રવીશ કુમારના લેખોનું અંગ્રેજી પુસ્તક ‘ધ ફ્રી વૉઇસ’ એ ગોદી મીડિયા, આઈ.ટી. સેલ, વૉટસઍપ યુનિવર્સિટી, ઝનૂની રાષ્ટ્રવાદ, લોકશાહી જેવા વિષયોની છણાવટ કરે છે. ગુજરાતીમાં તેનો સાર ‘વાત રવીશકુમારની’ નામે પ્રકાશિત થયો છે.
મૅગસેસે પુરસ્કારથી સન્માનિત પત્રકાર રવીશ કુમાર ગયાં પાંચેક વર્ષથી ભારતીય જનતા પક્ષ, તેના સાથી સંગઠનો, મોદી ભક્તો અને ઝનૂની હિન્દુત્વવાદીઓના રોષનો સામનો કરતા રહ્યા છે. સરકારી અધિકારીઓ, પોતાની સુખાળવી જિંદગીની બહાર નહીં જોનાર ઇન્ડિયન મિડલ ક્લાસ અને મીડિયાનો એક હિસ્સો તેમના પ્રાઇમ ટાઇમ શોથી નારાજ રહે છે. જો કે મૂલ્યનિષ્ઠ અને લોકધર્મી પત્રકારિતાનો એક નમૂનો પૂરો પાડતાં હોવા છતાં રવીશ માટે ટીકા અને ટ્રૉલિંગ, ધાક અને ધમકી તેમના માટે રોજનાં થયાં છે. તેમનાં કામનું, ખાસ તો અત્યારના દેશકાળમાં, મહત્ત્વ સમજનારા સહુ રવીશ કુમારની ચિંતા કરે છે. તેમના જેવા સ્પષ્ટવક્તા પ્રહરીઓને અસલામતી અને હિંસાચારથી ખદબદતા આ દેશમાં વારંવાર સવાલ પૂછવામાં આવે છે : ‘તમને ડર નથી લાગતો ?’ રવીશનો જવાબ છે : ‘ડરથી હિમ્મત સુધીનો પ્રવાસ હું દરરોજ કરું છું …’
આ પ્રવાસની માંડીને વાત રવીશ ‘ધ ફ્રી વૉઇસ : ઑન ડેમૉક્રસી, કલ્ચર ઍન્ડ નેશન’ નામનાં ખૂબ અસરકારક અંગ્રેજી લેખસંગ્રહના પહેલા લાંબા લેખ ‘સ્પીકીન્ગ આઉટ’માં કરે છે. તેમના આઠ લાંબા લેખોનું ‘ધ ફ્રી વૉઇસ’ પુસ્તક દિલ્હીનાં ‘સ્પીકીન્ગ ટાઇગર’ પ્રકાશને ગયાં વર્ષે પ્રસિદ્ધ કર્યું. રવીશ કુમારે મૂળ હિન્દીમાં લખેલા લેખોનો આ પુસ્તક માટેનો વાચનીય અનુવાદ ચિત્રા પદ્મનાભન, અનુરાગ બાસનેટ અને રવિ સિંગે કર્યો છે. લોકોના વીતક કે દેશના સવાલો પર અઠવાડિયામાં પાંચ દિવસ દરરોજ વ્યાપક ફીલ્ડવર્ક, અકાટ્ય આધાર અને સ્પષ્ટ ભૂમિકા સાથે કાર્યક્રમ રજૂ કરતા ટેલિવિઝન પત્રકાર તરીકે તો રવીશ અજોડ છે જ. પણ ‘ધ ફ્રી વૉઇસ’ પુસ્તકમાં તે માધ્યમો અને લોકશાહીના ઊંડા અભ્યાસી તેમ જ વિશ્લેષક તરીકે આપણી સામે આવે છે. દેશમાં સતત ભય, વિભાજક પરિબળોએ સમાજમાં બધે ફેલાવેલું ઝેર, દેશભક્તિના નામે ધર્મઝનૂની રાષ્ટ્રવાદ, ઇતિહાસનું વિકૃતિકરણ, અને લોકશાહીમાં ‘પીપલ’ અર્થાત્ લોકો હોવાની જવાબદારી વિશે તે લખે છે. બાવાઓના ભરડામાં સપાડાયેલી આપણી જનતા, હુમલા અને લિન્ચિન્ગ, ટોળાંશાહી દ્વારા કોઈ પણ જગ્યાએ આવી શકે તેવો હિટલરનો ભીષણ ફાસીવાદ, આપણા સમાજમાં પ્રેમીઓ તરફનો હિંસક તિરસ્કાર અને મૂળભૂત અધિકાર રાઇટ ટુ પ્રાઇવસી વિષયો પણ આ પુસ્તકમાં છે. તેમાંથી કેટલાક રવીશ કુમારનાં ફેસબુક પેઇજ, તેમના બ્લૉગ તેમ જ હિન્દી લેખોના બે સંગ્રહો ‘દેખતે રહિએ’ અને ‘રવીશપન્તી’માં પણ છે. વળી, કંઈક અંશે લેખકના પોતાના પ્રણયકાળની ઝલક આપતી ‘લઘુ પ્રેમ કથાઓ’નું મજાનું નાનકડું સચિત્ર પુસ્તક રાજકમલ પ્રકાશને ‘ઇશ્કમેં શહર હોના’ નામે પ્રસિદ્ધ કર્યું છે.
રવીશના ગુજરાતના ચાહકો માટે આનંદની વાત એ છે કે રવીશકુમારના ઉપર્યુક્ત ‘ધ ફ્રી વૉઇસ’ લેખસંગ્રહનો સાર આપતું પુસ્તક ગુજરાતીમાં ‘વાત રવીશકુમારની’ નામે પ્રસિદ્ધ થયું છે. સારલેખનનું પડકારરૂપ કામ પખવાડિક સર્વોદયી વિચારપત્ર ‘ભૂમિપુત્ર’ના એક કર્મશીલ સંપાદક રજની દવેએ પાર પાડ્યું છે. તેમણે પહેલાં ‘ભૂમિપુત્ર’માં રવીશકુમારનાં અંગ્રેજી પુસ્તકની રજૂઆત કરતી લેખમાળા લખી. પછી તેમાં કેટલીક મહિતી અને સૂઝપૂર્વકની તસવીરોનાં ઉમેરણ સાથે પુસ્તક કર્યું. તે વડોદરાનાં યજ્ઞ પ્રકાશને લોકસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં એટલે કે વીસમી એપ્રિલે પ્રસિદ્ધ કર્યું. અંગ્રેજી પુસ્તકમાં રવીશે પહેલા લેખ ‘સ્પીકીંગ આઉટ’માં મીડિયા દ્વારા સાચું કહી દેવાના સંદર્ભમાં ડર, અને લોકોને ડરાવવા માટે ચાલતી રાષ્ટ્રીય યોજના, ‘નૅશનલ પ્રોજેક્ટ ફૉર ઇન્સ્ટિલિન્ગ ફીઅર’ એવા વ્યંજનાત્મક મથાળાવાળા ત્રીજા લેખમાં જે લખ્યું છે તેની વાત અહીં કરવાની છે.
નાનપણમાં બિહારનાં ગામમાં બીલીનાં ઝાડ નીચેથી પસાર થતાં ડરતો રવીશ હનુમાન ચાલીસા બોલતો. પછીનાં વર્ષોમાં ફિલ્મોનાં હિંસક દૃશ્યો, પરીક્ષાના દિવસો અને કાલ્પનિક ભયથી પણ તે રડવા લાગતો. માતપિતા અને ત્યાર બાદ પ્રેમિકા – પત્ની નયનાએ તેને ડરમાંથી બહાર નીકળવામાં મદદ કરી. વ્યવસાયમાં પણ ડરને પોતે પ્રયત્નપૂર્વક કેવી રીતે દૂર કર્યો તે વિશે રવીશ લખે છે. ભારતમાં ગયાં પાંચ વર્ષોમાં રાજકીય પક્ષો કે વિભાજક જૂથોનાં ‘આઈ.ટી. સેલ’ અને ‘તેમના માટેની પ્રયોગશાળા એવી વૉટસઍપ યુનિવર્સિટી’એ ફેલાવેલાં ભયનાં સામ્રાજ્ય, તેમનાં કાવતરાં અને તેમની સામે બોલનારા પર વીતાવામાં આવતા ત્રાસ વિશે રવીશ લંબાણથી લખે છે. તેમાં આમીર ખાન સામેની ઝુંબેશ, કરણી સેનાનાં કરતૂત, ડેન્માર્કના કાર્ટૂનિસ્ટના માથા માટેનું ઇનામ જેવા દાખલા તે આપે છે. રવીશના માનવા મુજબ ચૅનલ પરની ડિબેટસ્ પણ ડર ફેલાવનાર પરિબળ છે. આવા ભયભીત કાળમાં ‘સ્પીક આઉટ’ એ કેટલી બધી હિમ્મત માગી લે છે તેની પણ વાત આવે છે.
પુસ્તકનો આરંભે જસ્ટીસ લોયાનાં શંકાસ્પદ મોત અંગે કાર્યક્રમ બનાવવામાં પોતે અનુભવેલા ખૌફ અંગે રવીશ લખે છે. તેમાંથી સમજાય છે કે તેમની અંદરનાં ડર પર ફરજપરસ્ત પત્રકારના માંહ્યલાએ જીત મેળવી. 23 નવેમ્બર 2017નો વિગતોથી ધ્રૂજાવી દેનારોએ કાર્યક્રમ અત્યારના દિવસોમાં ખાસ જોવા જેવો છે. જો કે નીડરતા અંગેની કોઈ હિરોગીરી રવીશ કરતા નથી. એ કહે છે : એમની પાસે નિર્ભયતાનો કોઈ મંત્ર નથી, પોતે ‘વિશેષ વખાણ કરવા જેવું’ કંઈ કહેતા નથી, એ ‘માત્ર લોકો શું માને છે’ તેને જ રજૂ કરે છે, એમની જેમ બોલનારા બીજા પણ છે. રવીશના મતે ડર એટલો બધો છે કે બોલવું એ જ બહાદુરીમાં ખપે છે. જો કે એ સ્વીકારે છે કે બોલતાં પહેલાં ‘ડરનાં બોગદામાંથી પસાર થવું અઘરું હોય છે’.
મીડિયાકર્મીઓને ડરાવવાનો જાણે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમ રવીશને લાગે છે. લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજને સૂચવ્યા મુજબના ‘નારદ’ જેવા પત્રકારો (જે રવીશના શબ્દોમાં ‘નારાયણ નારાયણ’ નામે સરકારનો જાપ કરે) અને સરકારને ખોળે અથવા તેની ગોદમાં બેઠેલા ‘ગોદી મીડિયા’ના અખબારનવેશો સલામત છે. બીજા બધા અસલામત છે, તેઓ કાયદાને નેવે મૂકતાં ટોળાંને હવાલે છે. રવીશ ‘કેરેવાન’ માસિકના ખબરપત્રી બાસિત મલિક પર ટોળાંએ કરેલા હુમલા ઉપરાંત બીજા ઘણાં દાખલા આપે છે. રવીશને ડર છે કે હવે વૈકલ્પિક મીડિયાના પત્રકારોનો વારો આવશે. કર્ણાટકના રૅડિકલ પત્રકાર ગૌરી લંકેશની હત્યાની સાથે તે ત્રણ રૅશનાલિસ્ટો દાભોલકર-કલબુર્ગી-પાનસરેની હત્યાઓનો તે ઉલ્લેખ કરે છે. અલબત્ત ગૌરીની હત્યાને સોશ્યલ મીડિયામાં જે રીતે મોટા પાયે યોગ્ય ઠેરવવામાં આવી તેનો રવીશને ખૂબ આક્રોશ છે. બેટીઓને બચાવવી પડે એવા દેશમાં રામ રહિમ કે આસારામની સામે પડનાર વીરાંગનાના ટેકામાં કોઈ પક્ષ ઊભો ન રહ્યો, તેવું જ ગૌરીની બાબતમાં બન્યું એનો પણ રવીશ ઉલ્લેખ કરે છે. વધુ ખરાબ તો એ કે એક નિખિલ દધિચે ગૌરીની હત્યા પર ‘કૂતરી મરી ગઈ’ એ મતલબનું ટ્વિટ કર્યું. આ માણસના એક ટ્વિટર ફૉલોઅર વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા. રવીશ લખે છે : ‘આ દેશના નાગરિકો તરીકે આપણે બધાએ વડા પ્રધાનને પૂછવું જોઈએ : ‘તમે દધીચને શા માટે ફૉલો કરો છો ?’ રવીશનું પુસ્તક ‘ધ ફ્રી વૉઇસ’ નાગરિકોને અને નવી પેઢીને આવા અનેક પ્રશ્નો કરવાની પ્રેરણા આપનારું છે.
*******
07 ઑગસ્ટ 2019
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 09 ઑગસ્ટ 2019