Opinion Magazine
Number of visits: 9968854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચશ્માં

નવ્યાદર્શ|Poetry|15 April 2019

એક દિવસ મારાથી એના ચશ્માં તૂટી ગયાં
જ્યારે મારી સાળીના પાલવનો હળવો ઝોક લાગ્યો ત્યારે
એના બે દિવસ પછી ફરી એના ચહેરા પર નવાં ચશ્માં હતા
એ દિવસે એને મન ભરીને જોયો
કારણ કે, બે દિવસ તો એમની ચશ્માં વગરની આંખોથી બચતી રહી
રખેને જોવાઈ જાય તો ગુસ્સો જ ફૂટી નીકળે એનો
પણ એના નવાં ચશ્માંએ એનો ગુસ્સો પીગળાવી દીધો હતો
ના ના
નવાં ચશ્માં સાથેના મારા વહાલે
એનો ગુસ્સો ઊતારી દીધો હતો
એ દિવસે એ પણ દર્પણનો દીવાનો બન્યો હતો
જ્યારે ઘરે જતો તો મસ્તીખોર બાળકોના હાથોથી એમનાં ચશ્માં તૂટતાં
ત્યારે બાળકો સામે હસતો તે
ક્યારેક પોતાના જ હાથ અડવાથી જમીન પર પડી જતાં
ત્યારે ચશ્માંના કાચ તૂટી જતા
તેમનું હૃદય પણ તૂટતું
આખરે એમણે
અનબ્રેકેબલ કાચ નંખાવ્યા
તો પણ ક્યારેક પોતાના હાથથી મારોડાય જતાં અને બટકી જતાં
આજે જ્યારે એ ચશ્માં પહેરી સામે આવે છે
હું સંભાળીને મૂકી રાખું છું
આજે જ્યારે હું અરીસામાં મારા ચહેરાને જોઉં છું
અને તેમાં મારી આંખોને
ત્યારે ચશ્માં અંદરની તેની
ભોળી અને ભાવભીની આંખો તરી આવે છે મારી યાદોમાં
વારંવાર તૂટતાં હૃદયની એને આદત પડી ગઈ હતી
કદાચ એ હૃદય પણ એના ચશ્માં માફક
અનબ્રેકેબલ બની ગયું હશેને?
કે પછી કોઈએ એને પણ મારોડી નાખ્યું હશે?
મારું હૃદય એના અનબ્રેકેબલ ચશ્માં માફક હવે તૂટતું નથી
જીવનની વરવી વાસ્તવિકતાનો સ્વીકાર કરી
એક કદમ, બસ એક કદમ આગળ ચાલી ગઈ હતી
અનબ્રેકેબલ હૃદય સાથે
હવે જયારે ક્યારેક અતીતની વાટે જાઉં છું
ત્યારે તે મને ત્યાં જ મળે છે જ્યાં મેં એને છોડ્યો હતો
હવે તે પોતાના ચશ્માંને નથી સાચવતો
બસ એની બે ભોળી આંખો
શોધ્યે રાખે છે
ખાલી અને સૂનસાન રસ્તાઓમાં, કે પછી ક્યારેક ભીડમાં
કે ક્યારેક કોઈ મળી જાય એને
ઘણીવાર વાસ્તવિકતા આગળ
સપનાઓ હારી જતાં હોય છે
પણ ઉમ્મીદ એની આંખોમાં આજે પણ
એવી જ હતી.

e.mail : navyadarsh67@gmail.com

Loading

તત્ ત્વમ્ અસિ એટલે શું?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 April 2019

આ એક મીઠી મૂંઝવણ છે.

ઉપનિષદ અમૃતસાગર છે. એટલે એમાંથી શું લેવું અને શું ન લેવું એ સવાલ મૂંઝવે એવો છે. કુલ ઉપનિષદ ૧૦૮ છે. એમાંથી ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મૂંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય અને બૃહદારણ્યક એમ દશ ઉપનિષદોને મુખ્ય માનવામાં આવે છે. કેટલાક શ્વેતાશ્વેતરોપનિષદને જોડીને ૧૧ ઉપનિષદોને મુખ્ય ગણાવે છે તો વિનોબા ભાવે આ અગિયાર ઉપરાંત કૌષીતકિ, મૈત્રાયણ્યુપનિષદ, નારાયણોપનિષદ, જાબાલોપનિષદ, આરુણિકોપનિષદ, કૈવલ્યોપનિષદ, બ્રહ્મબિંદુપનિષદને ઉમેરીને ૧૮ ઉપનિષદોને મહત્ત્વનાં ગણાવે છે. પહેલાં ૧૧ અગિયાર ઉપનિષદો એટલાં જાણીતાં છે કે તેનાં નામ તમે અવશ્ય સાંભળ્યાં હશે.

સનાતનીઓના અભિપ્રાયને છોડી દો તો ઉપનિષદોને લગતા જે બે-ચાર અભિપ્રાયો વિશે વિદ્વાનોમાં લગભગ એકમત છે એ અહીં ટાંકવા જોઈએ.

૧. એમ કહેવાય છે કે આ ઉપનિષદો વેદોની પ્રારંભિક સંહિતાઓ લખાઈ એ પછીનાં ૫૦૦ વરસના અરસામાં લખાયાં હશે.

૨. જેમ જેમ સમય વીતતો ગયો એમ વેદચિંતન ગહન બનતું ગયું અને ઉપનિષદોમાં તે નવી ઊંચાઈ પામતું ગયું. અઢી ત્રણ હજાર વરસ પહેલાં એ ઊંચાઈએ ફરકતો આત્મજ્ઞાનનો ધ્વજ આજે પણ એ જ ઊંચાઈએ જરા પણ નિસ્તેજ થયા વિના ફરકે છે.

૩. પૂર્વ વૈદિક યુગમાં પ્રજા પૂજા-પાઠ, કર્મકાંડ, યાચનાઓમાં ગ્રસ્ત થવા માંડી હતી અને અધિકાર-અનધિકારના ભેદ પડવા લાગ્યા હતા એટલે સમાજને પાછો સાચે માર્ગે વાળવા ઉપનિષદ લખાયાં હતાં. આ દ્રષ્ટિએ ઉપનિષદો સામાજિક પ્રબોધન અને સુધારાઓ માટે લખાયેલાં ગ્રંથ છે.

૪. ઉપનિષદોના ઋષિઓ અને પાછળથી શ્રમણ ધર્મના અર્હંતો તરીકે સ્થાપિત થયેલા માનવતાવાદી વિચારકો સમકાલીન હતા અને બંનેનો ઉદ્દેશ ધાર્મિક-સામાજિક-વૈચારિક ગતિરોધ દૂર કરવાનો હતો.

૫. આત્મસંશોધન(સેલ્ફ કરેકશન)ની પ્રક્રિયા ભારતમાં પ્રાચીનયુગથી છે.

ઉપનિષદો વિશે વિદ્વાનોના જે પાંચ અભિપ્રાય અહીં આપ્યા છે, એમાં કેટલીક ધારણાઓ છે, અભિપ્રાયો છે, પરંતુ બીજો મુદ્દો નક્કર વાસ્તવિકતા છે. વ્યષ્ટિ અને સમષ્ટિ વિશે વિચારતાં વિચારતાં માનવચિત્તે જે ઊંચાઈ પ્રાપ્ત કરી છે એ ઉપનિષદોમાં પરિણમી છે. બૃહદકારણ્યકોપનિષદમાં ઋષિ કહે છે,

अत्र पिता अपिता भवति, माता अमाता
I देवो अदेवा: I वेदा अवेदा:(બૃહદ. ૧૦૨) શું કહે છે?

મનુષ્ય જ્યારે ઊંચાઈને પ્રાપ્ત કરી લે છે ત્યારે પિતા પિતા નહીં રહે, માતા માતા નહીં રહે, દેવ દેવ નહીં રહે અને એના વેદ વેદ નહીં રહે. આ બધું જ પોતાનામાં આત્મસાત્ થઈ ગયું અને વેદો સહિતના અવલંબનો ખરી પડયાં. વેદ પોતાને અવલંબન તરીકે ઓળખાવે છે અને આત્માનુભૂતિ પછી પોતાને ખરી પડવા જોગ એટલે કે અપ્રાસંગિક ગણાવે છે એ ઓછી હિંમત કહેવાય?

આવું ખુલ્લાપણું અને મોકળાશ વેદોના સમયથી ચાલી આવે છે અને આપણે તેના માટે સકારણ ગૌરવ લઈ શકીએ એવા વારસ છીએ.

પ્રારંભમાં જ કહ્યું એમ ઉપનિષદો વિશે લખતાં મારા મનમાં મૂંઝવણ હતી કે શું લઉં અને શું છોડું. વિનોબાએ જે ૧૮ ઉપનિષદોને મહત્ત્વનાં ગણાવ્યાં છે તેના મંત્રોની સંખ્યા ૭૩૬ થાય છે. એ મંત્રોમાંથી છોડી જ ન શકાય એવા મંત્રોની યાદી બનાવી તો ૭૦ કરતાં વધુ થાય છે. પછી વિચાર કર્યો કે ઉપનિષદોના આચમન તરીકે માત્ર મહાવાક્યોની વાત કરવી. ઉપનિષદોમાં આખા મંત્રો નહીં, પણ બબ્બે શબ્દોના મુખ્યત્વે પાંચ મહાવાક્યો છે. સંધી છૂટી પાડો તો ચાર શબ્દો થાય. આ મહાવાક્યો ખરેખર મહાવાક્યો છે અને જો તેનું ભાષ્ય કરવામાં આવે તો એક એક પર એક એક પુસ્તક થાય અને થયાં પણ છે.

પહેલું મહાવાક્ય એતરેયોપનિષદનું છે – प्रज्ञानं ब्रह्म જેનો અર્થ થાય છે, ‘પ્રજ્ઞાનરૂપ બ્રહ્મ.’

પ્રજ્ઞાનનો અર્થ સમજાવતા ઋષિ કહે છે કે, “જેનાથી મનુષ્ય જુએ છે, સાંભળે છે, સૂંઘે છે, બોલે છે, સ્વાદ-આસ્વાદનો ભેદ કરી શકે છે, જે હૃદય અને મન છે, જેના દ્વારા મનુષ્ય સંકલન-આકલન કરે છે, મનુષ્યમાં રહેલી વિશ્લેષણ શક્તિ, પ્રજ્ઞા, મેધા, દ્રષ્ટિ, મનન શક્તિ, વિવેક, પ્રેરણા, સ્મૃતિ સંકલ્પ, કર્મ-નિર્ણય, પ્રાણવૃત્તિ, કામના, સ્વાધીનતા એ બધાં પ્રજ્ઞાનનાં નામ છે.

બીજું મહાવાક્ય માંડૂક્ય ઉપનિષદનું છે – अयमात्मा ब्रह्म જેનો અર્થ થાય છે, ‘આ આત્મા બ્રહ્મ છે.’

ઋષિ સમજાવે છે. આ સર્વ બ્રહ્મ છે. આ આત્મા બ્રહ્મ છે. એ આત્મા (વિશ્વ, તેજસ, પ્રાજ્ઞા, તુરીય ) એમ ચતુષ્પાદ છે.

ત્રીજું મહાવાક્ય બૃહદારણ્યકોપનિષદનું છે – अहं ब्रह्मा स्मि, જેનો અર્થ થાય છે, ‘હું બ્રહ્મ છું.’

આ મંત્રની સમજ આપતા ઋષિ કહે છે, પહેલા માત્ર બ્રહ્મ જ હતું, બીજું કાંઈ નહોતું. એ પછી હું બ્રહ્મ છું એ રીતે મેં મારી જાતને ઓળખી અને બધું ‘સર્વ’ થઈ ગયું. દેવોમાં જેને જેને આ સમજાયું એ તદ્રુપ થઈ ગયા. જે ઋષિઓએ જાણ્યું એ તદ્રુપ થઈ ગયા વગેરે.

ચોથું મહાવાક્ય છાંદોગ્યઉપનિષદનું છે तत्त्व मसि  જેનો અર્થ થાય છે, ‘એ (બ્રહ્મ) તું છે.’

तत् त्वम् असि એટલે કે તું દોષોનું પોટલું નથી, પાપી નથી, અધૂરો નથી; પણ તું બ્રહ્મ છે. મહાવાક્યનો ચોક્કસ અર્થ થાય છે ‘એ તું છે.’ તું જ બ્રહ્મ છે અને તારાથી બ્રહ્મ અલગ નથી. તો પછી અધૂરપ છે એ શું છે? તો કહે એ અજ્ઞાન છે. અજ્ઞાનના પડળ હટી જશે એટલે બ્રહ્મ આપોઆપ સિદ્ધ થઈ જશે. એ પછી ઋષિ મહાવાક્યની સમજ આપતા કહે છે, “ હે સોમ્ય! જે રીતે મધમાખીઓ અનેક દિશાઓનાં અનેક વૃક્ષોમાંથી રસ લાવીને મધ બનાવતી હોય છે અને ‘હું આ વૃક્ષનો રસ છું, હું આ વૃક્ષનો રસ છું’ એવું આકલન શક્ય રહેતું નથી એ રીતે બધા લોકો ‘સત્’ને પ્રાપ્ત કર્યા પછી અને સ્વયં સત્ સાથે એકરૂપ હોવા છતાં તેને તેની ખબર નથી હોતી. એ લોકો (સત્ સાથે એકરૂપ હોવા છતાં) ઇહ લોકમાં વાઘ, સિંહ, બકરી, કીડો, પતંગિયું, મચ્છર બનીને રહે છે.”

આ ખુલાસો સાંભળ્યા પછી પણ શિષ્ય શ્વેતકેતુને મહાવાક્યનું રહસ્ય નથી સમજાતું એટલે તે સાત વાર वि ज्ञापयत्विति विज्ञापयत्विति કહે છે. હે ભગવન્ મને સમજાયું નથી, ફરી સમજાવો, ફરી સમજાવો.

આ મહાવાક્ય, તેનો અનુવાદ અને વિનોબા ભાવેએ કરેલી વ્યાખ્યા પછી મને સમજાયું કે હું પોતે જ શ્વેતકેતુની અવસ્થામાં છું અને विज्ञापयत्विति विज्ञापयत्विति એમ કહેવું પડે એમ છે. એટલે વધારે ડહાપણ ડોળવાની જગ્યાએ એટલું જ કહું છું કે ઉપનિષદો અમૃત-સાગર છે એમાં તમે સ્વયં ડૂબકી મારો અને પોતાની જાતને પ્રશ્ન પૂછો કે જો હું ‘સત્’ સાથે એકરૂપ હોઉં તો પછી મારામાં આ રાગ, દ્વેષ, ધિક્કાર વગેરે તત્ત્વો આવ્યાં ક્યાંથી?

e.mail : ozaramesh@gmail.com 

સૌજન્ય : ’દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 14 ઍપ્રિલ 2019 

Loading

વૈવિધ્ય આપણી તાકાત કે નબળાઈ?

દીપક સોલિયા|Opinion - Opinion|14 April 2019

ફિલ્મ જંઝીરના ક્લાઈમેક્સમાં હીરો અમિતાભ અને વિલન અજિત વચ્ચે જબરી ટક્કર થાય છે. અમિતાભ એકદમ ખુન્નસભેર, લાક્ષણિક એંગ્રી-યંગ-મેન મુદ્રામાં અજિતને યાદ અપાવે છે કે આજથી વીસ વર્ષ પહેલાં આવી જ એક દિવાળીની રાતે તેં મારા મા-બાપનાં ખૂન કરેલાં. એ વખતે અજિત ગ્લાસમાં શરાબ રેડી રહ્યો હતો. એ શરાબ રેડતાં-રેડતાં શાંતિથી કહે છે કે મેં તો મારી જિંદગીમાં અનેક ખૂન કર્યાં છે (એમાં તારાં મા-બાપનાં ખૂન, અને એ પણ આજથી વીસ વર્ષ પહેલાંનાં ખૂન, એમ કંઈ તરત થોડાં યાદ આવે).

અજિત છે તો વિલન જ, પરંતુ તેનું આ લોજિક વાજબી છે. જેનો ધંધો જ ખૂનનો હોય એ કેટલાં ખૂન યાદ રાખે?

એ જ લોજિક પ્રમાણે, જેનો ‘ધંધો’ જ સર્જન-વિસર્જનનો હોય એ કેટલાં સર્જન યાદ રાખે? કેટલાં વિસર્જન યાદ રાખે? આ પૃથ્વીનો જરા ઠંડો પડેલો ગોળો સતત નવાં-નવાં પ્રકારનાં જીવોને જન્મ આપતો રહ્યો છે અને અનેક જીવોને લુપ્ત પણ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં પૃથ્વી પર પાંચ અબજથી વધુ પ્રકારનાં જીવો જીવી ચૂક્યાં છે. પાંચ અબજ પ્રકારનાં જીવો … આપણે પ્રકારો યાદ કરવા બેસીએ તો માનવી, વાનર, હંસ, બતક, ગધેડો … એવા બહુ બહુ તો સો-બસો-ત્રણસો પ્રકાર યાદ કરતાં હાંફી જઈએ, જ્યારે પૃથ્વી પર આવીને જતાં રહેલાં વિવિધ પ્રકારનાં જીવોનો (એમની વસતિનો નહીં, એમના પ્રકારોનો) આંકડો પાંચ અબજને વટી ચૂક્યો છે, જેમાંના ૯૯.૯૯ (અનેક નવડા) પ્રકારના જીવો લુપ્ત પણ થઈ ચૂક્યા છે. અત્યારે, આજની તારીખે જેટલાં પ્રકારનાં જીવો બચેલાં છે, તેમાંથી ફ્ક્ત બારેક લાખ જીવોનું જ ડોક્યુમેન્ટેશન થયું છે. બાકીનાં અંદાજિત ૮૬ ટકા જીવો વિશે હજુ આપણને કશી જાણકારી જ નથી. કરો વાત, આપણને લાગે કે આપણે પૃથ્વીને અને જીવોને જાણીએ છીએ, આપણને લાગે કે વિજ્ઞાને ઘણું બધું શોધી લીધું છે, પરંતુ હકીકત એ છે કે આજની તારીખે પૃથ્વી પર જીવતાં મોટાં ભાગનાં જીવો વિશે આપણે કશું જ જાણતા નથી. હા, વિજ્ઞાનીઓ એટલું જાણી-સમજી શક્યા છે કે આજની તારીખે પૃથ્વી પર જેટલાં પ્રકારનાં જીવો છે તેમાંના ૯૦ ટકા પ્રકારો ફ્ક્ત ૧૦ જ ટકા વિસ્તારોમાં એટલે કે ઉષ્ણકટિબંધનાં જંગલોમાં જીવી રહ્યાં છે; એવાં જંગલોમાં, જ્યાં મનુષ્યની ઉપસ્થિતિ પ્રમાણમાં ઘણી પાંખી છે.

તો, મુદ્દો એ છે કે આપણે મનુષ્યો ભલે આપણને પૃથ્વીની શાન ગણીએ, પૃથ્વીને મન તો માનવી હાલના એક કરોડથી વધુ પ્રકારનાં જીવોમાંનો એક છે. એટલું જ નહીં, અન્ય મોટાં ભાગનાં જીવોની સરખામણીમાં મનુષ્ય જુનિયર છે, નવોસવો છે. પોણા ચાર અબજ જૂની જીવસૃષ્ટિમાં માનવી બહુમાં બહુ તો સાડા ત્રણ લાખ વર્ષ જૂનો છે. આવામાં, આપણે મનુષ્યો જો ભૂલેચૂકે પૃથ્વી, સૃષ્ટિ, પ્રકૃતિ સમક્ષ અમિતાભની સ્ટાઈલમાં ડાયલોગ મારીએ કે સાડા ત્રણ લાખ વર્ષથી અમે આ પૃથ્વી પર છવાયેલા છીએ અને અહીં તો અમારું રાજ ચાલે છે … તો સૃષ્ટિ પેલા અજિતની જેમ શાંતિપૂર્વક કહી શકે કે ભઈલા, તારા જેવા તો અહીં કંઈક આવ્યા ને કંઈક ગયા … હું કેટલાનો હિસાબ રાખું?

બરાબર છે. સૃષ્ટિ કેટલું યાદ રાખે? પણ આપણે બે વાત યાદ રાખવી.

૧. પ્રચંડ જૈવિક વૈવિધ્યના અત્યંત બહોળા-પહોળા-ડહોળા ઇતિહાસમાં આપણી, માનવીની ક્ષુલ્લકતા યાદ રાખવી. અહીં તો કંઈક આવ્યા … કંઈક ગયા … એમ આપણે આવ્યા અને આપણે પણ જઈશું … માટે ખાંડનો ઓવરડોઝ કરવો નહીં.

૨. વૈવિધ્ય … આ સૃષ્ટિનું હાર્દ છે, અપાર વૈવિધ્ય … કુદરતે કાળાં અને ધોળાં એવાં ફ્ક્ત બે જ પ્રકારનાં પતંગિયાં બનાવ્યાં હોત તો કોઈ એને પૂછવા નહોતું જવાનું, કોઈ એનું ઓડિટ નહોતું કાઢવાનું, છતાં, સૃષ્ટિએ અસંખ્ય પ્રકારનાં રંગો ધરાવતાં પતંગિયાં બનાવ્યાં અને બીજાં અબજો પ્રકારનાં જીવો રચ્યાં.

શું કામ?  

કારણ કે વૈવિધ્ય એ સૃષ્ટિનું હાર્દ છે. બાયોડાયવર્સિટી(જૈવિક વૈવિધ્ય)ની જે અપાર સમૃદ્ધિ આપણી ચારે તરફ વિખરાયેલી પડી છે તેના પર આપણું ઝાઝું ધ્યાન નથી જતું, પણ તેના પર ધ્યાન આપવા જેવું છે.

ખાસ તો અત્યારે, ચૂંટણી અગાઉ ભારતમાં રચાયેલા ઝંઝાવાતી માહોલમાં શાંતિપૂર્વક સમજવા જેવું એ છે કે આ સૃષ્ટિનાં અબજો પ્રકારનાં જીવોમાંના એક એવા મનુષ્યની અબજોની વસતિમાં પ્રત્યેક મનુષ્ય જુદો છે, તેના અરમાન-અભિપ્રાય-વલણો જુદાં છે. ફ્ક્ત સમસ્યાની જ વાત કરીએ કોઈને હિન્દુ-મુસ્લિમ મુદ્દો સૌથી મહત્ત્વનો લાગે તો કોઈને સ્ત્રીઓના કે દલિતોના કે ગરીબોના હકનો મુદ્દો સૌથી મહત્ત્વનો લાગે. આવામાં, આપણને જેમાં રસ પડે તેમાં ભલે રસ લઈએ, પણ બીજી વ્યક્તિને બીજી વાતોમાં રસ પડે, બીજી વ્યક્તિ જુદું વિચારે, તેને જુદો નેતા ગમે, જુદો પક્ષ ગમે, તેને જુદું શાક ભાવે, તેને પર્વત કરતાં દરિયો વધુ રૂપાળો લાગે … તો ઇટ્સ ઓકે. એમાં બાંયો ન ચડાવાય. “મને જેમાં રસ પડે છે તેમાં તને રસ કેમ નથી પડતો?” “તું મારા જેવો કે જેવી કેમ નથી?” આવું બધું ન પૂછાય.

સૃષ્ટિનું જૈવિક વૈવિધ્ય અને માનવીનું માનસિક-સામાજિક-સાંસ્કૃતિક વૈવિધ્ય … આ બંને બહુ જ મહત્ત્વનાં છે. આ વૈવિધ્ય બળ પૂરું પાડે છે. વિશ્વની અનેક સંસ્કૃતિઓ નાશ પામી પણ આપણી ભારતીય સંસ્કૃતિ ગમે તેવી તો પણ હજુ સુધી ટકી શકી છે તેનું એક મહત્ત્વનું કારણ સૌ સ્વીકારે છે. તે કારણ છે, વૈવિધ્ય … ભારતીય સંસ્કૃતિ જેટલું વૈવિધ્ય બીજે ક્યાં ય નથી. શક્ય છે કે આ વૈવિધ્યને લીધે આપણી સંસ્કૃતિ આટલું લાંબું ટકી.

તો, ચૂંટણીમાં મત કોને આપવો એ નિર્ણય લેવા ઉપરાંત બીજો એક નિર્ણય પણ ભેગાભેગો લઈ લઈએઃ આપણા દેશના સાંસ્કૃતિક વૈવિધ્યને આપણે તાકાત બનાવવા માગીએ છીએ કે નબળાઈ?

વિચારી જોજો.

facebook .com / dipaksoliyan

સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 14 ઍપ્રિલ 2019

Loading

...102030...2,9372,9382,9392,940...2,9502,9602,970...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved