોલર ટ્યુન વાગી ને બધાં જ ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સમાં અગાઉના શહેરમાં થઇ હતી તેવી જ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. હવે બધાં જ ન સમજી શકાય એવી ચિંતામાં પડી ગયા. એક વાત સમજાઈ ગઈ કે આ કોઈ અજાણી વ્યક્તિ કે સંગઠનનું કૃત્ય લાગે છે. કોઈ અજાણ્યા ગ્રહનું  કે પછી એલિયન્સનું કૃત્ય હોય એમ લાગે છે. એ જે હોય તે પણ છે જોખમી અને ચિંતાજનક પરિસ્થિતિ. જો આ એલિયન્સનું કૃત્ય હશે તો તે બીજા દેશનાં શહેરોમાં પણ આવી જ કાર્યવાહી કરશે અથવા તો થઈ હશે. ભારતને એકને જ ટાર્ગેટ બનાવે એવું ન બને. અને જો કોઈ કારણવશાત આવી ઘટનાઓ ભારતમાં જ બને છે તો શા માટે બને છે? એ શોધવું જ પડે. હવે આગળ શું થાય છે. બીજા દેશ કે શહેરની શું સ્થિતિ છે? તેની ઉપર આ બનતી ઘટનાનો આધાર છે. અને એ રિપોર્ટ પરથી આગળનું પ્લાનિંગ થઇ શકે.

આ સમય દરમ્યાન ટોપ લેવલની મિટિંગઓમાં વૈજ્ઞાનિકો, આઈ.ટી. એક્સપર્ટ, ઇલેક્ટ્રોનિક્સ એક્સપર્ટ, સોફ્ટવેર એન્જીનિયર અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા, વિચાર વિમર્ષ કરવામાં આવ્યો. એક્સપર્ટનો મત હતો કે કોઈ સોફ્ટવેર પ્રોગ્રામર દ્વારા લોકલ કોમ્યુનિકેશન સિસ્ટમ હેક કરવામાં આવી હોય એવું બની શકે? એક જ ક્ષેત્રને અત્યારે તો ટાર્ગેટ કરીને આ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે. બીજી શક્યતા એ છે કે સેટેલાઇટ દ્વારા ઓપરેટ થતી કોમ્યુનિકેશન સિસ્ટમ હેક કરવામાં આવી હોઈ શકે? અથવા કોમ્યુનિકેશન માટેનાં સેટેલાઇટને જ હેક કરવામાં આવ્યો હોઈ શકે? આખી ય સિસ્ટમને કન્ટ્રોલ કરી, હેક કરી, કોઈ એક શહેરની કોમ્યુનિકેશન સિસ્ટમનાં અલોટેડ કોડ ઉપર હાઈપાવર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝ કોલર ટ્યુન દ્વારા માણસોને સંમોહિત કરવામાં આવ્યા હોય એવું બની શકે. તેમ જ સેટેલાઈટ નેટવર્ક કમ્યુટર સિસ્ટમ હેક કરી ફ્રીઝ કરી દેવામાં આવી હોય. જેથી બધાં જ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ કામ કરતા બંધ થઇ ગયા હોય. આ બધી જ શક્યતાઓ છે જે યોગ્ય રીતે તપાસવી પડે ત્યાર પછી જ કોઈક નિર્ણય ઉપર આવી શકાય. અત્યારે આપણે બધાએ બને તેટલું સતર્ક રહેવું પડશે. કારણ કે આ એક સોશિયલ મીડિયા હેવોક છે જે જાણી શકાશે પણ રોકી નહિ શકાય.

એક વિચારવાની એ બાબત પણ છે કે એક એક કરીને નાની કક્ષાનાં શહેરને લઈને સિસ્ટમને તપાસવામાં આવી રહી છે. સફળતા મળતા એક સાથે ઘણાં શહેરોને આવરી લઈ અંધાધૂંધી ફેલાવાની સાઝિશ પણ હોય શકે. એટલે બને એટલી ત્વરાથી આ પ્રશ્નનો ઉકેલ શોધવો પડે. જાસૂસી સંસ્થાનો ઉપયોગ કરવો પણ જરૂરી લાગે છે. આ બાબત કદાચ ઇન્ટરનેશનલ લેવલની પણ હોઈ શકે?

બધી જ ચર્ચા વિચારણા પછી પ્રખ્યાત જાસૂસ મુકુલરાયની મદદ લેવાનું નક્કી થયું. હોમ ઓથોરિટીને એ કામ સોંપવામાં આવ્યું. હોમ ઓથોરિટીનાં ચીફ અગરવાલસાહેબે મુકુલરાયને ફોન કરી ઓફિસે બોલાવ્યા ….

“મુકુલરાયજી આપનું અગત્યનું કામ પડ્યું છે. તમારી સેવાની જરૂર છે. તમે મારી ઓફિસે આવી શકો છો? એક ગંભીર પ્રકારનો પ્રશ્ન ઊભો થયો છે. જેનો હલ તાત્કાલિક શોધવો પડશે નહીંતર લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાઈ જશે. હું જે વાત કરું છે એ વિશેનાં સમાચાર તમે પણ જાણ્યા હશે.”

“હા, સાહેબ, મેં પણ આ સમાચાર જાણ્યા છે. તમે કહો છો તેમ વાત છે તો ગંભીર. બોલો, અગરવાલસાહેબ, હું આપને શું મદદ કરી શકું? હું તો આપની સાથે કામ કરવા સદા તૈયાર રહું છું. હું હમણાં જ તમારી ઓફિસે પહોચું છું.”

મુકુલ્રરાય અગરવાલ સાહેબની ઓફિસે પહોંચી ગયા. અગરવાલ સાહેબે કહ્યું, “મુકુલરાયજી, તમે સમાચાર તો જાણ્યા હશે કે આપણા ગુજરાતનાં બે નાની કક્ષાનાં શહેરોને કોલર ટ્યુન દ્વારા બે મિનિટ માટે બધાં જ ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ હેક કરી માણસોને સંમોહિત કરી સ્થિર પૂતળા જેવા બનાવી દીધા હતા. તેના પરિણામે રોડ ઉપર ઘણાં અકસ્માત થયાં. સેંકડો માણસ ઘાયલ થયા કે મૃત્યુ પામ્યા. પણ આ કામ શહેરમાં કોઈ જાતની ચોરી કરવા માટેનું આ કામ હોય તેમ લાગતું નથી. અત્યાર સુધી જે બે નાનાં શહેરમાં આ બનાવ બન્યો છે ત્યાં કોઈની પણ ચીજ વસ્તુઓની ચોરી થઇ હોય એવા કોઈ સમાચાર નથી. આમ કેમ બન્યું? અને શું કામ બને છે? એ કોઈને સમજાતું નથી. બધાં જ અત્યારે જુદી જુદી ધારણાઓ બાંધીને બેઠાં છે. એક મત પ્રમાણે આ કાર્ય એલિયન્સનું છે એમ મોટા ભાગના લોકો માને છે. પણ મને એ વાત ગળે ઉતરતી નથી કારણ કે એલિયન્સ નાના નહીં મોટા શહેરને ટાર્ગેટ કરે. મારે આ પ્રશ્નને જલદી ઉકેલવો છે એટલે આપની મદદની જરૂર છે. આપને જે કંઈ સપોર્ટ જોઈતો હશે તે આપવામાં આવશે. આપણે સાથે રહીને કામ કરશું.”

“ઓકે સાહેબ હું મારું જાસૂસીનું કામકાજ શરૂ કરી દઉં છું. આપની સાથે હું સતત સંપર્કમાં રહીશ. તમે મને જાણકારી અને માર્ગદર્શન આપતા રહેજો. તમારી ટેકનીકલ ટીમને પણ મદદ માટે તૈયાર રાખજો.”

મુકુલરાયે ઓફિસે આવી તેના સ્ટાફ સાથે આખી ય પરિસ્થિતિની ચર્ચા કરી. એક વાત તો ચોક્કસ છે કે હવે જો કોઈ શહેરમાં આવી બાબત બને તો બહુ મોટું ષડયંત્ર આકાર લઈ રહ્યું છે એ વાત નક્કી છે. કોઈ વ્યક્તિ, માફિયા ગેંગ કે કોઈ માથાફરેલ ટેકનોક્રેટ પોતાનો પ્રયોગ સફળ થયે શહેર પછી શહેરને બાનમાં લઈને દેશમાં ભય ફેલાવી દેવા માંગે છે. એ આપણા દેશનો પણ હોઈ શકે અને કોઈ વિદેશી પણ હોઈ શકે. તમે ચારેતરફ તપાસ કરીને જેટલી બને તેટલી જલદીથી કોઈક મહત્ત્વની કડી શોધી કાઢો, જેથી આ સાઝિશની/ષડયંત્રની જડ સુધી પહોંચી જવાય. બાકી આપણી પાસે સમય બહુ ઓછો છે. જેમ જેમ એ પ્રયોગોનું ક્ષેત્ર વધારતો જશે તેમ તેમ લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાતું જશે. જે આપણે થવા દેવું નથી.

મુકુલરાયે તેના આસિસ્ટંટ અભયને પૂછ્યું, “અભય, આ આખી ય ઘટના ટેકનોલોજીકલ હોય એમ મને લાગે છે. કારણ કે જે રીતે બે નાનાં શહેરની જ સિસ્ટમ કોડને હેક કરી આખી ય કમ્યુનિકેશન સિસ્ટમને કંટ્રોલ કરવામાં આવી છે એ કોઈ સાધારણ વ્યક્તિનું કામ ન હોય શકે. કોઈ માથાફરેલ ટેકનોક્રેટનું તો કામ નહીં હોયને? આપણે આવા જ ટેકનિકલ એક્ષ્પર્ટ, સોફ્ટવેર એન્જીનિયર કે આઇ.ટી. એક્ષ્પર્ટની મદદ લેવી પડશે. તું કોઈને જાણે છો તો તેની સાથે વાત કર. અભય, એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે આપણે જે કંઈ એક્ક્ષન લઈએ એ ગુપ્ત રીતે લેવા પડશે એટલે તું જેની સાથે વાત કર તેને વિશ્વાસમાં લઈને વાત કરજે. હું, પણ મારી રીતે તપાસ કરું છું.”

“હા બોસ, મારો મિત્ર આશિષ એક સોફ્ટવેર એન્જીનિયર છે. એ એક મોટી કંપનીમાં સારા હોદ્દા ઉપર છે. તેને જુદા જુદા કાર્ય માટે સોફ્ટવેર પ્રોગ્રામ બનાવવા ગમે છે. તેણે ભૂતકાળમાં ઘણી કંપનીઓને તેની જરૂરિયાત પ્રમાણેનાં સોફ્ટવેર પ્રોગ્રામ બનાવી આપ્યા છે. એ નવી નવી એપ્સ બનાવી તૈયાર રાખતો હોય છે  અને જરૂરિયાત પ્રમાણે જે તે વ્યક્તિ કે કંપનીને સપ્લાય પણ કરે છે. તેણે પોતાનાં ઘરે આ કામ માટે ટેકનિકલ લેબ પણ ઊભી કરી છે. એ મારો ખાસ મિત્ર અને વિશ્વાસપાત્ર છે આપણે તેની મદદ લઈએ. એ બધી જ રીતે આપણને મદદરૂપ થશે.”

“તો અભય, તું જલદી તેને ફોન કરીને આપણી ઓફિસે બોલાવ આપણી પાસે સમય બહુ ઓછો છે. એ માથાફરેલ વ્યક્તિ બીજા કોઈ શહેરને ટારગેટ કરે એ પહેલાં આપણે આ ઘટનાનો ઉકેલ શોધીને તેને બનતી અટકાવવી છે.”

અભયે, આશિષને ફોન લગાડ્યો પણ સ્વીચઓફ આવતો હતો. ફરી ફરીને ફોન લગાડ્યો પણ એ જ જવાબ સ્વીચઓફનો આવતો હતો. અભયે બીજા કોમન મિત્રોને ફોન કરી આશિષ વિષે પૂછ્યું તો તે લોકોને તો આશિષ સાથે લાંબા સમયથી વાત જ થઇ નહોતી કે મળ્યા નહોતા.

“બોસ આશિષનો ફોન સ્વીચઓફ આવે છે. આવું ભૂતકાળમાં ક્યારે ય બન્યું નથી. મારે રૂબરૂ જઈને તપાસ કરવી પડશે. ત્યાંની જે કંઈ પરિસ્થિતિ હશે તેની હું તમને જાણ કરતો રહીશ.”

અભય, આશિષનાં ઘરે પહોચ્યો. એ ત્યાં નહોતો એટલે આશિષની ટેકનિકલ લેબ પર પહોચ્યો, તો, ત્યાંની પરિસ્થિતિ જોઈને અભય ગભરાઈ ગયો. લેબમાં બધું જ અસ્તવ્યસ્ત હતું. લેબમાં મોટાપાયે તોડફોડ થઇ હોય એવું લાગતું હતું. આશિષ લેબમાં નહોતો. અભય એકદમ લેબની બહાર આવ્યો અને આજુબાજુનાં લોકોને શું બન્યું હતું એ પૂછ્યું.

લોકોએ જે વાત કરી એ સાંભળીને અભયને પોતાનાં પગ નીચેની જમીન સરકી જતી લાગી. લોકોનાં કહેવા પ્રમાણે એક કાળી વોક્ષવેગનમાં ચાર માણસો આવીને આશિષને ઉઠાવી ગયા હતા, માનોને આશિષનું અપહરણ થઇ ગયું હતું. અભયને એ ન સમજાયું કે આશિષનું અપહરણ શું કામ થયું? અને કોણે કર્યું?

અભયે મુકુલરાયને આશિષનાં સંભવિત અપહરણની વાત કરી, આગળનું માર્ગદર્શન માગ્યું. મુકુલરાયે કહ્યું, “અભય તું કહે છે તે પ્રમાણે તારો મિત્ર ટેકનોક્રેટ છે. તો તેને પોતાની સુરક્ષા માટે કોઈ ડિવાઈસ કે ઈલેટ્રોનિક ગેઝેટ અવશ્ય બનાવ્યું હશે. તું તેની લેબમાં તપાસ કર કદાચ એ મળી જાય તો  તને મારા મિત્ર સુધી પહોચવામાં મદદરૂપ થશે.

અભયે જોયું તો એક સાદા લાગતા બ્રેસલેટમાથી ઘીમો ધીમો બીપ બીપ અવાજ આવતો હતો. અભયનું જાસૂસી મગજ કામે લાગી ગયું.

આશિષને સોફ્ટવેર પ્રોગ્રામિંગ માટેનું, વિવિધ કમ્યુટર એપ્લિકેશન, પ્રોગ્રામ, સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ વગેરે બાબતનું ખૂબ જ ઊંડું જ્ઞાન અને માહિતી હતાં. એક દિવસ તેને વિચાર આવ્યો કે હેકર્સ જેમ કમ્યુટર સિસ્ટમ હેક કરી ડેટા ચોરી શકે સાથે સાથે પોતાનું ધાર્યું કામ હેક કરેલા કમ્યુટર પાસેથી લઈ શકે છે. તેમ જો સોફ્ટવેરની મદદથી કમ્યુનિકેશન ઓપરેટિંગ સિસ્ટમ હેક કરી શકાય? કમ્યુનિકેશન ઓપરેટિંગ સિસ્ટમ કંટ્રોલ કરી ઇલેકટ્રોનિક ગેઝેટને કંટ્રોલ કરી શકાય કે નહીં? આ વિચાર ઉપર તેણે કાર્ય કરવાનું શરૂ કર્યું. તેણે એક સોફ્ટવેર પ્રોગ્રામ બનાવ્યો. જે સિસ્ટમને હેક કરી તેને દ્વારા કોલર ટયુન  વગાડવાનો હતો. આ કોલર ટયુન  એવી હતી કે સાંભળતા  જ માણસ સમોહિત થઈને સુદ્ધબુદ્ધ  ભૂલીને કોલર ટયુન સાંભળવા લાગી જાય અને કમ્યુનિકેશન સિસ્ટમ હેક થઈને ફ્રીઝ થઇ જાય, જેથી કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ કોલર ટયુન વાગે તેટલા સમય પૂરતા બધાં કામ કરતાં બંધ થઇ જાય. હવે આ સોફ્ટવેરને નેટવર્ક સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરીને ટેસ્ટ કરવાનો હતો. પણ ક્યાં અને કેવી રીતે તેને ટેસ્ટ કરવો એ તેને સમજાતું નહોતું. બીજુ આ બાબત એવી હતી કે તેમાં કોઈનો સહકાર માંગી શકાય તેમ નહોતો કે કોઈ સાથે ચર્ચા થઇ શકે તેમ નહોતું. દરેક સેન્ટર, શહેર કે એરિયા માટે એક નિર્ધારિત કમ્યુનિકેશન માટેનો સિસ્ટમ કોડ નંબર હોય છે. જો આ કોડ હેક કરી તે શહેર કે સેન્ટર પૂરતી ઓપરેટિંગ સિસ્ટમ હેક કરી શકાય તો તેના દ્વારા ધાર્યું કામ કરાવી શકાય. આમ વિચારી તેણે એક નાની કક્ષાનાં શહેરને પસંદ કર્યું. પરિણામ ધારેલું હતું એવું જ પણ ભયંકર આવ્યું. કોલર ટયુન વાગવાથી પસંદ કરેલ શહેરનાં માણસો સ્થંભી ગયા, બે મિનિટ માટે નિષ્ક્રિય થઇ ગયા …..આ તેના ધાર્યા બહારના પરિણામથી આશિષ ગભરાઈ ગયો, સહમી ગયો અને ખૂબ જ ડરી ગયો. તેણે તેના સોફ્ટવેરની આટલી હદે સફળતા અને તારાજી વિચારી નહોતી.

પહેલા શહેરનાં પરિણામ પછી આશિષ ડરી ગયો હતો પણ પછી તેનામાં એક ખૂબ જ હોશિયાર સોફ્ટવેર એન્જીનિયર તરીકે ખ્યાતનામ થવાની મહત્ત્વાકાંક્ષા જાગી ઊઠી અને ફરી એક નાની કક્ષાનાં શહેરને પસંદ કર્યું, ને પરિણામ પહેલા જેવું જ આવ્યું. હવે અશિષને પોતાનાં જ સોફ્ટવેરના નવા અવિષ્કારથી ડર લાગવા માંડ્યો હતો. કારણ કે તેના બે નાનાં શહેરનાં પ્રયોગ અને તેના પરિણામની ચર્ચા દેશમાં જ નહીં વિદેશમાં પણ થવા લાગી હતી. આથી આશિષનાં મનમાં ભય બેસી ગયો કે જો કોઈ વિરોધી દેશ, માફિયા ગેંગ કે આતંકવાદી સંગઠન ને ખબર પડશે તો તેની શું દશા થશે. જો એમ થાય તો પોતે બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે. તેના મોબાઈલ ફોન પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઘણા ફોન આવી ચૂક્યા હતા. આશિષને હવે પોતાની સફળતાની બીક લાગવા માંડી હતી. આશિષ આમ વિચારમાં બેઠો હતો, ત્યા તેને બહાર કાર ઊભી રહેવાનો અવાજ આવ્યો. આશિષે બારીમાંથી જોયું તો ફેસમાસ્ક પહેરેલી ચાર વ્યક્તિ કારમાંથી ઉતરીને તેની લેબ તરફ આવતી હતી. આશિષ આખી ય પરિસ્થિતિને સમજી ગયો. તેણે લેબનું બારણું બંધ કરીને પોતા બનાવેલ સોફ્વેર અને ડેટાનો નાશ કરવાનું શરૂ કરી દીધું. અચાનક બારણું તૂટીને ખૂલી ગયું, એક સત્તાવાહી અવાજે કહ્યું કે “તે બનાવેલ સોફ્ટવેર મને આપી દે.”

આશિષે કહ્યું, “કયો, સોફ્વેર? મેં કોઈ સોફ્વેર બનાવ્યો નથી.”

સત્તાવાહી અવાજે કહ્યું, “આ એમ નહીં માને, તેને આપણી સાથે લઈ લો અને લેબનો નાશ કરી નાખો. એ આપણા અડ્ડા પર સોફ્ટવેર  બનાવશે, બાકી મોતને ભેટી જશે.”

અભય, ગેઝેટમાંથી આવતા બીપ બીપ અવાજને અનુસરતો અનુસરતો શહેરથી પચીસેક કિલોમીટર દૂર આવેલા એક ફાર્મહાઉસ પાસે પહોચ્યો. ફાર્મહાઉસની આજુબાજુ કે અંદર કોઈ ચહલપહલ નહોતી. અભય સાવચેતીથી ફાર્મહાઉસમાં દાખલ થયો. બહારથી નિર્જન દેખાતું ફાર્મહાઉસની અંદર એક અદ્યતન ટેક લેબોરેટરી હતી. અને એક ખૂણામાં આશિષ ખુરશી પર બાંધેલી અવસ્થામાં હતો. અભય હોઠપર આંગળી રાખી આશિષ પાસે ગયો. ધીમેથી પૂછ્યું, “શું છે આ બધું?”

આશિષે અભયને પોતે બનાવેલા સોફ્ટવેર અને તેના પ્રયોગની સફળતાની વાત કરી. ત્યાર બાદ તેની પર આવતા જુદા જુદા નંબર પરથી આવેલી ધમકીની વાત કરી. અને અંતે આ માફિયા તેના ઘર સુધી પહોચી ગયો અને મેં બધું નાશ કરી દીધું હવે મારું અપહરણ કરીને ફરી સોફ્ટવેર બનાવવા માટે અહીંયા લઈ આવ્યો છે. એ સોફ્ટવેર બનાવી આપવા માટે મારી પાછળ પડ્યો છે. મેં તેને ના કહી દીધું એટલે ગુસ્સે થઈને ચાલ્યો ગયો છે. પણ એ ગમે ત્યારે આવી ચડશે. તું અહીંયાથી નીકળી જા.”

આશિષ તે બેવકૂફીમાં બે-જવાબદારી ભર્યું કાર્ય કરીને એક બહુ મોટી મુશ્કેલી અને લોકોનાં જાનનું જોખમ વધારી દીધું છે. સોશિયલ મીડિયામાં બન્ને શહેરમાં બનેલ ઘટનાની બહુ જ ચર્ચા થઈ છે જેની જાણ અનિષ્ટ તત્ત્વોને થઇ જ ગઈ હોય. અને અત્યાર સુધીમાં એ તત્ત્વો  તારો પત્તો પણ મેળવી લીધો હશે. અત્યારે તો મને એવું લાગે છે કે આ એક નહીં અનેક માફિયા તારી શોધ કરી રહ્યા હશે. તું ચિંતા કરમાં હું મારી રીતે પરિસ્થિતિને સંભાળી લઈશ. એમ વાત ચાલતી હતી ત્યાં કોઈક નો આવવાનો અવાજ આવ્યો. અભય સુરક્ષિત જગ્યાએ સંતાઈ ગયો અને આખી ય પરિસ્થિતિ મુકુલરાયને જણાવી દીધી. મુકુલરાયે અગરવાલ સાહેબને જણાવી એક યોજના ઘડી કાઢી.

“આશિષ તે કમ્યુટરડેટા અને સોફરવેરની પ્રોગ્રામિંગ ફોર્મ્યુલાનો નાશ કરી નાખ્યો છે. પણ તું એમ ન માનતો કે તું તારી જીદ પર અડી રહીશ. અમારા બોસ આવી રહ્યા છે એ કહેશે એટલે તારે સોફ્ટવેર અને પ્રોગ્રામિંગ ફોર્મ્યુલા બનાવી દેવી પડશે.”

“મને કહો તો ખરા કે તમાર બોસ કોણ છે? તમે તેને ક્યારે ય જોયા છે?”

“તારે એની સાથે શું લાગે વળગે? તું તારું કામ કરને.”

મુકુલરાયે અભયનો સંદેશો મળતા જ અગરવાલસાહેબ સાથે ફાર્મહાઉસ પહોચીને મોરચો સાંભળી લીધો હતો.

“અગરવાલસાહેબ આપણો મહેમાન આવ્યો લાગે છે. બધાને સાવચેત રહેવાની સૂચના આપી દો.”

આશિષને જે રૂમમાં ખુરશી સાથે બાંધીને રાખ્યો હતો, ત્યાં એક વ્યક્તિ દાખલ થઇ. તેણે ફૂલ ફેસમાસ્ક પહેરી રાખ્યો હતો. તેણે આશિષને કહ્યું, “આશિષ, તારો આવિસ્કાર સરાહનીય છે. મને એ સોફ્ટવેર આપી દે હું તને મોં માંગી કિમત આપીશ.”

આશિષે કહ્યું, “મને તારો અવાજ પરિચિત લાગે છે. તું, ગમે તે હો હું તારા માટે કોઈ સોફ્ટવેર  કે સોફ્ટવેર પ્રોગ્રામ બનાવીશ નહીં.”

“તો તું મરવા તૈયાર થઇ જા. એમ કહી ફૂલફેસ માસ્કવાળી વ્યક્તિએ આશિષ પર રિવોલ્વરમાંથી ફાયર કર્યો પણ એકનાં બદલે ચાર ધડાકા થયા. ગોળો આશિષનાં હૃદયને વીંધીને આરપાર નીકળી ગઈ હતી અને અગરવાલસાહેબ, મુકુલરાય અને અભયની ગોળીથી વિન્ધાઈને ફૂલફેસ માસ્કવાળી વ્યક્તિ લોહી લુહાણ થઈને નીચે પડી ગઈ હતી.

અભય દોડીને  અશિષ પાસે  પહોંચ્યો. આશિષ લોહીથી તરબોળ થઈને  અંતિમ શ્વાસ ગણી રહ્યો હતો. “અભય, તે લોકોનાં હાથમાં કંઈ ગયું નથી. મેં બધું નષ્ટ કરી નાખ્યું છે. મારી નાદાનિયત, બેજવાબદારી ભર્યું વર્તન, બિન અનુભવીપણું અને કંઈક બનવાની મહત્ત્વાકાંક્ષાનું આ પરિણામ છે. મારી આ ખ્યાતનામ થવાની મહત્ત્વાકાંક્ષા એ મારો જીવ લીધો.” એમ કહી આશિષે આંખ ઢાળી દીધી.

“અભય આ માસ્કમેનનો માસ્ક હટાવ એટલે ખબર પડે કે આશિષને આ વ્યક્તિનો અવાજ પરિચિત લાગ્યો હતો; તો એ છે કોણ?”

“અરે! આ તો આશિષની જ કંપનીનો જ સી.ઈ.ઓ. મિસ્ટર `રેમ્બો` છે. એટલે જ તેને આશિષની બધી ગતિવિધિની ખબર પડતી હતી.”

અભય પોતાનાં હોનહાર મિત્રને કમોતે મરતો જોઈને દુઃખી દુઃખી થઈ ગયો. પણ મિત્રની કુરબાનીએ હજારો, લાખો, કરોડો લોકો અને જાનમાલની નુકશાનીમાંથી બચી ગયાનો આત્મસંતોષ હતો …. આશિષનું બલિદાન નકામું નહોતું ગયું..

ભાવનગર
e.mail : Nkt7848@gmail.com

Loading

SIRની કામગીરી અને ‘SIR’નો વિરોધ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 November 2025

રવીન્દ્ર પારેખ

SIR(સ્પેશિઅલ ઇન્ટેન્સિવ રિવિઝન – મતદાર યાદી સુધારણા)ની કામગીરી SIR(શિક્ષકો)ને સોંપાતા વિરોધનો સૂર ઊઠ્યો છે, પરિણામે મામલતદારે કડક વલણ અપનાવ્યું છે ને ધરપકડ કરવા સુધીની ધમકી ઉચ્ચારી છે, એટલું જ નહીં, ધરપકડનાં વોરંટ પણ કાઢ્યાં છે. થાનગઢના મામલતદારે આણંદપર ગામના એક શિક્ષક વિજય બારૈયા સામે વારંવારની સૂચનાઓ છતાં, BLO-બૂથ લેવલ ઓફિસરની કામગીરીમાં ગેરહાજર રહેતાં ધરપકડ વોરંટ કાઢ્યું હતું. શિક્ષકે એવું કારણ આપ્યું હતું કે વેકેશન હોવાથી તે વતનમાં હતો. ધરપકડનો શૈક્ષિક મહાસંઘે ઉગ્ર વિરોધ કરતાં જણાવ્યું છે કે શિક્ષક કોઈક કારણસર હાજર ન રહે તો તેની સામે ધરપકડનું વોરંટ કાઢવાનું ગુલામી પ્રથાનું સૂચક છે. કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા BLOના 90  ટકાથી પણ વધુ ઓર્ડર શિક્ષકો માટે કઢાયા છે. દિવાળીની રજા પૂરી થતાં જ મતદાર યાદી સુધારણા અને વસ્તી ગણતરીની બેવડી કામગીરી આવી પડતાં શિક્ષકો મૂંઝાયા છે. એક ધારાસભ્યે તો કહ્યું પણ ખરું કે શિક્ષકો મતદાર યાદીની સુધારણા એવા ખંતથી કરો કે શાસન બદલાઈને રહે. ધારાસભ્યને શાસન બદલવામાં છે, એટલો રસ શિક્ષકોને માથે મરાયેલી BLOની કામગીરી બદલવામાં નથી તે સૂચક છે.

નર્મદા જિલ્લાની એક કન્યાશાળાની શિક્ષિકા રેખાબહેન નટવરલાલ ટેલરનું પણ BLOની કામગીરી ન કરવા બદલ ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું છે. આવાં બીજા વોરંટ પણ નીકળ્યાં હશે. રેખાબહેન ટેલરનો પ્રશ્ન એ છે કે મારી વિદ્યાર્થિનીઓની ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષાઓ આવે છે, જો BLOની કામગીરી બજાવું તો ભણાવું કેવી રીતે? ને બોર્ડનું રિઝલ્ટ બગડે તો એની જવાબદારી કોની? ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને BLOની કામગીરી ન સોંપવી એવો પરિપત્ર છે ને છતાં રેખાબહેનને એ કામગીરી સોંપાઈ છે. આવી કામગીરી સોંપતાં પહેલાં આચાર્ય કે DEO (જિલ્લા શિક્ષણાધિકારી) સાથે પરામર્શ કરવાની જરૂર પણ તંત્રને જણાઈ નથી એનું આશ્ચર્ય જ છે. રેખાબહેન ટેલરે વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતાં સોંસરું કહ્યું છે કે કામગીરી ન કરું તો નાયબ મામલતદાર ધમકી આપે છે. મારી જગ્યાએ જો નાયબ મામલતદાર ભણાવવાના હોય તો હું આ કામગીરી કરવા તૈયાર છું.

આવો આક્રોશ શિક્ષકો ઠાલવે તો તંત્રે કામગીરી સોંપતાં પહેલાં વિચાર કરવો પડે, પણ, શિક્ષકો દબાયેલા છે ને ભણાવવા નથી માંગતા, એવા શિક્ષકો મનેકમને જવાબદારીઓ સ્વીકારતા રહે છે ને તંત્રોને ફાવતું આવે છે. એ ખરું કે BLOની કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે, પણ બાળકોનું શિક્ષણ રાષ્ટ્રીય જવાબદારી ખરી કે કેમ? શિક્ષણ, શિક્ષકની જવાબદારી નહીં? એ જવાબદારી તે પાર પાડી શકે એવું વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી શિક્ષણ વિભાગની નથી? એવું વાતાવરણ છે, ખરું? જો કે, એટલું થયું કે માંડ જણાતાં યુનિયનોએ ધરપકડ વોરંટ કાઢવાને મુદ્દે વાંધો પાડ્યો છે ને એવો આગ્રહ રાખ્યો છે કે BLOની કામગીરી અન્ય કેડરના કર્મચારીઓને પણ સોંપાય, તે સાથે જ ડેટા ઓપરેટરનું કામ શિક્ષકો પાસેથી  લેવાનું બંધ થાય.

બીજી તરફ શિક્ષકો, આચાર્યો અને તેમનાં યુનિયનોએ પોતાને એ પૂછવા જેવું છે કે બૂટમાં કાંકરી ખૂંચે તો કોણ કાઢે છે? એ જાતે જ કાઢવી પડે છે ને ! એ બીજા કેવી રીતે કાઢી આપે, જ્યાં એમને ખબર જ ન હોય કે ખૂંચે છે ક્યાં અને શું? પોતાની ઉપર કામગીરીનો બોજ વધી રહ્યો છે, એની ખબર બીજાને કેવી રીતે પડે? એ તો શિક્ષકોએ જ કહેવું પડે ને ! શિક્ષકોએ ને તેમનાં યુનિયનના નેતાઓએ પોતાને એ પણ પૂછવા જેવું છે કે આર્થિક બાબતોએ જેટલો વિરોધ કર્યો છે, એટલો, વધારાની કામગીરી સોંપાઈ છે ત્યારે  કર્યો છે? ને ભૂલમાંયે એવો અફસોસ કર્યો છે કે વધારાની કામગીરીને લીધે બાળકોનું ભણતર બગડી રહ્યું છે ને ભણાવવા માટે વર્ગખંડમાં જઈ શકતા નથી? પગાર ભણાવવાનો લેતા હોય ને પોતે ભણાવી ન શકતા હોય તો એનો અફસોસ કરનારા શિક્ષકો શોધવા પડે એમ બને.

એ કરુણ સત્ય છે કે જેમને નામે શિક્ષકો પગાર મેળવે છે એ વિદ્યાર્થીઓ તેમની છેલ્લી પ્રાથમિકતા પણ નથી ! આખા શૈક્ષણિક તંત્રની પ્રાથમિકતામાં કદાચ શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે એ વાત જ નથી. વિદ્યાર્થીઓ તો રાજકારણીઓની સરભરા કરવા અને શિક્ષણ વિભાગના અખતરાઓ માટે જ છે. તંત્રને તો પરિપત્રોના જવાબ મળે ને ડેટા પૂરા પડે એ સિવાય લગભગ બીજી કોઈ કામગીરી જ નથી. એ ડેટા કે જવાબો ફાઈલોમાં ધૂળ ખાતા હશે. એથી વિશેષ એનું ખાસ મૂલ્ય પણ નહીં હોય ! અપ્રમાણિકતા અને દેખાડા લગભગ રાષ્ટ્ર વ્યાપી હોય, તો શૈક્ષણિક તંત્ર પણ તેમાંથી બાકાત કેવી રીતે હોય? પણ, શિક્ષણ ભ્રષ્ટ હશે તો બધું જ સડેલું હશે તે સમજી લેવાની જરૂર છે. સૌથી વધુ સડેલું તંત્ર અત્યારે શિક્ષણનું છે. એમાં શિક્ષણ સિવાય બધું જ છે. સૌથી વધુ ગુજરાતનું બજેટ શિક્ષણનું છે ને સૌથી ઓછી સગવડો પણ શિક્ષણમાં જ છે. એ જ કારણ છે કે સૌથી સફળ દસમાં તો ઠીક, નિષ્ફળમાં પણ ગુજરાત છેવાડે છે.

BLOની કામગીરી સંદર્ભે શિક્ષકોની ગુજરાતમાં જ પરિસ્થિતિ કેવીક છે તે જોઈએ. મીડિયામાં આવેલી વિગતો મુજબ રાજ્યના 52,00૦ બૂથો પર 38,000 શિક્ષકો BLO તરીકે કાર્યરત છે, એટલે કે 90 ટકાથી વધુ શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. મતલબ કે છે તેમાંથી 90 ટકા શિક્ષકો BLOની કામગીરીમાં વ્યસ્ત છે. વારુ, શનિવારે જ જાહેર થયેલ મીડિયાની વિગતો મુજબ રાજ્યની સરકારી સ્કૂલોમાં 33,00૦ શિક્ષકોની અને 3,500 આચાર્યોની જગ્યાઓ ખાલી છે. એ તો ખાલી છે જ ને છે તેમાંથી 38,000 શિક્ષકો BLOની કામગીરીમાં રોકયેલા છે, તો દેખીતું છે કે ચાપુચપટી રહ્યા તે શિક્ષકો એકથી વધુ વર્ગોમાં ભણાવતા હશે. એમાં કેટલું તેજ ને વિત્ત હશે તે સમજી શકાય એવું છે. આવી પરિસ્થિતિમાં શિક્ષણ સિવાયની 56 કામગીરીઓ શિક્ષકો પાસેથી કરાવાતી હોય, તો વર્ગમાં શિક્ષક કેટલો સમય ઠરતો ને ભણાવતો હશે તે ક્લ્પવાનું રહે. આ શિક્ષણ નથી, શિક્ષણને નામે ભદ્દી મજાક છે. ગુજરાતનો અનેક ક્ષેત્રોમાં વિકાસ થયો હશે, પણ શિક્ષણમાં તો સર્વનાશ જ થયો છે –

એને માટે તંત્રો તો જવાબદાર છે જ, પણ શિક્ષકોય ઓછા જવાબદાર નથી. શોષણ વિરુદ્ધનું તેમનું મૌન ગુનાહિત છે. વર્ગશિક્ષણ શિક્ષક માત્રની પહેલી પ્રાથમિકતા છે. એ કામગીરી ઘટતી જાય અને બીજી કામગીરીઓનો ખડકલો થતો જાય ને તે પછી પણ, તે બોલે નહીં એ અક્ષમ્ય છે. બૂટમાં કાંકરી ખૂંચે છે તેની બૂમ તો તેણે જ પાડવાની હોય, પણ તે માસ્તર મટીને મજૂર થયો છે એ ઠીક નથી થયું. એ ચૂપ રહ્યો એનો અર્થ એવો થાય કે તેને શિક્ષણ સિવાયની અન્ય 56 કામગીરીઓ વધુ વહાલી છે ને બાળકોનું ભણતર તેને મહત્ત્વનું નથી. એવું ન હોત તો તેણે આર્થિક બાબતોમાં ઉઠાવ્યો તેમ, ઈતર કામગીરીઓ બાબતે પણ અવાજ ઉઠાવ્યો જ હોત !

કમનસીબે શિક્ષક વધુ પાંગળો પુરવાર થયો છે. એ એટલો પાંગળો કેવી રીતે હોય કે BLOની કામગીરી ત્રણથી વધુ વર્ષ કરવાની હોતી નથી ને છતાં 20 વર્ષ કામ કરી ચૂકેલાને ફરજ પડાય ને તે બોલે જ નહીં ! માની લઈએ કે BLOની કામગીરી શિક્ષકની છે, પણ મંત્રીની સભાઓ માટે ભીડ ભેગી કરવાનું કે મંત્રીના જન્મદિન નિમિત્તે બ્લડના બાટલા ભેગા કરી આપવાનું કામ પણ તેનું છે? તેની તો ના પાડી શકાયને? એ ના શિક્ષકે નહીં, તો કોણે પાડવાની છે? આવા નિર્માલ્ય શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે એ કરતાં તો તે ન ભણાવે એ જ બહેતર !

શિક્ષક સ્વમાની હોય એ અપેક્ષિત છે. તે ઘેટું નથી કે એકની પાછળ એકની જેમ નીચું જોઇને ચાલ્યા કરે. તેણે આકાશ જોવું જ જોઈએ. તે ભવિષ્યનો ઘડવૈયો છે. તે સ્વસ્થ નહીં હોય તો ભવિષ્ય કેવી રીતે સ્વસ્થ હોય? એ દુ:ખદ છે કે શિક્ષક પોતે શિક્ષણેતર પ્રવૃત્તિમાં વ્યસ્ત થઇ ગયો છે ને તંત્રો પણ તેની પાસેથી શિક્ષણેતર પ્રવૃત્તિઓનું કામ લઈ રહ્યાં છે. એનો તે વિરોધ કરી શકે ને માનભેર વર્ગશિક્ષણમાં પ્રવૃત્ત થઈ જ શકે. તે અસાધારણ છે, તો સાધારણ થઈને શું કામ રહી જાય?

એક બાબત સ્પષ્ટ છે કે શિક્ષકને ડરવાનો અને રડવાનો અધિકાર નથી, તે ડરતો કે રડતો થશે, તો ભાવિ પેઢી પણ રોતલ અને ડરપોક પેદા થશે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 નવેમ્બર 2025

Loading

...1020...31323334...405060...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved