Opinion Magazine
Number of visits: 9581854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસ્કારિતા વિના સંસ્કૃિત અધૂરી છે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|22 May 2018

સાંપ્રત

વરલીમાં એક અગત્યના કામ માટે મારે જવાનું હતું. સાંજે છ વાગ્યે પહોંચવાનું હતું અને છમાં દસ મિનિટ બાકી હતી ત્યારથી રસ્તો ઓળંગવા માટે ઊભી હતી. કોઈક કારણસર સિગ્નલ બંધ હતું. ગાડીઓ સડસડાટ દોડ્યે જતી હતી પણ કોઈને રાહદારીઓ રસ્તો ક્રોસ કરી શકે એની પડી નહોતી. લગભગ ૨૦ મિનિટના અંતે રસ્તો માંડ ક્રોસ કરી શકી. રાહદારીઓની ક્યાં કોઈને પડી જ હોય છે?

શું તમારી સાથે પણ આવું બન્યું છે? ના બન્યું હોય તો જ નવાઈ! આપણો દેશ રાજા રામના આદર્શોની વાત કરે છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણના સિદ્ધાંતોને અપનાવવાની સલાહ આપે છે, ભગવાન મહાવીર અને બુદ્ધનાં મૂલ્યોનું આચરણ કરવાનો આદેશ આપે છે, જે સમાજ સંસ્કાર, આદર-સત્કાર અને આમન્યાની વાત કરે છે, સમાજ એ નાગરિક ધર્મ બજાવવામાં કેમ પાછળ છે? શું આપણું સ્વરાજ અધૂરું છે? સંસ્કૃિત ગમે તેટલી મહાન હોય-સંસ્કારિતા વિના એ અધૂરી છે.

કહેવાય છે કે મા-બાપનો ઉત્તમ પરિચય તેમનાં સંતાનો દ્વારા મળી શકે. એ જ રીતે રાજતંત્રનો પરિચય એની સમાજવ્યવસ્થા મારફતે મળી શકે. કોઈ એક રાજપ્રથા કેવી ચાલે છે એ જોવું હોય તો કોઈ પણ મોટા શહેરના ચાર રસ્તે જઈને પાંચ-દસ મિનિટ ઊભા રહેવું, એટલા સમયમાં અનેક રહસ્યો છતાં થઈને તમને રાજ્યના અંતરંગનો પરિચય આપી દેશે. એકબીજાથી આગળ વધવાની હોડ, એમાં બાઈક સવાર તો જાણે પોતે ચક્રવર્તી રાજા હોય એમ ગમે ત્યાં ઘૂસી જઈ શકે અને ગમે તેને અડફટે ચડાવી શકે. દરેક જણ રણશિંગું ફૂંકીને જીવનના કુરુક્ષેત્રમાં ઊતરી પડ્યા હોય એમ જ જોઈ લો. ચોપગાં વાહનો જ નહિ, રાહદારીઓને પણ એટલી ઉતાવળ હોય કે લાલ બત્તી-લીલી બત્તી જુએ છે કોણ? અને લાલ બત્તીની નીચે પીળી લાઈટ હજુ થાય ના થાય ત્યાં તો વાહનો હોર્નનો હાહાકાર મચાવીને કેસરિયા કરવા તૂટી પડશે. આવી મનસ્વી માનસિકતા ધરાવતા આ ‘બાળરાજા’ઓ પોતાને અનુકૂળ હોય એટલા જ નિયમો પાળે છે. શિષ્ટ સમાજના નિયમો પાળવા એ બંધાયેલો નથી. બલકે, નિયમોની તોડફોડ કરીને ઘણીવાર સેડિસ્ટ આનંદ મેળવે છે. દુનિયાના વિકસિત દેશોમાં ક્યાં ય આવું જોવા નથી મળતું. રાહદારીને હંમેશાં પહેલાં જવા દેવામાં આવે છે.

મારી એક મિત્ર અમદાવાદ રહે છે. એણે એક સત્યઘટના હમણાં મને કહી. "અમારી બાજુનો ફ્લેટ એન.આર.આઈ.એ વર્ષોથી લીધેલો છે. આમ તો વર્ષે દહાડે કોકવાર તેઓ કુટુંબ સહિત અહીં આવે ને પછી ચાલ્યા જાય. એ ઘર ખોલીને છેલ્લા છ મહિનાથી એક કાકા-કાકી રહેવા આવ્યાં હતાં. તેમનાં સંતાનો અમેરિકા સેટલ થઇ ગયાં હોવાથી હવેની બાકીની જિંદગી સ્વદેશમાં જ વિતાવવી એમ નક્કી કરીને અહીં રહેવા આવ્યાં હતાં. મેં પણ તેઓ બંને એકલાં હોવાથી કહી રાખ્યું હતું કે કઇં કામકાજ હોય તો કહેજો, ચિંતા ના કરતા. કાકા-કાકી આનંદી સ્વભાવનાં હતાં, કોઈ વાર રાત્રે બેસવા આવે, અલક-મલકની, પૂર્વ-પશ્ચિમની સંસ્કૃિત અને સંસ્કારની વાતો કરે. સાતેક મહિના પૂરા થયા હશે, એક દિવસ કાકા-કાકી મારે ઘરે આવ્યાં. છ મહિના પહેલાંની અને અત્યારની એમની વાતોમાં આસમાન જમીનનો તફાવત દેખાયો.

"બેટા, અમે યુ.એસ.એ. પાછાં જવાની તૈયારી કરી રહ્યાં છીએ, બસ-ગમે ત્યારે અહીંથી નીકળી જઈશું. એમની આંખોમાં ઝળઝળિયાં હતાં.

મેં પૂછ્યું, "કેમ કાકા, અમારી સાથે ભારતમાં ના ફાવ્યું? તમે તો કહેતાં હતાં કે હવે ફરી અમેરિકા નથી જવું. અહીં આપણા દેશના લોકો માયાળુ છે, સગાં-સંબંધી આસપાસમાં છે, દીકરી પણ નજીકમાં જ પરણાવેલી છે અને મારા જેવા પડોશી પણ છે. તો કઈ વાતે તકલીફ પડી?

"દીકરી, આ વીતેલા છ મહિનામાં મને બધો જ અનુભવ થઇ ગયો. મને એમ કે અહીં આવીને એકબીજાને મળીશું, ખબર-અંતર પૂછીશું, સુખ-દુ:ખની વાતો કરીશું .. ! પણ કોઈને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર મળે. બીજી વખત જઇએ ત્યારે ઠંડો આવકાર .. ટીવી ચાલુ રાખી, વચ્ચે વચ્ચે થોડી વાત કરી લે ઔપચારિકતા ખાતર. આપણને મનમાં બેઈજ્જતી થતી લાગે કે આપણે અહીં ક્યાં આવ્યાં .. ! બાળકો એમનાં મોબાઈલમાં રત. કોઈને ‘કેમ છો’ પૂછવાની ય ફુરસદ નહિ! દીકરી નજીક છે તો અવારનવાર આવશે, મળશે .. તેવા ખ્યાલોમાં અમે હતાં પણ દીકરી ય મોબાઇલ દ્વારા જ ખબર અંતર પૂછી લે છે. ઘરે બોલાવીએ તો દીકરી-જમાઈ પાસે ફુરસદ નથી. ફોન ઉપર બધા લાગણી બતાવે, ડાહી, ડાહી વાતો કરે .. પણ રૂબરૂ જઈએ ત્યારે વર્તન સાવ બદલાઇ ગયું હોય છે. બધા પોતપોતાની જિંદગીમાં મશગૂલ છે. લાગણીશીલ થઈને નકામાં દુ:ખી થવા અહીં આવ્યાં એવું લાગી રહ્યું છે. તેના કરતાં ‘જેવા છે તેવા’ દેખાતા ધોળિયા સારા. બાહ્ય આડંબર તો નહીં! થોડીવાર ચૂપ રહીને એ બોલ્યા, "અરે, શું વાત કરું દીકરા, થોડા દિવસ પહેલાં હું ગ્રીન સિગ્નલ થયા પછી ઝેબ્રા લાઈન પર રોડ ક્રોસ કરતો હતો તો પણ એક ગાડી સડસડાટ આવી … મને ઉડાવતા રહી ગઇ .. માંડ બચ્યો. એક સેકન્ડની સમયસૂચકતા ના વાપરી હોત તો રામશરણ થઇ ગયો હોત! પાછો કારની બારીમાંથી યુવાન લાગતો છોકરો બોલ્યો.

“એ .. એ … ડોહા .. જોતો નથી, મરવા નીકળ્યો છે … હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો. શું આ મારી કલ્પનાનો ભારત દેશ? જ્યાં યુવા પેઢીને બોલવાનું પણ ભાન નથી, નાના મોટાનું જ્ઞાન નથી, ટ્રાફિક સેન્સનું નામ જ નથી … ! હું શું કલ્પના કરી અહીં આવ્યો હતો અને મને શું મળ્યું?

વિદેશમાં તો વૃદ્ધ કે બાળકને જોઈ ગમે તે સ્પીડથી વાહન આવતું હોય તો ય બ્રેક મારી, તમને માન સાથે પહેલા જવા દે અને અહીં ..? મારા વાંક-ગુના વગર ગાળો સાંભળવાની .. ! આમ વિચારતો વિચારતો જતો હતો ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો. મારાં ચશ્માં પડી ગયાં. હું શોધતો હતો. ત્યાં એક મીઠો અવાજ આવ્યો. "અંકલ .. મે આઈ હેલ્પ યુ ? બેટા, સોગંદથી કહું છું. એક મિનિટ માટે તો રણમાં કોઈ ગુલાબ ખીલ્યું હોય તેવો મને ભાસ થયો. અહીં છ મહિનાથી આવ્યો છું, પણ મે આઇ હેલ્પ યુ? જેવો શબ્દ મેં નથી સાંભળ્યો .. આવો મધુર ટહુકો કરનાર સામે મેં જોયું. એક ૧૦ થી ૧૨ વર્ષનું બાળક હતું. "અંકલ આ તમારાં ચશ્માં. કહીને એણે હાથમાં ચશ્માં આપ્યાં. મેં માથે હાથ ફેરવી ‘થેન્ક યુ’ કહ્યું અને પૂછ્યું, "બેટા ક્યાં રહે છે?

"અહીં હું મારા દાદાને ત્યાં ક્રિસમસ વેકેશનમાં આવ્યો છું.

"એટલે ઇન્ડિયામાં નથી રહેતો ?

"ના અંકલ, અમે લંડન રહીએ છીએ.

અમે બંને વાતો કરતાં હતાં ત્યાં તેના પપ્પા – મમ્મી આવ્યાં ને હાથ જોડી બોલ્યાં, નમસ્તે અંકલ … ! એકબીજા સાથે પ્રેમપૂર્વક ખૂબ વાતો કરી. છેલ્લે તેઓ ઘર સુધી પણ મૂકી ગયાં! હું વિચારતો હતો …" નાહકના પશ્ચિમની સંસ્કૃિતને આપણે વખોડીએ છીએ. ખરેખર સંસ્કાર, ડિસિપ્લીન, ભાષા તો એ કહેવાતા ‘ધોળિયા’ઓની જ સારી છે … ! આચાર-વિચારમાં કોઈ ફરક નથી. વૃદ્ધો, વિકલાંગો, સગર્ભા સ્ત્રીઓ પ્રત્યે ખરેખર દયાભાવ છે. ટ્રેન, બસમાં તેમને માટે ખાસ સગવડ હોય છે. આપણે પશ્ચિમનું આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીએ પણ, ખરેખર જે શીખવાનું છે તે શીખતાં નથી તેથી ધોબીના કૂતરા જેવી અવદશા થઈ છે … !

ટૂંકી ચડ્ડી કે ટીશર્ટ પહેરવાથી આધુનિક નથી થવાતું. આજના યુવાનોને કેમ સમજાવવું કે વાણી, વર્તન એ તો દેશની પ્રગતિનો પાયો છે. જ્યાં વાણી વર્તનનાં ઠેકાણાં નથી ત્યાં દેશનો ગમે તેટલો વિકાસ થાય, તે ગાંડો જ લાગે … !

હજુ એ શબ્દો મને યાદ આવે છે ત્યારે હસવું પણ આવે છે અને દુ:ખ પણ થાય છે…" એ .. એ …ડોહા .. મરવા નીકળ્યો છે? જોતો નથી … અંકલ વાત પૂરી કરીને અમેરિકા પાછાં ફરવાના સ્વપ્નમાં ખોવાઈ જાય છે.

આવો જ એક બીજો કિસ્સો છે. વડોદરામાં દીકરા સાથે રહેતાં ૮૦ વર્ષનાં માલતીબહેન ઘણી હોંશ સાથે અમેરિકાથી દીકરા સાથે રહેવા આવ્યાં હતાં. દીકરા સાથે રહેવાની અપાર ઈચ્છા હોવા છતાં એક જ વર્ષમાં અમેરિકા પરત ગયાં, કારણ શું? રસ્તાના ખાડાઓ અને બેફામ વાહનોને લીધે એકલા બહાર નીકળી શકવા અસમર્થ હતાં, ઘરમાં સાર-સંભાળ માટે રાખેલી બાઈ અનાજ-પાણી સહિત પૈસાની ઉચાપત કરી જતી એટલે છતે પૈસે દારુણ સ્થિતિ. અધૂરામાં પૂરું ડૉક્ટરો એમને એવા ઊંધે રવાડે ચડાવતા હતા કે એમની તબિયત સુધરવાને બદલે સખત બગડવા માંડી હતી. વાતાવરણનું પ્રદૂષણ એવું હતું કે શરદી-ઉધરસ મટતાં જ નહોતાં. લગભગ મરણપથારીએ પડેલાં માલતીબહેનની અમેરિકા રહેતી દીકરીએ એમને ફરી ત્યાં લઇ જવાનો નિર્ણય કર્યો ત્યારે માલતીબહેનમાં ઊભાં થવાની શક્તિ નહોતી તો ય બોલી ઊઠ્યાં કે, મને અહીંથી લઇ જાઓ! તમે માનશો, અમેરિકા જઈને બિલકુલ તાજાંમાજાં થઈને હવે એ ઘરની રસોઈ પણ કરતાં થઇ ગયાં છે. આપણી સંસ્કૃિતને વગોવવાનો અહીં કોઈ ઈરાદો નથી. સંસ્કૃિત તો સર્વોચ્ચ છે જ, અભાવ સંસ્કારિતાનો છે. આ બંને સત્યઘટનાઓ છે.

એ સ્વીકારવું અઘરું છે પણ આપણો આખો સમાજ અત્યંત દંભી છે. રિગ્રેટ, રિયલાઈઝ, હોપ, એશ્યોરન્સ, અપોલોજાઈઝ એ આપણા રોજિંદા વ્યવહારમાં પરલોકના શબ્દો લાગે છે. અહીં તો, "વી ડોન્ટ નો – મારું શું? અને મારે શું? એ તો એમ જ ચાલે … આપણા દેશમાં તો સાહેબ આમ જ ચાલવાનું – ગમે તેટલું માથું કૂટોને!! આવી જ માનસિકતા હોય ત્યાં બધું તંત્ર ક્યારે સુધરશે? દરેક સમાજનાં સારાં – નરસાં પાસાં હોય છે, પરંતુ મૂળભૂત નાગરિક ધર્મ – સંસ્કારિતા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એ અધૂરા છે.

પાશ્ચત્ય સંસ્કૃિતમાં પારદર્શકતા છે. તેઓ જેવા છે તેવા જ દેખાય છે. આપણા સમસ્ત સમાજની માનસિકતામાં આમૂલ પરિવર્તનની જરૂર છે. સ્વચ્છતા અભિયાન કે શિસ્તબદ્ધતાના ગમે એટલા પાઠ સરકાર શીખવે પણ માનસિકતા નહિ બદલાય ત્યાં સુધી દેશ ઊંચો નહિ આવે. આજની માતાઓએ સમાજના હિતમાં કેટલાંક Dos અને Don’tsનાં ઓસડિયાં બાળકોને ઘસી ઘસીને પીવડાવવાની જરૂર છે તો જ એ મોટા થઈને સાચા નાગરિક બનશે. માતાથી ના થયું હોય તો આ કામ તો કેળવણીએ સુધારી લેવાની જરૂર છે. નિરંકુશ વૃત્તિઓ, સ્વકેન્દ્રી અને હઠાગ્રહી વ્યક્તિવાદ, હિંસા, અંધવિશ્વાસનો ઉછેર, દાવપેચ, દંભ, અપ્રમાણિકતા, ધર્માંધતા, જાતિવાદી ઉશ્કેરણી આ બધાં અધ:પતનનાં પગથિયાં છે. છતાં નવી પેઢી પાસે હજુ થોડી આશા-અપેક્ષા છે..! આ પેઢી પ્રમાણમાં ખાસ્સી પારદર્શક છે.

એમનામાં થોડું પરિવર્તન દેખાઈ રહ્યું છે.

લેટ્સ હોપ ફોર બેટર ઇન્ડિયા!

સૌજન્ય : ‘ઉત્સવ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 મે 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=410244

Loading

ગનેઆન પરસારક મંડળી

દીપક મહેતા|Opinion - Literature|21 May 2018

કાળચક્રની ફેરીએ

મંડળી મળવાથી થતા લાભ કવિ નર્મદે જાણ્યા અને જાહેર ભાષણ દ્વારા લોકોને જણાવ્યા. પણ એ લાભ તરફ આપણું ધ્યાન ખેંચ્યું કેટલાક અંગ્રેજોએ. જુદા જુદા હેતુ માટેની મંડળીઓની શરૂઆત તેમણે કરી કે ‘દેશીઓ’ પાસે કરાવી.

૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ તે સાથે પશ્ચિમ ભારતમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ એમ મોટે ભાગે મનાતું આવ્યું છે. પણ હકીકતમાં આવી શરૂઆત તે પહેલાં, ૧૮૩૫માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ તે સાથે થઈ હતી. એ વખતે આ કોલેજમાં જે અંગ્રેજ અધ્યાપકો હતા તે માત્ર પાઠ્યક્રમ પ્રમાણે ભણાવવામાં ઇતિશ્રી માનનારા નહોતા. પણ પોતાના વિદ્યાર્થીઓને સમાજ સુધારો, સાહિત્ય, શિક્ષણ, વગેરે ક્ષેત્રોમાં સક્રિય કરવાની પણ પોતાની ફરજ સમજનારા હતા. આવા બે પ્રોફેસરો તે એ.એમ. પેટન અને આર.ટી. રીડ.

ઇંગ્લન્ડથી મુંબઈ આવી આ કોલેજમાં ભણાવવાની શરૂઆત કર્યા પછી થોડા જ વખતમાં તેમણે પોતાની કોલેજના વિદ્યાર્થીઓને ‘સ્ટુડન્ટ્સ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટી’ની સ્થાપના કરવાની પ્રેરણા આપી. ‘પારસી પ્રકાશ’(દફતર ૧, પાનું ૫૦૬)માં દર્શાવ્યા પ્રમાણે ૧૮૪૮ના જૂન મહિનાની ૧૩મી તારીખે આ સોસાયટીની સ્થાપના થઈ હતી. પ્રો. પેટન તેના પહેલા પ્રમુખ બન્યા હતા. તેની પહેલવહેલી કમિટીમાં નીચેના પારસીઓનો સમાવેશ થયો હતો: દાદાભાઈ નવરોજજી, અરદેસર ફરામજી મૂસ, ફરામજી એદલજી દાવર, બહમનજી પેશતનજી માસતર, કાવશજી એદલજી ખંબાતા, બરજોરજી રુસતમજી મોદી, અને બેહરાંમજી ખરશેદજી ગાંધી. (નામોની જોડણી ‘પારસી પ્રકાશ’ પ્રમાણે) શરૂઆતનાં કેટલાંક વર્ષોમાં એલ્ફિન્સ્ટન કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જ તેના સભ્ય બની શકતા. ૧૮૪૮માં તેના કુલ ૨૧ સભ્યો હતા જે બધા જ એક યા બીજી રીતે એલ્ફિન્સ્ટન કોલેજ સાથે સંકળાયેલા હતા. ૧૮૫૬માં સભ્યોની સંખ્યા વધીને ૧૯૦ થઈ હતી. સભ્યોની સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ એ કે ૧૮૫૨માં હર કોઈ સુશિક્ષિત પુરુષ માટે સભ્યપદ શક્ય બન્યું હતું. આ સોસાયટીની મુખ્ય કામગીરી હિન્દુસ્તાનની સામાજિક સ્થિતિ વિષે લેખો લખવા, ભાષણો કરવાં, અને તેના ઉપર ચર્ચાઓ કરવી તે હતી. શરૂઆતથી જ તેમાંથી રાજકારણ અને ધર્મને લગતી બાબતોને બાકાત રાખવામાં આવી હતી.

આ સોસાયટીનો કારોબાર — તેમાં વંચાતા નિબંધો અને થતાં ભાષણો — અંગ્રેજીમાં જ થતો. તેથી બધા વિદ્યાર્થીઓ માટે તેમાં ભાગ લેવાનું શક્ય બનતું નહોતું. આ વાત ચકોર અંગ્રેજ અધ્યાપકોના ધ્યાનમાં તરત આવી ગઈ, અને સ્થાનિક ભાષાઓ – મરાઠી અને ગુજરાતીમાં — પણ લખવા બોલવાની સગવડ કરવી જોઈએ એમ તેમને સમજાયું. આથી ૧૮૪૮ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી તેમણે સોસાયટીની બે શાખાઓ શરૂ કરાવી – મરાઠી અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી. અમદાવાદમાં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી શરૂ કરાવી તેના કરતાં થોડી વહેલી આ મંડળી શરૂ થઇ.

આપણા ઘણાખરા ‘જાણકારો’ પણ આજે આ મંડળી વિષે ઓછામાં ઓછું જાણે છે. પારસીઓ જોડાક્ષર વગરની કેવી ‘અશુદ્ધ’ ગુજરાતી ભાષા વાપરતા તેના ઉપહાસભર્યા નમૂના તરીકે તેના સામયિક ‘ગનેઆન પરસારક’નું નામ ઉછાળવા સિવાય આ મંડળી અને તેની કામગીરી વિષે ભાગ્યે જ કોઈ લખે-બોલે છે. આ મંડળીની કામગીરીમાં પારસીઓ વધુ ઉત્સાહથી ભાગ લેતા એ વાત ખરી, પણ તે કેવળ પારસીઓની મંડળી નહોતી. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ યોગ્ય રીતે જ કહ્યું છે: “જ્ઞાન પ્રસારક મંડળી કંઈ માત્ર પારસીઓની સંસ્થા નથી, પરંતુ પારસી, હિંદુ, મુસ્લિમ, એ સઘળી કોમોના લાભ માટે સ્થપાયેલી છે. જે વખતે આ મંડળી સ્થપાઈ તે વખતે પારસીઓ અને હિન્દુઓ એકમેક સાથે મળીને અને બહુ જ મળતાવડાપણાથી વર્તતા હતા. ખરી વાત છે કે તેના સ્થાપકોમાં દાદાભાઈ નવરોજી, પ્રોફેસર રીડ અને પ્રોફેસર પેટન હતા, પણ પારસીઓ જોડે હિંદુ ભાઈઓનો પણ તેમાં મોટો હાથ હતો.” (‘દિવાન બહાદુર કૃ. મો. ઝવેરી લેખસંગ્રહ’, ભાગ ૨, પા. ૧૭૭) તેની પહેલી કારોબારી સમિતિના કુલ આઠ સભ્યોમાંથી ત્રણ હિન્દુઓ હતા, અને પાંચ પારસીઓ હતાં. એટલું જ નહીં તેના પહેલા સરનશીન (પ્રમુખ) રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી હતા. બીજા સભ્યો હતા: પ્રાણલાલ મથુરાદાસ, દાદાભાઈ નવરોજી, મોહનલાલ રણછોડદાસ, બમનજી પેસ્તનજી, બરજોરજી ફરામજી, કાવસજી એદલજી, અને અરદેશર ફરામજી મુસ (સેક્રેટરી).

આ મંડળી તરફથી ૧૮૪૯ના જુલાઈ મહિનાથી ‘ગનેઆન પરસારક’ નામનું માસિક શરૂ કરવામાં આવ્યું. તે શરૂ થયા પછી થોડા જ વખતમાં તેનું જોડાક્ષર વગરનું નામ બદલીને ‘જ્ઞાન પ્રસારક’ કરવામાં આવેલું, પણ એ વાત આપણે ત્યાં ભાગ્યે જ કોઈએ ધ્યાનમાં લીધી છે. ૧૮૬૭ના ડિસેમ્બર સુધી આ માસિક ચાલ્યું હતું. તેના અધિપતિ (તંત્રી) તરીકેની કામગીરી ક્રમશઃ દાદાભાઈ નવરોજી, અરદેશર ફરામજી મુસ, એદલજી નસરવાનજી માસ્તર, કરસનદાસ મૂલજી, જહાંગીરજી મહેરવાનજી પ્લીડર, અને નાનાભાઈ રૂસ્તમજી રાણીનાએ બજાવી હતી. આ મંડળી તરફથી ૧૮૫૨માં અરદેશર ફરામજી મુસે ‘ખોલાસે જાદુ’ નામનું સામયિક શરૂ કરી બે વર્ષ સુધી ચલાવ્યું હતું. જાદુ, મંતર-જંતર, ભૂવા-ડાકણ વગેરેના ભેદનો ભાંડો ફોડી લોકોના મનમાંથી આ બધાં વિશેની અંધશ્રદ્ધા દૂર કરવી એ તેનો હેતુ હતો.

આ ઉપરાંત, આરંભથી જ માતૃસંસ્થાની જેમ આ મંડળીમાં પણ નિયમિત રીતે નિબંધવાચન અને ભાષણોની પ્રવૃત્તિ શરૂ થઈ હતી જે છેક ૧૯૫૬-૧૯૫૭ સુધી ચાલતી રહી હતી. અલબત્ત, તેમાં સાહિત્ય કરતાં ‘લોકોપયોગી’ વિષયો વધુ જોવા મળે છે. અલબત્ત, અવારનવાર સાહિત્ય વિશેનાં વ્યાખ્યાનો પણ યોજાતાં. જેમ કે ૧૯૨૯માં ઝવેરચંદ મેઘાણીએ છ વ્યાખ્યાનો આપ્યાં હતાં. 'લોકસાહિત્ય: ધરતીનું ધાવણ' (૧૯૩૯)ના પહેલા ખંડની પ્રસ્તાવનામાં આવું કથન છે: "…જ્ઞાનપ્રસારક  મંડળીના આશ્રયે લોકગીતો પરનાં છ વ્યાખ્યાનોનું જે આખું સત્ર ૧૯૨૯માં મને સોપાયું હતું એ છયે વ્યાખ્યાનોની માંડણી આ નિબંધોની અભ્યાસભૂમિ પર હતી." આ વ્યાખ્યાનો અંગે જયંતભાઈ મેઘાણીને પૂછાવતાં તેમણે જણાવ્યું છે કે “એ પુસ્તકમાં 'લગ્નગીતોના ધ્વનિ' અને 'હાલરડાં અને બાળગીતો' એ બે પ્રકરણો એમાંનાં બે વ્યાખ્યોનો લેખે આપેલાં. પછી ૧૯૭૧-૭૨માં નવી આવૃત્તિ તૈયાર કરતી વખતે બાકીનાં ચાર વ્યાખ્યાનો તપાસ્યાં હતાં પણ એ બધાં બાપુજીના લોકસાહિત્યના કોઇને કોઇ સંગ્રહની પ્રસ્તાવનારૂપે અપાઇ ગયેલાં તેથી એ અલગ નહોતાં મૂકેલાં એવું સ્મરણ છે. (એમણે પણ તેથી જ ન આપ્યાં હોય.)” 

દર વર્ષે યોજાતાં વ્યાખ્યાનો પછીથી છાપીને પુસ્તિકા રૂપે પ્રગટ થતાં. ૧૮૪૮થી ૧૯૫૭ સુધી સતત આ રીતે વ્યાખ્યાનો છાપવામાં આવ્યાં હતાં. દરેક વ્યાખ્યાન માટે વક્તાને પચાસ રૂપિયાનો પુરસ્કાર અપાતો, જે એ વખતમાં ઓછો તો ન જ કહેવાય. ઘણાં વ્યાખ્યાનોમાં ‘મેજિક લેન્ટર્ન’ નકશા, ચાર્ટ વગેરેનો ઉપયોગ પણ થતો. જરૂર હોય ત્યાં વાજિંત્રો, ગાયન, નૃત્ય, વગેરેનો સમાવેશ પણ થતો. એટલે કે વ્યાખ્યાનો ‘ડેમોન્સસ્ટ્રેશન’ સાથે થતાં. થોડાંક વર્ષ ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ વ્યાખ્યાનો થતાં.

આ મંડળીનું એક મહત્ત્વનું પ્રકાશન તે ‘જ્ઞાનચક્ર’. રતનજી ફરામજી શેઠનાએ તૈયાર કરેલ આ ગુજરાતી એન્સાઇકલોપીડિયાનાં પહેલાં આઠ પુસ્તકો ૧૮૯૮થી આ મંડળીએ ક્રમશઃ પ્રગટ કર્યાં હતાં. પહેલા ભાગની ૧૦૦૦ નકલ ઝડપથી વેચાઈ જતાં ૧૯૦૧માં તેની બીજી આવૃત્તિ છપાઈ હતી. નવમો અને છેલ્લો ભાગ કેટલાંક કારણોસર શેઠનાએ જાતે છપાવ્યો હતો.

૧૯૪૯માં જ્ઞાન પ્રસારક મંડળીની શતાબ્દી ઉજવાઈ હતી અને તે વખતે એક પ્રદર્શનનું આયોજન થયું હતું જેમાં હસ્તપ્રતો, આરંભકાળનાં મુદ્રિત પુસ્તકો અને મુદ્રણની પ્રગતિ દર્શાવતી બીજી કેટલીક સામગ્રી મૂકવામાં આવી હતી. એ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતાં આપેલા પ્રવચનમાં કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કહ્યું હતું: “આ મંડળીએ આપણા દેશી ભાઈઓમાં અને ખાસ કરીને ગુજરાતી બોલનારી જુદી જુદી કોમોમાં જ્ઞાનનો પ્રચાર કરવાનું બીડું ઝડપ્યું અને અનેક જાતની ચડતી પડતી જોઈ એ પોતાની કાયનાત પ્રમાણે જુદી જુદી રીતે જ્ઞાનનો ફેલાવો કરતી રહી અને છેવટ આજ શતાબ્દીનો આ મહોત્સવ ઉજવવા ભાગ્યશાળી થઈ છે.” (‘દિવાન બહાદુર કૃ. મો. ઝવેરી લેખસંગ્રહ’, ભાગ ૨, પા. ૫૯) આ પ્રદર્શનમાં રજૂ થયેલી વસ્તુઓ અંગે માહિતી આપતું જેહાંબક્ષ બ. વાચ્છાનું પુસ્તક પણ મંડળીએ પ્રગટ કર્યું હતું. ૧૯૫૯માં મંડળીને ૧૧૦ વર્ષ પૂરાં થયાં ત્યારે ખાસ સ્મારક ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો. એ વખતે મંડળીની કારોબારીમાં નીચેના સભ્યો હતા: પોપટલાલ ગોવિંદલાલ શાહ (પ્રમુખ), રૂસ્તમ પેસ્તનજી મસાની (ઉપ-પ્રમુખ), હરસિદ્ધભાઈ દીવેટીઆ, અરદેશર સોરાબજી કાલાપેસી, જ્યોતીન્દ્ર દવે, કાવાસ પીરોજશાહ દસ્તુર, દસ્તુર નૌરોઝ દીનશાહજી મીનોચેહરહોમજી, અને જેહાંબક્ષ બહમનશાહ વાચ્છા. આ ગ્રંથની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે તેમાં માત્ર બે જ પાનાંમાં મંડળી વિશેની કેટલીક વિગતો આપી છે. બાકીનાં પાનાંમાં ગુજરાતનાં સાહિત્ય, કેળવણી, વર્તમાનપત્રો, સંગીત, ચિત્રકળા, નાટકો, સ્થાપત્ય, વગેરે વિશેના જાણકારોના લેખ સમાવ્યા છે.

૧૯૫૯ પછી જ્ઞાનપ્રસારક મંડળી ધીમે ધીમે નિષ્ક્રીય બનતી ગઈ અને અંતે વિલય પામી.

——————————————————————————————

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (East), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

ધાનશાક ખાતા ખાતા મા સાથે ગુજરાતી બોલતો પારસી રોકસ્ટાર

આશિષ વશી, આશિષ વશી|Opinion - Opinion|21 May 2018

એકદમ અંતર્મુખ સ્વભાવના ફારુક બલસારા ઊર્ફે ફ્રેડી મરક્યુરીએ તેના અવાજ અને સંગીતથી દુનિયા આખીને ડોલાવી

મૂળ નામ ફારુક બલસારા. ગુજરાતથી આફ્રિકાના ઝાંઝીબારમાં સેટલ થયેલા પારસીનો દીકરો. પહેલાં શિક્ષણ ભારતમાં લીધું. ત્યાર બાદ તેનાં માતા પિતા સાથે બ્રિટનમાં સ્થાયી થયો. એકદમ અંતર્મુખી એવા ફારુક બલસારાએ તેના અવાજ અને સંગીતથી દુનિયા આખીને ડોલાવી. માત્ર પીસ્તાલીસ વર્ષની ઉંમરે આ રોકસ્ટારનું એઇડ્સની બીમારીથી મોત થયું. તેની જિંદગી વિશે મોટા ભાગે લોકો અજાણ છે. તે ખૂબ જ ખાનગી જીવન જીવતો હોવાથી તેની ઝાઝી વાતો બહાર નથી આવી. 

પરંતુ હાલમાં જ તેના પર બનેલી એક ફિલ્મ ‘બોહેમિયન રાપ્સોડી' રિલીઝ થઇ રહી છે. ત્યારે આ રોકસ્ટારની અનેક વાતો બહાર આવી છે. દુનિયા આ પારસી પોઇરાને ફ્રેડી મરક્યુરીનાં નામથી ઓળખે છે. આ નામ તેણે પોતે અપનાવેલું હતું. તેની અટક બલસારા એ ગુજરાતના વલસાડ પરથી પડી હતી. તેના પિતાનું વતન વલસાડ હતું અને અંગ્રેજીમાં વલસાડને બલસાર લખવામાં આવે છે.

ફ્રેડી પર એવો પણ એક આરોપ છે કે તેણે તેની એથનિસિટી હંમેશાં ગુપ્ત રાખી હતી. તેણે કદી પારસી હોવાનું કે ભારતીય મૂળની વાત કરી ન હતી. પરંતુ તેની માતાની મુલાકાતો પરથી સ્પષ્ટ થાય છે કે ફ્રેડી દર અઠવાડિયે તેની માએ રાંધેલી પારસી વાનગી ધાનશાક ખાવા અચૂક જતો હતો. તેની માતા સાથે તે પારસી ગુજરાતીમાં વાત કરતો, પરંતુ તેની આ બાબતો તેણે કદી જાહેરમાં કહી ન હતી. ફ્રેડીને ભણવા માટે તેના માતાપિતાએ પંચગીનીની સેંટ પીટર સ્કૂલમાં મૂક્યો હતો. માત્ર બાર વર્ષની ઉંમરે તેણે દોસ્તારો સાથે ભેગા મળીને ધ હેક્ટિક નામનું બેન્ડ બનાવ્યું. શાળામાં જ તેણે પોતાની જાતને ફ્રેડી તરીકે ઓળખવવાનું નક્કી કર્યું. તે નાનપણથી જ પિયાનો શીખતો અને રેડિયો પર સંગીત સાંભળી તેને પિયાનો પર વગાડતો. કદાચ એટલે જ તેણે ભવિષ્યમાં રેડિયો ગાગા નામનું ગીત ગાયું.

લંડનમાં કોલેજમાં ભણતી વખતે તેણે અનેક સંઘર્ષનો સામનો કર્યો. વિવિધ બેન્ડમાં કામ કર્યું, પરંતુ કોઇ પણ હીટ ના થયું. તેણે અનેક પ્રકારની નોકરીઓ પણ કરી. તે હીથ્રો એરપોર્ટ પર પણ કામ કરતો અને ક્યારેક રૂપિયા કમાવવા માટે સેકેન્ડ હેન્ડ ક્લોથ માર્કેટમાં કપડાં પણ વેચતો. તે વખતે તેને જાણનારા કહે છે કે તે ખૂબ શરમાળ યુવાન હતો, જેને સંગીતમાં ઊંડો રસ હતો. પરંતુ 1971માં તેણે એક બેન્ડ બનાવ્યું અને તેનું નામ ક્લીન રાખ્યું. ત્યાર બાદ સતત બે દાયકા તેઓ પ્રસિદ્ધિની ટોચ પર રહ્યા. 

ફ્રેડી જેટલો અંતર્મુખી હતો તેટલો જ સ્ટેજ પર ખીલતો. તે તેના લાઇવ પર્ફોમન્સમાં લોકોને તેની અનર્જીથી ડોલાવતો. પરંતુ સ્ટેજ પરથી જતા જ તે ફરીથી તેની ખાનગી જિંદગીમાં આવી જતો. ફ્રેડીને તેની અંગત સેક્સલાઇફનાં લીધે એઇડ્સ થઇ ગયો. તેના મૃત્યુના એક દિવસ પહેલાં તેણે જાહેરમાં આ વાત સ્વીકારી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે સમલૈંગિક સબંધોનાં લીધે તેને આ જીવલેણ રોગ થયો હતો. અને આમ માત્ર પીસ્તાલીસ વર્ષે જિંદગીનાં મંચ પર તેણે તેના સંગીતને અમર બનાવી વિદાય લીધી.

હાલમાં જ રિલીઝ થઇ રહેલી ફિલ્મ ‘બોહેમિયન રાપ્સોડી' રિલીઝ થાય તે પહેલાં વિવાદ પણ થયો છે. આ ફિલ્મમાં ફ્રેડીના સમલૈંગિંક સબંધો અને એઇડ્સના તથ્યો મૂકવામાં આવ્યા નથી. એઇડ્સની જગ્યાએ જીવલેણ રોગ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. જ્યારે કે આ બાયોપિકમાં તથ્ય મૂકવા જરૂરી છે તેવું બધાનું માનવું છે. ફ્રેડીનાં બેન્ડનાં બાકી વધેલા સભ્યોએ પણ તેની યાદમાં ટ્રસ્ટ બનાવ્યું છે. અને તેઓ પણ એઇડ્સ જાગૃતિ માટે કામ કરે છે.

છેલ્લે આ પારસી પોઇરાનાં સૌથી ફેમસ ગીતની વાત કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કેમ્પેઈનમાં અનેક વખત એક ગીત વગાડ્યું છે તે હતું ફ્રેડીએ લખેલું ગીત Queen બેન્ડનું We Are The Champions! ગીત. જો કે, આ અઠવાડિયે જ ક્વીન બેન્ડનાં લીડ ગિટારિસ્ટ Brian Mayએ ટ્રમ્પને આ ગીત યુઝ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે! કારણ એ છે કે ક્વીન બેન્ડને પોતાના ગીતો કોઈ પોલિટિકલ રિઝન્સ માટે યુઝ થાય તે મંજૂર નથી. આ ગીતને ફિફા વર્લ્ડ કપ સહિતના અનેક સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં એન્થમ બનાવાયું છે, અને તેમાં ક્વીન બેન્ડના મેમ્બર્સે કોઈ વાંધો લીધો નહોતો. તેનું કારણ એ છે કે આ ગીત સ્પોર્ટ્સની સ્પિરિટને બિરદાવવા માટે જ લખાયું છે.

2011માં લંડનની ગોલ્ડસ્મિથ યુનિવર્સિટીના પ્રોફેસર-સાયકોલોજિસ્ટ Dr. Daniel Mullensiefenએ આ ગીત પર એક સર્વે કર્યો હતો. તેમના આ રિસર્ચનું તારણ એ આવ્યું કે દરેક ટ્યૂનની પાછળ એક સાયન્સ હોય છે, જે ન્યુરોસાયન્સ, મેથ્સ અને કોગ્નિટિવ સાઇકોલોજીનું કોમ્બિનેશન હોય છે. કોઈ ટ્યૂનમાં યુઝ થયેલી સાઉન્ડ ફ્રીક્વન્સીઝ સીધી જ હ્યુમન બ્રેઈનને અપીલ કરે છે અને તેનાથી કોઈ ગીતની ટ્યૂન કેચી છે કે નહીં, તે નક્કી થતું હોય છે. રિસર્ચના અંતે ડો. ડેનિયલ અને તેમની ટીમે જાહેર કર્યું કે, ક્વીનનું We Are The Champions ગીત એ દુનિયાનું સૌથી કેચી ટ્યૂન ધરાવતું સોંગ છે! આ ટ્યૂન એ કોઈ પણ વ્યક્તિને સાંભળતાં જ ગમી જાય છે અને તે આ ટ્યૂનને ગાઈ પણ શકે છે! આ છે સંગીતનું સાયન્સ!

https://www.youtube.com/watch?v=04854XqcfCY

સૌજન્ય : ‘ઢેન્ટેણેન’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 18 મે 2018

Loading

...102030...3,0953,0963,0973,098...3,1103,1203,130...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved