Opinion Magazine
Number of visits: 9686452
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૂચિત હાયર એજ્યુકેશન કમિશન વિશે ત્રણ અખબારો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|17 July 2018

સંસદના ચોમાસુ સત્ર (૧૮ જુલાઈ – ૧૦ ઑગસ્ટ) દરમ્યાન કેન્દ્ર સરકાર યુ.જી.સી.ને રદ્દ કરી તેને સ્થાને હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા – એચ.ઈ.સી.આઈ. લાવવા માગે છે. સરકાર હસ્તક સત્તાના કેન્દ્રીકરણ મારફતે સ્વાયત્તતાનો હ્રાસ કરવાની ગણતરી આ બિલ પાછળ છે. મુક્ત, પુખ્ત અને અભ્યાસમંડિત તેમ નિસબતચાલિત એવી કોઈ પૂરા કદની જાહેર બહસ વગર ઘડિયા લગનની એની મંછા એણે જે અતિ ટૂંકો સમય (પહેલાં ૭ જુલાઈ સુધીનો, અને હવે ઊહાપોહ પછી ૨૦ જુલાઈ સુધીનો) સાર્વત્રિક વિચારણા માટે આપ્યો એના પરથી પણ સમજાઈ રહે છે.

અમદાવાદમાં બુધવાર તા. ૪ જુલાઈના રોજ મીઠાખળી વિસ્તારના લાયન્સ હૉલમાં સૂચિત ખરડા બાબતે રોહિત શુક્લ (પ્રમુખ, ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી, ગુજરાત), રમેશ ચૌધરી (પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળ), દિગ્વિજયસિંહ ગોહિલ (મહામંત્રી, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજ આચાર્ય મહામંડળ), હરજિતસિંઘ (પ્રમુખ, કૉલેજ આચાર્ય મંડળ) પ્રકાશ ન. શાહ (તંત્રી, નિરીક્ષક) આદિની સામેલગીરી સાથે એક ચર્ચાસભાનું આયોજન થયું હતું. ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટીના ગુજરાત ખાતેના સહમંત્રી કનુ ખડદિયાએ સભાનું સંચાલન કર્યું હતું. સમગ્ર ચર્ચાનો સાર સ્વાયત્તતાની જાળવણી માટેની લાગણીનો તેમ જ લોકસૂચન માટે મુદત વધારવાની માગણીનો હતો.

દરમ્યાન, સહવિચારની સામગ્રીરૂપે અહીં ત્રણ અખબારી ટિપ્પણીઓ ‘અભિદૃષ્ટિ’ના સદ્‌ભાવથી સાભાર ઉતારીએ છીએ.

તંત્રી

સૂચિત વિધેયકઃ અતિનિયમનની સંભાવના

દેશના ઉચ્ચ શિક્ષણમાં સુધારાની બહુ તાતી જરૂર છે એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. ‘યુનિવર્સિટીઓમાં અધ્યયન-અધ્યાપન, મૂલ્યાંકન અને સંશોધનનું ધોરણ જાળવી રાખવું’ એ આદેશ(મેન્ડેટ)નો અમલ કરવામાં યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશન (યુ.જી.સી.) ઊણું ઊતર્યું છે. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિન્ગ્સમાં ભારતના સતત નબળા દેખાવ સહિત અનેક બાબતો આ વાતની સાખ પૂરે છે. એટલે ઉચ્ચ શિક્ષણના સંચાલનને સુધારવાના હેતુથી નવો આયોગ રચવા માટેનું ‘હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા’ વિધેયક દેશની યુનિવર્સિટીઓ માટે અચ્છે દિનનાં એંધાણ આપે એવું બની શકે. એમ પણ બની શકે કે યુ.જી.સી.ની નિષ્ફળતા કરતાં ય વધુ ખરાબ પરિસ્થિતિ સર્જાય, કારણ કે ૨૮મી જૂને જાહેર જનતાનાં સૂચનો આવકારવા માટે જાહેર કરવામાં આવેલા વિધેયકના મુસદ્દાનો ઝૂકાવ વધારે પડતું નિયમન કરવા કે અંકુશ  રાખવા તરફ છે. 

આ વિધેયકમાં યુ.જી.સી. ધારા-૧૯૫૬ને સ્થાને નવો કાયદો લાવવાનું અને યુ.જી.સી.નું નામ બદલીને ‘હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા’ કરવાનું સૂચન છે. આ નવું નિયમનકારી એકમ યુનિવર્સિટીઓમાં વિદ્યાકીય ધોરણો ઊભાં કરવાં, જાળવવાં અને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અનુદાન આપવાનું કામ કેન્દ્રનું માનવ સંસાધન વિકાસ મંત્રાલય ઉપાડી લેશે. નિયમન કરનાર અને નાણાં આપનાર એ બંને એકમોને વિધેયકમાં અલગ રાખવામાં આવ્યાં છે તે નિયમનકારી શાસન વ્યવસ્થા સાથે બંધબેસતી બાબત છે

‘યુનિવર્સિટીઓની સ્વાયત્તતા’નું દેખીતી રીતે સમાવવામાં આવેલું ધ્યેય પણ આવકાર્ય છે. જો કે, આ ધ્યેયને ફટકો પાડનારી બાબત એ છે કે વિધેયકમાં મંત્રાલયને નાણાં વહેંચનારું એકમ બનાવવામાં આવ્યું છે. આપણા દેશની વિદ્યાસંસ્થાઓ સરકારની દખલગીરીથી ક્યારે ય પૂરેપૂરી મુક્ત ન હતી એ વાત ભલે સાચી હોય, પણ નાણાં પર મંત્રાલય સીધો જ અંકુશ રાખે એ જોગવાઈથી સંસ્થાસંચાલનમાં સરકારી દખલગીરીનાં જોખમો અનેકગણાં વધી જાય છે. વળી એક સિદ્ધાન્ત એ પણ છે કે  યુનિવર્સિટી એ એવું સ્વ-નિયમનકારી સ્થાનક છે કે જ્યાં નિર્ણયો સંપત્તિ કે સત્તાના દબાણથી નહીં પણ વિદ્વાનો વચ્ચેના ચર્ચા-વિમર્શ દ્વારા લેવાતા હોય. મંત્રાલય  નાણાં પર સીધો  અંકુશ રાખે એવી જે જોગવાઈ વિધેયકમાં છે તે આ સિદ્ધાન્તની  વિરુદ્ધ છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશન રચવા પાછળની પરિકલ્પના એવી હતી કે યુ.જી.સી. સરકાર અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ વચ્ચે બફર તરીકે કામ કરનાર એકમ બને. જો કે, આ ધ્યેયની પૂર્તિમાં દરેક સરકારના હસ્તક્ષેપનું વિઘ્ન આવતું રહ્યું છે. સાથે એમ પણ બન્યું છે કે યુ.જી.સી. નામનું જ નિયમનકારી એકમ રહ્યું છે અને યુનિવર્સિટી શિક્ષણનાં કથળતાં ધોરણોને ચૂપચાપ જોતું  રહ્યું છે. નવી નિયમનકારી સંસ્થા દખલગીરી અને મૂંગાપણા વચ્ચેથી માર્ગ કાઢવા ધારે છે. પણ તેમાં એક આદેશ ‘શિક્ષણનાં પરિણામો, સંસ્થાઓના વિદ્યાકીય કામનું મૂલ્યાંકન અને અધ્યાપકોની તાલીમ’ એવો પણ છે. આ આદેશને કારણે નવી સંસ્થા યુનિવર્સિટીઓની નાની નાની સૂક્ષ્મ બાબતોમાં પણ સંચાલન કરવા તકે એવો ડર ચોક્કસ ઊભો થાય છે.

સૂચિત કાયદામાં એવી જોગવાઈ છે કે કેન્દ્ર સરકાર આ કમિશનના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને ‘નૈતિક અધઃપતન’ સહિતનાં કારણો માટે બરતરફ કરી શકે છે. યુ.જી.સી. ધારામાં આવી કોઈ જોગવાઈ નથી. આ મુદ્દો યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવાની  સરકારની શુભનિષ્ઠા સામે જ સવાલ ઊભા કરે છે. જાહેર જનતા માટે આ મુસદ્દામાં સૂચનો આપવાની છેલ્લી તારીખ સાતમી જુલાઈ છે. છેલ્લી તારીખનો કડક અમલ કરીને સરકાર આ વિધેયકને સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરી શકશે. પણ ઉચ્ચ શિક્ષણના માળખાની ધરમૂળથી ફેરગોઠવણી કરવાના ધ્યેય સાથેના આ વિધેયકમાં ઉતાવળ ન કરવી એ સરકાર માટે વધુ શાણપણભર્યું ગણાશે.

(તા. ૨૯-૦૬-૨૦૧૮ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નો તંત્રીલેખ)

*   *   *

સૂચિત વિધેયકઃ યુ.જી.સી.નું નવું  બ્રાન્ડિન્ગ

વૈશ્વિક અર્થતંત્રમાં વિક્ષેપ ઊભો કરનારાં સ્વચાલન (ઑટોમેશન) અને વ્યાપાર ક્ષેત્રે વધતા જતા સંરક્ષણવાદ જેવા પ્રભાવક ટેક્નોલોજિકલ અને રાજકીય પરિવર્તનોની સાથે મેળ પાડીને વિકાસ સાધવા માટેના ભારત માટેનો સૌથી ઉત્તમ માર્ગ શિક્ષણ છે એ હવે સર્વસ્વીકૃત બાબત છે. તેના માટે ઉચ્ચ શિક્ષણની પાયામાંથી ફેરગોઠવણી કરવાની જરૂર છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશનની જગ્યાએ નવા ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ રચવા માટેનો ખરડો ભારતના ઉચ્ચ શિક્ષણની કથળતી ગુણવત્તાની સમસ્યા પર ધ્યાન  કેન્દ્રિત કરે છે. સાથે તેમાં  શિક્ષણનાં વધુ સારાં ધોરણો અને શિક્ષણ સંસ્થાઓની સ્વાયત્તતાને પ્રોત્સાહન આપવાના મુદ્દાનો પણ સ્વીકાર કરાયો છે. જો કે, રાજકીય અંકુશો હળવા બનાવ્યા વિનાની સ્વાયત્તતાને સુધારણા ગણી શકાય નહીં. જો કે, યુ.જી.સી.ની જે ખામીઓને  કારણે ઉચ્ચ શિક્ષણ ખોડંગાતું હતું તેમનો ઇલાજ આ આયોગ કરી શકશે કે કેમ એ બાબતમાં ગંભીર શંકા સેવવામાં આવી રહી છે.

ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને અનુદાન આપવાની સત્તા અને તે શિક્ષણની ગુણવત્તા જાળવે તેની તકેદારી રાખવાની જવાબદારી યુ.જી.સી.ને સોંપવામાં આવી હતી. પણ તેનું પરિણામ એ આવ્યું કે યુ.જી.સી.ની કામગીરી બાબુશાહી થકી ચાલતા કેન્દ્રીકરણવાળા વૃથા વ્યાયામ સમી બની રહી. હવે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે અનુદાન આપવાનું કામ ઉપાડી લેવાનું  છે જ્યારે આયોગને મંત્રાલયે સોંપેલાં કામ આ મુજબ છેઃ અધ્યયન-અધ્યાપનનાં પરિણામો સુનિશ્ચિત કરવાં, અધ્યાપન અને સંશોધનનાં ધોરણો ઘડવાં, વિદ્યાકીય કામગીરીનું વાર્ષિક મૂલ્યાંકન કરવું અને સંશોધનને પ્રોત્સાહન આપવું. પણ જ્યાં સુધી નિયમનની નિયમનકારી દેખરેખનાં ધોરણો મુજબ કામગીરી બતાવનારને આર્થિક અને અન્ય પ્રકારનાં પ્રોત્સાહનો આપવાની સત્તા આયોગ પાસે નહીં હોય ત્યાં સુધી તેની અસરકારકતાની સામે સવાલ ઊભો જ રહેશે. જાણે કે આ પાયાની કચાશને દૂર રાખવા માટે મંત્રાલય શિક્ષા કરવાની સત્તા આયોગને આપે છે. તેમાં લાયસન્સ રાજના દિવસોના અતિનિયમનની યાદ આવી શકે.

જે સંસ્થાઓ આયોગનાં ધોરણો અનુસાર કામગીરી નહીં કરે તે બંધ કરી દઈ શકાશે અને તેમના વડાને કેદમાં પણ નાખી શકાશે. પણ આપણે જાણીએ છીએ કે ભય અસલામતીને જન્મ આપે છે અને તે વિકાસને રૂંધે છે. સરકારી હુકમ અને સજા દ્વારા ગુણવત્તા લાદી ન શકાય. હુકમ અને સજાની આ નીતિનાં અનેક ખરાબ પરિણામો હશે. તેમાંથી એક એ હશે કે વિદેશની નીવડેલી શિક્ષણ સંસ્થાઓ ભારતમાં તેમની શાખાઓ ખોલશે નહીં. મૂળ વાત તો એ છે કે સંસ્થાઓને સ્વાયત્તતા આપવી જોઈએ અને બજારની હરીફાઈમાં નિષ્ફળતા પણ અનુભવવા દેવી જોઈએ.

યુ.જી.સી.ને કારણે કેટલી હદે કેન્દ્રીકરણ થયું છે તેનો એક દાખલો ‘નેક’ છે. આ યુ.જી.સી.નું એક્રેડિટેશન અને એસેસમેન્ટ એકમ છે. ગયાં વીસ વર્ષથી અસ્તિત્વમાં હોવા છતાં ‘નેક’એ ૨૦૧૬ સુધીમાં દેશની માત્ર ૪૦ % કૉલેજોનું અને માત્ર ૨૦ % યુનિવર્સિટીઓનું જ ઑડિટિંગ કર્યું છે. એક્રેડિટેશનનું કામ અમેરિકામાં કેટલા ય દાયકાથી સક્ષમ અને સ્વતંત્ર એજન્સીઓને સોંપવામાં આવે છે. તેનાથી સંસ્થાઓનું સતત નિરીક્ષણ-મૂલ્યાંકન થતું રહે છે અને તે નિયમનકારે નક્કી કરેલા ધ્યેય તરફ ઝડપથી આગળ વધતી રહે છે. પ્રોત્સાહનો સાથેનું નિયમન એ ઉચ્ચ શિક્ષણમાં સુધારો લાવવાનો સર્વોત્તમ રસ્તો  છે.

(તા.૦૨-૦૭-૨૦૧૮ના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નો તંત્રીલેખ)

*   *   *

સૂચિત વિધેયકઃ વધુ વિચારણાની જરૂર

કેન્દ્ર સરકારે નવા ઉચ્ચ શિક્ષણ આયોગ માટેના વિધેયકનો જે મુસદ્દો ઘડ્યો છે તેની જોગવાઈઓમાં માનવ સંસાધન વિકાસના વિસ્તરણ અને તેની ગુણવત્તાની દૃષ્ટિએ દૂરગામી નિર્દેશો સમાયેલા છે. આ વિધેયક એવા સમયે આવી રહ્યું છે કે જ્યારે કૌશલ્યઘડતર અને શૈક્ષણિક તકોની સુલભતા અતિશય મહત્ત્વનાં બન્યાં હોય. એટલા માટે વિધેયક અંગે વધુ વિચારણાની જરૂર છે.

દેશમાં ૨૦૧૬-૧૭માં ૮૬૪ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીઓ અને ૪૦,૦૨૬ માન્યતાપ્રાપ્ત કૉલેજો હતી. તેની સામે શિક્ષણમાં પ્રવેશનો આંકડો માત્ર લગભગ ૨૬ % હતો. દેશ આઝાદ થયો ત્યારે આપણે ત્યાં માત્ર ૨૦ યુનિવર્સિટીઓ અને ૫૦૦ કૉલેજો હતી એ હકીકત ધ્યાનમાં લઈએ તો યોગ્ય પરિપ્રેક્ષ્ય મેળવી શકાય.

શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે પણ પ્રયત્નો થતા રહ્યા છે. નિષ્ણાતોની સમિતિઓ રચાઈ છે. સંસદમાં કાયદો ઘડીને ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટેના અલગ એકમ તરીકે યુ.જી.સી.ની રચના પણ થઈ. સુધારાના અનેક પ્રયત્નોમાં શિક્ષણમાં ફેરફારોની ભલામણ થતી જ રહી છે. તેમાં ઉચ્ચ શિક્ષણની સ્વાયત્તતા, સુલભતા, સમાવેશકતા અને સમાન તક પર ભાર મૂકાતો રહ્યો છે. ઉચ્ચ શિક્ષણમાં સુધારાનો પડકાર હવે યુ.જી.સી.ના અનુગામી એવા ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગે ઉપાડવાનો છે. એટલા માટે કેન્દ્રે શિક્ષણજગતના અધ્યાપકો અને એકંદર સમાજને આ વિધેયક પર વિચારપૂર્ણ મંતવ્યો આપવા માટે પૂરતો સમય આપવો જોઈએ.

ઉકેલ માંગતા પાયાના સવાલોમાં એક સવાલ અત્યારે ચાલતી નિયમનકારી સંસ્થાઓને લગતો છે. ઈજનેરી, તબીબી અને કાનૂની શિક્ષણ માટે અલગ અલગ નિયમનકારી એકમો છે. યશપાલ સમિતિએ તે બધાને એક આયોગ હેઠળ લાવવાની ભલામણ કરી હતી. આર્કિટેક્ચર અને નર્સિંગ સહિતના વ્યાવસાયિક શિક્ષણના પ્રવાહોને સમાવવાનો મુદ્દો પણ રહે છે. ધ્યેય તો દરેક શાખામાં એક માનદંડ ઊભો કરવાનું હોવું જોઈએ. આ માનદંડ મુજબ દરેક સંસ્થાને અભ્યાસક્રમોમાં નવપ્રવર્તનો કરવા અને આંતરવિદ્યાશાખાકીય અભ્યાસો માટે પ્રોત્સાહન મળવું જોઈએ. વિધેયકના મુસદ્દામાં વિવાદાસ્પદ નિર્ણય એ છે કે કેન્દ્ર અનુદાન આપવાની સત્તા માનવ સંસાધન મંત્રાલયને કે એક અલાયદા એકમને સોંપી રહ્યું છે. અત્યાર સુધી અનુદાન આપવાનું કામ યુ.જી.સી. કરતું હતું. એ સિવાય પણ તેનાં અનેક કામ હતાં. બધી મર્યાદાઓ વચ્ચે પણ યુ.જી.સી.એ એ તકેદારી રાખી હતી કે અનુદાનને લગતા નિર્ણયોમાં રાજકીય ગણતરીઓ ન હોય. અનુદાનની ફાળવણીમાં સંતુલન અને પારદર્શિતાનો આધાર હવે નવા આયોગની સલાહકાર સમિતિ પર રહેશે. એ સમિતિમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ છે જે આવકાર્ય છે. એને કારણે આયોગને સમવાયતંત્રી સ્વરૂપ મળે છે. જો કે, બધી બાબતોમાં આખરી અવાજ તો કેન્દ્રનો જ રહેવાનો છે, સર્વોચ્ચ એવા આયોગનો પણ નહીં.

વ્યાપક સ્તરે જોઈએ તો, આજે અર્થતંત્રને અસર કરનારાં ઝડપી ટેક્નોલોજિકલ પરિવર્તનોએ ઉચ્ચ શિક્ષણની સામે પડકાર ઊભો કર્યો છે. જરૂરી કૌશલ્ય ધરાવનાર માનવકાર્યબળ ઊભું કરવું જરૂરી બન્યું છે. એટલા માટે ઉચ્ચ શિક્ષણના સુધારામાં નવી સંસ્થા એવી હોવી જોઈએ કે જેમાં કૉલેજો અને યુનિવર્સિટીઓ નવાં પરિવર્તનો સાથે અનુકૂલન સાધવામાં મદદ કરનાર બૌદ્ધિકોનું એક જૂથ હોય. વળી, એ સંસ્થા પાસે જાહેર નાણાંને નવાં ક્ષેત્રો માટે ઉપયોગમાં લેવાની દૃષ્ટિ હોય.

પદવી આપનાર કારખાનાં અને બનાવટી સંસ્થાઓને નાબૂદ કરવા માટે વિધેયકના મુસદ્દામાં હકારાત્મક પ્રયત્ન છે. તેના માટે સંચાલકોની સામે કાનૂની કાર્યવાહી કરવાની અને કેદની સજાની જોગવાઈ આ વિધેયકમાં છે. સુધારા રાજકીય ઇચ્છાશક્તિ માગી લે છે, કારણ કે ગયા ત્રણ દાયકામાં મુક્ત અર્થતંત્રના ધોરણે કેવળ ધંધાદારી ઇરાદાથી શિક્ષણનો ફેલાવો થતો રહ્યો છે.

(તા. ૩૦-૦૬-૨૦૧૮ના ‘ધ હિન્દુ’નો તંત્રીલેખ)

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2018; પૃ. 04-06

Loading

રાગ

રમણીક અગ્રાવત|Opinion - Literature|17 July 2018

શબ્દ ઘણી ચોખવટ કરે છે. શબ્દથી ઘણું-ઘણું ઉકેલાઈ જાય છે. શબ્દથી ઘણું ગૂંચવાઈ પણ જાય. શબ્દનું પોતાનું અજવાળું હોય છે. આંતરિક ઉજાસથી ઝીણું ઝીણું ઝબકતા હોય છે શબ્દો. એને કાન આપો, ત્યાં એ પોતે જ કંઈ કહેવા માંડે. શબ્દની આંગળી જ્યાં અડે કે બધું બોલતું થાય.

આજ સંગીત અને શબ્દની સંગત માણીએ. ‘રાગ’ નામનો શબ્દ સંગીતમાં બહુ મોટી જગ્યા રોકે છે. રાગને શબ્દકોશ ‘મોહ, મમતા કે આસક્તિ’ કહે છે. રાગને પ્રણયનું ઉત્કૃષ્ટ સ્વરૂપ પણ કહેવાયું છે. રાગ એટલે ક્રોધ પણ. સંગીતનો રાગ એટલે ગાવાની રીત. રીત કહી છે, એટલે તે એક કરતાં વધુ હોય તે સ્વાભાવિક છે. આમ, અનેક ‘રાગો’નો વિચાર ઊપસે. સંગીતમાં મુખ્ય છ રાગ ગણાયા છે. રાગિણી એટલે રાગની સ્ત્રી. દરેક રાગની છ-છ રાગિણીઓ ગણાઈ છે. રાગ બહુભોગી છે, બહુગામી છે. એ રાગ છે ને! આમ, રાગિણીઓ થઈ છત્રીસ.

‘રાગ ઘૂંટવો’ એટલે રાગ બેસાડવા અવાજ લંબાવવો. એકનો એક રાગ સૂરની જુદી જુદી જમાવટથી ગાવો. અહીં રાગિણીઓ અંતઃપુરમાંથી જરૂર ડોકાશે. આપણને સૌને એકરાગ થવાનો અનુરોધ વારંવાર થાય છે. ‘રાગ થવો’ એટલે મેળ થવો, સંપ થવો. ‘રાગે પડવું’ એટલે બરાબર ચાલું થવું, સરાડે પડવું, ઠેકાણે પડવું. ‘રાગડો’ એટલે લાંબો સાદ. રાગડો તાણવો એટલે મોટેથી ગાવું કે ભેંકડો તાણવો (બાળક માટે). રાગયુક્ત હોવું તે રાગદારી, ગેયતા. ‘રાગમુક્ત’ હોવું કે થવું જરાક કષ્ટપ્રદ છે. એમાં કોઈ નહીં ડોકાય!

ગેયતા બધી વાતે સારી. ગેયતામાં ખળખળતો પ્રવાહ છે. ‘ખ્યાલ’ નામનો એક શબ્દ સંગીતમાં તાનપુરાની મધુર ગુંજ માફક રણઝણે છે. છોટા ખ્યાલ અને બડા ખ્યાલ. ખ્યાલ એટલે કલ્પના કે વિચાર. કલ્પનાના એક પ્રતિરૂપમાં રાગની બાંધણી કરવી, રાગવિસ્તાર સાધવો. આવર્તિત સ્વરોમાં રાગનું રૂપ વિસ્તારવું. ગાયક કે વાદક એક ભાવ પર કેન્દ્રિત રહી રાગરૂપ શોધે. એક ભાવને ઘૂંટીઘૂંટીને તેના કલ્પિત રૂપને સ્વરદેહથી ભાવકની ચેતનામાં રોપવા મથે કે નિજાનંદમાં રમમાણ થાય. માત્ર એક શબ્દ ‘રાગ’ હજી આપણને છટકવા દેતો નથી. શબ્દને નિર્જીવ ગણવાની ઘૃષ્ટતા કોઈ કરી શકે?

૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૧૨

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2018; પૃ. 08 

Loading

હિંદુ પાકિસ્તાન ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 July 2018

ક્યાંથી કરીશું વાતની શરૂઆત? શશી થરુરના ‘હિંદુ પાકિસ્તાન’ વિષયક વિવાદથી. ભાજપ મે ૨૦૧૯માં પુનઃ સત્તારૂઢ થાય એમાં એમને મતે ‘હિંદુ પાકિસ્તાન’ના નિર્માણનો ભય રહેલો છે. દેખીતી રીતે જ ભાજપ પ્રવક્તાઓ આ વિધાનની સામે શોર મચાવી રહ્યા છે. બલકે, સર્વસાધારણ નાગરિકને પણ સામાન્ય સંજોગોમાં આવાં વિધાનો સામે નારાજગી અને વિરોધલાગણી જાગે એ સમજી શકાય એમ છે.

સમજવાનો મુદ્દો એ છે કે ઇસ્લામને નામે વિભાજન તરફ લઈ જનારાં અને પાકિસ્તાનના નિર્માણમાં લોકશાહી મૂલ્યો અને વ્યાપક ધર્મભાવનાની ખેવના વિના એ જ ઝનૂની ને પ્રતિગામી વલણો દેઢાવનારાંબઢાવનારાં તત્ત્વોની વાજબી રીતે ટીકા કરીએ છીએ એ જ લક્ષણો જવાબી કારવાઈને નામે અગર વિચારધારાને નામે ભારત છેડેથી પ્રગટ કરવામાં રાચતાં તત્ત્વો અને માનસિકતા સત્તાનો પરવાનો તાજો કરવા લાલાયિત છે. (તંત્રીએ આ પૂર્વે ‘પાકિસ્તાનવેડા’ જેવો પ્રયોગ કર્યો ત્યારે અથવા એકથી વધુ વાર અડવાણી-મોદી ફ્રિક્‌વન્સી પરના રાજકારણને ઝીણાના હિંદુ અડધિયા જેવું કહ્યું તેમાં પણ આ જ અભિપ્રેત હતું.)

નમૂના દાખલ, હજુ થોડા દિવસ પર તો આ લખનારે મન બનાવી લીધું હતું કે સુષમા સ્વરાજ સાથેની કોમી અને નિતાન્ત કમરપટા તળેની ગોબરી હરકત શમ્યા જેવી છે એટલે એને વિશે લખવું કદાચ અનિવાર્ય નથી. પણ એની વાંસોવાંસ, બે કેન્દ્રીય મંત્રીઓની જે ચેષ્ટા બહાર આવી એણે આ પ્રકારની ચર્ચાને કદાચ દુર્નિવાર બનાવી દીધી છે. આ બે કેન્દ્રીય મંત્રીઓ તે જયંત સિંહા અને ગિરિરાજસિંહ. જ્યંત સિંહાએ ’લિન્ચ મૉબ’ના હિસ્સા રૂપે પકડાઈ જામીન પર છૂટેલાઓ સાથે લગભગ અનુમોદનાવત્‌ આવભગતનો ઉપચાર કીધો, તો ગિરિરાજસિંહે હિંદુત્વને નામે ગુનાઇત ને હિંસ્ર પ્રવૃત્તિ કરતા પકડાયેલાઓની જેલમાં આંસુભીની શુભેચ્છા મુલાકાત લીધી.

એક પા ‘બેલ’ગાડીમાં મુસાફરી કરતા કૉંગ્રેસ અગ્રણીઓની ભાજપમાં શીર્ષસ્થાનેથી ટીકા કરવામાં આવે અને બીજી પા ‘બેલ’ગાડીના હિંદુત્વ વીરોની એટલા જ ઉત્સાહથી ગુનાગદ્‌ગદ આવભગત કરવામાં આવે, આ બે વિગતોની સહોપસ્થિતિ સંભારીને મોદી ભાજપ પરત્વે કટાક્ષ જરૂર કરી શકાય, સામસામા સુભટોના વસલૂમ વસલૂમનો ‘આનંદ’ પણ લઈ શકાય, પણ તે છેક જ ઉપલક અને ઉભડક લેખાશે; કેમ કે એકંદર ઘટનાક્રમમાંથી જે બૂ ઉઠે છે એનાં મૂળ ખાસાં ઊંડાં છે.

તો, વિગતોની ગલીકૂંચીમાં નહીં ઊતરતાં સારસંક્ષેપરૂપે એટલું નોંધીને ચાલીએ કે મુસ્લિમ પતિ અને હિંદુ પત્નીને પાસપોર્ટ આપવા બાબતે કોમી માનસ સર આડોડાઈથી પેશ આવનાર અધિકારીની બદલીનો તેમ જ પાસપોર્ટ અરજી જરૂરી નિયમોની મર્યાદામાં હોઈ તે તત્કાળ જારી કરવાનો જે નિર્ણય સુષમા સ્વરાજે કર્યો એને પરિણામે એમના ઉપર સોશ્યલ મીડિયાના ખાસા હિસ્સામાંથી ભારે પસ્તાળ પડી. મુસ્લિમ તુષ્ટીકરણના આક્ષેપથી માંડીને કૌશલ સ્વરાજે આ બાઈ(સુષમા)ને એ ઑફિસેથી ઘેર પાછી ફરે ત્યારે ‘બરાબરની અધમુઈ કરી નાખવી જોઈએ’ પ્રકારની સલાહો પણ એમાં હતી. હોળીમાં જેમ ઘેરૈયા તેમ આપણા રાજકારણમાં આજકાલ ટ્રૉલૈયા જ ટ્રૉલૈયા માલૂમ પડે છે. અહીં મોટા ભાગનાં ટ્રૉલટપ્પાં કોમી તીક્ષ્ણતાથી થયેલાં હતાં.

વિશેષતા બલકે વરવી વાસ્તવિક્તા એ હતી કે આ ટ્રૉલૈયાની બહુમતી એ જ તબકાની હતી જે સાધારણપણે નમો ભાજપના ટીકાકારો પર કોરસબધ્ધ તૂટી પડે છે. આ સૌ ટ્રૉલૈયાઓમાં ભાડૂતી પરિબળોનો પહેલકારી હિસ્સો અલબત્ત હતો અને હશે; પણ સ્વયંસેવી ભક્તો પણ ઓછા નહોતા અને નથી, એ ચિંતાની વાત છે. એવી અને એટલી જ ચિંતાની વાત એ પણ છે કે સુષમા પર છૂટી રહેલાં તીક્ષ્ણ બાણ વચ્ચે ઢાલ બનીને તો શું સમ ખાવા પૂરતાં બે વેણ ઉચ્ચારવા સારુ રાષ્ટ્રીય સ્તરના કોઈ ભાજપ અગ્રણી દિવસો લગી નાખી નજરે જણાયા નહીં. પછીના કિસ્સામાં જયંત સિંહા અને ગિરિરાજસિંહે જે હિંસ્ર તત્ત્વો તરફે તત્કાળ ઉલટ દાખવી એને મુકાબલે કંઈકેટલા દિવસ પછી રાજનાથસિંહ ને રામ માધવ સુષમા પ્રકરણમાં બોલ્યા જરૂર; પણ વડાપ્રધાન પોતે સોશ્યલ મીડિયામાં ઉત્કટતા દાખવતા તરુણોને વધાવતી ટિ્‌વટરાટી ધડબડાટી બોલાવતા હતા એ જ કલાકોમાં સુધ્ધાં આ મામલે સંકલ્પપૂર્વક ચૂપ હતા, અને આ લખાય છે ત્યારે પણ છે.

પહેલાં રાજનાથસિંહે અને પછી રામ માધવે મૌનભંગ કર્યો, સુષમા સ્વરાજનો બચાવ કર્યો એટલે સારું તો લાગ્યું; પણ લગરીક પોરો ખાધા પછી સમજાયું કે આ બચાવ લગભગ નકો નકો બચાવ હતો. રામ માધવની રજૂઆત તો કદાચ કંઈક ગેરરસ્તે દોરી શકે એવી પણ હતી. રાજનાથસિંહ વિશે તો શું કહીશું, એ એક ‘બચાડા જણ’ છે. એમણે કહ્યું કે વહાલાં બહેન આવાં ટ્રૉલટપ્પાં ન ગણકાર્યાં જ સારાં. જુઓ ને, હુંયે ક્યાં ધ્યાન આપું છું. સુષમા જ્યારે પોતાની પાછળ ડાઘિયા કૂતરા છૂટા મેલાયાના અનુભવમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રાજનાથસિંહે પોતાનો કિસ્સો આગળ ધરીને કંઈક આશ્વાસન આપ્યું અને પોતે પણ લીધું ખસૂસ, પણ એથી આગળ કશી ભોં એમનાં વચનોથી ભાંગી નહીં તે નહીં.

આ ચર્ચા, ટૉપ બૉસ રામ માધવનાં વેણ સાથે પૂરી થયા બરોબર લાગતી હતી, પણ કદાચ રામ માધવની સમાપનાત્મક દરમ્યાનગીરીથી જ ખરી ચર્ચા શરૂ થાય છે. એમણે, એક તો, થપ્પો મારી આપ્યો કે સુષમા ‘રાષ્ટ્રવાદી’ છે. એમણે જે નિર્ણય લીધો તે સુડો સેક્યુલર કે કોમી તુષ્ટીકરણનો છે એવીતેવી ચર્ચા હમણાં કોરાણે રાખીએ, ઊભી રાખીએ, પણ નિકાહનામાને કારણે થતી ગરબડ વચ્ચે પોતાની હિંદુ નામ ઓળખ અકબંધ રાખતી શખ્સિયત(તન્વી શેઠ)ની કદર કરતાં શીખો. રામ માધવે ખરું જોતાં આ પ્રશ્ને ‘રાષ્ટ્રવાદ’નો મુદ્દો કસોટીના પથ્થર પેઠે ઉછાળવાની જરૂર જ નહોતી. પ્રશ્ન, સીધોસાદો, કાયદાના શાસનનો હતો.

બીજું, મુસ્લિમને પરણી હિંદુ નામઓળખ જારી રાખવાની કદર કરવાની રીતે રામ માધવે જે મરોડ માસ્તરી અગર તો સ્પિન ડૉક્ટરું અજમાવવાની ચેષ્ટા કરી એ તો આડે પાટે ચડાવતી બીના હતીઃ કેટલા બધા હિંદુ પરિવારોમાં (ખાસ તો મહારાષ્ટ્રમાં) સ્ત્રી પરણ્યા પછી અનિવાર્યપણે નવું નામ ધારણ કરે છે એની ખબર એમને નહીં હોવાનું કારણ નથી. ખરેખર તો આ સવાલ હિંદુ કે મુસ્લિમ ઓળખ કરતાં વધુ તો સ્ત્રીમાત્ર પરત્વે પુરુષસાપેક્ષ ઓળખનો જે પુરુષસત્તાક રવૈયો રહ્યો છે એને અંગે આમૂલ પુનર્વિચારનો હતો અને છે. હાલ જે વિમર્શભટકાવ છે એનું રહસ્ય એ વાતમાં છે કે સમાજસુધારાની સાર્વત્રિક જરૂરતને હિંદુત્વ ઝંડાબરદારો રાષ્ટ્રવાદના ખાનામાં નાખે છે તો ઇસ્લામને છેડે એ અંગે ઓળખનું રાજકારણ ચાલે છે. પ્રશ્ન વસ્તુતઃ રાષ્ટ્રવાદ કે સામસામી ધાર્મિક ઓળખ કરતાં વધુ તો લિંગભેદ વગરના ન્યાયનો (‘જેન્ડર જસ્ટિસ’નો) છે.

રામ માધવે જે તબક્કે અને જે રીતે ચર્ચા પૂરી કરવા ચાહી તે જ તબક્કાથી શરૂ થતી ખરી ચર્ચા આ છેઃ તમારે કાયદાના શાસનને ધોરણે રાજ ચલાવવું છે કે પછી વિચારધારાગત (લગભગ મજ્જાગત) ભેદભાવને ધોરણે ધોરાજી હંકારવી છે. આ ધોરાજી હંકારવામાં એકબીજાની હરીફાઈ કરતી ભાડૂતી અને ભક્તોની ભીડથી ચૂંટણી જીતતાં શું જીતી જવાય, પણ એથી દેશ બને ખરો? ‘હિંદુ પાકિસ્તાન’ એ સ્વરાજનિર્માણનો રાજપથ ને જનપથ તો નથી.

નમો-અમિત વ્યૂહ, બાકી તો, સ્પષ્ટ છે. વિકાસનો ચળકાટ ઊડી ગયા જેવો જણાય છે તેવે કોમી ધ્રુવીકરણની રાજનીતિ જ એમની નજરોમાં એકમાત્ર તરણોપાય છે. મતદારોએ આ રમત મુજબ ધ્રુવીકૃત નહીં થતા નાગરિક હોવાને ધોરણે વિચારવાની ને દરમ્યાન થવાની તાકીદ સાફ છે.

જુલાઈ ૧૨, ૨૦૧૮

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2018; પૃ. 01-02 

Loading

...102030...3,0953,0963,0973,098...3,1103,1203,130...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved