ગયા અઠવાડિયે બેઝોસ નામનો એક માણસ ભારતમાં આવીને ગયો એની તમને ખાસ જાણ નહીં હોય. જાણ ક્યાંથી હોય, આવી કોઈ જાણ ન થાય એટલા સારુ તો સી.એ.એ. અને એન.સી.આર. જેવા પાંસા ફેંકવામાં આવે છે કે જેથી પ્રજા એમાં જ અટવાયેલી રહે અને રોટી, કપડાં અને મકાનના મૂળભૂત સવાલથી નજર હટી જાય. સારા પત્રકારે વાચકનું બંને દિશામાં ધ્યાન દોરવું જોઈએ. નજરબંધીના ખેલ પણ ઊઘાડા પાડવા જોઈએ અને પ્રજાને કવરાવનારા મૂળભૂત પ્રશ્નો ધ્યાનબહાર ન જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. બાકી ભૂલભૂલામણી રચવા માટે તો અર્ણવ ગોસ્વામીઓ મોટી સંખ્યામાં છે. તેઓ તેમનું પેટ ભરી લે છે, પછી તમારું પેટ ભલે ખાલી રહે. કેટલાક ભાડૂતી બાવાઓ પણ વિદ્યાર્થીઓને સલાહ આપે છે કે તેમણે ભણવામાં ધ્યાન આપવું જોઈએ અને રાજકારણથી દૂર રહેવું જોઈએ. તેમને આની યાદ ૨૦૧૧માં અને ૨૦૧૨માં નહોતી આવી. આ દેશમાં આધ્યાત્મિકતા કાં તો ભયભીત છે અને કાં બીકાઉ છે.
ખેર, એ વાત જવા દઈએ, વાત બેઝોસની કરવાની છે. જેફ બેઝોસ એટલે ઓનલાઈન રીટેલ જાયન્ટ ‘ઍમેઝોન’ નામની કંપનીનો સ્થાપક. આ કંપની કેવડી મોટી છે એ કહેવાની જરૂર નથી. ૨૦૧૪માં પણ બેઝોસ ભારત આવ્યા હતા અને ત્યારે તેમને વડા પ્રધાને સમય આપ્યો હતો, એટલું જ નહીં તેમણે તેમના સ્વભાવ મુજબ બેઝોસને કહ્યું હતું, ‘બોલો, શું જોઈએ છે? હું જોઈએ તે વ્યવસ્થા કરી આપું, તમે ભારતમાં રોકાણ કરો.’ તમને કદાચ ૨૦૧૪નો વડા પ્રધાનનો જપાનનો પ્રવાસ પણ યાદ હશે. ત્યાં તેમણે જપાનીઝ રોકાણકારોને કહ્યું હતું કે, ‘હું તમને મારો ફોન નંબર આપીને જઉં છું. ફોન કરો અને બીજા જ દિવસે એક ધક્કામાં રોકાણ માટેની મંજૂરી મેળવી લો.’ આવી ઝડપ અને કાર્યદક્ષતા જોઈને તેમના વિરોધીઓ પણ મોંમાં આંગળા નાખી ગયા હતા. જો આ રીતે ઝડપથી નિર્ણયો લેવાય અને અમલદારશાહીથી દેશના વહીવટીતંત્રને અને અર્થતંત્રને મુક્તિ મળે તો દેશની જરૂર કાયાપલટ થઈ શકે.
પણ એ દિવસ અને આજની રાત. જપાનીઓને વડા પ્રધાનનો હોટ લાઈન નબંર મળ્યો નથી. દુનિયાના કોઈ પણ રોકાણકારને મળ્યો નથી. વહીવટીતંત્રમાં અને અર્થતંત્રમાં પણ કોઈ મોટા સુધારા કરવામાં આવ્યા નથી. વિદેશી રોકાણ આવતું ઘટ્યું છે અને છેલ્લા ચાર દાયકામાં અર્થતંત્ર તેની નીચલી સપાટીએ છે. સૌથી મોટું સંકટ રોજગારનું છે.
દેશની સ્થિતિ આવી છે ત્યારે ઍમેઝોનના સ્થાપક અને માલિક જેફ બેઝોસ ભારતમાં મોટું રોકાણ કરવાની તૈયારી સાથે ભારત આવ્યા હતા, પણ વડા પ્રધાને આ વખતે તેમને મળવાનો સમય આપ્યો નહોતો. વડા પ્રધાન અન્ય કામોમાં વ્યસ્ત હોય એ સમજી શકાય છે, પણ વાણિજ્ય પ્રધાને પણ સમય કાઢ્યો નહોતો. ઍમેઝોનના કારણે ભારતમાં નાના વેપારીઓના ધંધાને માર પડી રહ્યો છે એ કારણે ભારતે વિદેશી રોકાણનીતિ બદલી હોય તો એ સમજી શકાય એમ છે. સવાલ એ છે કે ભારત સરકારે ક્યારે એવું નીતિનિવેદન કર્યું છે? બીજું, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ બેઝોસને મળીને ભારતની ચિંતા પ્રગટ કરી શક્યા હોત અને બેઝોસની વાત પણ સાંભળી હોત. તેઓ વાણીજ્ય પ્રધાન છે અને તેમનું કામ વિદેશવ્યાપાર વધારવાનું છે. ત્રીજું, વિશ્વના ટોચના ઉદ્યોગપતિમાંના એકની અવહેલના નહીં કરવા જેટલું સૌજન્ય પણ હોવું જોઈએ.
આની જગ્યાએ પીયૂષ ગોયલે બોઝોસને મળવામાં કોઈ રસ નહોતો બતાવ્યો એટલું જ નહીં બેઝોસે જ્યારે કહ્યું કે ઍમેઝોન ભારતમાં એક અબજ ડોલર્સનું રોકાણ કરવા ઈચ્છે છે અને તેના દ્વારા દસ લાખ લોકોને રોજગારી મળી શકે એમ છે ત્યારે વાણીજ્ય પ્રધાન પીયૂષ ગોયલે શું કહ્યું હતું ખબર છે? તેમણે કહ્યું હતું કે, ‘બેઝોસ ભારતમાં રોકાણ કરીને શું ભારત પર ઉપકાર કરે છે?’ ગોયલના વિધાનની ભારતમાં અને વિદેશમાં પણ નોંધ લેવાઈ અને ટીકા થવા લાગી ત્યારે પીયૂષ ગોયલે સૂર બદલ્યો હતો, પણ એનો કોઈ અર્થ રહ્યો નહોતો.
૨૦૧૪માં જે ઉમળકો હતો અને ૨૦૨૦માં કેમ ગાયબ થઈ ગયો? નાના વેપારીઓની ચિંતાને કારણે એવો જો તમારો જવાબ હોય તો તમે આ સરકારને ઓળખતા નથી. આનું કારણ એ છે કે જેફ બેઝોસ અમેરિકાના માતબર અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના પણ માલિક છે અને ‘વૉશિંગ્ટન પોસ્ટ’ નરેન્દ્ર મોદીની અને તેમની સરકારની ફાસીવાદી નીતિની સતત અને સખત ટીકા કરી રહ્યું છે. સરકારને ‘વોશિંગ્ટન પોસ્ટ’નું વલણ પસંદ નથી. જો કોઈ સમજદાર શાસક હોત તો બોઝોસને સમય આપીને, તેમની વાત સાંભળીને, હળવેકથી કાનમાં કહ્યું હોત કે તમારું અખબાર અમારી ખોટી ટીકા કરી રહ્યું છે તો એ તરફ જરા નજર કરો તો સારું. પણ અત્યારના શાસક પક્ષમાં એકથી એક હીરામોતી છે એટલે બી.જે.પી.ના વિદેશનીતિના સેલના પ્રમુખ વિજય ચોથાઈવાલાએ બોઝોસને જાહેરમાં કહ્યું કે વોશિંગ્ટન પોસ્ટના સંપાદકને કહો કે તે તેમની ભારત સરકાર પરત્વેની નીતિ બદલે અને ટીકા કરતું બંધ થાય. તેમના જ શબ્દોમાં : “ભારત સરકારનું મન જીતવાના પ્રયત્નો કરવાની જગ્યાએ તમે (બેઝોસ) તમારા ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના કર્મચારીઓને સમજાવી દો, અન્યથા ભારત સરકારનું મન જીતવાનો પ્રયાસ વ્યર્થ નીવડવાનો છે.”
આખરે મરદ મૂછાળા રાષ્ટ્રવાદીઓ ને! ઝાલ્યા રહે એ બીજા. એકથી એક ચડે એવા છે. ખબર નહીં આવા બત્રીસલક્ષણા અત્યાર સુધી કેમ ઢંકાયેલા રહ્યા! આ વિજય ચોથાઈવાલા કોણ છે એ જાણવા માટે ગૂગલ કરી જુઓ. તેમના નામે કોઈ સિદ્ધિ નોંધાયેલી જાણવા મળે તો મને કહેજો. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઉપકુલપતિ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ વિષે ગૂગલ કરી જુઓ. એક જમાનામાં જેને હસી કાઢવામાં આવતા હતા એવા કાલી કાલી વાતો કરનારા મોટા મોટા પદો પર બેઠા છે. તો આ ભાઈને એટલું પણ ભાન નહોતું કે આવી વાતો જાહેરમાં કરવાની ન હોય. બેઝોસને સાનમાં સમજાવી શકાતા હતા. કદાચ સમજાવ્યા પણ હશે અને ધાર્યું પરિણામ નહીં મળતા તેઓ જાહેરમાં બોલ્યા હોય એવું બને.
તેમને એટલી અક્કલ નથી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આબરૂ માનનીય શ્રી ચોથાઈવાલા અને પીયૂષ ગોયલના કારણે વધુ ખરડાઈ છે. વિજય ચોથાઈવાલાને જવાબ આપતા વોશિંગ્ટન પોસ્ટના સંપાદકે શું કહ્યું એ વાંચો : “અમારા અખબારના માલિક અમારે કેવી સંપાદકીય નીતિ અપનાવવી એની કોઈ સલાહ આપતા નથી. અમારા માલિક પોતાના ધંધા માટે અખબારનો ઉપયોગ કરતા નથી. સ્વતંત્ર પત્રકારત્વ એટલે સરકારની જીહજૂરી નથી થતો. અમારા રિપોર્ટરો અને કટાર લેખકો ભારતીય લોકતાંત્રિક પરંપરાનું નિર્વહન કરે છે.” બોલો શું કાંદો કાઢ્યો? નાક કાપીને હાથમાં આપી દીધું.
આ ચોથાઈવાલા સાહેબ વિદેશ વ્યવહાર ખાતાના સેલના અધ્યક્ષ છે, પણ તેમણે દુનિયા જોઈ હોય એમ લાગતું નથી. તેઓ પશ્ચિમ યુરોપ અને અમેરિકન પત્રકારત્વના ધોરણોથી પરિચિત લાગતા નથી. ક્યાંથી હોય, બાળપણથી વાંચવાની આદત જ ન હોય તો આ બધું ક્યાંથી સમજાય! તેમને બિચારાને એમ કે ભારતના ઉદ્યોગપતિઓની માલિકીની ચેનલ અને અખબારો જે રીતે ભાટાઈ કરે છે અને પડ્યો બોલ ઝીલે છે એમ અમેરિકાના અખબારો પણ કરશે. તેમને એ વાતની પણ જાણ નથી કે જેફ બોઝોસ પોતાની તાકાતથી સફળ નીવડ્યા છે, શાસકોની આંગળી પકડીને તેમની મહેરબાનીથી અબજોપતિ નથી થયા. જેવી શ્વાનવૃત્તિ ભારતમાં છે એવી અમેરિકામાં નથી. શાસકો, ઉદ્યોગપતિઓ, પત્રકારો અને બાવાઓનો બીકાઉ ચતુષ્કોણ ભારતમાં રચાયો છે એ હજુ યુરોપ અને અમેરિકામાં રચાયો નથી. આગળ શું થશે એ તો ભગવાન જાણે. આમ પણ ભારત વિશ્વગુરુ બનવાના મનોરથ સેવી રહ્યું છે.
તો વિજય ચોથાઈવાલાને એમ થયું કે જેફ બેઝોસ સાથે પણ ચોથાઈનો સંબંધ બાંધી શકાશે જે રીતે પેશ્વાઓ જીતેલા પ્રદેશો સાથે ચોથાઈનો સંબંધ બાંધતા હતા અને અત્યારે ભારતના ઉદ્યોગપતિઓ સાથે ચોથાઈનો સંબંધ જોવા મળી રહ્યો છે. આવું તેઓ માનતા હોય તો કાંઈ વાંધો નહીં, અરજ માત્ર એટલી જ છે કે દેશી-પરદેશી જોયા વિના જાહેરમાં ધમકાવવાનું અને ઈશારા કરવાનું બંધ કરે. ગોઠણની બુદ્ધિ ગોઠણમાં જ શોભે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 જાન્યુઆરી 2020