પ્રિયકાંત મણિયારનો જન્મ ૨૪ જાન્યુઆરી ૧૯૨૭નાં રોજ વીરમગામમાં થયો હતો. તેમનું વતન અમરેલી. આજે તેમની ૯૩મી જન્મ જયંતી છે ત્યારે પ્રકૃતિ અને પ્રણય કાવ્યોમાં જીવેલા પ્રિયકાંત મણિયારનાં જીવનની કેટલીક રસપ્રદ વાતો જાણવી જ રહી.
“આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે …,
આ સરવર જળ તે કાનજી ને પોયણી તે રાધા રે …”
પ્રિયકાંત મણિયારની આ રચના રાધા કૃષ્ણની મૈત્રીને, તેમના રોમાન્સ એક સચોટ વ્યાખ્યામાં બાંધે છે. આ ગેય કાવ્યની ‘ફાઇન પ્રિન્ટ’ જોઇએ તો સમજણ પડે કે કૃષ્ણ તો રાધા વિના અધૂરા છે જ પણ રાધાનું હોવું કૃષ્ણ વિના શક્ય નથી. પ્રિયકાંત મણિયાર આ રચના દરેક કવિસંમેલનને અંતે આરતીના ઢાળમાં ગાતા. પ્રિયકાંત મણિયારનો જન્મ ૨૪ જાન્યુઆરી ૧૯૨૭નાં રોજ વીરમગામમાં થયો હતો. તેમનું વતન અમરેલી. આજે તેમની ૯૩મી જન્મ જયંતી છે ત્યારે પ્રકૃતિ અને પ્રણય કાવ્યોમાં જીવેલા પ્રિયકાંત મણિયારનાં જીવનની કેટલીક રસપ્રદ વાતો જાણવી જ રહી.
તેમના પિતા હરજીવનદાસ જૈન ધર્મ પાળતા અને માતા પ્રેમકુંવર વૈષ્ણવ ધર્મ પાળતા. આ બંન્ને ધર્મનાં લક્ષણો તેમની રચનાઓમાં પણ ડોકાયા કરે છે. ૧૯૩૭-૩૮માં અમદાવાદ રહેવા આવી ગયેલા પ્રિયકાંતભાઇએ નવમા ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો હતો પણ હિંદ છોડોની ચળવળને પગલે અભ્યાસને તિલાંજલી આપી હતી. આમ તો તેમને પ્રાધ્યાપક થવું હતું પણ શિક્ષણના અભાવે તે થઇ ન શક્યું અને થોડો સમય પત્રકારત્વ કર્યા પછી તેમણે મણિયારા તરીકે બાપીકા ધંધામાં કામ કરવાનું ચાલુ રાખ્યું.
મણિયારો એટલે કે ચૂડી કંગન બનાવનાર, તેમાં ય પ્રિયકાંતભાઇ તો સંઘેડાઉતાર ચૂડીઓ બનાવતા. જેમની રચનાઓને પણ સંઘેડાઉતાર કહેવાય છે તેમને વાંચવા માટે આ શબ્દનો અર્થ તો ખબર હોવી જ જોઇએ. સંઘાડો એટલે કે હાથીદાંત, પ્લાસ્ટિક, લાકડું વગેરેની ચીજો બનાવવાનું ગોળ યંત્ર. આ યંત્ર પર બનતી ચીજોનો આકારમાં કોઇ ચૂક ન હોય અને માટે જ સંઘેડાઉતાર શબ્દ એવી રચના કે કૃતિ માટે વપરાય છે જેમાં કોઇ ચૂક ન હોય. કવિ જીવનની વાતો સાથે તેમની કેટલીક રચનાઓની ઝલક પણ માણીએ. ક્યાંક મોંઘવારી ઘટાડવાનો ખોટો દાવો કરનારા પર કટાક્ષ છે તો ક્યાંક સોળ વર્ષની છોકરીનાં યૌવનનું પ્રકૃતિથી રસતરબોળ વર્ણન છે.
“એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે”
***
“એ સોળ વરસની છોરી
સરવરિયા જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી.
ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મહેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી”
***
“છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી …
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી …”
પ્રિયકાંત મણિયારે ગીત, ગઝલ, મુક્તક, સૉનેટ, અછાંદસ, ગદ્યકાવ્યો વગેરેની રચના કરી છે. તેમના લગ્ન નક્કી થયા પણ લગ્નની આગલી રાત્રે તેઓ મુંબઈ ભાગી આવ્યા. પછીથી અમદાવાદ પરત ફર્યા અને બાલ હનુમાન વિસ્તારમાં ચૂડી-કંગનની ‘મેઘધનુષ’ નામની દુકાન શરૂ કરી. ૧૯૫૬માં મૂળ અમરેલીના પણ ઇસ્ટ આફ્રિકામાં ઉછરેલા રંજનબહેન સાથે તેમના લગ્ન થયાં. તેઓ અમદાવાદમાં કવીશ્વરની પોળમાં રહેતા આ કવિએ ચૂડી કંગનની બીજી ત્રણ દુકાનો પણ શરૂ કરી. સિત્તેરના દાયકાની શરૂઆતમાં તેમને અમેરિકા જવાનો મોકો મળ્યો અને અને પાછા ફરીને તેમણે અખબારોમાં કટાર લેખન શરૂ કર્યું. તેઓ કુમાર સામયિકની અઠવાડિક કવિ સભામાં જતા. તેમની પર નિરંજન ભગતના સંગાથની ઊંડી અસર હતી.
‘પ્રતિક’, ‘અશબ્દરાત્રી’, ‘સ્પર્શ’, ‘સમીપ’, ‘પ્રબલગતિ’, ‘વ્યોમલિપિ’, ‘લીલેરો ઢાળ’ તેમના કાવ્ય સંગ્રહો છે. તેમને કવિતા માટે ‘કુમાર ચંદ્રક’ મળ્યું હતું અને ‘સમીપ’ કાવ્યસંગ્રહ માટે તેમને ‘ઊમા-સ્નેહરશ્મિ’ પારિતોષિક એનાયત થયું હતું.
૧૯૭૬ની ૨૫મી જૂને તેઓ રાત્રે પોતાની ઑફિસનું શટર બંધ કરતા હતા અને તેમના હ્રદયે પણ બંધ થવાનું નક્કી કર્યું. ક્યારે ય ભૂલી ન શકાય તેવાં ગીતોના રચયિતા પ્રિયકાંત મણિયારે માત્ર ૪૯ વર્ષની વયે જિંદગીની પંક્તિઓ અધૂરી મૂકી દીધી.
સૌજન્ય : “ગુજરાતી મિડ ડે”, 24 જાન્યુઆરી 2020