Opinion Magazine
Number of visits: 9966360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક પ્રશ્ન, પ્રશ્ન ઉઠાવવા વિશે

ગણેશ દેવી|Opinion - Opinion|7 July 2020

લોકતંત્ર એ માત્ર એક પ્રકારની રાજ્યવ્યવસ્થા ‘હોવા’ વિષેની વાત નથી – માત્ર રાષ્ટ્રની કઈ રીતે ગોઠવણ કરવી તેટલું જ નથી. તેમાં રાષ્ટ્ર જેમનાથી બનેલું છે તેમને પ્રત્યે સતત સમાવેશી અને જવાબદાર ‘બનવાની’ પણ વાત છે. લોકતંત્રની જીવંતતાનો એક અગત્યનો માપદંડ એ છે કે તેમાં સમાચાર માધ્યમોને કેટલું સ્વાતંત્ર્ય મળે છે. જીવન માટે જેમ પ્રાણવાયુ આવશ્યક છે, તેમ મીડિયા માટે સ્વાતંત્ર્ય. આમ તો અખબારી જગત રાજ્ય(સ્ટેટ)નું અંગ નથી, પણ પ્રાણવાયુ વિના જેમ શરીર નિર્જીવ થઈ જાય તેવું જ સ્વતંત્ર મીડિયાનું છે. તાજેતરના બે અહેવાલો દર્શાવે છે કે ભારતમાં સમાચાર માધ્યમો માંડમાંડ શ્વાસ લઈ રહ્યાં છે.

‘રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ’ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાના વાર્ષિક અભ્યાસ ‘પ્રેસ ફ્રીડમ રિપોર્ટ’માં ભારત 2020માં 180 દેશોમાંથી 142મા સ્થાને છે (2019માં તે 140મા ક્રમે હતું). આ સંસ્થાએ નોંધ્યું છે કે, “દુનિયાભરમાં પત્રકારો પરત્વે આક્રમક વલણ અને ઘૃણા સુધ્ધાં વધી રહી હોવાથી કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે.” બોલ્સોનારોના શાસન હેઠળના બ્રાઝિલને 102 અને ટ્રમ્પ-શાસિત અમેરિકાને 45મા ક્રમે મૂકીને આ અહેવાલ કહે છે કે “આ બે નેતાઓ મીડિયાને બદનામ કરતા આવ્યા છે અને પત્રકારો પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન આપતા રહ્યા છે.” એ રિપોર્ટમાં મીડિયાની વૈશ્વિક સ્થિતિનો ચિતાર મળે છે, જ્યારે ગીતા સેશુ અને ઉર્વિક સરકાર લિખિત ‘ગૅટિંગ અવે વિથ મર્ડર’માં ભારતની વાત છે. તેઓ નોંધે છે કે 2019માં પત્રકારો પર 36 વાર હુમલા થયા હતા, જ્યારે 2014થી 2019 સુધીમાં એવી કુલ 198 ઘટનાઓ બની હતી. પાંચમાંથી એક હુમલામાં હત્યા પણ થઈ હતી. આવી ઘટનાઓ વધી રહી છે તે ચિંતાની વાત છે. લગભગ દરેક કિસ્સામાં ગુનેગારને સજા થઈ નથી. મોટા ભાગના કિસ્સા તો એફ.આઈ.આર.ના તબક્કાથી આગળ જ વધ્યા નથી અને જૂજ કેસ અદાલત સુધી પહોંચ્યા છે. આ અહેવાલ અનુસાર, હુમલાખોરોમાં “સરકારી સંસ્થાઓ, સુરક્ષા દળો, રાજકીય પક્ષોના સભ્યો, ધાર્મિક સંપ્રદાયો, વિદ્યાર્થીજૂથો, ગુનેગારોની ટુકડીઓ અને સ્થાનિક માફિયા”નો સમાવેશ થાય છે.

પત્રકારત્વ હવે આવો જોખમી વ્યવસાય બની ગયો છે. જોખમો વિવિધ પ્રકારનાં છે : હિંસક હુમલા, ધમકીઓ, સોશિયલ મીડિયામાં અત્યંત અભદ્ર ભાષામાં ટ્રોલિંગ, માનસિક પરિતાપ અને પૂરતી કાનૂની રાહતનો અભાવ. આવી પરિસ્થિતિમાં શું આપણો દેશ એવી અપેક્ષા રાખી શકે કે મીડિયા જ્યારે જે કહેવાનું હોય તે કહી બતાવે? બંધારણ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને મૂળભૂત અધિકાર માને છે, પણ તેના પર ‘યથાયોગ્ય મર્યાદાઓ’ છે અને સત્તાધીશો માટે ‘યથાયોગ્ય’ના અર્થઘટનમાં ઘણી મોકળાશ રહે છે. સત્તાપક્ષને પ્રતિકૂળ જણાય એવાં અખબારી ગૃહો, પત્રકારો, વ્યંગચિત્રકારો, લેખકો, ફિલ્મકારો, નાટ્યકારો, કલાકારો, પ્રકાશકો અને માહિતી અધિકારના કર્મશીલોને દબાવવા માટે ત્રાસવાદવિરોધી કાયદો ‘પોટા’, ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટેનો કાયદો યુ.એ.પી.એ. અને સદીપુરાણો સત્તાવાર માહિતીને ખાનગી રાખવાનો કાયદો ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ તો છે જ, એ ઉપરાંત પણ નવાં નિયમનો આવ્યાં છે. આમ તો કાયદો પત્રકારત્વના સ્વાતંત્ર્યની તરફેણમાં હોવો જોઈએ, પણ એનો ઉપયોગ પત્રકારને ચૂપ કરવા માટે વધુ થાય છે. એટલું ઓછું હોય તેમ, કાનૂન બહારનાં, બીજાં પણ કારસ્તાનો અખત્યાર કરવામાં આવે છે. પૂછો, દાખલા તરીકે, આનંદ તેલતુંબડેને કે ગૌતમ નવલખાને. આદર્શ લોકતંત્રમાં તો તેમને તેમનાં લખાણની હિમ્મત અને ઊંડાણ માટે પુલિટ્ઝર જેવું કોઈ પારિતોષિક મળ્યું હોત. તેના બદલે તેમને મળ્યું શું? તો રાષ્ટ્રીય તપાસ સંસ્થા(એન.આઈ.એ.)ના હાથે ધરપકડ થવા મળ્યું.

લેખકો અને સત્તા સમક્ષ પ્રશ્ન ઊઠાવનારાઓને બંધારણીય અને કાનૂની રક્ષણ મળે એવું આપણે ઈચ્છતા, જો ઈચ્છાઓને પાંખો ફૂટતી હોત તો! પરંતુ ઈચ્છાના ઘોડા જમીન પર આવી જાય છે જ્યારે આપણે ગુનાની તપાસ અને કાનૂની પ્રક્રિયામાં સમજ બહારનો વિલંબ થતો જોઈએ છીએ. 2016માં ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના પત્રકાર રાજદેવ રંજનની બિહારમાં હત્યા થઈ એનાં ચાર વર્ષ પછી પણ તેમની વિધવા સી.બી.આઇ.ની અદાલતોનાં ચક્કર કાપ્યા કરે છે. એક અદાલતની કર્મચારી મહિલાએ એક ન્યાયમૂર્તિ સામે જાતીય શોષણના આક્ષેપો કર્યા, તે પછી તે જ ન્યાયમૂર્તિએ આ કેસ હાથ પર લીધો અને કર્મચારીને નોકરીમાંથી છૂટાં કર્યાં, એ કિસ્સો તો હજુ તાજો જ છે. જે કોઈ પ્રશ્ન ઊઠાવે તેને ચૂપ કરી દેવાનું વલણ ‘ન્યૂ નોર્મલ’ થઈ રહ્યું લાગે છે.

જૂન મહિનામાં ‘સ્ક્રોલ’ વેબસાઈટનાં પત્રકાર સુપ્રિયા શર્માએ અનાજ પુરવઠામાં તંગી વિશે અહેવાલ લખ્યો, તે પત્રકારત્વની દૃષ્ટિએ રાબેતા મુજબનો જ અહેવાલ હતો, પણ ઉત્તર પ્રદેશ સરકારે તેમની સામે પોલીસકેસ કર્યો. સાતેક લાખ ગામડાં છે, જ્યાં લૉકડાઉન દરમિયાન ઘરે આવેલા શ્રમિકો ભૂખ્યા ટટળી રહ્યા છે. સુપ્રિયા શર્માનો અહેવાલ એમાંના ગમ્મે તે ગામનો નહોતો, પણ વડાપ્રધાનના સંસદીય મતવિસ્તારમાં વડાપ્રધાને દત્તક લીધેલા ગામમાં ગરીબો માટે રાહત-કલ્યાણ અર્થેના અનાજના જથ્થાની તંગી વિશે હતો. હવે આ પત્રકારને શિરપાવમાં જેલની સજા મળવાનું લગભગ નક્કી માનો.

પત્રકારો અને પ્રશ્નો ઊઠાવનારાઓની આ હાલત જોતાં, કોઈ આશ્ચર્ય છે કે એક વ્યવસાય તરીકે મીડિયા નિષ્ક્રિય છે? આમ તો, મીડિયા માટે સત્તાધારીઓના જોરજુલમની નવાઈ નથી. નવી વાત એ છે કે, ફેક ન્યૂઝ નામે કપટી હરીફે નવું જોખમ ઊભું કર્યું છે. ફેક ન્યૂઝ પેદા કરવામાં નિષ્ણાત થયેલાઓમાં માત્ર બોલ્સોનારો અને ટ્રમ્પ જ નથી. ભારતના શાસકો પણ તર્કબદ્ધ પરીક્ષણ ખમી ના શકે તેવી ‘હકીકતો’નું સર્જન કરીને ભોળા નાગરિકોને પીરસવામાં બે કદમ આગળ છે. માનવામાં ના આવે તેવા દાવાઓ આવે ત્યારે પ્રણાલિગત સમાચાર માધ્યમો સામાન્ય રીતે સાવધ અને શંકાશીલ હોય છે. માટે સમાંતર ‘સમાચારો’ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે. આદર્શ પરિસ્થિતિમાં પ્રિન્ટ અને ટી.વી. માધ્યમની ઉત્ક્રાન્તિના આગળના પગલા તરીકે સોશિયલ મીડિયા વિકસી શકત, પણ અત્યારે તે જૂનાં માધ્યમોના હરીફ તરીકે વપરાયું છે.

લોકતંત્રનો સ્તંભ ગણીને જેના સ્વાતંત્ર્યને માન આપવું જોઈતું હતું તે પ્રણાલિગત માધ્યમોનો ઉપયોગ શાસકોના પ્રચારયંત્રમાંથી બહાર આવતી ક્ષુલ્લક વાતોનો પ્રસાર કરવા માટે થઈ રહ્યો છે. ટી.વી. ચેનલોના ન્યૂઝરૂમમાં બૂમરાણ મચે છે. કારણ કે એન્કરોએ પોતાનો અવાજ ગુમાવી દીધો છે. દેશ અને નાગરિકને સ્પર્શતા મુદ્દાઓ પર જે ભિન્ન મત વ્યક્ત કરે છે તેને ચૂપ કરવામાં આ એન્કરો વ્યસ્ત છે. સમાચાર માધ્યમોએ ખુમારી ગુમાવી છે તેના માટે પ્રવર્તમાન રાજકીય વાતાવરણનો દોષ હશે. આ વલણોમાં વધુ દુ:ખદ તો છે નાગરિકોની પોતાની સામેલગીરી. પ્રશ્નો ઊઠાવનારને ચુપ કરવાની પ્રક્રિયા પરત્વે ભારતના નાગરિકોનો એક બહોળો વર્ગ ચુપચાપ રહ્યો છે. જ્ઞાન અને માહિતીના તેમ જ આર્થિક આદાનપ્રદાનમાં મીડિયા ઉત્પાદક છે અને નાગરિક ભોક્તા છે, પણ આપણા લોકતંત્રને બચાવવા માટે નાગરિકોએ મીડિયાને લોકતાંત્રિક સંસ્થા તરીકે જોવાનું શીખવું પડશે અને જ્યારે તેના પર હુમલો થાય ત્યારે તેના બચાવમાં આગળ આવવું પડશે. જો શાસકોનો પ્રચાર મીડિયા અને સોશિયલ મીડિયા વચ્ચે ફાંટ પાડે તો લોકશાહીને સમર્પિત નાગરિકોએ એ બેને એકમેકના પૂરક તરીકે જોડવા આગળ આવવું પડશે.

મોટા ભાગના નાગરિકો સમાચાર અને વિશ્લેષણ જાણવા માટે પ્રિન્ટ અને ટી.વી. મીડિયાને છોડીને સોશિયલ મીડિયા ભણી વળ્યા લાગે છે. તેઓ ખુશ છે કે તેઓ હવે માત્ર મીડિયાના ભોક્તા નથી રહ્યા, પણ ઉત્પાદક બની ગયા છે. આ ઉત્સાહમાં અને માધ્યમની પોતાની ઝડપમાં આ લોકોને એ વાત ધ્યાનમાં નથી આવી કે સોશિયલ મીડિયાના વાતાવરણ પર વિચાર વિષાણુઓના સતત હુમલા થતા રહે છે. વળી, જે ટેકનોલોજી સોશિયલ મીડિયાના વપરાશકારને બધી સવલતો આપે છે, તે જ ટેકનોલોજી સરકારને લોકો પર દેખરેખ રાખવાનું તંત્ર પણ ગોઠવી આપે છે. એ તંત્રનો હેતુ પણ એ જ છે, પ્રશ્ન કરનારનું મોં બંધ કરવાનો. એમાં એકાદ-બે સત્ર માટે સત્તામાં હોય તે પક્ષને ફાયદો ભલે થતો હશે, પણ આપણા દેશને અને લોકશાહીને તો નુકસાન જ ભોગવવાનું છે. જો નાગરિકો મીડિયાની અને મનની-વિચારની આઝાદી માટે આગળ નહિ આવે તો આ પરિસ્થિતિ પલટાશે નહિ.

e.mail : ganesh_devy@yahoo.com

(અનુવાદઃ આશિષ મહેતા)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 06 જુલાઈ 2020; પૃ. 06-08  

Loading

મુશ્કેલ સમયમાં (29)

સુમન શાહ|Opinion - Opinion|6 July 2020

= = = = આમ, distanceની સામે છે, nearness, સામીપ્ય. બધા પ્રકારના માનવીય બન્ધનું રસાયણ છે, સામીપ્ય. એમાંથી જન્મે છે સમ્બન્ધો અને સમ્બન્ધોની ખટમીઠી જાળ … = = = =

= = = = પ્રતિપ્રદા એટલે પડવો, એ પછી બીજનો ને પછી ત્રીજનો એમ ચન્દ્ર ક્રમે ક્રમે વિકસીને એક દિવસ પૂર્ણ થાય છે. ચન્દ્રકલા વિકસીને પૂર્ણિમા થાય છે. ગુરુ-શિષ્ય સમ્બન્ધનું પણ એમ જ છે = = = =

કોરોનાકાળમાં જરૂરી છે કે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય. વિજ્ઞાનીઓ, નિષ્ણાતો અને તેમને અનુસરતી સરકારો આ વાતનો એ કારણે આગ્રહ સેવે છે કે ચેપ ફેલાય નહીં ને કોરોનાને બને એટલો ડામી શકાય. આવા જ બીજા આગ્રહો છે, જેમ કે, કાર-ચાલકે બેલ્ટ બાંધવો, મોટરબાઇકરે હૅલ્મેટ પ્હૅરવો, રાહદારીએ ફૂટપાથ પર ચાલવું … આવા આગ્રહો પણ છે કે – જાહેરમાં ન થૂંકાય – એકી ન કરાય …

પણ પ્રજા એવા કશા આગ્રહોને વશ નથી થતી. વર્તમાનમાં ખાસ વાત એ છે કે સોશ્યલ ડિસ્ટન્સ નથી જાળવતી. મુખ્ય દલીલ એ સાંભળવા મળે છે કે મારું શરીર છે, ચેપ મને લાગવાનો છે, તમારે શું છે ! સાંજ પડ્યે ૨૫-૩૦ જણા કૉમન પ્લૉટમાં ક્રિકેટ રમવા ભેગા થઈ જાય છે. કહે છે, ઘરની દીવાલો ખાવા ધાય છે, કંઈક ઍન્ટરટેઇન્મૅન્ટ તો જોઈએ કે નહીં? નજીકના પાર્કમાં પાનાં રમવા ૪-૬ જણા ભેળા થઈ જાય છે. એ લોકો એક જ ધૂન ગાતા હોય છે – જલસા કરો ને જૅન્તીલાલ ! બૂઢાઓ તેમને માટેના બાંકડે સાંકડે-માંકડે ગોઠવાઈ જાય છે – સરકારની આવડે એવી લગભગ કશા આધાર વિનાની ટીકાઓ કરવા. એ વાતમાં એમને ડિસ્ટન્સ નથી વરતાતું એટલે કહે છે – શું લઈને આવ્યા’તા ને શું લઈને જવાના? આ બધાઓએ દણ્ડની બીકે માસ્ક તો રાખ્યું હોય છે, પણ ગળે ખાલી લટકાવી રાખે છે. આ બધાઓ એક અર્થમાં મને કોરોના-વૉરિયર્સ લાગે છે. વૉર તેઓ જીતે તો સારી વાત છે, બાકી, હાર-સંભવ મોટો છે …

આનું મૂળ કારણ તો એ છે કે માણસ સામાજિક પ્રાણી છે. માણસને પોતાની વ્યક્તિતામાં જેટલો રસ છે એટલો જ સામાજિકતામાં પણ છે. વર્તુળ કે જૂથ ઊભું કરીને તેમ જ પક્ષ કે પાર્ટી બનાવીને જીવવાથી એને સારું લાગે છે. એકમેકના સંગાથમાં એને સર્વ વાતે સલામતી અનુભવાય છે. કશેક ટોળું બન્યું હોય તો ડોકિયું કરીને તેમાં સામેલ થયા વિના એનાથી રહેવાતું નથી. વર્તુળમાં સ્થિર ઊભો રહે છે ને વાટ જુએ છે કે ક્યારે મારો વારો આવે ને ગાંઠિયા-ભૂસું ને ખાખરા-સક્કરપારા લઈને ઘરભેગો થાઉં.

અને જુઓને, ગાયો ભેંશો ઘેટાં જેવાં પશુઓમાં જોવા મળતી ધણ-વૃ્ત્તિ – herd instinct – મનુષ્યજીવોમાં પણ હોય છે. નિત્શેના જરથુષ્ટ્રે જોયેલું કે લોક તો લોક છે, લોકડિયાં ! પરન્તુ એણે અને નિત્શેએ આશા સેવેલી કે એમાંથી જ સુપરમૅન નીપજી આવશે. સાર્ત્ર ભલે અન્યને – otherને – નર્ક કહેવા લગી ગયા, પણ એમને પાક્કી જાણ હતી કે એક માણસને બીજાની ઉપસ્થિતિમાં જ સ્વાતન્ત્ર્યનો અનુભવ થાય છે. બાકી, એ એકલો હોય છે. એકલતા અને સ્વતન્ત્રતા વચ્ચે પાકો ભેદ છે.

આ ભૂમિકાએ કશાં ડિસ્ટન્સ ન જળવાય તે એક સ્વાભાવિકતા છે. એથી સ્તો, ઊલટું, એ જુઓ કે આજકાલ એક જુદા જ સ્વરૂપની સહભાગીતા બલકે માનવીયતા આકાર લઈ રહી છે. પડોશીઓ એકમેકના ખબરઅંતર પૂછવામાં મૉડું નથી કરતા. પડોશણો નર્યા ભાવથી બોલતી હોય છે – એવું કંઈ હોય તો ક્હૅજો હૉં, તમારા ભાઈ દોડતા આવી જશે. લોકો કોરોનાવાઇરસના ફેલાવાની સાથે જ ઇન્ટરનેટના માધ્યમે કરીને મૉર ઍન્ડ મૉર કૉમ્યુનિકેટિવ થઈ ગયા છે. ઍપ્રિલમાં ‘ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ જણાવેલું કે વિડીઓ-ચૅટિન્ગમાં અભૂતપૂર્વ વધારો થઈ ગયો છે. +12.4% Google Duo (app). 73.3 % nextdoor.com (web). 79.4% Houseparty (app). એ વધારો નિત્યવર્ધમાન છે. અરે, ઘરઆંગણે જ જુઓને, જાણીતા લગભગ બધા જ વિદ્વાનો વિડીઓ પર આવી ગયા છે. અરે, બીજે-ત્રીજે દા’ડે એમાં કોઈ ને કોઈ ઉમેરાય છે. આયોજકો વેબિનારોથી સૅમિનારોની ખોટ પૂરવા મથી રહ્યા છે. ઑફ્ફલાઇન જે જે નથી થતું તે તે બધું ઑનલાઇન થઈ જશે, એ વાત હવે વિવાદથી પર લાગે છે.

ઈશ્વરને પણ થયેલું કે હું એક છું, બહુ થાઉં. એકલતા રમ્ય હોય છે પણ જીરવવી અતિ કઠિન છે. પ્રખર બુદ્ધિશાળી કે મહા બળશાળી વ્યક્તિ પણ બીજી વ્યક્તિનો સહવાસ ઝંખે છે. એકલ પુરુષ કે સ્ત્રી નિરન્તર સામીપ્ય ઇચ્છે છે.

આમ, distanceની સામે છે, nearness, સામીપ્ય. બધા પ્રકારના માનવીય બન્ધનું રસાયણ છે, સામીપ્ય. એમાંથી જન્મે છે સમ્બન્ધો અને સમ્બન્ધોની ખટમીઠી જાળ …

મને આ ક્ષણે ભારતીય કુટમ્બજાળ યાદ આવે છે : એમાં ભાભી છે, નણંદ છે, દીયર-દેરાણી છે, જેઠ-જેઠાણી છે, મામા-મામી અને માસા-માસી તેમ જ સાળા-બનેવી ને સાઢુ ને વળી સાળાવેલી પણ છે. સન્તાનને જન્મતાંવૅંત મા મળે છે, પિતા, ભાઈ-ભાંડુ, ને ક્રમે ક્રમે શેરીમાં દોસ્તદારો. સમ્બન્ધનો એના જીવનમાં બીજો પડાવ છે શાળા-કૉલેજ, યુનિવર્સિટી ખાતે. ત્યાં એને શિક્ષકો મળે છે. ત્યાં એને એનું ભાગ્ય હોય તો એના જીવનનો એક બહુ મોટો સમ્બન્ધ લાધે છે – ગુરુશિષ્ય સમ્બન્ધ.

ગઇ કાલે જ ગુરુપૂર્ણિમા હતી. મારું એવું મન્તવ્ય છે કે the guru-shishya sambndh is one of the great narratives offered to mankind by India. વિશિષ્ઠ વિશ્વામિત્ર સાંદીપની દ્રોણ શુક્રાચાર્ય જેવા મહાગુરુઓની વિવિધતાસભર કથાઓ વડે આ સમ્બન્ધ-વિચારનાં અનેક પરિમાણ અને પરિણામ પણ વિકસેલાં છે.

પણ કેટલો તો અર્થપૂર્ણ છે આ સમ્બન્ધ : પ્રતિપ્રદા એટલે પડવો, એ પછી બીજનો ને પછી ત્રીજનો એમ ચન્દ્ર ક્રમે ક્રમે વિકસીને એક દિવસ પૂર્ણ થાય છે. ચન્દ્રકલા વિકસીને પૂર્ણિમા થાય છે. ગુરુ-શિષ્ય સમ્બન્ધનું પણ એમ જ છે. શિષ્ય થવા ઝંખનારને એકદમ નહીં પણ ક્રમે ક્રમે સમજાય છે કે આ જ મારા ગુરુ છે અને એ જ રીતે ગુરુને પણ ધીમે ધીમે ખયાલ આવે છે આ જ મારો શિષ્ય છે. સમ્બન્ધનો સેતુ રચાય છે. એ સેતુ પર કોઈ ધન્ય ક્ષણે ગુરુ-શિષ્ય-મિલન સંભવે છે … એક લાક્ષણિક સહયાત્રા શરૂ થઈ જાય છે …

ગુરુનો પાર ન પામી શકાય કેમ કે એ સદા વિકસતો હોય, વળી, અખૂટ હોય. એવો હોય તે હંમેશાં કહે – મને લૂંટી લો. ગુરુને માન આપી શકાય. એની સાથે મતભેદ કરીને એ માનને દૃઢાવી શકાય. ગુરુની ખરી પૂજા એ હોય કે શિષ્ય કાયમ એની આંગળી પકડીને ચાલ્યા ન કરે કે એને ખભે બેસીને લ્હૅર ન કરે. એ જ ધોરણે, એ ગુરુના ટાંટિયા ન ખૅંચે. પરન્તુ ગુરુના વિચારને અનુસરે અને તે-તેને વિવિધ દિશાઓમાં લઈ જઈને પ્રસરાવે. ગુરુમન્ત્ર અગમનિગમ જેવો ન હોય, સરળ હોય. શિષ્યને એ ‘ઉત્તિષ્ઠ’ કહીને ઊભો કરે ને માત્ર દૃષ્ટિથી દર્શાવે કે – જો આ છે જીવન, સમજી લે. ગુરુ બાંધે નહીં, હંમેશાં મુક્ત રાખે. તેમ છતાં, ખરી વાત એ છે કે ગુરુ હોય તો જ શિષ્ય થવાય છે અને રહેવાય છે. અને એ જ રીતે, શિષ્ય મળ્યે ગુરુ થવાય છે અને રહેવાય છે – બાકી, રીટાયર્ડ થઈ જવાય છે …

આ કોરોનાકાળની ઝંઝાઝંઝટ વચ્ચે માનવીય સમ્બન્ધોની જાળ ટકી રહી છે તેને સદ્ભાગ્ય ગણી શકીએ, પણ ગુરુમન્ત્ર જેવું પેલું વચન ન ભૂલીએ કે -સ્ટે હોમ … સ્ટે સેફ …

= = =

(June 6, 2020: Ahmedabad)

Loading

ગુજરાતનો શિક્ષણ વિભાગ પેટ ચોળીને શૂળ ઊભું કરી રહ્યો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 July 2020

આ લખાય છે ત્યારે ગુરુપૂર્ણિમા છે. ગુરુનું માન ભર્યું સ્થાન એક કાળે હતું તેનું કારણ એ હતું કે ગુરુ  વિદ્યાનો વાહક હતો. તેની પાસે વિદ્યાર્થીઓને આપવાના આદર્શો હતા. ગુરુ જ્ઞાન આપતો ને વિદ્યાર્થી તે ગ્રહણ કરીને જીવનને સંસ્કારી ને સમાજોપયોગી બનાવતો. તે પછી તો મનુષ્યે અનેક પ્રકારની પ્રગતિ જ્ઞાન-વિજ્ઞાનને ક્ષેત્રે કરી, પણ ગુરુ અને વિદ્યાર્થીઓનું સ્થાન ઉત્તરોત્તર ઉતરતું ગયું છે. વિદ્યાર્થી વિદ્યાની ‘અર્થી’ ઉપાડી રહ્યો છે ને ગુરુ ‘માસ્તર’ થઈને રહી ગયો છે. બંનેમાં અપવાદો આજે પણ છે જ અને એના પર જ દુનિયા ટકેલી જણાય છે. એ ખરું કે સરકાર અને તંત્રો સુચારુ વ્યવસ્થા અને સંકલન માટે અસ્તિત્વમાં આવ્યાં, પણ થોડા અપવાદોને બાદ કરતાં પ્રજા કલ્યાણનાં કાર્યો ઘટતાં આવ્યાં છે ને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર માટે જ સરકાર અને તંત્રો જાણે અસ્તિત્વ ધરાવે છે. એમાં જે ક્ષેત્ર ભ્રષ્ટ હોવું જ ન જોઈએ એ શિક્ષણનાં ક્ષેત્રમાં સૌથી વધુ ગેરવ્યવસ્થા ને ભ્રષ્ટતા જોવાં મળે છે.

આખા ય ભારતમાં સૌથી વધુ તુક્કાઓ ને તરંગો કોઈ શિક્ષણ વિભાગમાં ચાલતા હોય તો વિશ્વાસથી કહી શકાય કે તે ગુજરાતમાં ચાલે છે. કદાચ સૌથી વધુ નધણિયાતો વિભાગ શિક્ષણ વિભાગ છે અથવા તો એને કોઈ કહેનારું નથી કે પછી એની કોઈ જવાબદારી બનતી ન હોય એ રીતે તે વર્તે છે. તમામે તમામ વર્ગોને, સ્કૂલ કક્ષાએ ચાલી રહેલાં ઓનલાઈન શિક્ષણનો સખત વિરોધ છે, પણ આ વિરોધ બહેરા કાને અથડાઈને રહી ગયો છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ૨૯-૩૦ જુલાઈએ શિક્ષણ વિભાગ તમામ ધોરણોની ૧ કલાકની પરીક્ષા લેવાનો છે ને આ પરીક્ષા બધી સ્કૂલો માટે ફરજિયાત છે. આની સામે યુનિવર્સિટીની પરીક્ષાઓ અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવામાં આવી છે. આખા શિક્ષણ વિભાગને કોઈ મનોવૈજ્ઞાનિક સારવારની જરૂર જણાય છે અથવા તો એમ માનવું પડે કે તે મનસ્વી રીતે વર્તવામાં જ પોતાની સાર્થકતા અનુભવે છે.

ધોરણ બારમાં કોઈક કારણસર પરીક્ષા ન આપી શકનાર કે નાપાસ થનાર વિદ્યાર્થીની વિજ્ઞાન વિભાગમાં પૂરક પરીક્ષા ફી લઈને લેવાય છે. એ સારો ઉપક્રમ છે. અહીં આશ્ચર્ય એ વાતે થાય કે સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા કેમ નથી લેવાતી? એ પરીક્ષા લેવડાવવા માટે વિદ્યાર્થી મંડળોએ ધરણા કરવા પડ્યા. શિક્ષણ વિભાગને કુટેવ પડી ગઈ છે કે વિરોધ ન થાય ત્યાં સુધી પોતાની સમજ વાપરીને કોઈ નિર્ણય લેવો જ નહીં.

આવો વિરોધ પ્રાથમિક શિક્ષકોએ કરવો પડે એવું કારણ શિક્ષણ વિભાગે ૪ જુલાઈએ આપ્યું છે ને સરકાર નહીં માને તો શિક્ષકો મોટું આંદોલન છેડશે એવું લાગી રહ્યું છે. આમ પણ શિક્ષકોની ભરતી કરવામાં સરકાર ને શાળા સંચાલકો અખાડા કરતા જ રહે છે. ધારો કે શિક્ષકોની ભરતી કરે તો શિક્ષકોને તેમનો હક કઈ રીતે ન મળે એનાં છીંડાં જ તંત્રો શોધતાં રહે છે.

પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૦ પછી જે શિક્ષકો ભરતી પામ્યા છે એમના પેટ પર પગ મૂકવાનું સરકારે નક્કી કર્યું છે. નવ વર્ષે મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણનો ગ્રેડ ૪,૨૦૦ રૂપિયા નક્કી થયેલો છે. તેનો એક પરિપત્ર દોઢેક વર્ષ પર કરીને, શિક્ષણ વિભાગે, ૪,૨૦૦નો ગ્રેડ ઘટાડીને ૨,૮૦૦ કરી નાખ્યો છે. આનો ત્યારે જ શિક્ષકોએ વિરોધ કરેલો. સરકારે ત્યારે એક સમિતિ રચેલી. એ સમિતિએ એઝ યુઝવલ કંઈ ન કર્યું ને વાત હવે વકરી છે ત્યારે પેલી સમિતિ ને સરકાર, બંને ચૂપ છે. નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો હોય ને તે યોગ્ય છે કે નહીં, તેની સ્પષ્ટતા વિભાગે પોતે કરવાની હોય, તેને બદલે સરકાર સમિતિ પાસેથી કામ લે છે. આ કામ લેવાનું ભાગ્યે જ ઉપકારક નીવડતું હોય છે. મોટે ભાગની સમિતિઓ હાજરી ને હોજરીનું જ ધ્યાન રાખતી હોય છે તે આટલા અનુભવો પરથી પણ સરકારને સમજાતું નથી તે દુખદ છે.

શિક્ષણ વિભાગે આવું કેમ કર્યું, તેનું કોઈ કારણ અપાયું નથી. બસ કર્યું એટલું જ શિક્ષકોએ સમજવાનું રહે. સરકારે સામે ચાલીને મધપૂડો છંછેડ્યો છે. દેખીતું છે કે શિક્ષકોને વાંધો પડે જ! લગભગ ૧૭,૦૦૦થી વધુ શિક્ષકોએ ઓનલાઈન અને ટ્વીટર પર વિરોધ કર્યો છે ને આમાં વધુ શિક્ષકો જોડાય તો નવાઈ નહીં. રાજ્યના ૬૦ હજારથી વધુ શિક્ષકો સરકારના આવા અણઘડ પરાક્રમથી દર મહિને અંદાજે ૧૦,૦૦૦થી વધુ રકમનું નુકસાન વેઠી રહ્યા છે.

ક્યાં ય પણ આર્થિક કાપ મૂકવાનો હોય તો સરકારની નજર પ્રાથમિક શિક્ષક પર પહેલાં બગડે છે. ઉચ્ચતર પગાર ધોરણનો મળવા પાત્ર ગ્રેડ જે તે શિક્ષકનો અધિકાર છે ને તે વિરોધ કે આંદોલન વગર મળે જ નહીં એ કેવું? આ કેવળ ને કેવળ શરમજનક છે. ઉચ્ચ અધિકારીઓ, વિધાન સભ્યો, સાંસદોને ન મળવા પાત્ર પણ ઘણું બધું મળતું હોય છે તો જેને મળવા પાત્ર ગ્રેડ છે તેના પર કાપ શું કામ?તઘલખને સારો કહેવડાવે એવા તુક્કા સરકારને આવે છે ને લાંબો વિચાર કર્યા વગર તે લાગુ પણ કરી દે છે.

૨૦૧૦ પહેલાં ભરતી થયેલા શિક્ષકને ૪,૨૦૦નો ગ્રેડ આજે મળે જ છે, પણ તે પછી ભરતી થયેલાને ૪,૨૦૦ને બદલે ૨,૮૦૦નો ગ્રેડ મળે (સીધો ૧,૪૦૦નો તફાવત). આ ભેદ શિક્ષકોમાં પણ ભેદભાવ રખાવશે. બે શિક્ષકો એક જ પ્રકારનું સરખું કામ કરતા હોય, પણ તેમના પગારમાં તફાવત રહે તો તેમની વચ્ચે સ્વસ્થતા નહીં રહે ને આ સ્થિતિ અનેક સમસ્યાઓને જન્મ આપશે. એક તરફ કોરોના મહામારીને કારણે અનેક લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય ને શિક્ષક પણ એમાંથી બાકાત ન હોય ત્યારે સરકાર કારણ વગરનો વિવાદ છેડે તે કોઈ રીતે યોગ્ય નથી.

અહીં શિક્ષકો કામ નથી કરતા કે તેઓ દુર્વ્યવ્હારોમાં સંડોવાયેલા છે એવો આરોપ આવી શકે ને તે સાવ ખોટું છે એવું ય નથી, પણ બધા શિક્ષકો એવા છે એવું કહી શકાય નહીં. જે પણ જવાબદાર છે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેનો વાંધો નથી, પણ તેનો અર્થ એવો નથી કે શિક્ષકોને મળવા પાત્ર પગાર ગ્રેડમાં કાપ મૂકી દેવાય. બધે જ પગાર ધોરણો વધતાં હોય, સાંસદો ગમે ત્યારે પગાર વધારી લેતા હોય, એટલું જ નહીં, હક વગરનું પેન્શન પણ ગજવે ઘાલતા હોય તો શિક્ષકની ગરદન મારવાનો આખો ઉપક્રમ કોઈ ગુનાથી ઉતરતો નથી. સરકાર એક બહાનું જરૂર કાઢી શકે કે તેની પાસે પૈસા નથી. એ સાચું પણ છે, પણ એવા તો કેટલાં બધાં લોકો છે જેમને આવક મહિનાઓથી બંધ છે ને ખર્ચ તો ચાલુ જ છે. સરકાર તો દિવસો સુધી પેટ્રોલના ભાવ વધારીને ઉપરની આવક પણ કરી લે, પણ મધ્યમવર્ગ આવક વધારવા કોનો ભાવ વધારીને ઉપરની આવક મેળવે? એ ક્યાં જાય? પ્રાથમિક શિક્ષક મધ્યમવર્ગનું જ પ્રતિનિધિત્વ કરે છે, એવા ૬૦ હજારથી વધુ શિક્ષકોને મળવા પાત્ર ગ્રેડથી વંચિત રાખવાનું પાતક સરકાર શું કામ વહોરી રહી છે તે નથી સમજાતું.

પ્રાથમિક શિક્ષક, શિક્ષણ વિભાગનું ઓરમાયું સંતાન છે. ચૂંટણી આવી રહી છે? તો તેની કામગીરી સોંપો શિક્ષકને. વસતિ ગણતરી કરવાની છે? મોકલો ‘માસ્તર’ને! રસી, ટીકાનું કામ છે તો બોલાવો પ્રાથમિક શિક્ષકને, મંત્રી આવવાના છે ને વિદ્યાર્થીઓને ટાઢ તડકામાં ઊભા રાખવાના છે, તો એ કામ સોંપો શિક્ષકને, કોરોનાનો સરવે કરવાનો છે? તો માસ્તર ક્યારે કામ આવશે? આજનો જ દાખલો લઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળમાં જરૂરી વસ્તુઓ પહોંચાડવાની જવાબદારી શિક્ષકને નામે ચડાવાઈ છે. એવાં તો કેટલાં કામો છે જે શિક્ષકને માથે વર્ષોથી મરાતા આવ્યા છે ને શિક્ષકોએ તે મૂંગા મોઢે કર્યા પણ છે. તે તેનું શિક્ષણકાર્ય વફાદારીથી કરી જ ન શકે એ રીતે તેને બીજાં કામો નિયમિત રીતે સોંપાતા જ રહે છે. એમાં જો વર્ગનું પરિણામ નબળું આવ્યું તો આ જ વિભાગ શિક્ષકને માથે પસ્તાળ પાડે છે. તેને શિક્ષણકાર્ય કરવાની પૂરતી મોકળાશ જ ન હોય તો તેના વર્ગનું પરિણામ નબળું આવે તેમાં તેનો વાંક કાઢી શકાય નહીં. વિદ્યાર્થીઓનું પાયાનું શિક્ષણ એ જ કારણે કાચું રહી જાય છે એ સરકારથી માંડીને દરેક લાગતા વળગતાઓએ સમજી લેવાનું રહે. શિક્ષણ વિભાગે ‘માસ્તર’ અને મજૂર વચ્ચે ફરક કરવો જ પડશે. એ ફરક નહીં કરવામાં આવે તો નબળાં શિક્ષણનો દોષ શિક્ષકનો નહીં, પણ શિક્ષણ વિભાગનો જ ગણાય તે સમજી લેવાનું રહે.

૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “ધબકાર”, 06 જુલાઈ 2020

Loading

...102030...2,3972,3982,3992,400...2,4102,4202,430...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved