Opinion Magazine
Number of visits: 9456146
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—304

દીપક મહેતા|Opinion - Opinion|31 August 2025

જ્યુરી અને જજ વચ્ચે મતભેદ 

જ્યુરીએ કહ્યું, નાણાવટી નિર્દોષ છે, 

જજે કહ્યું નાણાવટી નિર્દોષ નથી   

સિલ્વિયા નાણાવટીની જુબાની આગળ ચાલી ત્યારે મરનાર આહુજાના ઘરમાંથી મળી આવેલો એક ફોટો તેમને બતાવવામાં આવ્યો. આ ફોટો પોલીસે પંચનામા હેઠળ આહુજાના ઘરમાંથી બરામદ કર્યો હતો. બચાવ પક્ષના વકીલ કાર્લ ખંડાલાવાલાએ પૂછ્યું : આ ફોટો કોનો છે તે કહી શકશો?

હા, જી. આ ફોટો મરનાર પ્રેમ આહુજાની આગલી પત્નીનો છે. એનું નામ પામ.

આવી, પામ નામની કોઈ વ્યક્તિ હતી જ નહિ, ઉપજાવી કાઢવામાં આવી છે, એમ કોઈ કહે તો તમે શું જવાબ આપશો?

‘પામ’ કલ્પના નથી, હકીકત છે. બોમ્બે ક્લબમાં એક લંચ વખતે હું તેને મળી હતી, ૧૯૫૮માં. 

તમને કઈ રીતે ખબર પડી પામ મરનાર આહુજાની પત્ની હતી?

મરનાર આહુજાએ મને એમ કહ્યું હતું કે ૧૯૪૭માં મેં પામ સાથે લગ્ન કર્યાં હતાં. પણ તેના મા-બાપે મારા પર ખોટ્ટા આક્ષેપો મૂક્યા હતા અને પામને મારી પાસેથી ઉઠાવી ગયા હતા.

મરનાર અને પામ વચ્ચેનો લગ્નસંબંધ પૂરો થઈ ગયો હતો?

થોડા વખત પછી પામે બીજાં લગ્ન કરી લીધાં એટલે એ સંબંધ કાયદેસર પૂરો થયો હોય તો જ એ શક્ય બને.  

ત્યાર બાદ સિલ્વિયાને ત્રણ પત્રો બતાવવામાં આવ્યા જે મરનારના ઘરમાંથી મળી આવ્યા હતા. એ જોઈને સિલ્વિયાએ કહ્યું કે આ પત્રો મેં પ્રેમ આહુજાને લખેલા પત્રો છે. 

મરનાર પ્રેમ આહુજાએ તમને ક્યારે ય પત્રો લખ્યા હતા?

ના, જી. 

તમારા પ્રેમ સંબંધ અંગે તમે ક્યારે ય બીજા કોઈની સાથે વાત કરી હતી?

હા, જી. મિસ આહુજા સાથે.

ક્યારે?

૧૯૫૮ના ઓક્ટોબર કે નવેમ્બરમાં. 

પબ્લિક પ્રોસિક્યૂટર : શું એ વાત સાચી નથી કે તમે દિલ્હીમાં હતાં ત્યારે તમારે લગ્ન અંગે મરનાર આહુજા સાથે વાત થઈ હતી, અને તમે બંનેએ એ વાત મિસ આહુજાને જણાવવાનું નક્કી કર્યું હતું.

ના, જી. કારણ મિસ આહુજા એ વાત ત્યારે જાણી ચૂક્યાં હતાં. એટલે તેમને જણાવવાનો પ્રશ્ન જ નહોતો. 

એટલે, મરનાર સાથેનાં તમારાં લગ્ન અંગે મિસ આહુજા સાથે પહેલી વાર વાત તમે ત્રણે આગ્રામાં હતાં ત્યારે થઈ હતી એમ કહેવું સાચું નથી?

ના, જી. એ સાચું નથી. 

ફરિયાદ પક્ષના વકીલે ઊલટ તપાસ લેવાની ના પાડતાં સિલ્વિયા નાણાવટીની જુબાની પૂરી થઈ. એ સાથે કોર્ટના રજિસ્ટ્રારે જાહેર કર્યું કે હવે કોઈ સાક્ષીની જુબાની બાકી રહેતી નથી.

*

આપણી અદાલતોમાં જ્યારે જ્યૂરી પ્રથા અસ્તિત્વમાં હતી ત્યારે શિરસ્તો એવો હતો કે બધા સાક્ષીની જુબાની પૂરી થયા પછી બચાવ પક્ષના વકીલ અને ફરિયાદ પક્ષના વકીલ જ્યુરીના સભ્યોને સંબોધીને બધા સાક્ષીઓની જુબાનીનો સાર (સમરી) આપે અને કયા સાક્ષીની કઈ વાત મહત્ત્વની છે એ તરફ જ્યુરીના સભ્યોનું ધ્યાન દોરે. 

સૌથી પહેલાં બચાવ પક્ષના વકીલ કાર્લ ખંડાલાવાલા ઊભા થયા અને બધા સાક્ષીઓની જુબાનીનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું. તેમનો મુખ્ય મુદ્દો એ હતો કે આ કેસમાં ફરિયાદ પક્ષ એક પણ direct evidence રજૂ કરી શક્યો નથી. અને જે આડકતરા પુરાવા રજૂ થયા છે તે કમાન્ડર નાનાવટીને ન તો ખૂની ઠરાવી શકે તેમ છે, કે ન તો સદોષ મનુષ્યવઘનો ગુનો સાબિત કરી શકે તેમ છે. કમાન્ડર નાણાવટીએ જે કાંઈ કર્યું – અથવા તેમનાથી જે કાંઈ થઈ ગયું – તે પોતાના બચાવમાં થયું હતું. ખંડાલાવાલાની રજૂઆત પૂરા બાર કલાક ચાલી હતી.

તે પછી ચીફ પબ્લિક પ્રોસિક્યૂટર સી.એમ. ત્રિવેદીએ પોતાની રજૂઆતમાં કાર્લ ખંડાલાવાલાની ઘણીખરી વાતનું ખંડન કરીને કહ્યું હતું કે પ્રેમ આહુજા મરાયો છે, કમાન્ડર નાણાવટીની રિવોલ્વરમાંથી છૂટેલી (કે છૂટી ગયેલી) ગોળીઓ વડે તેનું મોત નિપજ્યું છે એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. તેનું મોત એ ખૂન છે, સદોષ મનુષ્યવધ છે, કે અકસ્માત છે એ જ્યુરીના માનવંતા સભ્યોએ નક્કી કરવાનું છે. ત્રિવેદીની રજૂઆત પણ ચાર દિવસમાં બધું મળીને બાર કલાક સુધી ચાલી હતી. 

ત્યાર બાદ જજ મહેતાએ બધા સાક્ષીઓની જુબાની, બંને પક્ષના વકીલોની રજૂઆત, કાયદાની બારીકીઓ, વગેરેની ચર્ચા કરી જે સાત કલાક ચાલી હતી. અંતે તેમણે કહ્યું કે આ ખટલા અંગે તમે જે કોઈ નિર્ણય લો તે કોઈથી પણ દબાયા કે દોરવાયા વિના, કોઈની શેહશરમમાં આવ્યા વગર, કાયદાને અને ન્યાયબુદ્ધિને વફાદાર રહીને લેવાનો રહેશે. 

અદાલતની બહાર લોકોનાં ટોળાં

સાંજે ૪:૪૦ વાગ્યે જ્યુરીના માનવંતા સભ્યો ચર્ચા વિચારણા કરવા માટે તેમના અલગ ખંડમાં ગયા હતા. સાધારણ રીતે જ્યુરીના સભ્યોને નિર્ણય પર આવતાં પોણો કે એક કલાક લાગે, પણ આ કેસમાં તેમને પૂરી ૧૩૫ મિનિટ લાગી. જજ મહેતાએ જાહેર કર્યું કે ભલે ગમે તેટલા વાગે, ચુકાદો આજે જ જાહેર કરવામાં આવશે. એટલે એ દરમ્યાન કોર્ટના કમ્પાઉન્ડમાં અને બહારના રસ્તાઓ પર લોખંડી ટોપા પહેરેલી ‘રાયટ પોલિસ’ના સિપાઈઓ ખડે પગે ઊભા રહી ગયા હતા. સશસ્ત્ર પોલિસની કેટલીક ટુકડીઓને નજીકના એક મકાનમાં રાખવામાં આવી હતી, પણ તેને જાહેરમાં તહેનાત કરવામાં આવી નહોતી. કોર્ટના કમ્પાઉન્ડની બહાર લોકોનું ટોળું મોટું ને મોટું થતું જતું હતું. 

રૂસી કરંજિયા

નાણાવટી ખૂન કેસે લોકોનું જેટલું ધ્યાન દોર્યું તેટલું આ પહેલાં કે પછી બીજા કોઈ ખૂન કેસે દોર્યું નથી. આ કેસને જબરદસ્ત પબ્લિસિટી અપાવવામાં અંગ્રેજી સાપ્તાહિક Blitzનો ફાળો ઘણો મોટો. તેણે સતત કમાન્ડર નાણાવટીની તરફેણ કરતા ‘પુરાવા’ પ્રગટ કર્યા, અને મરનાર પ્રેમ આહુજાની વિરુદ્ધના ‘દસ્તાવેજ’ સતત છાપીને આ કેસ વિષે સનસનાટી ભર્યું લખ્યા કર્યું. એ વખતે મુંબઈમાં Blitz સાપ્તાહિકનો અને તેના તંત્રી રૂસી કરંજિયા(૧૯૧૨-૨૦૦૮)નો ડંકો વાગતો. 

૧૩૫ મિનિટ પછી જ્યુરીના માનવંતા સભ્યો કોર્ટ રૂમમાં ફરી દાખલ થયા. તેમને જોતાં વેંત કોર્ટ રૂમમાં હાજર રહેલા લોકોએ તાળીઓ પાડી. જજ મહેતાએ કોર્ટના માર્શલને તરત હુકમ કર્યો કે આ કેસ સાથે જેમને સીધી રીતે લાગતું વળગતું ન હોય તેવા બધાને કોર્ટ રૂમમાંથી દૂર કરવામાં આવે. એમ થયા પછી જ્યુરીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો : તેમણે આઠ વિરુદ્ધ એક મતે કમાન્ડર નાણાવટીને બંને કલમો હેઠળ નિર્દોષ જાહેર કર્યા. જ્યુરીએ કહ્યું કે ન તો કલમ ૩૦૨ હેઠળ ખૂનનો ગુનો પુરવાર થયો છે કે નથી તો કલમ ૩૦૪ હેઠળ ખૂન નહિ તેવા સદોષ મનુષ્યવધનો ગુનો પુરવાર થયો છે. એટલે કમાન્ડર નાણાવટીને બાઈજ્જત છોડી મૂકવામાં આવે એવી ભલામણ કરીએ છીએ.

જજ મહેતાએ તરત જ આ નિર્ણય ‘totally perverse’ હોવાનું જણાવીને ખટલો refrence માટે બોમ્બે હાઈ કોર્ટને મોકલવાની જાહેરાત કરી અને હાઈ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી કમાન્ડર નાણાવટીને નેવલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો. બચાવ પક્ષના વકીલ કાર્લ ખંડાલાવાલા જજ મહેતાનો નિર્ણય સાંભળીને ઊભા થયા અને કહ્યું કે હું આપ નામદારને કશુંક કહેવા માગું છું.

જજ મહેતા : મેં તમને સતત ચાર દિવસ સુધી સાંભળ્યા છે. હવે વધારે સાંભળવાની જરૂર મને લાગતી નથી. પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યું કે જ્યુરીના માનવંતા સભ્યોનો નિર્ણય કાયદાની નજરમાં એક ઘડી પણ ઊભો રહી શકે તેમ નથી. વધારામાં તેમણે એવી માગણી રજૂ કરી કે આરોપી નાણાવટીને નેવલ કસ્ટડીમાં નહિ, પણ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે. આ તબક્કે ખંડાલાવાલા અને ત્રિવેદી એક બીજા સાથે ઝગડી પડ્યા અને એક બીજા સાથે સીધી વાત કરવા લાગ્યા. ત્યારે જજ મહેતાએ બંનેને રોકીને ઠપકો આપ્યો. બંને વકીલોએ માફી માગતાં મામલો થાળે પડ્યો. પછી ખંડાલાવાલાએ જણાવ્યું કે અદાલતના ફેસલા પછી જે કાંઈ બન્યું તે માટે આરોપી કમાન્ડર નાણાવટી મુદ્દલ જવાબદાર નથી એટલે તેમને સજા રૂપે પોલીસ કસ્ટડીમાં મોકલવાની માગણી તદ્દન અયોગ્ય છે અને હું તેનો સખત શબ્દોમાં વિરોધ કરું છું.  

જજ મહેતાએ કહ્યું કે આરોપી કમાન્ડર નાણાવટીને નેવલ કસ્ટડીમાં મોકલવાના મારા નિર્ણય અંગે ફેરવિચારણા કરવાની મને જરૂર લાગતી નથી. છતાં જો આગળ ઉપર નેવલ કસ્ટડીનો દુરુપયોગ થાય છે એમ લાગે તો લાગતાવળગતા વકીલ નેવલ કસ્ટડી કેન્સલ કરવા માટે અરજી કરી શકે છે. 

છેવટે આરોપી કમાન્ડર નાણાવટીને ઉદ્દેશીને જજ મહેતા બોલ્યા : જ્યુરીના માનવંતા સભ્યોએ આઠ વિરુદ્ધ એક મતે તમે નિર્દોષ હોવાનો અભિપ્રાય આપ્યો છે. તેમને મતે કલમ ૩૦૨ અને કલમ ૩૦૪ હેઠળનો ગુનો તમે કર્યો નથી અને એટલે આ મામલામાં તમે નિર્દોષ છો. પણ જ્યુરીના માનવંતા સભ્યોના આ અભિપ્રાય સાથે હું સહમત થઈ શકતો નથી અને એટલે તમારો ખટલો બોમ્બે હાઈ કોર્ટને ‘રેફરન્સ’ માટે મોકલવાનું ઠરાવું છું. એ સાથે જ હું આ કેસ માટેની જ્યુરીને બરખાસ્ત કરું છું. 

જ્યુરીએ કમાન્ડર નાણાવટીને નિર્દોષ જાહેર કર્યા છે એ ખબર ફેલાતાં કોર્ટની બહાર ઊભેલા લોકોના ટોળામાંથી કેટલા ય આનંદથી નાચી ઊઠયા હતા. જાણે કોઈ મોટો ઉત્સવ હોય એવું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. પણ બે-પાંચ મિનિટ માટે જ. કારણ પછી થોડી જ વારમાં ખબર ફેલાઈ ગયા કે જજ સાહેબે જ્યુરીનો નિર્ણય સ્વીકાર્યો નથી અને કેસ બોમ્બે હાઈ કોર્ટને મોકલી આપ્યો છે. ટોળાના એક મોટા ભાગે જજના નામની ‘હાય, હાય’ પોકારી. કેટલાકે વળી ‘મારો મારો’ ની બૂમો પાડી હતી. આ બધું જોઈને પોલીસ સતેજ થઈ ગઈ. રિઝર્વમાં રાખેલ હથિયાર બંધ પોલીસને રસ્તાઓ પર તહેનાત કરવામાં આવ્યા. નેવલ હેડ ક્વાર્ટર્સમાંથી ઇન્ડિયન નેવીની ચાર સફેદ મોટર સાઈકલ નેવલ પોલીસના જવાનો સાથે આવી પહોચી. કોર્ટના કંપાઉન્ડમાં ઊભેલી નેવીની સફેદ મોટરની આગળ બે અને પાછળ બે મોટર સાઈકલ ગોઠવાઈ ગઈ. કમાન્ડર નાણાવટી ઊતરીને સીધા મોટરમાં બેઠા અને તેમનો કાફલો આઈ.એન.એસ. કુન્જાલીમાં આવેલી નેવીની કસ્ટડી તરફ ઝડપભેર રવાના થયો.

તો બીજી બાજુ પોલીસના અધિકારીઓ જજ મહેતાને મળવા ગયા અને સલાહ આપી કે તેમણે અત્યારે ઘરે જવા ન નીકળવું, પણ મોડેથી લોકો વિખરાઈ જાય પછી નીકળવું. જજ મહેતાએ આ સલાહ માની એટલે પોલીસે બીજી સલાહ એ આપી કે આજે તમારી મોટરમાં ઘરે ન જવું, પણ અમે મોકલીએ તે બીજી મોટરમાં જવું. એ મોટરમાં સાદા કપડામાં પોલીસના માણસો હશે. જજ મહેતાએ આ સૂચન પણ સ્વીકારી લીધું. 

છાપાંની હેડ લાઈન્સ 

બીજે દિવસે સવારે બધાં છાપાંમાં જ્યુરીના અને જજના પરસ્પર વિરોધી નિર્ણયના ખબર પહેલે પાને આઠ કોલમના હેડિંગ સાથે છપાયા. તો બીજી બાજુ વહેલામાં વહેલી તકે બોમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી કરવાની તૈયારી શરૂ થઈ.

બોમ્બે હાઈ કોર્ટમાં જે કાંઈ બન્યું તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે|; 30 ઓગસ્ટ 2025 

Loading

બંધારણસભામાં ડૉ. આંબેડકરનું છેલ્લું વક્તવ્ય

રમેશ ઓઝા|Opinion - Opinion|31 August 2025

રમેશ ઓઝા

૨૫મી નવેમ્બર ૧૯૪૯ના રોજ, બંધારણસભાની બેઠકોના છેલ્લા દિવસે, બંધારણ ઘડવા માટેની મુસદ્દા સમિતિના વડા ડૉ. આંબેડકરે તેમનું છેલ્લું વક્તવ્ય આપ્યું હતું. તેમનું એ વક્તવ્ય તેમણે ૧૭મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ બંધારણ સભામાં બંધારણના ઉદ્દેશના ઠરાવ (ઓબ્જેક્ટીવ રિઝોલ્યુશન) પર આપેલા વક્તવ્ય જેટલું જ અપ્રતિમ હતું. તેમનું ૧૯૪૬ની સાલનું વક્તવ્ય સાંભળીને બંધારણસભાના સભ્યો દંગ રહી ગયા હતા અને તેમને બંધારણ ઘડવાના મુસદ્દા સમિતિના વડા બનાવ્યા હતા. દેશના વ્યાપક હિતમાં રાષ્ટ્રીય સર્વસંમતિ વિકસાવવા કોઈ માણસ કેટલી હદે આગ્રહો છોડીને નીચે ઉતરી શકે એનું એ ઉદાહરણ હતું. ડૉ. આંબેડકર બોલતા હતા ત્યારે કેટલાક સભ્યોને લાગતું હતું કે સાક્ષાત જવાહરલાલ નેહરુ બોલી રહ્યા છે. જવાહરલાલ નેહરુએ જ ઓબ્જેક્ટીવ રિઝોલ્યુશન બંધારણસભામાં ૧૩મી ડિસેમ્બરે રજૂ કર્યું હતું અને તેના પર ચર્ચા ચાલી હતી. 

બંધારણ ઘડાયું, તેને બંધારણ સભાની સામાન્ય સભાએ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ અપવાદ વિના સર્વાનુમતે મંજૂર રાખ્યું અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ તેને લાગુ કરવામાં આવ્યું. ભારત તેના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાસત્તાક બન્યું. પ્રજાસત્તાક એટલે પ્રજાનું રાજ્ય. 

પણ જે લોકોએ સક્રિય યોગદાન આપીને બંધારણ ઘડ્યું હતું એ લોકોને ત્યારે જ ખબર હતી કે ભારતનાં બંધારણ પર અને લોકતંત્ર પર જોખમ આવી શકે છે. નાનામોટા મતભેદો ભૂલીને જે એકવાક્યતા બંધારણસભાની અંદર જોવા મળી એ એના એ જ સ્વરૂપમાં બહાર નથી. બહાર ત્રણ પરિબળો કે જૂથો એવાં છે જેમને આપણે કલ્પેલો ભારત દેશ સ્વીકાર્ય નથી અને તેમની ભારત વિશેની કલ્પના અલગ છે. એ ત્રણ જૂથો કે પરિબળોમાં પહેલું પરિબળ સામ્યવાદીઓનું. બીજું પરિબળ હિન્દુત્વવાદીઓનું અને ત્રીજું પરિબળ સામંતી સમાજવ્યવસ્થા જળવાઈ રહે તેમાં પોતાનું હિત જોનારા રાજવીઓ, જમીનદારો અને પુરોહિતોનું. આમાંથી ત્રીજું પરિબળ સંગઠિત નહોતું, પણ પ્રભાવશાળી જરૂર હતું. દેખીતી રીતે તેમને સામ્યવાદીઓ ન પરવડે એટલે તેઓ હિન્દુત્વવાદીઓને અને કાઁગ્રેસમાંના રૂઢિચુસ્તોને મદદ કરતા હતા. એ સમયે હિન્દુત્વવાદીઓ ખાસ રાજકીય તાકાત નહોતા ધરાવતા એટલે તેઓ જમણેરી રૂઢિચુસ્ત કાઁગ્રેસીઓને અને તેમણે રચેલા સ્વતંત્ર પક્ષને મદદ કરતા હતા. 

ભીમરાવ આમ્બેડકર

ખેર, આપણે વાત કરી રહ્યા છે આશંકાની. ભારતનું બંધારણ અને લોકતંત્ર યાવત્ચન્દ્ર દિવાકરૌ સુરક્ષિત રહેશે તેની ખાતરી નહોતી. માટે ૨૫મી નવેમ્બર ૧૯૪૯ના રોજ સારસંક્ષેપી ભાષણમાં ડૉ. આંબેડકરે કહ્યું હતું: “અત્યારે મારા મનમાં બે સવાલ ઘોળાઈ રહ્યા છે. શું ભારત તેની આઝાદી જાળવી શકશે? કારણ કે ભારતને પરાજિત કરનારા કે કરાવનારા ભારતીયો જ હતા. બીજો સવાલ એ કે શું ભારત લોકશાહી જાળવી શકશે?” અને પછી કહે છે કે “આ દેશમાં અનેક વિચારો, માન્યતાઓ અને આગ્રહો (તેમણે અંગ્રેજીમાં creed શબ્દ વાપર્યો છે.) એવાં છે જેને તેઓ દેશ કરતાં ઉપરવટ સમજે છે. તેઓ વ્યાપક દેશહિતની વિરુદ્ધ જઈને પણ પોતાની કલ્પનાનો દેશ સાકાર કરવા માગે છે. … તો શું ભારત લોકતંત્ર ગુમાવશે? મને ખબર નથી, પણ એવું બની શકે છે. એવું પણ બને કે દેખવા પૂરતું લોકતંત્રનું માળખું જળવાઇ રહે, પણ વાસ્તવમાં સરમુખત્યારશાહી હોય.” પણ એવું ક્યારે બને? આ માણસની મૌલિકતા જુઓ. “If there is a landslide, the danger of the second possibility becoming actuality is much greater.” જ્યારે ચોક્કસ વિચારધારાનો જુવાળ પેદા થાય (તેમણે landslide શબ્દ વાપર્યો છે.) ત્યારે. અત્યારે હિન્દુત્વની landslideનો અનુભવ થઈ રહ્યો છે. 

ડૉ. આબેડકર તો દલિત હતા એટલે લોકશાહી જળવાઈ રહે એમાં દલિતો અને વંચિતોનું તેમણે હિત જોયું હતું. લોકશાહી એટલે પ્રજાનો અવાજ. લોકશાહી એટલે પ્રજાની સ્વતંત્રતા. લોકશાહી એટલે પ્રજાની સત્તા અને લોકશાહી એટલે કાયદાનું રાજ. પ્રજા પ્રત્યે અને કાયદા પ્રત્યે જવાબદારી ધરાવતું રાજ. સવર્ણો સમાજની સીડી પર ઉપરનું સ્થાન ધરાવે છે એટલે તેઓ વર્ચસ ભોગવે છે, ચડિયાતાપણાની સ્વતંત્રતા ભોગવે છે એટલે તેમને લોકશાહીની જરૂર નથી એમ જો તમે માનતા હો તો તમે ભૂલ કરો છો. કનૈયાલાલ મુનશી પણ આવો જ અભિપ્રાય ધરાવતા હતા. તેઓ બ્રાહ્મણ હતા અને હિંદુ હોવા માટે ગર્વ ધરાવતા હતા. તેઓ પણ ડૉ. આંબેડકરની સાથે બંધારણ ઘડનારી મુસદ્દા સમિતિના સભ્ય હતા અને બંધારણ ઘડવામાં તેમનો પણ મોટો ફાળો હતો. તેમણે સુદ્ધાં અનેકવાર કહ્યું છે કે કાયદાના રાજમાં માત્ર માત્ર દલિતો, વંચિતો, લઘુમતી કોમોનોને જ સુરક્ષા નથી મળતી, બહુમતી પ્રજાને પણ તેમાં ફાયદો છે. વર્ચસ ધરવાનારાઓના કાયદામાં અને  દેશના કાયદામાં ફરક છે. વર્ચસ ધરાવનારાઓના રાજમાં અને કાયદાના રાજમાં ફરક છે. કઈ રીતે એ હું સમજાવું. વર્ચસ ધરાવનારાઓ સાપેક્ષ છે. તેઓ બદલાતા રહે છે, તેમનો સ્વાર્થ બદલાય છે, પોતાની વગ કાયમ માટે ટકી રહે એ માટે તેઓ ટોળકી રચશે અને સત્તા પર કબજો કરશે. આ બાજુ બંધારણ આધારિત કાયદાનું રાજ સમૂહનિરપેક્ષ હોય છે. 

કનૈયાલાલ મુનશી

કનૈયાલાલ મુનશીને પણ ભારતમાં લોકશાહી ટકશે કે નહીં એ વિચે ચિંતા થતી હતી. ડૉ. આંબેડકરની માફક તેમને પણ ખબર હતી કે દેશમાં કેટલાક પરિબળ એવાં છે જેમના વિચાર, માન્યતા અને આગ્રહો રાષ્ટ્રહિત કરતાં પણ આત્યંતિક છે. દેશનું થવું હોય તે થાય, પણ દેશ તો આવો જ હોવો જોઈએ. 

તેઓ કોનાથી ભયભીત હતા? ૧૯૪૯ની સાલમાં કનૈયાલાલ મુનશીને ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના તંત્રી દેવદાસ ગાંધીએ આઝાદ ભારતના ભવિષ્ય અને પડકારો વિષે લખવા કહ્યું હતું. તેમના લેખનું શીર્ષક હતું : ‘ધ આર.એસ.એસ. એન્ડ ધ કોમ્યુનિસ્ટ’ તેમાં તેઓ લખે છે કે ગાંધીજીએ વિકસાવેલો મધ્યમમાર્ગ અને નેહરુ-સરદારના અભિગમની પરસ્પર પુરકતા જો જળવાઈ રહે તો જ દેશનું ભવિષ્ય સુરક્ષિત છે. જો એ સુર્વણ-મધ્ય સર્વસમાવેશકતા અને અભિગમની પરસ્પર પુરકતા ગુમાવી દીધી તો સામ્યવાદીઓ અથવા હિન્દુત્વવાદીઓ હાવી થઈ જશે અને એ લોકોની કલ્પનાનું ભારત જૂદું છે. કનૈયાલાલ મુનશી લખે છે : “If the C.P.I. wins, India will be in chaos; if the R.S.S. wins India may lapse into a strong Fascist State.” 

ડૉ. આંબેડકર અને કનૈયાલાલ મુનશીને જે વાતનો ડર હતો એ આજે સાચી પડી રહી છે. એક દલિત અને બીજા હિંદુ બ્રાહ્મણ. એક સદીઓથી વંચિત અને એક સદીઓથી વર્ચસ્વી. એકની કોમનો હાથ નીચે હતો, બીજાની કોમનો હાથ ઉપર હતો. પણ એ બન્નેને લાગતું હતું કે લોકતંત્ર પર આગ્રહી વિચારધારા ધરાવનારાઓ તરફથી ખતરો છે અને લોકતંત્ર જળવાઈ રહે એમાં દરેકનો સ્વાર્થ છે. ડૉ. આંબેડકર જે સમાજમાંથી આવતા હતા તેનો પણ અને મુનશી જે સમાજમાંથી આવતા હતા તેનો પણ. 

ડૉ આંબેડકરે કહ્યું ભાખ્યું હતું એમ અત્યારે દેશમાં લોકતંત્રનું ખોખું બચ્યું છે અને વાસ્તવમાં સરમુખત્યારશાહી છે. ચૂંટણીપંચ ભારત સરકારનું ચૂંટણીપંચ બની ગયું છે. એકવાર ટી.એન. શેષને કહ્યું હતું કે આય એમ અ ચીફ ઈલેકશન કમિશનર ઓફ ઇન્ડિયા નોટ ઓફ ઇન્ડિયન ગવર્નમેન્ટ. લોકોની નાગરિકતા સાથે અને મતના અધિકાર સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. લોકોને મત આપવાથી વંચિત રાખવામાં આવે છે અને ભૂતિયા મતદાતાઓને નામે મતદાન થાય છે. વડી અદાલતના અને  સુપ્રીમ કોર્ટના કેટલાક જજ બીકાઉ અને પક્ષપાતી છે. મીડિયાની વાત જ કરવા જેવું નથી. કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું એમ આની સૌથી મોટી કિંમત બહુમતી હિંદુઓને ચૂકવવાની આવશે, કારણ કે તેઓ બહુમતીમાં છે અને કાયદાના રાજમાં તેમનો વધારે મોટો સ્વાર્થ છે. 

જો તમને આવું ન લાગતું હોય તો લખી રાખજો તમે એક બેજવાબદાર અને નિંભર નાગરિક છો. મુસલમાનનું અહિત કરવા માટે તમે તમારા સંતાનનું અહિત કરી રહ્યા છો. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 ઑગસ્ટ 2025

Loading

‘મારો દુર્વ્યવહાર એ જ મારો સંદેશ છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|30 August 2025

એક રેલીમાં, એક અજાણી વ્યક્તિએ વડા પ્રધાનને અપશબ્દ કહ્યા. તેથી વડા પ્રધાનનું આખું તંત્ર અશાંત છે. રાહુલ ગાંધી પાસે માફી માંગવાની માંગ છે. 

પરંતુ સત્ય એ છે કે મોદી પોતે વાવેલા ફસલને લણી રહ્યા છે. ઇતિહાસ નરેન્દ્ર મોદીને એવા નેતા તરીકે યાદ કરશે જેમણે મુખ્ય પ્રવાહમાં અપશબ્દો અને અસભ્યતા સ્થાપિત કરી. 

ગુજરાતમાં સત્તામાં આવ્યા ત્યારથી તેમના મોંમાંથી અપશબ્દોનો પ્રવાહ વહેતો રહ્યો છે. તેમનો માર્ગ વિપક્ષનું અપમાન કરવાનો અને તેમના પર બિનસંસદીય શબ્દોનો વરસાદ કરવાનો રહ્યો છે.

2002ના રમખાણો પછી તરત જ, ગુજરાત ગૌરવ યાત્રામાં, તેમણે સતત એક સમુદાય પ્રત્યે અસંવેદનશીલતા અને તિરસ્કાર દર્શાવ્યો. તેમણે મુસ્લિમોથી ભરેલી રાહત શિબિરોને બાળકો ઉત્પન્ન કરતી ફેક્ટરીઓ ગણાવી !  અને મહેસાણામાં, તેમણે ‘હમ પાંચ હમારે પચ્ચીસ’ કહીને તેમની મજાક ઉડાવી. આ રમખાણો પીડિતો સામે થયેલા ગુનાઓને સીધું પ્રોત્સાહન હતું. ત્યારથી આજ સુધી તેઓ કપડાં, ઘુસણખોર, કબ્રસ્તાન અને સ્મશાનગૃહ દ્વારા ઓળખ જેવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

તેમને સ્ત્રીઓ પર ખાસ કૃપા છે. ૫૦ કરોડની કિંમતની ગર્લફ્રેન્ડ, જર્સી ગાય, કાઁગ્રેસની વિધવા, દીદી ઓ દીદી એ ઇતિહાસમાં તેમના અવિસ્મરણીય શબ્દસમૂહો છે.

વ્યક્તિગત ટોણા તેમની શૈલી છે. નેહરુ અને સોનિયા તેમના પ્રિય વિષયો છે. તેમણે રાહુલ ગાંધી પર અપશબ્દોને સમગ્ર ભારતમાં કુટીર ઉદ્યોગ બનાવી દીધો છે.

પરંતુ વિપક્ષની સાથે, તેમણે બંધારણીય સંસ્થાઓને પણ બક્ષ્યા નહીં. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જે.એમ. લિંગદોહ પર વ્યક્તિગત રીતે ટોણા મારતા રહ્યા, એટલા માટે તો અટલ બિહારીએ તેમને ચૂપ કરવા પડ્યા.

જો રાજા બગીચામાંથી ફૂલ તોડે છે, તો સેના તેને મૂળમાંથી ઉખેડી નાખે છે. આ સેના તેમનો આઈ.ટી. સેલ, એન્કર અને પ્રવક્તા છે.

મોદીએ તેમના નાસમજ, મૂર્ખ અને જાતીય રીતે હતાશ મતદારોને બેશરમ, અભદ્ર રાજકીય સેનામાં પરિવર્તિત કરી દીધાં. 

તેમના સમર્થકો સોશિયલ મીડિયાથી લઈને ચોક-રસ્તા-બગીચાઓ અને તેમના ઘરની ચાર દીવાલોની અંદર મુક્તપણે ખરાબ ભાષાનો ઉપયોગ કરતા હતા.

મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે, દરરોજ સાંજે ટી.વી. પર એક સર્કસ શરૂ થતું હતું. એન્કર ઉશ્કેરણીજનક મુદ્દાઓ પસંદ કરતા હતા અને ઉશ્કેરણીજનક ભાષામાં બોલતા હતા. તેઓ એક પક્ષને ખુલ્લેઆમ દુરુપયોગ કરવા અને જૂઠું બોલવાની છૂટ આપતા હતા. 2019 સુધીમાં, ટી.વી. ખુલ્લામાં અપશબ્દો બોલવાનું અને અપશબ્દો બોલવાનું તાલીમ કેન્દ્ર બની ગયું હતું.

હવે, ફક્ત તે નેતાઓ અને પ્રવક્તાઓ જ પ્રમોટ થાય છે જે જૂઠું બોલે છે અને અપશબ્દો બોલે છે. કોઈ પણ ઉચ્ચ કક્ષાની વ્યક્તિ તેમની સામે ટકી શકતી નથી. તેથી, હવે, શાસક પક્ષ હોય કે વિપક્ષ, દરેક વ્યક્તિ અપશબ્દો બોલવાની સંસ્કૃતિમાં સંપૂર્ણ રીતે તાલીમ પામેલા છે.

મોદીની જાહેર સંદેશાવ્યવહાર પ્રણાલી મૂળભૂત રીતે અપશબ્દો બોલવાની પ્રણાલી છે. અસંસ્કારી અને બેશરમ ભાષાએ દરેક ખૂણામાં ઝેર ફેલાવી દીધું છે.

સામાન્ય કાર્યસ્થળમાં, મીટિંગ્સ, દ્વિપક્ષીય વાર્તાલાપ, શૈક્ષણિક ક્ષેત્રો અથવા સામાન્ય મંચોમાં, અપશબ્દો બોલવા હવે અનિચ્છનીય નથી, પરંતુ સામાન્ય છે.

એક સરળ ચર્ચામાં, અવજ્ઞા, જૂઠું બોલવું અને વરિષ્ઠ વ્યક્તિનું વ્યક્તિગત અપમાન હવે હાથવગાં શસ્ત્રો છે. ચર્ચામાંથી કોઈ નિષ્કર્ષ કાઢવો મુશ્કેલ છે.

સૌથી ખતરનાક બાબત એ છે કે આ આદતે યુવાનોને બેરોજગાર બનાવી દીધા છે. આ પેઢી હવે નોકરી મેળવવા અને ઉપયોગી કામ આપવા માટે યોગ્ય નથી.

મોદીએ ભારતની ભાષા બદલી નાખી છે. તેમના રાજકીય જીવનની સાંજે, તેમની પાસે આ વારસાને બદલવા માટે સમય બચ્યો નથી. બીજી કોઈ ઊંડી, ક્રાંતિકારી સિદ્ધિની ગેરહાજરીમાં, આ શબ્દકોશ તેમનું યોગદાન છે.

મહાત્મા ગાંધીનું પ્રખ્યાત વાક્ય છે – મારું જીવન મારો સંદેશ છે.

દુરુપયોગની સંસ્કૃતિ મોદીનો સંદેશ છે. સંદેશ હવે તેમની પાસે પાછો ફરી રહ્યો છે. આ દેશમાં દુરુપયોગની સુનામી બનાવનાર નેતા હવે પોતે દુરુપયોગની સુનામીમાં ડૂબી રહ્યા છે.

તો ફરિયાદ કેમ કરવી જોઈએ? તમારે ન કરવી જોઈએ. આ પાક તેમણે વાવ્યો છે. તે તેમનો ઇતિહાસ છે, તે તેમનો વારસો છે.

‘મારો દુર્વ્યવહાર એ જ મારો સંદેશ છે !’ 

[સૌજન્ય : મનીષસિંહ, ‘X’ ઉપર, 
કાર્ટૂન સૌજન્ય : કીર્તીશ ભટ્ટ]
29 ઓગસ્ટ 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...1020...25262728...405060...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved