Opinion Magazine
Number of visits: 9967289
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાના બે સંદેશ

રમેશ ઓઝા|Opinion - Opinion|26 March 2020

પહેલાં આખા જગતને લૂંટીને હાથ લાગે એટલું ઘરભેગું કરવા સરહદો તોડી. વૈશ્વિકતા અને ઉદારતાનું નામ આપ્યું. પછી ખુલ્લી સરહદોનો ડર લાગવા માંડ્યો એટલે રાષ્ટ્રવાદના નામે ‘અમે’ અને ‘તમે’ના ઝઘડા આદર્યા. અને આજે હવે માનવી સામે ચાલીને પોતાને ટૂંકી, નાનકડી, પોતાનો પંડ સમાય એટલી સરહદમાં પૂરી રહ્યો છે. તમને નથી લાગતું કે આ બ્રહ્માંડમાં જો ઈશ્વર ક્યાં ય હોય તો એ અટ્ટહાસ્ય કરતો હશે? તમે શું સમજો છો પોતાની જાતને? તમારાં લાખો વર્ષ એ કુદરત માટે એક પળ માત્ર છે. તમારું ક્રોધ અને દ્વેષથી ભરેલું આયખું કુદરત માટે એક પળનો લાખમો ભાગ છે. કદાચ એવું પણ હોય કે ઈશ્વર માનવીના સંકટની ખાસ નોંધ પણ ન લેતો હોય, કારણ કે માનવી ક્યાં સૃષ્ટિના કેન્દ્રમાં છે! આપણે આપણી જાતને મહત્ત્વ આપીએ છીએ, બાકી ઈશ્વર માટે તો માનવી અબજો પ્રજાતિઓમાં એક છે. હા, સૌથી વધુ અવળચંડો અને તેથી તેના પર ઈશ્વર નજર રાખતો હોય અને આજે ખડખડાટ હસતો હોય એમ બને. 

આપણે પ્રાર્થના કરીએ કે એવા દિવસો ન આવે, પણ જો એવા માઠા દિવસો આવે તો યાદ રાખજો, સગો બાપ પોતાનો જીવ બચાવવા કોરોનાથી મૃત્યુ પામેલા સગા દીકરાને ખભો આપીને સ્મશાને નહીં પહોંચાડે. એમ્બ્યુલન્સ અને હેલ્થ વર્કરોને બોલાવી લેશે. માનવપ્રાણી એટલું સ્વાર્થી છે કે એ પોતાની જાત બચાવવા પોતાનાને છોડી શકે છે અને પરાયાને વળગી શકે છે જેને સુખના દિવસોમાં તે ગાળો આપતો હતો અને પોતાને શ્રેષ્ઠ સમજતો હતો. જો જગતના લલાટમાં સંકટ લખાયું હશે તો આવું પણ બની શકે છે અને તેની શક્યતા ઠીક ઠીક પ્રમાણમાં છે.

માટે કરોનાનો પહેલો મૂળભૂત દાર્શનિક સંદેશ એ છે કે માનવી સામર્થ્યહિન છે. કુદરત જો લાંબો અને ઊંડો શ્વાસ લે તો પણ સૃષ્ટિ તળેઉપર થઈ શકે તો કુદરતની લાત તો બહુ દૂરની વાત છે. માટે માણસે માણસ તરીકે જીવવું જોઈએ. દરેક અર્થમાં. ભેગું કરવામાં, ભોગવવામાં, આંચકી લેવામાં, સ્વાર્થજનિત પ્રેમ અને દ્વેષ કરવામાં, દીવાલો રચવામાં અને તોડવામાં, ઇતિહાસ અને વર્તમાનનો વિવેક કરવામાં એમ દરેક રીતે. તમે જે તમારી મનભાવન દુનિયા રચી છે એ કુદરતની દુનિયાના કેન્દ્રમાં નથી, એ હાંસિયામાં ક્યાં ય કોઈ જગ્યાએ હોય તો હોય.

હવે બીજો સંદેશ વ્યવહાર જગતનો. એમ કહેવાય છે કે માનવસભ્યતાના ઇતિહાસમાં જ્યારે પણ ઝડપી, નિર્ણાયક અને સાર્વગ્રાહી પરિવર્તનો આવ્યાં છે ત્યારે માનવીએ તેની સાથે તાલમેલની સમસ્યા અનુભવી છે. પરિવર્તનો તો બાહ્ય ભૌતિક હોય છે અને તાલમેલ માનસિક હોય છે. ચિત્ત પરિવર્તનની દિશામાં એટલી ઝડપ નથી ધરાવતું જેટલું ભૌતિક જગત ધરાવે છે. આને કારણે તાલમેલની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ પછી અને તેમાં પણ પહેલી ઔદ્યોગિક ક્રાંતિ પછી તાલમેલની સમસ્યા વિકાસના દરેક વળાંક પર જોવા મળી છે. જાતિનિકંદનો, યુદ્ધો, વર્ગવિગ્રહો, પ્લેગથી લઈને કરોના સુધીના ઉપદ્રવો, ઇવન ત્રાસવાદ વગેરે તાલમેલમાં જોવા મળતી વિસંગતિઓનું પરિણામ છે.

૧૯૯૦ના દાયકામાં સામ્યવાદનું પતન થયું અને જગત ક્યારે ય જોયું નહોતું, અનુભવ્યું નહોતું એટલા પ્રમાણમાં નજીક આવી ગયું. સરહદો ખુલ્લી ગઈ. ઈરાદો ઝડપી વિકાસનો હતો અને તેણે સૌથી મોટો ભોગ શાસનનો અર્થાત્ રાજ્યનો લીધો. ઓછામાં ઓછું શાસન એ શ્રેષ્ઠ શાસન એવી ફિલસૂફી ફેશનમાં આવી. રાજ્યે કાયદો અને વ્યવસ્થા અને સરહદો સિવાયની બધી જવાબદારી છોડી દેવી જોઈએ એવી સલાહો આપવામાં આવતી થઈ. એક પછી એક ક્ષેત્રોમાં ખાનગીકરણ થવા લાગ્યું. આરોગ્ય, શિક્ષણ, ટ્રાન્સપોર્ટ, તાર-ટપાલ વગેરે લોકકલ્યાણનાં ક્ષેત્રો ગણાતાં હતાં અને માટે રાજ્યો કલ્યાણરાજ્યો કહેવાતાં હતાં. આજે કલ્યાણરાજ્ય ભૂતકાળની વાત બની ગઈ છે. ભારતનો જી.ડી.પી. જો આજે પાંચ ટકા હોય તો એમાં ત્રણ ટકાનો હિસ્સો તો આવી સેવાઓનો છે જેનું વ્યવસાયીકરણ કરવામાં આવ્યું છે. સેવાને વેપારમાં ફેરવી, તેને વિકાસ તરીકે ઓળખાવવામાં આવ્યો અને વિકાસદરમાં વધારો કર્યો. આ સિવાય કુદરતી સંપત્તિનું પણ ખાનગીકરણ કરવામાં આવ્યું. પાણી સુદ્ધાં. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. 

આજે અચાનક પ્રજાને શાસન અને શાસકની જરૂર વર્તાવા લાગી છે અને શાસક અને શાસનને તેની અસમર્થતાનું ભાન થવા લાગ્યું છે. માત્ર ભારતમાં નહીં, આખા જગતમાં. વડા પ્રધાને મંગળવારે તેમના રાષ્ટ્રજોગા પ્રવચનમાં લોકોને ધીરજ રાખવાની, બને ત્યાં સુધી ઘરે રહેવાની વગેરે પ્રકારની સાવધાનીની સલાહ આપી છે; પણ તેમણે એવી બાંયધરી આપી છે કે દેશનો એક પણ નાગરિક વૈદકીય સારવાર વિના વંચિત નહીં રહે? શું એ સરકારનો ધર્મ નથી? ધર્મ તો છે, પણ કરે કેવી રીતે? જેનાથી હું પરિચિત છું એ મુંબઈ શહેરની વાત કરીએ તો મુંબઈ મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ દાયકામાં હોસ્પિટલ અને આરોગ્યકેન્દ્રો માટે અનામત રાખવામાં આવેલાં લગભગ બધા જ પ્લોટ્સ કાં તો અનામતમુક્ત કરીને બિલ્ડરોને વેચી નાખ્યા છે અથવા ખાનગી માલિકોને હોસ્પિટલો બાંધીને ધંધો કરવા આપી દીધા છે. આજે સરકારી હોસ્પિટલોમાં કરોનાના શકમંદ દર્દીઓની ટેસ્ટ કરાવવા માટે હજારોની સંખ્યામાં લાઈન લાગી રહી છે અને ખાનગી હોસ્પિટલોના માલિકો કરોનાના દર્દીઓ માટે દસ ખાટલા, વીસ ખાટલાની કે પચાસ ખાટલાની ખેરાત કરી રહ્યા છે.

જો સંકટ ઘેરાયું અને પરિસ્થિતિ વણસી તો સરકારની તાકાત નથી કે તે તેનો મુકાબલો કરી શકે. લોકો પણ આ જાણે છે અને માટે ડરેલા છે. ભારત સહિત જગત આખામાં શાસકો લાચાર છે એટલે શાસકો આપણે કેટલા મહાનના હાલરડાં ગાઈને લોકોને ઊંઘાડી રાખે છે અને જો જાગી જાય તો આપસમાં લડાવે છે. પણ હવે કોઈ દેશભક્તિ અને રાષ્ટ્રવાદ કામમાં આવે એમ નથી. આમ અચાનક જગતને સંકટમાં નિર્ણાયક હસ્તક્ષેપ કરી શકે એવા રાજ્યની, શાસનની અને શાસકોની જરૂર વર્તાઈ રહી છે; પણ એ તો માત્ર નામના છે. ફ્રાન્સના નાણા પ્રધાને કહ્યું છે કે જો સંકટનો અંત નહીં આવે અને ઇકોનોમિક લોક ડાઉન ચાલુ રહ્યું તો ખાનગી ઉદ્યોગ ટકી નહીં શકે અને તેનું રાષ્ટ્રીયકરન કરવું પડશે. જોયું, ખાનગીકરણની જગ્યાએ રાષ્ટ્રીયકરણની વાત થવા લાગી છે.

તો કરોનાએ આપણને અને જગતભરના શાસકોને સામર્થ્યહીનતાનો પાઠ ભણાવ્યો છે એ બહુ મોટો પાઠ છે. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 26  માર્ચ 2020

Loading

આ કોરોના-કાળમાં …

સુમન શાહ|Opinion - Opinion|26 March 2020

ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝની જગવિખ્યાત નવલકથા ‘વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યૂડ’ મને ખૂબ જ ખૂબ, ખૂબ જ ખૂબ, ગમતી, મારી પ્રિય નવલકથા છે. એ વિશે મેં એક દીર્ઘ અને બીજાં બે ટૂંકાં વ્યાખ્યાનો આપ્યાં છે. લેખ કરવાનું રહી ગયું છે.

આજે આપણે સૌ કોરોનાને કારણે ફરજ્યાતપણે એકાન્તવાસી થયાં છીએ. ચોપાસ મૃત્યુના સમાચારો અને તેને વિશેની ભીતિ સમસમે છે. એકાન્ત આપણને પ્રકાર પ્રકારે પીડી રહ્યું છે. આ નવલકથામાં એકલતા / એકાન્તનાં ૧૦૦ વર્ષની વાત છે. બધી વાત નથી કરવા માગતો. પણ એમાંનાં કેટલાંક અવતરણો – જે સર્વત્ર સુલભ છે – એમાંથી થોડાંક અહીં ભાવાનુવાદ રૂપે મૂકું છું.

સૅલ્ફ આયસોલેશનના આ દિવસોમાં – જાતે સ્વીકારેલા અલગાવના આ દિવસોમાં – આજે આપણને પ્રેમ હૂંફ વગેરે હૃદયના ભાવોની ખૂબ જ જરૂર પડી છે. અવતરણો મેં એ અંગેનાં પસંદ કર્યાં છે :

૧ : મજાના બૂઢાપાનું રહસ્ય શું? બસ, એકલતા સાથે મીઠી મહોબત.

૨ : માણસનો ઉત્તમ મિત્ર એ, જે થોડી વાર પહેલાં મૃત્યુ પામ્યો.

૩ : તું અને હું આ ક્ષણે જીવીએ છીએ, પ્રિયે, એથી મોટી મારે કઈ ખાતરી જોઈએ …

૪ : કશુંક તો પ્રેમ કરવા જેવું હંમેશાં બચ્યું હોય છે.

૫ : પેલી પોતાને પ્રેમ કરે એની લ્હાયમાં ને લ્હાયમાં એણે પેલીની લાગણીઓને એટલે તો ઊઁડે લગી ખોદી નાખી કે પ્રેમ જ ખતમ થઈ ગયો.

૬ : તેઓ જ્યાં પણ હશે એમને હંમેશાં યાદ આવશે – કે ભૂતકાળ એક જૂઠાણું હતો – કે યાદોનું કંઈયે નીપજતું નથી – કે ગઈ તે વસન્ત પાછી નથી આવતી – અને એમ કે પાગલ પાક્કો પ્રેમ જ છેવટનું ભંગુર પણ સત્ય હતું.

૭ : એને મૉતની નહીં પણ જિન્દગીની પડી’તી એટલે પેલાઓએ જ્યારે નિર્ણય જણાવ્યો ત્યારે એ ડર્યો નહીં, અતીતની યાદે ઢીલો થઈ ગયો.

૮ : ખાલીખમ વિશ્વમાં એ બન્ને તરતાં રહ્યાં – જ્યાં રોજિંદી અને કાયમી વાસ્તવિકતા એકમાત્ર પ્રેમ છે.

૯ : એ ખરેખર મૃત્યુમાં સરકી ગયેલો, પણ પાછો આવ્યો, કેમ કે એકલતા એનાથી વેઠાઈ નહીં.

૧૦ : નિ:સન્તાન હોવાની લમણાંફોડ સાથે બન્નેએ વરસો લગી ગાંડાંની જેમ પ્રેમ કરેલો. એકમેકને જીવવાનો ચમત્કાર એ કે ઘડીમાં બન્ને ટેબલ પર, તો ઘડીમાં પલંગમાં; એવાં સુખી કે ઘરડાંઠચ થયાં તો પણ નાનાં બાળકોની જેમ ખીલ્યાં ને બોલો, બે શ્વાન ખેલે એમ ખેલતાં’તાં !

= = =

(March 26, 2020 : Ahmedabad)

Loading

કમળાબહેન પટેલે જ્યારે ભારત-પાકના ભાગલા વચ્ચે હજારો સ્ત્રીઓને બચાવી

પાર્થ પંડ્યા|Opinion - Opinion|26 March 2020

1947ના ઑગસ્ટ મહિનામાં આઝાદીની ઉજવણી ચાલતી હતી, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લોકોની સાથે લાશોથી ભરેલી રેલગાડીઓ અવરજવર કરતી હતી. દેશના કેટલા ય પ્રાંતોમાં લોકો અન્ય ધર્મના લોકોની કતલ કરતા હતા.

આ બધા વચ્ચે હજારો મહિલાઓનાં અપહરણ થયાં. ઉર્વશી બુટાલિયા તેમનાં પુસ્તક 'ધ અધર સાઇડ ઑફ સાયલન્સ’માં લખે છે કે સરહદની બંને બાજુએથી ૭૫ હજાર મહિલાઓનાં અપહરણ થયાં હતાં.

હિંદુ અને શીખ ઘરોમાં કેદ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ ઘરોમાં કેદ હિંદુ અને શીખ મહિલાઓને બચાવવાનું કામ એક ગુજરાતી મહિલા કમળાબહેન પટેલે કર્યું હતું.

નવ હજારથી વધારે મહિલાઓને બચાવીને ભારત લવાઈ હતી, જ્યારે ભારતના પ્રાંતોમાંથી 20 હજાર જેટલી મહિલાઓને બચાવીને પાકિસ્તાન મોકલવામાં આવી હતી.

કમળાબહેન પટેલના આ પ્રદાન વિશે ઇતિહાસમાં ખૂબ ઓછી વિગતો મળે છે.

કોણ હતાં કમળાબહેન પટેલ અને કઈ રીતે તેમણે હજારો મહિલાઓને બચાવી?

મૃદુલા સારાભાઈ અને કમળા પટેલ

મહિલાઓને પાછી લાવવાની કામગીરી 1947ના અંતથી થી 1953 સુધી ચાલી, આ આખી કામગીરી ગુજરાતનાં કમળાબહેન પટેલ અને મૃદુલાબહેન સારાભાઈના નેતૃત્વમાં થઈ હતી.

કમળાબહેન પટેલે ત્યારે કરેલી કામગીરીના આધારે 'મૂળ સોતાં ઊખડેલાં' પુસ્તક પણ લખ્યું હતું. આ પુસ્તક તેમણે 1979માં લખવાનું શરૂ કર્યું.

તેમણે બાળપણમાં અસહકારના આંદોલનમાં જોડાવવા માટે શાળાનો અભ્યાસ છોડ્યો હતો.

ત્યારબાદ તેઓ વર્ષ 1925થી 1929 સુધી સાબરમતી આશ્રમમાં રહ્યાં હતાં. એવો ઉલ્લેખ 'રાષ્ટ્રીય આંદોલનમાં ગુજરાતની મહિલાઓનું યોગદાન' પુસ્તકમાં રફીકા સુલતાને કર્યો છે.

સાબરમતી આશ્રમ સ્મારક ટ્રસ્ટના સેક્રેટરી અમૃતભાઈ મોદી કહે છે, "કમળાબહેન 1925માં અહીં આશ્રમમાં આવ્યાં હતાં અને દાંડીકૂચ માટે ગાંધીજી રવાના થયા, ત્યારબાદ તેઓ મુંબઈ સ્થાયી થયાં હતાં."

"ભાગલા વખતે સરહદ પર અનેક સ્ત્રીઓને બચાવી લેવામાં એમનું યોગદાન હતું. હિંમતપૂર્વક તેમણે આ કામ કરી બતાવ્યું હતું."

"એ વખતનાં સંસ્મરણો તેમના પુસ્તકમાં છે. તેઓ મુંબઈ હતાં એ વખતે મહિલાઓના ઉદ્ધારણ માટે વિવિધ સંસ્થાઓ સાથે કાર્યરત હતાં."

સ્ત્રીઓને તેમના સ્વજનો સાથે મેળવવાની કામગીરી માટે જ્યારે કમળાબહેનની પસંદગી કરાઈ, ત્યારે તેમની વય 35 વર્ષ હતી.

એ વખતની ભયાનક સ્થિતિમાં કમળાબહેને કઈ રીતે કામ કર્યું, તેનો અંદાજ તેમના પુસ્તક 'મૂળ સોતાં ઊખડેલાં'માંથી કેટલાક પ્રસંગોના આધારે મેળવી શકાય.

આખા ગામની મહિલાઓ રેપથી બચવા કૂવામાં કૂદી

એ ગાળામાં જ્યારે બંને દેશો વચ્ચે નાગરિકોની હિજરત થઈ, ત્યારે સૌથી વધારે અત્યાચારનો ભોગ મહિલાઓ બની, તેમનું શારીરિક અને માનસિક રીતે શોષણ થયું.

હજારો સ્ત્રીઓ પર બળાત્કાર થયા અને એનાથી પણ વધારે મહિલાઓનાં અપહરણ થયાં. એક ધર્મના લોકો પરધર્મની મમહિલાઓને પાછી લાવવાની કામગીરી 1947ના અંતથી થી 1953 સુધી ચાલી, આ આખી કામગીરી ગુજરાતનાં કમળાબહેન પટેલ અને મૃદુલાબહેન સારાભાઈના નેતૃત્વમાં થઈ હતી.

પંજાબના મિયાવલીમાં બળાત્કારથી બચવા માટે આખા ગામની મહિલાઓ કૂવામાં કૂદી ગઈ હતી.

આ ગામમાં જ્યારે કમળાબહેન છાવણીની ગોઠવણ કરવા ગયાં, ત્યારે તેમણે આ કૂવો જોયો હતો. આ કૂવો સ્ત્રીઓના મૃતદેહોથી ભરાઈ ગયો હતો.

આ સ્થિતિમાં કમળાબહેને અપહૃત સ્ત્રીઓને પાછી મેળવીને તેમને તેમના ઘરે મોકલવાની કામગીરી હાથે લીધી હતી. આ કામગીરી સરળ નહોતી.

ભેટ સ્વરૂપે સ્ત્રીઓ અપાતી હતી

કમળાબહેન પુસ્તકમાં લખે છે કે, તોફાનો દરમિયાન અપહરણ કરાયેલી સ્ત્રીઓને અનેક વાર વેચી દેવામાં આવતી હતી.

કેટલીક સ્ત્રીઓને તો સંબંધીઓ અને મિત્રોને ભેટ તરીકે મોકલી આપવામાં આવતી હતી.

ચાર-છના હાથમાંથી પસાર થયા પછી છેવટે આવી સ્ત્રીઓ પૈકી કેટલીક કોઈને ત્યાં સ્થિર થતી, તો કેટલીક રસ્તા પર ફેંકાઈ જતી હતી.

આવી સ્ત્રીઓને શોધીને છાવણીમાં લાવવાનું પ્રાથમિક કામ કમળાબહેનના ભાગે હતું, પણ ક્યારેક એવું પણ થતું કે છાવણીમાં લાવતી વખતે જ તેમની ઉપર બળાત્કાર થયો હોય.

આવી એક ઘટના કમળાબહેનના ધ્યાને આવી ત્યારબાદ નિર્ણય લેવાયો કે સ્ત્રીઓને છાવણી સુધી લવાય, ત્યારે તેમની સાથે એક મહિલા કાર્યકરની હાજરી હોવી જ જોઈએ.

'ઇસકે બદલે પાકિસ્તાન સે આઈ કોઈ ઔરત દે દો'

અપહરણ કરેલી મહિલા જો મુસ્લિમ હોય તો તેમના હાથ પર હિંદુ પુરુષો 'ઓમ'નું છૂંદણું કરાવી દેતા. એ જ રીતે મુસ્લિમ પુરુષો હિંદુ સ્ત્રીઓના હાથ પર મુસ્લિમ નામ છૂંદાવી દેતા હતા.

જ્યારે કમળાબહેન કે તેમના કાર્યકરો કોઈ ઘરમાંથી મહિલાને મુક્ત કરાવી લઈ આવતા, ત્યારે પુરુષો આવીને ઝઘડો કરતા હતા.

કમળાબહેન લખે છે કે પૂર્વ પંજાબના હિંદુ અને શીખ ઘરોમાં મુસ્લિમ સ્ત્રીઓને છોડાવીને છાવણીમાં લઈ આવીએ, ત્યારે અપહરણ કરનાર પુરુષો કાર્યાલયમાં આવી પહોંચે.

મારા ટેબલ આગળ ધસી આવે અને કહે, "હા, એ પહેલાં મુસલમાન હતી, પણ અમૃત છાંટીને હિંદુ બનાવ્યા પછી રીતસરની શાદી કરી છે."

આ જ પુરુષો પછી કમળાબહેનને કહેતા, "આપ હમ કો યહ ઔરત નહીં દે સકતે, લેકિન હમને સુના હૈ કી પાકિસ્તાન સે બહોત હિંદુ ઔરતે આઈ હૈ. ઉસમે સે હી એક દે દો."

આ ઘટનાથી પુરુષોની સ્ત્રીઓ પ્રત્યેની દૃષ્ટિનો ખ્યાલ આવે છે. આ પ્રકારનો દૃષ્ટિકોણ દરેક ધર્મના પુરુષોમાં જોવા મળ્યાના કિસ્સા પણ કમળાબહેને નોંધ્યા છે.

સ્ત્રી બાળકોના રૂપમાં માનવ કંકાલ

જ્યારે મુક્ત કરાયેલાં સ્ત્રીઓ અને બાળકો છાવણીમાં આવતાં, ત્યારે તેમની માનસિક અને શારીરિક સ્થિતિ ખૂબ ખરાબ હતી.

આ સ્ત્રીઓ અને બાળકો સાથે આત્મીયતા કેળવીને તેમને આઘાતમાંથી બહાર કાઢવાનું કામ પણ કમળાબહેને જાતે સ્વીકારી લીધું હતું.

કાશ્મીર પાસેના ગુજરાત જિલ્લામાં જ્યારે હિંસા થઈ, ત્યારે કૂજા છાવણીથી સ્ત્રીઓ અને બાળકોને લાહોર લાવ્યાં.

છાવણી બહાર ટ્રકમાંથી સ્ત્રી-બાળકોના રૂપમાં માનવ કંકાલો ઊતરતાં હોય એવું દ્રશ્ય હતું.

કમળાબહેન લખે છે, "છેલ્લી ટ્રકમાંથી એક બાઈ રડતી લથડિયાં ખાતી ઊતરી. એના હાથમાં છેલ્લા શ્વાસ લેતું તેનું બાળક હતું. આ બાળકને લઈને તે દરવાજામાં પ્રવેશી તે વખતે જ બાળકનું પ્રાણ પંખેરું ઊડી ગયું."

અઠવાડિયા સુધી આ બાળકો છાવણીમાં રહ્યાં, જ્યારે તેમને ટ્રકમાં બેસાડીને જલંધર મોકલ્યાં, ત્યારે તેઓ જીવંત માનવીઓ જેવાં લાગતાં હતાં.

અપરિણીત સ્ત્રીઓ 'વૉર બેબી'ની માતા બની

જ્યારે જ્યારે યુદ્ધની સ્થિતિ થઈ છે, ત્યારે ત્યારે સ્ત્રીઓ પર અત્યાચારના કિસ્સા બહાર આવ્યા છે.

આ અત્યાચારના કારણે અનેક સ્ત્રીઓ માતા બનતી અને તેમનું બાળક 'યુદ્ધનું બાળક' (વૉર બેબી) કહેવાતું હતું.

એવા અનેક 'વૉર બેબી'નો જન્મ વિભાજન પછીની હિંસા વખતે થયો હતો. કેટલીય સ્ત્રીઓ તો એવી હતી કે જે અપરણિત હોય અને માતા બની ગઈ હોય.

આ સ્ત્રીઓની સ્થિતિ વિકટ હતી, તેઓ પોતાનાં બાળકને છાતીએથી અલગ કરી શકતી ન હતી, બીજી તરફ જો બાળક સાથે રાખે તો પરિવાર તેમનો સ્વીકાર ન કરે.

આ પ્રકારના બાળકોનું શું કરવું તેમને ભારતના નાગરિક ગણવા કે પાકિસ્તાનના આ અંગે અફસરો વચ્ચેની બેઠકમાં વિવાદ થતા, ત્યારે કમળાબહેન ભાવુક થઈ જતાં.

કેટલીક વખત અફસરો સાથે આ માટે ઝઘડતાં પણ હતાં.

કમળાબહેન લખે છે, "કુંવારી માનું મન બાળકને અલગ કરવા માને નહીં. રડી રડીને આંખો સુઝાડી દે અને છાવણીમાં રહે ત્યાં સુધી બાળકને જરાય અળગું ન કરે.”

“બાપ કે ભાઈને સાથે જવાનો સમય આવે ત્યારે મા બાળકને છાતીએ ચાંપીને મોકળા મને રડી લે, કેમ કે પછી તો ખુલ્લા મને રડી પણ ન શકે.”

"વધુમાં તેમના માટે એક બાળકની મા બની ગઈ છે એ વાત તેના માટે ભૂલ્યા વિના છૂટકો ન હતો."

સરહદપારના પ્રેમીઓનો મિલાપ

તોફાનગ્રસ્ત વિસ્તારોમાંથી ભાગી છૂટવા માટે હિંદુ અને મુસલમાનોએ પોતાની સલામતી માટે ઘરની સ્ત્રીઓની કિંમત ચૂકવી હતી.

એવામાં ઘરની વિધવા વહુને સોંપી દઈને પરિવારજનોએ જીવ બચાવ્યો હોય એવા પણ કિસ્સા નોંધાયા હતા.

આવી જ એક વિધવા સ્ત્રી પ્રેમાને રાવળપિંડીનું ગર્ભશ્રીમંત કુટુંબ છોડીને જતું રહ્યું હતું. આ સ્ત્રીને પાકિસ્તાનના લશ્કરના કૅપ્ટન તુફેલ સાથે મિત્રતા થઈ હતી. તેઓ અવારનવાર છાવણીની મુલાકાતે આવતા હતા.

જો કે, સત્તાવાળાઓ ઇચ્છતા નહોતા કે તુફેલ હિંદુ સ્ત્રી સાથે લગ્ન કરે. પ્રેમા મદદ માગવા ગઈ પણ એક જીપ તેમના મકાને આવી અને તેમને લઈને લાહોર છાવણીમાં મૂકી ગઈ. પછી અનેક પ્રયાસો છતાં એ બન્ને એક ન થઈ શક્યાં.

આવી જ કહાણી ઇસ્મત અને જીતુની છે. બન્નેના પરિવારોના વર્ષો જૂના સંબંધ હતા, પણ બન્ને અલગ ધર્મનાં હોવાથી વિભાજન વચ્ચે છૂટા પડવાનો વારો આવ્યો.

ઇસ્મત ઘરેથી નાસી છૂટી અને સુવર્ણ મંદિરમાં જીતુ સાથે લગ્ન કર્યાં, પણ છેવટે ઇસ્મતનો પરિવાર તેમને પરત લઈ જવામાં સફળ થયો.

આવાં કેટલા ય પ્રેમીઓ કમળાબહેન પાસે આવ્યા હશે. કેટલાક પ્રેમીઓનું મિલન તેઓ કરવી શક્યા તો કેટલાકની પ્રેમ કહાણી ટ્રૅજેડીમાં પરિણમી હતી.

હકીકતમાં વિભાજન જાતે જ એક ટ્રૅજેડી હતી.

આલુ દસ્તુર 'મૂળ સોતાં ઊખડેલાં' પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે, "ભાગલાના પરિણામે જાગેલી ભયંકર અવસ્થાનો સહેજ પણ અનુભવ થયો ન હોય એવી એક પેઢી પણ આજે મોટી થઈ ગઈ છે."

"ભાગલાના દેખાતા ઘા રુઝાઈ ગયા છે અને તેનાં ચાઠાં પણ હવે ઝાંખા થવાં લાગ્યાં છે, પરંતુ જેમણે માણસની સામે માણસે અને સ્ત્રીની સામે પુરુષે આચરેલી ક્રૂરતા જોઈ હતી અથવા અનુભવી હતી તે તેને કદી પણ વિસારે પાડી શકશે નહીં.”

“તેમના હૃદય અને મન બંધ થઈ ગયાં છે અને તેમને થયેલા આ ભયંકર અનુભવો તેમની જાગ્રત અવસ્થામાં ભૂતની માફક તેમનો પીછો છોડતા નથી."

એટલે જ કમળાબહેન આ ઘટના બાદ બે દસકા સુધી આ વિશે લખવા તૈયાર ન નહોતાં થયાં. છેવટે સમય જતા તેઓ આ વિશે લખી શક્યાં.

શરૂમાં રામેશ્વરી નહેરુને કમળાબહેન પટેલની નાની વય જોઈને તેમને મોકલવાં અયોગ્ય લાગતું હતું.

પણ કમળાબહેન નવ હજારથી વધારે સ્ત્રીઓ તથા બાળકોને પરત ભારત લાવી શક્યાં અને એ જ રીતે 20 હજાર જેટલી મહિલાઓને બચાવીને પાકિસ્તાન મોકલી શક્યાં હતાં.

આ ઉપરાંત વિભાજન વખતની જે ઘટનાઓ ઇતિહાસમાં નથી લખાઈ તેને તેઓ ગ્રંથસ્થ કરી શક્યાં.

સૌજન્ય : બી.બી.સી. ગુજરાતી; 16 ઑગસ્ટ 2018

https://www.google.com/amp/s/www.bbc.com/gujarati/amp/india-45179169 

Loading

...102030...2,6192,6202,6212,622...2,6302,6402,650...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved