Opinion Magazine
Number of visits: 9683807
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડૉ. બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ; અનુવાદ અને પરામર્શન અંગે

રાજુ સોલંકી|Opinion - Opinion|21 December 2019

મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગે ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાઇટિંગ્સ ઍન્ડ સ્પીચીઝ’ના નામથી બાબાસાહેબ આંબેડકર પ્રગટ-અપ્રગટ અંગ્રેજી લખાણોને બહાર પાડવાના કરેલા નિર્ણય અંતર્ગત ૧૪ એપ્રિલ, ૧૯૭૯ના રોજ વૉલ્યુમ વન બહાર પડ્યું હતું. આ વૉલ્યુમનાં કુલ ૪૯૬ પાનાંમાંથી ૨૪૦ પાનાંનું ગુજરાતી કરાવડાવીને ચૌદ વર્ષ પછી ગુજરાત સરકારે બાબાસાહેબ ડૉ. આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ – ૧ બહાર પાડ્યો હતો. ગુજરાતી ગ્રંથ – ૧ના પ્રબંધ સંપાદક  દિનકર પંડ્યા, અનુવાદક ડૉ. રવીન્દ્ર ઠાકોર હતા અને પરામર્શકો ડૉ. ચંદ્રકાંત મહેતા તથા શ્રી નિરંજન ત્રિપાઠી હતા.

આ ગુજરાતી ગ્રંથનાં સંપાદન, અનુવાદ અને પરામર્શન ત્રણેય તબક્કાઓમાં ભયાનક વેઠ ઉતારવામાં આવી છે અને તેના પાને પાને અક્ષમ્ય ક્ષતિઓ જોવા મળી છે.

૧. અંગ્રેજી વૉલ્યુમમાં પાના નંબર પાંચ પર ૨૩-૨૪મી લીટીઓમાં મૂળ લખાણ આ પ્રમાણે છે, “but unfortunately it still remains in the domain of the ‘unexplained’…” (પરિશિષ્ટ એક) જેનું ગુજરાતી સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ – ૧માં પાંચ નંબરના પાના પર ૨૨-૨૩મી લીટીઓમાં આ પ્રમાણે છે, “…પણ હજી તે ‘અસ્પષ્ટતા’ના રિસ્લેના જ રહ્યા છે…” (પરિશિષ્ટ બે) ખરેખર સાચો અનુવાદ આ પ્રમાણે છે, “…પણ હજી તે ‘અસ્પષ્ટતા’ના ક્ષેત્રમાં જ રહ્યા છે…” હવે અહીં રિસ્લે શબ્દ ક્યાંથી આવ્યો? અંગ્રેજી વૉલ્યુમના સાતમા પાના પર અગિયારમી લીટીમાં “According to Sir H. Risley…” (પરિશિષ્ટ ત્રણ) લખ્યું છે, જેનો ગુજરાતી અનુવાદ ગુજરાતી ગ્રંથના સાતમા પાના પર પચીસમી લીટીમાં “સર એચ.ના મત પ્રમાણે…” એમ છે, જેમાંથી રિસ્લે શબ્દ ઉડાડી મુકાયો છે અને તેને પાંચમા પાના પર ચોંટાડી દીધો છે. (પરિશિષ્ટ ચાર) આ તો માત્ર એક ઉદાહરણ છે, આવી તો અસંખ્ય ક્ષતિઓ ગુજરાતી અનુવાદના પાને પાને જોવા મળે છે.

૨. ગુજરાતી અનુવાદક ડૉ. રવીન્દ્ર ઠાકોર અંગ્રેજીના પ્રાધ્યાપક હતા, પરંતુ તેમને જાતિ (race) અને વંશ(caste)માં શું તફાવત છે તેની ક્યાં તો ખબર નહોતી, અથવા તો તેમણે ફરક કરવાની કાળજી લીધી નથી. જેમ કે, અંગ્રેજી વૉલ્યુમના પાના નંબર આઠની આડત્રીસમી લીટી આ પ્રમાણે છે, “The various races of India occupying definite territories have more or less fused into one another….” (પરિશિષ્ટ પાંચ) આ વાક્યનો ગુજરાતી અનુવાદ ગુજરાતી ગ્રંથ – ૧ના પાના દસની ચૌદમી લીટીમાં આ પ્રમાણે છે, “નિશ્ચિત પ્રદેશોમાં વસતી હિંદની વિવિધ જાતિઓ વત્તાઓછા અંશે એકમેકમાં ભળી ગઈ છે…..” (પરિશિષ્ટ છ). આ ભૂલ પ્રૂફરીડિંગની નથી, અનુવાદકથી માંડીને પરામર્શક અને છેલ્લે મુખ્ય સંપાદક, કોઈએ આ અનુવાદનું કામ ગંભીરતાથી લીધું નથી, એ સ્પષ્ટ જણાય છે. જેણે બાબાસાહેબનું મૂળ અંગ્રેજી વાંચ્યું નથી, તેવો સામાન્ય વાચક આવો અનુવાદ સાચો છે, એવું માનીને એવો અભિપ્રાય આપે કે બાબાસાહેબને જાતિ (caste) અને વંશ (race) વચ્ચે શું ફરક હતો, તેની ખબર નહોતી, તો આવા પુસ્તકના પ્રકાશનનો મૂળ હેતુ જ માર્યો જશે.

૩. અત્રે દર્શાવેલી ભૂલો હાલના ગ્રંથમાં કે હવે પછીના પ્રકાશનમાં ‘શુદ્ધિપત્રક’ મૂકીને દૂર કરી શકાય એમ નથી. સમગ્ર ગ્રંથનો ફરી અનુવાદ અને પરામર્શન થાય તો જ આ ભૂલો સુધરી શકે.

૪.  બાબાસાહેબના ગ્રંથોના પ્રકાશનમાં ગુજરાતમાં એક અત્યંત મહત્ત્વની બાબત ઉવેખવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં બાબાસાહેબના ગ્રંથોનું પ્રકાશન કરવાનું નક્કી થયું. ત્યારે સરકારે આંબેડકરવાદી અગ્રણીઓ, નામાંકિત કવિ-લેખકો સહિતની અઠ્યાવીસ વ્યક્તિઓની બનેલી ‘ડૉ. બાબાસાહેબ આઁબેડકર સોર્સ મટીરિયલ પબ્લિકેશન કમિટી, મહારાષ્ટ્ર સ્ટેટ’ની રચના કરી હતી. (પરિશિષ્ટ સાત). આવી કોઈ જવાબદાર સમિતિના અભાવમાં ગુજરાતમાં બાબાસાહેબની ગરિમાને લાંછન લાગે તેવા અનુવાદો થયા છે અને સમગ્રપણે અક્ષરદેહની કામગીરી ટીકાપાત્ર બની છે. ગુજરાતમાં મહારાષ્ટ્રની પૅટર્ન પ્રમાણે આવી કોઈ સમિતિની રચના થાય અને તે સમિતિ પૂરતી જવાબદારી સાથે આ ભગીરથ કામ ઉપાડી લે, તો સરકારની પ્રતિષ્ઠા વધશે, ઓછી નહીં થાય. બાબાસાહેબના ગ્રંથોના પ્રકાશન અંગે સરકારે કોઈ નિયમો બનાવ્યા જ નથી, તમામ કાર્ય ઉભડક રીતે થયું છે. એક અત્યંત મહત્ત્વનું કાર્ય ચોક્કસ ધારાધોરણો મુજબ થવું જોઈએ જે નથી થયું.

બાબાસાહેબ જેવી વિદ્વાન વ્યક્તિના વિચારોને લાંછન લગાવે એવાં કૃત્ય કરનારા ગુજરાતી લેખકોએ એ સમજી લેવું જોઈએ કે હવે કલમમાં કસાઈઓની કલમ દ્વારા ઠંડા કલેજે કરવામાં આવતી વૈચારિક હત્યા પકડી પાડે તેટલી જાગૃતિ તો લોકોમાં આવી ગઈ છે. લોકોને ફક્ત મહાપુરુષોનો જયજયકાર કરતા જ નહીં પણ તેમના વિચાર-વારસાને ભવિષ્યની પેઢી માટે સંરક્ષિત કરતા પણ આવડે છે.

આંબેડકરવાદીઓની સરકારમાં આ રજૂઆત અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે બાબાસાહેબના વૉલ્યુમના અનુવાદમાં થયેલી ભૂલો સુધારવામાં આવશે. જો કે, મંત્રીએ અનુવાદમાં અક્ષમ્ય વેઠ ઉતારનારા અનુવાદક, પરામર્શકો અને સંપાદકનો બચાવ કર્યો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 06-07 

Loading

રેંટિયા ઉપર ટોપો?

સિતાંશુ યશશ્ચન્દ્ર|Opinion - Opinion|21 December 2019

કોઈ પણ પ્રશ્ન પરથી પ્રજાનું ધ્યાન હટાવવું હોય તો સહેલો રસ્તો એ પ્રશ્નને અઘરો કરવાનો, ગૂંચવી મારવાનો છે. સાહિત્યિક સંસ્થાઓની સ્વાયત્તતાના પ્રશ્નને એ રીતે ગૂંચવી મારવાની યુક્તિઓ કાબિલેદાદ છે, પણ પ્રજાવિઘાતક છે. તો સ્વાયતત્તા અંગે થોડીક સીધી વાત કરીએ.

સવાલ સરકાર અને સાહિત્ય વચ્ચેના સમ્બન્ધનો છે. (ન કે કોઈ બે સાહિત્યિક સંસ્થાઓ વચ્ચેના કોઈ વિખવાદનો.) સવાલ એ છે કે પોતાની પ્રજામાં જે સાહિત્યકારો છે, સાહિત્યના લેખકો, વાચકો, વગેરે, એમના ઉપર સરકારે ભરોસો રાખવો જોઈએ કે નહીં ? પોતપોતાના લોકશાહી બંધારણ અનુસાર ચૂંટણી દ્વારા રચાયેલા કાર્યકારી મંડળો (પ્રમુખ, મંત્રીઓ, કારોબારી, મધ્યસ્થ આદિના સભ્યો) જે-તે સાહિત્યિક મંડળનું સંચાલન કરે, એ એક રીત થઈ. સ્ટાલિનના સોવિએટ યૂનિયનમાં, અને પાકિસ્તાન જેવા ધર્મ-આધારિત રાષ્ટ્રમાં કે અર્થકારણ વડે નિયંત્રિત સમૂહમાધ્યમોમાં એ લોકશાહી રીત ન ચાલે. સવાલ એ છે કે ગુજરાતમાં શુ ચાલે ? ગુજરાતની હાલની સરકારને પોતાની પ્રજામાં રહેલા સાહિત્યકારો (લેખકો-ભાવકો) ઉપર વિશ્વાસ છે ? કે પછી એ સરકાર એમ માને છે કે સાહિત્યકારો હજી એને લાયક નથી ? હાલ તો સરકારે નીમેલા પ્રમુખ-મંત્રી (હવે તો પોતે નીમેલા સલાહકાર કે સંચાલક મંડળને પણ રુખસદ આપી દેવાઈ છે), એવી સરકાર નિયુક્ત કોઈ બેલડી દ્વારા સાહિત્યિક સંસ્થા ચલાવવી?

અંગ્રેજોએ ૧૯મી સદીમાં આવું વલણ અપનાવેલું. ‘વ્હાઈટ મેન્સ બર્ડન’ના સુશોભિત નામે એ વલણ એમણે ઓળખાવેલું. એવી કોલોનિયલ સત્તા કહેતી કે આ ભારતીયોને પોતાનું રાજય ચલાવતાં, પોતાની અન્ય સંસ્થાઓ ચલાવતાં આવડતું નથી. એટલે એ બોજો, એમના લાભાર્થે, અમે ઉંચકીએ છીએ. ભારતની શી દુર્દશા એ કોલોનિયલ પાવરે કરી, એ આજના આપણા લોકશાહી ઢબે ચૂંટાઈ આવેલા દરેક પક્ષના અગ્રણીઓ જાણે છે.

પ્રજાની કલ્પનાશીલતાને, સંવેદનશીલતાને, વિચારશીલતાને પોતાની પકડમાં રાખવાનું વલણ ગમે તે નામે હોય, ગમે તે એને ‘માય બર્ડન’ ગણતું હોય, પણ એ વલણ પ્રજાની અને રાષ્ટ્રની, સમાજની અને રાજ્યની પાયમાલી તરફ જ દોરી જાય.

ભારતીય સંસ્કૃતિ ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ’ એમ માને છે. છ દર્શનોને, ઉપરાંત ત્રણ એથી અલગ દર્શનોને પોષનારી ભારતીય સંસ્કૃતિમાં કોલોનિયલ કલ્ચર ઘુસી ન જાય, એકવીસમી સદીમાં, એની તાકીદ સહુ કોઈ વિચારવંત રાખે.

રાજાને પણ ટપારનાર તેજસ્વી ચારણી કવિઓમાં કેટલાક કઢીદાનજીઓ પણ પાક્યા. રાજ્યાશ્રયી, ધર્માશ્રયી, વિત્તાશ્રયી લેખન કરવું છે કે આપમહેનતે આપસૂઝથી, પોતાની રીતે આગળ વધવું છે ? ગુજરાતી લેખક નક્કી કરે. આજની રાજ્યસરકાર શું ચાહે છે ? પ્રજાની, પોતાના સાહિત્યકારોની, સ્વતંત્ર ચેતનાનું પ્રફુલ્લન કે પછી નિયંત્રણ?

નક્કી કરીએ. કોલોનિયલ પાવર સામે, જીતવી અશક્ય લાગે એવી લડાઈ, એવા સ્વાતંત્ર્યસંગ્રામો, ભારતીય પ્રજા લડી જાણે છે. હસતી હસતી. અંગ્રેજો સામેની લડાઈમાં એક ગીત હતું : ‘રેંટિયા રૂપી તોપો સરકાર મેલે પોકો.’ – હસી હસીને લડત જારી રાખી શકતા ગુજરાતે એમાં રમૂજી ફેરફાર કર્યો હતો ‘રેંટિયા ઉપર ટોપો’ – મૂકી તો જોયો પણ તો ય – ‘સરકાર મેલે પોકો’.

મારા ભાઈઓ, સ્વાયત્તતા લેવી સ્હેલ છે – જો કઢીદાનજી તમે ન હો અને કોલિનિયલ સરકાર ગાંધીનગરમાં ન હોય તો તો તરત …

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 08

Loading

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અંગે

—, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|21 December 2019

તા.૧-૧૨-૨૦૧૯ને રવિવારના રોજ સવારે ૧૦.૦૦ વાગે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની મથામણમાં રસ અને નિસબત ધરાવતા મિત્રો હવેના તબક્કે આગળ જવાની દૃષ્ટિએ શું કરી શકીએ એ વિચારવા પરિષદના પરિસરમાં ભેગા થયા હતા જેમાં પરિષદના મહામંત્રીએ આ બેઠકનો હેતુ દર્શાવ્યો અને પરિષદપ્રમુખ સિતાંશુ યશશ્ચન્દ્રે સ્વાયત્તતા નિમિત્તે એક નિવેદન રજૂ કર્યું. ત્યારબાદ શ્રી પ્રકાશ ન. શાહ, શ્રી ધીરુ પરીખ, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી બિપિન પટેલ, શ્રી પરેશ નાયક, શ્રી રમેશ બી. શાહ, શ્રી ભરત મહેતા, શ્રીમતી સેજલ શાહ, શ્રી સમીર ભટ્ટ, શ્રી પીયૂષ ઠક્કર, શ્રી સરૂપ ધ્રુવ, શ્રી બારીન મહેતા, શ્રી પરીક્ષિત જોશી, શ્રી મનસુખ સલ્લા ઇત્યાદિએ સ્વાયત્તતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને તે અંગે પુખ્ત વિચારણા બાદ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની સ્વાયત્તતા અંગે નીચે મુજબ તબક્કાવાર કામ કરવાનું સર્વાનુમતે ઠરાવ્યું.

૧. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’માં પ્રતિમાસ સ્વાયત્તતા અંગેની સમજ વિસ્તૃત કરવા સ્વાયત્તતામાં માનતા સાહિત્યકારો-વિચારકોના વિચારો મૂકવા.

૨. ડિસેમ્બર ૨૦૧૯ના અંતમાં પરિષદના પાલનપુર ખાતે યોજાનારા જ્ઞાનસત્રના ખુલ્લા અધિવેશનમાં સ્વાયત્તતાના મુદ્દાની ચર્ચા કરવી.

૩. સ્વાયત્તતા માટે ગુજરાત કક્ષાનું એક સંમેલન યોજવું.

૪. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને આ અંગે મળવું અને જરૂર જણાયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ મળવું.

૫. ગુજરાતમાં ચૂંટાયેલા ધારાસભ્યોને એમના વિસ્તારના લેખકોએ રૂબરૂ મળીને ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો રજૂ કરવો.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 08

Loading

...102030...2,6302,6312,6322,633...2,6402,6502,660...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved