Opinion Magazine
Number of visits: 9683975
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરીબનાં કપડાંની ગંધથી ચીડ અનુભવતા અમીર અને મૂડીવાદનું ‘પેરાસાઈટ’ સત્ય

નીલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|29 January 2020

સિનેમા વિશે એવું કહેવાય છે કે વાર્તા જેટલી લોકલ એટલે કે સ્થાનિક હશે તેટલી વધુને વધુ લોકો સુધી પહોંચશે.

કોઈ એક શહેરના ગરીબ અને પૈસાદાર પરિવાર વચ્ચેનો ભેદ રજૂ કરતી આવી જ એક સાઉથ કોરિયન ફિલ્મ આજકાલ ખાસ્સી ચર્ચામાં છે. વર્ષ 2019માં આવેલી 'પેરાસાઈટ' (Parasite) નામની આ સાઉથ કોરિયન ફિલ્મને આ વર્ષે યોજાનાર અકાદમી (Oscar) એવોર્ડ્સ માટે કુલ 4 નોમિનેશન્સ મળ્યા છે અને વિશ્વ પ્રખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તે સુપ્રસિદ્ધ 'Palme d'Or' એવોર્ડ જીતી ચૂકી છે.

સાઉથ કોરિયન લેખક-ડિરેક્ટર બોંગ જૂન-હો (Bong Joon-ho)ની ફિલ્મ 'પેરાસાઈટ'(Parasite)નો અર્થ થાય છે પરોપજીવી એટલે કે બીજા ઉપર જેના જીવનનો આધાર છે તેવું. આ ફિલ્મમાં જે વાર્તા રજૂ કરવામાં આવી છે તે દુનિયાના કોઈ પણ દેશને લાગુ પડે છે કારણ કે તમામ દેશોમાં પૈસાદાર અને ગરીબો વચ્ચેની ખાઈ વધી રહી છે, પૈસાદાર લોકો વધુ પૈસાવાળા અને ગરીબ લોકો વધુ ગરીબ થઈ રહ્યા છે.

હાલમાં જ એક એવો ચોંકાવનારો રિપોર્ટ પ્રકાશિત થયો છે કે ભારતના અરબપતિઓ પાસે દેશના કુલ બજેટ કરતાં પણ વધુ પૈસા છે. ભારતના કુલ 63 અરબપતિઓ પાસે દેશના નીચલા તબક્કાના 95 કરોડ લોકો કરતાં ચાર ગણી વધારે સંપત્તિ છે. દુનિયા હાલ જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે અને વસ્તીમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતાં બેરોજગારી સૌથી મોટો પડકાર છે. 'પેરાસાઈટ' (Parasite) નામની આ ફિલ્મમાં શહેરના પૈસાદાર બિઝનેસમેનના ઘરે નોકરી કરતા એક ગરીબ પરિવારના કુલ ચાર સભ્યોની વાર્તા છે. કામની શોધમાં ભટકતા આ ગરીબ પરિવારના દીકરાને બિઝનેસમેનના ઘરે અંગ્રેજીના શિક્ષક તરીકેની નોકરી મળે છે અને તે તેના આખા પરિવારને (માતા, પિતા અને બહેન સહિત) ત્યાં વિવિધ કામોમાં નોકરી અપાવે છે. પૈસાદાર બિઝનેસમેનના પરિવારને તેમના ત્યાં કામ કરતાં આ ગરીબ લોકો માટે નહીં પણ તેમના કપડાંમાંથી આવતી ગંધની ચીડ હોય છે. ગરીબનાં કપડાંમાંથી આવતી દુર્ગંધને નફરત તરીકે જોતા પૈસાદાર પરિવારને તેની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે તે આ ફિલ્મના અંતમાં ખુલ્લુ થાય છે. પેરાસાઈટ એક ડાર્ક કોમેડી થ્રિલર ફિલ્મ છે કે જેમાં રહસ્ય, રોમાંચ, હિંસા, લાગણીનો સમન્વય છે.

સાઉથ કોરિયન ફિલ્મ 'પેરાસાઈટ' (Parasite) શરૂ થાય છે શહેરના નીચલા તબક્કાનું જીવન જીવતાં લોકોની વસ્તીમાં માત્ર એક રૂમના ઘરમાં રહેતાં ચાર સભ્યોના પરિવારની વાર્તાથી. આ ગરીબ પરિવારમાં માતા-પિતા અને તેમના અકેક દીકરો-દીકરી છે. પરિવારની આર્થિક સ્થિતિ નાજુક છે અને તેઓને બે ટંકના ભોજનનાં પણ ફાંફાં છે. તેઓ નોકરી શોધી રહ્યાં છે ત્યારે જ એક હિતેચ્છુ મિત્ર આવીને આ પરિવારના દીકરા માટે નોકરીની વ્યવસ્થા કરી આપે છે. બેરોજગારીનો સામનો કરી રહેલાં પરિવારના દીકરાને આખરે શહેરના શ્રીમંત બિઝનેસમેનના ઘરે શાળામાં અભ્યાસ કરતી તેમની છોકરીને અંગ્રેજી શીખવાડવાનું કામ મળે છે. બિઝનેસમેનના પરિવારમાં પણ કુલ ચાર સભ્યો, પતિ-પત્ની અને તેમનાં બે બાળકો (નાનો દીકરો અને ટીનેજ દીકરી) છે. ગરીબ પરિવારનો આ યુવક જ્યારે પહેલી વખત બિઝનેસમેનના ઘરે જાય છે, ત્યારે તેમનું ઘર અને વૈભવી જીવનશૈલી જોઈને ચોંકી જાય છે. અહીં કામ શરૂ થાય બાદ આ યુવક તેની બહેનને આ બિઝનેસમેન પરિવારના નાનકડા પરંતુ તોફાની દીકરાના કેરટેકર તરીકે નોકરીએ લગાડે છે. પછી તેમના પિતાને આ બિઝનેસમેનના ડ્રાઈવર તરીકે અને માતાને ઘરની સેવિકા તરીકે નોકરીએ લગાડે છે. આમ આ આખા ગરીબ પરિવારના ચારેય સભ્યો તે બિઝનેસમેનના પરિવારમાં કોઈના કોઈ કામે નોકરીએ લાગી જાય છે.

એક દિવસ આ બિઝનેસમેન પરિવાર બહારગામ ફરવા જાય છે એટલે ગરીબ પરિવારના ચારેય સભ્યો આ વૈભવી ઘરમાં આવીને મસ્તી કરવા લાગે છે ત્યાં જ અચાનક આ ઘરમાં અગાઉ કૂક (રસોઈયા) તરીકે કામ કરતી મહિલાનો પ્રવેશ થાય છે અને ફિલ્મમાં અણધાર્યો વળાંક આવે છે. જ્યારે આ મહિલા ઘરમાં પ્રવેશે છે ત્યારે ત્યાં નોકરી કરતાં અને માલિકની ગેરહાજરીમાં પાર્ટી કરતાં આ ગરીબ પરિવારના સભ્યો સંતાઈ જાય છે, માત્ર તેમની માતા કે જે ત્યાં સેવિકા છે તે હાજર રહે છે. ત્યાં જ આ ફિલ્મનું એક મહત્ત્વનું રહસ્ય ખૂલીને દર્શકો સામે આવે છે જે જબરદસ્ત ચોંકાવનારું હોય છે. બાદમાં ફિલ્મમાં જે એક પછી એક ઘટનાઓ બને છે તે જોઈને દર્શકો હચમચી જાય છે, જેમાં હત્યા, દગો, ઈર્ષ્યા, ચીડ, અભિમાન વગેરે સામેલ છે.

'પેરાસાઈટ' (Parasite) ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ એક જ ઘરમાં કરવામાં આવ્યું છે, ફિલ્મમાં કોઈ એક મુખ્ય હિરો નથી અને તમામ પાત્રોની મુખ્ય ભૂમિકા હોય તે રીતે વાર્તા લખવામાં આવી છે. ફિલ્મમાં જે ગરીબ પરિવારની વાત છે તેઓ જમીનની નીચે ભોંયરામાં એક રૂમમાં રહેતાં હોય છે જ્યારે શ્રીમંત પરિવાર રસ્તાથી ઉપરની બાજુએ ઢાળ પર મોટા બંગલામાં રહેતો હોય તેવું દેખાડ્યું છે જે પૈસાદાર અને ગરીબ વચ્ચેના ભેદને સાંકેતિક રીતે રજૂ કરે છે (આ ઘર પણ ફિલ્મના કોઈએક પાત્ર તરીકે ઉપસી આવે છે). ગરીબ પરિવારના ઘરમાં હવા-ઉજાસ નથી આવતો, જ્યારે પૈસાદારના ઘરના મુખ્ય હોલમાં જ સામે ગાર્ડન છે જ્યાં ભરપૂર સૂર્ય પ્રકાશને અવકાશ છે. બિઝનેસમેનના ત્યાં નોકરી કરતાં પરિવારના આ ચારેય લોકોનાં કપડાંમાંથી આવતી ગંધને લઈને તે બિઝનેસમેન ચીડ અનુભવે છે. ફિલ્મના એક દ્રશ્યમાં તે બિઝનેસમેન તેની પત્નીને કહે છે કે આ ગરીબ લોકો તેમની મર્યાદામાં રહે છે પણ તેમનાં કપડાંમાંથી આવતી ગંધ હવે તે મર્યાદા પાર કરી ગઈ છે.

ફિલ્મ 'પેરાસાઈટ' (Parasite) વિશે વાત કરતાં તેના ડિરેક્ટર બોંગ જૂન-હો (Bong Joon-ho) એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે હું મારી ફિલ્મો સાઉથ કોરિયામાં બનાવું છું જે એક નાનકડો દેશ છે. જેમાં તમને સાઉથ કોરિયાનો ઇતિહાસ અને સામાજિક સંદર્ભો ચોક્કસ જોવા મળશે. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મેં એક પૈસાદાર પરિવાર માટે શિક્ષક તરીકે નોકરી કરી હતી જે અનુભવ મેં મારી ફિલ્મ 'પેરાસાઈટ'માં દર્શાવ્યા છે. 'પેરાસાઈટ'માં જે બિઝનેસમેનની વાત છે તે કોઈ ખરાબ વ્યક્તિ નથી પણ તે પરિસ્થિતિ અનુસાર વિચારે છે અને નિર્ણય લે છે. મેં આ ફિલ્મ દ્વારા સમાજમાં જોવા મળતી અસામનતા, વર્ગ સંઘર્ષ, ધ્રુવીકરણને પડદા પર રજૂ કર્યાં છે જેમાં પૈસાદાર પરિવારના ઘરે નોકરી કરતાં ગરીબ પરિવારના ચાર સભ્યોની મજબૂરીની વાત છે. આપણે અત્યારે જે સમયમાં જીવી રહ્યા છીએ ત્યાં સમાજમાં મૂડીવાદ સત્તાધીશ છે અને આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. માત્ર સાઉથ કોરિયા નહીં પણ સમગ્ર વિશ્વ તે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં મૂડીવાદ(capitalism)ના સિદ્ધાંતોને નકારી શકાય નહીં. પેરાસાઈટની વાર્તા વિશ્વવ્યાપી છે, તે દુનિયાના કોઈ પણ દેશના શહેરમાં રહેતા અમીર-ગરીબ વચ્ચેનો ભેદ છે. દુનિયાની દરેક વ્યક્તિ તેના અને તેની સામેથી પસાર થતી વ્યક્તિના ક્લાસ (અમીર-ગરીબ) વિશે વિચારતો હોય છે. તે વ્યક્તિ કેટલી પૈસાદાર છે? શું તે પ્લેનમાં જ મુસાફરી કરે છે? શું તેનું ઘર ખૂબ મોટું છે? આ પ્રકારના પ્રશ્નો આપણને પણ થતા હોય છે અને તે ફિલ્મ 'પેરાસાઈટ'(Parasite)નો એક ભાગ છે.

ફિલ્મમેકિંગની પ્રક્રિયા વિશે વાત કરતાં 'પેરાસાઈટ'ના ડિરેક્ટર બોંગ જૂન-હો (Bong Joon-ho) વધુમાં જણાવે છે કે ફિલ્મ લખતી વખતે મારા મગજમાં જે-તે દ્રશ્યો અને તેનો અવાજ આકાર લે છે, હું ફિલ્મના વિવિધ દ્રશ્યોના સ્ટોરી બોર્ડ તૈયાર કરું છું અને પછી શૂટિંગ શરૂ કરું છું. જો હું ફિલ્મમેકિંગમાં ના આવ્યો હોત તો હું કાર્ટૂનિસ્ટનું કામ કરતો હોત, પણ હવે ફિલ્મમેકિંગ સિવાય બીજુ કશું કામ આવડતું નથી. અલગ-અલગ વિષય આધારિત ફિલ્મોનું નિર્માણ કરતા ફિલ્મેમકર બોંગ જૂન-હો(Bong Joon-ho)ની અન્ય જાણીતી ફિલ્મો 'મેમરીઝ ઓફ મર્ડર' (2003), 'ઓક્જા' (2017), 'ધ હોસ્ટ' (2006), 'મધર' (2009) અને ફ્રેન્ચ ગ્રાફિક નોવેલ આધારિત ફિલ્મ 'Snowpiercer' (2013) વગેરે છે. બોંગ જૂન-હો (Bong Joon-ho) વિશ્વની જે ફિલ્મોથી પ્રભાવિત થઈને ફિલ્મમેકિંગના ક્ષેત્રમાં આવ્યા તેમાં ડિરેક્ટર આલ્ફ્રેડ હિચકોક, બ્રાયન દે પાલ્મા, Werner Herzogની ફિલ્મોનો સમાવેશ થાય છે. ભારતીય સિનેમાઘરોમાં ફિલ્મ 'પેરાસાઈટ' (Parasite) તારીખ 31 જાન્યુઆરી, 2020ના રોજ રિલીઝ થશે. અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 1946માં આવેલી ડિરેક્ટર ચેતન આનંદની ભારતીય ફિલ્મ 'નીચા નગર'માં પણ અમીર-ગરીબ વચ્ચેના વર્ગ સંઘર્ષની વાત હતી. આ ફિલ્મને પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સુપ્રસિદ્ધ 'Palme d'Or' એવોર્ડ મળ્યો હતો.

(લેખક iamgujarat.comમાં પત્રકાર છે.)

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

આ ગૃહિણીઓ

અજ્ઞાત : હિન્દી • બકુલા ઘાસવાલા : મુક્તાનુવાદ : ગુજરાતી|Opinion - Opinion|28 January 2020

 

આ ગૃહિણીઓ પણ થોડી મણિબેન જ હોય છે!
વેલણથી રોટલીઓને ગોળાકાર આપવામાં
પોતાની જાતને આકારિત કરવાનું ભૂલી જતી હોઈ છે
આ ગૃહિણીઓ થોડી મણિબેન જ હોય છે!

કલાકો સુધી ઘરનો ખૂણેખૂણો
ચમકતો રાખવા લાગી રહેતી એ
ભીંછરા વાળને સુંવાળા કરવાનો
સમય ફાળવી શકતી નથી
આ ગૃહિણીઓ થોડી મણિબેન જ હોય છે!

સગાંવહાલાંની માંદગીમાં
આખું ઘર માથે લેતી એ
પોતાનાં જ માથાના દુખાવાને
નજરઅંદાજ કરી બધી
તકલીફોને ટાળી દેતી હોઈ છે
આ ગૃહિણીઓ થોડી મણિબેન  જ હોય છે !

લોહીપાણી એક કરીને
બધાંનાં સપનાંને સાકાર કરવાનાં હુન્નરમાં
એ પોતાની અધૂરી આકાંક્ષાઓનું
દિલમાં જ દફન  કરી દેતી હોઈ છે
આ ગૃહિણીઓ પણ થોડી મણિબેન જ હોય છે !

સૌની નજર ઉતારતી હોય છે
ત્યારે જરાતરા આમતેમ થાય તો
એ જ નજરથી ઊતરી જતી હોઈ છે
આ ગૃહિણીઓ થોડી મણિબેન જ હોય છે !

એક બંધનમાં બંધાઈને
કંઈકેટલાં સગપણમાં બંધાઈ જતાં
કંઈકેટલી આડખીલી પાર કરતી
બધાંને વહાલથી એકગાંઠ રાખતી હોય છે
આ ગૃહિણીઓ પણ થોડી મણિબેન જ હોય છે !

પિયરથી સાસરા સુધી
બધી જવાબદારી પાર પાડતી
ગઈકાલની ઢીંગલી આજે
ડાહીડમરી થઈ જતી હોઈ છે
આ ગૃહિણીઓ પણ થોડી મણિબેન જ હોય છે!

————————————————-

"ये गृहिणियाँ भी थोड़ी पागल सी होती हैं"।।
————————————————-
सलीके से आकार दे कर
रोटियों को गोल बनाती हैं
और अपने शरीर को ही
आकार देना भूल जाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं।।

ढेरों वक्त़ लगा कर घर का
हर कोना कोना चमकाती हैं
उलझी बिखरी ज़ुल्फ़ों को
ज़रा सा वक्त़ नही दे पाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती है।।

किसी के बीमार होते ही,
सारा घर सिर पर उठाती हैं
कर अनदेखा अपने दर्द
सब तकलीफ़ें टाल जाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं ।।

खून पसीना एक कर
सबके सपनों को सजाती हैं
अपनी अधूरी ख्वाहिशें सभी
दिल में दफ़न कर जाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं।।

सबकी बलाएँ लेती हैं
सबकी नज़र उतारती हैं
ज़रा सी ऊँच नीच हो तो
नज़रों से उतर ये जाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं।।
બધાંની અલાબલા માથે લઈને

एक बंधन में बाॅंध कर
कई रिश्तें साथ ले चलती हैं
कितनी भी आए मुश्किलें
प्यार से सबको रखती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं।।

मायके से सासरे तक
हर जिम्मेदारी निभाती है
कल की भोली गुड़िया रानी
आज समझदार हो जाती हैं
ये गृहिणियाँ भी…..
वक्त़ के साथ ढल जाती हैं ।।

અજ્ઞાત : હિન્દી : મુક્તાનુવાદ : ગુજરાતી 

Loading

લોકશાહીના સાત દાયકાઃ યે કહાં આ ગયે હમ યૂંહી સાથ સાથ ચલતે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 January 2020

૨૦૦ વર્ષના સામ્રાજ્યવાદ પછી માંડ મળેલી લોકશાહીને અમુક દાયકા પછી આપણે ‘ગ્રાન્ટેડ’ લેવાની શરૂઆત કરી. લોકશાહીની સમાનતા જીવવી હોય તો તેની જાગૃત સમજ સૌથી અનિવાર્ય પાસું છે.

આજે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ૧૯૫૦માં ૨૬મી જાન્યુઆરીએ આપણું બંધારણ અમલમાં મૂકાયું હતું અને ભારત સંપૂર્ણ રીતે પ્રજાસત્તાક એટલે કે ગણતંત્ર દેશ બન્યો હતો. પ્રજાના હાથમાં રાષ્ટ્રની સુકાન હોય તો લોકશાહી સલામત હોય છે. જો કે પ્રજાનો મિજાજ બદલાય તો તેને પોતાના પર લાગેલી લગામો તંગ કરવાનો શોખ થઇ જાય એમ પણ બને. બીજી ચર્ચા વિસ્તારથી બાદમાં કરીએ પણ આજના, ગણતંત્ર દિને એ જાણવું જરૂરી છે કે ડેમોક્રેસી ઇન્ડેક્સ ૨૦૧૯માં ભારતનું સ્થાન પહેલાં પચાસ રાષ્ટ્રોમાં નથી રહ્યું. આપણે લોકશાહીના આ ઇન્ડેક્સની યાદીમાં મૂકાતા ૧૬૫ રાજ્યોમાં દસ ક્રમાંક પાછળ ચાલી ગયા છે અને આપણો ક્રમાંક આ ઇન્ડેક્સમાં છેક ૫૧મો છે. નાગરિક સ્વતંત્રતામાં ઘટાડો થવાથી આપણે ત્યાં લોકશાહીનું સ્તર નીચે ઉતર્યું છે. ઇકોનોમિસ્ટે રજૂ કરેલા અહેવાલ અનુસાર નાગરિકતા સુધારા કાયદાને પગલે ભારતનો ક્રમાંક વધુ પાછળ ગયો. ૨૦૧૭ અને ૨૦૧૮માં પણ ભારતનો સ્કોર આ ઇન્ડેક્સમાં ઘટ્યો જ હતો પણ તાજેતરમાં થયેલા મોટા ફેરફારોને પગલે સ્કોર વધુ નીચે ગયો. ટૂંકમાં આજના પ્રજાસત્તાક દિને આપણે આ કડવો ઘૂંટડો ગળે ઉતારવો પડશે કે આપણા દેશમાં લોકશાહીની સ્થિતિ જેવી પહેલાં હતી તેવી નથી રહી.

ભારતમાં લોકશાહીની શરૂઆત તો બહુ તેજસ્વી હતી. આપણા યુવાન દેશે ગરીબી અને નિરક્ષરતા જેવા રાક્ષસોનો પગદંડો હોવા છતાં ય યુ.કે. અને યુ.એસ.એ. કરતાં ઘણો સારો દેખાવ કર્યો હતો. ભારતે અન્ય વિકાસશીલ દેશો સમક્ષ પોતાનાં પરિવર્તનોથી એ ઉમદા ઉદાહરણ આપ્યું હતું. એક સમયે રાજકારણ જનતાલક્ષી હતું. લોકોનું ભલું થાય, પૉપ્યુલિસ્ટ રાજકારણનો વધારો ન થાય તે રીતે રાજકારણીઓને કામ કરવામાં રસ હતો. ૨૦૦ વર્ષ સુધી સામ્રાજ્યવાદી શાસકોનો ભોગ બનેલા, દુકાળ, રોગચાળા, ગરીબી, નિરક્ષરતા અને ભાગલાની થપાટો ખાધેલા ભારત માટે મતાધિકાર બહુ મોટી બાબત હતી. દેશ પ્રજાસત્તાક થયો તે પછી કટોકટી સમયે પહેલીવાર ભારતીય લોકશાહીના પાયા હચમચી ગયા. આવનારાં વર્ષોમાં નવનિર્માણ આંદોલન, વી.પી. સિંઘની સરકાર હતી ત્યારે મંડલ કમિશન જેવા મોટા દેખાવો, વિરોધો થયા અને પછી ઘણું બધું બદલાયું. પ્રજાને કંઇક નવું જોઇતું હતું અને એ પણ થયું. આ પરિવર્તનની સાથે અત્યારે દેશમાં ઠેર ઠેરથી વિરોધનો અવાજ ઊભો થઇ રહ્યો છે. રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદ થઇ ગયો છે, હિંદુ ધર્મ અને હિંદુત્વ વચ્ચેની ભેદ રેખા વધારે ઝાંખી થઇ રહી છે અને સત્તાધીશોના વિચારથી જુદું બોલનારાઓને નિશાન બનાવનારાઓનો પાર નથી. અહીં સરકારનો વાંક કાઢવાનો ઇરાદો નથી બલકે આપણે પ્રજા તરીકે કેટલા બદલાયા છે એ જોવાની જરૂર છે કારણ કે આપણા પ્રજાસત્તાક રાષ્ટ્રમાં બધા જ પ્રકારની સરકાર આપણે કારણે જ બની છે અને ભાંગી પણ પડી છે. આખરે તો લોકશાહીમાં પ્રજા જ રાજા હોય છે અને તેને એ જ રાજા મળે છે જેને તે લાયક હોય છે. રાજકારણ સતત બદલાતું રહે છે. આપણા દેશમાં ધર્મ, જાતિ અને ભાષા આધારિત લઘુમતીની સાથે બહુવચનવાદનો પ્રભાવ રાજકારણ પર રહ્યો છે.

માણસની પ્રકૃતિ છે કે જે સરળતાથી મળ્યું હોય એને ‘ગ્રાન્ટેડ’ લેવું. આઝાદીનાં અમુક દાયકાઓ પસાર થઇ ગયા પછીની પેઢીને માટે લોકશાહી એક એવી બાબત હતી જેને ‘ગ્રાન્ટેડ’ ગણવામાં આવી. તમામને સમાન હક આપતું લોકશાહી તંત્ર ત્યારે જ સફળ થઇ શકે છે જ્યારે સમાજના તમામ સ્તરનાં લોકો તે ઘડવામાં ભાગ લે, ટૂંકમાં, રાષ્ટ્રની રાજકીય પ્રક્રિયામાં સામાન્ય માણસ પણ ભાગ લે. વિશ્વના સૌથી મોટા લોકશાહી તંત્ર ભારતમાં આ બે પગલાંની પ્રક્રિયાને બહુ ગંભીરતાથી ન લેવાતી હોવાથી તે અમુક ઉચ્ચ વર્ગનાં લોકોની ભાગીદારી સુધી જ સીમિત થઇ જાય છે. સમાજના ગરીબો વહીવટી પ્રક્રિયામાં દર પાંચ વર્ષે, ચૂંટણી ટાણે જ ભાગ લે છે અને આમ લોકશાહીની સફળતાની ભાગીદારી બધાને હિસ્સે નથી આવતી.

કમનસીબે રાજકીય પક્ષો દ્વારા ઇલેક્ટોરલ સિસ્ટમનો દુરુપયોગ તથા મૂલ્યો અને નીતિઓ સાથે સમાધાન કરનારા રાજકારણીઓની સંખ્ય વધી. રાષ્ટ્રીય હિત ખૂણામાં ધકેલાવા માંડયું. લોકશાહીની પ્રક્રિયામાં અંગત સ્વાર્થ સાથે નૈતિક અને આર્થિક ભ્રષ્ટાચાર પણ વધ્યા.

લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં જંગી બહુમતથી સત્તા પર આવેલ ભા.જ.પા. કૉન્ગ્રેસના એકધારા શાસનથી કંટાળેલી પ્રજાનો નિર્ણય છે. આઝાદી પછી કૉન્ગ્રેસને આ જ રીતે આખા રાષ્ટ્રમાં ચૂંટણીલક્ષી આધિપત્ય પ્રાપ્ત થયું હતું પણ લોકોનો વિશ્વાસ કૉન્ગ્રેસ પર પંદરેક વર્ષ ટક્યો. નેવુંના દાયકામાં ગઠબંધનની સરકાર રચવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો કારણ કે કદમાં મોટા થયેલા પ્રાદેશિક પક્ષો રાષ્ટ્રીય રાજકારણમાં આગળ વધવા પોતાનો રસ્તો કાઢવા માંડ્યા. રાષ્ટ્રીય હિત કેન્દ્રીય સ્તરે નક્કી કરીને આગળ વધવાને બદલે હવે પક્ષીય હિત પ્રાથમિકતા બન્યું. પ્રદેશવાદ અને જાતિવાદમાં વધ્યાં અને સરકાર રચવાની પ્રક્રિયા ‘સર્કસ’માં ફેરવાઇ ગઇ.

વળી આર્થિક સુધારાઓમાં મોટા ફેરફારો થયા જે નરસિંહા રાવની સરકાર દમિયાન થયા. હવે  દલિત અને અન્ય પછાત વર્ગોની ગતિ વધી અને કૉન્ગ્રેસને ચાવીરૂપ મતની ખોટ પડવા માંડી. આ સંજોગોને કારણે રાજકારણમાં જે ફાટ પડી તેમાં વાજપાઈનાં સમયે ભા.જ.પા.એ હિંદુત્વના એજન્ડાની ધજા ફરકાવી. જે ઉચ્ચ વર્ગોને કૉન્ગ્રેસ પરિવાર વાદી પક્ષ લાગતો હતો, સમાજનું એક સ્તર જે જાતે રાજકારણ સાથે જોડી નહોતું શકતું તે બધાયને હિંદુત્વનું કાર્ડ માફક આવ્યું અને રાતોરાત ભારતીય રાજકારણનાં ચહેરાની રેખાઓમાં ફરી પરિવર્તન થવા માંડ્યું.

૨૦૧૪ પછી જે રીતે આપણું રાજકારણ બદલાયું તેમાં લોકશાહી કોરાણે મુકાઇ. ઉદારમતવાદી નીતિઓ અને મોબાઇલ ક્રાંતિમાં ઉછરેલી પેઢી લોકશાહીને સમજવામાં કાચી પડી. ભા.જ.પા.એ પોતે આમૂલ પરિવર્તન આણશે અને પહેલાની સરકારે આપેલા જે વચનો પૂરાં નથી કરાયા તે બધાં પોતે પૂરાં કરશેની વાતો શરૂ કરી. સૂટબૂટની સરકારથી હવે ચા બનાવનારા સામાન્ય માણસે ઘડેલી સરકાર દેશનું ભલું કરશેનો પ્રચાર પણ મોટે પાયે કરાયો. કૉન્ગ્રેસને એલિટ ગણનારાઓ અથવા કૉન્ગ્રેસે કશું જ નથી કર્યું એમ માનનારાઓને આ પ્રચાર માફક આવ્યો. આપણી લોકશાહીમાં વિચારધારાને બદલે વ્યક્તિ પૂજા, પૉપ્યુલિસ્ટ રાજકારણની એક નવી જ ઊંચાઇ જોવા મળી. હિંદુ મુસલમાનનું રાજકારણ હવે તમે કાં તો મોદી સાથે છો અથવા તેની સામે છોના ધ્રુવીકરણમાં ખેલાવા માંડ્યુ. હિંદુત્વનું રાજકારણ સૂક્ષ્મ સ્તરે સતત ખેલાઇ રહ્યું છે. કાશ્મીરનો મુદ્દો, એન.આર.સી. અને કેબનો ખેલ જેવાં પગલાં ભા.જ.પ. સરકારે બહુ ઝડપથી લીધા. સાથે કૉન્ગ્રેસે જે નથી કર્યું એ અમે કરીએ છીએનું ગાણું પણ સતત ચાલુ રાખ્યું. મોંઘવારી, રોજગારી, માળખાકીય સવલતો જેવા પ્રશ્નો પહેલાં કરતાં વધારે સંકુલ બન્યા છે પણ વ્યક્તિ પૂજામાં ઘેલી થયેલા સમાજના પેટનું પાણી હજી તો નથી હલતું. લોકશાહીની વિશાળતા સમજવા જેટલું ડહાપણ મળે એ જરૂરી છે નહીંતર આ વખતે કટોકટીમાં કચડાઇ ગયા પછી સમજાશે કે કેટલું ગુમાવ્યું અને કેટલું મેળવ્યું.

બાય ધી વેઃ

મોદી સરકારની વાતમાં એક સૂર સતત સંભળાય છે કે અમે દેશમાં ડોહળાયેલા માહોલને સ્વચ્છ કરવા માગીએ છીએ. સ્વચ્છતા અભિયાન લોકશાહીનો સફાયો ન બની જાય તે આપણી જવાબદારી છે. લોકશાહી આપણને માત્ર મતાધિકાર નથી આપતી બલકે સમાનતા પણ આપે છે. અસમાનતા અને વૈમનસ્ય લોકશાહીના સત્વ માટે ઊધઈ સાબિત થશે. લોકશાહી રાષ્ટ્રની પ્રજા તરીકે આપણે યાદ રાખવું જ પડશે કે આપણને અંતે તો એ જ રાજા મળે છે જેને આપણે લાયક હોઇએ. લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પર નજર કરીને આપણું માનસ સંતુલિત રાખવાની જવાબદારી આપણે નહીં ઉપાડીએ તો ડેમોક્રસી ઇન્ડેક્સમાં છેલ્લા પચાસમાં ય કદાચ આપણો ક્રમાંક નહીં આવે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જાન્યુઆરી 2020 

Loading

...102030...2,5962,5972,5982,599...2,6102,6202,630...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved