Opinion Magazine
Number of visits: 9577795
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છેલ્લા સો દિવસ અને ઊંધી ગણતરી; ટિક … ટિક … ટિક …!

રમેશ ઓઝા|Opinion - Opinion|21 December 2018

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે હવે અંદાજે સો દિવસ બચ્યા છે, પાંચેક દિવસ આમતેમ. છેલ્લી ત્રણ મુદ્દત(૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪)નો ચૂંટણી કાર્યક્રમ ખાસ ફેરફાર વિના અપનાવવામાં આવશે તો આવતા વર્ષે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ચૂંટણી જાહેર થશે, અને એ પછી, પરીક્ષાખંડમાં જેમ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક અને ગાઈડ બાજુએ મૂકી દેવાનું કહેવામાં આવે છે, એમ નરેન્દ્ર મોદીની સરકારને કહેવામાં આવશે કે હવે કોઈ નવી યોજનાઓ કે નવા નિર્ણયો જાહેર કરવાનાં નથી. તમારે જે કરવું હતું અને તમારાથી જે થઈ શક્યું એ પૂરું થયું. હવે નાગરિકો નક્કી કરશે કે સત્તાસ્થાને તમને પાછા બેસાડવા કે નહીં.

શેના આધારે નાગરિકો તમને પાસ કે નાપાસ કરશે? તમારા કામકાજના આધારે એવો એક આદર્શ જવાબ લોકતંત્રમાં આપવામાં આવે છે, પણ એવું હંમેશાં બનતું નથી. વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું એમ લોકતંત્ર ખૂબ ખરાબ શાસનતંત્ર છે, પરંતુ જગતમાં જેટલાં શાસનતંત્રો ઉપલબ્ધ છે એમાં એ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એ અર્થમાં છે કે એમાં નાગરિકને પોતાનો મત વ્યક્ત કરવાનો મોકો મળે છે, પછી ભલે મતને ખરીદવામાં આવતો હોય કે ખોટી રીતે પ્રભાવિત કરવામાં આવતો હોય. શુદ્ધ અર્થમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી હજુ સુધી તો કોઈ લોકશાહી દેશમાં યોજાતી હોય એવું જોવા મળ્યું નથી.

તો શું વિચારતા હશે નરેન્દ્ર મોદી પોતાના હાથે ખર્ચાયેલા સાડા ચાર વરસ વિષે અને હાથમાં બચેલા સો દિવસ વિષે? ભક્તો અને નિંદકો સામસામાં ધબધબાટી બોલાવે છે, રાજકીય સમીક્ષકોએ નરેન્દ્ર મોદીના અને તેમની સરકારના કામકાજનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું છે, આવતી સામાન્ય ચૂંટણીમાં શું થશે એની સંભાવનાઓ ચર્ચવામાં આવી રહી છે, છેલ્લા સો દિવસમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ શું કરી શકે એના અંદાજ માંડવામાં આવી રહ્યા છે; પરંતુ નરેન્દ્ર મોદી પોતે શું વિચારતા હશે? જે દિવસે લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ ૧૬મી મે ૨૦૧૪ની સાંજની એ મોમેન્ટ અને આજે ૨૦૧૮ના ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની ઊંધી ગણતરીમાંની એક મોમેન્ટ!

શું એ પળ હતી! ૧૯૮૪ પછી ત્રીસ વરસે પહેલીવાર કોઈ રાજકીય પક્ષને લોકસભામાં સુખેથી શાસન કરી શકાય એવી સ્પષ્ટ બહુમતી મળી હતી. સંસદીય લોકતંત્રમાં પ્રતિનિધિગૃહમાં બહુમતી હોવાનો મોટો મહિમા છે. શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી એવી સ્થિતિથી બચી શકાય છે. સારું શાસન આપવા ઈચ્છનારાઓ બહુમતી માટે વલખાં મારતા હોય છે, પણ ભારતનાં સમાજકારણે એવું સ્વરૂપ અપનાવ્યું કે ત્રીસ વરસથી કોઈ રાજકીય પક્ષને બહુમતી નહોતી મળતી. આઝાદી પછી શિક્ષણનો પ્રસાર થયો, એને કારણે ભારતીય પ્રજામાં અસ્મિતાકીય ઓળખો વિકસવા લાગી અને પરિણામે તેની અસર ભારતીય સમાજના તાણા-વાણા ઉપર થઈ. ભારતીય સામાજિક તાણા-વાણા ઘટ્ટ થવાની જગ્યાએ ઊલટાં ઢીલાં પડવા માંડ્યાં. ૧૯૮૯માં કૉન્ગ્રેસે આંતરિક રીતે વિભાજિત થયેલા ભારતમાં બહુમતી ગુમાવી દીધી અને એ પછી કોઈ રાજકીય પક્ષને બહુમતી નહોતી મળતી, તે છેક ૨૦૧૪ સુધી.

તો પછી ૨૦૧૪માં જાદુ કેમ થયો? અટલ બિહારી વાજપેયી જેવા વિરાટ કદના નેતા જે નહોતા કરી શક્યા એ નરેન્દ્ર મોદી કેમ કરી શક્યા? અચૂક નરેન્દ્ર મોદી આ વિષે વિચારતા તો હશે જ અને જો ન વિચારતા હોય તો તેઓ મોટી ભૂલ કરે છે. ઈમેજ મેકઓવરનું અમેરિકન એજન્સીઓને સોંપવામાં આવેલું કામ, પ્રશાંત કિશોર જેવા માર્કેટિંગ મેનોની લેવામાં આવેલી સેવા, પ્રોડક્ટ વેચનારું અને વર્તુળો ભેદતું ભેદતું છેલ્લા સ્માર્ટફોનધારી નાગરિક સુધી પ્રોડક્ટને પહોંચાડનારું મજબૂત સાયબર સેલ, અઢળક પૈસા, અનુકૂળ મીડિયા, કહેવાતા ગુજરાત મોડેલને સફળતાનાં સર્ટિફિકેટ આપનારાઓ, છેક બૂથ લેવલ સુધીની અમિત શાહે વિકસાવેલી ઈલેકશન વિનિંગ મશીનરી વગેરે બહુમતી સુધી પહોંચાડનારાં આનુષંગિક પરિબળો છે; મુખ્ય પરિબળો નથી. 

કોઈ એક જણસ હતી એટલે વેચી શકાઈ પણ એ જણસ કઈ હતી? વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી પોતે? ના. નરેન્દ્ર મોદી એવા કોઈ ગાંધીજી જેવા તપસ્વી નથી કે જેની સુવાસ આપોઆપ લોકો સુધી પહોંચી જાય. જો એમ હોત તો ઉપર ગણાવ્યાં એ માધ્યમોની જરૂર ન પડી હોત. ભારતમાં ૯૦ ટકા પ્રજા અભણ હતી અને છાપાંઓ નહોતી વાંચતી ત્યારે ગાંધીજી છેલ્લા માણસ સુધી પહોંચી શક્યા હતા એનું કારણ તેમની તપસ્વિની સુગંધ હતી. ગાંધીજીને ક્યાં લોકો સુધી પહોંચવા માટે માધ્યમોની જરૂર પડી હતી ! તો શું જાદુગર હુડીનીના ખાલી પિટારા જેવી સાવ આભાસી જણસ હતી? ના, એ વાત પણ સાચી નથી. નરેન્દ્ર મોદીના નિંદકો આમ કહે છે, પરંતુ એ સંપૂર્ણ સત્ય નથી. આભાસ પેદા કરવામાં આવ્યો હતો એ વાત સાચી, પરંતુ એ નક્કર જણસને વિરાટ તરીકે રજૂ કરનારો અભાસ હતો. સાવ આભાસી ઓછાયો નહોતો, કોઈ એક નક્કર ચીજનો ઓછાયો હતો.

તો કઈ એ ચીજ હતી? નરેન્દ્ર મોદી વિચારતા જ હશે અને જો ન વિચારતા હોય તો તેમણે વિચારવું જોઈએ. એકલા જાનૈયાઓએ વરરાજાને માંડવે નહોતા પહોંચાડ્યા. તેમણે તો વરરાજાનાં ઓવારણાં લેતાં ગીતો ગાવાનું અને અને વિરોધીઓને ફટકારતાં ફટાણાં ગાવાનું કામ કર્યું હતું, માંડવે તો નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને વિરાટ રાષ્ટ્રીય સ્વયંવરમાં પ્રજાનું મન જીતી લીધું હતું. એમાંથી ૧૬મી મે ૨૦૧૪ની સાંજની એ અનુપમ પળ પ્રગટી હતી. એ સાંજ સાવ શૂન્યમાંથી નહોતી પ્રગટી. શૂન્યમાંથી કશું જ પ્રગટ નથી થતું એને માટે કોઈક પદાર્થ જોઈએ. તો ક્યાં છે એ પદાર્થ? ખોવાઈ ગયો, હાથમાંથી સરકી ગયો કે પછી જાણીબૂજીને કે ભૂલભૂલમાં ક્યાંક મુકાઈ ગયો અને સાવ ખોટા પદાર્થથી રમવા લાગ્યા? નરેન્દ્ર મોદી સાડા ચાર વરસ પહેલાનાં ૧૬મી મેની સાંજના એ મનોહર દૃશ્યને યાદ કરીને શું વિચારતા હશે! સંતોષ? ગ્લાનિ? કે પછી નવી કીમિયાગીરી?

વિચારો. આવતીકાલે ચર્ચા આગળ લઈ જશું. 

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 ડિસેમ્બર 2018

Loading

આપણા દેશની ખેતીની દુર્દશા નિવારવા માટે કામ અને લેખન કરનાર આદ્ય કર્મશીલ જોતીરાવ ફુલે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|21 December 2018

આપણી પાસે સાંઇનાથ અને યોગેન્દ્ર યાદવ છે, સ્વામીનાથન્‌ અને રઘુરામ રાજન છે.

ઉપરાંત આપણા દેશને ખેડૂતોની વાતના ચાબૂક શાસકો પર મારનાર  જોતીરાવ ફુલેની જરૂર છે

સરકારો ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકે કે ન આપી શકે, પણ તે દેવા માફીની લહાણી તો કરી જ શકે છે. વીતેલાં ત્રણ દિવસમાં ચાર રાજ્યોની સરકારોએ ખેડૂતોને લોનમાફી આપી. વક્રતા એ છે કે તે પહેલાંના જ અઠવાડિયામાં, ગુજરાતમાં એક મહારાષ્ટ્રમાં ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી. બધાએ લોન લીધી હતી અને પાક નિષ્ફળ ગયા હતા. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના અછતગ્રસ્ત તાલુકાઓમાં ચાર દિવસમાં ત્રણ ખેડૂતોએ આપઘાત કર્યા. ખેડૂત આત્મહત્યાનો મહારાષ્ટ્રનો આ વર્ષનો  આંકડો 1,300 ને પાર કરી ગયો છે.

આમ તો મહારાષ્ટ્રમાં ગયાં પચીસેક વર્ષમાં હજારો ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ હકીકત એટલા માટે પણ વધુ આક્રોશજનક લાગે છે કે આ એ રાજ્ય છે કે જેમાં, દેશના ઇતિહાસમાં ખેડૂતોની દુર્દશા વિશે સંભવત: સહુથી પહેલી વાર સક્રિય ચિંતન કરનાર કર્મશીલ મહાત્મા જોતીરાવ ફુલે (1827-1890) થઈ ગયા. જોતિરાવે આધુનિક પદ્ધતિથી ખેતી કરી,ખેડૂતોના પ્રશ્નો અંગે અંગ્રેજ સરકાર સમક્ષ રજૂઆતો કરી અને ‘શેતકર્યાચા અસૂડ’ (ખેડૂતનો ચાબૂક) નામનાં તેમનાં પુસ્તકમાં ખેડૂતોની દુર્દશાનો ચાબખાં જેવી ભાષામાં ચિતાર આપ્યો. જોતીરાવ આમ તો દલિતોની અસ્મિતાના ઉદ્દગાતા અને ડૉ.બાબાસાહેબ આંબેડકરના એક ગુરુ તરીકે વંદનીય ગણાય છે. સવર્ણ વર્ગો દ્વારા દલિત વર્ગો પ્રત્યે બતાવાતા અમાનવીય ભેદભાવો અને પુરોહિત વર્ગના વર્ચસ્‌ વિરુદ્ધ તેમણે ચળવળ ચલાવી. દલિત કન્યાઓ માટેની પહેલી શાળા તેમણે 1842માં પૂનામાં ચલાવી. તેના પહેલાં શિક્ષક અને આચાર્ય જોતિરાવનાં પત્ની સાવિત્રીબાઈ હતાં, જેમણે અનેક મુશ્કેલીઓ વચ્ચે દલિતોનાં શિક્ષણનો વ્યાપ વધાર્યો. પૂના યુનિવર્સિટી નામ  કોઈ પણ વિવાદ વિના ઑગસ્ટ 2014થી સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી પાડવામાં આવ્યું તે સાવિત્રીબાઈની મહત્તા બતાવે છે. ફુલે દંપતીએ પીડિત સ્ત્રીઓના આધાર માટે અને સ્ત્રી-પુરુષ સમાનતાની દિશામાં પણ અનેક કામ કર્યાં. જોતિરાવે પ્રગતિશીલ વિચારોના પ્રસાર માટે પત્રિકાઓ, પુસ્તકો અને અહેવાલો લખ્યાં છે. ‘દીનબંધુ’ સામયિક થકી પત્રકારિતા કરવા ઉપરાંત મિલમજૂરો માટેની ચળવળમાં પણ સાથ આપ્યો છે. તેમણે શૂદ્ર ગણાતા લોકોને અધિકારો માટે જાગૃત કરવા અને તેમને પુરોહિતોની ગુલામીમાંથી મુક્ત કરવા  ‘સત્યશોધક સમાજ’ નામનાં સંગઠનની 1873માં સ્થાપના કરી. ખેડૂતોની સ્થિતિમાં સુધારા માટેના કરેલા અથાક પ્રયત્નો મહાત્મા ફુલેનાં જીવનકાર્યનું અગત્યનું પાસું છે.

મહારાષ્ટ્રમાં 1860 પછીનાં દોઢેક દાયકામાં દુષ્કાળ વારંવાર કેર વરતાવતો. 1875માં પૂના, સાતારા અને કોલ્હાપુરમાં ખેડૂતોએ શાહુકારો વિરુદ્ધ બળવા થયા હતા. આમ જનતાએ અને ‘દીનબંધુ’ સહિત ઘણાં અખબારોએ એ વિશે ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો. અંગ્રેજ સરકારે ‘ડેક્કન ઍગ્રિકલ્ચરલ રિલીફ ઍક્ટ ઘડ્યો’ અને તેમાં શાહુકારોથી રક્ષણ મળે તેવી જોગવાઈ કરી. આ પગલાંમાં જોતીરાવનો ફાળો મહત્ત્વનો ગણાય છે. સત્યશોધક સમાજના નેજા હેઠળ ફુલે દંપતીએ 1877માં દુષ્કાળ પીડિતોની સહાય માટે પૂના નજીક ‘વિક્ટોરિયા બાલાશ્રમ’ની સ્થાપના કરી. તેમાં ગામડાંના લોકોએ ખોરાકને અભાવે પૂના શહેરમાં છોડી દીધેલાં બાળકોને બે ટંકનો રોટલો અને ઓટલો આપ્યો. 1895માં પૂનાની પાસેનાં જુન્નરમાં ખેડૂતોએ શાહુકારો વિરુદ્ધ કરેલી ચળવળને જોતીરાવે દોરવણી આપી. તેમણે ખેડૂતોને જાગ્રત કરવા અનેક ગામોમાં વ્યાખ્યાનો પણ આપ્યાં. તે વ્યાખ્યાનોની અસરની નોંધ એ સમયના ‘જ્ઞાનોદય’, ‘ઇન્દુ પ્રકાસશ’ અને ‘નેટિવ ઓપિનિયન’ જેવાં અખબારોએ લીધી હતી. જોતીરાવ વ્યાખ્યાનોમાં જુલમ અને શોષણ સામે અવાજ ઊઠાવવાનો જોસ્સો આપતા. ખેડૂતોને બાળકોને ભણાવવાની, બળલગ્ન તેમ જ ખોટાં કામ ત્યજી દેવાની અને ખેતીની નવી પદ્ધતિઓ અપનાવવાની હાકલ કરતા. નવી ખેતીપદ્ધતિઓ અંગેનો ખેડૂતોનો સંદેહ દૂર કરવા માટે જોતીરાવે ખુદ બસો એકર જમીન ખરીદીને, નહેરનું પાણી લઈને આધુનિક પદ્ધતિએ ખેતીની શરૂઆત કરી. પૂના નજીકનાં માંજરી ખાતે આવેલું જોતીબાનું આંબાવાડિયું જાણીતું  હતું.

ફુલેના ‘શેતકર્યાચા અસૂડ’(1883) પુસ્તકના ઉઘાડની પંક્તિઓ બહુ જ જાણીતી છે : ‘વિદ્યે વિના મતિ ગેલી, મતિ વિના નીતિ ગેલી, નીતિવિના ગતિ ગેલી !/ ગતિ વિના વિત્ત ગેલે, વિત્તાવિના શૂદ્ર ખચલે, ઇતકે અનર્થ એકા અવિદ્યેને કેલે.’ (વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ ! ગતિ વિના વિત્ત ગયું, વિત્ત વિના શૂદ્રો તૂટ્યા, આટલા અનર્થો એક અવિદ્યાએ કર્યા). પુસ્તકની શરૂઆતમાં ફુલે ખેડૂત વર્ગ તરફની આભડછેટ અને ખેડૂતોના પેટા વર્ગો વિશે લખે છે. પ્રસ્તાવનાના છેલ્લા મુદ્દા તરીકે ફુલે એ મતલબનું લખે છે કે દુનિયાના બધા દેશોના ખેડૂતો કરતાં હિન્દુસ્તાનમાંના અજ્ઞાની, અને ભોળી ઇશ્વરશ્રદ્ધા રાખાનારા ખેડૂતોની સ્થિતિ પશુઓથી પણ બદતર થઈ છે. પહેલાં પ્રકરણમાં પુરોહિત વર્ગ શૂદ્ર ગણાતાં ગામડાંના ખેડૂત સમૂહને તેની આખી જિંદગી જાતભાતનાં કર્મકાંડ કરાવીને કેવી રીતે છેતરે છે તેનું વિગતે વર્ણન છે. ત્યાર પછીનાં પ્રકરણમાં જોતીરાવ ખેડૂતોની પાયમલીના કારણો આપે છે. પેશવાઓની પડતી પછી ખેડૂતોની સૈનિકો તરીકેની ભરતીમાં ઘટાડો થયો. રાજ્ય અને લશ્કરનાં ગૌણ કામોમાં જોતરાયેલા ખેડૂતો ખેતી તરફ પાછા વળ્યા અને જમીનના નાના હિસ્સા પડ્યા. ઓછી જમીનને કારણે પરિવાર દીઠ પાક ઓછો, ઓછી આવક અને ઓછાં પોષણનું ચક્ર ચાલ્યું. વારંવાર દુકાળ પડ્યા અને શાહુકારો તેમ જ સરકારી અધિકારીઓનો જુલમ વધતો ચાલ્યો. જંગલખાતાનું ગૌચરો પરનું દબાણ, અંગ્રેજોની વ્યાપારનીતિ, સરકારી અધિકારીઓની જડતા અને અનીતિ તેમ જ ભ્રષ્ટ ન્યાયવ્યવસ્થા જેવાં પરિબળોની પણ જોતીરાવ છણાવટ કરે છે. આ બધાંને કારણે ખેડૂતોનાં બેહાલ થયેલાં જીવતરનાં વ્યથિત કરે તેવાં શબ્દચિત્રો લેખકે ચોથા પ્રકરણમાં આપ્યાં છે. ‘અસૂડ’ના આખરી પ્રકરણમાં ખેડૂત અને ખેતીના સુધારા માટે જોતીરાવ અનેક સૂચનો આપે છે. તેમાંથી કેટલાક આ મુજબ છે : ગાય-બળદની યોગ્ય પેદાશ અને ઉછેર, નાના બંધોનું લશ્કર દ્વારા બાંધકામ, નહેરોના કામમાં ખેડૂતોની સામેલગીરી, જળસ્રોતના નકશાની રચના, કુવાઓનું ખોદાણ, ઊંચી ઓલાદનાં ઘેંટા બકરાની પેદાશ અને પાલન, ખેડૂતોનાં સંતાનોને સુથારીકામ-લુહારીકામ જેવાં હુન્નરની તાલીમ અને ખેતી માટેની શાળાઓ. ઉપલા વર્ગો અને સરકાર ખેડૂતો માટે શું કરી શકે તે માટેનાં સૂચનો છે. શાસનવ્યવસ્થાની સક્રિય સંવેદનશીલતા પર ફુલે ખૂબ ભાર મૂકે છે.

‘શેતકર્યાચા અસૂડ’નાં પ્રકરણો જોતીરાવે ખેડૂતોની સભામાં વાંચીને તેમની ખરાઈ કરી હતી. વળી તેમણે પુસ્તકની હસ્તપ્રતનું વાચન 1884માં વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ સમક્ષ કર્યું હતું અને રાજાએ તેમનું યથોચિત સન્માન કર્યું હતું. ફુલેના સત્યશોધક સમાજના  કાર્યકરોએ 1889ના ડિસેમ્બરમાં મુંબઈમાં યોજાયેલા ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની બહાર ગરીબ ખેડૂતનું પૂતળું ઊભું કરીને દેશના ખેડૂતોની હાલત તરફ અગ્રણીઓનું ધ્યાન દોરવા માટે દેખાવો યોજ્યા હતા. રાણી વિક્ટોરિયાનો પુત્ર ડ્યુક ઑફ કનૉટ 1888ના માર્ચમાં પૂનાની મુલકાતે આવ્યો હતો. પુનાના ધનવાન પરિવારોએ તેનું સન્માન યોજ્યું હતું. તે સમારંભમાં જોતીરાવ કંગાળ ખેડૂતના વેશે ગયા હતા : કેડે પંચિયું, ઉપર અંગરખું, માથે ફાળિયું, ખભે ધાબળો, હાથમાં લાકડી અને ફાટેલા જોડા. એટલું જ નહીં તેમણે ડ્યૂકની સામે ભારતના ખેડૂતોની દુર્દશા અંગે તેજાબી ભાષણ પણ આપ્યું હતું. આપણાં લોક અને આપણી  લોકસભાને એક  જોતીરાવ ફુલેની પ્રતીક્ષા છે.

******

20 ડિસેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામે લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 21 ડિસેમ્બર 2018

Loading

જી.એસ.ટી.ને તેના મૂળ સ્વરૂપમાં લાગુ કર્યો હોત તો વખતોવખત સુધારાઓ ન કરવા પડ્યા હોત

રમેશ ઓઝા|Opinion - Opinion|20 December 2018

ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યોમાં થયેલા પરાજય પછી શાસક પક્ષ દરેક દિશા ફંફોળી રહ્યો છે. આકરું હિન્દુત્વ, કોમી ધ્રુવીકરણ અને અયોધ્યા? એક વિકલ્પ છે, ચૂંટણી પહેલાં અપનાવ્યો પણ હતો; પરંતુ પરિણામો પછી જરા વિશ્વાસ ડગમગી ગયો છે. આ ઉપરાંત સંઘપરિવારે રામજન્મભૂમિ માટે દેશભરમાં જે યાત્રા કાઢી હતી તેને મળેલા અત્યંત મોળા પ્રતિસાદે પણ બી.જે.પી.ના નેતાઓને વિચારતા કરી મુક્યા છે. મંગળવારે દિલ્હીમાં બી.જે.પી.ની સંસદીય પક્ષની બેઠક મળી હતી જેમાં છેક છેલ્લે ત્રણ સભ્યોએ અયોધ્યામાં મંદિર બાંધવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એ બેઠકમાં કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે સભ્યોએ ધીરજ ધરવી જોઈએ. બી.જે.પી.ના દરેક સભ્યના હ્રદયમાં ભગવાન રામ અને રામમંદિર છે જ.

રાજનાથ સિંહે મંદિર બાંધવા માટે વટહુકમ કાઢવાનું કે ખરડો લાવવાનું કોઈ વચન આપ્યું નહોતું. જો ત્રણ રાજ્યોમાંથી બે રાજ્યોમાં અને કમસેકમ એક રાજ્યમાં બી.જે.પી.ને વિજય મળ્યો હોત અને મંદિર માટેની યાત્રાઓને સારો પ્રતિસાદ મળ્યો હોત તો બી.જે.પી.એ છીંડે ઊભેલા હિંદુને કોમી હિંદુ બનાવવામાં અને વાડામાં લેવામાં કોઈ કસર ન છોડી હોત. બી.જે.પી.ને ડર છે કે કોમી ધ્રુવીકરણ કરવામાં ક્યાં ય વિકાસલક્ષી હિન્દુઓના મત પણ ન ગુમાવવા પડે. હજુ સુધી એ ભરોસો રાખીને બેઠો છે કે નરેન્દ્ર મોદી અનુકૂળતા મળ્યે વિકાસના મોરચે બનતું કરી છૂટશે. આમ હિન્દુત્વ એ એક વિકલ્પ છે, પરંતુ નિ:શંક થઈને આંખ વિંચીને શરણે જવાય એવો ભરોસાપાત્ર વિકલ્પ નથી લાગતો.

બીજો વિકલ્પ વિકાસના મોરચે કાંઈક કરી છૂટવાનો છે અને એમાં પણ ખાસ કરીને ગ્રામીણ ભારત માટે, ખેડૂતો માટે અને શહેરમાંના નાના વેપારીઓ માટે. અત્યારની સરકારની ઈમેજ અને બી.જે.પી.ની ઈમેજ ઉદ્યોગપતિઓ માટેની સરકાર અને ઉદ્યોગપતિઓ માટેના પક્ષ તરીકેની બની ગઈ છે. આ ઈમેજ તોડવી જરૂરી છે. ખેડૂતોનાં દેવાં માફ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકારે નહીં ભરાયેલા વીજળીના બીલમાં માફી આપી છે. આસામની બી.જે.પી.ની સરકારે ખેડૂતોનાં દેવાં માફ કર્યા છે. એમ પણ કહેવાય છે કે કેન્દ્ર સરકાર દેશભરના ખેડૂતોના સામૂહિક દેવાં માફ કરશે જે રીતે ૨૦૦૮માં ડો. મનમોહન સિંહની સરકારે કર્યા હતાં. કેન્દ્રના ટેલિકોમ્યુનિકેશન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને પડકાર્ય હતા કે કૉન્ગ્રેસે કેમ ક્યારે ય ૬૦ વરસમાં દેવાં માફ નહોતાં કર્યાં? રવિશંકર પ્રસાદ માત્ર દાયકા જૂની ઘટના ભૂલી ગયા લાગે છે. હકીકતોની ચકાસણી કર્યા વિના બોલવું એ બી.જે.પી.ની સામૂહિક બીમારી બની ગઈ લાગે છે.

વડા પ્રધાને શહેરી વેપારીઓને રાહત આપતા કહ્યું છે કે જી.એસ.ટી.માં ૨૮ ટકાના સ્લેબમાં જેટલી આઈટમો આવે છે એમાંથી ૯૯ ટકા આઈટમોને તેમાંથી ખસેડીને ૧૮ ટકા કે એનાથી નીચેના સ્લેબમાં મુકવામાં આવશે. આ સારો નિર્ણય છે અને ઘણો વહેલો લેવાવો જોઈતો હતો. જી.એસ.ટી. હેઠળ જેટલી ચીજો આવે છે એને ૧,૨૧૧ વર્ગોમાં વહેંચવામાં આવી છે અને તેને જુદાજુદા સ્લેબમાં મુકવામાં આવી છે. આ ૧,૨૧૧ વર્ગોમાંથી ૩૭ વર્ગની ચીજો ૨૮ ટકામાં છે. હવે એમાંથી ૯૯ ટકા હટાવવામાં આવશે એટલે બહુ ગણીગાંઠી ચીજો ૨૮ ટકામાં રહેશે.

સાચી વાત તો એ છે કે કેન્દ્ર સરકારે જી.એસ.ટી.નાં મૂળ સ્વરૂપ સાથે માત્ર અલગ પડવા માટે કારણ વગર ફેરફાર કર્યા એ તેને મોંઘા પડી રહ્યા છે. જી.એસ.ટી.ની પ્રક્રિયા ૨૦૦૩થી શરૂ થઈ હતી. ૧૪ વરસમાં સેંકડો બેઠકો અને હજારો લેખિત સૂચનો પછી જી.એસ.ટી.ને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એ તો જો ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અને લોકસભામાં બી.જે.પી.એ વિરોધ ન કર્યો હોત તો જી.એસ.ટી. ૨૦૧૧-૨૦૧૨માં લાગુ થઈ ગયો હોત. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી જી.એસ.ટી.ને લાગુ તો કર્યો હતો, પરંતુ કારણ વિના ફેરફાર કરીને. સેંકડો બેઠકો અને હજારો સૂચનો સાંભળ્યા પછી જેની બાબતે ઠીકઠીક પ્રમાણમાં સર્વસ્વીકૃતિ બની હતી એમાં વિચાર્યા વિના ઉતાવળે ફેરફારો કરાયા હતા. શા માટે? આગલી સરકાર કરતાં અમે અનોખા છીએ એ બતાવવા માટે. વિચાર્યા વિનાનું, ઉતાવળિયું અને એક કૂદકાવાળું અનોખાપણું હવે ભારી પડી રહ્યું છે. રાતના બાર વાગે સંસદની બેઠક બોલાવીને દેશને જાણે કે આઝાદી મળી હોય એવો જે તમાશો યોજ્યો હતો એની વાત જવા દઈએ.

હવે બી.જે.પી.ના નેતાઓ અને મુખ્ય પ્રધાનો દેશભરમાં પત્રકાર પરિષદો યોજી રહ્યા છે. થોડા મહિના પહેલાં અમિત શાહે દેશના પ્રતિષ્ઠિત લોકોને મળવાનું શરૂ કર્યું હતું એ અભિયાનનું શું થયું એ આપણે જાણતા નથી. એમ લાગે છે કે એને સમેટી લેવામાં આવ્યું છે. આવતા વરસે નરેન્દ્ર મોદી પાછા સત્તામાં આવશે કે કેમ એની જ્યારે ખાતરી ન હોય ત્યારે દરેક જણ બહુ નજીક જવામાં ડર અનુભવતા હશે. જે પ્રકારની સેલેબ્રિટીઝને અમિત શાહ મળતા હતા એમાંના બહુ ઓછાં મૂલ્યોની ખેવના કરનારાં છે અને હિંમત તો બહુ દૂરની વાત છે. હવે દેશભરમાં પત્રકાર પરિષદો યોજવામાં આવી રહી છે.

ચારેકોરથી માગણી થઈ રહી છે કે વડા પ્રધાને પત્રકાર પરિષદ બોલાવવી જોઈએ અને પત્રકારોના પ્રશ્નો સામી છાતીએ લેવા જોઈએ. રાહુલ ગાંધી રોજ ટોણા મારે છે, પરંતુ મંગળવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે ટોણો માર્યો. તેમણે તેમનાં પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં કહ્યું હતું કે તેમને મૂંગા વડા પ્રધાન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેઓ પત્રકારોથી દૂર ભાગનારા ડરપોક વડા પ્રધાન નહોતા. તેમણે પત્રકાર પરિષદો સંબોધી છે, વિદેશ પ્રવાસમાં પત્રકારોને સાથે લઈ ગયા છે, વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરી છે વગેરે, અને પછી ઉમેર્યું હતું કે જે પુસ્તકનું વિમોચન થયું છે એમાં તેની વિગતો મળશે. દેશમાં ખૂણેખૂણે સિપાઈઓ પત્રકારોનો મુકાબલો કરશે, પણ સેનાપતિ નહીં કરે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 ડિસેમ્બર 2018

Loading

...102030...2,9012,9022,9032,904...2,9102,9202,930...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved