Opinion Magazine
Number of visits: 9969808
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમજ્યા-વિચાર્યા વિના ગાંધીજીની નિંદા કરવામાં સમસ્યા રહેલી છે.

અપૂર્વાનંદ|Gandhiana|5 October 2018

તારીખ 2 ઓક્ટોબર, 2018ના રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી શરૂ થઈ તે સાથે જ ફરી એક વખત મહાત્મા ગાંધીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને રાજનૈતિક દુનિયા સુધીના તમામ મંચો પર થનારી ગાંધીજીની ચર્ચામાં આજકાલ તમામ મર્યાદાઓ ઓળંગીને થઈ રહેલી વિવેચનાઓ પણ જોવા અને સાંભળવા મળી રહી છે.

ઘણી વખત આ પ્રકારની આલોચનાત્મક ચર્ચાઓમાં ખોટી વાતો પણ એટલા પ્રમાણમાં જ સામેલ હોય છે કે તેને આખરે તર્કમાં ખપાવી દેવામાં આવે છે. થોડા સમય પહેલાં લેખક એન્થની પરેલનું ગાંધીયાના નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું તો તેની સાથે જ ગાંધીજી પર નવેસરથી ચર્ચા શરૂ કરવા જેવી હતી તેમ મારું માનવું છે. કારણ કે, લેખક એન્થની પરેલે પોતાનું સમગ્ર જીવન ગાંધીજીને સમજવામાં પસાર કરી દીધું છે અને જ્યારે ગાંધીજી પર તેઓ કોઈ નવી પ્રસ્તાવના આપે છે તો તે બાબતે તેઓ પોતાનો કોઈ હક દર્શાવતા નથી.

અજય સ્કારિઆનું Unconditional Equality: Gandhi's Religion of Resistance નામના પુસ્તકમાં સમાનતા, ધર્મ, પ્રતિરોધ જેવાં મૂલ્યો પર તેમના વિચારોના જે સૂત્રો આપવામાં આવ્યા છે તેના પર ચર્ચા થવી જોઈએ. સાથે જ તેઓ યુવા લેખક અને સંશોધક છે, તેમણે ભારતીય ગ્રામીણ અને આદિવાસી જીવનને સારી રીતે જોયું છે.

આ સિવાય લેખક મકરંદ પરાંજપે કે જેઓ સાહિત્યના અધ્યાપક છે અને તેમનું પુસ્તક The Death and After Life of Gandhi પર આપણે વિચારવાનું શરૂ કરવા જેવું હતું કે જેમાં ગાંધીજીના મૃત્યુ બાદ, કે જે ગાંધીજીનું મૃત્યુ નહીં પણ તેમની હત્યા હતી ત્યારે ભારતે ગાંધીજીને કેવી રીતે જીવંત રાખ્યા.

આ તમામ લેખકો ગાંધીજીને એક નવા દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. મહાત્મા ગાંધી 100 ખંડોમાં છે, પોતાના લેખોમાં છે, ભાષણ તેમ જ પ્રાર્થના સભાના વક્તવ્યો અને સૌથી વધુ પોતાના પત્રોમાં જોવા મળે છે. ગાંધીજીના આ સમગ્ર લેખનકાર્ય વાંચવામાં ઘણો સમય લાગે છે, તો શું ત્યાં સુધી મહાત્મા ગાંધી પરના પોતાના વિચારોને સ્થગિત કરી દેવા જોઈએ. મહાત્મા ગાંધીનાં પુસ્તકો થકી ચર્ચા શરૂ કરવામાં પણ એક સમસ્યા રહેલી છે, અને તે એ છે કે આ પુસ્તકો સંપૂર્ણ વાંચવા પડે છે અને તે વાંચતા ખૂબ જ સમય લાગે છે. આ પુસ્તકો વાંચતી વખતે જો ક્યારેક કાયદાની વાત આવે તો વાચકની અનેક પૂર્વ માન્યતાઓ પર પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને તેનાથી વાચકનું મન પણ વિચલિત થાય છે. આ પ્રકારનાં પુસ્તકો વાંચવાં અને લખવાં માટે એક પ્રકારની વિનમ્રતા હોવી જરૂરી છે, જ્યારે ગાંધીજી પર નિવેદન આપવા દરમિયાન અને ત્યારબાદ તેના પર કરવામાં આવતી ચર્ચા દરમિયાન આ પ્રકારની વિનમ્રતાની જરૂર નથી.

પરંતુ, રાજનેતાઓમાં આ વિદ્વાનો જેવો વિનય ભાગ્યે જ જોવા મળે છે કારણ કે રાજનેતાઓને કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુને સમજવા કરતાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેમાં જ વધારે રુચિ હોય છે. પરંતુ, દુર્ભાગ્ય એ છે કે સાર્વજનિક ચર્ચાઓ આ વિદ્વાનોથી વધુ આ નેતાઓના માધ્યમોથી શરૂ થાય છે. માટે તેને નજરઅંદાજ કરવાની સુવિધા આપણી પાસે નથી.

ભારતમાં મહાત્મા ગાંધીના વિષયને લઈને સૌથી મોટી સમસ્યા એ છે કે ગાંધીજીના મુદ્દે વાત કરવા માટે કોઈ પણ પ્રકારની તૈયારીની જરૂરિયાત જોવા નથી મળતી. મને મારા એક જૂના કમ્યુિનસ્ટ મિત્રએ એક એવી ફરિયાદ કરી હતી કે 30 જાન્યુઆરીના રોજ તેને એટલા માટે નિમંત્રણ નથી મળતું કારણ કે તે ગાંધીજીની ટીકા કરે છે. મેં મારા તે મિત્રને પૂછ્યું કે તેણે ગાંધીજી વિશેના પોતાના વિચારો કેવી રીતે કેળવ્યા અને શું તે માટે તેણે કોઈ ગાંધી સાહિત્ય વાંચ્યું છે ખરું, તો તેણે મને આ પ્રશ્નનો નકારાત્મક ઉત્તર આપ્યો. પણ, મને સૌથી વધુ ચિંતા એ વાતની થઈ કે ગાંધીજીને સમજવા માટે ગાંધી સાહિત્ય વાંચવાની વાત મારા મિત્રને પાયાવિહોણી લાગી. મારા આ ક્મ્યુિનસ્ટ મિત્રએ ભૂપેશ ગુપ્તા અને હિરેન મુખરજીને વાંચ્યા હતા અને તે દ્વારા તે ગાંધીજીને જાણતો હતો અને મને લાગે છે કે આટલું વાંચન તેના માટે પૂરતું હતું. પરંતુ, હિરેન મુખરજી ડાબેરી હોવા છતાં પણ તેઓ પોતાને ગાંધીજીના પ્રશંસક કહી શકતા હતા અને આ વાત ઈ.એમ.એસ. નંબૂદિરિપાદ માટે પણ તેટલી જ સાચી હતી. ડાબેરીઓ અને ગાંધીજીમાં એક દ્વંદ્વાત્મક સંબંધ હતો છતાં, પણ એસ.એ. ડાંગે, હિરેન મુખરજી અથવા ઈ.એમ.એસ. નંબૂદિરિપાદને ગાંધી આધારિત સુચિંતિત પુસ્તક લખવાનું આવશ્યક લાગ્યું. ત્યારબાદના ડાબેરીઓ માટે ગાંધીજીને જાણવા એટલા જરૂરી નહીં લાગ્યા હોય.

ગાંધીજી ધીરે-ધીરે એક અફવામાં પરિવર્તિત થઈ ગયા. એવી અફવાઓ કે જેના પર વિશ્વાસ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો અને સત્યની જેમ પ્રચાર કરવા માટેનો પણ તેનો કોઈ વિકલ્પ નથી રહેતો. ગાંધીજીની છબીને પણ અફવાની જેમ પ્રચારિત કરવામાં આવી છે અને આ તમામમાં ગાંધીજીની સરળતા જોવા મળે છે. 

ગાંધીજીની સાથે ત્રણ પ્રકારનો વ્યવહાર થયો હતો. તેમની હત્યા બાદ ભારતીય રાજ્યએ તેમનું સંપૂર્ણરીતે રાજકીયકરણ કરી દીધું. અને આ ગાંધીજી જેવા અરાજકતાવાદી માટે મોટી વિડંબણાની વાત હતી. ગાંધીજીની હત્યાની શરમ છુપાવવા માટે હત્યાના કારણ પર ચર્ચા કરવાનું બંધ કરીને ગાંધીજીને એક અજાતશત્રુની જેમ પ્રચારિત કરવામાં આવ્યા. ત્રીજુ, ગાંધીજીના રાજનૈતિક પક્ષને સંપૂર્ણરીતે લુપ્ત કરવા માટે તેમને એક ધાર્મિક વ્યક્તિત્વ તરીકેની અથવા સંત તરીકેની પ્રતિષ્ઠા આપવામાં આવી.

ગાંધીજી સાથે આપણો સંબંધ એ એક પ્રકારની વ્યાકુળતા જેવો છે. તમે ગાંધીજીનો આદર કરવાની જરૂરિયાત વિના પણ ગાંધીજીને સમજી શકો છો. તેઓ ટીકાઓથી પર છે, તેમની માત્ર પૂજા કરી શકાય છે. તેમના શિષ્ય અને મિત્ર નહેરુએ યુવા ફિલ્મ દિગ્દર્શક રિચર્ડ એટેનબરોને એવી સલાહ આપી હતી કે તેઓ તેમની ફિલ્મ ગાંધીમાં ગાંધીજીને એક દેવતાની જેમ નહીં પણ એક સામાન્ય વ્યક્તિની જેમ જ તેમનું નિરૂપણ કરે.

ગાંધીજીના જીવનમાં ઘણા અંશ એવા છે કે જેના પર વિવેચનાત્મક વાત કરી શકાય તેમ છે. વર્ણાશ્રમ પ્રત્યેનો તેમનો મત, સ્ત્રીઓની રાજનૈતિક આંદોલનોમાં ભાગીદારીને લઈને અનેક સ્થળોએ તેમણે વ્યક્ત કરેલો સંકોચ, દક્ષિણ આફ્રિકાનાં વર્ષોના આરંભમાં આફ્રિકાના લોકો પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ, ભારત પરત ફર્યા બાદ બ્રિટિશ સેનાની ભરતી માટે લોકોને જાગૃત કરવાનો તેમનો નિર્ણય, આમ આ તમામ બાબતે તેમની ટીકા થવી જોઈએ. એક મત એવો પણ છે કે ખિલાફતને ટેકો આપીને અને ભારતમાં તે આંદોલનનો પ્રચાર કરીને તેમણે જ આગળ જતા રાજનીતિ અને ધર્મમાં ઘાલમેલ કરવા માટે તેને આધાર બનાવ્યો. પરંતુ, ગાંધીજીને માત્ર કેટલાંક આ જ ભાગોમાં સમજી શકાય તેમ નથી.

એક વખત ગાંધીજીને આફ્રિકાના લોકો માટે સંદેશો આપવા માટે કહેવામાં આવ્યું હતું અને તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ છે. ગાંધીજીના આ ઉત્તરને અહંકારપૂર્ણ કહી શકાય તેમ છે. પણ, ગાંધીજી માત્ર એ પ્રકારનું કહેવા નહોતા માગતા કે તેમનું સમગ્ર જીવન એ પ્રયોગોની એક કડી છે. પ્રયોગ હંમેશાં સફળ નથી થતા, અને પ્રયોગ જે પૂર્વધારણાથી શરૂ કરવામાં આવે છે તે પ્રયોગના કર્મ સંપૂર્ણરીતે નિરસ્ત થઈ શકે છે અને તેને બદલી પણ શકાય છે. જેમ ગાંધીજીનું શરૂઆતથી કહેવું હતું કે ઈશ્વર સત્ય છે અને અંતમાં અહીં પહોંચવાનું સત્ય જ ઈશ્વર છે. પણ, પ્રયોગકર્તાઓને તે સુવિધા નથી કે તેઓ પોતાની ઓળખ પ્રત્યે સંદેહ વ્યક્ત કરીને પોતાનો પ્રયોગ કરે. પ્રથમ તો તે પ્રયોગ પર વિશ્વાસ કરવાનો હોય છે અને પછી ભલે ને તે પ્રયોગનો વિરોધ જે-તે સમયની કોઈ મોટી પ્રતિભા જ કેમ ના કરતી હોય, ગાંધીજી ભારત આવ્યા ત્યારબાદ તિલક અને એની બેસન્ટ જેવી પ્રતિભાઓનો વિરોધ હોવા છતાં તેમણે અંગ્રેજી સેનામાં ભારતીયોની ભરતી થાય તેની હઠ પકડી હતી તેને આ રીતે સમજી શકાય તેમ છે. ગાંધી કેમ ગાંધી બન્યા તેનું સૌથી મોટું કારણ એ હતું કે તેઓ પોતાના શત્રુઓ અને વિરોધીઓને માનતા જ નહોતા. એ વાત સહેજ પણ આશ્ચર્ય પમાડે તેવી નથી કે તેમના સૌથી પ્રિય લોકો જેવા કે ટાગોર અને નહેરુ પણ તેમની ટીકા કરતા હતા.

પરંતુ, આલોચકો અને નિંદકમાં તફાવત છે. ગાંધીજીને તેમના જીવનના ઉત્તરાર્ધમાં નિંદા કરનાર લોકોનો જ સામનો કરવો પડ્યો હતો.

(સત્યાગ્રહ – 2 ઓક્ટોબર, 2018)

અનુવાદ : નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

https://satyagrah.scroll.in/article/110240/gandhi-a-rumor-in-his-own-country

Loading

એ રેવલા, તું જો હખણો રે’તો ઓય તો!

બકુલા ઘાસવાલા|Poetry|5 October 2018

 

એ રેવલા,
તું જો હખણો રે’ તો ઓય ને,
ને દાઈદોસ્તારમાં ખાજણપીજણના ખોટા ખરચા ની’ કરતો ઓય તો !
તો આપણાં ખોરડે હાંલ્લાં કુસ્તી ની’ કરતાં ઓય!
ને મને બે વેર રાંધવાનો લા’વો મલતો ઓતે!
પણ …..

રેવલા,
આ તારી વખતકવખત જોયા વગર ઢીંચવાની ટેવે તો
આપણને બરબાદ કરી કેથેના ની’ રાયખા!
પોયરાં બચાડાં નિમાણાં થેઈને ફરે,
છનિયો તો ઘરમાં ટકે જ ની’
ને મંગી તો તારાથી કેટલી બીતી ફરે!
તું ઢીંચીને આવે ને એવો લવારે ચડે કે
ઉં તો હરમથી કોકડું વરી જાઉં!
ને તારા ગોલાપા કરતાં તો એવો પારો ચડે કે
કોઈવાર થી આવે કે લાવની ઉં જ ચહકો કરી મેલું!
મને થાય, લાવ તને હારોહરખો ધબેડી કાડું!
ની તો ઘરમાંથી જ આંકી( હાંકી) કાડું!
પણ પછી થાય કે તું છે તો માથે છત્તર છે ને
પોયરાંના માથે બાપની ઓથ છે!
ઉં તો ઉપરવાળા હાથે બી’ લડી લડીને થાકી!
એ વરી આપણાં જેવાં ગરીબડાંને હારું કા પરવારતો છે?
    
હેં રેવલા!
પે’લા તો તું કેટલા હારો ઉતો,
આપણે મેળે મા’લતાં ને ભજિયાં ને ચાની જાફત ઓ કરતાં.
સિનેમા જોવા ઓ જતાં ને હગેવા’લે કારવે’વારમાં ઓ જતાં કે’ની?
આપણાં પોયરા તો મારી વાત માને જ ની’!
એમ કે’ય કે માય તો ગાંડી ગાંડી વાત કરતી છે!
અમે તો બાપાને અખ્ખણ ઢીંચતા જ જોયેલો!
    
હેં રેવલા,
તુ ની’ જ સુધરવાનો કે?
ચાલ ની, મે તને પેલે તાં –
એ હું કે’વાય જે?
એ યાદ આઈવું,
નસા મુક્તિ કેન્દ્રમાં લેઈ જાઉં.
ને પછી તું પેલા જેવો થેઈ જાય!
હેં રેવલા તું, હખણોપાધરો રેહે ને?
જો તું હીધો થેઈ જાય તો આપણું ઘર ઘર બની જાય કે’ની?
ચાલની રેવલા, આપણે ઘર બનાવીએ!

Loading

મુનશીજી

દીપક બારડોલીકર|Profile|4 October 2018

‘તમે શું નહીં ભણો, આમલીપીપળી કરાવતો તમારો શેતાન પણ ભણતો થઈ જશે ! −− સીધા કરી દઈશ −− !’

આ શબ્દો હતા અમારા મુનશી સાહેબના. બારડોલીના ઉર્દૂ શાળાના એ હેડ ટીચર. નામ હતું રફીઉદ્દીન. ઊંચા, ઉજળા ને એકવડા બાંધાના તેજસ્વી આદમી. સ્વભાવે મળતાવડા હતા, પણ ખોટું સ્વીકારે નહીં. કોઈ ધનવાન પણ ખોટી વાત ચલાવે તો વિનમ્રતાથી કહી દેતા, ‘માફ કરજો, તમારી આ વાત યોગ્ય લાગતી નથી.’

અને એવે પ્રસંગે કોઈ જમીનદાર ઉશ્કેરાઈ જાય તો તેને ય ટાઢો પાડતાં કહેતા, ‘બોલો અત્યારે દિવસ છે કે રાત ?’ − અને પોતે જ એનો જવાબ આપતાં કહેતા, ‘દિવસ છે. અને હું એને રાત કહું તો તમે નહીં માનો, ખરું ને!’ − − અને જમીનદાર માથું હલાવીને ના પાડે કે તરત મુનશીજી હસતાં હસતાં સંભળાવી દેતા, ‘તો પછી અમે શું કામ માનીએ ! આગને બાગ યા બાગને આગ શા માટે કહીએ !’

મુનશીજી એક કાબેલ શિક્ષક હતા. બહુ કાળજીથી ભણાવતા. દરેક નવો શબ્દ અને તેનો અર્થ બરાબર સમજાવતા. વારંવાર રટાવતા. ઉચ્ચાર શુદ્ધ થવો જોઈએ, જોડણી ય શુદ્ધ, નહિતર મુનશીજી રાતાપીળા થઈ જાય. રાડ પાડે, ‘ઉદ્ધારને ઉધાર કહો છો, નાલાયકો !’

મુનશી સાહેબની આ સખ્તાઈ હોવા છતાં ક્યારેક ક્યારેક અમને શરારત સૂજતી અને અમે, હું ને મારા ત્રણેક સહપાઠીઓ, ગાપચી મારી જતા. બોર, જાંબુ, કરમદાં – ખટમડાં ચૂંટવા – ખાવા માટે સીમમાં ભાગી જતા. આમ થતું ત્યારે મુનશીજી પોતે અમને શોધવા સીમમાં જતા. હાથમાં નેતરની સોટી હોય, ખેતરવાડીઓને ખંખોળે, અમને પકડી લાવે, ફટકારે અને ભણાવે ! પ્રસ્વેદ લૂછતાં કહે ય ખરા, ‘ઓ નાલાયકો, ભણો, નહિતર આ દુનિયા તમને ભક્ષી જશે!’

મુનશીજીને અમારી એવી ફીકર હતી, જેવી કોઈ સમજદાર બાપ પોતાનાં સંતાનોની ફીકર કરે છે. તેમને કેળવે છે, સૂઝસમજ આપે છે.

આ ઉર્દૂ શાળા હતી એથી કરીને મુનશીજીએ અમને ઉર્દૂ ભાષા શીખવવાના ઘણા પ્રયાસો કરેલા. પરંતુ ખાસ કરીને જમણી તરફથી લખાતી એ ભાષાની લિપિ અમને ઘણી અઘરી લાગતી હતી, વળી રસ જાગે એવો માહોલ પણ ન હતો. અને અમારા વહોરા કુટુંબોમાં તો ઠેઠ ગુજરાતી ભાષાનું ચલણ હતું; આથી ઉર્દૂ શાળામાં અમને ઉર્દૂ ભાષા આવડી નહીં. અલબત્ત બોલચાલના થોડા શબ્દો જરૂર જીભે ચડ્યા હતા, મલેકપુરી ઉર્દૂ જેવા. − આવેગા જાવેગા જેવા …

ગમે એમ, પણ આજે હું દળદાર ઉર્દૂ ગ્રંથોના અનુવાદની ક્ષમતા ધરાવું છું એ પાકિસ્તાનની બક્ષિશ છે. 1948માં હું પાકિસ્તાન ગયેલો. ત્યાં મારી સામે ઉર્દૂનો એક ઘૂઘવતો સમુદ્ર હતો ! હેરાન થઈ ગયેલો ! કદાચ ડૂબી જાત. પણ નહીં, અમારા મુનશી સાહેબના ઉર્દૂ વિશેના પ્રયાસો મને અહીં કામ આવ્યા. મલેકપુરી ઉર્દૂને તુંબડે હામ ભીડીને હું સમુદ્રમાં ફલાંગી ગયો અને ઊછળતો – ડૂબતો પાર ઊતરી ગયો. સતત મહેનત કરી, મિત્રોની સહાય લીધી અને મિર્ઝા ગાલિબ તથા મૌલાના આઝાદને વાંચવા – સમજવા જેટલી ક્ષમતા મેળવી લીધી !

ઈન્સાન અગર ઈચ્છે તો શું ન થઈ શકે ! અલબત્ત ઈરાદામાં, નિર્ધારમાં દૃઢતા હોવી જોઈએ, અડગતા હોવી જોઈએ અને હોસલો શાહીનનો – ગરુડનો :

નિર્ધારમાં પેદા કર,
ગરુડની પાંખો.
વામણા થઈ જશે
વિરાટ પહાડો !

•••

અમારા આ મુનશીજી રફીઉદ્દીનને આંબાના છોડ ઉછેરવાનો ઘણો શોખ હતો. કેરીગાળામાં તે અમને સારામાં સારી કેરીના ગોટલા લઈ આવવાનું ફરમાન કરતા. એ ગોટલાને તેઓ ખાતરમિશ્રિત માટીથી ભરેલા ડબ્બાઓમાં રોપતા. કાળજીપૂર્વક છોડ ઉછેરતા અને ત્યારે પછી એ છોડ, તેમને ગામ – વાલોડ લઈ જતા. આ ઉદ્યમી ઉસ્તાદે આ રીતે વાલોડમાં એક સારી એવી આંબાવાડી ઊભી કરી લીધી હતી !

એક વાર હું કરાચીથી બારડોલી ગયેલો, ત્યારે ખાસ અમારા મુનશીજીને મળવા માટે વાલોડ ગયેલો. મારે તેમની સ્થિતિ જાણવી હતી, કેટલીક ભેટસોગાતો આપવી હતી. તેઓ અવસ્થાએ પહોંચ્યા હતા, પણ કૃષ કાયામાં ખાંસી કકરાટી હતી. વર્ષો પછીની આ મુલાકાત હતી એટલે ઝટ તેઓ મને ઓળખી શક્યા નહીં. કશો ઉત્સાહ દેખાડ્યો નહીં, પણ જ્યારે જાણ્યું કે હું તેમનો એક વિદ્યાર્થી છું, બારડોલીનો મૂસાજી હાફિઝજી છું, તો તેમનો ચહેરો ખુશીથી ખીલી ઊઠ્યો ! બોલ્યા, આવ ભાઈ, બેસ. − તે મૂસાજી ને,  કે જે અચ્છાને ઈચ્છા કહેતો હતો !’ … અને હસાહસ ! આ હસાહસમાં તેમનાં બેગમ પણ શામિલ થઈ ગયાં. તેમણે જ પૂછ્યું, ‘અભી ક્યા કામ કરતે હો ? ઔર આજકલ કહાં હો, બારડોલી મેં યા કોઈ ઔર શહર મેં ?’

અને જ્યારે તેમણે જાણ્યું કે હું કરાચીમાં છું, વ્યવસાયી પત્રકાર છું ને શાયરી પણ કરું છું તો મુનશીજીએ મને છાતી સરસો ચાંપી લીધો અને ખાસી વાર સુધી મારી પીઠ થાબડતા ને દુઆઓ દેતા રહ્યા ! કહ્યું ય ખરું, ‘મીર તકી મીર કો પઢો, મિર્ઝા ગાલિબ કો પઢો − શાઈરી સંવર જાયેગી !’

એવા ઉસ્તાદો આજે ક્યાં ?

એમના ગુસ્સામાં અમારા ભાવિની ચિંતા હતી, એમની સોટીમાં સાચું માર્ગદર્શન હતું ! 

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Loading

...102030...3,0973,0983,0993,100...3,1103,1203,130...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved