કંઈક તો થવાનું જ હતું. દરેક ભારતીયની આવી ગણતરી હતી. કોઈ કહે, ગોધરા અને ગુજરાતકાંડ જેવી કોઈ ઘટના બનશે. કોઈ કહે, પાકિસ્તાન પર હજુ એક હુમલો કરવામાં આવશે. ખુદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આવી શંકા વ્યક્ત કરી હતી. કોઈ કહે, પોતાના પર હુમલો કરાવશે. એ પછી બુધવારે જ્યારે વડા પ્રધાને જાહેરાત કરી કે તેઓ બપોરે રાષ્ટ્રને સંબોધવાના છે ત્યારે આખો દેશ ચિંતામાં પડી ગયો હતો. શું કરશે? બંધારણની કોઈ કલમ શોધી કાઢીને ચૂંટણી તો રદ્દ નહીં કરે? નરેન્દ્ર દામોદરદાસ મોદી લોકસભાની ચૂંટણી જીતવા કાંઈ પણ કરી શકે એમ છે અને કોઈ પણ હદે જઈ શકે છે. છેવટે બુધવારે જ્યારે સેટેલાઈટ કિલર ટેસ્ટની જાહેરાત કરી ત્યારે આખા દેશે રાહત અનુભવી હતી. ચાલો સસ્તામાં ઘાત ગઈ! ભારત એલિટ ક્લબનું મેમ્બર બની ગયું. હવે બી.જે.પી.ને ખોબલે ખોબલે વોટ મળી જશે અને નરેન્દ્રભાઈ બીજી વખત વડા પ્રધાન બની જશે. હવે અહીંથી અટકે તો સારું.
આવી જગતના સૌથી મોટા લોકશાહી દેશના વડા પ્રધાનની ઈમેજ છે. આવી જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીના અનુગામીની ઈમેજ છે. આનાં કરતાં ગજા મુજબનાં કામ કર્યાં હોત અને ન કરવાં જેવાં સાહસો ન કર્યાં હોત તો આવો વખત ન આવત એવું નથી લાગતું? જેઓ કોઈ કરિશ્મા નથી ધરાવતા અને પોતાને અવતારપુરુષ નથી માનતા એવા સાવ મર્ત્ય માનવી, નામે ડૉ. મનમોહન સિંહે ૨૦૦૯માં કૉન્ગ્રેસને બીજી મુદ્દત અપાવી હતી. ૨૦૦૪ની તુલનામાં કૉન્ગ્રેસને ૨૦૦૯માં વધારે બેઠકો મળી તેનો શ્રેય ડૉ. મનમોહન સિંહને જતો હતો. ડૉ. મનમોહન સિંહ બીજી મુદ્દતમાં નિષ્ફળ ગયા એ જુદી વાત છે.
ડૉ. મનમોહન સિંહની નિષ્ફળતાનાં બે મુખ્ય કારણ હતાં. એક આર્થિક ગતિરોધ. નવમૂડીવાદી અર્થતંત્રમાં વિકાસનો રથ તેની શક્ય એટલી સર્વોચ્ચ ઊંચાઈએ જઈને અટકી ગયો હતો. અંગ્રેજીમાં આને સેચ્યુરેશન પોઈન્ટ કહેવામાં આવે છે અને પછી રેખા નીચેની તરફ વળવા લાગે છે. બીજું કારણ એ હતું કે ભારતે ૧૯૯૧ પછી આર્થિક સુધારાઓ કરીને અર્થતંત્રના દરવાજાઓ તો ખોલી નાખ્યા, પરંતુ લૂંટારાઓ માલ લૂંટી ન જાય તેની સાબદી વ્યવસ્થા કરી નહોતી. આર્થિક સુધારાઓની સાથે સાથે વ્યવસ્થાકીય સુધારાઓ કરવામાં નહોતા આવ્યા. નરસિંહ રાવ, દેવગોવડા, ગુજરાલ, વાજપેયી, ડૉ. મનમોહન સિંહની સરકારો આવી ને ગઈ પણ કોઈએ વ્યવસ્થાકીય સુધારાઓ નહોતા કર્યા. કયા કયા સુધારાઓ અત્યંત આવશ્યક છે અને જો તે કરવામાં નહીં આવે તો મૂડીપતિઓ શાસકોના આંગળિયાત બનીને દેશને લૂંટી લેશે એવી ચેતવણી ૧૯૯૧થી જ આપવામાં આવતી હતી.
ન્યાયતંત્ર પાંગળું, વહીવટીતંત્ર અસંવેદનશીલ અને ભ્રષ્ટ બન્ને, તપાસસંસ્થાઓ અકાર્યક્ષમ અને ભ્રષ્ટ, સંસદને ચાલવા દેવામાં આવે નહીં તો શું થાય? એ જ, જેની કિંમત દેશમાં આર્થિકક સુધારાઓ કરનારા નાણા પ્રધાન ડૉ. મનમોહન સિંહને ખુદને પચીસ વરસ પછી વડા પ્રધાન તરીકે ચૂકવવી પડી. આને પરિણામે સ્થિતિ એવી બની કે પહેલાં જે ધનપતિઓ શાસકોના ક્રોની એટલે કે બગલબચ્ચા હતા તે હવે શાસકો ધનપતિઓના બગલબચ્ચા બની ગયા. જગત આખામાં આવું બની રહ્યું છે અને જગત આખું આ જાણે છે.
૨૦૧૪માં નરેન્દ્ર દામોદરદાસ મોદી સ્પષ્ટ બહુમતી સાથે, લોકોની ચાહના, અપેક્ષા અને શ્રદ્ધા સાથે, રસ્તામાં બહુ મુશ્કેલી પેદા ન કરી શકે એવા નિર્બળ વિરોધ પક્ષો સાથે, આતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ તળિયે ગયા હોય એવી અનુકૂળતા સાથે વડા પ્રધાન બન્યા હતા. કોઈને પણ ઈર્ષ્યા થાય એવી અનુકૂળતા હતી.
અહીંથી આગળ વધતા પહેલાં ઘડીભર વિચારો કે તમે નરેન્દ્ર મોદીની જગ્યાએ હો તો શું કરો? વિચારી જુઓ. એને માટે વડા પ્રધાન જેટલી લાયકાતની જરૂર નથી અને આત્યારના જગતમાં શાસકને અને લાયકાતને સંબંધ પણ નથી. વિચારી જુઓ; તમે નરેન્દ્ર મોદીની જગ્યાએ હો તો શું કરો? તમને એક સાદો સવાલ મનમાં પેદા ન થાય કે ડૉ. મનમોહન સિંહ જેવો જાગતિક ખ્યાતિ ધરાવતો અર્થશાસ્ત્રી આર્થિક ગતિરોધ સામે ઘૂંટણાં ટેકીને બેસી ગયો તો જરાક સમજીએ તો ખરા કે એ આર્થિક ગતિરોધનું વમળ કેવું છે, કેટલું ઊંડું છે અને તેનાં મૂળ ક્યાં છે? જો બાહોશ ડોક્ટરના ઈલાજ કારગર નીવડતા નથી, તો કોણ છે જે ઈલાજોને નિષ્ફળ બનાવે છે? આવો પ્રશ્ન થાય કે ન થાય? ડૉ. મનમોહન સિંહ દેવગોવડા નહોતા કે હસી કાઢો.
અહીં તમને ઘરગથ્થુ ઉદાહરણ આપું. કોઈ માણસ સખત બીમાર છે અને કોઈ ઈલાજ લાગુ નથી પડતો. છેવટે બાહોશમાં બાહોશ ડોક્ટરને બોલાવવામાં આવે છે. એ આવીને શું કરશે? એ દરદીને તપાસશે, આગલા ડોક્ટરોએ શું ઈલાજ સૂચવ્યા છે અને દવાઓ આપી છે એનાં પ્રિસ્ક્રીપ્શન જોઈ જશે અને શેને કારણે દવાઓ કામ નથી કરતી એનાં કારણો શોધશે. આ સ્વાભાવિક ક્રમ છે. જો ફી લઈને દરદીને સાજો કરવાની ઈમાનદારી હોય તો કોઈ પણ માણસ આ જ કરશે. આને માટે કોઈ વધારાની તાલીમની જરૂર નથી, આ જ કરવાનું હોય; પછી એ ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે ખેડૂત હોય. સમસ્યાનું સ્વરૂપ અને સંજોગો દરેક ડાહ્યો માણસ તપાસે છે.
બીજું ઉદાહરણ વડા પ્રધાનનું જ આપું. વિનય સીતાપથીએ ‘હાલ્ફ લાયન: હાઉ પી.વી. નરસિંહ રાવ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ડિયા’ નામનું પી.વી. નરસિંહ રાવનું જીવનચરિત્ર લખ્યું છે જે દરેકે વાંચવા જેવું છે. કૉન્ગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં પી.વી. નરસિંહ રાવની વડા પ્રધાનપદ માટે પસંદગી થઈ એ પછી ઘરે જઇને પહેલું કામ નાણા સચિવને બોલાવવાનું કર્યું હતું અને પૂછ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિ કેવી છે? તેમણે એટલું વિચારી લીધું હતું કે આગલી ચન્દ્રશેખરની સરકારને ભારતનું અનામત સોનું લંડનમાં ગીરવે મૂકીને પૈસા ઊઠાવવા પડ્યા હતા તો આર્થિક સંકટ મોટું હોવું જોઈએ. કારણ વિના અને સામે ચાલીને કોઈ થોડું નાક કપાવે! નાણા સચિવે નરસિંહ રાવને કહ્યું હતું કે આર્થિક સંકટ બહુ મોટું છે. તેમણે આંકડા પણ આપ્યા હતા. નાણાસચિવને સાંભળીને નરસિંહ રાવને સમજાઈ ગયું હતું કે કોઈ રાજકારણી નાણા પ્રધાન આર્થિક વમળમાંથી દેશને બહાર કાઢી શકે એમ નથી. એને માટે નિષ્ણાત અર્થશાસ્ત્રીની જરૂર છે અને એ પણ નાણા પ્રધાન તરીકે. કોઈ બાહોશ અર્થશાસ્ત્રીને શોધીને તેને પગલાં લેવાની સ્વતંત્રતા પણ આપવી પડશે એટલું જ નહીં પીઠબળ પણ આપવું પડશે. પછી જેમ કહેવામાં આવે છે એમ, રેસ્ટ ઈઝ હિસ્ટરી. પી.વી. નરસિંહ રાવની લઘુમતી સરકારે લઘુમતી સરકાર હોવા છતાં ઇતિહાસ સર્જ્યો.
જે કોઈ ડોક્ટર કરે કે પી.વી. નરસિંહ રાવે કર્યું એ નરેન્દ્ર મોદીને નહીં સૂઝ્યું હોય? તેમને એટલો વિચાર નહીં આવ્યો હોય કે ડૉ. મનમોહન સિંહ જેવો જાગતિક ખ્યાતિ ધરાવનારો માણસ જ્યાં હાર્યો છે તો ચાલો સંકટનું સ્વરૂપ સમજી લઈએ? બીજાને જવા દો આગળ પૂછ્યું એમ તમે હો તો શું કરો?
તેમના તો ઠીક, દેશના દુર્ભાગ્ય કે તેમણે આવો કોઈ પ્રયાસ જ નહોતો કર્યો. જરૂર જ શું છે જ્યારે દેશની પ્રજાને મેસ્મેરાઈઝ્ડ કરતાં આવડતું હોય. હિન્દુત્વવાદીઓ અને મુસ્લિમ વિરોધીઓ તો કોઈ પણ સંજોગોમાં સાથ આપવાના જ છે. એમાં નેહરુની સાત પેઢીને યાદ કરીને કૉન્ગ્રેસની બદનામી કરો એટલે કૉન્ગ્રેસ વિરોધીઓનું ઉમેરણ થશે. તેમને હિન્દુત્વવાદી એજન્ડા માફક ન આવતો હોય તો કાંઈ વાંધો નહીં, તેમનો કૉન્ગ્રેસ વિરોધ એટલો તીવ્ર કરો કે આપોઆપ તેઓ હિંદુ કોમવાદ સામે આંખ આડા કાન કરશે. આ ઉપરાંત રાષ્ટ્રવાદ, દેશપ્રેમ, મુસલમાનોના અત્યાચારોનો ઇતિહાસ, ગોરક્ષાના નામે ધોલધપાટ કરતાં રહીશું તો આપોઆપ દેશમાં ધ્રુવીકરણ થશે અને તેને કારણે થોડા ભારતીયો ભારતીય મટીને હિંદુ બની જશે. આમ નવહિંદુ પણ બી.જે.પી.ના સમર્થકોમાં ઉમેરણ કરશે. અને નામબદલી અને ઇવેન્ટો તો ખરી જ. રાતના બાર વાગે ખાસ સંસદ બોલાવીને જી.એસ.ટી. લાગુ કરો, અર્ધકુંભને પૂર્ણ કુંભ બનાવી દો, વગેરે. આમ લોકોને લાગવું જોઈએ કે દેશમાં કાંઈક અનોખું થઈ રહ્યું છે. આને કારણે મારા એક મિત્રની ભાષામાં ‘બાળુંડાંઓ’નું સમર્થકોમાં ઉમેરણ થશે. ભાડૂતી જાનૈયાઓ અને બેન્ડ વાજાઓ (ગોદી મીડિયા) તો છે જ.
કમાયા વિના પાંચ પેઢી ખાય એવી ગોઠવણ કર્યા હોવા છતાં અત્યારે આવલાં કેમ મારવાં પડે છે? કઈ વાતનો ભય છે? શું નજરબંધીનાં પદાર્થો પરિણામ નથી આપતાં? એવી તે કઈ મજબૂરી હતી કે આચારસંહિતાનો ભંગ કરીને સેટેલાઈટ કિલર ટેસ્ટ કરવો પડ્યો? એ પહેલાં પણ થઈ શકતો હતો અને પછી પણ થઈ શકત. નેપોલિયને કહ્યું હતું કે એક વાર યુદ્ધ શરૂ થઈ જાય પછી સેનાપતિને અને સેનાપતિના ઘોડાને બદલવામાં આવતા નથી. એને ખરાબ રણનીતિ કહેવાય. આપણે ત્યાં સેનાપતિ ભરયુદ્ધે રોજ ઘોડો બદલે છે. બાલાકોટ અને દલિતોના પગ ધોવાથી લઈને સેટેલાઈટ કિલર ટેસ્ટ કરવા સુધી તેમણે એક મહિનામાં દસ ઘોડા બદલી નાખ્યા છે. આનો શું અર્થ કરશો?
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2019