Opinion Magazine
Number of visits: 9969011
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહી, નાગરિક સમાજ અને શાસન

ઘનશ્યામ શાહ|Opinion - Opinion|17 April 2019

લોકશાહી સમાજપરિવર્તનનું સાધન અને સાધ્ય છે. લોકશાહી પ્રક્રિયા દ્વારા અસમાનતા કેન્દ્રિત સાંસ્કૃતિક મૂલ્યો, વ્યવહાર, અને કોટિક્રમ જન્મ આધારિત સામાજિક વ્યવસ્થા ક્ષીણ થાય. કાળક્રમે સમાનતા, સ્વતંત્રતા કેન્દ્રિત અને વૈશ્વિક દૃષ્ટિ આધારિત સમાજવ્યવસ્થાની રચના થાય. આ મિશનને હાંસલ કરવાની જવાબદારી બંધારણે રાજ્યને સોંપી છે. આ માટે રાજ્ય જરૂરી આયોજન, નીતિ અને તેનો અમલ કરે તે અપેક્ષિત છે. પણ સાઠના દાયકાથી સમાનતા કેન્દ્રિત સમાજ રચનાના લક્ષ્યને રાજ્યે તિલાંજલિ આપી છે. બધા જ પક્ષો કોઈ પણ હિસાબે સત્તા મેળવવા તડજોડ કરે છે. તેઓ નિયો-લિબરલ મૂડીવાદી આર્થિક નીતિને અનુસરે છે. આ નીતિમાં સમાનતાના  ધ્યેયને સ્થાન નથી. વિચિત્રતા તો એ છે કે આ પક્ષો અને તેમના નિષ્ણાતો માને છે કે આ મૂડીવાદી વ્યવસ્થા સિવાય સમાજના વિકાસ માટે બીજો કોઈ વિકલ્પ નથી. આ પંથ ભારતના ભાગ્યમાં લખાયેલો છે. આ વિચારસરણી ઉપરાંત ૨૦૧૪થી નરેન્દ્ર મોદીની ભા.જ.પ. સરકાર સાંસ્કૃતિક રાષ્ટ્રીયતા એટલે કે હિંદુ રાષ્ટ્રના સિદ્ધાંતને વરેલી છે જેમાં ભારતના લોકોના રોજ-બ-રોજનાં જીવનમાં જે વિવિધ ધાર્મિક અને દુન્યવી સાંસ્કૃતિક ભિન્નતા પરંપરાગત રીતે વણાયેલી છે તેનો છેદ ઉડાડવામાં આવે છે.

આ પરિસ્થિતિમાં નાગરિક સમાજ(સિવિલ સોસાયટી)ની ભૂમિકા મહત્ત્વની છે. નાગરિક સમાજ એટલે રાજ્ય અને સમાજ વચ્ચેની કાલ્પનિક જગ્યા (સ્પેસ). તે રાજ્યનું અંગ નથી અને સમાજના નિજી/આર્થિક કે સામાજિક સમુદાય કે સંપ્રદાય આધારિત સંસ્થા નથી. સૈદ્ધાન્તિક રીતે રાજ્ય અને નાગરિક સમાજ સૌનું વ્યાપક હિત જુએ છે. નાગરિક સમાજનું કાર્ય સમાનતા, બિનસાંપ્રદાયિકતા અને વૈશ્વિક મૂલ્યો કેળવાય તે પ્રકારની નૈતિકતા, સંસ્થાઓ અને કાર્યક્રમો માટે રાજ્ય નીતિ ઘડે, તેમ જ તે રીતે શાસન ચાલે તે માટે રાજ્ય પર દબાણ લાવવાનું અને જરૂર પડે તો રાજ્ય સામે સંઘર્ષ કરવાનું, તેમ જ સાથે સાથે આ મૂલ્યોને સાકાર કરવા જનમત કેળવવાનું છે. જ્યારે જયારે બંધારણનાં મૂલ્યોનો હ્રાસ થાય ત્યારે ત્યારે નાગરિક સમાજ અવાજ ઉઠાવે, જનમત તૈયાર કરે અને સંઘર્ષ કરે. જાહેર સંભાષણ (ડિસ્કોર્સ), વિચાર-વિમર્શ, બૌદ્ધિકો, બિનસાંપ્રદાયિક અને બિનસરકારી સંસ્થાઓ અને સામાજિક આંદોલનો નાગરિક સમાજનાં અંગો છે.

આ સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યમાં નાગરિક સમાજ વાસ્તવિક રીતે ભારત અને ગુજરાતમાં કેવી રીતે કામ કરે છે તે સમજવાનો મારો પ્રયત્ન પુસ્તક (Democracy, Civil society and Governance, 2019)માં છે. નાગરિક સમાજ બધે જ અને દરેક સમયે એક જ પ્રકારનો હોતો નથી. સમાજનાં સામાજિક વિભાજનો નાગરિક સમાજમાં જોવા મળે તે સ્વાભાવિક છે. વળી, નાગરિક સમાજના બધા જ એકમોમાં એક જ પ્રકારની દૃષ્ટિ, વિચારસરણી અને વાસ્તવિકતાને જોવાનો અભિગમ ન હોય તે સ્વાભાવિક છે. બધાની કામ કરવાની રીત અને પ્રશ્નોની પ્રાથમિકતા અલગ હોય છે. વળી જુદા જુદા સમયે નાગરિક સમાજનો ફલક અને વ્યાપ બદલાતાં રહે છે. સરળતા ખાતર અને મારા સમાજ પરિવર્તનના ખ્યાલના સંદર્ભમાં નાગરિક સમાજને હું બે ભાગમાં વહેંચું છું. એક હેગેમોનિક નાગરિક સમાજ (હવે પછી સરળતા ખાતર ‘હેનાસ’ કહીશું) જે વૈચારિક અને સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા પ્રભુત્વ ધરાવે છે અને બીજો, ગરીબ તરફી-પ્રમાણમાં ઉદ્દામવાદી નાગરિક સમાજ (હવે પછી ‘ઉનાસ’ કહીશું). વ્યાપમાં ‘હેનાસ' મોટો છે અને તેને મુખ્ય ધારાનો કહી શકાય. આજે ‘ઉનાસ’ નાનો અને નાગરિક સમાજના હાંસિયામાં છે. ‘હેનાસ’ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થાનાં નૈતિક-સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન કરે છે અને નિયો-લિબરલ રાજકીય-આર્થિક નીતિને અનુમોદન આપે છે. આ મૂલ્યો સમાજમાં સ્વીકૃતિ પામે તે માટે પ્રયત્ન કરે છે. તે પ્રર્વતમાન રાજ્ય અને વર્ચસ્વ ધરાવતા વર્ગોની વિચારસરણી અને મૂલ્યોના પ્રચાર -પ્રસાર, સંવર્ધનના તંત્ર તરીકે કામ કરે છે. ‘ઉનાસ’ નિયો લિબરલ-મૂડીવાદી વિચારસરણી અને જ્ઞાતિ, લિંગ, ધર્મ, પ્રદેશ કેન્દ્રિત વિભાજિત કરતાં મૂલ્યોને પડકારી સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતાનાં મૂલ્યોને વરેલ છે. તે માટે તે રાજ્ય અને વર્ચસ્વ ધરાવતા વર્ગોને અવારનવાર પડકારે છે. જરૂર પડે તેમની સામે સંઘર્ષ કરે છે. વંચિતોના પડખે ઊભો રહે છે. નાગરિક સમાજના બંને એકમો તદ્દન સ્પષ્ટ રીતે વૉટર-ટાઈટ ભાગોમાં વહેંચાયેલા નથી. ફ્‌લુઈડ-પ્રવાહી છે. જુદા જુદા પ્રશ્નો – બાબતે કેટલીક વખત એક મંચ પર કામ પણ કરે છે. વૈચારિક મતભેદો હોવા છતાં તે લોકશાહીમાં શ્રદ્ધા ધરાવે છે, અને જ્યારે લોકશાહી સંસ્થાઓ ભયમાં આવે ત્યારે ‘હેનાસ’ના કેટલાક (ઉદારમતવાદી) અને ‘ઉનાસ’ સાથે મળી કામ કરે છે. બંને વચ્ચે ફરક એ છે કે ‘હેનાસ’ લોકશાહીના ઔપચારિક માળખા માટે વધારે આગ્રહી છે, જ્યારે ‘ઉનાસ’ લોકશાહી માળખાની સાથે તેના મૂળભૂત મૂલ્યો માટે આગ્રહી છે.

ભારતનો આજનો આધુનિક નાગરિક સમાજ બ્રિટિશ શિક્ષણ અને શાસનની દેન છે. આ શિક્ષણની પહેલી  પેઢીના ભદ્ર વર્ગે પોતાની સ્વ-અનુભવી વિશ્વ કેન્દ્રિત  દૃષ્ટિથી વ્યક્તિ અને સમાજ, વ્યક્તિ અને રાજ્યના સંબંધો, રેશનાલિટી, વિજ્ઞાન, ધર્મ વગેરે અંગે સંભાષણ, વિચાર-વિમર્શ શરૂ કર્યાં, મંડળ સંસ્થાઓ રચ્યાં. પશ્ચિમી શિક્ષણનો પ્રચાર-પ્રસાર કર્યો, સામાજિક સુધારા (રીતરિવાજો) માટે ઝુંબેશ ચલાવી. આ પ્રવૃત્તિઓ મોટે ભાગે શહેરી હતી. આઝાદીની લડત વ્યાપક થતાં ગ્રામીણ વિસ્તારના ખેડૂત જ્ઞાતિના આગેવાનો જોડાયા. તેમ થતાં નાગરિક સમાજનો વ્યાપ વિસ્તર્યો. આઝાદી પછી ઔદ્યોગિકીકરણ અને શિક્ષણના વ્યાપ સાથે નાગરિક સમાજનો ફલક વધ્યો. આ વૃદ્ધિ સમાન સામાજિક સ્તરમાં વધુ થઈ, નીચલા સ્તરની વ્યક્તિઓ જૂજ પ્રમાણમાં જોડાઈ શકી. જે જોડાયા તેનો મોટા ભાગ ‘ઉનાસ’માં. લૈંગિક સમાનતા સંઘર્ષ કરતી થોડીક મહિલા પણ નાગરિક સમાજમાં કામ કરતી જોવા મળે છે; જો કે મોટે ભાગે સવર્ણ.

સમગ્ર રીતે એવું કહી શકાય કે નાગરિક સમાજ, ખાસ કરીને ગુજરાતમાં સવર્ણ (ભદ્ર/ઉપલી જ્ઞાતિ) વર્ગનાં મૂલ્યો અને જીવનશૈલીના પ્રભુત્વનું નવસર્જન કરે છે. અલબત્ત, પ્રભુત્વ ધરાવતાં મૂલ્યો મોનોલિથિક અને એક જ પરિમાણમાં નથી હોતા. આઝાદીની ચળવળ વખતના જ્ઞાતિના કોટિક્રમનાં મૂલ્યોનો પ્રચાર-પ્રસાર હતો તેનું આઝાદી પછી પુનરાવર્તન થયું. આમાં વંચિત શોષિત માટે કરુણા ખરી પણ એમ્પથી (વંચિતની દૃષ્ટિ) અને સહોદરભાવનો અભાવ. તે સાથે આધુનિકતાનાં પરિબળો, મૂડીવાદી અર્થવ્યવસ્થા પ્રેરિત હરીફાઈ, સ્વલાયકાત અને કૌશલ્ય આધારિત સિદ્ધિના ખ્યાલો જે પણ ઉપલા વર્ગની તરફેણ કરે તે બધા પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ સાથે સંકળાયા. જન્મ આધારિત કોટિક્રમ અને મુક્ત બજાર કેન્દ્રિત મૂલ્યો વચ્ચે અવારનવાર સંઘર્ષ જોવા મળે છે અને નવાં સમીકરણો ઊભાં થાય છે. આપણી બૌદ્ધિક, શૈક્ષણિક વ્યવસ્થા, સાહિત્ય, સંચાર માધ્યમો વગેરે પ્રભાવી મૂલ્યોને પ્રતિપાદિત કરે છે. આધુનિક પરિબળોને કારણે, સ્વાનુભાવો અને આકાંક્ષાઓ દ્વારા સર્જાયેલ જાગૃતિથી વંચિતો અસમાનતાના અનુભવોને પડકારે છે. સ્વમાન અને સમાનતા ઝંખે છે. ‘ઉનાસ’નો મોટો ભાગ (ડાબેરીઓ સહિત) મહદંશે પ્રભાવી મૂલ્યોની માનસિકતામાંથી મુક્ત નથી કારણ કે તેઓ સવર્ણ સ્તરમાંથી આવે છે, આત્મદર્શન(આત્મનિરીક્ષણ)થી પર છે અને ફક્ત આર્થિક માળખાને પ્રાધાન્ય આપે છે. વળી, તેઓ વંચિત સમુદાય-ની સંસ્કૃતિ-નાં પાસાંની અવગણના કરે છે. આમ છતાં જ્યારે રાજ્ય અને વર્ચસ્વ ધરાવતા વર્ગો લોકશાહીનાં મૂલ્યો પર પ્રહાર કરે છે ત્યારે તેઓ અવાજ ઉઠાવે છે અને રાજ્યને પડકારે છે. સંખ્યાબળમાં ‘ઉનાસ’ નાનો છે અને રાજ્ય તેમની પર સતત નિગરાની રાખે છે. અંકુશ રાખવાનો, ડરાવવાનો પ્રયન કરે છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને કોર્પોરેટ હાઉસીસના આર્થિક અનુદાનથી ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ (એન.જી.ઓ.) પોતાને અરાજકીય તરીકે ઓળખાવી, ‘વિકાસ’નાં કામોમાં કુશળ વહીવટ (ગુડ ગવર્નન્સ) માટે કામ કરે છે. તેઓ માને છે કે પ્રોફેશનલ આવડત, વહીવટનું ઉત્તરદાયિત્વ અને પારદર્શકતા અને લાભાર્થીઓની ભાગીદારી ‘વિકાસ’નો રાજમાર્ગ છે, તેઓ જુદા જુદા સ્તરે અને જુદા જુદા કાર્યક્રમો જેવા કે આંતરમાળખાકીય સવલતો, ધિરાણ, શિક્ષણ, આરોગ્ય, સેનિટેશન વગેરેમાં કાર્યરત છે. આ કુશળ વહીવટના માપદંડોનો અમલ જૂજ કેસમાં, જ્યાં ઉપલા મધ્યમ વર્ગના લોકો સહભાગી (લાભાર્થી) હોય છે ત્યાં થાય છે; પણ વંચિત ગરીબ સ્તરના લાભાર્થીઓની ભાગીદારીની વાત ફકત કાગળ પર જોવા મળે છે.

ગરીબોને મદદ કરતા, રાહત આપતા સરકારી અને બિનસરકારી કલ્યાણકારી કાર્યક્રમો ઘણા ‘હેનાસ’ અને ‘ઉનાસ’ના એન.જી.ઓ. કરે છે. આમાંનાં કેટલાક તો નિયો-લિબરલ મૂડીવાદી વ્યવસ્થાના ટીકાકાર છે. તેમનો ઉદ્દેશ ગરીબોની આવક વધારવાનો છે. કેટલાક એન.જી.ઓ. આ કાર્યક્રમોને સશક્તિકરણના કાર્યક્રમો પણ કહે છે. આ કાર્યક્રમો ગરીબોને જીવન ટકાવી રાખવામાં જરૂર મદદ કરે છે. રાહત આપે છે. સાથે સાથે ઘણી વખત ગરીબોમાં એમની ગરીબાઈ માટે, એમની બજાર માટેની જરૂરી આવડતની ઊણપ માટે લઘુતાગ્રંથિનો ભાવ ઊભો કરે છે. આ રીતે ઘણાં સંગઠનો જાણે-અજાણે ગરીબોમાં અરાજકીયતા અને બજારુવૃત્તિનાં મૂલ્યો કેળવે છે. એક દિવસ તેઓ પણ કરોડપતિ થઈ જશે તેવાં સ્વપ્ન દેખાડે છે. મૂડીવાદી સંસ્કૃતિ અને નિયો-લિબરલ આર્થિક વ્યવસ્થાને અંગે સમાજમાં સ્વીકૃતિ (legitimacy) ફેલાવવાનું કાર્ય  કરે છે. બીજી બાજુ એ થોડાંક સંગઠનો માનવીય હક્કોના ખ્યાલ સાથે આ કાર્યકમો દ્વારા વંચિતોમાં પોતાના નાગરિક તરીકેના હક્ક માટે, અધિકાર માટે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ સ્થાનિક નેતાગીરી તૈયાર કરે છે જેઓ આત્મવિશ્વાસ સાથે રાજકીય પક્ષો અને અમલદારો સાથે જાતે જ વાતચીત કરે છે. આ ગ્રાસરૂટ કર્મશીલો સ્થાનિક લોકોને તેમના પ્રશ્નોના ઉકેલ માટે સંઘર્ષ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આવા સંઘર્ષથી કોઈક જગ્યાએ પાયાની સુવિધાઓ સ્વમાનભેર પ્રાપ્ત થતી જોવા મળે છે તેમ જ આવી લડતો ગરીબોમાં આત્મવિશ્વાસ પણ કેળવે છે. છતાં ય એમ કહેવું રહ્યું કે શોષણ આધારિત રાજકીય આર્થિક વ્યવસ્થા અંગેના સવાલો ખૂબ જ ઓછા કર્મશીલો ઊભા કરે છે.

કુદરતી સંસાધનોના રક્ષણ માટે, જમીનમાલિકના અધિકાર માટે, વેતન વધારવા માટે, અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ વંચિતોના ઘણાં ગ્રાસરૂટ ક્ષેત્રે આંદોલનો થાય છે. ઉનાસ આવા આંદોલનોને ટેકો આપે છે. આવાં આંદોલનોની કેટલીક વખત સંચાર માધ્યમો અને સત્તાધારીઓ નોંધ લે છે. ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. આવાં આંદોલનોથી થોડાઘણા ફાયદા જરૂર દેખાય છે. પણ જો સંઘર્ષ સતત ન ચાલે તો આની અસર માર્યાદિત ક્ષેત્રે અને ટૂંકા સમય માટે રહે છે. આ આંદોલનો કોઈક વખત શોષણ આધારિત માળખાને બદલાવવાની આશા જન્માવે છે. પણ આ આંદોલનો એકબીજાથી અલિપ્ત અને  મુદ્દા/પ્રશ્ન આધારિત હોય છે. તેમાં મોટે ભાગે રાજકીય આર્થિક સામાજિક વ્યવસ્થા અંગે દૃષ્ટિકોણ હોતો નથી.  પ્રસ્થાપિત વ્યવસ્થા અંગે સવાલો પણ ભાગ્યે જ જોવા મળે છે. એટલે આ આંદોલનો  લાંબાગાળા સુધી ટકી શકતા નથી.

જાહેર પ્રશ્નોને બારીકાઇથી લાંબાગાળાની દૃષ્ટિએ જોવાની, છણાવટ અને તર્કબદ્ધ પૃથક્કરણ કરવાની શક્તિ ઉનાસમાં  હેનાસ કરતાં વધારે છે. રાજ્ય અને વર્ચસ્વ ધરાવતા વર્ગ દ્વારા જાહેર નીતિમત્તાના ઉલ્લંઘન, ગરીબોને અન્યાય, વ્યક્તિ સ્વતંત્રતા પર થતા પ્રહાર વગેરે મુદ્દા પર ઉનાસ અવારનવાર અવાજ ઉઠાવે છે. નાનામોટા સંઘર્ષ કરે છે. આને કારણે તેઓ જાહેર જીવનમાં છવાયેલા રહે છે. રાજ્ય તેમને વારંવાર અવગણી નથી શકતું. પણ મોટાપાયે લોકોને એકત્ર કરવાની ક્ષમતા આ સંગઠનોમાં મર્યાદિત છે. આવાં સંગઠનોની સંખ્યા આંગળીને વેઢે ગણાય તેટલી છે, તેમનાં સાધનો ખૂબ જ મર્યાદિત છે, પણ નિયોલિબરલ અર્થવ્યવસ્થાના વિરોધાભાસો અને લોકોમાં વધતાં જતાં અજંપાને કારણે આ સંગઠનોનો પરિઘ વ્યાપક થાય છે.

સમાજમાં સત્તાની વહેંચણી, રાજ્ય અને રાજકીય વર્ગોનું લક્ષણ, રાજકીય આર્થિક વ્યવસ્થા, ઉપરાંત  ભારતની પરંપરાગત સંસ્કૃતિ અને સમાજ પરિવર્તનના ખ્યાલ અંગે ‘ઉનાસ’નાં સંગઠનો અને કર્મશીલોમાં એક મત નથી. આમ છતાં, આજે ક્ષીણ થતી લોકશાહી સ્પેસમાં શોષણ, વંચિતતા, નાગરિક અધિકારોના ઉલ્લંઘન વગેરે મુદ્દા પર તેઓ સાથે કામ કરે છે. બદલાતા સામાજિક પ્રવાહોને સમજવામાં પોતાની વૈચારિક ભૂમિકાની મર્યાદાઓ આ કર્મશીલો ધીમે ધીમે અનુભવી રહ્યા છે. પણ એ સાથે પોતાના મર્યાદિત માનવસંખ્યાબળમાં ઘણી બધી પ્રવૃત્તિઓમાં વ્યસ્તતાને કારણે, અથવા પોતાના વૈચારિક માળખા અંગે ફરી વિચાર કરવા માટે અરુચિને કારણે મોટા ભાગના કર્મશીલો પોતાના અનુભવો અને આત્મદર્શન કરી નવી રીતે વિચારવા માટે તૈયાર નથી અથવા તેમની પાસે ધીરજ નથી. આજે વધતાં જતાં કોમવાદી સંકુચિત પરિબળો, વધતી જતી અસમાનતા અને અસલામતી અને સરમુખત્યારી શાસનથી ઊભા થતાં પડકારો સામે લાંબાગાળાની દૃષ્ટિ અને આત્મખોજ જરૂરી છે.

***

હિન્દુત્વ વિચારધારાના મુત્સદ્દીઓએ ૧૯૬૦થી ગુજરાતના તત્કાલીન નાગરિક સમાજમાં પગપેસારાની શરૂઆત કરી. સિત્તેર અને એંશીના દાયકામાં નાગરિક સમાજ પર તે છવાઈ ગયા. અને છેલ્લા બે દાયકામાં ‘હેનાસ’ અને હિન્દુત્વ રાજકર્તા વચ્ચેની ભેદરેખા ખૂબ જ ક્ષીણ થઇ ગઈ છે. આ દરમિયાન રાજ્યે ઘણા એવા એન.જી.ઓ.ને સ્પોન્સર કર્યા જે હિન્દુત્વ વિચારધારાના પુરસ્કર્તા હોય. આ સંગઠનો કલ્યાણકારી યોજનાઓ – ખાસ કરીને રાહતનાં કામો, આરોગ્ય, શિક્ષણ, સેનિટેશન, ધિરાણ વગેરેનાં કામો કરે છે. તો કોઈ તો પોતાને માનવ અધિકાર સંગઠન તરીકે પણ ઓળખાવે છે.

બીજી બાજુએ ઘણાં ‘ઉનાસ’ સંગઠનોની સરકારી સહાયમાંથી બાદબાકી થઇ. કેટલાકના કાર્યક્રમો પર તવાઈ આવી, અડચણો ઊભી કરાઈ. કોઈક પર આરોપ મૂકવામાં આવ્યો કે તે ધર્મ વટલાવવાનું કામ કરે છે. કેટલાક પર વિદેશી મદદની પરવાનગી રદ્દ કરી અને જાહેર કરવામાં આવ્યું કે આ સંગઠનો રાષ્ટ્રવિરોધી કામ કરે છે. આ સંગઠનો દેશની ચેરિટેબલ સંસ્થાઓમાંથી મદદ ન મેળવે તે માટે મદદ આપતી સંસ્થાઓ પર રાજ્યે સીધું કે આડકતરું દબાણ કર્યું. એટલે ‘ઉનાસ'નાં સંગઠનોમાં ભય અને અસલામતી ફેલાઈ છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીનો પ્રાણવાયુ છે. બંધારણે એને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો છે. પણ આઝાદી પછી દરેક સરકારે – નેહરુ સહિત – આ અધિકારને મર્યાદિત કરવાના, અંકુશ મૂકવાના પ્રયત્નો કર્યા છે. નાગરિક સમાજ એનો પ્રતિકાર કરે છે. લડતો આપે છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં અને હવે દેશમાં આ અધિકારની સ્પેસ વધુ ને વધુ ક્ષીણ થતી ચાલી છે. ચિંતાનો વિષય એ છે કે ‘હેનાસ'ના ઘણા વ્યક્તિ સ્વતંત્રતાના વિરોધી થયા છે અને રાજ્યને દમનકારી કાયદા કરવામાં ટેકો આપે છે અથવા ચૂપ રહે છે. રાજ્યના વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વંચિતો પર વારંવાર થતાં દમનને અનુમોદન આપે છે. બીજી બાજુએ દેશમાં અસંતોષ અને અજંપો વધતાં ચાલ્યાં છે.

‘ઉનાસ’ના સંઘર્ષથી મેળવેલ પ્રમાણમાં અધકચરા હક્કો જેવા કે માહિતી મેળવવાનો, રોજગારી મેળવવાનો (મનરેગા), શિક્ષણ, અન્ન સુરક્ષા સાથે સાથે ન્યાયી પુનઃવસવાટ, અને તે માટે અસરગ્રસ્તોની સંમતિની કાયદામાં જોગવાઈ, આદિવાસીને જંગલ જમીનના અધિકાર વગેરે છેલ્લાં પાંચ વર્ષમાં અને ગુજરાતમાં તો ત્યાર પહેલાંથી બોદા બનાવી દેવાયા છે. વળી, આ હક્કોના અમલ માટે સંઘર્ષ કરતાં કર્મશીલોની હેરાનગતિ વધી ગઈ. થોડાકે તો જાન ગુમાવ્યા. આ બધા ઉપરાંત વર્ચસ્વ અને પ્રભુત્વ ધરાવતાં સવર્ણ વર્ગના લોકો પોતાનું રાજ્ય આવી ગયું છે એમ માની વધુમાં વધુ કાયદો હાથમાં લેતા થઇ ગયા છે. દલિતો, આદિવાસીઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારનો ગ્રાફ ઉપર ગયો છે.      

આ પરિસ્થિતિમાં બંધારણ અંકિત મૂલ્યો આધારિત માનનાર ‘ઉનાસ’ સામે અનેક પડકારો છે. એનું કદ અને વ્યાપ આજે નાના છે. આમ છતાં ય, આ પડકારોે એને સામનો કરવો જ રહ્યો. એણે રાજ્ય, વર્ચસ્વ ધરાવતા વર્ગો અને સાથે સાથે હેગેમોનિક સંસ્કૃતિ સામે ઝઝૂમવાનું છે, આ ધીરજ માગી લેતું અને લાંબા સમયનું કામ છે.

Email : ghanshyam.shah2008@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 03-05

Loading

‘ચાયવાલા પ્રધાનમંત્રી’થી ‘ચોકીદાર પ્રધાનમંત્રી’નું શાસન

અરુણ શૌરિ, અરુણ શૌરિ|Opinion - Opinion|17 April 2019

ચોક્કસ, તમે મારાથી નારાજ હશો. મેં કદાચ તમને ગેરમાર્ગે દોર્યા હોવાનો અહેસાસ થતો હશે. મારા પર ગુસ્સો પણ આવતો હશે. હું એ જ વ્યક્તિ છું, જેણે વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલીન ‘ચાયવાલા મુખ્યમંત્રી’ અને ‘વર્તમાન ચોકીદાર’ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે ભા.જ.પ.ને મત આપવા લોકોને અપીલ કરી હતી. પણ મારે કબૂલ કરવું જોઈએ કે, એ મારા જીવનની બીજી સૌથી મોટી ભૂલ હતી. મેં સૌ પ્રથમ મોટી ભૂલ મંડલ-કમંડલના પ્રણેતા અને દેશને જ્ઞાતિજાતિના રાજકારણના અવળા માર્ગે દોરનાર વી.પી. સિંહને ટેકો આપીને કરી હતી. એ સમયે મને મારા મિત્ર અને ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરે ચેતવણી આપી હતી. તેમણે મને સમજાવ્યો હતો કે આ માણસ દેશ માટે કશું સારું નહીં કરે, એનો એકમાત્ર આશય કૉંગ્રેસને હરાવવાનો અને તમને સીડી બનાવીને પ્રધાનમંત્રી બની જવાનો છે. પણ મને વી.પી. સિંહમાં આશાનું કિરણ દેખાયું હતું અને મારા સહિત તેમને સમર્થન આપનાર બધાને ધોબીપછાડ મળી હતી. વી.પી. સિંહે સત્તામાં આવીને જે કર્યું એ બધું અમારી અપેક્ષાથી વિપરીત હતું અને અમે અવાક થઈ ગયા હતા.

મારી બીજી સૌથી મોટી ભૂલ – તમે એને ‘હિમાલય જેવી મોટી ભૂલ’ પણ કહી શકો – નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની હતી. અમે બધા યુ.પી.એ.-૨ સરકારની નીતિઓથી એટલા બધા નારાજ થઈ ગયા હતા કે એના વિકલ્પરૂપે કોની સાથે ઊભા હતા, એનું વિશ્લેષણ જ કર્યું નહોતું. મેં ગુજરાત મૉડેલને બરાબર વાંચ્યું-સમજ્યું જ નહીં, પ્રોપેગેન્ડામાં જ વહી ગયો. હું એકરાર કરું છું કે મેં અર્થતંત્ર અને સરકારી તંત્રને ફેસ વેલ્યુ તરીકે લીધા હતા. અમે ગુજરાતના વિકાસથી અંજાઈ ગયા હતા અને અંગ્રેજી અખબારો જે કહેતાં હતાં એને જ સાચું માનતા હતા. પણ મોદી પ્રધાનમંત્રી બન્યા પછી એમની કાર્યશૈલી પરથી સમજાયું છે કે, એજન્સીઓ અને સંસ્થાઓનો દુરુપયોગ કરવો એ જ સાચું ગુજરાત મૉડેલ હતું. સંસદ કામ જ કરતી નથી અને મોટા બિલને એમ જ મની બિલ કહીને મંજૂર કરવામાં આવે છે. એ જ તો ગુજરાત મૉડેલ હતું. છેલ્લાં પાંચ વર્ષ આપણે જોયું છે કે, મોદી સરકારે બધી બંધારણીય સંસ્થાઓને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ જેવી બનાવી દીધી છે. આ શાસનમાં ‘અઘોષિત કટોકટી’ જેવું વાતાવરણ ઊભું થયું છે. સરકારે તમામ સંસ્થાઓને ટટ્ટુ બનાવી દીધી છે, અને વિરોધપક્ષોને મૂળિયાં સહિત ઊખાડી ફેંકવાની વાત કરે છે. એ જ તો ગુજરાત મૉડેલ હતું, જે આપણે કોઈએ બરાબર રીતે ચકાસ્યું જ નહીં. હકીકતમાં વિરોધ પક્ષ જ લોકશાહીનું હાર્દ છે. જો એ ન રહે તો … આ હવે તમારે વિચારવાનું છે.

અહીં મારે ભારતની લોકશાહી સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને એના પર મોદી સરકાર વિશે વાત કરવી છે. ભક્તજનો (અત્યારે તો ભક્તજનો કહો એટલે મોદીભક્તો જ માનવામાં આવે છે) મારા પર આરોપ મૂકે છે કે મને સરકારમાં મંત્રી બનાવવામાં ન આવ્યો એટલે હું મોદી અને મોદી સરકારની ટીકા કરું છું. ચાલો, એમનો આરોપ સાચો માની લઈએ તો પણ જે હકીકત છે એ કંઈ થોડી બદલાઈ જાય છે?!

આપણે મોદી સરકારની કામગીરીના કાર્યકાળને ત્રણ ખંડમાં વહેંચી શકીએ : એક, વર્ષ ૨૦૧૪થી નવેમ્બર ૨૦૧૬ એટલે કે સત્તામાં આવ્યા ત્યારથી નોટબંધી જાહેર થઈ ત્યાં સુધી. બે, નોટબંધીથી રાફેલ કૌભાંડના પર્દાફાશ સુધી અને ત્રણ, રાફેલ કૌભાંડના પર્દાફાશથી સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યાં સુધી.

વાતની શરૂઆત મે, ૨૦૧૪માં દિલ્હીની ગાદી પર નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેકથી કરીએ. લોકસભાની ચૂંટણીમાં પ્રજાએ ભા.જ.પ.ને સંપૂર્ણ બહુમતી એટલે ૨૮૨ બેઠકો આપી હતી. તમે વિચારો કે એની પાછળનું કારણ શું હતું? એક, યુ.પી.એ.-૨ સરકારના ભ્રષ્ટાચારો અને ગોટાળાથી મુક્ત પારદર્શક અને લોકપાલની નિમણૂક કરે એવી સરકારને સત્તાનશીન કરવી. બે, યુ.પી.એ. સરકારે સી.બી.આઈ. જેવી બંધારણીય સંસ્થાઓને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ જેવી બનાવી દીધી હતી. આ સંસ્થાઓને ફરી સ્વતંત્ર અને નિષ્પક્ષ બનાવી શકે એવી સરકારને દિલ્હીમાં લાવવી, જેથી આ સંસ્થાઓ તટસ્થ રહીને રાષ્ટ્રહિત માટે કામ કરી શકે. ત્રણ, યુ.પી.એ. સરકારના છેલ્લાં બે વર્ષમાં નીતિગત નિષ્ક્રિયતા આવી ગઈ હતી, જેના પરિણામે દેશના આર્થિક વિકાસની ગાડી ઊંધા પાડે ચઢી ગઈ હતી, જેને સીધા પાટે ચઢાવી દેશને ફરી આર્થિક વૃદ્ધિના માર્ગે અગ્રેસર કરે એવી વ્યક્તિને દેશનું સુકાન સોંપવું. ચોથું, યુ.પી.એ.-૨ સરકારના ગાળામાં કૉંગ્રેસને સત્તાનો મદ આવી ગયો હતો. એટલે કૉંગ્રેસને લોકશાહીનું મહત્ત્વ સમજાવવું અને લોકશાહી પુનઃસ્થાપિત કરી બધાને સાથે લઈને ચાલી શકે એવા વાજપેયી જેવી કાર્યશૈલી ધરાવતું નેતૃત્વ પુનઃસ્થાપિત કરવું. પાંચ, યુ.પી.એ.-૨માં દેશમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી અને યુવા પેઢી સહિત તમામ વર્ગોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. એટલે દેશમાં આશાનો સંચાર કરે એવી સરકાર માટે જનતાએ પોતાનો પવિત્ર અને કિંમતી મત આપ્યો હતો.

હવે તમે જ વિચારો કે મોદી વડા પ્રધાન બન્યા પછી ખરેખર જનતાએ જે આશા સાથે ભા.જ.પ.ને મતોની લહાણી કરી હતી એમાંથી એક પણ આશા ફળીભૂત થઈ છે? મોદી સરકારે સુકાન સંભાળ્યા પછી નોટબંધી સુધી આ સરકારે બે કામ કર્યાં : એક, કટ્ટર હિંદુત્વને મજબૂત કર્યું અને બે, મોદીએ શક્ય હોય એટલા દેશોનો પ્રવાસ કર્યો. ઇમેજ મૅનેજિંગ અને હેડલાઇન મૅનેજ કરતી આ સરકાર શરૂઆતના ગાળામાં ‘કૉંગ્રેસ વત્તા ગાય’ માત્ર બની ગઈ હતી. ઉત્તરનાં રાજ્યોમાં ગૌમાંસના ફાલતુ મુદ્દાઓ ઉઠાવીને ભા.જ.પ. હિંદુઓની સરકાર છે એવી ઇમેજ ઊભી કરી. બીજી તરફ, મોદીએ ચીન, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, જાપાન જેવા દેશોનો પ્રવાસ કર્યો.

અહીં સવાલ હિંદુ કે મુસ્લિમનો નહોતો. સવાલ ફક્ત ઇમેજ બિલ્ડિંગનો હતો. ઉત્તરપ્રદેશની ચૂંટણી વર્ષ ૨૦૧૭માં આવતી હતી અને એને ધ્યાનમાં રાખીને હિંદુત્વનો જુવાળ ઊભો કરવામાં આવ્યો હતો. એ સમયે પ્રધાનમંત્રી તરીકે મોદી પાસે અપેક્ષા હતી કે તેઓ તેમના કાર્યકર્તાઓને નિયંત્રણમાં રાખે અને દેશની છાપ ન ખરડાય એ માટે સમયસર કાર્યવાહી કરે. પણ સેલિબ્રિટીઓને જન્મદિવસે ટિ્‌વટર પર કાળજીપૂર્વક શુભેચ્છા પાઠવતાં પ્રધાનમંત્રી પાસે ગૌરક્ષકોને સલાહ આપવાનો સમય નહોતો. ‘મન કી બાત’માં ભારતની સંસ્કૃતિની વાત કરતાં પ્રધાનમંત્રી ગૌમાંસ પર દરરોજ થઈ રહેલી હિંસા પર એક હરફ પણ ઉચ્ચારતા નહોતા. તમે જુઓ, જ્યારે પણ મોડે મોડે એમણે વાત કરી ત્યારે શું કહ્યું? ‘ગાંધીજી પણ ગૌહત્યાના વિરોધી હતા.’ આમ કહીએ તો, તેમણે પરોક્ષરૂપે ગૌરક્ષકોની પીઠ થાબડી હતી.

મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી તરત જ વિદેશપ્રવાસોનો અનંત સિલસિલો શરૂ કરી દીધો હતો. શરૂઆતમાં મને મોદીના પ્રવાસથી આશા જન્મી હતી અને તેમની વિદેશનીતિ ઉચિત લાગતી હતી. મને લાગ્યું હતું કે ભારતીય ઉપખંડના પડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત થવાથી આર્થિક, સાંસ્કૃતિક, સામાજિક સંબંધો વધારે ગાઢ બનશે અને તેનાં સારાં પરિણામો મળશે. નરસિંહરાવે પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધો સ્થાપિત કરવાની નીતિની શરૂઆત કરી હતી અને મોદી એને આગળ વધારી રહ્યા હતા. ચીન હિંદ મહાસાગરમાં પોતાનું પ્રભુત્વ જમાવવા પ્રયાસ કરી રહ્યું છે અને મોદી તેની સામે આક્રમક નીતિ અપનાવી રહ્યા છે એવું મને લાગતું હતું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, એક વર્ષ પછી વિદેશ મંત્રાલયના એક ટોચના અધિકારી સાથે મારી વાત થઈ હતી. તેમણે મને જે કહ્યું એનાથી મને બહુ મોટો આંચકો લાગ્યો હતો. તેમણે મને નિરાશા સાથે કહ્યું હતું કે, “આપણી વિદેશનીતિ હવે ‘સેલ્ફી ઇવેન્ટ’ બની ગઈ છે. વિદેશમાં ચક્કર મારો અને ફોટા પડાવો. આજે તમે પાકિસ્તાનને ગળે મળો. એના ઘરમાં જઈ ખાઓ-પીઓ, બીજે દિવસે કહો કે આપણી લડાઈ ઓર તેજ થશે. પછી આ ફોટા અને વીડિયો ભારતના ‘બિકાઉ અને પકાઉ’ મીડિયામાં વહેંચો અને ઘરઆંગણે મજબૂત નેતા હોવાની છાપ ઊભી કરો. એનાથી વિશેષ કશું જ નથી.” હકીકતમાં મોદી જે દેશોમાં જતા અને ત્યાં જે સમજૂતીઓ અને કરારો થતાં એનું ફોલો અપ લેવાતું જ નથી. મોદીએ શ્રીલંકા સાથે સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, પણ શ્રીલંકાને એનું જ એક બંદર ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવામાં ભારત સરકાર સદંતર નિષ્ફળ નીવડી. ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે ગુજરાતમાં ઝૂલા ઝૂલ્યા અને પછી ચીને દોકલામમાં પગપેસરો કરી લીધો. તમે પ્રવીણ સ્વામી જેવા સુરક્ષા નિષ્ણાતોને વાંચો. તમને સમજાશે કે દોકલામમાં તમામ અધિકારો ચીને પડાવી લીધા છે. મીડિયા ભારતમાં એવી છાપ ઊભું કરી રહ્યું છે કે દોકલામમાં ચીનને રોકવામાં મોદી સફળ રહ્યા, પણ હકીકત એ છે કે ચીને દોકલામ સુધી પહોંચવાના બે હાઈવેનું નિર્માણ કર્યું છે, બૅરકો બનાવી દીધી છે. દુનિયાના દેશો પણ સમજી ગયા છે કે મોદીનો વિદેશપ્રવાસ એક ઇવેન્ટથી વિશેષ કશું જ નથી. આપણી વિદેશનીતિ હવે સેલ્ફી ઇવેન્ટના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. મને આપણા પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પણ જણાવ્યું છે કે મોદી સરકારનાં પાંચ વર્ષના શાસનકાળની વિદેશનીતિનું પરિણામ એક લાઇનમાં કહેવું હોય તો – દુનિયાનો કોઈ દેશ હવે ભારતને ગંભીરતાપૂર્વક લેતો નથી.

આ જ કાળખંડમાં મોદી સરકારે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. અહીં મારે સ્પષ્ટ કરવું જોઈએ કે મેં ક્યારે ય સર્જિકલ સ્ટ્રાઇક પર શંકા કરી નહોતી. મારો પ્રશ્ન એ હતો અને અત્યારે પણ છે કે તમારે સર્જિકલ સ્ટ્રાઇકને ‘ફર્જિકલ સ્ટ્રાઇક’ બનાવવાની શું જરૂર હતી? આવી સ્ટ્રાઇક તો અગાઉની સરકારોએ પણ કરી હતી. જ્યારે અટલજીના નેતૃત્વમાં જશવંત સિંહ અને જ્યોર્જ ફર્નાન્ડિસ સંરક્ષણ મંત્રીઓ હતા, ત્યારે પણ થઈ હતી. પણ કોઈએ ૫૬ ઈંચની છાતી હોવાનો દેખાડો કર્યો નહોતો કે એના પુરાવા જાહેર કર્યા નહોતા. સરકારે પુરાવા જાહેર કરીને પોતે જ એ બતાવી આપ્યું કે દેશની જનતાને તેમની વાતોમાં ભરોસો નથી. તમે વિચારો કે મોદી અને મોદી સરકાર પોતે પોતાની વિશ્વસનીયતા પર કેવો અભિગમ ધરાવે છે. વાજપેયીને પુરાવા જાહેર કરવાની જરૂર નહોતી પડી. સૌને તેમની કાર્યશૈલીમાં ભરોસો હતો.

જ્યારે વિપક્ષે આ તમામ મુદ્દા ગંભીરતાપૂર્વક ઉઠાવ્યા અને મોદી સરકારને સૂટબૂટની સરકાર પણ ગણાવી ત્યારે મોદી સરકાર બીજા જ એજન્ડા પર કામ કરતી હતી. આ બીજો એજન્ડા એટલે મોદી સરકારનો બીજો ખંડ : નોટબંધી, ઉત્તરપ્રદેશની ચૂંટણી અને જી.એસ.ટી.ના નિર્ણયોનો. સૌપ્રથમ વાત નોટબંધીથી કરીએ. દેશની જનતાને આજે પણ નોટબંધી પાછળનું સાચું કારણ ખબર નથી. કેટલાક પત્રકારો એને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતવા માટેનો માસ્ટરસ્ટ્રોક ગણે છે. પણ હું આ વાત માનવા તૈયાર નથી. ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસ મૃતપ્રાયઃ સ્થિતિમાં હતી, સમાજવાદી પક્ષનું શાસન હતું એટલે સરકારવિરોધી લહેર હતી અને બહુજન સમાજવાદી પાર્ટીનાં માયાવતી અગાઉ જેટલાં મજબૂત રહ્યાં નહોતાં. એટલે ત્યાં તો મોદીલહેર અને સર્જિકલ સ્ટ્રાઇક જ કાફી હતી. મોદીએ નોટબંધીને શરૂઆતમાં કાળાં નાણાં પરની ‘સર્જિકલ સ્ટ્રાઇક’ ગણાવી હતી. પણ તમે જ વિચારો કે, આખા દેશને બૅંકની બહાર લાઇનમાં ઊભો રાખીને કેટલું કાળું નાણું બહાર આવ્યું?

રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયાના આંકડા જ બયાન કરે છે કે, જે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવાનો રાતોરાત નિર્ણય લેવાયો એમાંથી ૯૯ ટકા નોટો તો બૅંકમાં પરત આવી ગઈ. તો સરકારનાં કાળાં નાણાં પરની ‘સર્જિકલ સ્ટ્રાઇક’ના દાવામાં કેટલો દમ છે? મારું દૃઢપણે માનવું છે કે, નોટબંધી હકીકતમાં દેશમાં ‘બ્લેક મની’ને ‘વ્હાઇટ મની’ કરવાનું આયોજનબદ્ધ ષડ્‌યંત્ર હતું. આઝાદ ભારતનાં છેલ્લાં ૭૦ વર્ષમાં નોટબંધી આર્થિક ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ હતું. આ કૌભાંડમાં ભારતીય રિઝર્વ બૅંકનાં તત્કાલીન ગર્વનરે નાણાં મંત્રાલયના અન્ડર સેક્રેટરીની જેમ કામ કર્યું હતું. સરકારે નોટબંધીથી ભ્રષ્ટાચારમાં મોટો ઘટાડો થયો હોવાનો દાવો કર્યો છે. પણ હકીકત એવી છે જ નહીં. જે લોકો પાસે કાળું નાણું હોય છે તેઓ રોકડમાં રાખતા નથી. ફિલ્મોમાં બતાવે છે તેમ તેમના પલંગમાં ગાદલાં નીચે રૂપિયાની થપ્પીઓ હોતી નથી. આવી થપ્પીઓ નાના ચોર કરે છે. મોટા ચોરોનું કાળું નાણું રિયલ એસ્ટેટ, જ્વેલરી વગેરે સ્વરૂપે હોય છે. નોટબંધી અર્થતંત્રને ‘તઘલખી તમાચો’ હતો. એનાથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક ક્ષેત્ર (એમ.એસ.એમ.ઈ.)ને મરણતોલ ફટકો પડ્યો છે. આ ઉદ્યોગો આજે પણ તેમાંથી બહાર આવવા માટે મથામણ કરી રહ્યા છે. ગ્રામીણ અર્થતંત્ર વેરવિખેર થઈ ગયું છે. એનાથી ચીજવસ્તુઓની માગમાં ઘટાડો થયો છે અને ઉપભોક્તા ક્ષેત્ર હજુ પણ બેઠું થઈ શક્યું નથી. કન્સ્ટ્રક્શન અને ટેક્સટાઇલ ક્ષેત્રની કમર તૂટી ગઈ છે. મોદીએ શરૂઆતમાં એને ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું, પણ મારે કહેવું છે કે આત્મહત્યા કરવી એ પણ ક્રાંતિકારી પગલું જ છે. જો કે મોદીને તેમની અત્યાર સુધીની રાજકીય કારકિર્દીની સૌથી મોટી ભૂલ ‘નોટબંધી’ સમજાઈ તો હશે, પણ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવાનો શું અર્થ!

આ જ ખંડમાં ભારતીય વેપારીઓ નોટબંધીથી પેદા થયેલી સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા એવામાં મોદીએ ઉતાવળમાં જી.એસ.ટી.નો અમલ આખા દેશ પર લાદી દીધો. તમે કલ્પના કરો કે જી.એસ.ટી.નો અમલ કેટલી ઉતાવળથી કરવામાં આવ્યો. શું ઉતાવળથી જી.એસ.ટી.નો નિર્ણય લઈને સરકાર નોટબંધીના મુદ્દાને ભૂલાવવા ઇચ્છતી હતી? જી.એસ.ટી.ના અમલના ત્રણ મહિનાની અંદર જ એમાં સાત વાર ફેરફાર કરવામાં આવ્યા. કેટલી વાર? સાત વાર. એ પછી પણ જી.એસ.ટી.માં સુધારા ચાલુ જ છે. ચોક્કસ, કોઈ પણ આર્થિક સુધારા લાગુ કરવામાં આવે પછી એમાં સુધારાવધારા થાય. પણ આટલી ઝડપથી! એનો અર્થ એ છે કે તમે જી.એસ.ટી.નો અમલ લાંબા ગાળાનો વિચાર કર્યા વિના કર્યો હતો અને ‘જેવા પડશે એવા દેવાશે’ એવી નીતિ અપનાવી હતી. 

આ દરમિયાન મોદીના શાસનકાળનો અંતિમ ત્રીજો તબક્કો શરૂ થયો, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો રહ્યો રાફેલકાંડ. દેશનાં સૈન્ય દળોને સક્ષમ બનાવવા માટેનો દાવો કરવાની આડમાં થયેલો આ સોદો મોદીની એડવર્ટાઇઝિંગ એજન્સીઓએ કુશળતાપૂર્વક ઊભી કરેલી પ્રામાણિક હોવાની છાપ ભૂંસવા માટે પૂરતો છે. તમે જુઓ, છેલ્લાં એકથી દોઢ વર્ષથી આ સોદાએ મોદીને પહેલીવાર બૅકફૂટ પર લાવી દીધા છે. શરૂઆતમાં રાફેલના સોદામાં કૉંગ્રેસના આક્ષેપોમાં કોઈ દમ લાગતો નહોતો. પણ ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ફ્રાંસ્વા ઓલાંદેના ખુલાસાથી મોદી સરકારનાં કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો છે. જ્યારથી સુપ્રીમ કોર્ટમાં આ કેસ ગયો છે ત્યારથી સરકાર દર અઠવાડિયે નવાં જૂઠ્ઠાણાં ફેલાવી રહી છે, અને બીજા જ દિવસે એને પોતાનાં જૂઠ્ઠાણાંમાં પંક્ચર પાડવાની ફરજ પડે છે. આ કૌભાંડમાં તમારે ફક્ત તમારી ‘કૉમનસેન્સ’નો જ ઉપયોગ કરવાનો છે. હું જાણું છું કૉમનસેન્સ કૉમન નથી એવું આઇન્સ્ટાઇન કહેતા હતા. પણ ચાલો હું તમારી કૉમનસેન્સને બહાર લાવવા મદદ કરું. તમે નાનામાં નાનો ધંધો કરવાનું વિચારશો, તો પણ તમારા ભાગીદાર તરીકે અનુભવી હોય એને પસંદ કરશો કે બિનઅનુભવીને? અત્યંત ઓછી સમજણ ધરાવતી વ્યક્તિ પણ કહેશે કે અનુભવીને જ પસંદ કરીશું. તો પછી વર્ષોથી યુદ્ધ માટેના વિમાન બનાવતી ફ્રાંસની કંપની દ્‌સૉલ્ટે અનિલ અંબાણીને પાર્ટનર તરીકે શા માટે પસંદ કર્યા? અનિલ અંબાણી પાસે તો રમકડાંનાં પ્લેન બનાવવાનો પણ અનુભવ નથી. અહીં ઓલાંદેની વાત આપણે સાચી માનવી પડશે કે ભારત સરકારે ઑફસેટ પાર્ટનર તરીકે એક જ માણસને રજૂ કર્યો હતો અને અમારી પાસે એની સાથે જોડાણ કર્યા વિના કોઈ વિકલ્પ નહોતો. બીજી વાત, અનિલ અંબાણીના ગ્રૂપ પર રૂ. ૧,૨૧,૦૦૦ કરોડનું દેવું છે. તો શું દ્‌સૉલ્ટ જેવી કંપની આટલું મોટું દેવું ધરાવતી કંપનીને પાર્ટનર તરીકે પસંદ કરે? તો પછી અનિલ અંબાણીને પાર્ટનર બનાવવા માટે દ્‌સૉલ્ટ પર દબાણ કોણે કર્યું હતું?

અને, રાફેલ સોદામાં નિર્મળા સીતારામન્‌ પણ ખોટું બોલી રહ્યાં છે. યુ.પી.એ. સરકારે ૧૨૬ વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો, જેને ઘટાડીને મોદી સરકારે ૩૬ વિમાન ખરીદવાનો સોદો કર્યો છે. આ માટે સીતારામન્‌ કહે છે કે ઍરફોર્સ પાસે આટલી મોટી સંખ્યામાં વિમાનનું નિર્માણ કરવા માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. મારે તેમને પૂછવું છે કે જે સરકાર અમદાવાદથી મુંબઈ વચ્ચે રૂ. ૧,૨૦,૦૦૦ કરોડના ખર્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે કામ કરી શકે, જે સરકાર સરદાર પટેલની મૂર્તિ બનાવવા માટે રૂ. ૩,૫૦૦ કરોડનો ખર્ચ કરી શકે છે, જે પ્રધાનમંત્રી પોતાની જાહેરાતો પાછળ રૂ. ૪,૦૦૦ કરોડનો ખર્ચ કરી શકે, એ જ સરકાર દેશની સુરક્ષાને મજબૂત કરવા પાંચથી છ વર્ષમાં ઍરફોર્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું ન કરી શકે? આ અંગે મારે, તમારે અને આપણે સૌ ભારતવાસીઓએ વિચારવાનું છે.

છેલ્લે, મારે એટલું જ કહેવું છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે સી.બી.આ.ઈ, ચૂંટણીપંચ, સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ જેવી સંસ્થાઓને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ જેવી બનાવી દીધી છે. શ્રીમતી [ઇન્દિરા] ગાંધીએ પણ પાકિસ્તાન સામેનું યુદ્ધ જીત્યા પછી લોકશાહી સંસ્થાઓને દગો દેવાનું શરૂ કર્યું હતું. તેઓ સહન નહોતાં કરી શકતાં કે એમના ઉપર કોઈ હોય એટલે જેમાં પણ એ પાયો દેખતાં એને કાપતાં. મેં એ સમયે પણ લખ્યું હતું, “અંતમાં કોઈની પાસે એટલી શક્તિ નહીં હોય કે તમને નુકસાન પહોંચાડી શકે, તો કોઈની પાસે એટલી તાકાત પણ નહીં હોય કે તમારી મદદ કરી શકે.” અત્યારે શું બની રહ્યું છે?!  તમામ સંસ્થાઓ સરકારના ઇશારે નાચી રહી છે. વિરોધીઓને નિશાન બનાવી રહી છે. એટલું જ નહીં આ સરકારનો વિરોધ કરતાં નાગરિકો, સામાજિક કાર્યકર્તાઓને ઠેકાણે પાડવા માટે પણ ટ્રોલસેના બનાવવામાં આવી છે, જે તમને માનસિક રીતે હતાશ કરવા ગમે એટલા નીચા સ્તરે ઊતરવા તૈયાર છે. મીડિયા તો સરકારી જાહેરાતો મેળવવાની લાલચમાં ધૃતરાષ્ટ્ર બની ગયું છે, સરકારના ટટ્ટુની જેમ કામ કરી રહ્યું છે. તમે સંસદમાં હોય તો તમારું આચરણ કેવું હોય? પ્રધાનમંત્રી કે મંત્રી કોઈ ખોટી વાત કહે તો એનું પરિણામ શું આવે? જુઓને, ઇંગ્લૅન્ડમાં ગૃહમંત્રીએ એક નાની ખોટી વાત કહી અને એમણે સંસદમાંથી રાજીનામું આપવું પડ્યું. અને આપણે ત્યાં રોજ જે મનમાં આવે તે કહી દે છે! બાકી રહ્યું હતું તો આપણા દેશની ન્યાયિક વ્યવસ્થાની સ્વતંત્રતા પણ જોખમમાં મુકાઈ છે એની ચેતવણી સર્વોચ્ચ ન્યાયાલયના ચાર ન્યાયાધીશોએ આપી દીધી છે. એટલે મને સામાન્ય નાગરિકની સ્વતંત્રતા અને તેમના મૂળભૂત અધિકારો પર હવે જોખમ તોળાઈ રહ્યું હોય એવું પ્રતીત થાય છે. પણ મારે જતાં જતાં ‘ચોકીદાર’ મોદીને એક સંદેશ આપવો છે :

તુમ સે પહેલે વો જો ઇક શખ્સ યહાં તખ્ત-નશીં થા,
ઉસ કો ભી અપને ખુદા હોને પે ઇતના હી યકીં થા; …
અબ વો ફિરતે હૈ ઇસી શહર મેં તન્હા લિયે દિલ કો,
ઇક જમાને મેં મિજાજ ઉન કા સર-એ-અર્શ-એ-બરીં થા

                                                                           (હબીબ જાલિબ)

[છેલ્લાં પાંચ વર્ષમાં અરુણ શૌરિએ કરેલી લેખિત-મૌખિક અભિવ્યક્તિનું સંકલન-શબ્દાંકન : કેયૂર કોટક]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 06-09

Loading

કહ્યું શું, કર્યું શું, થયું શું

રમેશ બી. શાહ|Opinion - Opinion|17 April 2019

ગુજરાતમાં ‘વિકાસપુરુષ’ની છાપના આધાર પર વડાપ્રધાનપદે પહોંચેલા મોદી પાસેથી દેશે બહુ મોટી અપેક્ષા રાખી હતી અને મોદીએ પણ મોટાં મોટાં વચનો આપીને એ અપેક્ષાઓને આધાર પૂરો પાડ્યો હતો. આમ આદમીની વાત જવા દઈએ, બજારવાદી અર્થશાસ્ત્રીઓ અને દેશના ઉદ્યોગપતિઓ પણ મોદી પાસેથી મોટી અપેક્ષાઓ રાખતા હતા. ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મોદીએ જે રીતે રીઝવ્યા હતા, ખાસ કરીને તાતાની નેનો કારના પ્રોજેક્ટ માટે; એમણે જે લાભો આપ્યા અને ત્વરા દાખવી તેનાથી દેશના ઉદ્યોગજગતને મોદી પાસેથી બહુ મોટી અપેક્ષા હતી. વધારામાં યુ.પી.એ. શાસન અંગે તથાકથિત ‘પૉલિસી પેરેલિસિસ’ની છાપ ઉદ્યોગજગતમાં ઊભી થઈ હતી. વળી, યુ.પી.એ. શાસનનાં છેલ્લાં વર્ષોમાં ભાવો ૯-૧૦ ટકાના દરે વધ્યા હતા અને (જી.ડી.પી.નો) વૃદ્ધિદર ઘટીને પ-૬ ટકા થઈ ગયો હતો. મોદી આર્થિક સુધારા કરીને વૃદ્ધિદરને આઠથી દસ ટકા પર લઈ જશે અને ઉદ્યોગોના વિકાસને વેગીલો બનાવશે એવી લોકો અને ઉદ્યોગજગત આશા રાખતાં હતાં. ભા.જ.પે. એક પક્ષ તરીકે બહુમતી મેળવી હોવાથી મોદીશાસનને આર્થિક સુધારા કરવાની પૂરતી મોકળાશ પણ હતી.

બે મોટા સુધારાની અપેક્ષા બજારવાદી અર્થશાસ્ત્રીઓ રાખતા હતા : મજૂરકાયદામાં સુધારા, ખાસ કરીને કામદારોને રોકવાની અને છૂટા કરવાની સંચાલકોને અબાધિત સત્તા આપતો સુધારો અને ખાસ કરીને ખોટ કરતાં જાહેર સાહસોનું ખાનગીકરણ. પણ મોદીશાસને મજૂર કાયદાઓને સુધારીને કામદારોનો વિરોધ વહોરવાની રાજકીય હિંમત દાખવવાના વિકલ્પે રાજ્યોને મજૂરકાયદા સુધારવાની મોકળાશ કરી આપવાની રાજકીય કુનેહ વાપરી. એ જ રીતે ખોટ કરતાં જાહેર સાહસોનું ખાનગીકરણ કરવાનું પણ ટાળ્યું. એર ઇન્ડિયાને એવી શરતોએ વેચવા કાઢ્યું જેથી કોઈ લેનાર મળ્યું નહીં. આમાં ખોટ કરતાં જાહેર સાહસોના કામદારોનો વિરોધ વહોરવાનો પ્રશ્ન તો છે જ. વધારામાં જાહેર સાહસના વેચાણમાં ભ્રષ્ટાચારના આક્ષેપથી મુક્ત રહીને વેચાણ કરવાના પડકારનો સામનો કરવાનો પણ પ્રશ્ન હતોે. આ પડકાર ઝિલવાની રાજકીય ઇચ્છાશક્તિ પણ મોદીશાસને દાખવી નહીં. આ બે સુધારા નહીં કરવાની બાબતમાં મોદીશાસન યુ.પી.એ. એટલે કૉંગ્રેસની સાથે જ રહ્યું.

અલબત્ત, મોદીશાસનમાં ત્રણ નોંધપાત્ર આર્થિક પગલાં ભરવામાં આવ્યાં છે : (૧) નોટબંધી, (ર) જી.એસ.ટી. અને (૩) નાદારી અંગેનો કાયદો. આ પગલાંની ટૂંકમાં ચર્ચા કરીએ.

નોટબંધી બધી રીતે નિષ્ફળ નીવડેલું પગલું પુરવાર થયું છે. હવે એ જાહેર થયું છે કે એના અપેક્ષિત ઉદ્દેશો પાર નહીં પડે એવી સ્પષ્ટતા રિઝર્વ બેંકના હોદ્દેદારોએ કરી હોવા છતાં મોદીએ નોટબંધી ફરમાવી. અપ્રિય થઈ પડે એવા આર્થિક સુધારાઓના વિકલ્પે મોદીએ નોટબંધીનું રાજકીય પગલું ભર્યું હતું. લોકોમાં કાળાંનાણાં વિશે જે ગેરસમજ પ્રવર્તતી હતી અને કરચોરો – કાળાબજારિયા માટે જે નફરત પ્રવર્તે છે તેનો રાજકીય લાભ લેવા માટે આ વીરતાભર્યું લાગે એવું લોકરંજક (પોપ્યુલિસ્ટ) પગલું ભરવામાં આવ્યું. એની આકરી કિંમત ખેડૂતોએ અને અસંગઠિત ક્ષેત્રના ઉત્પાદકો અને કામદારોએ ચુકવી છે.

ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) મોદીશાસનમાં કરવામાં આવેલો એક મોટો કરવેરા અંગેનો બંધારણીય સુધારો છે. પણ કરવેરાનો આ સુધારો ૧પમી ઑગસ્ટ ૧૯૪૭એ દેશને આઝાદી મળી એવો શકવર્તી હોય તેમ એને અંગેનો કાયદો પસાર કરવા માટે પાર્લમેન્ટની બેઠક મધરાતે રાખવામાં આવી. જી.એસ.ટી. દ્વારા કરવેરાની પ્રથામાં કરવામાં આવેલા સુધારાની ઇચ્છનીયતા વિશે જેમ કોઈ વિવાદ નથી તેમ કરવામાં આવેલા કાયદાની અણઘડતા અંગે પણ કોઈ મતભેદ નથી. કાયદામાં અગણિત સુધારા કરવા પડ્યા છે તે દર્શાવે છે કે પૂરતો અભ્યાસ અને વિચારણા કર્યા વિના અત્યંત ઉતાવળથી આ કાયદો તૈયાર કરીને અમલમાં મુકાયો. દેશના અસંગઠિત ક્ષેત્રની કરના આ સુધારાએ કમર તોડી નાખી છે. દેશમાં જે બેકારી વધી છે તેમાં જી.એસ.ટી.નો ફાળો મોટો હોવાની સંભાવના ઘણી મોટી છે. મોટું અસંગઠિત ક્ષેત્ર ધરાવતા ભારત જેવા દેશમાં, આ અનુભવના આધાર પર જી.એસ.ટી. કેટલો વ્યવહારુ અને ઇચ્છનીય છે તે વિચારવા જેવું છે.

નાદારી અંગેનો કાયદો એક સાચી દિશાનું પગલું છે. આ પગલાથી લોન અને તેના પરનું વ્યાજ ન ચુકવનારા પૂર્વે તેમના ધંધા પરનો માલિકી હક્ક ચાલુ રાખી શકતા હતા તે હવે ચાલુ રાખી શકશે નહીં. તેથી લોન ચુકવવાની શક્તિ હોવા છતાં લોન ન ચુકવનારાઓની સંખ્યા ઘટશે. અલબત્ત, ધિરેલાં નાણાં કેટલાં પાછાં ફરશે અને કેટલાં માંડી વાળવાં પડશે એ પ્રશ્ન તો રહેશે. એક હેવાલ પ્રમાણે અત્યાર સુધીની કાર્યવાહીમાં રૂ. ૮૪,૦૦૦ કરોડ માંડી વાળવામાં આવ્યા છે.

મોદીશાસનમાં મોટો પ્રશ્ન ખેતીના ક્ષેત્રે ઊભો થયો છે. યુ.પી.એ.નાં છેલ્લાં ચાર વર્ષોમાં (ર૦૧૦-૧૪) ખેતીના ક્ષેત્રે જી.ડી.પી.માં પ.ર ટકાના દરે વધારો થયો હતો. મોદીના શાસનનાં પહેલાં ચાર વર્ષોમાં એ વૃદ્ધિદર ર.૯ ટકા રહ્યો. સરકાર દ્વારા પ્રગટ થતા ઇકોનોમિક સર્વે : ર૦૧૭-૧૮માં આના સંદર્ભમાં નોંધવામાં આવ્યું છે કે ‘‘છેલ્લાં ચાર વર્ષોમાં ખેતીની વાસ્તવિક આવક સ્થગિત રહી છે.’’ આનો અર્થ એવો થાય કે મોદીશાસનનાં પ્રથમ ચાર વર્ષ દરમિયાન જી.ડી.પી.માં ૭.૪ ટકાના દરે વધારો થયો હોવાનો જે દાવો કરવામાં આવે છે તેનો કોઈ લાભ ખેતીના ક્ષેત્રે નભતા દેશના ૪૮ ટકા જેટલા લોકોને મળ્યો નથી. હકીકતમાં ખેતીના ક્ષેત્રે મંદી જેવી સ્થિતિ પ્રવર્તે છે. ઉત્પાદનખર્ચના સાપેક્ષમાં ખેતપેદાશોના નીચા ભાવોને કારણે ખેતીનો ધંધો ખોટનો થઈ ગયો છે. નાબાર્ડના સર્વેમાંથી બહાર આવેલી વિગત પ્રમાણે ખેડૂત કુટુંબ દીઠ સરેરાશ દેવું રૂપિયા એક લાખ જેટલું છે. ખેતી ક્ષેત્રની આજની સમસ્યાના સંદર્ભમાં ભૂતકાળની નોખા સ્વરૂપની કટોકટીનું સ્મરણ કરવા જેવું છે.

દેશમાં ૧૯૬પ અને ૧૯૬૬ના કારમા દુકાળો પછી હરિયાળી ક્રાંતિના સંદર્ભે ખેતીના ક્ષેત્રે નીતિઓનું જે પેકેજ અપનાવવામાં આવ્યું હતું તે મહદંશે ચાલુ જ રહ્યું છે. જો કે કૃષિક્ષેત્રની પાયાની સમસ્યા બદલાઈ ગઈ છે. ગઈ સદીમાં અનાજની કારમી તંગીનો પ્રશ્ન હતો. દેશ અનાજની આયાતો પર નભતો હતો. તેથી અનાજનું ઉત્પાદન વધારવું તે બને તેટલી વહેલી ઉકેલવાની સમસ્યા હતી. એ માટે સંકર બીજનો ઉપયોગ થઈ શકે તેવા સિંચાઈની સગવડ ધરાવતા વિસ્તારો પસંદ કરવામાં આવ્યા; મોસમના આરંભે તળિયાના-ટેકાના ભાવો જાહેર કરીને ખેડૂતોને ભાવો અંગે સધિયારો આપવામાં આવ્યો; ઉત્પાદન ખર્ચની ગણતરી કરીને ખેડૂતોને વળતરદાયક ભાવો સૂચવવા માટે કમિશનની રચના કરવામાં આવી; જાહેર કરેલા તળિયાના ભાવે ખેડૂતો પાસેથી અનાજ ખરીદવા અન્નનિગમની રચના કરવામાં આવી; ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવા પ્રેરાય તે માટે સબસિડી આપવાની પ્રથા શરૂ કરવામાં આવી. આમ દેશની અન્નસમસ્યા ઉકેલવા માટે એક સુસંગત નીતિવિષયક માળખું રચવામાં આવ્યું હતું, જે પ્રશ્નનું સ્વરૂપ બદલાયા પછીયે ચાલુ રહ્યું છે. યુ.પી.એ.ના શાસનની જેમ મોદીશાસનમાં પણ ચાલુ રહ્યું છે.

હવે પ્રશ્ન ખેતપેદાશોની તંગીનો નથી પણ તેમની વિપુલતાનો છે જે વિવિધ ખેતપેદાશોના નીચા, ન પરવડે એવા ભાવો દ્વારા વ્યક્ત થાય છે. બીજો પ્રશ્ન વધારે ગંભીર છે. ૧૯૯૧માં બજાર અને ખાનગી સાહસને કેન્દ્રમાં મૂકતી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિને અપેક્ષિત સફળતા સાંપડી નથી. હા, એનાથી જી.ડી.પી.નો વૃદ્ધિદર મોટા પ્રમાણમાં વધ્યો છે, પણ એ નીતિથી ચીન આદિ પૂર્વ એશિયાના દેશોમાં ઉદ્યોગોનો વિકાસ જેટલા મોટા પ્રમાણમાં થયો તેટલો ભારતમાં થયો નથી. તેથી ખેતીની બહાર રોજગારીની મોટા પાયા પર જે તકો સર્જાવી જોઈતી હતી તે સર્જાઈ નથી. એના પરિણામે ખેતી પરના શ્રમિકોના ભારણમાં ઝાઝો ઘટાડો થઈ શક્યો નથી. તેથી આજે બે હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોનું પ્રમાણ ૮પ ટકા જેટલું મોટું છે. આ કદાચ ભારતનો આગવો પ્રશ્ન છે. આ અતિ મોટી સંખ્યામાં રહેલા નાના ખેડૂતોની ઉત્પાદકતા વધારીને તેમની આવક વધારવા માટે ખેતીમાં વૈવિધ્યીકરણ કરવાનું છે. તે માટે ખેડૂતો ઉપજાઉ પાકો તરફ વળે એવા સંજોગો સર્જવાના છે. એ માટે હરિયાળી ક્રાંતિની સફળતા માટે જેવું સુસંગત નીતિવિષયક માળખું રચવામાં આવ્યું હતું તેવું માળખું રચવું પડે અને સરકારે ખેતીક્ષેત્રે મોટાં રોકાણો કરવાં પડે. પણ મોદીશાસનમાં ખેતીક્ષેત્રે પ્રવર્તતી મંદી જેવી સ્થિતિને ગંભીરતાથી લેવામાં જ આવી નથી. તેથી જ નાના ખેડૂતોને રૂ. ૬૦૦૦ની ખેરાત કરીને પ્રશ્નને ઉકેલી નાખ્યાનો સંતોષ મોદીશાસને અનુભવ્યો. પરિણામે બીજાં પાંચ વર્ષ ખેતીના ક્ષેત્રે નીતિવિષયક પરિવર્તનો વગરનાં ગયાં.

બીજો વિકટ પ્રશ્ન બેકારીનો ઊભો થયો છે. અલબત્ત, એ આગળથી ચાલ્યો આવતો પ્રશ્ન છે, પણ વર્ષે બે કરોડ રોજગારી સર્જવાનું વચન આપીને સત્તા પર આવેલા મોદીના શાસનમાં એ પ્રશ્ન વધારે વકર્યો છે. મોદી સરકારે દબાવી રાખેલા એન.એસ.એસ.ના ‘લેબર ફોર્સ’ અંગેના હેવાલમાં રોજગારી ક્ષેત્રે પ્રવર્તતી ચિંતાજનક સ્થિતિની વિગતો બહાર આવી ગઈ છે. સર્વેના વર્ષ ર૦૧૭-૧૮માં દેશમાં એકંદરે ૬.૧ ટકાની બેકારી માલૂમ પડી હતી, જે ૪પ વર્ષમાં બેકારીનો સહુથી ઊંચો દર છે. આની સરખામણીમાં ર૦૧૧-૧રમાં દેશમાં બેકારીનું પ્રમાણ ર.ર ટકા હતું. એન.એસ.એસ.ના અંદાજને એક ખાનગી પ્રતિષ્ઠિત સંસ્થા(CMIE)નો અંદાજ સમર્થન પૂરું પાડે છે. એ અંદાજ પ્રમાણે ર૦૧૮માં દેશમાં એક કરોડથી અધિક લોકોએ તેમની રોજગારી ગુમાવી હતી. આર્થિક વૃદ્ધિથી વધુ રોજગારી સર્જવાની ક્ષમતા સર્જવાની દિશામાં કોઈ પ્રયાસો ગત પાંચ વર્ષમાં થયા નહિ. ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ની વાત ભુલાઈ ગઈ.

બેકારીના પ્રશ્નનું બીજું પાસું શિક્ષિતોની બેકારીનું છે. એના સ્વરૂપને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. દેશમાં ૬ર,૯૦૭ મદદનીશો-ખલાસીઓની ભરતી કરવાની કામગીરી ચાલી રહી છે. આ જગા માટેના અરજદારોમાં ચાર લાખથી અધિક બી.ટેક. અને ચાલીસ હજારથી અધિક એંજિનિયરીંગની માસ્ટર ડિગ્રી ધરાવનારા છે. સ્વનિર્ભર કૉલેજો મોટી સંખ્યામાં સ્થપાઈ હોવાથી ઇજનેરી આદિ વ્યાવસાયિક શિક્ષણ મેળવવાનું સરળ થઈ ગયું છે. અલબત્ત, એના માટે ઊંચી ફી ચુકવવી પડે છે. પણ વાલીઓ એમનાં સંતાનોની સારી કારકિર્દીની આશાથી નાણાં ખર્ચવા તૈયાર થાય છે. આમાં ખેતકુટુંબોનો પણ સમાવેશ થાય છે. પણ આ મોંઘું વ્યાવસાયિક શિક્ષણ મેળવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓની જે દશા થાય છે તે ઉપરના દાખલામાં જોઈ શકાય છે. એની સામે એવી દલીલ કરવામાં આવે છે કે આ બધી વ્યાવસાયિક શિક્ષણની કૉલેજોમાંથી બહાર પડતા સ્નાતકોના ૮૦ ટકા રોજગારી માટેની પાત્રતા જ ધરાવતા હોતા નથી. અહીં પ્રશ્ન થાય કે આવી ધોરણો વગરની કૉલેજોને શા માટે મંજૂરી મળે છે અને એને નિભાવી લેવામાં કેમ આવે છે? વિદ્યાર્થીઓ સાથેની આ છેતરપીંડી નથી? યુ.પી.એ. શાસનમાં તો એ ચાલ્યું પણ મોદીશાસનમાં પણ એ ચાલુ જ રહ્યું. મોદીશાસન પોતાની કોઈ શિક્ષણનીતિ પણ આપી શક્યું નહિ.

એકંદરે આર્થિક વિકાસની દૃષ્ટિએ, એટલે કે જી.ડી.પી.ની વૃદ્ધિની બાબતમાં મોદીશાસનનો કાર્યકાળ, એની આગળના યુ.પી.એ.ના એક દસકાના શાસનકાળની તુલનામાં કેવો રહ્યો તેવો પ્રશ્ન ઊભો થાય તે સહજ છે. આ તુલનામાં એક શાસ્ત્રીય પ્રશ્ન ઊભો થયો. યુ.પી.એ.નો વૃદ્ધિદર ર૦૦૪-૦પને આધાર વર્ષ તરીકે લઈને ગણવામાં આવ્યો હતો. પણ મોદીશાસનમાં આધાર વર્ષ બદલીને ર૦૧૧-૧રનું કરવામાં આવ્યું. તેથી ૨૦૧૧-૧૨ પૂર્વેમાં વર્ષોથી જી.ડી.પી. અને તેના વૃદ્ધિદરને પછીનાં વર્ષો સાથે તુલનાત્મક બનાવવા માટે તેનું ૨૦૧૧-૧૨ના ભાવોએ નવેસરથી આગણન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. એ કામગીરી માટે કમિશને એક સમિતિ નીમી. તેણે જે અંદાજો રજૂ કર્યા તે સરકારને માફક ન આવ્યા. સમિતિએ આપેલા તુલનાત્મક અંદાજો આ પ્રમાણે હતા :

યુ.પી.એ.-૧ (૨૦૦૪-૨૦૦૫થી ૨૦૦૮-૦૯) જી.ડી.પી.નો વૃદ્ધિદર : ૮.૮૭ ટકા,

યુ.પી.એ.-૨ (૨૦૦૯-૧૦થી ૨૦૧૩-૧૪) ૭.૩૯ ટકા.

મોદી સરકાર (૨૦૧૪-૧૫થી ૨૦૧૭-૧૮) ૭.૩૫ ટકા.

યુ.પી.એ. શાસનનો જી.ડી.પી.નો વૃદ્ધિદર પોતાના શાસનની તુલનામાં વધારે હોય એ મોદી સરકારને માન્ય ન હોય તે સમજી શકાય તેવું છે. તેથી તેણે નીતિઆયોગને કામે લગાડ્યું. તેણે અપેક્ષા પ્રમાણે મોદી સરકારને ઊજળી દેખાડતા અંદાજો આપ્યા. ૨૦૦૫-૦૬થી ૨૦૧૩-૧૪ : જી.ડી.પી.નો વૃદ્ધિદર ઘટીને ૬.૭ ટકા થઈ ગયો અને મોદીસરકારનાં શાસનનાં પ્રથમ ચાર વર્ષનો વૃદ્ધિદર સહેજ વધીને ૭.૪ ટકા થયો. આ દર હજીયે વધશે; કેમ કે વચગાળાનું અંદાજપત્ર રજૂ કરી તત્કાલીન નાણાપ્રધાને નોટબંધીના વર્ષે ૨૦૧૬-૧૭ની જી.ડી.પી.નો વૃદ્ધિદર ૭.૧ ટકાથી વધારીને ૮.૧ ટકા કર્યો છે.

પણ આ વૃદ્ધિદરની ખરાઈ બાબતે એક પ્રશ્ન ઊભો થાય છે. નોટબંધી અને જી.એસ.ટી.ના અમલથી અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્રમાં રોજગારી ઘટી છે; સમગ્ર અર્થતંત્રમાં રોજગારી ઘટી હોવાની માહિતી બે સ્ત્રોતોમાંથી સાંપડી છે, યુ.પી.એ.નાં વર્ષોમાં મૂડીરોકાણનું પ્રમાણ ૩રથી ૩૪ ટકા મોટા ભાગનાં વર્ષોમાં રહ્યું હતું, એની તુલનામાં મોદીશાસનમાં મૂડીરોકાણો ઘટીને ર૮-ર૯ ટકા રહ્યાં છે અને ત્રીજું યુ.પી.એ. શાસનમાં દેશની નિકાસોનો વૃદ્ધિદર દ્વિઅંકી રહ્યો હતો અને દેશની નિકાસો ર૦૧૩-૧૪માં ૩૧૪ અબજ ડૉલરની સપાટી પર પહોંચી હતી. મોદીશાસનનાં આરંભનાં વર્ષોમાં દેશની નિકાસો ઘટી જવા પામી, એ પછી તેમાં બહુ નીચા દરે જ વધારો થયો છે. આ ત્રણે પરિબળોના આધારે વિચારીએ તો મોદીશાસનનાં વર્ષોમાં વૃદ્ધિદર યુ.પી.એ. શાસનનાં વર્ષોના વૃદ્ધિદર કરતાં વધારે ન હોઈ શકે. પણ હશે, ચમત્કારો આજે .ય બને છે!

પણ હવે દેશના અર્થતંત્રમાં ‘સ્લો ડાઉન’ની ચર્ચા થવા માંડી છે. જાન્યુઆરી, ’૧૯માં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૭ ટકાનો જ વધારો થયો, જે ડિસેમ્બર, ’૧૮માં ર.૬ ટકા હતો. દેશની જીડી.પી.નો વૃદ્ધિદર મહદંશે લોકોના વપરાશના ખર્ચ પર અવલંબિત છે. તેમાં ચાલુ વર્ષે ૮.૪ ટકાનો વધારો થયો છે, જે આગલા વર્ષે લગભગ દસ ટકા થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર ઘટીને ૬.૬ થવાનો અંદાજ છે. તેથી ર૦૧૮-૧૯ના વર્ષમાં વૃદ્ધિદર સાત ટકાથી ઓછો (એક અંદાજ પ્રમાણે ૬.૮ ટકા) રહેશે એમ માનવામાં આવે છે. આમ છતાં, ભારતનું અર્થતંત્ર દુનિયાનાં મોટાં અર્થતંત્રોમાં સહુથી ઊંચા દરે વૃદ્ધિ પામતું અર્થતંત્ર તો રહે જ છે. દુનિયાની જી.ડી.પી. ત્રણ ટકાના દરે વધશે એવો અંદાજ છે. ત્યાં સ્લો ડાઉનની ચર્ચા થાય તે સમજી શકાય. પણ સાત ટકાના નજીકના દરે વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્રમાં સ્લો ડાઉન અને ‘રિવાઈવલ’ની ચર્ચા થાય તે એક સમજવી પડે તેવી વાત છે.

વાત એમ છે કે દેશના અર્થતંત્રમાં ખેતીના ક્ષેત્રે મંદી જેવી સ્થિતિ પ્રવર્તે છે; ઉદ્યોગોના ક્ષેત્રે કોર્પોરેટ સેકટરનાં મૂડીરોકાણો સાત વર્ષથી ઘટી રહ્યાં છે. એના પરિણામે જેને ઉદ્યોગોનું ‘કૉર સેકટર’ કહેવામાં આવે છે તે આઠ ઉદ્યોગોનો ઉત્પાદનવૃદ્ધિનો દર ઘટતો જાય છે. જાન્યુઆરી ’૧૯માં તે ર.૪ ટકા થયો હતો. સમગ્ર રીતે જોઈએ તો ર૦૦૪-૦પથી ર૦૧૧-૧રનાં વર્ષોમાં ઔદ્યોગિક ઉત્પાદન લગભગ દસ ટકાના દરે વધ્યું હતું. એ પછીનાં વર્ષોમાં એ દર જળવાઈ રહ્યો નથી. મોદીએ શાસનનાં સૂત્રો સંભાળ્યાં પછી ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’, ‘મુદ્રા’ જેવા કાર્યક્રમોની ઘોષણા કરી પણ તેનો કોઈ ઉત્સાહપ્રેરક પ્રતિભાવ ઉદ્યોગજગતે આપ્યો નથી. અલબત્ત, ‘મુદ્રા’ નીચે ચાર કરોડ લોકોને લોનો આપવામાં આવી છે એવો દાવો કરવામાં આવ્યો છે, પણ એનો કોઈ ‘ફોલો અપ’ સર્વે થયો છે કે કેમ તે એક પ્રશ્ન છે. જે વિદેશી મૂડીરોકાણો (FDI) દેશમાં આવ્યાં છે તે મોટેભાગે સેવાનાં ક્ષેત્રોમાં થયાં છે. આમ દેશના ઉદ્યોગો(મેન્યુફેકચરિંગ)ના વિભાગને ‘રિવાઇવ’ કરવાનો છે. રોજગારીના સર્જન માટે ઉદ્યોગો વાઇબ્રન્ટ થાય તે અત્યંત જરૂરી છે. મોદીશાસન એ કરી શક્યું નથી.

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 10, 11 તેમ જ 09

Loading

...102030...2,9352,9362,9372,938...2,9502,9602,970...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved