Opinion Magazine
Number of visits: 9577852
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અલવિદા મૃણાલ સેન

અભિજિત વ્યાસ|Opinion - Opinion|15 January 2019

૨૦૧૮ પૂર્ણ થતાં એક આંચકો પણ આપી ગયું. પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક મૃણાલ સેન(૧૪ મે, ૧૯૨૩ • ૩૦ ડિસેમ્બર ૨૦૧૮)ને પણ ઇતિહાસમાં નોંધતું ગયું. ફિલ્મના રસિકોને માટે એ એક દુઃખદ સમાચાર હતા. અલબત્ત, છેલ્લાં ઘણાં વર્ષોથી મૃણાલ સેન નિવૃત્ત હતા. પણ એમની પ્રતિભા અત્યંત મહત્ત્વની હતી.

સત્યજિત રાય પછી બંગાળના જે પ્રમુખ ફિલ્મ દિગ્દર્શકોએ દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું, તેમાં ઋત્વિક ઘટક અને મૃણાલ સેન બહુ મહત્ત્વના દિગ્દર્શકો હતા. આમ તો આ ત્રણેય પ્રમુખ ફિલ્મ દિગ્દર્શકોની સર્જક તરીકેની કારકિર્દી લગભગ સાથે જ શરૂ થયેલી. પાંચમા દાયકાના ઉત્તરાર્ધમાં ફિલ્મસર્જન તરફ વળેલા.

મૃણાલ સેને એમની ફિલ્મોનું સર્જન બંગાળી ઉપરાંત હિન્દી અને તેલુગુમાં પણ કર્યું છે. હિન્દીમાં આપણે એમની ફિલ્મો ‘ભુવન સોમ’, ‘એક અધૂરી કહાની’, ‘મૃગયા’, ‘ખંડહર’ અને ‘એક દિન અચાનક’થી પરિચિત છીએ. આ ઉપરાંત ‘કભી દૂર, કભી પાસ’ નામની એક ટેલિવિઝન સિરિયલ પણ એમણે સર્જી છે. હિન્દી સિનેમાજગતમાં એમની ફિલ્મ ‘ભુવનસોમ’થી કલાત્મક ફિલ્મોનું એક આંદોલન શરૂ થયું હતું. આપણે એ આંદોલનને ‘ન્યૂ વેવ’ કે ‘સમાંતર સિનેમા’ને નામે ઓળખીએ છીએ.

તત્કાલીન ભારતીય સિનેમામાં મૃણાલ સેન જ એક માત્ર એવા ફિલ્મ દિગ્દર્શક હતા જેમણે સમકાલીન સમસ્યાઓને લઈને ફિલ્મો સર્જવાનું પસંદ કરેલું. એમણે પોતાની મોટા ભાગની ફિલ્મોમાં રાજકીય બાબતોને સ્પર્શવાનું પસંદ કરેલું છે. એક પ્રતિબદ્ધ સર્જક તરીકે મૃણાલ સેન કહે છે, ‘I strongly feel that, as a social being, I am committed to my own time. And since poverty, drought, femine and social injustice are dominant facts of my own times, my business as a filmmaker is to understand them. I try to understand my own period. I try to put it across.’ મૃણાલ સેન એમ કહે છે કે “હું ઇરાદાપૂર્વક કદી પ્રચલિત ફિલ્મ બનાવતો નથી. ભારતીય દર્શક સિનેમા જોવા જાય છે, ત્યારે તેના રોજિંદા જીવનની ખૂબ નજીક હોય છે. મેં મારા સંદેશને પહોંચાડવાનો માર્ગ શોધી કાઢ્યો છે. હું એવું માનું છું, કે દર્શકોને ફક્ત વ્યગ્ર બનાવવા જ પૂરતા નથી. એમને ઉશ્કેરનાર તરીકે કાર્ય કરવું એ પણ જરૂરી છે. એક ફિલ્મમાં સમકાલીન પરિસ્થિતિ હોવી જ જોઈએ.”

એક વખત એક વાતચીતમાં મૃણાલદાએ એવું પણ કહ્યું હતું. “I feel what I am today is the logical extension of what I once was”. વિશ્વ વગેરેની એટલે કે મૃણાલ સેનની કલા ક્રમશઃ વિકાસ પામી છે, જે સતત એમના અનુભવના વગેરેની સાથે-સાથે – કદાચ વૈચારિક વિશ્વ વગેરેની પણ પરિણતિ છે.

મૃણાલ સેનની બે ફિલ્મો એકસરખા વિષય ઉપર સર્જાઈ છે – ‘એક દિન પ્રતિદિન’ અને ‘એક દિન અચાનક’. અહીં આ બે ફિલ્મનાં શીર્ષકોમાં જ સમાનતા નથી, પણ એમાંના વિષયમાં ઘણી સમાનતા છે. ‘એક દિન પ્રતિદિન’ બંગાળીમાં છે, જ્યારે ‘એક દિન અચાનક’ હિન્દીમાં છે. બંને ફિલ્મ વચ્ચે લગભગ નવ વર્ષનો સમય પથરાયેલો છે. … ‘પ્રતિદિન’ ૧૯૭૯નું સર્જન છે, જ્યારે ‘એક દિન અચાનક’ ૧૯૮૮નું સર્જન છે.

‘એક દિન પ્રતિદિન’ની કથામાં પુત્રી એક દિવસ સર્વિસ પરથી સાંજે ઘેર નથી આવતી. રાત પડી જાય છે, પછી ઘરના સભ્યો તેની શોધખોળ કરે છે. ભાઈ પોલીસ-સ્ટેશને જાય છે. પોલીસ તેને પકડાયેલી કેટલીક વેશ્યાઓને બતાવે છે. મારી બહેન આમાં ન હોઈ શકે કહી ચાલ્યો જાય છે. હૉસ્પિટલમાં જાય છે, માર્ગમાં તપાસ કરે છે. ઘેર સૌ ચિંતા કરે છે. અડોશીપડોશીને ખબર ન પડવી જોઈએ, નહીંતર આબરૂ જશે તેવી ગુસપુસ ચાલે છે. બીજે દિવસે સવારે પુત્રી ઘેર આવે છે. ફિલ્મ ત્યાં પૂર્ણ થાય છે. પણ મૃણાલ સેને શીર્ષકમાં જ એક દિવસ બન્યું, તે પ્રતિદિન પણ બની શકે એવી દહેશત વ્યક્ત કરી છે.

‘એક દિન અચાનક’માં પિતા પ્રોફેસર છે. આખો દિવસ પડેલા વરસાદથી કંટાળીને સાંજે જ્યારે વરસાદ બંધ થાય છે, ત્યારે હમણાં ફરીને આવું તેમ કહીને બહાર જાય છે. રાત પડે છે, પણ પાછા આવતા નથી. પત્ની અને બંને પુત્રીઓ રાહ જોઈને થાકે છે એટલે શોધખોળ કરવી શરૂ કરે છે. સ્નેહીમિત્રો અને સગાંને ત્યાં પૂછપરછ કરે છે. પ્રોફેસરની એક પ્રિય વિદ્યાર્થિનીને ત્યાં તપાસ કરવામાં આવે છે, પણ પત્તો મળતો નથી. ફરિયાદ લખાવવામાં આવે છે. જ્યોતિષ, સાધુસંતોનો આશરો લેવામાં આવે છે. આમ ચાલ્યા કરે છે. એમની ગેરહાજરીમાં એમનું બધું જોતાં પ્રોફેસર તેની વિદ્યાર્થિનીના પ્રેમમાં હોય છે, તેમ જાણવા મળે છે. વિદ્યાર્થિની આ બધું જોઈને અત્યંત દુભાય છે. જે વ્યક્તિને બહુ મહાન માનતા હતા તે કેવો માટીપગો અને સામાન્ય હતો, તેનો કુટુંબના સભ્યોને ખ્યાલ આવે છે. નિરંતર રાહમાં એક વર્ષ ચાલ્યું જાય છે. ક્યાં છે? ક્યારે આવશે? કેમ હશે? કોઈ માહિતી નથી. ફરી વર્ષની મોસમ આવે છે અને વરસતા વરસાદમાં બંને પુત્રીઓ સાથે મા વાત કરે છે, ‘આજે એક વર્ષ પૂર્ણ થયું, હજી પિતાજીના કોઈ ખબર નથી.’

બંને ફિલ્મોમાં ઉપલા મધ્યમવર્ગનાં કુટુંબોની વાત છે. શહેર કોલકાતા છે. પણ એ ભારતનું અન્ય કોઈ શહેર હોય તો પણ પરિસ્થિતિમાં કંઈ ફેર ન પડે. આપણા કહેવાતાં નૈતિક મૂલ્યો ઘસાઈ ગયાં છે. ગજા બહારની શક્તિનું પ્રદર્શન કરવા માંગીએ છીએ. આ સોશિયો – પોલિટિકલ અને ઇકોનૉમિક સિસ્ટમનો પ્રભાવ છે. એમાંથી કોઈ બચી શકવાનું નથી. એક જીવનમાં બે જિંદગી નથી જીવી શકાતી. મૃણાલ સેને આ ફિલ્મોના સંદર્ભમાં કહ્યું છે, ‘પહેલાં હું મારા દુ:શ્મન (એજાસી)ને મારી બહાર શોધતો હતો, પણ સમયના બદલાવ સાથે હું મારા દુ:શ્મનને મારી અંદર જ શોધવાની કોશિશ કરું છું.’

મૃણાલ સેને દરરોજ બનતા નાના બનાવોમાંથી એકને ઝડપીને તેના વિશેની અનેક શક્યતાઓનો આછોતરો ખ્યાલ પ્રક્ષકોને આપ્યો છે. ‘એક દિન પ્રતિદિન’ જોયા પછી કેટલા ય પ્રેક્ષકોએ મૃણાલ સેનને એવો પ્રશ્ન કરેલો કે સર્વિસ પરથી છોકરી ક્યાં ગઈ હતી? એણે રાત ક્યાં પસાર કરી? અને એમણે જ જવાબ આપેલો, ‘મેં આ ફિલ્મ તમે જુઓ અને સફર કરો માટે બનાવી છે. તમે સફર કરો, કારણ કે મારી પાસે આનો કોઈ જવાબ નથી.’ ‘એક દિન અચાનક’માં પત્ની જે પતિને અને પુત્રીઓ જે પિતાને મહાન ગણતા હતા, તેની અનેકવિધ મર્યાદાઓનો ખ્યાલ એમના ચાલ્યા ગયા પછી કરે છે અને મહાન પતિ કે પિતાને ફરી માનવીય સંદર્ભમાં જોવાની કોશિશ કરે છે.

મૃણાલ સેનની ફિલ્મો આપણા સમાજ ઉપર પડતાં આર્થિક, રાજકીય અનૈ નૈતિક મૂલ્યોના પ્રભાવને કારણે બદલાતી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. આપણામાંનાં જ ખોખલાપણાંનો એ અહેસાસ કરાવે છે.

અલવિદા મૃણાલ સેન. ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક આખું પ્રકરણ આપના નામે સદા જીવંત રહેશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 11 તેમ જ 15

Loading

અસ્મિતાઓનું રાજકારણ કરનારાઓએ સત્તામાં આવ્યા પછી સૌ પહેલાં પાણીપતનો ધડો શીખી લેવો જોઈએ. શા માટે મરાઠાઓએ ભાગ્યેજ મળતી અલભ્ય તક ગુમાવી દીધી એની જાણ થશે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 January 2019

ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓના સંમેલનમાં પક્ષના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે ૨૦૧૯ની ચૂંટણી પાણીપતની લડાઈ જેવી નીવડવાની છે. તેમણે કહ્યું હતું કે દેશભરમાં ૧૩૧ લડાઈ જીતનારા મરાઠાઓ પાણીપતના યુદ્ધમાં હારી ગયા હતા અને એ પછી બસો વરસ ગુલામી ભોગવવી પડી હતી.

પહેલા તો ભગવાનનો પાડ કે હિંદુ ભૂમંડલના રાજવીએ કબૂલ કર્યું કે પાણીપતની લડાઈમાં મરાઠાઓનો પરાજય થયો હતો; બાકી તેઓ તો આર્યાવર્તના ધણી છે, એટલે કહી શક્યા હોત કે પાણીપતની લડાઈમાં મરાઠાઓનો પરાજય થયો જ નહોતો. રાજસ્થાનની વિદાય પામેલી સરકારે આખા રાજસ્થાનમાં ઢોલ પીટાવીને જાહેરાત કરી હતી કે હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપનો વિજય થયો હતો. તમે ઇતિહાસ શીખવનારા કોણ? અમે કહીએ એ ઇતિહાસ. અમિતભાઈ એ રીતે નમ્ર તો ખરા જ. તેમણે ખેલદિલીપૂર્વક કબૂલી લીધું કે પાણીપતની લડાઈમાં મરાઠાઓનો પરાજય થયો હતો અને તેમણે એ પણ આડકતરી રીતે કબૂલી લીધું કે ૨૦૧૯ની પાણીપતની લડાઈમાં બી.જે.પી.નો પરાજય થઈ શકે છે.

અમિતભાઈએ ભેગાભેગ એ પણ વિચારવું જોઈતું હતું કે દેશભરમાં વિવિધ રાજકર્તાઓ સામે ૧૩૧ લડાઈ જીતનારા મરાઠાઓ પાણીપતની લડાઈમાં એક વિદેશથી આવેલા આક્રમક મુસલમાન સામે કેમ હારી ગયા? ના, આ પ્રશ્ન ઇતિહાસને આલોચવા માટેનો નથી, વર્તમાન માટેનો છે અને સો એ સો ટકા બી.જે.પી.ના આજના શાસકોને લાગુ પડે છે. જેણે એક પછી એક લડાઈ જીતીને આખા દેશ પર કબજો જમાવ્યો હતો એ મરાઠાઓ વિદેશથી આવીને ભારત પર ચડાઈ કરનારા સામે કેમ હારી ગયા? બીજું, અમિત શાહ કહે છે એમ ભારત જે બસો વરસ માટે ગુલામ થયું એ પાણીપતની લડાઈ જીતનારાની ગુલામી નહોતી, ત્રીજા પક્ષકાર અંગ્રેજોની ગુલામી હતી અને તેમની સંખ્યા તો ભારતમાં પાણીપતમાં વિજય મેળવનારા અહમદશાહ અબ્દાલીના સૈનિકો કરતાં દસમાં ભાગની પણ નહોતી. જેતા અને વિજેતા જોતા રહ્યા અને ભારત ત્રીજા પક્ષકાર એવા મુઠ્ઠીભર અંગ્રેજોના હાથમાં કેમ ગયું? અમિતભાઈએ આ વિષે પણ વિચારવું જોઈએ કારણ કે તે પણ તેમના અત્યારના શાસન માટે પ્રાસંગિક છે.

આપણે જ્યારે અમિત શાહને વિચારવા માટેની ટિપ્સ આપી રહ્યા છીએ તો હજુ એક ટિપ આપી દઈએ કે અત્યારે જે નકશામાં દેખાય છે (પહેલાં અવિભાજિત અને હવે વિભાજિત) એ ભારતની રચના કોણે કરી? મુઘલોએ? મરાઠાઓએ? કે પછી અંગ્રેજોએ? સુજ્ઞ વાચક જવાબ જાણે છે; અંગ્રેજોએ. જે ૧૩૧ લડાઈઓ જીતનારા ન કરી શક્યા એ પાંચ હજાર કિલોમીટર દૂરથી આવેલા માત્ર થોડા હજાર અંગ્રેજો કેવી રીતે કરી શક્યા? આ સવાલના જવાબમાં પણ વર્તમાન શાસકોને શાસન કેમ કરાય એનો જવાબ મળે એમ છે. આમ પાણીપતની વાત કાઢી જ છે તો તેમાંથી મળતો ધડો ખૂબ કામનો છે. જો પહેલાંથી જ પાણીપતનો ધડો સમજી લીધો હોત તો ૨૦૧૯માં પાણીપતનો ડર ન લાગ્યો હોત. આ માનસિકતાની મર્યાદા છે જે ટિપિકલ હિંદુ છે એટલે પેશવાઓ પાણીપતની લડાઈ હાર્યા હતા અને અત્યારે હારવાનો ડર લાગે છે.

પહેલી વાત તો એ કે ભારતમાં મરાઠાઓનું રાજ હતું એ કહેવું ખોટું છે, એ પુનાના ચિત્પાવન બ્રાહ્મણ પેશવાઓનું રાજ હતું અને દરેક અર્થમાં બ્રાહ્મણોનું રાજ હતું. બીજું એ કે એમાં સામ્રાજ્યવાદના કોઈ પદાર્થો નહોતા. અચાનક આક્રમણ કરવાનું, પૈસાની જરૂર પડે ત્યારે હર હર મહાદેવ કહીને શહેરોને લૂંટવાનાં, ધોલ-ધપાટ કરવાની અને પછી એના એ રાજવીને ચોથાઈ(આવકનો ચોથો ભાગ)ની શરતે ચાલુ રાખવાનો અને જો ચાલુ ન રાખવો હોય તો ત્રણ ભાગ તારા એક ભાગ મારો એ ધોરણે કોઈ માવળાને એજન્ટ તરીકે નીમવાનો. સિંધિયા, હોલ્કર, ગાયકવાડ વગેરે આવા એજન્ટ હતા. આ બાજુ પુનામાં પેશવાઓ ચોથાઈ મેળવીને લહેર કરતા હતા.

ટૂંકમાં શાસક તરીકેની દૃષ્ટિમાં જ સમગ્રતા નહોતી. જે ૧૩૧ લડાઈઓ જીતી તે આ રીતની હતી, પાણીપતમાં અબ્દાલી સામે પરાજય થયો એ સંગઠિત રણનીતિના અભાવને કારણે થયો હતો અને દેશ અંગ્રેજોનો ગુલામ થયો એનું કારણ મરાઠા સામ્રાજ્ય વિકસી નહીં શક્યું એનું પરિણામ હતું. તમે ઇતિહાસનાં પાઠ્ય-પુસ્તકમાં મરાઠા સામ્રાજ્ય એવો શબ્દ વાંચ્યો છે? આર.સી. મજુમદાર જેવા રાષ્ટ્રવાદી ભારતીય ઇતિહાસકારો મુઘલોના રાજને મુઘલ એમ્પાયર તરીકે ઓળખાવે છે અને મરાઠાઓના રાજને મરાઠા સુપ્રીમસી તરીકે ઓળખાવે છે. રાજકીય ચડિયાતાપણું યસ, સામ્રાજ્ય નહીં. એ સમયના પેશવાઓના હિન્દવી સામ્રાજ્યનો અર્થ લોકોને કે દુશ્મનોને મારવા, રંજાડવા, લૂંટવા અને ચોથાઈનો ભાગ એવો થતો હતો. બીજી બાજુ ઈંગ્લેંડથી આવેલા થોડાક હજાર અંગ્રેજોએ બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર પાંચ હજાર કિલોમીટર દૂરના પ્રદેશમાં કરી શક્યા હતા, કારણ કે તેમને રાજ કરતાં આવડતું હતું. સામ્રાજ્યોનું નિર્માણ  ધોલ-ધપાટ અને હિંદુ-ગર્વના કસુંબાઓથી નથી થતું.

માત્ર બી.જે.પી. નહીં, જે જે લોકો અસ્મિતાઓનું રાજકારણ કરે છે એ લોકો જ્યારે સત્તામાં આવે છે ત્યારે તેમની સમક્ષ શાસનના પ્રશ્નો પેદા થાય છે. તેમની પ્રવીણતા ગંદી ઇશારતો કરવી, ગાળો દેવી, લેબલ ચોડવા, ધોલ-ધપાટ કરવી વગેરે હોય છે અને શાસકીય પદાર્થો જુદા હોય છે. માટે અસ્મિતાઓનું રાજકારણ કરનારાઓએ સત્તામાં આવ્યા પછી સૌ પહેલાં પાણીપતનો ધડો શીખી લેવો જોઈએ. શા માટે મરાઠાઓએ ભાગ્યે જ મળતી અલભ્ય તક ગુમાવી દીધી એની જાણ થશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 જાન્યુઆરી 2019

Loading

દેશ-વિદેશની સદ્ગુણી સ્ત્રીઓ

દીપક મહેતા|Opinion - Literature|14 January 2019

કાળચક્રની ફેરીએ

લગભગ સાડા ચારસો પાનાંનું પુસ્તક. મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાઈને ૧૮૬૦માં બહાર પડેલું. કિંમત હતી, એ જમાનામાં પણ ઘણી ઓછી ગણાય તેટલી, રૂપિયા બે. પુસ્તકનું નામ ‘સદગુણી સ્ત્રીઓ’ (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે). આજે પણ સ્ત્રીઓ વિશેનું આવું દળદાર પુસ્તક આપણી ભાષામાં ભાગ્યે જ પ્રગટ થાય. પુસ્તકમાં ક્યાં ય તેના ‘બનાવનાર’(લેખક)નું નામ છાપ્યું નથી. પણ આટલી ઓછી કિંમતનું કારણ પ્રસ્તાવનામાં આપ્યું છે. આવું પુસ્તક બનાવ્યું હોય તો સ્ત્રીઓને તો ખરું જ, પણ પુરુષોને પણ ઘણું ઉપયોગી થાય એમ એક પારસી બાનુને લાગ્યું એટલું જ નહિ, એવું પુસ્તક તૈયાર કરી છાપવા માટે સારી એવી રકમની સખાવત પણ તેમણે કરી. પણ જેમ પુસ્તકના લેખકનું નામ છાપ્યું નથી, તેમ આ સખાવતી પારસી બાનુનું નામ પણ ક્યાં ય છાપ્યું નથી. ફક્ત તેમનો આભાર દીબાચામાં માન્યો છે.

પુસ્તકના નામ પરથી રખે માનતા કે સ્ત્રીઓએ કેળવવા કે મેળવવા જેવા સદ્ગુણોનો કોથળો તેમાં ઠાલવ્યો હશે. સીધો ઉપદેશ સૌથી ઓછો અસરકારક હોય છે તે વાત દાતા અને લેખક બંને જાણતા હતા. એટલે તેમણે આપણા દેશ સહિત અનેક દેશોની જાણીતી ૧૦૫ સ્ત્રીઓનાં જીવનચિત્રો આ પુસ્તકમાં આપ્યાં છે. સ્ત્રીની સમાનતા કે સશક્તિકરણનું નામ પણ આપણા દેશમાં જ્યારે કોઈએ સાંભળ્યું નહોતું ત્યારે સ્ત્રીઓનાં જીવનચિત્રોનું આવું દળદાર પુસ્તક પ્રગટ કરવા પાછળનો માયનો ? દીબાચામાં કહ્યું છે:

૧૯મી સદીમાં ગુજરાતમાં જ નહિ, આખા દેશમાં અંગ્રેજ હકૂમત માટે પ્રેમાદર ધરાવનારો ઠીક ઠીક મોટો વર્ગ હતો. પારસીઓ તેમાં અગ્રણી હતા. એટલે આ પુસ્તકમાં પહેલું ચરિત્ર મહારાણી વિક્ટોરિયાનું આપ્યું છે અને પુસ્તકની શરૂઆતમાં તેમનો સ્કેચ પણ મૂક્યો છે. એટલું જ નહિ, પહેલાં ૨૫ જીવનચિત્રો પણ બ્રિટનના રાજઘરાણાની સ્ત્રીઓનાં કે બીજી બ્રિટીશ સ્ત્રીઓનાં આપ્યાં છે. ત્યારબાદ આપણા દેશની સ્ત્રીઓનો વારો આવે છે. તેમાં પહેલું ચરિત્ર ભગવાન બુદ્ધના શિષ્ય સારીપુત્રની માતા સારિકાનું આપ્યું છે. પછી તારાબાઈ, દુર્ગાવતી, પદ્મિની, દેવળદેવી, રઝિયા બેગમ, મીરાંબાઈ, જસમા, પન્ના, મીનળદેવી, ચાંદબીબી, અહલ્યાબાઈ વગેરે સ્ત્રીઓનાં ચરિત્રો આપ્યાં છે. તે પછી લેખક પાછા બીજા દેશોની સ્ત્રીઓનાં ચરિત્રો તરફ વળે છે. તેમાં ઇતિહાસ ઉપરાંત દંતકથા કે સાહિત્યમાં જાણીતી હોય તેવી સ્ત્રીઓનો પણ સમાવેશ કર્યો છે. ગ્રીસ, રોમ અને યુરોપના બીજા કેટલાક દેશોની સ્ત્રીઓ વિષે પણ અહીં વાત કરી છે. છેલ્લું ચિત્ર એક અનામી અમેરિકન સ્ત્રીનું આપ્યું છે. હા, આજે આપણને લાગે કે આવડા મોટા પુસ્તકમાં હિન્દુસ્તાનની સ્ત્રીઓનાં જીવનચિત્રો તો પ્રમાણમાં ઓછાં છે. પણ ૧૮૬૦માં ગૂગલદેવતા તો હતા નહિ, અને આપણા દેશની સ્ત્રીઓ વિશેની મુદ્રિત સંદર્ભ સામગ્રી પણ નજીવી. અને આવી સામગ્રી વગર લખવું શી રીતે? એટલે આપણા દેશની વધુ સ્ત્રીઓનો સમાવેશ અહીં ન થયો હોય તો તે સમજી શકાય. તો સાથોસાથ એ પણ નોંધવું જોઈએ કે લેખક-દાતા બન્ને પારસી હોવા છતાં અહીં એક પણ પારસી સ્ત્રીનું જીવનચિત્ર આપવાનો લોભ રખાયો નથી.

પુસ્તકમાં તેના લેખક કે દાતા બાનુનું નામ છાપ્યું નથી એટલે આપણે તો શું કરી શકીએ એમ વિચારી હાથ જોડીને બેસી રહેવાય નહિ. એ શોધવા માટે ખાંખાખોળાં કરવાં પડે. કર્યાં. હંમેશની જેમ ‘પારસી પ્રકાશ’ પુસ્તક વહારે ધાયું. તેમાં જણાવ્યા પ્રમાણે આ પુસ્તકના લેખકનું નામ બેહરામજી ખરશેદજી ગાંધી. અને સખાવતી બાનુનું નામ બાઈ ભીખાઈજી તે શેઠ ડોશાભાઈ ફરામજી કામાજીનાં ધણિયાણી. (પારસી પ્રકાશ, દફતર ૧, પા. ૮૧૯) નામ મળ્યાં એટલે કામ પૂરું? ના, કામ શરૂ.

પહેલાં ત્રણ દફતરનાં સાંકળિયાં (સૂચિ) ઝીણી આંખે તપાસી. ઢગલો માહિતી મળી. બેહરામજી ખરશેદજી ગાંધી વિષે પહેલાં વાત: ૧૮૨૯માં જન્મ. ૧૮૮૬ના એપ્રિલની ૨૫મી તારીખે બેહસ્તનશીન  થયા. મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટીટ્યૂશન(કોલેજ)માંથી ૧૮૪૮માં ‘વેસ્ટ સ્કોલર’ બની પાસ થયા અને ત્યાં જ શિક્ષક તરીકે જોડાયા. એ જ વર્ષે બે અંગ્રેજ અધ્યાપકો એ.એમ. પેટન અને આર.ટી. રીડની દોરવણી હેઠળ સ્થપાયેલી સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીની પહેલી કારોબારીના બેહરામજી એક સભ્ય હતા. ૧૮૪૯માં આ સોસાયટીની એક બેઠકમાં એવણે સ્ત્રી કેળવણી પર એક ‘રીસાલો’ (નિબંધ) વાંચ્યો તેની એટલી અસર થઈ કે સોસાયટીએ તાબડતોબ મુંબઈમાં કન્યાશાળાઓ શરૂ કરવાનું નક્કી કર્યું. ૧૮૪૯ના ઓક્ટોબરની ૨૧મી તારીખથી છોકરીઓ માટેની બે મરાઠી અને ચાર ગુજરાતી નિશાળો શરૂ કરી. તેમાં કોટની ગુજરાતી નિશાળમાં બેહરામજીએ એક પાઈ પણ લીધા વિના શીખવવાનું શરૂ કર્યું. ૧૮૫૧ના સપ્ટેમ્બરથી એવણે ‘ચીતર જ્ઞાન દરપણ’ નામનું સામયિક શરૂ કર્યું હતું અને તેના અધિપતિ (તંત્રી) બન્યા હતા. પણ તેમાં લઘુમતી કોમની લાગણી દૂભાય એવું એક લખાણ પ્રગટ થયું છે એમ કેટલાકને લાગતાં મુંબઈમાં પારસી-મુસ્લિમ હુલ્લડ ફાટી નીકળ્યું હતું.

૧૮૫૪માં બેહરામજીને સુપ્રીમ કોર્ટ (આજની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી કોર્ટ)માં દુભાષિયાની નોકરી મળી. આ ઉપરાંત તેઓ મુંબઈ સમાચાર, સમાચાર દરપણ, જામે જમશેદ તથા સ્ત્રીબોધના તંત્રી પણ બન્યા હતા. ૧૮૫૯માં તેમણે ચાઈના મર્કન્ટાઈલ નેવિગેશન કંપની અને ૧૮૬૦માં ચાઈના મર્ચન્ટ્સ ઇન્સ્યુરન્સ કંપની સ્થાપી હતી. ૧૮૭૪થી ૧૮૭૬ સુધી તેઓ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય રહ્યા હતા. ‘કૈસરે હિન્દ’ના ૨ મે, ૧૮૮૬ના અંકમાં જણાવ્યા પ્રમાણે “બોમ્બે ક્રોનિકલ નામનું અંગ્રેજી અઠવાડિયાનું પત્ર “આજ સુમારે સાત વરસ થયાં તેમણે પ્રવર્તાવવા માંડ્યું હતું.” સદગુણી સ્ત્રીઓ સિવાયનું બીજું કોઈ પુસ્તક તેમણે લખ્યું હોય એવી માહિતી મળતી નથી.

બાઈ ભીખાઈજીના ધણી ડોશાભાઈ ફરાંમજી કામાજી ૬૯ વર્ષની ઉંમરે ૧૮૯૨ના જાન્યુઆરીની ૨૫મી તારીખે બેહસ્તનશીન થયા હતા. તેઓ મુંબઈના જાણીતા વેપારી તો હતા જ, પણ સાથોસાથ સુધારાની પ્રવૃત્તિના સબળ ટેકેદાર પણ હતા. સમાજ સુધારો, કેળવણી અને પારસી ધર્મને લગતી સંસ્થાઓને તેમણે વખતોવખત દાન આપ્યાં હતાં. ધીમે ધીમે તેમણે પોતાનો વેપાર કલકત્તા, કેન્ટોન, શાંઘાઈ સુધી વિસ્તાર્યો હતો. તે માટે તેમણે ચીન, યુરોપ અને અમેરિકાની મુસાફરી કરી હતી. સ્ત્રીબોધ માસિક શરૂ થયું ત્યારે પહેલાં બે વર્ષ તેમણે તેને દર વર્ષે ૧૨૦૦ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. તો દસ વર્ષ સુધી પોતાને ખર્ચે ‘રાસ્ત ગોફતાર’ સામયિક ચલાવી દસ હજાર રૂપિયાની ખોટ ખમી ખાધી હતી. જો કે ૧૮૬૫માં શેરબજાર ભાંગ્યું ત્યારે બીજા ઘણાની જેમ એવણ પણ મંદીમાં સપડાયા હતા.   

છેલ્લે, બાઈ ભીખાઈજીના ધણી ડોશાભાઈ ફરાંમજી કામાજી વિષે એક મહત્ત્વની વાત: ૧૯મી સદીમાં જ નહિ, આજ સુધીમાં આપણી ભાષામાં પ્રગટ થયેલાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોમાં નોખી ભાત પાડતું એક પુસ્તક તે ૧૮૬૪માં પ્રગટ થયેલું ‘અમેરીકાની મુસાફરી.’ ૧૮૬૨માં બે પારસી મિત્રોએ ઇન્ગ્લંડથી અમેરિકાની મુસાફરી કરી હતી તેનું આ વર્ણન છે. પણ પુસ્તકમાં ક્યાં ય નથી તો તેના લેખકનું નામ છાપ્યું, કે નથી તેના મિત્ર વિષે કશી માહિતી આપી. પણ પારસી પ્રકાશને આધારે આપણે જાણી શક્યા છીએ કે પુસ્તક લખનાર હતા શેઠ પીરોજશાહ પેશતનજી મહેરહોમજી અને પ્રવાસમાં સાથે રહેલા તેમના મિત્ર હતા ડોશાભાઈ ફરાંમજી કામાજી. હા, જી. આ ડોશાભાઈ તે બાઈ ભીખાઈજીના ધણી.

એ જમાનાના મોટા પારસી વેપારીઓમાં તેમની ગણના થતી. તેમની સરખામણીમાં પીરોજશાહ એવી મોટી હસ્તી નહિ. ડોસાભાઈની કંપનીમાં આસિસ્ટંટ તરીકે તેઓ કામ કરતા. બોમ્બે ગેઝેટમાં જણાવ્યા પ્રમાણે ૧૮૫૮ના મે મહિનાની ૯મી તારીખે મેલ સ્ટીમર ‘ગેન્જીસ’ દ્વારા મુંબઈથી ઇન્ગ્લન્ડ જવા ચાર પારસીઓ નીકળ્યા: મંચેરજી હોરમજજી કામાજી, કાવસજી એદલજી ખંભાતા, અરદેશર કાવસજી મોદી, અને પીરોજશાહ. જો કે વખત જતાં ડોશાભાઈ અને પીરોજશાહ શેઠ અને નોકર કરતાં મિત્રો જેવા વધુ બન્યા. પીરોજશાહ જેવા નોકરિયાત માણસ માટે એ જમાનામાં અમેરિકાની મુસાફરી કરવાનું મુશ્કેલ. એટલે મુસાફરીનો ખર્ચ ડોશાભાઈએ જ ઉપાડ્યો હોય. આમ, અમેરિકાના પ્રવાસમાં મુખ્ય મુસાફર ડોશાભાઈ હતા, અને પીરોજશાહ હતા તેમના સાથી સફરી. પુસ્તકમાં અમેરિકાની મોંઘી હોટેલોમાં રહ્યાની વાત છે, અમેરિકાની વિસ્તૃત મુલાકાતની વાત છે, સરકારી, લશ્કરી, વૈદકીય, મોટી વેપારી સંસ્થાઓની મુલાકાતની વાત છે, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનની મુલાકાતની વાત છે. આ બધું પીરોજશાહ જેવા એક નોકરિયાત માટે ગજા બહારની વાત ગણાય. એટલે ડોશાભાઈને કારણે જ એ બધું શક્ય બન્યું હોય. પણ પુસ્તક લખાયું છે એવી રીતે કે પીરોજશાહ મુખ્ય મુસાફર હોય, અને ડોશાભાઈ તેમની સાથે ગયા હોય એમ લાગે. ખરું જોતાં ડોશાભાઈની સાથે પીરોજશાહ ગયા હતા તેમ કહેવું વધારે વાજબી ગણાય.

પણ પીરોજશાહ અને ડોશાભાઈ વચ્ચેનો સંબંધ બહુ લાંબો નહિ ચાલ્યો હોય તેમ લાગે છે. કારણ ૧૮૬૩માં પીરોજશાહ મુંબઈ પાછા આવ્યા તે પછી ડોશાભાઈ સાથેના તેમના સંબંધ અંગે કશું જાણવા મળતું નથી. પણ ૧૮૭૨માં ધનજીભાઈ રતનાગર એન્ડ કંપનીમાં પીરોજશાહ એક ભાગીદાર બન્યા એમ જાણવા મળે છે. ૧૮૭૭ના માર્ચ મહિનાની ત્રીજી તારીખે પીરોજશાહે મુંબઈના દાદર વિસ્તારમાં ઈનેમલનાં વાસણો બનાવવાનું પોતાનું કારખાનું શરૂ કર્યું હતું, પીરોજશાહ પોટરી વર્કસ. તેમાં બીજા બે ભાગીદારો હતા ધનજીભાઈ ખરશેદજી રતનાગર અને બરજોરજી ખોદાદાદ ઈરાની. કચ્છના મહારાવના આમંત્રણથી પીરોજશાહ ૧૮૭૮માં માંડવી ગયા હતા અને ત્યાં પણ એનેમલનું કારખાનું શરૂ કરી આપ્યું હતું. ૧૯૦૪ના જૂન મહિનાની ૭મી તારીખે પીરોજશાહનું અવસાન થયું.

આપણે વાત શરૂ કરી હતી ૧૮૬૦માં પ્રગટ થયેલ પુસ્તક ‘સદગુણી સ્ત્રીઓ’થી. અને છેવટે ક્યાંના ક્યા પહોંચી ગયા! છેક ૧૯૦૪ સુધી. અને વચમાં ‘અમેરિકાની મુસાફરી’ પણ કરી લીધી. ૧૯મી સદીનાં પુસ્તકો, લેખકો, સંસ્થાઓ, સામયિકો અંગે વાત કરવી એ અમદાવાદની પોળોમાં લટાર મારવા જેવું છે. તમે ચાલતા રહો તો ક્યાંના ક્યાં નીકળી જાવ તેની ખબર પણ ન પડે!

સંદર્ભ: ૧. પારસી પ્રકાશ, દફતર ૧-૩

          ૨. પારસી મરત્યુકો, ભાગ ૩. સંપાદક બહમનજી બેહરામજી પટેલ 

          ૩. અમેરીકાની મુસાફરી

xxx xxx xxx

[પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, જાન્યુઆરી 2019]

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

...102030...2,8732,8742,8752,876...2,8802,8902,900...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved