Opinion Magazine
Number of visits: 9968768
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નરેન્દ્ર મોદી જે બોલે તે કરી દેખાડે તો ભારતના મહાન વડાપ્રધાનોમાં સ્થાન પામશે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 June 2019

વડા પ્રધાનને વિનંતી કહો તો વિનંતી અને સલાહ કહો તો સલાહ એક જ છે કે તેમણે મંગળવારે લોકસભામાં કરેલા ભાષણનું પારાયણ રોજ સવારે કમસેકમ એક વાર કરવું જોઈએ. હું ગેરંટી સાથે કહું છું કે નરેન્દ્ર મોદી ભારતના થઈ ગયેલા અને હવે પછી થનારા અમર વડા પ્રધાનોમાં સ્થાન પામશે. ગેરંટી. ગેરંટી આપવાનું કારણ એ કે અમરત્વનો માર્ગ એ જ છે જે તેમણે શબ્દો દ્વારા કંડારી આપ્યો છે. હવે તેમણે શબ્દો દ્વારા કંડારી આપેલા માર્ગને તેના પર ચાલીને ચરણો દ્વારા કંડારી આપવાનો છે.

વડા પ્રધાને તેમના ભાષણમાં કૉન્ગ્રેસ પર આકરી ટીકા કરી છે. વડા પ્રધાન જ્યારે તેમના ભાષણનું નિત્ય પારાયણ કરે ત્યારે તેમણે તે ટીકાઓનું પણ પારાયણ કરવું જોઈએ, કારણ કે તે પણ હિતકર છે. તેમના માટે, તેમના પક્ષ માટે અને દેશ માટે પણ. જે ભૂલો કૉન્ગ્રેસે કરી એ તેઓ ન કરે એ માટે કૉન્ગ્રેસ પર કરેલા પ્રહારોનું પણ પારાયણ કરતા રહેવું જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી મુદ્દતમાં આકરી ટીકા કરી હોવા છતાં હું દિલથી ઈચ્છું છું કે તેઓ ભારતના મહાન અને અમર વડા પ્રધાનોમાં સ્થાન પામે. આમાં આપણો સ્વાર્થ છે, આપણાં સંતાનોનો સ્વાર્થ છે અને દેશનો સ્વાર્થ છે. આમાં નરેન્દ્ર મોદી માટે અંગત લાગણી કે દ્વેષનો સવાલ નથી. મૂલ્યો વ્યક્તિનિરપેક્ષ હોય છે અને આપણી પ્રતિબદ્ધતા મૂલ્યો સાથેની છે.

શું કહ્યું હતું વડા પ્રધાને? તેમણે કહ્યું હતું કે આપણે ભારતને સુરક્ષિત, આધુનિક અને બધાનો સહિયારો સર્વસમાવેશક દેશ બનાવવો છે. એને માટે મતદાતાઓએ ગઈ ચૂંટણીમાં વિધાયક મતદાન કરીને સરકારનાં સપનાંને અનુમોદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે સાચા સેક્યુલરિઝમ માટેની તક ભૂતકાળમાં ગુમાવી દીધી છે. કૉન્ગ્રેસે ચોક્કસ કોમવિશેષનું તુષ્ટિકરણ કરનારું પક્ષપાતી સેક્યુલરિઝમ અપનાવ્યું હતું. દેશને પક્ષપાત રહિત સાચા સેક્યુલરિઝમની જરૂર છે. તેમણે કહ્યું હતું કે લોકોએ તેમને પક્ષપાત રહિત સાર્વત્રિક કલ્યાણ અને વિકાસ માટે મત આપીને આવો આદેશ આપ્યો છે. તેમણે તેમનાં ભાષણમાં મહાત્મા ગાંધી, રામ મનોહર લોહિયા અને જવાહરલાલ નેહરુને અનેકવાર બે મોઢે ટાંક્યા હતા. તેનાથી ઊલટું તેમણે સાવરકર-હેડગેવાર અને ગોલવલકરનો નામોલ્લેખ સુદ્ધા નહોતો કર્યો. તેમણે એમ પણ કબૂલ્યું હતું કે તેમની પહેલાં જેટલાં વડા પ્રધાનો થઈ ગયાં છે તેમણે દેશના નિર્માણમાં યોગદાન આપ્યું છે. આજે આપણે જ્યાં ઊભા છીએ એ તેમના થકી છે એવી પ્રામાણિક કબૂલાત તેમણે કરી હતી. ઊલટું તેમણે કૉન્ગ્રેસને પડકાર ફેંક્યો હતો કે એવો એક પણ પ્રસંગ બતાવો જ્યારે કૉન્ગ્રેસે નેહરુ-ગાંધી પરિવારના સભ્યોને છોડીને બીજાની કદર કરી હોય.

વડા પ્રધાનના ભાષણમાં માત્ર એક હકીકત દોષ છે એ તરફ ધ્યાન દોરવું જોઈએ. એ દોષ ભૂલમાં છે કે જાણીબૂજીને એ આપણે જાણતા નથી. તેમણે વૈયક્તિક કાયદાઓ (પર્સનલ લોઝ) નહીં હટાવવા માટે કૉન્ગ્રેસને જવાબદાર ઠરાવી છે. આ હકીકત દોષ છે. બંધારણ ઘડનારાઓએ પર્સનલ લોઝને હાથ નહોતો લગાડ્યો અને તેને નિર્દેશક સિદ્ધાંતોમાં મૂકીને ભાવિ પેઢી માટે છોડી દેવામાં આવ્યો હતો. ત્યારે પર્સનલ લોઝને હાથ નહોતો લગાડ્યો એનું એક કારણ કૉન્ગ્રેસની અંદર રહેલા રૂઢિચુસ્ત હિંદુઓનો અને કૉન્ગ્રેસની બહારના સનાતનીઓ તેમ જ હિન્દુત્વવાદીઓનો વિરોધ હતો. આમ એ સમયે દરેક સમાજ માટે એક સરખા કાયદા સ્થાપિત ન થઈ શક્યા તેમાં નરેન્દ્ર મોદીના કુળનો મોટો હાથ હતો. ઊલટું કૉન્ગ્રેસે તો હિંદુ કોડ બિલ લાવીને હિંદુ સ્ત્રીઓને ન્યાય આપ્યો હતો જેનો પણ સનાતનીઓએ અને હિન્દુત્વવાદીઓએ વિરોધ કર્યો હતો.

બીજી પણ એક બાબત છે જેની સાથે સંમત થવું મુશ્કેલ છે. તેઓ કહે છે કે મતદાતાઓએ સાચા સેક્યુલર ભારતના સપનાંને સાકાર કરવા મત આપીને અનુમોદન આપ્યું છે. મારો અભિપ્રાય એવો છે કે મોટા ભાગના હિંદુ મતદાતાઓએ હિંદુ ભારતને સાકાર કરવા મત આપ્યા છે. આમ છતાં ય વડા પ્રધાન મતદાતાઓના અનુમોદનનું જે અર્થઘટન કરી રહ્યા છે તેના તરફ જો પ્રામાણિક અને પ્રતિબદ્ધ હોય તો આપણે મતદાતાઓના અનુમોદનનું અર્થઘટન બદલવામાં વાંધો ન હોઈ શકે. અરે હું તો હરખે હરખે એ કરવા તૈયાર છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાબતમાં હું ખોટો પડવા તલસું છું પણ દુર્ભાગ્યે આજ સુધી ખોટો પડ્યો નથી.

તો પર્સનલ લોઝ વિશેના એક કથનને છોડીને વડા પ્રધાનના પ્રત્યેક શબ્દ સાથે હું સંમત છું. કૉન્ગ્રેસની જે વાતે તેમણે ટીકા કરી છે તેની સાથે પણ. હવે એ માર્ગે ચાલવાનું અને કૉન્ગ્રેસના માર્ગે નહીં ચાલવાનું ઉત્તરદાયિત્વ વડા પ્રધાનનું બને છે. એટલે જ પ્રારંભમાં કહ્યું એમ વડા પ્રધાને આનું નિત્ય પારાયણ કરવું જોઈએ. શું કરવું અને શું ન કરવું એ બન્નેનું પાથેય તેમણે બતાવી આપ્યું છે. હવે જ્યારે પથ અને પાથેય બન્ને ગજવામાં છે ત્યારે એક જ કરવાનું બચે છે : ચરૈવેતિ! નીકળી પડો, અમે તમારી સાથે છે. અમને દેશના મહાન વડા પ્રધાનોમાં સ્થાન પામનારા નરેન્દ્ર મોદી જોઈએ છે. અને આગળ કહ્યું તેમ માર્ગ આ જ છે, આ જ છે અને આ જ છે.

અને જો વડા પ્રધાન આ માર્ગે ન ચાલે તો? તો ઇતિહાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કઈ રીતે ન્યાય આપશે એ કહેવાની જરૂર છે? નરેન્દ્ર મોદીના સમર્થકો અને પ્રસંશકોને એક વાત કહેવી રહી. ઇતિહાસ તમે નથી લખવાના. જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે નથી તમે હોવાના કે નથી તમારી તાળીઓ અને ચિચિયારીઓ હોવાની. ઇતિહાસ હંમેશાં સમયના સલામત અંતર પછી લખાતો હોય છે અને લખનારા તેમની એરણે મૂલ્યાંકન કરશે. અર્ણવ ગોસ્વામીઓ દ્વારા વર્તમાનને પ્રભાવિત કરી શકાય, ભવિષ્યમાં લખાનારા ઇતિહાસને પ્રભાવિત નથી કરી શકાતો. એટલે તમે જો નરેન્દ્ર મોદીને સાચો પ્રેમ કરતા હોય, તો તમારે પણ તેમને વિનંતી કરવી જોઈએ કે તેઓ લોકસભાના ભાષણનું નિત્ય પારાયણ કરીને અમર થાય. બાકી બતાવવાના જુદા અને ચાવવાના જુદા એવું હોય તો વાત જુદી છે. જો તમે હિંદુ ભારત માટે વોટ આપ્યો હશે તો તમારે પ્રામાણિકતાપૂર્વક વડા પ્રધાનનો વિરોધ કરવો જોઈએ અને કહેવું જોઈએ કે અમે તમને આ સારુ મત નહોતા આપ્યા.

ઢંઢોળી જુઓ અંતરાત્માને તમે ક્યાં ઊભા છો? 

25 જૂન 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27 જૂન 2019

Loading

અમથી અમથી મૂઈ! ઓલ્યા માંડવાની જૂઈ!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|27 June 2019

હૈયાને દરબાર

સ્વપ્નોની દુનિયા કેવી રંગીન હોય છે! કહેવાય છે કે શમણાં તો પંખીની જાત! એને પાંખો આવે એટલે આસમાનની પેલે પાર ઊડવા જ લાગે! ગયા અઠવાડિયે એક સપનું આવ્યું ને સપનામાં દેખાઈ જૂઈ. ફરફરતી, મઘમઘતી, ડોલતી, નાચતી, ઝૂમતી, ઘૂમતી, તરંગિત અને પ્રફુલ્લિત! કો’ક સરસ મજાના માંડવે ગર્વોન્વિત ઝૂલતી હતી. પરંતુ, એનું આ સુખ તો ક્ષણિક હતું એ આ કમભાગી જૂઈને ક્યાં ખબર હતી? જૂઈને જેની પ્રતીક્ષા હતી એ છબિ આંખ સામેથી ઓઝલ થઈ રહી હતી! વિરહથી બેબાક જૂઈનું અસ્તિત્વ ખરી પડવાનું છે એ વિચારે સપનામાં જ આંખોમાં વાદળ બંધાયાં. ભેજની ભીનાશમાં આંખ ખૂલી ગઈ, સવારે છ વાગે. બેડના સાઈડ ટેબલ પર મૂકેલો ફોન ઉઠાવ્યો. યુટ્યૂબ ઑન કરીને ગીત સાંભળવાનું શરૂ કર્યું, અમથી અમથી મૂઈ, ઓલ્યા માંડવાની જૂઈ! હૃદયની ભીતરમાં એક સન્નાટો છવાયો. નાજુક-નમણી જૂઈ સ્વર્ગે સિધાવી ગઈ હતી. કમરામાં ઘેરી ઉદાસી વ્યાપી ગઈ. આંખમાંથી ધીરે-ધીરે આંસુ ટપકવા લાગ્યાં પરંતુ, મન હળવું થઈ ગયું. રુદન પણ એક થૅરપિ છે. ગળે બાઝેલો ડૂમો વહેતાં અશ્રુ કરતાં વધારે તકલીફદાયી હોય છે. બસ, એને મોકળો કરી દેવાનો.

જૂઈના બોયફ્રેન્ડ પવને એને જે માનપૂર્વક જગતમાંથી વિદાય આપી એ ક્લાઈમેક્સ કલ્પનાતીત છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ! લાગણીઓનો પણ એક સ્વાદ હોય છે. કડવો, મીઠો, તૂરો, તીખો કે ખારો! મન જલે ત્યારે હૃદય રાખ થઈ જાય છે. અને રાખમાંથી ફિનિક્સ પંખીની જેમ સંગીતના સૂર ગીત સ્વરૂપે બહાર નીકળવા લાગે પછી મન પરમ પરિતૃપ્તિ અનુભવે છે.

માંડવાની જૂઈ ગીત મનમાં કોઈક અકળ ભાવ જગાડે છે. ગુજરાતી સુગમ સંગીત સમુદ્રના મોતી જેવું મોંઘેરું ગીત છે માંડવાની જૂઈ.

જૂઈના રૂપકથી એમાં કન્યાનાં અધૂરાં રહી ગયેલાં અરમાનની વાત ફૂલ જેવી નાજુકીથી રજૂ થઈ છે. અમથી અમથી મૂઈ…માં જૂઈના અકાળે કરમાઈ ગયેલાં જીવનની વાત છે. જૂઈનું જીવન એટલે એક લાંબી તરસ. તડકામાં ઊછરી હોવા છતાં એ જિંદગીના તાપ-વિપદા અને દુ:ખોથી ડરી જાય છે એવી વાત કવિએ કેવી ગજબ રીતે વર્ણવી છે. એનો હાથ પકડનાર, એનો સંગી-સાથી છેવટ સુધી આવ્યો જ નહીં. પ્રિયતમની રાહમાં ને રાહમાં એ એક ક્ષણમાં ખરી પડી. જૂઈને જેનો ઈન્તજાર હતો એ પવન આખરે આવ્યો, પણ જૂઈના મૃત્યુ બાદ જ! જૂઈને રોજ રમાડતો, વહાલ કરતો પવન જૂઈના મોતનો મલાજો રાખે છે. પશ્ચાત્તાપરૂપે જૂઈને ઝાકળમાં નવડાવી, ધૂળમાં પોઢાવી એનાં અગ્નિસંસ્કાર કરે છે. પોતાની માનીતી, મઘમઘતી જૂઈને એ અગ્નિદેવતાને ખોળે સોંપે છે. અધૂરા રહી ગયેલા પ્રેમનું આ ગીત સ્વરના ઉતાર-ચડાવ તથા અંતરાના વૈવિધ્યને લઈને વધારે અર્થસભર બન્યું છે. એક વાર સાંભળ્યા પછી આ ગીત મનમાં લાંબા સમય સુધી વિષાદની લાગણી છોડી જાય છે. પુરૂષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનની આ કમાલ છે!

જો કે, આ ગીતની સર્જનપ્રક્રિયા બહુ રસપ્રદ છે. કારુણ્યની પરાકાષ્ઠા સમાન આ ગીત ગરબારૂપે પહેલી વાર રજૂ થયું હતું એ કોઈ માની શકે? એ વિશે વાત કરતાં પુરુષોત્તમ ઉપાધ્યાય કહે છે, "ભારતીય વિદ્યાભવનમાં ‘આ માસનાં ગીતો’ તથા ગરબાના કાર્યક્રમો અવિનાશ વ્યાસ નિયમિતપણે કરતા હતા. એમાં દીવડાનો ગરબો પત્રકાર-કવિ જીતુભાઈ મહેતા લખે અને અવિનાશભાઈ કમ્પોઝ કરે. એક વખત બન્યું એવું કે અવિનાશ વ્યાસની અતિ વ્યસ્તતાને કારણે એમણે ભવનના ગરબાના કાર્યક્રમ માટે દીવડાનું ગીત મને સ્વરબદ્ધ કરવા આપ્યું. એ ગીત હતું માંડવાની જૂઇ. ગીત કમ્પોઝ થઈ ગયું એટલે અવિનાશભાઈ અને હું જિતુભાઈ મહેતાને સંભળાવવા એમના વિલેપાર્લેના ઘરે ગયા. સંગીતના ક્ષેત્રમાં હું તો સાવ નવો હતો. ૧૫-૧૬ની ઉંમર. અવિનાશ વ્યાસના આસિસ્ટન્ટ તરીકે એમનું બધું કામ કરતો એટલે જિતુભાઈને આ ગીત મેં કમ્પોઝ કર્યું છે એવું હમણાં કહેવું નહીં એમ અવિનાશ વ્યાસે મને જણાવ્યું હતું. સ્વરાંકન તો એમને ખૂબ પસંદ આવ્યું. પાંચ દિવસના કાર્યક્રમમાં દીવડાના ગરબા તરીકે એ ગીત રજૂ થવા લાગ્યું. કાર્યક્રમના પહેલા દિવસે સંગીતકાર દિલીપ ધોળકિયા પ્રેક્ષકગણમાં બેઠા હતા. એમને એવો અંદેશો આવ્યો કે આ ગીત અવિનાશ વ્યાસનું ન હોઈ શકે. શૈલી પરથી તો પરખાઇ જાય ને! પોતાના મનનો વહેમ સાચો છે કે ખોટો એ નક્કી કરવા બીજે-ત્રીજે દિવસે પણ તેઓ કાર્યક્રમમાં આવ્યા અને ત્રીજા દિવસે બેકસ્ટેજમાં આવી મને કહ્યું કે આ ગીત તેં કમ્પોઝ કર્યું છે ને? હું તો મૌન હતો ત્યારે અવિનાશ વ્યાસ જ બોલ્યા કે, "હા આ ગીત પશવા (પુરુષોત્તમભાઇને લાડથી એ પશવો કહેતા) એ સ્વરબદ્ધ કર્યું છે. એને આ ગીતની ક્રેડિટ આપવી જ જોઈએ.

આમ કાર્યક્રમના ચોથા અને પાંચમા દિવસે સ્વરકાર તરીકે પુરુષોત્તમ ઉપાધ્યાયનું નામ પહેલી વાર ભવન્સના ઓડિટોરિયમમાં અનાઉન્સ થયું, જે નામ આજે સુગમ સંગીતનો પર્યાય બની ગયું છે. પુરુષોત્તમ ઉપાધ્યાયની કારકિર્દીનું સૌપ્રથમ ગીત હોવા છતાં આજે પણ એટલું જ લોકપ્રિય છે.

એવું તે શું છે આ માણસનાં સંગીતમાં કે તે આટલી બધી અસર કરે છે? મને લાગે છે કે સૌથી વધુ સ્પર્શતી બાબત એ એમના ભાવસભર અવાજની, એમની રજૂઆતની અને એમના સંગીતની તાજગીની છે. એક જ ગીત એમની પાસે અનેકવાર સાંભળો છતાં એ તાજું જ લાગે. ગુજરાતી સુગમસંગીત પુરુષોત્તમભાઇને પામીને ધન્ય બની ગયું છે. ગુજરાતી સુગમસંગીતનો એ શ્વાસ છે.

એમની સંગીતસમૃદ્ધ દીકરીઓ વિરાજ-બીજલે પિતા પુરુષોત્તમ વિશે બિલકુલ યથોચિત વાત લખી છે. "એમની પાસેથી અમે સંગીતની ઘણી બારીકાઇ શીખ્યાં છીએ. હારમોનિયની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ શીખ્યાં છીએ. પપ્પા બેસ્ટ પરફોર્મર છે. ઉત્તમ ગાયક, ઉત્તમ સ્વરાંકન, ઉત્તમ કવિતા – આમ, બધું જ ઉત્તમ ભેગું થાય ત્યારે શ્રેષ્ઠ ‘- પરફોર્મરનો જન્મ થાય છે. એમનાં ગીતો અમે હજ્જારો વાર હજ્જારોની સંખ્યામાં એમના જ કંઠે સાંભળ્યા છે છતાંયે અમને કાન છુટ્ટો’ કરવાનું મન ક્યારેક નથી થયું. પપ્પાનું સંગીત અમને વધુ ગુજરાતી બનાવે છે. પપ્પાથી સંગીત જેટલું નજીક એટલાં જ નજીક અમે. પપ્પાનું ઘર એટલે સંગીતનું નગર. વોશ-બેસિનના ખળખળ વહેતા નળમાંથી પણ તમે ‘સા’ ઘૂંટી શકો એવો સુરીલો માહોલ ..!

વાહ, ક્યા બાત હૈ! આવો માહોલ ભાગ્યશાળીને જ મળે.

સંગીતના જ નહીં, જિંદગીના આરોહ-અવરોહ જેમણે જોયાં છે એ પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ૧૯૩૨માં, ઉત્તરસંડા નામના ગામમાં. આમ તો એ પટેલોનું ગામ. બ્રાહ્મણનાં બે-ચાર ખોરડાં, તેમાંથી એક બ્રાહ્મણ કુટુંબની મા અને દીકરીઓ નવરાત્રીમાં ગરબા ગવડાવે સાથે નાનો ભાઈ પુરુષોત્તમ પણ જાય. એને પણ છોકરી જેવાં જ કપડાં મા પહેરાવે. લ્હાણી મળવાની હોંશે નાનકડો પુરુષોત્તમ બહેનો સાથે નવરાત્રીમાં ગરબા ગાવા જાય. આમ, સહજપણે સંગીતના સૂર સિંચાતા ગયા. છ વર્ષની વયે ૧૭ વન્સમોર મેળવનાર પુરુષોત્તમ ઉપાધ્યાય સિર્ફ નામ હી કાફી હૈ. ગામ છોડી મુંબઈ આવ્યા ત્યારે તો ખરેખર એમણે ખરેખર ચણા ફાકીને ગુજારો કરવો પડ્યો હતો. મંગલવાડીમાં સંગીતકાર કલ્યાણજીભાઈની સામે જીવણલાલ કવિ રહેતા. એ યુવા પુરુષોત્તમને પોતાના ઘરે લઈ ગયા. સૂવાનું ઘરના ઓટલે. સાફ-સફાઈ કરવાની, પાણી ભરવાનાં આ બધાં કામો તો ખરાં જ. એવામાં અવિનાશ વ્યાસની સાથે પુરુષોત્તમભાઈની મુલાકાત એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં થઈ અને તેમનું સમયચક્ર ફરી ગયું. અવિનાશ વ્યાસ સાથે શરૂમાં તો કોરસમાં ગાવાનું શરૂ કર્યું. એક ગીતના રૂપિયા ૧૦ મળે. એ રીતે મહિને સો દોઢસો રૂપિયાની કમાણી થવા લાગી. સાથે ગીતો સ્વરબદ્ધ કરવાની અગત્યની તાલીમ પણ તેઓ પામતા ગયા. અવિનાશ વ્યાસની સાથે રહીને લતા મંગેશકર, આશા ભોંસલે જેવા અનેક કલાકારોના પરિચયમાં આવવાનું થતું ગયું. એ વખતે મંગેશકર ફેમિલી નાનાચોકમાં રહે અને આશાતાઇ ત્યારે ગામદેવીની રેશનિંગ ઓફિસમાં કામ કરતાં હતાં. સંગીતમય વાતાવરણમાં પુરુષોત્તમભાઈનું ઘડતર થતું ગયું.

પુરુષોત્તમભાઈએ સૌપ્રથમ સ્વરબદ્ધ કરેલા ગીત માંડવાની જૂઈના કવિ એટલે ‘મુંબઈ સમાચાર’માં જ કટારલેખક રહી ચૂકેલા જિતુભાઈ મહેતા. આવતી પહેલી જુલાઈએ બીજી શતાબ્દીના ઓવારે પહોંચેલા ૧૯૮ વર્ષના 'મુંબઈ સમાચારે' પ્રતિબદ્ધ પત્રકારો તો આપ્યા જ છે પરંતુ, શૂન્ય પાલનપુરી અને જિતુભાઇ મહેતા જેવા કવિઓ પણ આપ્યા છે.

જિતુભાઈ મહેતા વિશે સાહિત્યકાર અને લેખક દીપક મહેતા એમના પુસ્તક ‘આપણા સારસ્વતો- પ્રત્યક્ષ અને પરોક્ષ’માં જિતુભાઈની સ્વભાવગત લાક્ષણિકતાઓ દર્શાવતા લખે છે કે, "તેઓ અજવાળી કેડીના અલગારી મુસાફર હતા. પત્રકાર તરીકે અનેક વિષયો પર પુષ્કળ લખ્યું છતાં શાસ્ત્રીય સંગીત, લોકસંગીત, નાટ્ય સંગીત, ફિલ્મ સંગીત, સુગમ સંગીત અને પશ્ચિમી સંગીતના માત્ર રસિયા નહીં ઊંડા જાણકાર પણ ખરા. રંગભૂમિ તથા ફિલ્મો સાથે સંકળાયેલા હતા તેમ જ વર્ષો સુધી નવરાત્રિ પ્રસંગે ભગિની સમાજના કાર્યક્રમ માટે ગરબા-રાસ લખતા. એમનો પંખી પ્રેમ એવો કે જાણે પોતાના કુટુંબીજનો હોય એટલી આત્મીયતાથી ઓળખે. વાતમાં બીજાને તો ભીંજવે પણ, પોતે ય ભીંજાય.

આવા ભીંજવી જનારા કવિ પાસેથી આવું હૃદયસ્પર્શી ગીત ના મળે તો જ નવાઈ! આ ગીત પહેલાં તો પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ અને પિનાકિન મહેતાના અવાજમાં રેકોર્ડ થયું હતું. ત્યારબાદ, આશિત દેસાઈ, પાર્થિવ ગોહિલ ઈત્યાદિના અવાજમાં પણ ધ્વનિમુદ્રિત થયું. રાગ શંકરા-હંસધ્વનિની છાંટ ધરાવતું આ ગીત હજુ સુધી ન સાંભળ્યું હોય તો આજે જ સાંભળજો. તમને ચોક્કસ ગમશે.

———————-

અમથી અમથી મૂઈ ! ઓલ્યા માંડવાની જૂઈ !
કંપી કંપીને એ જીવન જીવી ગઈ
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ

એની કાયામાં સુવાસ, જોબન શમણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ !
કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું એ હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ધૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ

• કવિ : જિતુભાઈ મહેતા  • સંગીતકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય

પુરુષોત્તમ ઉપાધ્યાયને કંઠે :

https://www.youtube.com/watch?v=z0Ef68V_7fk

પુરુષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઈ, પાર્થિવ ગોહિલને કંઠે :

http://tahuko.com/?p=613

મૂળ ગાયકો : પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ, પિનાકિન મહેતાને કંઠે :

https://drive.google.com/file/d/1QdSa-GQYXw86fNjgy9B79JntaQh22Sq9/view

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=530996

સૌજન્ય : 'લાડકી' પૂર્તિ, "મુંબઈ સમાચાર", 27 જૂન 2019

Loading

આઝાદ દેશનો એક કાળો દિવસ

મનીષી જાની|Opinion - Opinion|26 June 2019

1975ની સાલની 26 જૂનની સવાર કંઈક જુદી ઊગી ! 25 તારીખની મધરાતે દેશમાં રાષ્ટ્રીય કટોકટી ની જાહેરાત કરવામાં આવી.

કવિ ઉમાશંકર જોશીના માર્મિક શબ્દોમાં કહીએ તો,

'રોજ નો એનો એ તડકો ….
પણ નસોમાં એકાએક
રૂધિર વહેણે ધસતું મૃત્યુ
કાલે હતો તે તડકો ક્યાં છે ?'

તે સમયના વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ 352 કલમ હેઠળ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે ઈમરજન્સી લગાવી દીધી. વિરોધપક્ષના નેતાઓ, આંદોલનકારી આગેવાનો અને લોકનેતા જયપ્રકાશ નારાયણ સહિત 676 અગ્રણીઓને જેલમાં પૂરી દેવાયા.

પ્રેસ – છાપાં પર સેન્સરશીપ લદાઈ અને દેશમાં સૌથી મોટા પ્રશ્નોમાંનો એક વસતિ વધારો છે, જે ગરીબીનું મૂળ છે – એવા પ્રચાર સાથે મોટા પાયે દેશભરમાં નસબંધીનો કાળો કેર વર્તાવ્યો. દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આ નિમિત્તે જે જુલમ થયો હતો તે પણ હજી ઘણાંને યાદ છે.

રાષ્ટ્રીય કટોકટી તો દેશમાં આ અગાઉ 1961-62માં ચીનયુદ્ધ વખતે અને 1971માં પાકિસ્તાન યુદ્ધ વખતે લગાડવામાં આવી હતી. જેનું કારણ સીમા પરની અશાંતિ અને દેશ પર બાહ્ય પરિબળોનો ખતરો ગણવામાં આવ્યું હતું પણ 1975માં જાહેર થયેલી કટોકટીનું કારણ સીમા પરની તંગદિલી નહીં પરંતુ દેશની આંતરિક અશાંતિને ગણાવવામાં આવેલું.

અને ખાસ વાત એ છે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લગાવવામાં આવે ત્યારે નાગરિકોના કેટલાક મૂળભૂત અધિકારો સ્થગિત કરવાની જોગવાઈ થતી હોય છે, પરંતુ ઇન્દિરાજીએ લાદેલી આ કટોકટીમાં તમામ મૂળભૂત અધિકારો પર તરાપ મારવામાં આવેલી હતી. જેમાં નોંધપાત્ર જીવવાના અધિકાર-રાઈટ ટુ લાઈફ અને પર્સનલ લિબર્ટી-વ્યક્તિગત સ્વાતંત્ર્યના અધિકારને પણ અભિવ્યક્તિનાં સ્વાતંત્ર્યની સાથે સાથે ઝૂંટવી લેવાયા હતા.

આ કટોકટી જાહેર કરવાની સાથે જ દેશભરનાં કંઈ કેટલાં ય છાપાંઓની કચેરીઓ પર સરકારે દરોડા પાડ્યા અને સરકાર વિરુદ્ધ કંઈ પણ છપાય નહીં તે માટે થઈ લખાણ છાપતાં પૂર્વે જ લાગતાં વળગતા અધિકારીઓ પાસેથી મંજૂરી લેવાનું ફરજિયાત બનાવી દેવાયું.

આઝાદ દેશમાં આવું પહેલી વાર બની રહ્યું હતું એટલે સવાલ તો થાય કે આમ ઈમરજન્સી તાત્કાલિક લગાડવાની જરૂર કેમ પડી ?

વડાં પ્રધાન ઇન્દિરાજીના આટલી ઝડપભેર લેવાયેલા આ નિર્ણય અંગે સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમનું તે સમયગાળામાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં છપાયેલું કાર્ટૂન ઘણું માર્મિક છે. અને તેમાં ઇન્દિરાજીની ઉતાવળ, દાદાગીરી અને સરમુખત્યારશાહી દેખાઈ આવે છે.

આ કાર્ટૂનમાં બાથટબમાં સ્નાન કરતાં કરતાં દેશના રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ વટહુકમ પર સહી કરી રહ્યા છે, અને સાથે સાથે અધિકારીને કહી રહ્યા છે કે 'હવે બીજા વટહુકમો પર સહી કરવા પછી લાવજો !'

બાથરૂમનાં બાથટબમાં સ્નાન કરતાં કરતાં દેશના પ્રથમ નાગરિક અને સર્વોચ્ચની 'વ્યક્તિગત સ્વતંત્રતા' છીનવાઈ જતી હોય એવું દર્શાવતું આ કાર્ટૂન તે સમયના દેશમાં ઊભા થયેલા ઈમરજન્સી ના માહોલને વ્યક્ત કરનાર બની રહે છે.

દેશભર નાં આર એસ એસ, નક્સલવાદી સંગઠનો સહિત કુલ 14 સંસ્થાઓ પર તે સમયે પ્રતિબંધ લદાયો હતો અને દેશ આખામાંથી ઈમરજન્સીના આ 19 મહિના લગી 1,40,000 કાર્યકરો-આગેવાનોને જેલમાં ખોસી દેવામાં આવ્યા હતા.

આટલાં મોટાં પાયે દમનચક્ર ચલાવવાની જરૂરને સંસદમાં સત્તાધારી કૉન્ગ્રેસની ભારે બહુમતી હોવા છતાં આવું બિન-લોકશાહી પગલું લેવાની કેમ જરૂર પડી તે વાત પણ મહત્ત્વની બની રહે છે.

દેખીતું કારણ તો એ સમયે એ જ હતું કે એ 1975ની 12મી જૂને અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો આવ્યો જેમાં 1971ની ઇન્દિરાજીની રાયબરેલી લોકસભા મતક્ષેત્રની ચૂંટણીને અયોગ્ય ઠેરવવામાં આવી. ઇન્દિરાજી સામે ઊભેલા સમાજવાદી નેતા રાજનારાયણે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી ભ્રષ્ટ રીતરસમોથી જીત્યાં છે, તે ચૂંટણી રદ્દ કરી દેવી જોઈએ તેવો ન્યાય માંગતો કેસ કર્યો હતો. ચૂંટણી જાહેર થતાં જ સરકારી હોદ્દા પર બેઠેલા ઉમેદવારો એ પછી વડા પ્રધાન હોય કે કોઈ પણ નેતા; તેઓ સરકારી કર્મચારીઓ અને સાધનોનો ઉપયોગ પોતાના ચૂંટણી પ્રચાર માં ન કરી શકે તે આચારસંહિતાના મુદ્દે, યશપાલ કપૂર જેઓ સરકારી નોકરિયાત હતા તેમનો ચૂંટણીમાં અંગત ઉપયોગ કર્યો તે વાતને માન્ય રાખી ઇન્દિરાજી વિરુદ્ધ હાઈકોર્ટે ચુકાદો આપ્યો. છ વર્ષ માટે કોઈ પણ સરકારી હોદ્દા પર રહેવા માટે તેમનાં પર પ્રતિબંધ લાદ્યો.

દેશભરમાં હલચલ મચી ગઇ. જો કે સુપ્રીમ કોર્ટે આ હાઈકોર્ટના ચુકાદા સામે ઇન્દિરાજીને વડા પ્રધાન પદે ચાલુ રહેવા દેવાનો ચુકાદો પણ તરત આપ્યો.

આ ઘટનાને લઈ કડક હાથે સત્તા ટકાવી રાખવા ઇન્દિરાજીએ ઈમરજન્સી લાદી એવું ઘણા લોકો માને છે.

પરંતુ આ આખીયે ઘટનાને વ્યાપક સંદર્ભે જોવી જરૂરી બની રહે છે.

1975માં દેશને આઝાદ થયે ત્રણ દાયકા પૂરા થઈ રહ્યા હતા. 1857ના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડી સતત નેવું વર્ષ લગીનાં આઝાદી માટેનાં અનેકાનેક આંદોલનો, હજારો લોકોનાં બલિદાન બાદ મળેલી આઝાદી પાસેથી બહેતર જીવનનાં ઘણાં બધાં સપનાં જનતા એ જોયાં હતાં. પણ આઝાદીની પચીસી વીતી ગયા પછી એક ભારે હતાશાનું વાતાવરણ ઊભું થયેલું હતું. બેરોજગારીથી માંડી ગરીબી, ખેડૂતોની સમસ્યાઓ અને વર્ણવ્યવસ્થાના વિષચક્રમાં અટવાતા વંચિતો-આદિવાસી નાં જીવનમાં કંઈ ખાસ ફેરફાર જોવા મળતો ન હતો.

આ બધાંની સામે પ્રતિરોધ પણ દેશમાં ક્યાંક ક્યાંક ઊભરી રહ્યો હતો. 1968 માં બંગાળના નક્સલબાડી કિસાનોનું જમીનદારો સામેનું ઉગ્ર આંદોલન શરૂ થયું. કલકત્તા યુનિવર્સિટીનાં છાત્રોને સેંકડો યુવાનો કિસાનોની સાથે લડતમાં જોડાયા અને આ ક્રાંતિકારી લડતના પડઘા દેશભરમાં પડ્યા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નવા વિચાર, નવી દિશાઓની ખોજનાં સંઘર્ષો ચાલુ હતાં. ફ્રાંસમાં પેરીસ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી આંદોલને 1968માં જ પ્રમુખ દ’ગોલની સરકાર ઉથલાવી તો સામ્રાજ્યવાદી અમેરિકામાં વિદ્યાર્થીઓ, બુદ્ધિજીવીઓ, પત્રકારોને યુવાનોએ ખોબલા જેવડા વિયેટનામ પર યુદ્ધે ચડેલા પ્રમુખ નિક્સન સામે મોટાં આંદોલનો ઠેર ઠેર ઊભાં કર્યાં. શિક્ષણપ્રથા -પદ્ધતિ વિશે નવેસરથી વિચારવાની ચર્ચા બ્રિટનમાં ઊભી થઈ અને 1971-72માં અનેક દેશોમાં એ ચર્ચાએ રંગ પકડ્યો.

આપણે ત્યાં સાહિત્ય-કલા-ફિલ્મ ક્ષેત્રે પણ એક નવી હવાનો સંચાર 1965-66થી શરૂ થતો હતો. વિજય તેંડુલકર, મોહન રાકેશ, બાદલ સરકાર, ગિરીશ કર્નાડ, મુક્તિબોધ જેવા લેખકો-નાટ્યકારોએ ભારતીય કલાક્ષેત્રે પ્રેરણાત્મક દિશા ઊભી કરવામાં અગત્યની ભૂમિકા અદા કરી. દરેક ક્ષેત્રે, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય ક્ષેત્રે પરિવર્તનનો વાયરો ફૂંકાયેલો હતો.

બીજી બાજુ કૉન્ગ્રેસ સરકાર સત્તા ટકાવી રાખવા 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ, ગરીબી હટાવોની નારાબાજી અને વંચિતોને જ્ઞાતિ-જાતિ- ધર્મમાં વહેંચી મત અંકે કરી રહી હતી. બાંગ્લાદેશની મુક્તિને લઈ પાકિસ્તાન સાથે યુદ્ધ ખેલી 'રાષ્ટ્ર ભાવના'નો ઉન્માદ ઊભો કર્યો અને ઇન્દિરાજીને દુર્ગા માતા તરીકે ચિત્રિત કરવાની મથામણો પણ ચાલી.

આ બધું જ હોવા છતાં મોંઘવારી અને બેકારી રોજેરોજ વધતી જતી હતી. 1972 ડિસેમ્બરમાં ઘઉં, તુવેર દાળ, સીંગતેલ, ખાંડના ભાવ અનુક્રમે રૂપિયા 1.20, 2.75, 4.75, 3.25 હતા તે 1973ના ડિસેમ્બરમાં અનુક્રમે 2.50, 3.50, 9.60, 4.25. થઈ ગયા ! કહો કે 100%થી પણ વધારે ભાવ વધારો !

આ સમયગાળામાં જ ગુજરાતમાં કોલેજમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓનાં ફૂડબીલમાં એકાએક એક સાથે 30%નો વધારો થયો. એ મુદ્દે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ઊભી થઈ. જેમાંથી અમદાવાદના વિદ્યાર્થીઓનું મોંઘવારી સામે અને તે માટે જવાબદાર વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોનાં કોઈ જ કામ કરતા નથી એટલે વિધાનસભા વિસર્જનની માગણી સાથેનું આંદોલન 1974ના આરંભે શરૂ થયું.

સરકારે વિદ્યાર્થીઓ સાથે સંવાદને બદલે પોલીસના ડંડા, બંદૂક અને મીસા જેવા કાળા કાયદા હેઠળ વિદ્યાર્થી આગેવાનોને પૂરી દેવાનું પસંદ કર્યું. આંદોલન ગુજરાતવ્યાપી બન્યું ને લોકો સ્વયંભૂ જોડાયા, અને જાન્યુઆરી 25ના ગુજરાત બંધના કોલને ભારે પ્રતિસાદ મળ્યો. 26 જાન્યુઆરીએ ગુજરાતનાં 63 નાનાં મોટાં શહેર-નગરોમાં કરફ્યુ હતો, કરફ્યુમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજવાની ફરજ પડી.

ગુજરાતના વિદ્યાર્થીઓએ પોતાના આંદોલનમાં સાથ આપવા જયપ્રકાશ નારાયણને આમંત્રણ આપ્યું. પટનાથી જયપ્રકાશજી ગુજરાત આવ્યા અને બિહારના વિદ્યાર્થીઓ-યુવાનોએ જયપ્રકાશજીની આગેવાનીમાં જ બિહારની કૉન્ગ્રેસ સરકાર સામે મોટુંઆંદોલન ઊભું કર્યું.

આ આંદોલનોએ દેશ આખામાં નવો જોમ જુસ્સો ઊભો કર્યો. સાથે સાથે 1974ના મે મહિનામાં જ વેતન ધોરણ અને આઠ કલાક કામની વાતને લઈ 17 લાખ રેલવે કામદારોની રાષ્ટ્રવ્યાપી 20 દિવસની હડતાળ થઈ.

દુનિયાભરમાં આટલા મોટા પ્રમાણમાં એક સાથે કામદારોની હડતાળ એ એક સૌથી મોટી ઔદ્યોગિક ઘટના બની રહી.

દેશના આવા માહોલમાં, પરિવર્તનની હવામાં ઇન્દિરાજી સામે, કૉન્ગ્રેસની સરકાર સામે સંગઠિત અવાજ ઊભો થાય તો, રાષ્ટ્રવ્યાપી આંદોલન થાય તો સત્તાનાં સિંહાસન ડગમગી જાય એવી પૂરી શક્યતાઓનું નિર્માણ થયું એટલે કૉન્ગ્રેસ માટે સત્તા પર કાયમ રહેવા માટે આ ઈમરજન્સીનું શસ્ત્ર વાપરવાનો રસ્તો દેખાયો એમ કહી શકાય.

1975માં ગુજરાતમાં જનતા મોરચાની સરકાર હતી એટલે રાજકીય કાર્યકરો પર મોટાપાયે પોલીસ દમન કે અત્યાચારો જોવા મળ્યા નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી રાજકીય કાર્યકરોએ ગુજરાતને પોતાનું સલામત ભૂગર્ભ સ્થળ બનાવ્યું.

જો કે વિરોધપક્ષના અને કર્મશીલોની ગુજરાતમાં પણ વ્યાપકપણે ધરપકડો થઈ અને લાંબો કારાવાસ સૌને થયો.

દેશભરમાં મહદ્દ અંશે ડાબેરી વિચારસરણી ધરાવનારા અને લોકોની વચ્ચે કામ કરનારા કાર્યકરો અને આગેવાનો પર ભારે જુલમ થયા અને ઈમરજન્સી ઊઠ્યા પછી પણ ઘણા કાર્યકરોને લાંબો સમય જેલમાં રખાયા.

આ કટોકટી કાળનો ઉપયોગ કરી કિસ્તા ગૌડ ને ભૂમૈયા જેવાને રાજકીય કાર્યકરોને ફાંસીએ ચઢાવી દીધા.

જ્યારે દક્ષિણનાં જાણીતાં ફિલ્મ કલાકાર અને લેખિકા સ્નેહલતા રેડ્ડીની જ્યોર્જ ફર્નાન્ડીઝ સાથે ડાઈનેમાઈટ કેસમાં સંડોવણી ગણી જેલમાં પૂર્યાં. જેલમાં પણ સ્ત્રી કેદીઓ પર થતાં જુલમ સામે તેમણે લડત ચલાવી.

સ્નેહલતા એક લડાકૂ કલાકાર હતાં. 1970માં તેમણે સંસ્કાર નામની, વર્ણવ્યવસ્થા પર પ્રહાર કરતી જાણીતી ફિલ્મમાં સેક્સવર્કરની ભૂમિકા ભજવી હતી. જેમની સાથે સહ કલાકાર તરીકે ગિરીશ કર્નાડ અને ગૌરી લંકેશના પિતા પી.લંકેશ હતા. 1970માં આ ફિલ્મને સેન્સર બોર્ડ મંજૂરી આપવામાં આનાકાની કરી તેની સામે તેમણે લડત પણ આપી હતી.

જેલમાં સ્ત્રીઓ પર થતાં પોલીસ-જેલરોના દમન સામે તેઓ જેલમાં જ ભૂખ હડતાળ પર ઉતર્યાં. તેઓ અસ્થમાના દરદી હતાં. તેમને જરૂરી દવાઓ પણ બેંગલોર જેલમાં અપાતી ન હતી. તેમનાં ફેફસાંમાં ઇન્ફેક્શન થયું અને ગંભીર બીમારીમાં પટકાયાં. મરણપથારીએ પડેલાં સ્નેહલતા રેડ્ડીને છેવટે પેરોલ પર છોડવામાં આવ્યાં ને ચાર દિવસ બાદ મૃત્યુ પામ્યાં.

ઈમરજન્સીનાં જુલમના આ પહેલા શહીદ ! ઘણા લોકો ઈમરજન્સીના દિવસને સ્નેહલતા દિવસ જાહેર કરવાની માંગણી કરતા રહ્યા છે પણ કાળો દિવસ કહેવામાં અગ્રેસર સત્તાધીશો સ્નેહલતાના સંઘર્ષ ને યાદ કરીને શું લાભ મેળવી શકે ?

લોકનાયકનું બીરુદ પામેલા જયપ્રકાશજીની બન્ને કીડનીઓ, જેલમાં પૂરતી સારવાર નહીં મળવાને કારણે ખરાબ થઈ ગઈ અને તેઓ પણ લાંબા સમય માટે ગંભીર બિમારીમાં પડ્યા એ સૌ કોઇ જાણે છે.

કટોકટીની સૌથી વધુ અસર છાપાં-સામયિકો પર પડી. મોટા ભાગનાં છાપાં-પત્રિકાઓ સત્તાને સથવારે ચાલ્યાં. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને આપણા ગુજરાતના ‘ભૂમિપુત્ર’ સામયિકે ઈમરજન્સી સામે લડવાનું ચાલુ રાખ્યું. તંત્રીઓએ જેલમાં જવાનું અને કાનૂની લડાઇ લડવાનું પસંદ કર્યું.

આંધ્રમાંથી માનવ અધિકાર માટેના લડવૈયા કન્નાભિરામે જેલમાં પૂરાયેલા 500 કર્મશીલો વતી ઈમરજન્સીને કોર્ટમાં પડકારી હતી.

જ્યારે સત્યાવીસ વર્ષથી ચાલતા, પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ શંકરના સંપાદન હેઠળનું ‘શંકર્સ વીકલી’ ઈમરજન્સી કાળમાં બંધ કરી દીધું. તેનાં છેલ્લા ઓગસ્ટ 1975ના અંકમાં શંકરે લખ્યું : 'સરમુખત્યારશાહીને હાસ્ય પરવડતું નથી કારણ કે લોકો ડિક્ટેટર સામે હસે તો એ તો ના જ ચાલે.

હીટલરના શાસનના વર્ષો દરમિયાન ન કોઈ સારી કોમેડી સર્જાઈ કે ન કાર્ટૂન કે પેરોડી કે મજાક મસ્તી સર્જન પામ્યાં.આ મુદ્દે વિશ્વ અને ખાસ તો ભારત, દુ:ખદ રીતે નિષ્ઠુર બની ચૂક્યું છે.'

અને આપણા કવિ અને રાજ્યસભાના સભ્ય, ઉમાશંકર જોશીએ મર્મસભર પંક્તિઓ લખીને કહ્યું :

તમે કહો છો વસંત છે
પણ પંખીને કહો છો : ચૂપ!
અમને સૌને દર્પણ સમજીને
જોયાં કરો છો પોતાનું રૂપ.

આ કટોકટી કાળ વિશે આજે જ્યારે 2019ની ચૂંટણી પછી વિચારીએ ત્યારે, ફરી ઈમરજન્સીની સ્મૃતિઓ વાગોળીએ ત્યારે લાગે છે કે તમામ જગાઓએ, ચારેકોર ચૂપ .. ચૂપ ને ચૂપના અવાજો સંભળાય છે, પડઘાય છે.

પંખીઓને માત્ર 'ચૂપ' નહીં, 'ચૂપ મર !' એવું કહેવાતું થયું છે.

સૌજન્ય :  “ગુજરાત ગાર્ડિયન”, 26 જૂન, 2019

(વિશેષ નોંધ : 20 જૂન 2019ના રોજ ‘સેક્યુલર લોકશાહી આંદોલન’ના ઉપક્રમે યોજાતી ગુરુવારી બેઠકમાં આપેલું વક્તવ્ય)

Loading

...102030...2,8742,8752,8762,877...2,8802,8902,900...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved