Opinion Magazine
Number of visits: 9968477
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગૂંચવાડાભર્યા કાશ્મીરનો ઉકેલ શું હવે આવી ગયો સમજવો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2019

જૂનાગઢ પાકિસ્તાનથી ઘણું છેટે હતું, પાકિસ્તાન ધારે તો પણ જૂનાગઢના નવાબને લશ્કરી મદદ કરી શકે એમ નહોતું, વળતી ૯૮ ટકા વસ્તી હિંદુઓની હતી એટલે જ્યારે ભીંસ વધવા લાગી ત્યારે જૂનાગઢનો નવાબ પાકિસ્તાન નાસી ગયો. પરંતુ એ પહેલાં પાકિસ્તાનના ઈશારે ગુગલી ફેંકતો ગયો કે રાજવીની ઈચ્છા સર્વોપરી કે પછી પ્રજાની બહુમતી અને પાકિસ્તાન સાથેનું પાડોશીપણું?

ભારતે ક્યારે ય વિચાર્યું પણ નહોતું કે જમ્મુ અને કાશ્મીરનો રાજા તેના રાજ્યને પાકિસ્તાનમાં જોડાવા સામે પ્રતિકાર કરશે. આગળ કહ્યું એમ માર્ગદર્શિકા મુજબ સ્વાભાવિક ક્રમે કાશ્મીર પાકિસ્તાનને જવું જોઈતું હતું. રાજાનાં વલણને કારણે જમ્મુ અને કાશ્મીર મેળવવાની ભારતને તક સાંપડી હતી; પરંતુ એને માટે જમ્મુ અને કાશ્મીરનો રાજા વહેલાસર ભારતમાં જોડાઈ જાય, શેખ અબ્દુલ્લાને સત્તા સોંપી દે, લોકતંત્ર માટે દરવાજો ખોલી આપે એ જરૂરી હતું. એમ જો બને તો શેખ અબ્દુલ્લાને ભારતની તરફેણમાં રહેવા માટે સમજાવી શકાય. આ બાજુ શેખ અબ્દુલ્લાની પહેલી પસંદગી લોકતાંત્રિક સ્વતંત્ર કાશ્મીરની હતી. એ જો શક્ય ન બને તો બીજી પસંદગી સેક્યુલર લોકતાંત્રિક ભારતમાં રહેવાની હતી. પાકિસ્તાનમાં જોડાવામાં તેમની ખાસ રુચિ નહોતી, કારણ કે શેખ સાહેબ મૂળભૂત રીતે સેક્યુલર ડેમોક્રેટિક હતા. આમ ભારતને અનાયાસ તક મળી હતી જો રાજા ભારતની તરફેણમાં ઝડપથી નિર્ણય લે તો.

પણ રાજા સમજ્યો નહીં તે સમજ્યો જ નહીં! એ માણસ પાકિસ્તાનની પડોશમાં, મુસ્લિમ બહુમતીવાળી રિયાસતમાં, નેપાળ જેવું હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગતો હતો અને એ પણ આધુનિક યુગમાં રાજાશાહી સાથે. આવું વિચારનાર અને આવું વિચારવા માટે પ્રેરનારાઓને શેખચલ્લી ન કહેવાય તો બીજું શું કહેવાય? સરદાર પટેલે અને કૉન્ગ્રેસના બીજા નેતાઓએ રાજાને ભારતમાં જોડાઈ જવા લાખ સમજાવ્યો પણ તે માન્યો જ નહીં.

૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ રાજાએ પાકિસ્તાન સાથે જૈસે થેની સંધી કરી. મહમ્મદઅલી ઝીણાએ મહારાજાને ખાતરી આપી કે પાકિસ્તાન મહારાજાના નિર્ણય લેવાના અધિકારને માન્ય રાખે છે. તે ભારતમાં જોડાવા સહિત કોઈ પણ બાજુએ નિર્ણય લઈ શકે છે. તેમને ખાતરી હતી કે રાજા આઝાદીની તરફેણમાં નિર્ણય લેવા માગે છે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના રાજા સાથે કરાર કર્યો કે મહારાજા જ્યાં સુધી નિર્ણય નહીં લે ત્યાં સુધી પાકિસ્તાન જૈસે થે વાળી સ્થિતિ જાળવી રાખશે. કાશ્મીર જતા રસ્તાઓ બંધ કરવામાં નહીં આવે અને પુરવઠો ખોરવવામાં નહીં આવે.

પાકિસ્તાન સાથે જૈસે થેની સંધી કર્યા પછી મહારાજાનો દીવાન દિલ્હી આવ્યો હતો અને ભારત સરકાર સાથે પણ જૈસે થે સંધી કરવાની સરદાર પટેલ પાસે ઇચ્છા વ્યક્ત કરી હતી. સરદાર એટલા ગુસ્સામાં હતા કે તેમણે દીવાનને બેસવા માટે પણ નહોતું કહ્યું. સરદારે તાડૂકીને કહ્યું હતું કે, ‘તમે શું એમ માનો છો કે પાકિસ્તાન સંધીની શરતો પાળશે? પાકિસ્તાન વિશ્વાસઘાત કરે અને પછી બહુ વધારે મોડું થાય એ પહેલાં મહારાજાએ નિર્ણય લઈ લેવો જોઈએ. જાવ, જઈને મહારાજાને સમજાવો અને કહો કે ભારતને જૈસે થે સંધી કરવામાં કોઈ રસ નથી.’

થોડા જ દિવસમાં એ જ બન્યું જેની ચેતવણી સરદારે આપી હતી. પાકિસ્તાને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો રોકી દીધો. એ જમાનામાં જમ્મુ અને કાશ્મીર જવા માટેના રસ્તા પશ્ચિમ પંજાબમાંથી પસાર થતા હતા. ઉપર નોર્થન કાશ્મીર (ગિલગીટ અને બાલ્તિસ્તાન)માં સૈનિકોએ બળવો કર્યો. પાકિસ્તાને પઠાણોના વેશમાં લશ્કરને કાશ્મીરની પ્રજાને કાશ્મીર મુક્ત કરવા મોકલ્યું જે રીતે ભારતે મોટી સંખ્યામાં લોકોને આરઝી હકૂમત માટે જૂનાગઢ મોકલ્યા હતા. બધું જ સમાંતરે થઈ રહ્યું હતું. ફરક એ હતો કે આરઝી હકૂમતમાં સૈનિકો નહોતા, જ્યારે પઠાણોના આક્રમણમાં પઠાણો સાથે સૈનિકો પણ હતા.

હવે જમ્મુ અને કાશ્મીરનો રાજા ઘેરાઈ ગયો હતો. સરદારે કહ્યું હતું એમ ઘણું મોડું થઈ ગયું હતું. જો કાશ્મીર પર કૂચ કરનારાઓ રસ્તામાં લૂંટફાટ કરવામાં રોકાયા ન હોત તો શ્રીનગર પણ હાથમાંથી ગયું હોત. અંકુશ રેખા શ્રીનગરથી માત્ર ૧૨ કિલોમીટર દૂર છે. પઠાણો અને પાકિસ્તાની સૈનિકો શ્રીનગર પહોંચે એ પહેલાં રાજાએ ભારતમાં જોડાવાની તૈયારી બતાવી. એ પહેલાં રાજા પાકિસ્તાની સૈનિકોના હાથમાં ન આવે એ માટે તેને શ્રીનગરથી જમ્મુમાં ખસેડવામાં આવ્યો. ૨૬મી ઓક્ટોબર ૧૯૪૭ના રોજ મહારાજાએ ભારતમાં જોડાવાના ખતપત્ર પર સહી કરી. તરત જ મહારાજાની ભારતમાં જોડાવાની વિનંતી માન્ય રાખવામાં આવી અને કાશ્મીરમાં લશ્કર મોકલવામાં આવ્યું.

જમ્મુ અને કાશ્મીરનો ૬૦ ટકા હિસ્સો જો ભારત પાસે રહ્યો છે અથવા ૪૦ ટકા હિસ્સો ભારતે ગુમાવ્યો છે તો તેની પાછળનો આ ઇતિહાસ છે. જો મહારાજાએ નેપાળ જેવા રાજાશાહીવાળા, સ્વતંત્ર હિંદુરાષ્ટ્રનાં સપનાં ન જોયાં હોત, અને મહારાજાએ વહેલાસર ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો હોત તો આજે ઇતિહાસ જુદો હોત. શેખ અબ્દુલા તો અનુકૂળ હતા અને પ્રજાનું દિલ જીતી શકાયું હોત. અકસ્માત હાથ લાગેલી લોટરી આખે આખી હાથમાં ન આવી અને ઉપરથી સાવ નિર્દોષ પ્રજાને સહન કરવાનું આવ્યું એ માટે રાજા અને તેમના સલાહકાર શેખચલ્લીઓ જવાબદાર છે.

મહારાજાએ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ કર્યું તો ખરું, પરંતુ એ સંપૂર્ણ નહોતું. વિલીનીકરણની નિર્ધારિત કરેલી જોગવાઈ મુજબ ભારતમાં જોડાનાર રાજવીએ પહેલાં સંરક્ષણ, વિદેશ વ્યાપાર અને સંદેશ વ્યવહારની સત્તા ભારત સરકારને સોંપી દેવાની હતી. એ પછી વાસ્તવિક સત્તા પ્રજા પરિષદના લોકોના પસંદ કરેલા પ્રતિનિધિને આપવાની હતી અને રાજવીએ અત્યારના ગવર્નર તરીકે કામ કરવાનું હતું. જમ્મુ અને કાશ્મીરની બાબતમાં એક સમસ્યા હતી. રિયાસતમાં શાસકની ઇચ્છા સર્વોપરી નથી, પણ પ્રજાની છે એ બતાવવા માટે જૂનાગઢમાં લોકમત લેવામાં આવ્યો હતો. હવે જમ્મુ અને કાશ્મીરની બાબતમાં ભારત લોકમતને કઈ રીતે તેને અવગણી શકે? જૂનાગઢમાં એકલો લોકમત પર્યાપ્ત હતો, જયારે કશ્મીરમાં રાજાની ઇચ્છા સાથે લોકમત પણ લેવો જરૂરી હતો. પાકિસ્તાને આક્રમણ કરવાને કારણે અને જમ્મુ અને કાશ્મીરનો ૪૦ ટકા હિસ્સો કબજે કર્યો હોવાને કારણે લોકમત ઘોંચમાં પડ્યો.

આ બાજુ ભારતનું બંધારણ ઘડાઈ ચૂક્યું હતું જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ઊભો હતો. છેલ્લે બંધારણમાં આમેજ કરવામાં આવેલ આર્ટીકલ ૩૭૦ એના ઉકેલરૂપે હતો. જમ્મુ અને કાશ્મીર સંરક્ષણ, સંદેશ વ્યવહાર અને વિદેશ વ્યાપાર સિવાયની બધી સત્તા ભોગવે છે. સુજ્ઞ વાચકને એટલું તો સમજાઈ ગયું હશે કે આર્ટીકલ ૩૭૦ કાશ્મીરીઓને કરવામાં આવેલા લાડનું પરિણામ નથી, પણ જરૂરિયાતનું પરિણામ છે. એક રીતે આર્ટીકલ ૩૭૦ જમ્મુ અને કાશ્મીરને ભારત સાથે જોડે છે. બંધારણ ઘડનારાઓ બેવકૂફ નહોતા.

કાશ્મીરની સમસ્યા મુખ્યત્વે મહારાજા અને તેના સલાહકારોએ પેદા કરી હતી અને કિંમત ત્યાંની પ્રજા ચૂકવે છે. આજે પણ ત્યાંની નિર્દોષ પ્રજાનો છૂટકારો નથી થયો.

બીજો મુદ્દો છે સભ્યતાનો અને લોકતંત્રનો. મનમાની કરીને જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરવું, કાશ્મીરને કેન્દ્રશાસિત રાજ્ય જાહેર કરવું, અત્યારે રાષ્ટ્રપતિ શાસન છે એટલે રાજ્યના રાજ્યપાલને રાજ્યનો પ્રતિનિધિ ગણવો અને તેની ભલામણ મુજબ આર્ટીકલ ૩૭૦નો અંત લાવવો એ સભ્યતા છે? આ લોકતંત્ર છે કે તાનાશાહી? ત્રણ સંભાવના અને એક વાસ્તવિકતા નજરે પડી રહ્યા છે.

૧. કાશ્મીર ભારત માટે બંગલાદેશ બની શકે છે.

૨. કેન્દ્ર સરકારે જે રીતે સમવાય ઢાંચા (ફેડરલ ઇન્ડિયા) પર કુઠારાઘાત કર્યો છે એ જોતાં ઈશાન ભારતમાં, પંજાબમાં અને તામિલનાડુમાં સમસ્યા પેદા થઈ શકે છે.

૩. ચીન અશાંતિનો લાભ લઈ શકે છે. અને વાસ્તવિકતા એ કે ભારત લોકતંત્ર ગુમાવી રહ્યું છે.

જો તમારી અંદર માણસ બેઠો હોય તો આજે તમારા દિલમાં વગર ગુને યાતના ભોગવતા નિર્દોષ કાશ્મીરીઓ માટે ઊંડી સહાનુભૂતિ હોવી જોઈએ અને જો તમારી અંદર હિંદુ રાષ્ટ્રવાદી બેઠો હોય તો કાંઈ અપેક્ષા રાખવાપણું રહેતું જ નથી!

કોણ બેઠો છે?  

07 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2019

Loading

વિસરતી વિરાસત અને વિસરાતું શબ્દલાલિત્ય

સંજય આર. તલસાણિયા|Opinion - Literature|10 August 2019

બદલાતી જીવનશૈલી, લોકોની શહેર ભણી આંધળી દોટ અને વિદેશી સંસ્કૃતિનું આંધળું અનુકરણ એમ ત્રિવિધ કારણે ગુજરાતી ભાષાને જે નુકશાન થયું છે – થઈ રહ્યું છે તેની ખોટ કદાચ પૂરી કરી શકાય એમ નથી.

જે ગુજરાતી ભાષાએ પોતાનાં શબ્દલાલિત્ય, શબ્દગાંભીર્ય અને શબ્દગરિમાને કારણે દેશના સીમાડા ઓળંગી વૈશ્વિક સ્તરે સાહિત્યકારોને નામના અપાવી છે એ ગુજરાતી ભાષાનું ગૌરવ છે, એમાં શંકાને સ્થાન નથી, છતાં એ ચોક્કસપણે સ્વીકારવું જ પડશે કે વિસરાતી વિરાસત અને બદલાતી જીવનશૈલીને કારણે ગુજરાતી ભાષાનાં જે મીઠાશ, તળપદાપણું અને પોતીકાપણું ગુમાવ્યાં છે તેથી ગુજરાતી ભાષામાં ગ્રહણ લાગ્યાની અનુભૂતિ થાય છે.

હા, જ્યારે ગામ, સમાજ કે રાષ્ટ્રમાં ભાષાકીય ધોવાણ થાય છે ત્યારે એ જે-તે સાંસ્કૃતિક અસ્મિતાને પણ ખતમ કરી નાખે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ રહેલાં આપણાં ગામડાં અને શહેરોમાં તેની ભાતીગળ, સાંસ્કૃતિક ઓળખ ભૂંસાતી જતી જોઈ શકીએ છીએ.

ગામડાં અને શહેરનાં રીત-રિવાજો, ખાન-પાન, રહેણાંક અને પહેરવેશ બદલાયાં તેથી છેલ્લા ત્રણ દાયકામાં તેનાં ઘણાં સાંસ્કૃતિ મૂલ્યો તો નાશ પામ્યાં જ; સાથે-સાથે ગુજરાતી ભાષાનાં ઘણા શબ્દો, શબ્દાવલીઓ, કહેવતો અને રૂઢિપ્રયોગો પણ નાશ પામ્યાં છે. ઘર, ઘર સજાવટ, પહેરવેશ, આભૂષણો, ખેતી-પશુપાલ વગેરેમાં બદલાવ આવવાથી શિક્ષિત સમાજ તો બરાબર પરંતુ ગામડા ગામના લોકોમાં પણ અમુક શબ્દો વિષેની સમજ ભૂંસાઈ ગઈ છે. એમાં તેમનો દોષ નથી કેમ કે જે વસ્તુઓ કે શબ્દો વ્યવહારમાંથી જ લુપ્ત થયા છે તેને સમજવા, જાણવા અને જાળવવાં અઘરાં બને છે. એવી કઈ-કઈ વસ્તુઓ છે કે જેના કારણે અનેક શબ્દો લુપ્ત થયા કે જે ગામડાગામની ઓળખ હતી. એ વિસરાઈ ગયેલા શબ્દો જોઈએ …

ઘર માટે વિસરાઈ રહેલા શબ્દો :

ખોરડું : કાચું ગાર-માટીની દીવાલવાળું, દેશી નળિયાં અને વાંસની પટ્ટીથી બનાવેલ રહેણાંક.

પછીત : ઘરની પાછળની દીવાલ.

કરો : જેના પર મોભ (મજબૂત લાકડું) ટેકવ્યું હોય એ મકાનની બે સામ-સામી દીવાલ.

મોભ / મોભારુ : બે દીવાલમાં કરાની દીવાલને જોડતું મજબૂત લાંબુ લાકડું.

ભડુ : એ દીવાલ કે જ્યાં બારસાખ (બારણું) મુકવામાં આવે છે.

બારસાખ : મજબૂત લાકડામાંથી બનાવેલું ચોકઠું કે જેમાં કમાડ (બારણું) ફીટ કરવામાં આવે છે.

ઘોડલિયા : બારસાખને સાંધતા બે ઘોડલા કે જેના પર લગ્ન પ્રસંગે ભરતગૂંથણ કે તોરણ મૂકી સુશોભન કરી શકાય.

પાણિયારુ : જેમાં ગોળો, હેલ, કળસિયો (લોટો), પ્યાલો (ગ્લાસ) મૂકવાની જગ્યા કે જે ઓસરીમાં પડતી રસોડાની બહારની દીવાલમાં સ્થિત હોય છે અથવા ત્યાં લાકડાની બનાવેલ હોય છે.

ખીંટી : ઓસરીની દીવાલમાં આશરે અડધો ફૂટ લાકડાની કલાત્મક ખીંટી કે જેના પર પાઘડી, તલવાર, કપડાં, થેલી વગેરે લટકાવી શકાય.

નેજવું : છતને થાંભલી સાથે ટેકવવા માટે લાકડાનું નેજવું મૂકવામાં આવે છે કે જે કાષ્ટકલાનો અદ્દભુત નમૂનો પણ હોય છે.

મોતિયું : નેવા પર નળિયાંને ટેકવાનું વપરાતું લાકડું.

ગોખ : ઓરડાની ઓસરીમાં પડતી દીવાલમાં બારણાથી થોડે ઉપર મૂકવામાં આવતો ઝરુખો (હવાબારી).

વંડી : મકાનની ચાર અથવા ત્રણ બાજુ માટીની બનાવેલ આશરે 6થી 8 ફૂટ દીવાલ ..

માઢ / મેડી : ઘરની વંડી(દીવાલ)ના પ્રવેશ દ્વાર પર લેવામાં આવતો બીજો માળ.

ગોખલા : વંડી(દીવાલ)માં ડેલીની બંને બાજુ બહારની દીવાલે માટીનાં કોડિયાં મૂકવા માટેની જગ્યા.

છાજુ : માટીની કાચી (વંડી) દીવાલ પર વરસાદી પાણીથી થતું ધોવાણ રોકવા ઘાસ અને માટીથી બનાવેલું છાજુ.

ફળિયું : ઘરની આગળની ખુલ્લી જગ્યા કે જે ઘરની ચોતરફ અથવા આગળની જગ્યા કે જેની ફરતે વંડી હોય છે, ગામડાગામમાં ફળિયામાં તુલસીનો ક્યારો, ગાય-બળદની ગમાણ (કોઢ કે ઢાળિયું) એકાદ વૃક્ષ હોય છે, જે ઘરની શોભાને ચાર ચાંદ લગાવે છે.

કોઢ : ફળિયામાં ગાય-ભેંસ કે બળદ બાંધવાની જગ્યા.

ગમાણ : ગાય-ભેંસ, બળદને ચારો નાખવાની જગ્યા.

પડથાર : ફળિયાથી ઓસરીની ઊંચાઈ કે જે આશરે બે, ત્રણ કે પાંચ ફૂટ પણ હોઈ શકે. ઊંચી પડથારવાળા મકાનની શોભા અનેરી હોય છે.

રસોડાનાં ઉપયોગી વાસણોના વિસરાતા શબ્દો :

હેલ : ગાગર અને હાંડો કે જે પિત્તળ, તાંબાનું પાણી ભરવાનું પાત્ર.

બુઝારું : ગાગર, હેલ, ગોળાને ઢાંકવાનું પિત્તળનું પાત્ર.

ડોયો : ગોળામાંથી પાણી પ્યાલો (ગ્લાસ) કળશ્યા(લોટા)માં ભરવાનું પાત્ર કે જેને છેડે લાંબી ટાડલી હોય છે.

ગરવું : રોટલા-રોટલી ભરવાનું પિત્તળનું વાસણ.

હાંડલું : ખીચડી, રાંધણું કે લાપસી બનાવવાનું માટીનું વાસણ.

ડવલો : ખીચડી, રાંધણું કે લાપસી હલાવવાનું લાકડાનું વાસણ (ચમચો)

પાટિયો : શાક અને કઢી બનાવવાનું માટીનું વાસણ.

ગાડવો : ગાય-ભેંસ દોહવા તેમ જ દહીં, ઘી ભરવાનું માટીનું મજબૂત વાસણ.

માણ : વાડી-ખેતરે પાણી ભરવાનું પાત્ર કે જેનું ગળું સાંકડું હોય છે.

ભૂંભલી : ખેતર-વાડીએ પાણી ઠંડું રહે તેમ જ લઈ જવા-લાવવાનું માટીનું પાત્ર જેને બતક પણ કહે છે.

દોહણું / દોણું : ગાય-ભેંસ દહોવા તેમ જ દહીં જમાવવાનું માટીનું પાત્ર કે જે રંગે કાળું હોય છે.

વાઢી :  પ્રસંગોપાત્ત ઘી પીરસવા માટે માટી, તાંબા-પિત્તળની ધાતુનું પાત્ર.

કાથરોટ : રોટલીનો લોટ બનાવવાનું / બાંધવાનું પાત્ર જેને દાથરી પણ ઘણાં લોકો કહે છે.

તાંસળી : શાક, દૂધ, છાશ પીવા કાંસાની ધાતુનું મોટા વાટકા આકારનું પાત્ર.

ટબુડી / ટોયલી : નાનાં બાળકોને પાણી પાવાનું તાંબા / પિત્તળની ધાતુનું નાના લોટા આકારનું પાત્ર.

છાલિયું : શાક, છાશ, દૂધ-દહીં જમતી વેળાએ ભરવાનું પાત્ર.

ઈંધણાં / બળતણ : રસોઈ બનાવવા માટે વપરાતાં લાકડાં.

મંગાળો : ત્રણ પથ્થર કે ઈંટનો કામચલાઉ ચૂલો.

કોઠા : અનાજ ભરવા, સાચવવા માટી-કૂંવળ-લાદમાંથી બનાવેલ સાધન.

સંજેરિયાનો કોઠો. : દહીં, દૂધ, શાક, છાશને ઉંદર, બિલાડી, જીવ-જંતુથી બચાવવા / રક્ષિત કરવા માટેનું માટીનું પાત્ર કે જે આજે ગામડા-ગામમાં પણ નામશેષ થઈ ગયું છે.

સાંબેલું / ખાંડણિયું : અનાજ ખાંડવા / કૂટવા માટે લાકડાનું સાધન કે જેને છેડે લોખંડની કૂંડલી હોય છે.

ઘંટલો / ઘંટુલો : પથ્થરના બે પડવાળી ચક્કી કે જેના દ્વારા અનાજ-કઠોળ ભરડવાનું સાધન.

ઘંટી : અનાજ દળવાનું પથ્થરના બે પડવાળું સાધન.

થાળું : ઘંટી મૂકવાનું માટી / લાકડાનું સાધન.

ટંક : લોખંડના પતરામાંથી બનાવેલ બેગ કે જેમાં કપડાં-લત્તાં મૂકી શકાય.

હડફો : લાકડાની પેટી કે જેમાં રોટલા-રોટલી છાશ-મૂકી શકાય.

મજુડુ :  શ્રીમંત ઘરોમાં સુંદર કાષ્ટકલાની બેનમૂન પેટી કે જેમાં રોટલી – શાક – છાશ – દહીં – ઘી – માખણ મૂકી શકાય એવું ચાર પાયાનું મોટી પેટી આકારનું પાત્ર.

ઢીંચણિયું : જમતી વેળાએ / વખતે ઢીંચણ નીચે મૂકવાનું લાકડા અથવા ધાતુનું પાત્ર. દેશી વૈધો ખાસ તેનો જમતી વખતે આગ્રહ રાખે છે.

પડઘી : તાંસળી નમી ન જાય / ઢળી ન જાય (દૂધ-છાશ )એ માટે તાંસળીની નીચે રાખવાનું લાકડા અગર પિત્તળનું પાત્ર.

શીંકુ : રસોડાના નાટે લટકાવવાનું દોરી-દોરડામાંથી બનાવેલ પાત્ર કે જે દહીં-દૂધ-છાશ બિલાડી-ઉંદરથી રક્ષિત તેમ જ હવા ઉજાસ મળે તેથી બગડે પણ નહીં તેવું પાત્ર (કાવ્ય – માખણ મેલ્યાં છે મેં તો શીકા ઉપર ઝૂલતા …)

ડામચિયો : ઓરડા અથવા ઓસરીની દીવાલમાં મોટું ખાનું, ઘણી જગ્યાએ તે લાકડાનું પણ હોય છે કે જેનાં પર ગોદડાં – ગાદલાં, ઓશીકાં મૂકવામાં આવે છે. (ગુજરાતીમાં કહેવત છે “ડામચિયે દીવો કરો …”

એ જ રીતે ગામડાગામમાં જુદા-જુદા પ્રહર પ્રમાણે નિશ્ચિત શબ્દો હતા જે આજે લોક જુબાનથી લગભગ લુપ્ત થવાને આરે છે. આ શબ્દો કયા-કયા છે તે જાણીએ –

પ્રાગડવાસ : વહેલી સવારનો સમય કે જ્યારે સૂરજનારાયણ ઉદિત ન થયા હોય એ પહેલાનું ટાણું (સમય) જેને મોં સૂઝણું, ભળકડું, સદિયાળું વગેરે તળપદ શબ્દો સૌરાષ્ટ્રના સાયલા-ચોટીલામાં પ્રચલિત હતા.

દી ઉગ્યાટાણું : સૂર્ય ઉદય થયા પછીનો વખત (સમય).

શિરામણ ટાણું : દી ઊગ્યા પછીનો સમય કે જ્યારે ખેડૂત વાડીએ જતાં પહેલાં નાસ્તામાં શીરો અને દૂધ આરોગીને પછી વાડીએ જતો એ સમય.

બપોરા : બપોરનો સમય.

રોંઢા ટાણું : આશરે ૩ (ત્રણ) વાગ્યાનો સમય.ગોરજ ટાણું : વગડે ચરવા ગયેલ ગાયોને સાંજે પરત ફરવાનું ટાણું. (ગાયોના ચાલતી વખતે ઊડતી રજથી પ્રચલિત બનેલો શબ્દ એટલે “ગોરજ”)

રુઝયું ટાણું : સૂરજ અસ્ત પામ્યા પછી પશ્ચિમ દિશામાં પ્રસરેલી લાલિમા કે જેને સંધ્યા ટાણું પણ કહે છે.

ઝાલર ટાણું : સૂરજ આથમ્યા પછી આશરે અડધી કલાક બાદનો વખત કે જ્યારે મોટા ભાગે મંદિરમાં આરતી થાય છે તેથી ઝાલર ટાણું.

વાળુ ટાણું : સાંજના ભોજનની વેળા (સમય)

જળ જંપ્યા ટાણું : મોડી રાત્રીનો સમય કે જેમાં માત્ર નીરવતા છવાયેલી હોય છે.

આ તો ફક્ત દેખીતી નજરે ધ્યાને આવેલા ગણ્યા-ગાંઠ્યા શબ્દોનો જ પરિચય કરાવ્યો છે, બાકી હજી પણ એવા અનેક શબ્દો છે કે જેનો વ્યવહારમાં ઉપયોગ બંધ થતાં એ શબ્દો લોકબોલીએથી આજે લુપ્ત થયા છે. સાચા ગુજરાતી તરીકે આપણી પવિત્ર ફરજ છે કે તેની ચિંતા અને ચિંતન કરીએ, ગામડા-ગામના બુઝુર્ગોને મળીએ, આત્મીયતા કેળવીએ અને આવા સાંસ્કૃતિક ધરોહર સમા આપણાં તળપદ શબ્દો, કહેવતો, શબ્દાવલીઓ મેળવીએ, જાણીએ અને સંચય કરી ગુજરાતી ભાષાનાં ગરિમા અને શબ્દલાલિત્યને જીવંત રાખી આપણું માતૃભાષા પ્રત્યેનું ઋણ અદા કરીએ.

સીનિયર લેક્ચરર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર, ભારત

સૌજન્ય : “અખંડ આનંદ” જુલાઈ 2019; પાન 84 થી 87 

Loading

રવીશ કુમાર : ‘ડરથી હિમ્મત સુધીનો પ્રવાસ હું દરરોજ કરું છું… રોજ એક જૂઠાણું મને ડરાવે છે, તેનો હું સામનો કરું છું’

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|9 August 2019

રવીશ કુમારના લેખોનું અંગ્રેજી પુસ્તક ‘ધ ફ્રી વૉઇસ’ એ ગોદી મીડિયા, આઈ.ટી. સેલ, વૉટસઍપ યુનિવર્સિટી, ઝનૂની રાષ્ટ્રવાદ, લોકશાહી જેવા વિષયોની છણાવટ કરે છે. ગુજરાતીમાં તેનો સાર ‘વાત રવીશકુમારની’ નામે પ્રકાશિત થયો  છે.

મૅગસેસે પુરસ્કારથી સન્માનિત પત્રકાર રવીશ કુમાર ગયાં પાંચેક વર્ષથી ભારતીય જનતા પક્ષ, તેના સાથી સંગઠનો, મોદી ભક્તો અને ઝનૂની હિન્દુત્વવાદીઓના રોષનો સામનો કરતા રહ્યા છે. સરકારી અધિકારીઓ, પોતાની સુખાળવી જિંદગીની બહાર નહીં જોનાર ઇન્ડિયન મિડલ ક્લાસ અને મીડિયાનો એક હિસ્સો તેમના પ્રાઇમ ટાઇમ શોથી નારાજ રહે છે. જો કે  મૂલ્યનિષ્ઠ અને લોકધર્મી પત્રકારિતાનો એક નમૂનો પૂરો પાડતાં હોવા છતાં  રવીશ માટે ટીકા અને ટ્રૉલિંગ, ધાક અને ધમકી તેમના માટે રોજનાં થયાં છે. તેમનાં કામનું, ખાસ તો અત્યારના દેશકાળમાં, મહત્ત્વ સમજનારા સહુ રવીશ કુમારની ચિંતા કરે છે. તેમના જેવા સ્પષ્ટવક્તા પ્રહરીઓને અસલામતી અને હિંસાચારથી ખદબદતા આ દેશમાં વારંવાર સવાલ પૂછવામાં આવે છે : ‘તમને ડર નથી લાગતો ?’ રવીશનો જવાબ છે : ‘ડરથી હિમ્મત સુધીનો પ્રવાસ હું દરરોજ કરું છું …’  

આ પ્રવાસની માંડીને વાત રવીશ ‘ધ ફ્રી વૉઇસ : ઑન ડેમૉક્રસી, કલ્ચર ઍન્ડ નેશન’ નામનાં ખૂબ અસરકારક અંગ્રેજી લેખસંગ્રહના પહેલા લાંબા લેખ ‘સ્પીકીન્ગ આઉટ’માં કરે છે. તેમના આઠ લાંબા લેખોનું ‘ધ ફ્રી વૉઇસ’ પુસ્તક દિલ્હીનાં ‘સ્પીકીન્ગ ટાઇગર’ પ્રકાશને ગયાં વર્ષે પ્રસિદ્ધ કર્યું.  રવીશ કુમારે મૂળ હિન્દીમાં લખેલા લેખોનો આ પુસ્તક માટેનો વાચનીય અનુવાદ ચિત્રા પદ્મનાભન, અનુરાગ બાસનેટ અને રવિ સિંગે કર્યો છે. લોકોના વીતક કે દેશના સવાલો પર અઠવાડિયામાં પાંચ દિવસ દરરોજ વ્યાપક ફીલ્ડવર્ક, અકાટ્ય આધાર અને સ્પષ્ટ ભૂમિકા સાથે કાર્યક્રમ રજૂ કરતા ટેલિવિઝન પત્રકાર તરીકે તો રવીશ અજોડ છે જ. પણ ‘ધ ફ્રી વૉઇસ’ પુસ્તકમાં તે માધ્યમો અને લોકશાહીના ઊંડા અભ્યાસી તેમ જ વિશ્લેષક તરીકે આપણી સામે આવે છે. દેશમાં સતત ભય, વિભાજક પરિબળોએ સમાજમાં બધે ફેલાવેલું ઝેર, દેશભક્તિના નામે ધર્મઝનૂની રાષ્ટ્રવાદ, ઇતિહાસનું વિકૃતિકરણ, અને લોકશાહીમાં ‘પીપલ’ અર્થાત્‌ લોકો હોવાની જવાબદારી વિશે તે લખે છે. બાવાઓના ભરડામાં સપાડાયેલી આપણી જનતા, હુમલા અને લિન્ચિન્ગ, ટોળાંશાહી દ્વારા કોઈ પણ જગ્યાએ આવી શકે તેવો હિટલરનો ભીષણ ફાસીવાદ, આપણા સમાજમાં પ્રેમીઓ તરફનો  હિંસક તિરસ્કાર અને  મૂળભૂત  અધિકાર રાઇટ ટુ પ્રાઇવસી વિષયો પણ આ પુસ્તકમાં છે. તેમાંથી કેટલાક રવીશ કુમારનાં ફેસબુક પેઇજ, તેમના બ્લૉગ તેમ જ હિન્દી લેખોના બે સંગ્રહો ‘દેખતે રહિએ’ અને ‘રવીશપન્તી’માં પણ છે. વળી, કંઈક અંશે લેખકના પોતાના પ્રણયકાળની ઝલક આપતી ‘લઘુ પ્રેમ કથાઓ’નું મજાનું નાનકડું સચિત્ર પુસ્તક  રાજકમલ પ્રકાશને ‘ઇશ્કમેં શહર હોના’ નામે પ્રસિદ્ધ કર્યું છે.

રવીશના ગુજરાતના ચાહકો માટે આનંદની વાત એ છે કે રવીશકુમારના ઉપર્યુક્ત ‘ધ ફ્રી વૉઇસ’ લેખસંગ્રહનો સાર આપતું પુસ્તક ગુજરાતીમાં ‘વાત રવીશકુમારની’ નામે પ્રસિદ્ધ થયું છે. સારલેખનનું પડકારરૂપ કામ પખવાડિક સર્વોદયી વિચારપત્ર ‘ભૂમિપુત્ર’ના એક કર્મશીલ સંપાદક રજની દવેએ પાર પાડ્યું છે. તેમણે પહેલાં ‘ભૂમિપુત્ર’માં રવીશકુમારનાં અંગ્રેજી પુસ્તકની રજૂઆત કરતી લેખમાળા લખી. પછી તેમાં કેટલીક મહિતી અને સૂઝપૂર્વકની તસવીરોનાં ઉમેરણ સાથે પુસ્તક કર્યું. તે વડોદરાનાં યજ્ઞ પ્રકાશને લોકસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં એટલે કે વીસમી એપ્રિલે પ્રસિદ્ધ કર્યું. અંગ્રેજી પુસ્તકમાં રવીશે પહેલા લેખ ‘સ્પીકીંગ આઉટ’માં મીડિયા દ્વારા સાચું કહી દેવાના સંદર્ભમાં ડર, અને લોકોને ડરાવવા માટે ચાલતી રાષ્ટ્રીય યોજના, ‘નૅશનલ પ્રોજેક્ટ ફૉર ઇન્સ્ટિલિન્ગ ફીઅર’ એવા વ્યંજનાત્મક મથાળાવાળા ત્રીજા લેખમાં  જે લખ્યું  છે તેની વાત અહીં કરવાની છે.

નાનપણમાં બિહારનાં ગામમાં બીલીનાં ઝાડ નીચેથી પસાર થતાં ડરતો રવીશ હનુમાન ચાલીસા બોલતો. પછીનાં વર્ષોમાં ફિલ્મોનાં હિંસક દૃશ્યો, પરીક્ષાના દિવસો અને કાલ્પનિક ભયથી પણ તે રડવા લાગતો. માતપિતા અને ત્યાર બાદ પ્રેમિકા – પત્ની નયનાએ તેને ડરમાંથી બહાર નીકળવામાં મદદ કરી. વ્યવસાયમાં પણ ડરને પોતે પ્રયત્નપૂર્વક કેવી રીતે દૂર કર્યો તે વિશે રવીશ લખે છે. ભારતમાં ગયાં પાંચ વર્ષોમાં રાજકીય પક્ષો કે વિભાજક જૂથોનાં ‘આઈ.ટી. સેલ’ અને  ‘તેમના માટેની પ્રયોગશાળા એવી વૉટસઍપ યુનિવર્સિટી’એ ફેલાવેલાં ભયનાં સામ્રાજ્ય, તેમનાં કાવતરાં અને તેમની સામે બોલનારા પર વીતાવામાં આવતા ત્રાસ વિશે રવીશ લંબાણથી લખે છે. તેમાં આમીર ખાન સામેની ઝુંબેશ, કરણી સેનાનાં કરતૂત, ડેન્માર્કના કાર્ટૂનિસ્ટના માથા માટેનું ઇનામ જેવા દાખલા તે આપે છે. રવીશના માનવા મુજબ ચૅનલ પરની ડિબેટસ્ પણ ડર ફેલાવનાર પરિબળ છે. આવા ભયભીત કાળમાં  ‘સ્પીક આઉટ’ એ કેટલી બધી હિમ્મત માગી લે છે તેની પણ વાત આવે છે.

પુસ્તકનો આરંભે જસ્ટીસ લોયાનાં શંકાસ્પદ મોત અંગે કાર્યક્રમ બનાવવામાં પોતે અનુભવેલા ખૌફ અંગે રવીશ લખે છે. તેમાંથી સમજાય છે કે તેમની અંદરનાં ડર પર ફરજપરસ્ત પત્રકારના માંહ્યલાએ જીત મેળવી. 23 નવેમ્બર 2017નો વિગતોથી ધ્રૂજાવી દેનારોએ કાર્યક્રમ અત્યારના દિવસોમાં ખાસ જોવા જેવો છે. જો કે નીડરતા અંગેની કોઈ હિરોગીરી રવીશ કરતા નથી. એ કહે છે :  એમની પાસે નિર્ભયતાનો કોઈ મંત્ર નથી, પોતે ‘વિશેષ વખાણ કરવા જેવું’ કંઈ કહેતા નથી, એ ‘માત્ર લોકો શું માને છે’ તેને જ રજૂ કરે છે, એમની જેમ બોલનારા બીજા પણ છે. રવીશના મતે ડર એટલો બધો છે કે બોલવું એ જ બહાદુરીમાં ખપે છે. જો કે એ સ્વીકારે છે કે બોલતાં પહેલાં ‘ડરનાં બોગદામાંથી પસાર થવું અઘરું હોય છે’.

મીડિયાકર્મીઓને ડરાવવાનો જાણે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમ રવીશને લાગે છે. લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજને સૂચવ્યા મુજબના ‘નારદ’ જેવા પત્રકારો (જે રવીશના શબ્દોમાં ‘નારાયણ નારાયણ’ નામે સરકારનો જાપ કરે) અને સરકારને ખોળે અથવા તેની ગોદમાં બેઠેલા ‘ગોદી મીડિયા’ના અખબારનવેશો સલામત છે. બીજા બધા અસલામત છે, તેઓ કાયદાને નેવે મૂકતાં ટોળાંને હવાલે છે. રવીશ ‘કેરેવાન’ માસિકના ખબરપત્રી બાસિત મલિક પર ટોળાંએ કરેલા હુમલા ઉપરાંત બીજા ઘણાં દાખલા આપે છે. રવીશને ડર છે કે હવે વૈકલ્પિક મીડિયાના પત્રકારોનો વારો આવશે. કર્ણાટકના રૅડિકલ પત્રકાર  ગૌરી લંકેશની હત્યાની સાથે તે ત્રણ રૅશનાલિસ્ટો દાભોલકર-કલબુર્ગી-પાનસરેની હત્યાઓનો તે ઉલ્લેખ કરે છે. અલબત્ત ગૌરીની હત્યાને સોશ્યલ મીડિયામાં જે રીતે મોટા પાયે યોગ્ય ઠેરવવામાં આવી તેનો રવીશને ખૂબ આક્રોશ છે. બેટીઓને બચાવવી પડે એવા દેશમાં રામ રહિમ કે આસારામની સામે પડનાર વીરાંગનાના ટેકામાં કોઈ પક્ષ ઊભો  ન રહ્યો, તેવું જ ગૌરીની બાબતમાં બન્યું એનો પણ રવીશ ઉલ્લેખ કરે છે. વધુ ખરાબ તો એ કે એક નિખિલ દધિચે ગૌરીની હત્યા પર ‘કૂતરી મરી ગઈ’ એ મતલબનું ટ્વિટ કર્યું. આ માણસના એક ટ્વિટર ફૉલોઅર વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા. રવીશ લખે છે : ‘આ દેશના નાગરિકો તરીકે આપણે બધાએ વડા પ્રધાનને પૂછવું જોઈએ : ‘તમે દધીચને શા માટે ફૉલો કરો છો ?’ રવીશનું પુસ્તક ‘ધ ફ્રી વૉઇસ’ નાગરિકોને અને નવી પેઢીને  આવા અનેક પ્રશ્નો કરવાની પ્રેરણા આપનારું છે.

*******

07 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 09 ઑગસ્ટ 2019 

Loading

...102030...2,8342,8352,8362,837...2,8402,8502,860...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved