Opinion Magazine
Number of visits: 9455957
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નરેન્દ્ર મોદીનું સ્વદેશી એટલે પ્લાસ્ટિકનું બેશરમ સફરજન

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|27 August 2025

હેમન્તકુમાર શાહ

આજકાલ નરેન્દ્ર મોદીના સ્વદેશીની ચર્ચા ચાલુ થઈ છે. જુઠ્ઠાણાંનો જમાનો છે આ. મોદી પોતે કેટલી વિદેશી ચીજો વાપરે છે એ તો એક જુદો જ મુદ્દો છે. પોતે વિદેશી ચીજો વાપરે અને બીજાને શિખામણ આપે એ તો સાવ જ બનાવટ અને તરકટ કહેવાય. સાચું સફરજન ખાવામાં કામ લાગે, પ્લાસ્ટિકનું સફરજન દેખાડો કરવામાં, શણગાર કરવામાં. નરેન્દ્ર મોદીનું સ્વદેશી આવા પ્લાસ્ટિકના સફરજન જેવું છે. વાસ્તવિકતા કરતાં કંઈક જુદી જ જાતનો ભ્રમ ઊભો કરવો એ મોદી શૈલીનું આગવું રાજકારણ છે. 

જરા હકીકતો જોઈએ :

(૧) કોરોનાના પહેલા જ લોકડાઉન દરમ્યાન તેમણે તરત જ ૧૦૦ કરોડ ડોલરની લોન ભારતમાં આરોગ્યની સારી સેવાઓ ઊભી કરવા લીધેલી. 

(૨) મોદીની સરકારનું એક પણ બજેટ એવું નથી કે જેમાં તેમણે કરોડો રૂપિયાની વિદેશી લોન લીધી ન હોય.

(૩) ભારતમાં અત્યારે ૫,૪૦૦થી વધુ વિદેશી કંપનીઓ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. એમાંની અનેક કંપનીઓને મોદી સરકારે પોતે જ ભારતમાં બોલાવી છે. 

(૪) ૨૦૧૫માં મોદી સરકારે વિદેશી મૂડીરોકાણ માટે અદ્ભુત વ્યવસ્થા કરી! કોઈ પણ વિદેશી કંપનીને ભારતમાં રોકાણ કરવું હોય તો ભારત સરકાર અને રિઝર્વ બેંકની મંજૂરી લેવાની જરૂર જ નહિ! આને ‘ઓટોમેટિક રૂટ’ કહે છે. આવો, જેને આવવું હોય એ આવો, અને અમને લૂંટો! 

(૫) ૨૦૨૪માં વિદેશી કંપનીઓના રોકાણમાં દુનિયામાં ભારત ૧૫મા ક્રમે હતું એમ UNCTADનો એક અહેવાલ કહે છે. 

(૬) માળખાગત સવલતો, રેલવે, વીજાણુ ચીજો, વાહનો, દવાઓ, રસાયણો, સેવાઓ, કાપડવસ્ત્ર, એરલાઈન્સ – તમે કોઈ પણ ક્ષેત્રનું નામ આપો અને એમાં વિદેશી કંપની ના હોય એવું ન બને. આ શું સ્વદેશી છે?

(૭) એપ્રિલ-૨૦૧૪થી માર્ચ-૨૦૨૫ સુધીમાં એટલે કે મોદીના ૧૧ વર્ષના શાસનકાળમાં ૭૪૯ અબજ ડોલરનું એટલે કે ૬૭ લાખ કરોડ રૂપિયાનું વિદેશી કંપનીઓનું રોકાણ ભારતમાં થયું છે. આને સ્વદેશી કહેવાય!

(૮) ભારતનું વિદેશી દેવું ૨૦૧૪માં ૪૪૬ અબજ ડોલર હતું અને તે ૨૦૨૫માં વધીને ૭૩૬ અબજ ડોલર થયું છે. ૧૧ વર્ષમાં ૬૫ ટકાનો આ વધારો મોદી સરકારની નીતિઓને લીધે નહીં તો શું નેહરુની નીતિઓને લીધે થયો? 

(૯) ભારતના શેરબજારમાં ૧૧,૨૦૦ વિદેશી કંપનીઓ રોકાણ કરેલું છે હાલ. એ બધી બહુ સહેલાઈથી આવે એના રસ્તા મોદી સરકારે જ તૈયાર કર્યા છે! 

મોરારજી દેસાઈના ૧૯૭૭-૭૯ના પ્રધાનમંડળમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ ઉદ્યોગ પ્રધાન હતા. તેમણે કલમના એક ઝાટકે રાતોરાત અમેરિકન કંપની કોકા કોલાને દેશની બહાર તગેડી મૂકી હતી. નરેન્દ્ર મોદીની છાતી ખરેખર ૫૬ ઈંચની હોય તો એને ફરીથી તગેડી મૂકે અને બધાને સુરતનો સોસ્યો પીવડાવે! ૫,૪૦૦ વિદેશી કંપનીઓમાંથી આ એકને તો તેઓ હાંકી કાઢી બતાવે. 

‘સ્વદેશી’ શબ્દ વાપરતાં મોદીને અને પેલા ગગજી સુતરિયા જેવા અંધભકતોને શરમ નથી આવતી? મહાત્મા ગાંધીનું સ્વદેશી એ સાચું સફરજન હતું, નરેન્દ્ર મોદીની આત્મનિર્ભરતા એ પ્લાસ્ટિકનું સફરજન છે! મોદીની આત્મનિર્ભરતા એ કપટી રાજકીય શણગાર છે. 

તા.૨૭-૦૮-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બુદ્ધ અને મહાવીર : ક્ષત્રિયજાયા લોકતંત્રનાં સંતાન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 August 2025

મહાવીરે અર્ધમાગધીમાં તો બુદ્ધે પાલીમાં. અડધોઅડધ મગધ જે ભાષા વાપરતું હતું એ લોકભાષાનો પ્રયોગ કર્યો આ બંને વિભૂતિએ. તથાગત ને તીર્થંકર બંનેએ લોકભાષા મારફતે રોડવ્યું એ તો સાદો પણ બિલકુલ બુનિયાદી દાખલો છે

પ્રકાશ ન. શાહ

કેમ કે પર્યુષણનો માહોલ છે, થાય છે, થોડી વાત મહાવીર વિશે કરું – અને તે પણ બને તો નાગરિક છેડેથી.

બુદ્ધ હો કે મહાવીર, આપણા સમયમાં એમને વિશે ને મિશે વાત કરવાનું મને સદૈવ આકર્ષણ રહ્યું છે, કેમ કે તથાગત ને તીર્થંકર, બુદ્ધ ને મહાવીર, બેઉ રાજકુળના હશે તો હશે (બલકે છે જ); પણ બંને ક્ષત્રિયજાયા લોકતંત્રનાં સંતાન છે.

બેઉ વિભૂતિઓની, જેમ કે, ઉપદેશભાષા જ જુઓ ને : જ્ઞાનચર્ચા આખી સંસ્કૃતમાં ચાલતી’તી પણ એમ વેંત ઊંચે ડહાપણ ડહોળવાને બદલે એમણે લોકભાષામાં વાત કરવાનું પસંદ કર્યું. મહાવીરે અર્ધમાગધીમાં તો બુદ્ધે પાલીમાં અડધોઅડધ મગધ જે ભાષા વાપરતું હતું, અર્ધમાગધી, મહાવીરે એમાં કામ લીધું. મગધ પંથકનો કેટલોક ગ્રામવિસ્તાર (પલ્લી) જે ભાષા વાપરતો હશે, પાલી, બુદ્ધે એમાં કામ લીધું.

તીર્થંકર મહાવીર

તથાગત ને તીર્થંકર બંનેએ લોકભાષા મારફતે રોડવ્યું એ તો છેક જ સાદો પણ બિલકુલ બુનિયાદી દાખલો છે. જે વજ્જી ગણરાજ્ય સાથે (જેની રાજધાની વૈશાલી હતી એની સાથે) બેઉ પોતપોતાને છેડેથી સંકળાયેલા હતા. એમાં પણ મહાવીર તો વૈશાલીના ઉપનગર વત્ ક્ષત્રિયકુળના હતા – જ્યાં તે કાળની મર્યાદામાં પ્રાતિનિધિક રૂપે કામ ચાલતું. મર્યાદિત પણ જે મતદારો હતા તે ‘રાજા’ને ચૂંટતા. બુદ્ધ ને મહાવીર બંને આ રીતે રાજઘરાનાના હતા; પણ પ્રથા તો ગણરાજ્યની હતી એટલે એમનો મિજાજ કોઈ ઉપરથી પરબારા ઊતરી આવેલ જણનો (આજકાલ જેમ નૉનબાયોલોજિકલ વિભૂતિયે જોવા મળે છે એવો) નહોતો.

પોતે જે પ્રથાનું સંતાન હતાં તેને વિશે એમનો ખયાલ કેવો હશે તે બૌદ્ધ પરંપરામાં સચવાયેલ એક સંવાદ પરથી સમજાય છે. રાજા અજાતશત્રુ, કેમ કે તે રાજાશાહી રાજા છે, યુદ્ધ તો એમનો ખાનદાની પેશો કહેવાય. આ અજાતશત્રુ, પોતાના મંત્રી વર્ષકારને બુદ્ધ પાસે મોકલે છે કે અમે વજ્જી ગણરાજ્ય પર આક્રમણ કરવા ઈચ્છીએ છીએ તો આપના આશીર્વાદની જરૂર છે. વાતે સાચી, રાજા મુઆ છીએ તો યુદ્ધ તો કરવું જ પડે. અને એ ય સાચું કે તમે ભગવાન થયા હો એટલે આંખ મીંચીને આશીર્વાદે ટટકારવા પડે!

તથાગત બુદ્ધ

પણ બુદ્ધ જેનું નામ, તમે જુઓ, ડાબે વર્ષકાર ઉભેલ છે અને જમણે શિષ્ય આનંદ છે – તો એ આનંદને સંબોધીને વાત શરૂ કરે છે :

‘વજ્જીઓ નિયમિત સભા રૂપે મળી વિચાર વિનિમયપૂર્વક નિર્ણય કરે છે?’

‘હા.’

‘સભામાં અને નગરજીવનમાં વૃદ્ધોનું સન્માન જળવાય છે?’

‘હા.’

‘ગણરાજ્ય આખામાં સ્ત્રીઓની સલામતી સચવાય છે?’

‘અને નાનાવિધ લોકસ્થાનકોનું સન્માન અનુભવાય છે?’

‘હા.’

આ સંવાદ પછી (ભલે આનંદ સામે જોતે છતે) વર્ષકાર જોગ બુદ્ધનો જવાબ શો હોય, સિવાય કે ‘તો પછી, એમને કોણ જીતી શકે!’

મહાવીરચર્ચાને પૂરક-પોષક બૌદ્ધ પરંપરાની વાત નીકળી જ છે તો આપણે ત્યાં દલાઈ લામાની હિજરતી તિબ્બત સરકારોનોયે એક દાખલો આપી જ દઉં. જરૂર પડ્યે શસ્ત્ર સજી શકનાર એક બગાવતી મિજાજના બૌદ્ધ લેખકે અજાતશત્રુ સંદર્ભે ચાલેલ સંવાદનું અભિનવ અર્થઘટન પણ કીધું છે : તમારાં ઉપલાં / નીચલા ગૃહ બરાબર મળતાં રહે છે? તમારાં સ્થાનકો (યુનિવર્સિટી, લાઈબ્રેરી, મ્યુઝિયમ વ.) સચવાય છે? તમારા ‘વૃદ્ધો’ એટલે કે સર્જકો, કલાકારો, વિચારકો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતોનું માન જળવાય છે? એમની સલાહ કાને ધરાય છે? (મહાભારત સાંભરે છે – તે સભા, સભા નથી જેમાં વૃદ્ધો નથી. તે વૃદ્ધો, વૃદ્ધો નથી જે ધર્મ એટલે કે સત્ય વદતા નથી.)

વારુ, આ જે ગણરાજ્યનો લોકમિજાજ એમાંથી યુદ્ધ અંગે કેવોક અભિગમ વિકસે? રાજ્યો વચ્ચે, ખાસ કરીને સામ્રાજ્યશાહી તો તે વિના ચેન જ ન પડે. મુસોલિની કહેતો, સ્ત્રીને સારુ જેમ માતૃત્વ તે રાજ્યને સારુ યુદ્ધ એ સહજ ઘટના છે! પણ મહાવીરનો ઉપદેશ જે રાજાઓ સ્વીકારતા ગયા તે શો હતો? વૈશાલી ગણતંત્રના રાજા ચેટક અનાક્રમણનું વ્રત લે છે. મતલબ, પોતાના ઉપર પ્રહાર ન થાય ત્યાં સુધી સામા પર પ્રહાર કરવો નહીં. રાજ્યનું શસ્ત્રો પરત્વે વલણ કહેવું હોય તો કહ્યું કે અવ્યાપારનું. વળી ઉમેર્યું, અવિતરણનું – અને હા, શસ્ત્રોના અલ્પીકરણનું (આજની ભાષામાં નિ:શસ્ત્રીકરણનું.)

નવાઈ લાગે પણ સ્વાતંત્ર્યનો ખયાલ તો એવો કે મહાવીરે કોઈની પાસે ‘દીક્ષા’ લીધી નથી. આગળ ચાલતાં પોતે સંઘ રચ્યો ત્યારે પણ સંઘમાં જોડાયા વિનાયે કોઈ જ્ઞાની (અશ્રુત્વા કેવળી) થઈ શકે એમ અક્ષરશ કહ્યું. વળી સ્પષ્ટ કર્યું કે મારા ધર્મસંપ્રદાયમાં આવો તો જ મુક્તિ, એવું નથી.

ધર્મતત્ત્વ, કહો કે સત્ય, અનેક છેડેથી જોઈ અને સમજી શકાય છે. કોઈ એક જ છેડો તે સાચું નથી. બધા મળીને સમગ્ર ચિત્ર બને છે. આ જે અનેકાન્ત દૃષ્ટિ, એ જૈન પરંપરાનો અભિગમવિશેષ છે.

બુદ્ધ અને મહાવીરની પરંપરામાં આપણા સમયમાં ગાંધીનું આવવું એ નવી સહસ્ત્રાબ્દી જોગ શુભ શકુન છે. ચારેક દાયકા પર સરસ કહ્યું હતું, એકાવન જેટલી નોબેલ પ્રતિભાઓએ કે માનવ સંસ્કૃતિએ આગે બઢવા સારુ ‘બે જ ચાવીઓ છે – શાંતિમય સહઅસ્તિત્વ અને સવિનય કાનૂનભંગ. ગાંધીપરંપરામાં નેલ્સન મંડેલા આવ્યા અને નાગરિક જીવનમાં ક્ષમાપના પર્વને નવી ઓળખ મળી – ટ્રુથ એન્ડ રીકન્સિલિએશન કમિશન.

મહાવીરનું અગ્રચરણ સ્તો!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 ઑગસ્ટ 2025

Loading

તારીફ કરું ક્યા ઉસકી, જિસને ટેરિફ બઢાયા : તારીફથી ટેરિફની 1,200 વર્ષની યાત્રા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 August 2025

રાજ ગોસ્વામી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આવતા માલ-સમાન પર ટેરિફની ઘોષણા કરી ત્યારે, ભારતીય મીડિયામાં એક હેડલાઈન ચાલી હતી; તારીફ કરું ક્યા ઉસકી, જિસને ટેરિફ બઢાયા. શમ્મી કપૂરની ફિલ્મ ‘કશ્મીર કી કલી’માં મહમ્મદ રફીના યાદગાર ગીત ‘તારીફ કરું ક્યા ઉસકી, જિસને તુજે બનાયા’ની આ પેરોડી હતી. 

ટેરિફ અને તારીફનો આ પ્રાસ ભલે વ્યંગાત્મક હતો, યોગાનુયોગ એક ઐતિહાસિક સંબંધ પણ નીકળે છે. જેમ આપણા દાદા-પરદાદાના કાકા-મામાના માસાનાં સગાંના વંશમાંથી કોઈ આપણને અચાનક મળે અને ઓળખાણ કાઢે કંઇક એવું જ આમાં પણ છે. તારીફ શબ્દ, જે ઉર્દૂ-હિન્દી છે અને જેનો અર્થ પ્રશંસા થાય છે, તેના દૂરનાં સગાં-વહાલાંમાં અરબી ભાષાની ‘અરાફા’ ધાતુ છે. આ ‘અરાફા’નો એક બીજો વંશ અંગ્રેજી ટેરિફને મળે છે. ‘અરાફા’નો મૂળ અર્થ થાય છે ‘જાણવું, પરિચિત થવું, જાગૃત થવું.’ 

પણ આપણે તારીફ અને ટેરિફની સગાઇ શોધીએ તે પહેલાં, ટેરિફની પોતાની સ્વતંત્ર જન્મકૂંડળી શું છે તે પણ વાંચી લઈએ. જબરદસ્ત છે. ઓક્ટોબર 2024માં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “મારા માટે, ડિક્શનરીમાં સૌથી ખૂબસૂરત શબ્દ ટેરિફ છે, અને તે મારો સૌથી ફેવરિટ પણ છે.” છ મહિના પછી તેમણે અનેક દેશોના આયાતી માલ-સામાન પર તીવ્ર ટેરિફ જાહેર કરીને એક નવી નીતિના શ્રીગણેશ કર્યા. 

ટેરિફ આયાતી સામાન પર લાગતો કર છે, જેનો ઉદેશ્ય સરકારની આવક વધારવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વિદેશી ઉદ્યોગોની સ્પર્ધાથી બચાવવાનો છે. આ એક એવો શબ્દ છે જે સભ્યતાઓ વચ્ચે વેપારને આસાન અને પારદર્શક બનાવાની જરૂરિયાતમાંથી જન્મ્યો હતો અને આજે તે આંતરરાષ્ટ્રીય વેપારમાં દીવાલો ઊભી કરવા માટે થઇ રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પને ખબર પણ નહીં હોય કે તેમનો ફેવરિટ શબ્દ અરબી ભાષામાંથી અંગ્રેજીમાં આવ્યો છે. વાસ્તવમાં, ટેરિફ સાત ઘાટનાં પાણી પીને અંગ્રેજીમાં આવ્યો છે. તે સાત ઘાટ એટલે અરબી, ફારસી, તુર્કીશ, લેટિન, ઇટાલિયન, ફ્રેંચ અને યુરોપિયન ભાષાઓ. અને તેની એ યાત્રામાં લગભગ 1,200 વર્ષ લાગ્યાં છે. 

ભાષાવિદો ટેરિફના ચાર મુખ્ય ભાષાકીય પડાવ જુવે છે. વર્તમાનમાં, અંગ્રેજી ટેરિફ ફ્રેંચ ટારિફ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સ્થિર કિંમત (ફિક્સ્ડ પ્રાઈઝ). ફ્રેંચમાં તે ઈટાલિયન ટારિફા પરથી આવ્યો હતો, જેનો અર્થ થતો હતો લાદેલી કિંમત, એટલે કે ટેક્સનું શેડ્યુલ અને કસ્ટમ ડ્યુટીઝ.

તેનું મૂળ મિડલ લેટિન ટારિફે શબ્દમાં છે. લેટિનમાં આ શબ્દ તુર્કીશ લોકો સાથેના સંપર્કમાંથી આવ્યો હતો. તુર્કીમાં અધિકૃત ભાષાને ઓટ્ટોમાન તુર્કીશ કહેવાય છે, જે ઓટ્ટોમાન સામ્રાજ્ય વખતે ઘડાઈ હતી. ઓટ્ટોમાન તુર્કીશમાં કિંમતોની સૂચિ અને સીમાશુલ્કના દરો માટે તા’રિફ શબ્દ હતો.

આ તા’રિફ પણ ફરતો ફરતો ફારસી અથવા પર્સિયન ભાષાનું પાણી પીને આવ્યો હતો. ફારસીમાં સ્થિર કિંમત અથવા રસીદ માટે એક શબ્દ હતો તા’રેફે. ફારસીનો બહેનપણાં અરબી સાથે છે અને અરબીમાં એક શબ્દ હતો તા’રિફુન. તેનો અર્થ થતો હતો પરિચય અથવા પરિભાષા. અરબીમાં તા’રિફુન શબ્દ ‘અરાફા’ પરથી બન્યો હતો – જેનો અર્થ થતો હતો બનાવવું, નક્કી કરવું, પરિચય કરવો, જાણવું, શોધવું, સમજવું. 

અરાફા શબ્દ, મધ્ય-પૂર્વ એશિયા અને ઉત્તરી આફ્રિકાની અનેક ભાષાઓના સામી ભાષા-પરિવારનો સભ્ય છે. તે ત્રણ અક્ષરોવાળા ‘એન રા ફા’માંથી આવે છે. પરિચય કરવો, જાણવું, શોધવું જેવા સમજવું જેવા અમૂર્ત વિચારનો સંબંધ ટેક્સ જેવા આર્થિક સાધન સાથે કેવી રીતે બેઠો? તેના માટે આરબ લોકોની સોદાગરીને સમજવી જરૂરી છે.

મધ્ય યુગમાં ભૂમધ્ય સાગર વેપારનો માર્ગ હતો. તેના માધ્યમથી આખી દુનિયામાં માલ-સમાનની અવરજવર થતી હતી. તે વખતનાં બંદરો પર વસ્તુઓ પર મનસ્વીપણે કર લેવામાં આવતા હતા. એટલે બધા વેપારીઓને કરની જાણકારી રહે એટલા માટે શાસન દ્વારા વખતો વખત વસ્તુઓના કરની એક અધિકૃત સૂચિ તૈયાર કરવામાં આવતી હતી. ધીમે ધીમે આ પ્રક્રિયાના દસ્તાવેજો પણ મળવા લાગ્યા. તેમાં દરેક વસ્તુના કરનો પરિચય મળતો હતો એટલે અરબી ‘અરાફા’નો અર્થ કરની માહિતી બની ગયો.

વિવિધ દેશોના વેપારીઓ વચ્ચે સંપર્કના કારણે આ શબ્દ ફરતો ફરતો ફ્રેંચ ભાષામાં પહોંચ્યો હતો. ત્યાં સુધી તેનો અર્થ કરની સૂચિ અથવા રેડી રેકનર તરીકે જ થતો હતો, પરંતુ 1590માં જ્યારે તે ટેરિફ બનીને અંગ્રેજીમાં આવ્યો, ત્યારે તેનો અર્થ બદલાઈને ‘આયાત-નિકાસ પર લાગતા કરની અધિકૃત સૂચિ’ થઇ ગયો હતો. આજે ટેરિફનો કરવેરા થાય છે અને તે અર્થ 18મી-19મી સદીમાં આવ્યો હતો. 

આપણે આગળ રફીના ગીત ‘તારીફ કરું’ની વાત કરી. તે તારીફની એક અલગ કહાની છે અને તેની સગાઇ દક્ષિણ સ્પેનમાં ‘તારિફા’ નામના જાણીતા બંદર સાથે નીકળે છે. આ બંદર વિન્ડસર્ફિંગ માટે આજે પણ મશહૂર છે.  તે આફ્રિકાના કિનારાથી 13 કિલોમીટર અને ઈબેરિયન પ્રાયદ્વીપના છેડા પર છે. ઐતિહાસિક રીતે તે અનેક ખંડોને જોડે છે. 

એક કિવદંતી અનુસાર, ઇસવીસન 710માં બર્બર સેનાપતિ તારિફ ઈબ્ન મલિકના નામ પરથી આ શહેરનું નામ પડ્યું હતું. તારિફ ઈબ્ન મલિક ઈબેરિયન પ્રાયદ્વીપની જમીન પર પગ મુકનારો પહેલો મુસ્લિમ સેનાપતિ હતો. તેના આગમનના કારણે બંદરનું નામ તારિફા પડ્યું હતું. અરબીમાં, તારિફાને જઝીરાત તારિફા પણ કહે છે – તારિફાનો ઉપખંડ. 

ડેવિડ ડે નામના ઓસ્ટ્રેલિયાના એક ઇતિહાસકાર લખે છે કે આ સેનાપતિની રહેમનજર હેઠળ આ બંદર પર ચાંચિયાઓ વેપારી જહાજો પાસેથી ખંડણી વસુલતા હતા. બીજી એક વાર્તા અનુસાર, આ બંદર પર જહાજો લાંગરવાની ફી વસુલવામાં આવતી હતી. ટૂંકમાં, ખંડણી કે ફીની વસુલાત સાથે સેનાપતિ તારિફનું નામ જોડાયું અને તે યુરોપમાં ટેરિફ તરીકે જાણીતું થયું.

આ વાર્તા સાંભળવામાં દિલચસ્પ છે, પરંતુ ભાષાશાસ્ત્રીઓ તેને લોકવાયકા ગણે છે. તેમના મતે ટેરિફનું મૂળ અરબી તારીફ(માહિતી)માં છે. એવું પણ શક્ય છે કે ટેરિફ અને તારિફા બંદર બંને શબ્દોનું મૂળ એક જ હોય, અરબી ‘અરાફા’. 

ભારતીય સંસ્કૃતિને લગતી માહિતીસભર અને રસપ્રદ વાર્તાઓ અને કિસ્સાઓનું વર્ણન કરતી ‘પેપરક્લિપ’ નામની એક વેબસાઈટ આ કહાનીમાં ઉમેરો કરતાં લખે છે કે ઉર્દૂ-હિન્દી ‘તારીફ’ (પ્રસંશા)નું મૂળ પ્રાચીન અરબી ભાષાના ‘તા’રિફ’ શબ્દમાં છે, જે વળતામાં અરબી અરાફા (જાણવું) ધાતુ પરથી આવે છે. આ જ ધાતુ પરથી ટેરિફ આવે છે. 

કેવું કહેવાય કે જે શબ્દ, ટેરિફ, 1,200 વર્ષથી દુનિયાને જોડવાનું કામ કરતો હતો, તે આજે ટ્રમ્પ સાહેબની મહેરબાનીથી દુનિયાને તોડવાનું કામ કરી રહ્યો છે! તેમના આ ટેરિફ માટે ટ્રમ્પની તારીફ કરવી કે નહીં તેને આપણે અમેરિકનો પર છોડીએ. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ” નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 24 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...1020...29303132...405060...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved