Opinion Magazine
Number of visits: 9736634
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

દીપક મહેતા|Opinion - Literature|16 February 2026

“હું તો સોળમા વરસથી ઘેરથી નીકળી ‘રાની પંખીડું’ થઈ ઊડી નીકળ્યો છું.” આ શબ્દો વાંચવા મળે છે ૧૯૩૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે લખાયેલા એક કાગળમાં. એ કાગળ લખાયો હતો ‘ઘણું વ્હાલા મેઘાણીભાઈ’ને. લખનાર: ‘તમારો જ જીતુ.’ આ ‘જીતુ’ એટલે જિતુભાઈ પ્રભાશંકર મહેતા. જન્મ ભાવનગરમાં, ૧૯૦૪ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે. ઉપનામ, ‘ચંડુલ.’ કહેવાય છે કે આ ચંડુલ પક્ષી જુદાં જુદાં ચોવીસ પક્ષીઓના અવાજ કાઢી શકે છે. અને છતાં એ પોતાનો અવાજ ક્યારે ય ભૂલતું નથી. પક્ષીજગતના જાણીતા અભ્યાસીઓ હસન ઉસ્તાદ, કંચનરાય દેસાઈ અને તેમના પુત્ર પ્રદ્યુમ્ન દેસાઈ સાથે રખડી રખડીને જિતુભાઈએ પંખીઓ વિષે જાત માહિતી એકઠી કરી. એ માટે ગીરનાં જંગલોમાં ફર્યા, નેપાળની સરહદ સુધીની સફર પગપાળા કરી. એટલે જાણે પોતાનાં કુટુંબીજન હોય તેટલી આત્મીયતાથી પંખીઓને અને તેમની બોલીને ઓળખે. પંખીઓનાં સ્વર-ગાન, ખાસિયતો, રહેણીકરણી, લાંબા અંતરની મુસાફરીઓ વગેરે વિષે જાતમાહિતી સાથે બોલી અને લખી શકે. ૮૩ વરસની જિંદગીમાં ઘણું જોયેલું-જાણેલું, માણેલું-વેઠેલું, પણ એ અંગે મનમાં નહિ ભાર કે નહિ કોઈ ઉપર ખાર. અલગારી જીવ. લખવા કરતાં વાંચવું વધારે ગમે અને વાંચવા કરતાં વાતોના તડાકા મારવાનું વધુ ગમે. એમની વાતો એટલે ઝરણું કે ધોધ નહિ, પણ અનેક ધારવાળો ઊછળતો-કૂદતો ફુવારો, અને તે ય પાછો રંગબેરંગી રોશનીથી ઝળહળ થતો. વાતોમાં બીજાને તો ભીંજવે જ, પણ પોતે ય ભીંજાય. તેમના વ્યક્તિત્વની ખરી ઓળખાણ આપવા માટે અંગ્રેજીના conversationalist શબ્દ કરતાં વધુ સારો શબ્દ મળવો મુશ્કેલ.

ખાધેપીધે સુખી કુટુંબ, એટલે બાળપણ મોજમાં વીત્યું. કવિ કાન્તની પડોશમાં જ પ્રભાશંકરભાઈનું કુટુંબ રહે, એટલે કાન્તને ત્યાં આવતા જતા કવિઓ, લેખકો, પત્રકારો વગેરેનાં નામ-કામ સાથે બાળપણથી જ જિતુભાઈને પરિચય. ૧૯૮૭ના ઓક્ટોબરની બીજી તારીખે મુંબઈમાં અવસાન થયું તે પહેલાં થોડા વખતે આ લખનારને આપેલી મુલાકાતમાં જિતુભાઈએ કહ્યું હતું કે હું જ્યાં રહેતો એ ભાદેવાણની શેરીમાં એ વખતે ઘરની બહાર તો લગભગ બારે માસ કીચડ રહેતો, પણ અમારે ઘરે જે લોકો આવતા તેમનાં દિલમાં તો કાયમ કલાનાં ગુલાબો ખીલેલાં રહેતાં. અલબત્ત, કવિ કાન્ત અને જિતુભાઈની ઉંમર વચ્ચે લગભગ પાંત્રીસ વરસનો તફાવત. પણ કાન્ત સાથેના ઘરોબાને કારણે જિતુભાઈને શબ્દનો સંગ અને રંગ લાગ્યો. ‘શરદપૂનમની રઢિયાળી સદા, મને સાંભરે આપણી રાત સખી,’ એ કવ્વાલી લખ્યા પછી કવિ કાન્તે પહેલવહેલી જિતુભાઈને સંભળાવેલી, અને એ જ વખતે જિતુભાઈએ તેની બંદિશ બનાવીને ગાઈ બતાવેલી. કવિ કાન્તના જીવન અને સર્જનના ઊંડા અને મર્મજ્ઞ અભ્યાસી રામનારાયણ પાઠકે ‘પ્રસ્થાન’ માટે ખાસ જિતુભાઈ પાસે લેખ લખાવેલો. જિતુભાઈનું એ પહેલું પ્રગટ થયેલું સાહિત્યિક લખાણ. 

કવિતાના સંસ્કારની જેમ સંગીતના સંસ્કાર પણ બાળપણથી જ મળ્યા. દલસુખરામ ભોજક અને મગનલાલ કાછિયા જેવા સંગીતના જાણકારો પાસેથી શાસ્ત્રીય સંગીતની જાણકારી અને તાલીમ મળી. મસ્ત કવિ ત્રિભુવન પ્રેમશંકરની એક પંક્તિમાંથી જીવનને જાણવા-પ્રમાણવાની દૃષ્ટિ મળી : ‘બળાપે અંગારો, આ તો સૃષ્ટિની શોભા રે!’ અંગારો બળતો ન હોય તો તો એ કોલસો છે. બળતો અંગારો એ જ વિદ્યા, એ જ કલા, એ જ ગતિ, અને એ જ સાચો અભિગમ.

આ પંક્તિ સાંભળતી વખતે જિતુભાઈને ખ્યાલ પણ નહોતો કે ટૂંક સમયમાં એમને પોતાને ભાગે અંગારાની જેમ બળવાનું આવવાનું છે. એક જ વરસમાં પિતા અને મોટા ભાઈનું અવસાન થયું. પૈસેટકે કુટુંબ પાયમાલ. મેટ્રિક પછીનો અભ્યાસ છોડીને સત્તર વરસની ઉંમરે નીરાવેલી શુગર ફેક્ટરીમાં નોકરીએ લાગી જવું પડ્યું. ત્યાં પહેલું કામ કર્યું તે કોટન વેસ્ટ ઘાસલેટમાં બોળીને મશીનો સાફ કરવાનું. પણ તેનો ય વસવસો નહિ. કહેતા : “મારા હાથ જે મેલા થયા તે મને કામ લાગ્યા. મગજમાં કોઈ જાતની રાઈ રહી જ નહિ! એ રીતે મારો વાસ્તવિકતા સાથે ઘરોબો બંધાયો.” વળી એ નોકરીને કારણે મજૂરો અને મજૂરનોનાં જીવન, તેમના પર થતા જુલમ અને અત્યાચાર, એમની વ્યથા અને વિટંબણાઓ, એ બધાંનો એમને પરિચય થયો. પછીથી તેમનાં લખાણોમાં શ્રમજીવીઓનાં જીવનનું ચિત્રણ અને તેમના માટેની હમદર્દી પ્રગટ્યાં તેનાં મૂળ એ જાત-અનુભવમાં. એટલે કેટલાક વખત માટે તેઓ ‘પ્રગતિવાદી’ (વાંચો સામ્યવાદી) લેખકોની મંડળીમાં પણ ભળેલા. 

કેટલાંક વરસ શુગર ફેક્ટરીમાં નોકરી કર્યા પછી મુંબઈ આવી થોડો વખત ‘મૂવિંગ પિક્ચર’ નામના સામયિકમાં કામ કર્યા પછી રણછોડદાસ લોટવાળાના ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’ અખબારમાં પત્રકાર તરીકે જોડાયા. લોટવાળાની લાઈબ્રેરી ખૂબ સમૃદ્ધ. કોલેજનો અભ્યાસ કરવાની મુરાદ અધૂરી રહી ગયેલી એનો ખંગ વાળવા જિતુભાઈના જ શબ્દોમાં કહીએ તો ‘એ લાઈબ્રેરી આખેઆખી હું પી ગયો.’ પછી શામળદાસ ગાંધીના વંદેમાતરમ્, અમૃતલાલ શેઠના જન્મભૂમિ, વજુ કોટકના ‘ચિત્રલેખા’ જેવાં દૈનિક-સાપ્તાહિક સાથે સંકળાયા. કેટલાક વખત સુધી દર અઠવાડિયે ‘જી’ સાપ્તાહિકનો આખેઆખો અંક જિતુભાઈ એકલે હાથે લખતા, અલબત્ત, જુદાં જુદાં નામે. ‘મુંબઈ સમાચાર’ અને ‘સંદેશ’ દૈનિકોમાં વરસો સુધી કટારો લખી.  મૂંગી ફિલ્મોના જમાનામાં સાગર મૂવીટોન માટે મીઠી છૂરી’ (૧૯૩૧) ફિલ્મની, તો રણજિત મૂવીટોન માટે ‘ચાર ચક્રમ’(૧૯૩૨)ની પટકથા લખી. ઉપરાંત ‘ભૂતિયો મહેલ’ અને ‘પરદેશી પ્રીતમ’ જેવી ફિલ્મો માટે પણ પટકથા તૈયાર કરી. 

જિતુભાઈએ અખબારો અને સામયિકો માટે લખ્યું, નાટક અને ફિલ્મ માટે અને વિષે લખ્યું, ગરબા અને ગીત લખ્યાં, સામાજિક નવલકથાઓ અને રહસ્યકથાઓ લખી, ટૂંકી વાર્તા અને નિબંધ લખ્યા. પણ અલગારી જીવ. પોતાની ધૂનમાં મસ્ત. કાયમ ‘આજ’માં જીવ્યા. ગઈ કાલને ભૂલી જવાની, આવતી કાલની ફિકર કરે એ બીજા. એટલે જેટલું લખ્યું એમાંથી ઘણું ઓછું ગ્રંથસ્થ કર્યું. સાહિત્ય વિશેની અને રાજકારણ વિશેની કોલમો લખી, પણ સાહિત્યના રાજકારણથી કાયમ ઉફરા રહ્યા.

શાસ્ત્રીય સંગીત, નાટ્ય સંગીત, ફિલ્મ સંગીત, લોક સંગીત, સુગમ સંગીત માટે લગાવ સાચકલો, અને જાણકારી ઊંડી. મુંબઈમાં વરસો સુધી નવરાત્રી ટાણે ભગિની સમાજ નામની સંસ્થા ગરબાના જાહેર સ્ટેજ પ્રયોગ કરે તેમાં વર્ષો સુધી પહેલો ગરબો જિતુભાઈનો લખેલો જ હોય, નવો નક્કોર. સુગમ સંગીતના સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયે રચેલી પહેલવહેલી બંદિશ જિતુભાઈના ગીતની : ‘ઓલ્યા માંડવાની જુઈ.’ રાસબિહારી દેસાઈ, પિનાકિન મહેતા, અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સહિયારા સ્વરોમાં આ ગીતની ગ્રામોફોન રેકર્ડ ૧૯૬૨માં બહાર પડી ત્યારથી આ ગીત સુગમ સંગીતના અનેક ગાયકો અને ચાહકો માટે એટલું જ ‘પોતીકું’ બની રહ્યું છે. તો બીજી બાજુ ચંદ્રવદન મહેતાના નાટક ‘આગગાડી’માં જિતુભાઈએ અભિનય પણ કરેલો.

જિતુભાઈનું પહેલું પુસ્તક ૧૯૪૫માં પ્રગટ થયું, ‘આપની સેવામાં.’ ‘વંદેમાતરમ્’ દૈનિકના સાહિત્યના પાના પર પ્રગટ થયેલા લેખોનો એ સંગ્રહ. એની પ્રસ્તાવનામાં જિતુભાઈ લખે છે : “અખબારનાં પાનાંમાં ઘણું ઘણું પ્રસિદ્ધ થાય છે. જનતાની પાસે એ સાહિત્ય જાય છે એટલે એનામાં જનતાને આકર્ષવાની શક્તિ હોવી જ જોઈએ. પુસ્તક કરતાં અખબારો વાંચનારો વર્ગ બહોળો છે. અખબારમાં લેખો લખનારો એના વાચકથી અતડો ન જ રહી શકે. એની અંદર કલમ પાથરનારને બગીચાની જેમ ખીલવું પડે છે.” જિતુભાઈએ વરસો સુધી અખબારો માટે ઢગલાબંધ લખ્યું, પણ એક આ ‘આપની સેવામાં’ પુસ્તકને બાદ કરતાં તેમાંનું કશું જ ગ્રંથસ્થ કર્યું નહિ. આ અંગે પૂછતાં તેમણે કહેલું : ‘એમાં વાંક મારો જ છે. મેં એ લખાણો સાચવ્યાં નહિ.’ 

વીજળીનાં અંધારાં (૧૯૫૪), સાપના લિસોટા (૧૯૫૫), ગુલાબી ડંખ (૧૯૫૬), જેવી રહસ્યકથાઓ પણ જિતુભાઈએ લખી છે. પણ ‘રહસ્યકથા’ એટલે કેવળ કથારસ, એવા ભ્રમમાં તેઓ નહોતા. વીજળીનાં અંધારાંની પ્રસ્તાવનામાં લખે છે : “રહસ્યકથાને પણ ભાષા અને શૈલીની ખાસ જરૂર પડે છે – સાહિત્યને રુચે તેવી ભાષા અને તેવી શૈલી. લેખક એના કલમસ્પર્શને આવી વાર્તામાં ય આઘો રહેવા ન દે. જિતુભાઈની કેટલીક ટૂંકી વાર્તા ‘ખરતા તારા (૧૯૬૦) અને સનકારો (૧૯૬૫) એ બે સંગ્રહોમાં સચવાઈ છે. જિતુભાઈ માને છે કે વાર્તામાં પ્રથમ ધબકાર જોઈએ, અને જિતુભાઈની ઘણી વાર્તાઓમાં આવો ધબકાર સંભળાય છે. એ ધબકાર હોય છે જીવનની નકરી વાસ્તવિકતાનો, અપ્તરંગી પાત્રોનાં વાણી વર્તનનો, સંગીતનાં પંખીઓનો, અને પંખીઓનાં સંગીતનો. 

પણ જિતુભાઈની કલમ બગીચાની જેમ ખીલી છે અને ખૂલી છે તે તો નવલકથાના લેખનમાં. અજવાળી કેડી (૧૯૫૫), જોયું તખત પર જાગી (૧૯૬૧), પ્રીત કરી તે કેવી? (૧૯૬૧), જીવનની સરગમ, ભાગ ૧,૨ (૧૯૬૪), એ તેમની પુસ્તકાકારે પ્રગટ થયેલી નવલકથાઓ. તેમાંથી નવલકથાકાર જિતુભાઈનો ઉત્તમ પરિચય મળે છે તે તો અજવાળી કેડીમાં. વીસમી સદીની પહેલી વીસીના કાઠિયાવાડનાં રજવાડાંના રાજાઓ અને રાજકારણ, લોકો અને લોકબોલી તથા લોકજીવન, આપખુદ અમલદારો અને તેમનો ભોગ બનતી રૈયત, રાજ્યકર્તાઓથી દૂર રહીને સંગીત, નૃત્ય, અન્ય કલાઓ, પંખીઓનો અભ્યાસ વગેરે પાછળ જીવન ખર્ચી નાખનારા ઓલિયાઓ, આ બધાંનું ભાતીગળ, મનોરમ ચિત્ર લેખકે જાતમાહિતીને આધારે અહીં દોર્યું છે. જિતુભાઈની ફૂલગુલાબી શૈલીની સુવાસ પણ આખી કૃતિમાં ફેલાયેલી છે. અલબત્ત, જિતુભાઈની બીજી કૃતિઓની જેમ આ નવલકથાની ભાષા-શૈલી પણ કાઠિયાવાડી ચાની જેમ થોડી વધુ ગળચટ્ટી છે. 

શબ્દોના ફુવારા જેવી જિતુભાઈની શૈલી અંગે ચુનીલાલ મડિયાએ કહ્યું હતું : “અ લેખન-શૈલી લેખકનાં મિજાજનો, તબિયતનો, સમગ્ર વ્યક્તિત્વનો, આવિષ્કાર છે. એકને અલગ પાડીને બીજાનો વિચાર થઈ જ ન શકે એવો અવિભાજ્ય એ સંબંધ છે. લેખકે કહ્યું છે તેમ નાનપણથી નિસર્ગ અને સંગીતના સંસ્કારો મળ્યા છે અને કાનના અસલી અનુભવોમાંથી એમને પોતાની શૈલી હાથ લાગી છે.” માત્ર ભાષા-શૈલીને કારણે જ નહિ, અત્યંત વૈવિધ્યસભર, અનેકરંગી, અનુભવો અને તેના ઘેરા રંગે થયેલા આલેખનને કારણે પણ જિતુભાઈને કિશનસિંહ ચાવડાના સગોત્ર લેખક ગણી શકાય. પણ સાહિત્યના અને તેના વિવેચનના મિનારા પર ચડવા માટે ચાવડાને જેવી સીડીઓ મળી, તેવી જિતુભાઈને કદાચ મળી નહિ.

“માણસનું પગલું અને ધરતીનો પટ. ધરતી રૂડી બને છે માણસનાં પગલાંને કારણે. માણસનું પગલું મંગલ બને છે, એની પાછળ જો એ અજવાળી કેડી મૂકતું જાય તો.” આ છે ‘અજવાળી કેડી’ના છેવટના ભાગમાં આવતા શબ્દો. સાહિત્યની ધરતીના પટ પર બીજા કોઈએ પાડેલા પગલામાં પગલું પાડનારા લેખકોમાંના એક જિતુભાઈ નથી. તેમણે ભલે નાનકડી, પણ પોતાની કેડી કોરી કાઢી, અને તેને પોતાના અનુભવ અને શબ્દના તેજ વડે અજવાળી. એ કેડીની ધારે આવેલા કોઈ વૃક્ષની ઘટામાં છૂપાયેલા ચંડુલના ટહુકા જેવી છે જિતુભાઈ મહેતાની કલમ વડે લખાયેલી કૃતિઓ.

XXX XXX XXX

Flat No. 3 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Road, Kala Nagar, Bandra (East), Mumbai 400 051
16 ફેબ્રુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com 

Loading

આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન

સોનલ પરીખ|Opinion - Opinion|16 February 2026

આપણે આત્માઓ છીએ. આપણને શરીર મળ્યું છે કે એના દ્વારા આપણે આનંદ અને જ્ઞાન મેળવીએ, લોકોનું કંઈક ભલું કરીએ અને આપણા સરજનહાર જેવા મૈત્રીપૂર્ણ, પ્રેમાળ, ઉદાર અને કરુણાભર્યા બનવા પ્રયત્ન કરીએ. વ્હેન યુ આર ગૂડ ટુ અધર્સ, યુ આર બેસ્ટ ટુ યૉરસેલ્ફ.  

— બેન્જામિન ફ્રેન્કલિન

કોઈ વ્યક્તિ એક ક્ષેત્રમાં પ્રતિભા ધરાવતી હોય તો પણ આપણે પ્રભાવિત થઈએ છીએ. પણ જે વ્યક્તિ અનેકવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતી હોય – તે પણ આજથી સવાત્રણસો વર્ષ પહેલા – અને આખી દુનિયાને ઉપયોગી થાય એવા અનેક નવાં પ્રદાનો કરી ગઈ હોય એને શું કહીશું? 17 જાન્યુઆરીએ જેમનો જન્મદિન છે એ બેન્જામિન ફ્રેન્કલિન આવી એક બહુમુખી અને અત્યંત દુર્લભ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. એમના વિશે કહેવું કે જાણવું એ પણ એક પ્રાપ્તિ જેવું છે. 

1700ની શરૂઆતમાં ભારતમાં તાજમહાલ બંધાયાને પચાસેક વર્ષ થયાં હતાં. મોગલ સામ્રાજ્ય ટોચ પર હતું. ભારતની સમૃદ્ધિથી આકર્ષાયેલા અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કોઠીઓ નાખી હતી, એમનો રાજકીય પગપેસારો શરૂ થઈ ગયો હતો, પણ શાસન શરૂ થવાને થોડા દાયકાઓની વાર હતી. 

આ સમયે 1706માં અમેરિકાના બોસ્ટનમાં બેન્જામિન ફ્રેન્કલિનનો જન્મ. એ સમયનું અમેરિકા એટલે યુરોપના દેશોની, ખાસ કરીને ઇંગ્લૅન્ડની વસાહતોનું ઝૂમખું. એ કાળની જે મોટી ઘટનાઓ વિશે આપણે ઇતિહાસમાં ભણીએ છીએ તેમાંની અનેક બેન્જામિન ફ્રેન્કલિનના જીવનકાળ દરમ્યાન બની અને તેઓ એના સાક્ષી અને ઘડવૈયા બન્યા. વિજ્ઞાનની શોધખોળોનું પણ એવું જ. લાઈટનિંગ રોડ, બાયફૉકલ ચશ્માં, ફ્રેન્કલિન સ્ટવ, ઑડોમીટર, ગ્લાસ આર્મેનિકા આ બધી એમની શોધ. ફૂટપાથ, ડ્રેનેજ, આગબંબા, લાયબ્રેરીને સર્વસુલભ એમણે બનાવ્યા. યુનિવર્સિટી સ્થાપી. ભાષાઓ શીખ્યા. આગનો વીમો શરૂ કર્યો. પોલિસવ્યવસ્થા અને હૉસ્પિટલની શરુઆત કરી. પોતે પોસ્ટમાસ્તર, પ્રકાશક-મુદ્રક-સંપાદક-લેખક, ઉદ્યોગપતિ ઉપરાંત અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધની નીતિઓ, સ્વતંત્રતાનું ઘોષણાપત્ર અને બંધારણ ઘડનારી કમિટીમાં પણ અગ્રણી રહ્યા. અનેક મહત્ત્વની સંધિઓ પર એમની સહી છે. યુરોપમાં અમેરિકન રાજદૂત બન્યા. દરેક ક્ષેત્રમાં ભારોભાર મૌલિકતા અને પ્રયોગશીલતા. ગુલામીપ્રથા વિરુદ્ધ પણ કામ કર્યું.

સ્વતંત્ર અમેરિકાની સંસ્કૃતિ ઊભી કરવામાં એમનો મોટો ફાળો છે. તેઓ અમેરિકાના આદ્યસ્થાપકોમાંના એક અને જ્યૉર્જ વૉશિંગ્ટન પછીની બીજી મહત્ત્વની હસ્તી ગણાય છે. અમેરિકાએ તેમને ફર્સ્ટ અમેરિકનનો ખિતાબ આપ્યો અને અનેક માનદ્દ ડિગ્રીઓ, પુષ્કળ ચંદ્રકો, ઢગલાબંધ પ્રતિમાઓ, પદકો, ટપાલટિકિટો, એમના નામની સ્કૂલો-કૉલેજો, માર્ગો, પુલો, વિસ્તારો, મ્યુઝિયમો અને સ્મારકો દ્વારા ઋણસ્વીકાર કર્યો. અમેરિકામાં એમના નામનું યુદ્ધજહાજ પણ છે અને ફ્રેન્કલિન નામનું એક વૃક્ષ પણ છે. સુંદર શ્વેત પુષ્પો આપતું આ નાનું વૃક્ષ હવે ખુલ્લામાં જોવા નથી મળતું, પણ બાગબગીચાને શોભાવે છે.  

એવું શું હોય છે જે માણસને મહાન બનાવે છે? બેન્જામિન ફ્રેન્કલિનની આત્મકથા વાંચવા જેવી છે. પિતાના સત્તર સંતાનોમાં બેન્જામિન સોળમા. સત્તરમી જેન. બંને ‘બેની-જેનીની જોડી’ તરીકે ઓળખાતાં. સમય જતાં બંનેના માર્ગ ખૂબ જુદા થયા, પણ ભાઈબહેનને એકબીજા માટે અસીમ પ્રેમ રહ્યો. જેનના સંઘર્ષોમાં બેન્જામિને દૂર રહ્યા શક્ય તેટલી મદદ કરી અને પત્રો દ્વારા એની હિંમત ટકાવી રાખી. ઇતિહાસ સ્ત્રીઓને ‘સાઇડલાઇન’ કરે એવાં એ સમયમાં જેને ચાર ફૂલસ્કેપ સાંધીને એમાં પોતાના વિષે થોડું લખ્યું હતું. આ નોંધ અને બેન્જામિન સાથેના પત્રવ્યવહાર પરથી જિલ લેપોરે ‘ધ બુક ઑફ એજીસ’ નામની બાયોગ્રાફી લખી છે. 

આર્થિક સંકડામણને લીધે બેન્જામિન ફ્રેન્કલિને ભણવાનું છોડ્યું, આડાઅવળાં નાનામોટાં કામો કર્યાં અને ભાઈના પ્રેસમાં શિખાઉ મદદનીશ તરીકે કાળી મજૂરી કરી. એમને પુસ્તકો ગમતાં. સમુદ્રયાત્રા આકર્ષતી. સંગીત અને શતરંજના શોખીન હતા. કુશળ તરવૈયા હતા અને અનેક ઓજારો વાપરી જાણતા. પેપર કરન્સીને લોકપ્રિય બનાવવામાં તેમનો મોટો ફાળો છે. દરેક અનુભવમાંથી શીખતા ગયા, લખતા ગયા, પ્રયોગો કરતા ગયા, દેશકાળના બદલાતા પ્રવાહોને ઝીલતા ગયા. પોતાનું જ નહીં, સૌનું શ્રેય જોતા ગયા અને બુદ્ધિ, કાબેલિયત, ધૈર્ય અને દૂરંદેશીની મદદથી પોતાની કેડી કંડારતા ગયા.  

જાહેર જીવનની અપ્રતિમ સફળતાએ અંગત જીવનનો ભોગ પણ લીધો. પ્રથમ સંતાન નાની ઉંમરે મૃત્યુ પામ્યું, પત્ની ડેબોરેહ એકલતા અને ડિપ્રેશનનો શિકાર બની. એના મૃત્યુ વખતે ફ્રેન્કલિન પ્રવાસમાં હતા. એમને એક અવૈધ પુત્ર હતો, વિલિયમ. તેને એમણે ન્યૂ જર્સીનો ગવર્નર બનાવ્યો હતો, પણ પિતાપુત્ર વચ્ચે સારા સંબંધ ન હતા. જીવનનાં આખરી વર્ષોમાં તેઓ એકલા અને બીમાર હતા. 1788માં એમણે જાહેર જીવન છોડ્યું અને 1790માં 84 વર્ષની ઉંમરે પ્લુરસીથી એમનું મૃત્યુ થયું. એમની કબર ફિલાડેલ્ફિયાના ક્રાઈસ્ટ ચર્ચ બરિયલ ગ્રાઉન્ડમાં છે. 

તેઓ કહેતા, ‘દુનિયામાં નિશ્ચિત બાબતો બે જ છે, પુસ્તકો અને મૃત્યુ.’ બાવીસમા વર્ષે એમણે પોતાની કબર પર કોતરાવવાનું લખાણ તૈયાર કરેલું, ‘અહીં પ્રિન્ટર બેન્જામિન ફ્રેન્કલિન જૂના પુસ્તકના પૂંઠાની જેમ, કીડાઓથી કોતરાતો સૂતો છે. પણ એનું કામ એટલું નાશવંત નથી. કેમ કે એ ફરી આવશે – સર્જકે સુધારેલી અને સત્યની વધુ નજીક એવી નવી અને વધારે સારી આવૃત્તિની જેમ.’ જો કે એમની ખરી કબર પર ચાર જ શબ્દો છે : ‘બેન્જામીન અને ડેબોરાહ ફ્રેન્કલિન.’ 

જિંદગી અને મૃત્યુ વિશે એમના આ શબ્દો યાદ રહી જાય એવા છે : ‘સવારે નવ વાગ્યે હું જાગું છું અને તરત તાજું છાપું હાથમાં લઉં છું. છેલ્લે શ્રદ્ધાંજલિનું પાનું જોઉં છું. મારું નામ એમાં ન હોય તો ઊભો થાઉં છું.’ ‘જો મૃત વ્યક્તિઓની જેમ વિસ્મૃત રહેવું ન હોય, તો કંઈક લખો અથવા કોઈને તમારા વિશે લખવાનું મન થાય એવું કરો.’ ‘કેટલાક લોકો 25મા વર્ષે મરી જાય છે અને 75મા વર્ષે કબરમાં દટાય છે.’ ‘જિંદગીની કરુણતા એ છે કે આપણે વૃદ્ધ ઘણા વહેલા થઈ જઈએ છીએ અને ડહાપણ ઘણું મોડું આવે છે.’ ‘જ્યારે તમે પરિવર્તનનો અંત આણો છો ત્યારે પોતે પણ અંત પામો છો.’ ‘હું મૃત્યુને ઉંઘ જેવું ગણું છું. સવાર પડે એટલે સ્ફૂર્તિ સાથે ઊભા થવાનું.’ 

એક મિત્રની અંતિમક્રિયા સમયે એમણે કહ્યું હતું, ‘આપણે આત્માઓ છીએ. આપણને શરીર મળ્યું છે કે એના દ્વારા આપણે આનંદ અને જ્ઞાન મેળવીએ, લોકોનું કંઈક ભલું કરીએ અને આપણા સરજનહાર જેવા મૈત્રીપૂર્ણ, પ્રેમાળ, ઉદાર અને કરુણાભર્યા બનવા પ્રયત્ન કરીએ. પણ જ્યારે શરીરમાં આ બધું કરવાની યોગ્યતા ન રહે, જ્યારે એ આનંદને બદલે પીડાનું કારણ બને, મદદરૂપ થવાને બદલે ભારણ બને, જે હેતુઓ માટે એ આપણને મળ્યું છે એને વહન કરવા યોગ્ય ન રહે ત્યારે આપણને એનાથી છૂટવા મળે એવો કોઈ  કલ્યાણકારી માર્ગ હોવો જોઈએ. મૃત્યુ એ માર્ગ છે.’ 

એમણે પોતાના જીવન અંગે પણ અમુક નિયમો નક્કી કર્યા હતા અને એ જ નિયમોની સીમાઓમાં રહી જીવ્યા હતા. આ નિયમો એટલે સ્વચ્છતા, શ્રમ, વ્યવસ્થા, કરકસર, સંકલ્પ, શાંતિ, અંકુશ, વિનમ્રતા, સંયમ, નિષ્ઠા, મિતભાષીપણું, ચારિત્ર્ય અને ન્યાય. 

જીવનમાં એમને સફળતાઓ સાથે નિષ્ફળતાઓ પણ મળી જ હતી. તેઓ સફળતાથી ફુલાયા નહીં અમે નિષ્ફળતાથી હાર્યા નહીં. એમનાં થોડાં વચનો સાથે જ વિરમીએ : ‘તમારા શત્રુને ચાહો, કેમ કે એણે જ તમને તમારી ક્ષતિઓ બતાવી’, ‘પોતાની જાત સાથે જેને દોસ્તી હોય, તેનો કોઈ શત્રુ હોતો નથી.’, ‘આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો’, ‘આપણી બારીઓ કાચની હોય ત્યારે બીજાના ઘર પર પથ્થર ન ફેંકાય’, ‘તમે જે બનવા ધારો, બની જ શકો’, ‘વ્હેન યુ આર ગૂડ ટુ અધર્સ, યુ આર બેસ્ટ ટુ યૉરસેલ્ફ’, ‘સ્વતંત્રતા કોઈને આપી શકાતી નથી. એ એક અધિકાર છે, ઈશ્વર અને પ્રકૃતિના કાયદાએ આપેલો અધિકાર.’ 

અને ‘જે સમાજ થોડી સલામતી મેળવવા થોડી સ્વતંત્રતા જતી કરે તેને છેવટે સ્વતંત્રતા કે સલામતી બેમાંથી એકે મળતી નથી.’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 11 જાન્યુઆરી  2026

Loading

રળિયામણું, રંગીલું રાજકોટ ???

આશા બૂચ|Opinion - Opinion|16 February 2026

દર બે-ત્રણ વર્ષે યુનાઇટેડ કિંગ્ડમથી રાજકોટ આવવાનું થાય. મારું વતન ખરું ને, એટલે.

હવે એને ‘રળિયામણું રાજકોટ’ કે ‘રંગીલું રાજકોટ’ તરીકે ઓળખાવીને ગૌરવ લેવાય છે.

દરેક સફરમાં શહેરની લંબાઈ-પહોળાઈ વધતી જોવા મળે અને છાતી ગજ ગજ ફૂલે. આસપાસનાં ગામડાઓમાં ‘પ્રવેશ’ (કે પગપેસારો?) કરીને સો ગામના નહીં, તો વીસ-પચીસ ગામના ધણી થઇ બેઠા છે, આ રાજકોટ વાસીઓ. પેલો ‘વિકાસ’નો વાયરસ બીજા શહેરોની માફક રાજકોટને પણ ભરખી રહ્યો છે એટલે વર્ષે એક ના હિસાબે ફ્લાય ઓવર બને, જાત જાતના નામાભિધાન વાળા ‘હાઈટ્સ’ (એટલે કે બહુમાળી રહેઠાણો – કહોને કે વિદેશોમાં મરઘી જેવાં પક્ષીઓ માટે ઉપરાઉપરી બખોલ જેવાં પિંજર બનાવે છે તેવાં જ ઘર), આધુનિક શોપિંગ મોલ (જેના નામ મોટે ભાગે અમેરિકન કે યુરોપિયન સુપર માર્કેટ પરથી પડેલા હોય છે) અને ગણ્યા ગણાય નહીં એટલાં રેસ્ટોરન્ટ્સ અને આઈસ્ક્રીમ પાર્લર જોઈને છક્ક થઇ જવાય, હોં ભાઈ.

અહીં એક આડવાત કરી લઉં. એક દિવસ એક ‘હાઈટ્સ’નું બાંધકામ જોવા કુતૂહલવશ જઈ ચડી, જોયું, તો દસ દસ ફ્લેટ્સના પાંચ સાત ટાવર, સુંદર મજાની લોન, નીચલા માળમાં દુકાનો, માફ કરજો ‘શોપિંગ મોલ્સ’, મોટો કમ્યુનિટી હોલ, બાળકો અને મોટાં માટે ફિલ્મ, ટી.વી. જોવા માટે મોટો ખંડ વગેરેનું આયોજન જોઈને મારું નામ એક ફ્લેટ ખરીદવા માટે નોંધાવા ગઈ, પણ હાય ભાગ્ય! યુનાઇટેડ કિંગ્ડમમાં રહેનારને એ ફ્લેટ ન પોસાય, એટલે દ્રાક્ષ ખાટી છે એ ન્યાયે ‘મને શહેરથી આટલે દૂર રહેવું ન ફાવે’ કહીને નીકળી ગઈ. બહાર નીકળતાં મેં જોયું કે એ આલીશાન ઇમારતો બાંધનારાં સ્ત્રી પુરુષોનાં બાળકો ગંદા કપડાં પહેરેલાં, વાળ ઓળ્યા વિનાના અને નાહ્યા પણ ન હોય એવી દશામાં રમતાં હતા, અને એ મજૂર વર્ગ એક નાનીશી ઝૂંપડપટ્ટી વસાવીને પેટ ભરવા કાળી મજૂરી કરતો હતો. શું એમને કોઈ દિવસ વિચાર નહીં આવતો હોય કે આ ઇમારતો અમે ચણીએ છીએ, તો અમને એવા ઘરમાં રહેવા ક્યારે મળશે? અમને એ અધિકાર કેમ નથી? મારાં બાપ-દાદા પણ રસ્તા પર સૂતાં અને મારાં બાળકો પણ આવી  ‘હાઈટ્સ’ની છાયામાં જીવતર પૂરું કરશે?

અરે, એટલો વિકાસ પૂરતો ન હોય તેમ શહેરના કેટલાક વિસ્તારો તો હોસ્પિટલ્સ, દવાખાના અને કેમિસ્ટની દુકાનો માટે મશહૂર થઇ ગયા છે. હવે હાર્ટમાં સ્ટેન્ટ મુકાવવા, બાયપાસ કરાવવા કે સ્ટ્રોક આવે તો સારવાર માટે અમદાવાદ કે મુંબઈ દોડવાની જરૂર નહીં, બધું અમારા રાજકોટમાં થાય! પણ એ જોઈને સવાલ એ થાય કે ‘રંગીલું રાજકોટ’ કહેવામાં જોડણીની ભૂલ તો નહિ હોય? ‘રોગિષ્ટ રાજકોટ’ લખવાને બદલે ‘રંગીલું’ લખાઈ ગયાનો વહેમ થાય. વિચાર કરતાં ખ્યાલ આવે કે એ તો પેલા વિકાસના વાયરસના ફેલાવાના પરિણામો છે.

એમ તો ગુજરાતમાં સહુથી મોંઘા શહેરનું બિરુદ પણ રાજકોટને મળ્યું છે એ કેટલા લોકો જાણે છે? મુંબઈ, પુણે, દિલ્હી જેવાં શહેરોમાં હવે મકાનના ખરીદ-વેચાણમાં માત્ર ‘વ્હાઇટ મની’ જ હાથ બદલે, પણ ના, રાજકોટ એવા રંગભેદમાં નથી માનતું, ત્યાં ‘બ્લેક મની’ સિવાય ઘર વેંચાય કે ખરીદાય નહીં. છે ને કમાલ?

હજુ એક વિશેષતા ઊડીને આંખે વળગે. આ શહેરમાં બે પગાળાં માનવીમાં હું, મારા પતિ અને બે ચાર વિદ્યાર્થીઓની ગણતરી નોંધાઈ છે, એટલે કે 20,92,000માંથી દસ બાદ કરો એટલા લોકો પાસે સ્કૂટર, રીક્ષા અથવા કાર હોય, અને એ બધાનો રસ્તાઓની માલિકીમાં ભાગ. સફર શરૂ થાય ત્યારથી પૂરી થાય ત્યાં સુધી સતત હોર્ન વાગતાં રહે, એટલે એકલતાનો જરા પણ અનુભવ ન થાય. જરૂર હોય કે ન હોય, પગ બ્રેક ઉપર અને હાથ હોર્ન ઉપર, એમ જ વાહન ચાલે! હું રસ્તો ઓળંગવા રાહ જોતી હોઉં ત્યારે કોઈ રીક્ષા ચાલક આવીને ચાર ઇંચ છેટે રહે અને આંખ ઉલાળે (એનો મતલબ ‘ક્યાં જવું છે?’ એમ પૂછવાનો હોય) અથવા કહે ‘બોલો’. મને શું બોલવું એ સમજ ન પડે એટલે એને રસ્તો આપવા તેના માર્ગમાંથી એક બાજુ ખસી જાઉં!

રાજકોટ વાસીઓ ઉત્સવ પ્રિય છે એ પણ જાણીતું છે. નવરાત્રીમાં ફૂલ બ્લાસ્ટ ડી.જે. ગરબા માટે જાણીતું. આ વખતે નવેમ્બર મહિનાથી સતત ફટાકડાના અવાજોએ રાત્રે પણ સાથ આપ્યો. એના કારણોની વિવિધતા પણ રળિયામણી. લગ્ન, મકરસંક્રાંતિ, વગેરે વગેરે. વળી કોઈને ઘેર કથા કે પારાયણ હોય ત્યારે શેરીમાં મંડપ બંધાય અને આપણને વગર ખર્ચે કથા, ભજન ધૂન સાંભળવા મળે (રાત્રે મોડે સુધી હો!), લોકો કેટલા પરગજુ હોય છે?!

એક વાતનો મને આનંદ છે કે હવે રખડતાં ઢોર જોવા નથી મળતાં. એનો શો ઉપાય કર્યો છે એ શોધી કાઢવાનું રહી ગયું છે. જાણ થયે કદાચ મારો આનંદ ઓસરી જાય એ ભય પણ છે. પરંતુ પાનનો માવો ખાઈને થૂંકીને રસ્તા પર રંગોળી કરવાનું બંધ નથી થયું, વધતું જાય છે. કેટલાક ‘સુજ્ઞ જનોને પૂછતાં મને જ્ઞાન લાધ્યું કે રાજકોટમાં લગભ 90% લોકો ‘માવા’ના વ્યસની છે (કદાચ હોસ્પિટલના ગુણાકારમાં એનો ફાળો હોઈ શકે). માવો=સોપારી+ચૂનો+તમાકુ. એ ચાવીને ખાઈ જવાની વસ્તુ નથી, થૂંકવું જ પડે. એ એનો કોડ ઓફ કંડક્ટ છે. હું ચાલતી હોઉં અને જો કોઈને થૂંકવાની પ્રેરણા થતી જોઉં તો હાથથી થોભવાની વિનંતી કરું, અથવા ક્યારેક ઉદારતા દર્શાવી એમનો ઉભરો ઠલવાય ત્યાં સુધી દૂર રહીને રાહ જોઉં. આપણે બધા એક શહેરના નાગરિક ખરા ને, એટલે માન તો આપવું પડે! આ રીતે રસ્તા પર થૂંકની રંગોળી દૂર કરવા માટે એક ઉપાય સૂઝે છે. એક જમાનામાં હરિજનોને પોતાની કમરે સાવરણો બાંધીને ચાલવાની અને ‘પોઈસો, પોઈસો’ બોલીને ‘સવર્ણો’ ને ચેતવવાની ફરજ પડતી. તો હવે સ્કૂટર, રીક્ષા અને કારના વ્હિલમાં પાણી છાંટીને સાવરણાથી સફાઈ કરે તેવું એક ઉપકરણ બેસાડવાની અને નાના માઈક પર ‘વ્યસની આવે છે, છેટા રહેજો’ એવું બોલે એવું સાધન બનાવવાની જરૂર છે.

હજુ એક આશ્ચર્ય પેદા કરે એવા દૃશ્યોની વાત કરું. હવે દરેક નાગરિક – પાંચથી માંડીને 95 વર્ષના દરેક માટે એક મોબાઈલ એક અનિવાર્ય ઉપકરણ થઈ પડ્યું છે. સ્કૂટર સવાર ખભા અને કાન વચ્ચે મોબાઈલ દબાવીને ભાગતા હોય, રીક્ષા ચાલકો એક હાથે રીક્ષા ચલાવે એ તો ઠીક, એમની નજર પણ મોબાઈલ પર હોય! દરેક કારમાં ‘ટચ ઓફ અ બટન’થી કોઈની પણ સાથે વાત કરવાની સુવિધા થઈ ગઈ એટલે જોર જોરથી સંગીત ન વાગતું હોય તો કોઈની સાથે વાતો થતી જ હોય. ડ્રાઇવિંગ પર ધ્યાન રાખવું એટલું મહત્ત્વનું નથી હોતું. અરે, ભૂલથી જો કોઈ રાહદારી મળી જાય તો એ લોકો પણ મોબાઈલના સ્ક્રીન પર જ નજર રાખીને ચાલતા હોય છે. કોણ કહે છે, માત્ર આપણા પૂર્વજો જ અષ્ટાવધાની અથવા શતાવધાની હતા? Gen 3 તો એમને પણ હરાવી દે તેવી છે!

હવે રોજ કચરા ગાડી આવે ત્યારે આધુનિક ભારતના નાગરિક હોવાનું ભાન થાય. ઉપર લખ્યું હોય, ‘લીલો કચરો’, ‘સૂકો કચરો’, પણ આપણી જ નજર તળે તમામ વસ્તુઓ એક વાનમાં ઠલવાય. ઘર કચરા મુક્ત થાય અને એ કચરો શહેરના કયા વિસ્તારને શણગારવા લઇ જતા હશે એ જોવાનું આવતી સફરમાં રાખ્યું છે. જો કે શહેરના કેટલાક ખૂણાઓને સફાઈ કામદારો પોતાના પિતા પાસેથી વારસામાં મળેલો ગણતા હશે કે રામ જાણે, પણ ત્યાં એક શેરીમાંથી એકઠો થયેલો કચરો (કે ‘માલ’?) બીજી શેરીમાં ઠલવાતો જોયો છે. આ રહી એની સાબિતી. (અરે, અહીં ‘સેલ્ફી’ લેવાનું રહી ગયું!)

હું એક પ્રતિષ્ઠિત વિસ્તારમાં રહું છું, ત્યાં શેરીના એક ખૂણે ઉપલું દૃશ્ય જોવા મળે. મારા પડોશીઓ અંદર અંદર વાત કરે કે હવે આશાબે’ન આવ્યાં એટલે ફરી આ કચરો જોઈને મ્યુનિસિપાલિટીને હેરાન કરશે.

ઈ.સ.1928માં સ્થપાયેલી રાજકોટની કન્યાઓ માટેની એક જાણીતી સ્કૂલ કોટક ગર્લ્સ સ્કૂલ, બરાબર એ વિદ્યાધામની બહાર કચરાનો આ ઢગ.

ઈ.સ. 1920માં વિદેશી શિક્ષણ અને અર્થવ્યવસ્થાનો વિકલ્પ પૂરો પાડવા રાજકોટમાં રાષ્ટ્રીયશાળાની સ્થાપના કરવામાં આવેલી, જ્યાં અનેક રચનાત્મક કાર્યો અને ગૃહોદ્યોગ ચાલતા હતા. તેના પછવાડેના રસ્તા પર ફરી રાજકોટની જનતાની બેવકૂફીનું પ્રદર્શન જોવા મળ્યું, જે નીચેની તસ્વીરમાં ઝડપ્યું.

હજી વધારે શરમજનક પુરાવો આપું. 30 જાન્યુઆરીએ હું ક.બા. ગાંધીના ડેલામાં પ્રાર્થના કરવા ગઈ (રાજકોટમાં અને ખરું પૂછો તો ભારતમાં આ સ્થળ વિષે ભાગ્યેજ કોઈને જાણકારી છે. વિદેશીઓ અને થોડા પરપ્રાંતીય લોકો આ સ્થળની મુલાકાત લેતા હોય છે; તેઓ રાજકોટવાસીઓને શિક્ષિત કરે તો પણ કોઈને એ વિષે રસ પડે એ આ સદીમાં સંભવ નથી જણાતું). ત્યારે એ પવિત્ર સ્થળની શેરીના ખૂણે જે જોયું એ માટે મારી પાસે કોઈ શબ્દો નથી.

71abuch@gmail.com

Loading

...1020...25262728...405060...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved