Opinion Magazine
Number of visits: 9735919
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 February 2026

ચંદુ મહેરિયા

કોમનમેન માટે ૧૪૪મી કલમ એટલે એક સ્થળે ચાર કરતાં વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ. પરંતુ  ૧૪૪મી કલમનો વ્યાપ બહુ વિશાળ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલમાં અમલી ૧૪૪મી કલમના જાહેરનામા પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે શહેરમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને એક સાથે એકત્ર થવા, મંડળી રચવા કે રેલી-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 

લોક આંદોલનો પર પ્રતિબંધ, હથિયારોની હેરાફેરી અને ગેરકાયદે હથિયારો રાખવા પર પ્રતિબંધ, માનવજીવન, આરોગ્ય અને સલામતી પર ખતરો, જાહેર સુરક્ષામાં ગરબડ રોકવી, તોફાનો અને ઉપદ્રવ અટકાવવા જેવા કારણોસર ૧૪૪મી કલમ હેઠળ પ્રતિબંધો લદાય છે. કોરોના મહામારીનો પ્રસાર રોકવા કે તોફાનોમાં જૂઠી અફવાઓ રોકવા ઈન્ટરનેટ બંધ કરવા પણ તેનો ઉપયોગ થાય છે. અસામાન્ય પરિસ્થિતિમાં અસાધારણ ઉપાયોની આવશ્યકતા રહે છે. હિંસા કે ઉપદ્રવની સ્થિતિને અટકાવવા તાત્કાલિક પગલાં જરૂરી છે. કંઈક આવા ઉદ્દેશોથી આ કલમ ઘડાઈ છે. પરંતુ આજે તો તેનો હાલતા અને ચાલતા મનસ્વી ઉપયોગ થાય છે. 

ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ૧૯૭૩ની કલમ ૧૪૪ મૂળે તો બ્રિટિશરોની દેન છે. આઝાદીના આંદોલનોને રોકવા અંગ્રેજ સરકાર તેનો ઉપયોગ કરતી હતી. સંસ્થાનવાદનો જે કેટલોક વારસો સ્વતંત્ર ભારતે જાળવી રાખ્યો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કલમ ૧૪૪ છે. નવરચિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩માં પણ તે કલમ ૧૬૩ તરીકે જીવંત છે. તેથી ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં કાગળ પર અને વ્યવહારમાં બ્રિટિશકાળના કેટલાક અંશો સચવાયેલા લાગે છે. એક અન્ય અભ્યાસ પ્રમાણે ઈ.સ. ૧૮૬૧માં ગુજરાતના બરોડા સ્ટેટમાં પોલીસ અફસર ઈ.એફ ડેબુ(E.F. DEBOO)એ કલમ ૧૪૪ ઘડી હતી અને તેનો અમલ પણ થતો હતો!

સરકાર વિરોધી આંદોલનોને રોકવા ૧૪૪મી કલમનો સતત ઉપયોગ થાય છે.એટલે તે બંધારણના અનુચ્છેદ ૧૯થી મળેલ નાગરિકોના શાંતિપૂર્ણ અને કાયદેસરના વિરોધના મૂળભૂત અધિકારોનું હનન કરે છે. સરકાર વિરોધી દેખાવો, સભા, સરઘસોને વિફળ કરવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. લોકોના વિરોધને તે અટકાવે છે તેથી નાગરિકોના અભિવ્યક્તિની સ્વતંત્રતાના હકનું ઉલ્લંઘન થાય છે. 

૧૪૪મી કલમના મનસ્વી ઉપયોગને આઝાદી પૂર્વેથી માંડીને આજ સુધી અદાલતમાં પડકારવામાં આવતો રહ્યો છે. ૧૯૩૯માં બોમ્બે હાઈકોર્ટે આ સંદર્ભના ચુકાદામાં કહેલું, એ વાતમાં કોઈ શંકા નથી કે ધારા ૧૪૪ હેઠળ સરકાર સ્વતંત્રતાને બાધિત કરે છે. પરંતુ જાહેર સલામતીના સંદર્ભે આવું કરવું અનિવાર્ય હોય ત્યારે જ સરકારે કલમ ૧૪૪નો ઉપયોગ કરી પ્રતિબંધો લાદવા જોઈએ. આ કલમથી એવા પ્રતિબંધો ન લગાવો જેની જરૂર ન હોય. 

જન આંદોલનો જેમનો પ્રાણ હતો એવા સમાજવાદી નેતાઓ પર કલમ ૧૪૪ના ભંગના ઘણાં કેસો થતા હતા. એટલે રામ મનોહર લોહિયા, જ્યોર્જ ફર્નાન્ડીઝ અને મધુ લિમયેએ પણ ૧૪૪મી કલમના દુરપયોગ અંગે અદાલતોમાં ધા નાંખી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની જસ્ટિસ ગંગેશ્વરપ્રસાદની એકલ પીઠ સમક્ષ રામ મનોહર લોહિયાએ ૧૧,૧૨ ઓગસ્ટ ૧૯૬૬ના રોજ નિવેદન આપ્યું હતું. ૧૪૪મી કલમના વિરોધમાં અને તેને ગેરબંધારણીય ઠેરવવાની માંગ કરવા તેઓ અદાલતમાં આવ્યા છે તેનું કારણ આપતા લોહિયાએ માર્કાની વાત કરી હતી કે, “જબ જનતા બલવાન નહીં હોતી હૈ તો સરકાર કે અન્યાય કા મુકાબલા ન્યાયાલયોં મેં હોના હી ચાહિયે. ઈસીલિયે મુઝે આપ લોગોં કો કષ્ટ દેના પડ રહા હૈ”.  લોહિયાએ ધારા ૧૪૪ અને તેની સજા નક્કી કરતી ધારા ૧૮૮ બેઉને અસંવૈધાનિક ગણાવતી તર્કબધ્ધ દલીલો કરી હતી. પરંતુ અદાલતે ૧૪૪મી કલમની બંધારણીયતા અને કાયદેસરતા બરકરાર રાખી હતી. 

૧૯૭૦માં સમાજવાદી નેતા મધુ લિમયેની પીટિશન પર સર્વોચ્ચ અદાલતના સાત જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો. તેમણે જિલ્લા કલેકટરો અને પોલીસ કમિશનરોને મળેલી ૧૪૪મી કલમ હેઠળ પ્રતિબંધો જાહેર કરવાની સત્તાને ન્યાયિક રીતે ઉપયોગમાં લેવાની અસામાન્ય સત્તા ગણાવી હતી અને તેની ન્યાયિક તપાસ થઈ શકે છે તેવું સ્પષ્ટ કર્યું હતું. કામદાર નેતા જ્યોર્જ ફર્નાંન્ડીઝે પણ ૧૯૮૪માં બોમ્બે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે ધારા ૧૪૪નો દુરપયોગ રોકવાની સલાહ આપી કહ્યું હતું કે આ ધારાની જોગવાઈઓનો ઉપયોગ જાહેર શાંતિ જાળવવા ગંભીર પરિસ્થિતિમાં જ કરવો જોઈએ. વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતે કલમ ૧૪૪ અને ૧૮૮ને બંધારણીય ઠેરવવા સાથે તેના ન્યાયોચિત ઉપયોગને વારંવાર દોહરાવ્યો છે.

 ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડે(M.R. MENGDEY)ની સીંગલ જજની બેન્ચનો તારીખ ચોથી ડિસેમ્બર ૨૦૨૫નો નવદીપ માથુર વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતનો ચુકાદો ૧૪૪મી કલમના ન્યાયિક ઇતિહાસમાં સીમા ચિહ્નરૂપ છે. વડી અદાલતે અમદાવાદ પોલીસ કમિશનરનું ૧૪૪મી કલમ અંગેનું તા. ત્રીજી નવેમ્બર ૨૦૨૫નું જાહેરનામુ જ રદબાતલ ઠેરવ્યું છે. અદાલતે તેના ચુકાદામાં મહત્ત્વના અવલોકનો અને સૂચનો કર્યા છે. 

પીટિશનરોએ અદાલત સમક્ષ ૨૦૧૯માં નાગરિકતા કાયદા વિરોધી આંદોલનોને રોકવા ૨૦૧૬થી ૨૦૧૯માં સતત ૧૪૪મી કલમ જારી રાખી હતી તેના પુરાવા રજૂ કર્યા હતા. જ્યારે સી.આર.પી.સી.ની ધારા ૧૪૪(૪)માં પ્રતિબંધોની નિર્ધારિત સમય સીમા બે માસ અને વધુમાં વધુ છ માસ ઠેરવી છે ત્યારે પણ સરકારે તેનો અસીમિત સમય માટે અમલ કર્યો હતો. સતત, પુનરાવર્તિત અને ઘણીવારના પ્રતિબંધોને લક્ષમાં લઈને અદાલતે ૧૪૪મી કલમનું જાહેરનામુ રદ કર્યું હતું. અદાલતે સરકારને માત્ર સરકારી ગેઝેટમાં જ નહીં સોશિયલ મીડિયા અને બીજા માધ્યમોમાં પણ ૧૪૪મી કલમ દ્વારા પ્રતિબંધો જાહેર કર્યાનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવા આદેશ કર્યો છે. 

કાયદાનો અમલ કરતી વખતે સરકારી તંત્ર કેવું નઘરોળ બની રહે છે તેની સાબિતી ૧૪૪મી કલમ છે. પોલીસ અને વહીવટી તંત્ર સત્તાનો યથેચ્છ ઉપયોગ કરે છે. નાગરિકોને મળેલી કાયદાકીય સુરક્ષાની અવહેલના કરી સત્તાને મનસ્વી રીતે ભોગવે છે. ધારા ૧૪૪નો લેખિત આદેશ કરતાં પૂર્વે પરિસ્થિતિની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવતી નથી. વળી ચોક્કસ વિસ્તારને બદલે આખા શહેરમાં તે અમલી બનાવાય છે. લોહિયાએ અલ્હાબાદ હાઈકોર્ટને વિનંતીના સૂરમાં કહ્યું હતું કે, “હો સકતા હૈ કિ તાજીરાત હિન્દ કી જો કલમેં દૂષિત હૈં, ઉસે ઠીક કરને કી આશા હમ સર્વોચ્ચ ન્યાયાલય યા ઉચ્ચ ન્યાયાલયોં સે હી કર સકતે હૈં ‌‌-  લોકસભા મેં તો શાયદ ઈતની તાકત કભી ન હોગી જો ઉસે ઠીક કરે” લોહિયાની આ અરજ પછી સંસ્થાનવાદના અવશેષ સમી ૧૪૪મી કલમને કાયદાપોથીમાંથી દૂર કરીને સાચી અભિવ્યક્તિની સ્વતંત્રતા સ્થપાય તેવી આશા સંસદ પાસે તો રહેતી નથી, પરંતુ ગુજરાત હાઈકોર્ટનો જસ્ટિસ મેંગડેનો ચુકાદો ભવિષ્યમાં અદાલતો કંઈક કરશે તે બાબતે આશ્વસ્ત કરે છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 February 2026

ચાર્લ્સ ડાર્વિન

ર્જાતાં સાહિત્યનું આત્મકથા સ્વરૂપ મોટેભાગે આપવીતી, સ્મરણો કે બચાવનામા માટે આલેખાતું હોય છે. ઓશો રજનીશ આત્મકથાને અહંકાર કથા કહેતા હતા. પરંતુ માનવ ઉત્ક્રાંતિના સત્યના શોધક ચાર્લ્સ ડાર્વિન (જન્મ : 12મી ફેબ્રુઆરી,1809, અવસાન : 19મી એપ્રિલ, 1882)ની આત્મકથા જરા જુદા ઉદ્દેશથી લખાયેલી છે. ડાર્વિન લિખિત પચાસ કરતાં વધુ પુસ્તકો તેમની હયાતીમાં જ પ્રકાશિત થયાં છે. પરંતુ તેમણે આત્મકથા પોતાના સંતાનો માટે જ લખી હતી અને પ્રગટ કરી નહોતી. વ્યક્તિગત અને અંતરંગ પ્રકારનું આ આત્મકથ્ય તેમના પુત્ર ફ્રાન્સિસ  ડાર્વિને  તેમના અવસાન પછી સંપાદિત કરી પ્રગટ કર્યું હતું. અવસાનના છ વરસો પૂર્વે 1876માં આ આત્મકથા લખાઈ હતી. તેમાં ડાર્વિનના મન અને વ્યક્તિત્વ વિકાસનું એટલું સરસ આલેખન છે કે ‘જે વ્યક્તિને ડાર્વિનની આત્મકથાની ખબર નથી તે ડાર્વિન વિશે કશું જાણતો નથી’ એમ કહેવાય છે. મૂળે રી-કલેક્શન્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ માય માઈન્ડ શીર્ષકે લખાયેલી અને CHARLES DARWIN’S AUTOBIOGRAPHY (હિંદી અનુવાદ – ચાલ્સ ડાર્વિન કી આત્મકથા) નામે છ પ્રકરણો અને ૧૦૪ પૃષ્ઠમાં સંપાદિત ડાર્વિનની આત્મકથા સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ છે.

ડાર્વિને આત્મકથામાં લખ્યું છે તે પ્રમાણે ભણવામાં તેઓ નાની બહેન કરતાં પણ નબળા હતા અને બીજા અનેક બાળકોની જેમ તોફાની હતા. આઠ વરસની વયે તેમણે માતા ગુમાવ્યા હતાં. તેમના પિતા એટલા ધનાઢ્ય હતા કે તેમને ક્યારે ય જીવનનિર્વાહ માટે કોઈ કામ-ધંધો કરવો પડ્યો નથી. શાળા શિક્ષણમાં ઠોઠ ડાર્વિનની રુચિ પ્રકૃતિને જાણવામાં તેજ હતી. જીવ-જંતુ, વનસ્પતિ, પશુ-પંખી અને જમીનનાં સૂક્ષ્મ અવલોકનો કરવા અને તેની નોંધો કરવી, નિશાનેબાજી અને શિકાર તેમના પ્રિય કામો હતાં. પરંતુ પિતાને આ ગમતું નહીં.એટલે પિતાએ એક વાર કહ્યું હતું, “તું ખુદના માટે અને પરિવાર માટે એક કલંક બની રહેશે. “

1828 થી 1831 સુધી ડાર્વિન કેમ્બ્રિજ-એડિનબર્ગમાં ભણતા હતા. પિતા તેમને ડોકટર બનાવવા માંગતા હતા પરંતુ તેમનું ચિત્ત બીજી દિશામાં હતું. એટલે તેમને ધાર્મિક શિક્ષણ અપાવી પાદરી બનાવવા વિચાર્યું. આ માટે ડાર્વિન પણ તૈયાર થઈ ગયા. કોઈ ગ્રામીણ વિસ્તારમાં પાદરીનું કામ કરવાનો વિચાર તેમને ગમ્યો હતો એટલે તેમણે ધર્મશાસ્ત્રો સંબંધી પુસ્તકો વાંચવા માંડ્યા. આત્મકથામાં ડાર્વિન લખે છે, “પછીથી કટ્ટરપંથીઓએ (જે રીતે મારા ઊત્ક્રાંતિવાદના સિદ્ધાંતની)  ટીકા કરી તેને જોઈને મને એ વાત ભારે વિચિત્ર લાગી કે મેં કદી પાદરી બનવાનું વિચાર્યું હતું.” 

ભૂસ્તરશાસ્ત્ર, પ્રકૃતિ વિજ્ઞાન, જીવશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને સાહિત્યમાં ડાર્વિનની રુચિ હતી. તેઓ તેમના રસ-રુચિના વિષયના અભ્યાસ માટે કઠોર પરિશ્રમ કરતા હતા. તેમણે લખ્યું છે કે, “કોઈ વ્યક્તિ જેટલો કઠોર પરિશ્રમ કરી શકે છે, મેં એટલો પરિશ્રમ કર્યો છે. આનાથી વધુ પરિશ્રમ કોઈ ન કરી શકે.” દુનિયાના સર્વેક્ષણ માટે દરિયાઈ સફરે જતા બીગલ જહાજમાં એક પ્રકૃતિ વિજ્ઞાનના ચાહક તરીકે ડાર્વિનને જગ્યા મળી. અતિ જોખમી અને સાહસપૂર્ણ એવી સમુદ્રી જ્ઞાનયાત્રા લગભગ પાંચ વરસ (27 ડિસેમ્બર, 1831 થી બીજી ઓકટોબર 1836) ચાલી હતી. સંશોધક ડાર્વિને આ યાત્રામાં ભરપુર કામ કર્યું. સવા મહિનો ગાલાપાગોસના નિર્જન ટાપુ પર ગાળ્યો. હજારો નમૂના એકઠા કર્યા અને તેથી પણ વધુ હજારો પાનાંની નોંધો તથા ટિપ્પણીઓ તેમણે પ્રવાસ દરમિયાન કરી હતી. 

આત્મકથાના અંતિમ પ્રકરણમાં ડાર્વિને તેમનાં વિવિધ પુસ્તકો વિશે લખ્યું છે. “ઓરિજિન ઓફ સ્પીસીઝ” તેમનું કીર્તિદા પુસ્તક છે. પુસ્તકનું આખું નામ તો લગભગ ૨૫ શબ્દોનું છે. ડાર્વિનને ઉત્ક્રાંતિવાદનો વિચાર કોઈ તેજ ઝબકારની રીતે આવ્યો નહોતો .. પરંતુ તેની પાછળ તેમની 20 વરસોની જ્ઞાન અને સંશોધન સાધના  હતી. 1859માં “ઓરિજિન ઓફ સ્પીસીઝ” પ્રગટ થયું ત્યારે ભારે ખળભળાટ મચ્યો હતો. માનવ ઉત્ક્રાંતિ અંગેની ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ કરતાં તે જુદા વિચારો ધરાવતું હતું. આ પુસ્તકના લઘુ સંસ્કરણની 1250 નકલો પ્રકાશનના દિવસે જ વેચાઈ ગયાનું ડાર્વિને નોંધ્યું છે. જેમાં ડાર્વિને મનુષ્યના વંશજ તરીકે વાનરને દર્શાવ્યા છે તે પુસ્તક “ડિસેન્ટ ઓફ મેન” છે. જે 1871માં પ્રગટ થયું હતું. તે પછીના વરસે “એક્સ્પ્રેશન ઓફ ધ ઈમોશન્સ ઈન મેન એન્ડ એનિમલ” પ્રકાશિત થયું હતું. કોઈ સામાન્ય લેખકની જેમ ડાર્વિન પણ પોતાના પુસ્તકોની કેટલી નકલો વેચાઈ અને તેની કેટલી સમીક્ષાઓ પ્રગટ થઈ તેની નોંધ રાખતા હતા અને આત્મકથામાં તે હરખ –શોક સાથે જણાવે પણ છે. 

ડાર્વિનની તસવીરોમાં તેઓ લાંબી દાઢીધારી અને ગંભીર પ્રકૃતિના જણાય છે. પરંતુ આત્મકથામાંથી પસાર થતાં તેમની ભીતર રહેલું સંવેદનશીલ માનવ હ્રદય દેખાઈ આવે છે. એડિનબર્ગમાં એક સંશોધકના સહાયક તરીકે કામ કરતા બ્લેકનો ઉલ્લેખ તે આદર સાથે કરે છે. આ શ્યામવર્ણી વ્યક્તિ પક્ષીઓની ખાલ ભરીને તેને જીવિત પક્ષીનો આકાર આપી વેચવાનું કામ કરતો હતો. ડાર્વિન તેને પૈસા આપીને તેના જ્ઞાનનો લાભ લેતા હતા. 

જે બીગલ જહાજના કપ્તાન ફિટ્જ-રોયની કૃપાથી ડાર્વિનને તેમની કેબિનના એક ભાગમાં યાત્રા કરવાનો મોકો મળ્યો હતો તેમણે બીગલ બ્રાઝિલમાં હતું ત્યારે એક વાર વાતચીતમાં ગુલામી પ્રથાની સરાહના અને સમર્થન કર્યુ. ડાર્વિનને ગુલામી પ્રથા સામે વિરોધ અને ઘૃણા હતી. એટલે આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને કેપ્ટને ગુલામીના વિરોધની દલીલો કરવા બદલ ડાર્વિનને લાફો મારી કાઢી મૂક્યા હતા. બાવીસ વરસના યુવાન ડાર્વિને આ અપમાન સહી લીધું પણ ગુલામીનું સમર્થન ન કર્યું. એક મહાન વૈજ્ઞાનિકની આ સામાજિક નિસબત સલામલાયક છે. 

સાહિત્ય, સંગીત, નાટક, કવિતા, વાચન વગેરે તેમના જીવનના ભાગ હતા. જો કે સમય બદલાતાં તેમની રસરુચિ પણ બદલાઈ હતી. આત્મકથામાં ડાર્વિન પોતાનો મત કે અભિપ્રાય બેઝિઝક આપે છે. જેમ કે સ્કૂલી છાત્ર તરીકે શેક્સપિયરનાં નાટકો તેમને વાંચવા ગમતાં અને આનંદ આપતા હતા પણ ઉમરના પાછલા પડાવે તેમને શેક્સપિયર વાંચવા અસહ્ય, નિરસ અને ઉબાઉ લાગ્યા હતા. નવલકથાના સુખાંતના તેઓ તરફદાર હતા એટલું જ નહીં નવલકથાના દુખાંત વિરુદ્ધ કાયદો બનાવવો જોઈએ તેમ માને છે. શિકારને તેઓ એક પ્રકારનું બૌદ્ધિક કાર્ય ગણે છે. શિક્ષણ અને શિક્ષકો વિશે પણ તેમણે આકરી ટીકાઓ કરી છે. 

“વિજ્ઞાન પ્રત્યે પ્રેમ, કોઈ વિષય પર લાંબા સમય સુધી ચિંતન કરવાનું અસીમ ધૈર્ય, તથ્યોને સંકલિત કરી પ્રેક્ષિત કરવા માટેનો પરિશ્રમ, પર્યાપ્ત કલ્પનાશીલતા અને સહજ બુદ્ધિ”ને ડાર્વિન અતિ નમ્રતા સાથે પોતાની સાધારણ વિશેષતાઓ જણાવે છે. તેમને એ વાતનું  આશ્ચર્ય છે કે “આટલી સાધારણ વિશેષતાઓ છતાં કેટલીક મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક ધારણાઓને તેમણે ઘણી હદે પ્રભાવિત કરી છે.”

ડાર્વિનના જન્મને બસો કરતાં વધુ અને ઊત્ક્રાંતિવાદના સિદ્ધાંતને દોઢસો કરતાં વધુ વરસો પસાર થઈ ગયાં છે. પરંતુ ડાર્વિન અને તેમનો ઉત્ક્રાંતિવાદ વધુને વધુ પ્રસ્તુત છે ત્યારે ગુજરાતના વિજ્ઞાનચાહકો અને અનુવાદકો માટે એ પડકાર છે કે હવે ગાંધી ગિરા ગુજરાતીને વધુ સમય માટે ડાર્વિનની આત્મકથાથી વંચિત ન રાખે.

e.mail : maheriyachandu@gmail.com  

Loading

ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?

આશા બૂચ|Gandhiana|11 February 2026

સદીઓમાં ભાગ્યે જ પેદા થતા હોય એવા એક વિશ્વ વંદનીય સપૂત મોહનદાસ કરમચંદ ગાંધી ભારતમાં પેદા થયા, એનું આપણા દેશને ગૌરવ. ગુજરાત રાજ્યને તેઓ ગુજરાતી હતા તેનું અદકેરું અભિમાન. વણિક જ્ઞાતિને વળી પોતાની કોમમાંથી આવો નરપુંગવ જગતને જડ્યો એનો હરખ. તેમાં વળી પોરબંદર ગામને પોતાની ધરતી પર એ મહાપુરુષે જન્મ લીધો તેનો પારાવાર આનંદ. તો રાજકોટ શહેર પચીસેક વર્ષ સુધી ગાંધી પરિવારનું રહેઠાણ હોવાનો દાવો કરવાનું કેમ ભૂલે ભલા?

રાજકોટ સ્થિત ગાંધીજીનું રહેઠાણ ‘કબા ગાંધીનો ડેલો’ તરીકે ઓળખાય છે.

મેં તેની અસંખ્ય વાર મુલાકાત લીધી છે. દરેક વખતે એ સ્થળમાંથી એક નવી જ પ્રેરણા લઈને આવું. તાજેતરમાં મારા પરિવાર સાથે ફરીને ત્યાં જવાનું બન્યું. મુલાકાતીઓ માટે એ સ્થળ અને ગાંધી પરિવારની ઇંગ્લિશ અને ગુજરાતીમાં વિગતો આપતું ચોપાનિયું મળ્યું. ખુશી થઇ. ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા એ આ સ્થળ એવું અનેક વખત એ પત્રિકામાં જણાવવામાં આવ્યું છે. એ વાંચતાં જ અનાયાસ સવાલ થયો, મોહન તો મહાત્મા બન્યા, આપણે શું બન્યા?

ઈ.સ.1876માં પિતા સ્વ. કરમચંદ ગાંધીની પોરબંદરથી રાજકોટ જિલ્લાના મુખ્ય વહીવટદાર તરીકે નિમણૂક થતાં સાત વર્ષના મોહન પરિવાર સાથે રાજકોટ આવી વસ્યા. 1881માં હાલમાં ગાંધીજીના નિવાસસ્થાન તરીકે ઓળખાતું મકાન બંધાયું અને પરિવાર ત્યાં સ્થાયી થયો.

મોહનની નાનપણની તસ્વીર

આ ઘરમાં રહ્યા તે દરમિયાન મોહને શ્રવણની કથા વાંચી. માતૃ અને પિતૃભક્તિના વિચારો તેમાંથી ઘડાયા. બિમાર પિતાની સેવા તો કરી જ, પરંતુ જીવનભર બિમાર લોકોની સેવાનો ક્રમ ચાલુ જ રહ્યો. જૈન સમાજની કોઈ વ્યક્તિ પારકા દેશમાં (દક્ષિણ આફ્રિકા) જઈને એમ્બ્યુલન્સ કોરમાં જોડાય? કોઈ રક્તપિત્તના દર્દીની જાતે સેવા શુશ્રૂષા કરે? પ્લેગ ફાટી નીકળે ત્યારે લોકોનાં પાયખાનાં સાફ કરે અને દવા આપી મોત અને દર્દી વચ્ચે પોતાની જાતને ખડી કરી દે? આપણામાંથી કેટલા લોકોને આવાં નાટક કે ફિલ્મ જોવાથી આજીવન સેવા કરવાની પ્રેરણા મળી?

એ જ અરસામાં મોહને રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયું અને તરત વિચાર્યું, ‘હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ બીજા સત્યવાદી થાય તેની રાહ જોયા વિના મોહને સત્યને સમજવાનું અને એનું પાલન કરવાનું શરૂ કરી દીધું. આ ઘરમાં રહેતા ત્યારે જ મોહને માંસાહાર કર્યો, ધૂમ્રપાન કર્યું, પર સ્ત્રી ગમન તરફ પણ વળ્યા, ભાઈનું દેણું ચૂકવવા સોનાના કડામાંથી કટકી સોનુ કપાવવાની ભૂલ પણ કરી, પણ સત્ય પાલનના આગ્રહને પરિણામે જ તેમણે પિતા પાસે પોતાની તમામ ભૂલો કબૂલ કરી અને ફરી કદી એવી ભૂલ ન કરવા વચન આપ્યું. પિતાએ ઠપકો ન આપ્યો કે ન તો સજા કરી, બલકે મૌન રહી આંસુ સાર્યાં, જેમાંથી ગાંધી ભૂલ કરનારને માફ કરવું અને અહિંસક રીતે તેને પોતાની ભૂલ સમજાવવાનો પાઠ શીખ્યા. સત્યને વળગી રહેવાનું, એને ખાતર જીવને જોખમમાં મૂકીને પણ તેનો અમલ કરવાનું, પોતાની ભૂલોનો જાહેરમાં એકરાર કરવાનું, એ ભૂલો સુધારવાનું અને ફરી એવી ગલતી કદી ન થાય એ બધાં પ્રણને ગાંધીજીએ જીવનભર નિભાવ્યાં. કદાચ એટલે જ તેઓ મહાત્મા કહેવાયા. આપણા જેવા લોકો રાજા હરિશ્ચંદ્રનું નાટક જોઈ, અદાકારોની વેશભૂષા, અને અદાકારીની પ્રશંસા કરીને આવા સત્યવાદી રાજાઓ ભારતમાં થઇ ગયા એ વાતનો સંતોષ લઈએ. જ્યારે મોહન જેવા બાળકને પોતે હરિશ્ચંદ્ર જેવા ન થાય ત્યાં સુધી જંપ ન વળ્યો. મહાનતાના મૂળ આ વિચારમાં પડ્યા હતા.

શાળામાં ઇન્સ્પેકટરની હાજરીમાં મોહને Cattle શબ્દની જોડણી ખોટી લખી, તો પોતાની આબરૂ જાળવવા શિક્ષકે બાજુમાં બેઠેલા વિદ્યાર્થીમાંથી ચોરી કરવા સંકેત કર્યો ત્યારે મોહને નિર્ભયતાથી એનું પાલન ન કર્યું. કદી પણ અસત્યાચરણને સાથ ન આપવો અને એ માટેની નિર્ભયતા મોહનમાં નાનપણથી જ જોવા મળે છે. આ ગુણ મોહનને તેના દાદા અને પરદાદા પાસેથી વારસામાં મળ્યો, એમ ગાંધી પરિવાર વિશે માહિતી વાંચતાં પ્રતીત થાય. વારસો મળે કુદરતી રીતે, પણ તેની જાળવણી, પાલન અને સંવર્ધન વારસદારના પોતાના વ્યક્તિત્વ પર આધાર રાખે છે, અને ગાંધીજીએ સત્યાચરણનું પાલન પૂરા દેશની જનતા કરી શકે એ સાબિત કરી બતાવ્યું.

ગાંધીજીના ધર્મ અને અધ્યાત્મ વિશેના ખ્યાલોનું ઘડતર પણ આ જ ઘરમાં થયું. માતા પૂતળીબાઈ ઘણાં ધાર્મિક વૃત્તિનાં. પરંતુ પ્રણામી સંપ્રદાયના અનુયાયી હોવાથી તેઓ સહજ રીતે દરેક ધર્મની સમાનતામાં માનતા અને એથી જ તો ઈશ્વરને કોઈ પણ નામથી પૂજો, પણ ઈશ્વર એક જ છે એવી માન્યતા ધરાવતાં હતાં. જો કે તેઓ તે સમયે પ્રચલિત અસ્પૃશ્યતાની માન્યતાને માનતાં હતાં જેને બાળ મોહને પડકારી પણ હતી. પિતા કરમચંદ હિન્દુ, શીખ, જૈન અને મુસ્લિમ ધર્મના આગેવાનોને પોતાને ઘેર આમંત્રીને ચર્ચા કરતા, જેમાંથી મોહને પાઠ લીધો કે વેદ અને કુરાન જેવા દરેક ધર્મગ્રંથનો સાર એક સમાન છે. બધા ધર્મના અનુયાયીઓ એક જ ઈશ્વરની ઉપાસના કરે છે, તફાવત માત્ર તેના ક્રિયા, કર્મ અને ભાષામાં હોય છે, ગ્રંથોમાં પ્રબોધેલા અંતિમ સત્યમાં નહીં. નાનપણમાં કેળવાયેલી આ સમજ ગાંધીજીને દરેક ધર્મ, સંપ્રદાય, પયગંબર અને તેમના બોધને સમાન ગણવા તરફ દોરી ગઈ. આ વ્યક્તિગત ગણાતી માન્યતાઓને તેમણે જાહેર જીવનમાં અમલ મૂકીને એક મુઠ્ઠી ઊંચેરા માનવીનું બિરુદ મેળવ્યું એમ કહી શકાય. આમ માતા-પિતા પાસેથી મળેલ સંસ્કારોને સવાયા કરીને સમાજને ચરણે ધરી દીધા. આજની ભારતીય પ્રજા આ વિચારથી તદ્દન વિપરીત વિચારો તરફ વળી રહી છે અને રામચંદ્ર ગુહા કહે છે તેમ ભારત દેશ હવે હિન્દુ પાકિસ્તાન બનવા જઈ રહ્યો છે.

રાજકોટના આ નિવાસસ્થાને મદિરાપાન, માંસાહાર અને પરસ્ત્રીગમનથી છેટા રહેવાની ત્રણ પ્રતિજ્ઞા લેવા પાછળનો હેતુ વિદેશ અભ્યાસાર્થે જવાની મંજૂરી મેળવવાનો હોય એ શક્ય છે અને ઇંગ્લેન્ડમાં તેના પાલન પાછળનું મુખ્ય કારણ માતાને આપેલ વચનનો ભંગ ન કરવાનું હોઈ શકે. પરંતુ લંડન ગયા તેના થોડા સમયમાં જ એ ત્રણેય પાસાંઓ પર અધિકૃત સાહિત્ય વાંચીને બુદ્ધિપૂર્વક ત્રણેય પ્રતિજ્ઞા સમજ્યા અને તેનું નિષ્ઠાથી પાલન કર્યું, જે જીવનભર ટક્યું એટલું જ નહીં, અન્યોને પણ એ પથ પર ચાલવા પ્રેર્યાં. અહીં મિસ્ટર એમ.કે. ગાંધીનું વૈચારિક પરિવર્તન શરૂ થઇ ગયું, જે એમને દક્ષિણ આફ્રિકામાં ગાંધીભાઇમાંથી બાપુ અને ભારતમાં મહાત્માના પદ સુધી લઇ ગયું. આજના યુવાનોમાં આવી વિચારોને આચારમાં પરિવર્તિત કરવાની વૃત્તિ જોવા મળે ખરી?

આજે એ જ રાજકોટમાં મદિરાપાન છૂટથી થાય છે, માંસાહારી વાનગીઓ વેંચતી રેંકડીઓ ઠેર ઠેર જોવા મળે છે અને પરસ્ત્રીગમનની સુવિધાઓએ આધુનિક રંગ ઓઢ્યો છે. આજનો ભારતીય યુવા વર્ગ માનવમાંથી હેવાન બનતો જાય છે કે શું?

ગાંધીજીનું આ રહેઠાણ ‘કબા ગાંધીનો ડેલો’ રાષ્ટ્રીય ધરોહર ગણાય છે. ત્યાંના રખેવાળને પૂછ્યું, અહીં ઘણા મુલાકાતીઓ આવતા હશે કેમ? ઉત્તર મળ્યો, “કોઈ વાર નિશાળના છોકરાં આવે, શિક્ષકોને કાંઈ રસ નો પડે. બાકી પરપ્રાંતના અને ખાસ કરીને પરદેસના સેલાણીઓ આવે.” એ શેરી અને તેની આસપાસનો આખો વિસ્તાર મિલમાં બનેલ જાત જાતનાં કપડાં અને તકલાદી વસ્તુઓની દુકાનોથી ભરચક્ક ભર્યો છે. શેરીની બંને બાજુએ સ્કુટર એક પગે તપ કરતા જોવા મળે. એની વચ્ચે બીજું વાહન તો શું, કોઈ માણસ પણ પસાર ન થઈ શકે, અને તેથી જ મુલાકાતીઓની સંખ્યા ઓછી થતી જાય છે. પણ એમાં શું? આલ્ફ્રેડ હાઇસ્કૂલ, કે જે હવે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે પંકાય છે ત્યાં બહુધા વિદ્યાર્થીઓને લઇ જવામાં આવે છે એટલે પત્યું. એ પ્રદર્શન જોઈને બહાર આવેલા વિદ્યાર્થીઓને પૂછ્યું, તમને અહીંથી શું જાણવા મળ્યું? તો જવાબ મળ્યો, “મહાત્મા ગાંધી રાજકોટમાં રેતા ને આપણને સ્વતંત્રતા અપાવી.” બસ, બીજું કઈં ન જોયું, ન વાંચ્યું કે ન સમજ્યા. સાથે આવેલા શિક્ષકોને તો પૂછવાની જરૂર જ ન લાગી, કેમ કે એ લોકોના ચહેરા પર ગાંધી-નહેરુ વિરોધી પ્રચારની અસર સ્પષ્ટ રીતે જોવા મળતી હતી.

ખરેખર, ‘મહાત્મા ગાંધી અહીં રહેતા’ એવું ગૌરવગાન કરતી વખતે રાજકોટવાસીઓ જાતને પૂછે, એ મોહન તો મોહનમાંથી મહાત્મા બન્યો, આપણે શું બન્યા? તો શું ઉત્તર મળે? એનો જવાબ સ્વકેન્દ્રી થતા જતા નાગરિકો, સત્યથી વેગળું જીવન એ જ જાણે સાચું ધોરણ હોય એવું માનતો સમાજ, વધતું જતું ધાર્મિક ઝનૂન, આધુનિક સંચાર માધ્યમોથી માંડીને માંસાહાર અને શરાબ જેવા વ્યસનોમાં ગળાડૂબ પ્રજાને જોવાથી મળી જાય.

હવે તો એવો વિચાર આવે કે ભગવાન પણ આપણને આ સ્થિતિમાંથી બચાવશે ખરો?

e.mail : 71abuch@gmail.com

Loading

...1020...29303132...405060...

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved