Opinion Magazine
Number of visits: 9966051
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૉર્જ ફ્લૉયડની હત્યા

હિન્દી - કે. કે. ત્રીપાઠી • અનુવાદ - મનીષ શિયાળ|Poetry|5 July 2020

અમેરિકામાં જૉર્જ ફ્લૉયડની હત્યા પર
કાળાં ધોળાં, બધા જ કંપી ઉઠ્યાં,
ઘડીભરમાં તો આખું અમેરિકા
દારુગોળાની માફક બળી ઉઠ્યું,
સારા છે, એ અમેરિકી જેને
સહનશીલતાને ઘૂંટણ નીચે રોકી રાખી છે
એનાં માટે દેશનો મતલબ
ખાલી માટી, પહાડ, જંગલ-ઝરણાં નથી,
ના તો મતલબ છે, ખાલી સીમાઓ.
એનાં માટે દેશનો મતલબ
વ્યક્તિ છે, વ્યક્તિ પણ,
અને વ્યક્તિનો મતલબ દેશ પણ.
જૉર્જ ફ્લૉયડની હત્યા પર
સડક પર ઊતરેલા, એ લાખો અમેરિકીને,
એ કાળાં હોય કે ધોળાં
કોઈ અમેરિકી દેશ વિદ્રોહી નથી કહેતાં,
ના તો કોઈ એને આફ્રિકા, ઈંગ્લેન્ડ કે પછી
કેનેડા કે મેક્સિકો જવાનું કહે છે,
ના તો પોલીસ, વિરોધમાં શામિલ લોકોને દુશ્મન માને છે,
ના તો લાઠી મારે છે,
અને એ શરમશાર અનુભવે છે,
તેનાં સહકર્મીના અપરાધ ને ક્રૂર કૃત્યથી.
વ્હાઈટ હાઉસનો એ ગોરો સાહેબ પણ
ટોળાંના ભયથી, ભલે બંકરમાં છૂપાયો હોય
પણ ત્યાં ના તો કોઈ કારણ વગર બંદૂકો ફૂટી,
ના તો કોઈ દેખાવમાં મરાયાં.
કદાચ આપણે ભારતનાં લોકો પણ
એમની પાસેથી શીખી શકીએ,
લોકોનાં જીવની થોડી કદર કરી શકીએ,
સહનશીલતાને આપણાં ઘૂંટણ નીચે રાખી
સમય આવ્યે,
પૂરજોશમાં અવાજ ઉઠાવી શકીએ.
આપણે ભારતવાસીઓ પણ
ખરા સાહસી છીએ,
આપણે ઈંતજાર કરીએ છીએ,
પાણી ઘૂંટણ સુધી આવવાનો,
પછી એનાંથી કમર પલળવાનો,
પછી ખભા પર ચઢી
નાક સુધી આવવાનો,
અને આપણું ગળું દબાવવાનો‌.
આટલી સહનશીલતા !
ખબર નહીં સાહસ છે કે જડતા
અથવા એ સાહસ છે, તો આટલું સાહસ ક્યાં ?
અથવા એ જડતા છે, તો આટલી જડતા કેમ ?
કેમ સડકો-પાટાઓ પર પગપાળા ચાલતાં,
મરતાં-કપાતાં, લોકડાઉનના કારણે
હજારો લાખો મજૂર
પત્ની બાળકો સહિત ન ટૂટતી હારમાળાઓ,
ચૂપચાપ કિસ્મતને કોસે છે.
પણ જેને ગાદી પર બેઠાડ્યા
એની સામે ના તો કોઈ અવાજ ઉઠાવે છે,
ના તો કોઈ શિકાયત કરે છે,
ના તો કોઈ બળાપો માંડે છે.
આખરે આટલી નિરાશા કેમ ?
આખરે આટલી હતાશા કેમ ?
રસ્તામાં એ દિલ્લી પણ આવે છે,
જ્યાં સંસદ છે,
કેમ ન ઘેરાય એ સંસદ હજુ,
કેમ ન ઘેરાયા પ્રધાન હજુ,
સામૂહિક સહનશીલતાની તો શરમ છે આ
અને સામૂહિક સંવેદનાનો અંત.
તેથી જ તો અવાજ ઉઠાવનારને
સર્વોચ્ચ અદાલતમાં દેશ વિદ્રોહી કરાર અપાય છે,
ક્દાચ એટલે કોઈ અવાજ ઉઠાવતા નથી.
જો પાણી નાક પર પહોંચવાનો,
ચૂપચાપ ઈંતજાર કરતાં રહેશું, તો
આ જડતા આખા ભારતીયને
એક દિવસ નપાણિયા કરી નાખશે.

Loading

ધર્મ ગમે તે હોય, ઈશ્વર તો એક જ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 July 2020

ગયા સપ્તાહના લેખનું સમાપન કરતા મેં લખ્યું હતું કે મહાત્મા ફૂલેએ જ્યારે ભારતીય રાષ્ટ્રવાદ સર્વસમાવેશક નથી, પણ પૃથકતાવાદી છે એમ કહીને તેને નકારવા માંડ્યો અને બ્રાહ્મણો કપટી છે અને તેમનો ઈજારાશાહી એજન્ડા છે એમ કહેતાં ભાષણો કરવા માંડ્યા અને પુસ્તકો પણ લખ્યાં, તેઓ ખુલ્લી અંગ્રેજોની તરફદારી કરવા લાગ્યા ત્યારે; દયાનંદ સરસ્વતી, બંકિમચંદ્ર ચેટરજી, સ્વામી વિવેકાનંદ, મહાદેવ ગોવિંદ રાનડે, દેવેન્દ્રનાથ ઠાકુર વગેરે થોડા આગળપાછળના સમયમાં હયાત હતા, પરંતુ તેમણે કોઈએ હાંસિયાની પ્રજાના અવાજને નહોતો સાંભળ્યો. જ્યારે હજુ તો આકાર પામી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને કોઈ નકારતું હોય ત્યારે કોઈ કહેતાં કોઈને એમ નહોતું થયું કે આપણે તેમની વાત સાંભળવી જોઈએ.

આમ તો રાષ્ટ્રવાદનો જન્મ પશ્ચિમમાં થયો હતો અને તેની પાછળનો ઉદ્દેશ આક્રમક લૂટનો હતો એ આગળ આ શ્રેણીમાં કહેવાઈ ગયું છે. ‘આપણે અને આપણા હિતમાં’ એ રાષ્ટ્રવાદનો પાયાનો મંત્ર છે. દેખીતી રીતે ‘આપણે’ની શોધ શરૂ થઈ અને ‘આપણે'નું મહિમામંડન કરવામાં આવ્યું. ઇતિહાસમાં ક્યારે ય ભાળ્યા નહોતા એવાં ગુણોનું આરોપણ થવા લાગ્યું. અને ‘આપણા હિતમાં’નો દેખીતો અર્થ છે; માત્ર આપણા જ હિતમાં બીજાના હિતમાં નહીં અને એમાં કોઈનું અહિત થતું હોય તો પણ વાંધો નહીં. આમ આ આપણે અને આપણા હિતમાંના વિચારે અને વલણે યુરોપને એટલું આક્રમક બનાવ્યું કે તેમણે લગભગ આખી દુનિયા કબજે કરી લીધી. વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધ થયાં એ પણ આ આપણે અને આપણા હિતમાંવાળા રાષ્ટ્રવાદનું જ પરિણામ હતું.

૧૯મી સદીમાં જ્યારે ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ લાગુ કરવામાં આવ્યું અને પહેલી-બીજી શિક્ષિત પેઢી અસ્તિત્વમાં આવવા લાગી ત્યારે પશ્ચિમને જોઇને તેઓ પણ ‘આપણે’ની શોધ કરવા લાગ્યા. એ ‘આપણે’ની શોધ કરનારા મુખ્યત્વે બ્રાહ્મણો, નાગરો, કાયસ્થો જેવા સવર્ણો હતા અને તેમને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો કે ‘આપણે’નો વિસ્તાર કરવો જોઈએ. નેહરુ અને દિનકર ભૂલી જાય તો ૧૯મી સદીના સુધારકોની ક્યાં વાત કરવી! તેમનો ‘આપણે’ એટલે બ્રાહ્મણો, કાયસ્થો, નાગરો. વળી આગળ કહ્યું એમ આપણે સાથે આવતું હતું ‘આપણા હિત’માં. આમ ૧૯મી સદીનું સુધારાનું આંદોલન સવર્ણો દ્વારા, સવર્ણોના હિતમાં, સવર્ણ-કેન્દ્રિત હતું. ઠીકઠીક પ્રમાણમાં જાણીબૂજીને અને ઠીકઠીક પ્રમાણમાં અનાવધાને, જેમ નેહરુ અને દિનકરની બાબતમાં બન્યું હતું એમ.

તો રાષ્ટ્રવાદનો પાયાનો મંત્ર છે ‘આપણે અને આપણા હિત’માં. ભારતમાં પણ ‘આપણે અને આપણા હિત’માંની જદ્દોજહદ શરૂ થઈ અને એ રીતે ભારતીય રાષ્ટ્રવાદનો જન્મ થયો. ‘આપણે અને આપણા હિત’માં એ જ ‘રાષ્ટ્રના હિત’માં એવું સમીકરણ એટલે રાષ્ટ્રવાદ. આનો અર્થ એ થયો કે ‘આપણે’ અને ‘રાષ્ટ્ર’ને એકબીજાના પર્યાય તરીકે જોવામાં આવ્યા. આપણા હિતમાં  રાષ્ટ્રનું હિત આવી જ જાય છે અને રાષ્ટ્રના હિતમાં જે કાંઈ હોય એ આપણા હિતથી વિરુદ્ધ ન જ હોય.

૧૯મી સદીમાં રાષ્ટ્રવાદની આવી મમળાવવી ગમે એવી મનમોહક વિચારધારા વિકસવા લાગી. સ્વરાજ સુધીનાં સપનાં લોકો જોવા લાગ્યા. યુરોપની બરાબરી કરવાનાં સપનાં જોવાવા લાગ્યાં. આર્યસમાજીઓ અને બીજા રિવાયવલિસ્ટો ભારત વિશ્વગુરુ બનવા નિર્માયેલું છે એવા સપનાં જોવા લાગ્યા. અહીં સુધી તો જાણે ઠીક છે, પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે તેમને જ્યારે પડકારવામાં આવ્યા ત્યારે તેમણે એ પડકારને નહોતો સાંભળ્યો. પડકારનારાઓ શા માટે પડકારે છે, તેમને શું કહેવાનું છે, તેમને કઈ વાતનો વાંધો છે અને તેઓ શું કહેવા માગે છે એ જાણવા-સમજવાની પણ દરકાર નહોતી કરી.

હજુ તો આકાર પામી રહેલા, ઉછરી રહેલા, લગભગ પાપા-પગલી ભરી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને કોઈક પડકારી રહ્યું છે તો શા માટે એ જાણવાની કોઈને જરૂર નહોતી લાગી. તમારો રાષ્ટ્રવાદ સર્વસમાવેશક નથી, પૃથકતાવાદી છે એવો સીધો આરોપ કરવામાં આવ્યો હોવા છતાં આરોપ કરનારાઓ સાથે સંવાદ કરવામાં નહોતો આવ્યો. હજુ તો રાષ્ટ્રવાદનો છોડ ઉજર્યો પણ નથી ત્યાં તેની સામે પડકાર શરૂ થયા છે તો બગીચો કેવી રીતે વિકસશે એવો વિચાર પણ કોઈને નહોતો આવ્યો.

રાજા રામમોહન રોય પછીથી ધીરે ધીરે ઉછરી રહેલા ભારતીય રાષ્ટ્રવાદના શિલ્પીઓ હતા; દેવેન્દ્રનાથ ટાગોર (જન્મ ૧૮૧૭ – મૃત્યુ ૧૯૦૫), ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર (૧૮૨૦-૧૮૯૧),  દયાનંદ સરસ્વતી (૧૮૨૪-૧૮૮૩), કેશબચન્દ્ર સેન (૧૮૩૮-૧૮૮૪), બંકિમચંદ્ર ચેટરજી (૧૮૩૮-૧૮૯૪), મહાદેવ ગોવિંદ રાનડે (૧૮૪૨-૧૯૦૧), ગોપાલ ગણેશ આગરકર (૧૮૫૬-૧૮૯૫), લોકમાન્ય તિલક (૧૮૫૬-૧૯૨૦), સ્વામી વિવેકાનંદ (૧૮૬૩-૧૯૦૨) વગેરે. આ બધા મહાનુભાવોનાં જન્મનાં વર્ષ પર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે તેઓ ૧૮૧૭થી ૧૮૬૩ની વચ્ચેનાં વર્ષોમાં જન્મ્યા હતા. તેઓ બધા પોતપોતાની રીતે પોતપોતાના અભિગમ સાથે ભારતીય રાષ્ટ્રવાદને આકાર આપી રહ્યા હતા. તેમની વચ્ચે મતભેદો હતા જે અહીં કહેવામાં આવ્યું છે એમ મૂળશંકર-મૂળશંકર વચ્ચેના અને મૂળશંકર-જટાશંકર વચ્ચેના મતભેદો હતા. એકંદરે તેમનો ભારતીય રાષ્ટ્રવાદ સવર્ણકેન્દ્રી હતો.

હવે એક નજર વિકસી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને તે ખરા અર્થમાં ભારતીય નથી, સર્વસમાવેશક નથી એમ કહીને પડકારનારાઓ ઉપર કરીએ. એમાં બે વ્યક્તિ મુખ્ય હતી. એક હતા સર સૈયદ અહમદ ખાન અને બીજા હતા મહારાષ્ટ્રના જ્યોતિબા ફૂલે. સર સૈયદનો જન્મ ૧૮૧૭માં થયો હતો અને મૃત્યુ ૧૮૯૮માં થયું હતું. જ્યોતિબા ફૂલેનો જન્મ ૧૮૨૭માં થયો હતો અને મૃત્યુ ૧૮૯૦માં થયું હતું. આનો અર્થ એ થયો કે બંનેનો જન્મ ભારતમાં અંગ્રેજી શિક્ષણ લાગુ કરવામાં આવ્યું એ પહેલાં થયો હતો અને બંને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ૧૮૮૫માં સ્થાપના કરવામાં આવી એ પછી અવસાન પામ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો બંનેનો જન્મ ભારતીય રાષ્ટ્રવાદનું બીજ પણ નહોતું ફૂટ્યું એ પહેલા થયો હતો અને બંનેનું મૃત્યુ ભારતીય રાષ્ટ્રવાદ કૉંગ્રેસના નામે રાજકીય સ્વરૂપ પામ્યો એ પછી થયું હતું. ઉપર કહ્યા એ ભારતીય રાષ્ટ્રવાદના બધા જ શિલ્પીઓ સર સૈયદ અને ફૂલેના ઓછાવત્તા પ્રમાણમાં આગળપાછળના સમકાલીન હતા.

હું મુદ્દો એ સિદ્ધ કરવા માગું છું કે ભારતીય રાષ્ટ્રવાદનું હજુ તો માંડ ખેડાણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે જ તેમાંની ઉણપો બતાવી આપવામાં આવી હતી. એવું નહોતું કે વૃક્ષ બહુ મોટું થઈ ગયું હતું અને એ બધાને છાંયો કે ફળ નથી આપતું એવી ફરિયાદ કરવામાં આવી હોય. પ્રારંભમાં જ. શ્રીગણેશ સાથે જ. એવો કયો ભરસો હતો કે ભારતીય રાષ્ટ્રવાદના શિલ્પીઓએ તેમાં ઉણપ બતાવનારાઓની ઉપેક્ષા કરી હતી? મહાત્મા ફૂલે દયાનંદ સરસ્વતી કરતાં ઉંમરમાં ત્રણ વરસ નાના હોવા છતાં જાહેરજીવનમાં તેમના કરતાં વહેલા પ્રવેશ્યા હતા. ભારતીય રાષ્ટ્રવાદના શિલ્પકાર તરીકે ઉપર જે નામ ગણાવ્યાં છે એમાંથી દેવેન્દ્રનાથ ટાગોર અને ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરને છોડીને બાકીના તેમના પછી જાહેરજીવનમાં સક્રિય થયા હતા. આમ પડકારનારો સિનિયર પણ હતો અને છતાં ય જુનિયરોએ તેની ઉપેક્ષા કરી હતી.

ખરું પૂછો તો સર સૈયદ અહમદ ખાનની અને મહાત્મા જ્યોતિબા ફૂલેની તુલના થઈ શકે નહીં.  મહાત્મા ફૂલે સર સૈયદ કરતાં દસ વરસ નાના હોવા છતાં અને આઠ વરસ વહેલા મૃત્યુ પામ્યા હોવા છતાં તેમની દૃષ્ટિ ક્યાં ય વિશાળ હતી. સર સૈયદની ભૂમિકા મુસલમાનોના વકીલની તરીકેની એક મુસલમાનની હતી. તેઓ માત્ર મુસલમાનોના હિત-અહિતનો જ વિચાર કરતા હતા. સર સૈયદ ૧૮૫૭ના વિદ્રોહની નિષ્ફળતા પછી અંગ્રેજોએ મુસલમાનોને પાઠ ભણાવવાનું શરૂ કર્યું ત્યારે સર સૈયદ મુસલમાનોનો કેસ રજૂ કરવા સક્રિય થયા હતા. તેમના વિચારોમાં કોમી દૃષ્ટિકોણ હતો, અખંડતા નહોતી. પાકિસ્તાનનાં બીજ સર સૈયદની ભૂમિકામાંથી મળે છે. તેમનાથી ઊલટું મહાત્મા ફૂલેની ભૂમિકા માનવીય હતી. તેઓ બહુજન સમાજના વકીલ હતા, બહુ આકરા વકીલ હતા, સવર્ણો પર આકરા પ્રહારો કર્યા હતા, સર સૈયદની માફક અંગ્રેજરાજની તરફદારી કરી હતી; પરંતુ તેની પાછળની તેમની ભૂમિકા માનવીય હતી. ન્યાયની હતી. નાગરિકની હતી.

સૈયદ અહમદ ખાનને અંગ્રેજોએ સરની ઉપાધી આપી હતી, પરંતુ સર સૈયદની માફક જ અંગ્રેજરાજના સમર્થક હોવા છતાં મહાત્મા ફૂલેને નહોતી આપી. ગોપાલ ગણેશ આગરકરે તેમને રેવરન્ડ ફૂલે તરીકે ઓળખાવ્યા હોવા છતાં પણ નહીં. શા માટે? કારણ કે તેમની દૃષ્ટિમાં હિંદુ સુધારકોને, સર સૈયદને અને અંગ્રેજોને પણ ન પરવડે એવી વ્યાપકતા હતી. મહાત્મા ફૂલે કહી ગયા છે :

૧. આપણી રાજકીય અને સામાજિક અવનતિનાં મૂળ અવનતિ પામેલા આપણા ધર્મમાં રહ્યા છે. માટે ધર્મસુધારણા અનિવાર્ય છે.

૨. એક ધર્મ છોડીને બીજા ધર્મમાં પ્રવેશ કરવાથી કાંઈ વળવાનું નથી, કારણ કે દરેક ધર્મ ક્ષતિગ્રસ્ત છે અને કોઈ ધર્મ નિર્દોષ નથી. સત્ય-શોધન કરવા માગતા માણસે દરેક ધર્મમાં જે શ્રેષ્ઠ હોય એ અપનાવવું જોઈએ.

૩. જ્યાં સુધી જાતિભેદ અને સ્ત્રીઓની પરવશતા દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી સમાજ નિરોગી થવાનો નથી. પરંતુ આ બંને કુરૂઢિને ધર્મનું અનુમોદન હોવાથી ધર્મ-વચનોનો પ્રતિકાર કરવો જરૂરી છે.

૪. ધર્મ ગમે તે હોય, ઈશ્વર એક જ છે.

૫. મૂર્તિપૂજા નિરર્થક છે.

હવે વિચારો, આટલી વ્યાપક ભૂમિકાએ રહીને ૧૯મી સદીમાં કોણે વાત કરી હતી? સ્ત્રીઓ માટે પહેલી સાર્વજનિક શાળા મહાત્મા ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ શરૂ કરી હતી જેમાં બ્રાહ્મણની સ્ત્રીને પણ પ્રવેશ આપવામાં આવતો. બ્રાહ્મણોએ બ્રાહ્મણની સ્ત્રીને ભણવા મળે એવી શાળા તો દાયકાઓ પછી શરૂ કરી હતી.

આવો વ્યાપક વિચાર કરનારો માણસ જ્યારે એમ કહેતો હોય કે તમારો રાષ્ટ્રવાદ કેટલાક લોકોને બહાર રાખનારો અધૂરો છે અને એ માણસ પાછો ઉંમરમાં સિનિયર હોય, કૃતિશીલ અને પ્રતિષ્ઠિત હોય અને તે છતાં પણ તેમના જુનિયર સુધારકો તેમના પડકાર તરફ ધ્યાન ન આપે તો એ કયા ભરોસે?

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 જુલાઈ 2020

Loading

ચલ મન મુંબઈ નગરી—51

દીપક મહેતા|Opinion - Opinion|4 July 2020

રંગભૂમિ અને સિનેમા વચ્ચેના વાટકીવહેવારનો જમાનો

દાદાસાહેબની ફિલ્મ પહેલાંના હરિશ્ચંદ્રના દશાવતાર 

‘હા, આજે પણ એ દિવસ મને બરાબર યાદ છે. ૧૯૧૧ના નાતાલના દિવસો હતા. સેન્ડહર્સ્ટ રોડ પર એક તંબુમાં અમે ‘સિનેમા’ જોવા ગયાં હતાં.’ આ શબ્દો છે સરસ્વતીબાઈના, છેક ૧૯૭૦માં બોલાયેલા. ‘તંબુ બહાર બેન્ડ વાગતું હતું. ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી આઠ આના. છતાં મુખ્યત્વે ખ્રિસ્તીઓ અને યુરોપિયનોની ભારે ભીડ હતી. થોડી વારે બધી લાઈટ બંધ થઈ. સફેદ પડદા પર એક કૂકડો ચાલતો દેખાયો. આ કૂકડો પાથે કંપનીનો ટ્રેડ માર્ક હતો. પછી એક કોમેડી પિક્ચર શરૂ થયું. ફૂલ્સહેડ નામનો એક્ટર તેમાં કામ કરતો હતો. વચમાં વચમાં ફિલમ બંધ થતી અને લાઈટ ચાલુ થતી. સ્ટેજ પર કાં જાદુના કાં અંગ કસરતના ખેલ થતા. તે દિવસનું મુખ્ય પિક્ચર તો જિસસ ક્રાઇસ્ટના જીવન વિશેનું હતું. જિસસ પર દુઃખો પડતાં જોઈને અને તેમને વધસ્તંભ પર ચડાવ્યા ત્યારે ઘણા લોકો રડતા હતા. આ ફિલ્મ કિનેમાકલર પ્રોસેસ વડે રંગીન બનાવી હતી. પિક્ચર જોઈને અમે પાછાં ફરતાં હતાં ત્યારે તેમણે કહ્યું : આવી જ રીતે આપણે આપણા રામ અને કૃષ્ણ વિષે ફિલ્મ બનાવશું. તેમની આ વાત સાંભળીને મને જરા ય આનંદ ન થયો અને મેં કશો જવાબ આપ્યો નહિ.’

સરસ્વતીબાઈ અને દાદાસાહેબ ફાળકે

પણ કોણ હતાં આ સરસ્વતીબાઈ? ધુન્ડીરાજ ગોવિંદ ફાળકે ઉર્ફે દાદાસાહેબ ફાળકેનાં પત્ની. અને દાદાસાહેબ એટલે હિન્દુસ્તાનના ફિલ્મ ઉદ્યોગના પિતા. ૧૮૭૦ના એપ્રિલની ૩૦મી તારીખે નાશિક નજીકના ત્ર્યંબકેશ્વરમાં જન્મ. ૧૯૪૪ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે નાશિકમાં અવસાન. સંસ્કૃતના પરંપરાગત પદ્ધતિના વિદ્વાન. પિતા મુંબઈની વિલ્સન કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા એટલે તેમની સાથે મુંબઈ. ૧૮૮૫માં જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં દાખલ. પછી વડોદરાના કલાભવનમાં ભણ્યા. પછી જુદી જુદી નાટક કંપનીઓ માટે પડદા ચિતરવાનું અને ફોટોગ્રાફીનું કામ કર્યું. થોડો વખત રતલામ જઈ એક ફોટોગ્રાફી સ્ટુડિયોમાં કામ કર્યું. ૧૯૦૩માં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં જોડાયા. પછી એક છાપખાનું સંભાળ્યું અને છાપકામ શીખવા જર્મની ગયા. પણ પાછા આવ્યા ત્યાં સુધીમાં નક્કી કરી લીધું હતું કે મારું ક્ષેત્ર છાપકામ નહિ, ફિલ્મ છે.

પણ એ વખતે ફિલ્મ બનાવવા અંગે આપણા દેશમાં કોઈ કશું જાણતું નહોતું. એટલે પોતાની જીવન વિમા પોલીસી ગિરવે મૂકીને, પૈસા ઉછીના લઈને ઇન્ગલંડ ગયા. પાછા આવ્યા ત્યારે વિલિયમસન કેમેરા અને ફિલ્મ બનાવવાનાં બીજાં કેટલાંક સાધનો સાથે લેતા આવ્યા. અને હા, કાચી ફિલ્મનાં ફિન્ડલાં તો ખરાં જ. પાછા આવીને તેમણે હિન્દુસ્તાનની પહેલી મૂગી ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. મુંબઈના પરામાં એક બંગલામાં સ્ટુડિયો બનાવ્યો. એકડે એકથી બધી મહેનત જાતે કરી. ૧૯૧૨માં ૩,૭૦૦ ફૂટ લાંબી ફિલ્મ તૈયાર કરી. એ જમાના માટે આ ઘણી લાંબી ફિલ્મ કહેવાય. ૧૯૧૩ના એપ્રિલની ૨૧મી તારીખે મુંબઈના ગિરગામ વિસ્તારમાં આવેલા ઓલિમ્પિયા થિયેટરમાં આમંત્રિતો માટેનો પહેલો શો યોજાયો અને તેમને ફિલ્મ ઘણી પસંદ પડી. દસ દિવસ પછી ગિરગામ વિસ્તારમાં જ આવેલા કોરોનેશન થિયેટરમાં જાહેર શો શરૂ થયા.

યાદ છે ને, દિલ્હી દરબારના કોરોનેશન કહેતાં રાજ્યાભિષેક માટે શહેનશાહ પાંચમા જ્યોર્જ અને મહારાણી મેરી દિલ્હી જતાં પહેલાં મુંબઈ આવેલાં અને તેમનું ભવ્ય સ્વાગત થયેલું. આ કોરોનેશનની ઘટનાના માનમાં થિયેટરનું નામ કોરોનેશન રખાયું હતું. અને એ થિયેટરમાં દેશની પહેલી ફિલ્મ પહેલી વાર રજૂ થઈ. અને એ ફિલ્મનું નામ હતું રાજા હરિશ્ચંદ્ર. પરદેશી રાજાનું કોરોનેશન અને દેશી રાજા હરિશ્ચન્દ્ર વચ્ચેનો આ હતો નજીકનો સંબંધ.

રાજા હરિશ્ચન્દ્ર ફિલ્મનું એક દૃશ્ય

સેન્ડહર્સ્ટ રોડ પરના તંબુમાંથી બહાર નીકળ્યા પછી તો દાદાસાહેબે પત્નીને કહ્યું હતું કે રામ કે કૃષ્ણ જેવાં પૌરાણિક પાત્રો પર ફિલ્મ બનાવવી જોઈએ. અને પછી ફિલ્મ બનાવી ત્યારે રાજા હરિશ્ચન્દ્ર પર, એમ કેમ? ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના શરૂઆતના કેટલાક દાયકા દરમ્યાન મુંબઈમાં મરાઠીભાષીઓ, હિંદુ ગુજરાતીઓ, પારસીઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ વગેરે વચ્ચે સારો એવો એખલાસ હતો અને સાહિત્ય, સંગીત, નાટક, રંગભૂમિ, વર્તમાન પત્રો, વગેરે ક્ષેત્રોમાં થતાં બીજાનાં કામથી તેઓ પરિચિત રહેતા. એટલે રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજીના હરિશ્ચન્દ્ર નાટકને મળેલી અસાધારણ સફળતાથી દાદાસાહેબ પરિચિત હોય જ. આ નાટકના ૧,૧૦૦ શો ભજવાયા હતા એટલું જ નહિ, તેના અનુકરણમાં મુંબઈમાં અને ગુજરાતમાં ઠેર ઠેર હરિશ્ચન્દ્રની કથા નાટક રૂપે ભજવાતી થઈ હતી. આ લખનારના અંગત સંગ્રહમાં રાજા હરિશ્ચન્દ્ર વિશેનાં કુલ દસ નાટકોની ‘ઓપેરા બુક’ છે. તેમાં ૧૮૮૪માં બે નાટકની માહિતી મળે છે. મુંબઈના ભગવાનદાસ લક્ષ્મીદાસ ભણસાલીએ લખેલ ‘નવા હરિશ્ચન્દ્ર તારામતી’ અને મુંબઈના જ જમનાદાસ હરજીવને પણ એ જ નામથી લખેલ નાટક. તેના ટાઈટલ પેજ પર ‘શુદ્ધ ગુજરાતીમાં’ એમ ઉમેરેલું છે. પણ એ પાના પર જ ઓછામાં ઓછી પાંચ ભૂલો છે અને જોડાક્ષર લગભગ વપરાયા નથી! એ છપાયું છે મુંબાદેવી રોડ પરના ચોકસી બજારમાં આવેલ ‘પારસી પ્રીન્ટીંગ પરેસ’માં. ૧૮૮૬માં પણ બે નાટક : મોરબી આર્યજ્ઞાનવર્ધક નાટક કંપની માટે પ્રાણજીવન ગોકળજી રાવળે લખેલ ‘હરિશ્ચન્દ્ર ચરિત નાટક’ અને અજ્ઞાત લેખક કૃત ‘નવો હરિશ્ચન્દ્ર તારામતીનો ખેલ’. વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપની માટે ત્રમ્બકલાલ દેવશંકર રાવળે લખેલ ‘સત્યવાદી મહારાજા હરિશ્ચન્દ્ર’ની પહેલી આવૃત્તિ ૧૮૮૭માં અને બીજી આવૃત્તિ ૧૮૮૯માં પ્રગટ થઈ છે. પહેલી આવૃત્તિની બે હજાર અને બીજી આવૃત્તિની પાંચ હજાર નકલ છાપી હતી. એ પછી મળે છે ૧૮૯૦માં ‘ડાકોર ગુણગ્રાહક સભાના શુભેચ્છક’ મોતીભાઈ નાથાભાઈ મહેતાએ લખેલ ‘સતવાદી રાજા હરીશ્ચન્દ્ર તારામતી નાટક.’ એ જ વર્ષે એચ.એમ. શેઠનું ‘હરિશ્ચન્દ્ર ને તારામતી નાટક’ અમદાવાદના આર્યોદય પ્રેસમાં છપાઈને પ્રગટ થયું છે. તો ૧૮૯૧ અને ૧૯૨૧માં હરિશ્ચન્દ્ર પરનાં બે ‘હિન્દુસ્તાની’(જેને માટે આજે આપણે ‘ઊર્દૂ’ શબ્દ વાપરીએ છીએ)માં લખાયેલાં પણ ગુજરાતી લિપિમાં છપાયેલાં નાટકો મળે છે. ૧૮૯૧માં ‘મુનસી કરીમબખ્સ મુતખલ્લીસે ગુજરાતીમાંથી અનુવાદ કરેલ ‘દાસ્તાને હરીશ્ચન્દ્ર તારામતી, રોહીદાસ’ પૂણેના ‘જગધ્દીતેછુ’ છાપખાનામાં છાપીને પ્રગટ થયું છે. તો અમદાવાદના આણંદ ભુવન થિયેટર સાથે સંકળાયેલા ‘નજીર બેગ મુનસી’એ લખેલ ‘હરિશ્ચન્દ્ર નાટક’ અમદાવાદના શ્રી જૈન એડવોકેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાઈને બહાર પડ્યું છે. આ ઉપરાંત બે નાટકોની પ્રકાશન સાલ મળતી નથી : મહારાજ રામચંદ્ર માધવદાસજીએ લખેલ ‘શ્રી સત્યવાદી હરીશ્ચંદ્ર સત્યવિજય નાટક’ અને ‘બાળકો માટે સત્યવિજય નાટક’. આ નાટકના લેખકનું નામ પણ મળતું નથી. હરિશ્ચન્દ્ર વિશેનાં નાટક ઊર્દૂમાં ભજવાય એની આજે આપણને નવાઈ લાગે પણ એ વખતે મરાઠી-ગુજરાતી-ઊર્દૂ રંગભૂમિ પર આવી લેવડદેવડ થતી રહેતી.

રાજા હરિશ્ચન્દ્ર ફિલ્મની જાહેરાત

દાદાસાહેબ ફાળકે રણછોડભાઈ – કાબરાજીના હરિશ્ચન્દ્ર નાટકથી અને તેને મળેલી અસાધારણ સફળતાથી પરિચિત હોય એ સ્વાભાવિક ગણાય. વડોદરાના કલાભવનમાં તેમણે અભ્યાસ કર્યો હતો એટલે ગુજરાતની રંગભૂમિનો પરિચય પણ હોય તો નવાઈ નહિ. ૧૮૭૪થી હરિશ્ચન્દ્ર વિશેનાં નાટકો અવારનવાર ભજવાતાં રહેલાં એ હકીકતથી પણ તેઓ પરિચિત હોય. એટલે પોતાની પહેલી ફિલ્મ માટે વિષય પસંદ કરતી વખતે તેમણે રણછોડભાઈ – કાબરાજી અને બીજા લેખકોનાં નાટકોની બહોળી અને લાંબા સમયની સફળતાને ધ્યાનમાં રાખી હોય એવો પૂરો સંભવ છે. અને એટલે રામ-કૃષ્ણને બદલે તેમણે પહેલી ફિલ્મ રાજા હરિશ્ચન્દ્ર વિષે બનાવી હોય. પારસીઓએ ભજવેલું ‘ઇન્દ્રસભા’ નાટક પૂણેમાં જોઇને અણ્ણાહેબ કિર્લોસ્કરને મરાઠીમાં સંગીત નાટક લખવાનું સૂઝ્યું હતું અને તેમણે લગભગ રાતોરાત સંગીત શાકુન્તલ નાટક લખ્યું હતું. તો આ જ નાટક પરથી ૧૯૩૨માં ‘ઇન્દ્રસભા’ ફિલ્મ બની હતી જેમાં ૭૦ કરતાં વધુ ગાયન હતાં. આજ સુધી દુનિયામાં બનેલી બીજી કોઈ ફિલ્મમાં આટલાં ગીતો આવ્યાં નથી. અને તે બનાવી હતી જમશેદજી ફરામજી માદનની ‘માદન થીયેટર’ કંપનીએ. એટલે કે એ જમાનામાં રંગભૂમિ અને ફિલ્મો વચ્ચે પણ વાટકીવહેવારનો  સંબંધ હતો.

હરિશ્ચંદ્રના ત્રણ અવતાર

આપણા દેશની પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર’ જાહેર જનતા માટે પહેલી વાર બતાવાઈ હતી તે કોરોનેશન સિનેમેટોગ્રાફ એન્ડ વેરાયટી હોલ નામના થિયેટરમાં. ફિલ્મની જાહેર ખબરમાં તેનું સરનામું છાપ્યું છે : સેન્ડહર્સ્ટ રોડ, ગિરગામ. આ રોડ નું આજનું નામ વલ્લભભાઈ પટેલ રોડ. પણ આજના આ રોડ કરતાં સેન્ડહર્સ્ટ રોડ ઘણો વધુ લાંબો હતો. તેના એક છેડે હતો ચોપાટીનો દરિયા કિનારો, તો બીજે છેડે હતું જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેનું સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન. આ સ્ટેશન અને રસ્તો બંને, ૧૯૧૦માં તૈયાર થયાં હતાં. એટલે કે ૧૯૧૩માં આ ફિલ્મ બતાવાઈ ત્યારે આ રસ્તો અને થિયેટર લગભગ નવાં નક્કોર હતાં. લોર્ડ વિલિયમ્સ મેન્સફિલ્ડ સેન્ડહર્સ્ટ (૧૮૫૫-૧૯૨૧) ૧૮૯૫થી ૧૯૦૦ સુધી મુંબઈના ગવર્નર હતા. અને ૧૯૧૨થી મૃત્યુ સુધી લોર્ડ ચેમ્બરલેન ઓફ ધ હાઉસહોલ્ડ હતા. કારકિર્દીની શરૂઆત લશ્કરમાં. ૧૮૭૬માં પિતાનું અવસાન થતાં બેરન સેન્ડહર્સ્ટ બન્યા. ત્યારે તેમની ઉંમર હતી ૨૦ વર્ષ. પછી ૨૧મા જન્મ દિવસે હાઉસ ઓફ લોર્ડઝના સભ્ય બન્યા. મુંબઈનું ગવર્નરપદ છોડ્યા પછી તેમની નિમણૂક એકસ્ટ્રા નાઈટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા તરીકે થઈ હતી. ૧૯૧૨માં લોર્ડ ચેમ્બરલેનઓફ ધ હાઉસહોલ્ડ બન્યા. ૧૯૧૭માં બર્કશાયર કાઉન્ટીના વાઈકાઉન્ટ સેન્ડહર્સ્ટ બન્યા. તેમની હયાતિ દરમ્યાન જ આ નવા બનેલા રસ્તા અને સ્ટેશનને તેમનું નામ અપાયું.

લોર્ડ સેન્ડહર્સ્ટ

આજે કોઈ ઈમારતના સરનામામાં ફક્ત ‘એસ.વી. રોડ’ લખીએ તો ચાલે નહિ, કારણ રસ્તો ઘણો લાંબો છે અને જુદાં જુદાં પરાંમાંથી પસાર થાય છે. એટલે સાથે વાંદરા, કે વિલે પાર્લે, કે જોગેશ્વરી વગેરે લખવું પડે. તેવી જ રીતે આ સેન્ડહર્સ્ટ રોડ પણ ઘણો લાંબો હતો એટલે રાજા હરિશ્ચન્દ્રની જાહેર ખબરમાં તેના નામ પછી ‘ગિરગામ’ ઉમેર્યું છે. એટલે એટલું તો નક્કી, કે આ થિયેટર સેન્ડહર્સ્ટ રોડ પર અને ગિરગામ વિસ્તારમાં આવ્યું હતું. એટલે તે ૧૯૧૦ પહેલાં તો ન જ બંધાયું હોય. થિયેટરનું નામ હતું કોરોનેશન, અને શહેનશાહ પાંચમા જ્યોર્જ અને મહારાણી મેરીનું કોરોનેશન (રાજ્યાભિષેક) ૧૯૧૧ના જૂનની ૨૨૨મી તારીખે લંડનમાં થયું. એટલે થિયેટર ૧૯૧૧ના જૂન પછી જ બંધાયું હોય. પણ આ નામને તેમનું હિન્દુસ્તાનના શહેનશાહ અને મહારાણી તરીકે કોરોનેશન થયું તેની સાથે સંબંધ હોવાનું વધુ શક્ય છે, અને તો તે ૧૯૧૧ના ડિસેમ્બરની ૧૨મી પછી બંધાયું હોય. આ થિયેટરના નામમાં ‘વેરાયટી હોલ’ ઉમેર્યું છે કારણ તે વખતે માત્ર ફિલ્મ બતાવીને કોઈ થિયેટર ચાલી શકે તેમ હતું નહિ. એટલે અહીં સંગીત, નૃત્ય, જાદુ વગેરેના ખેલ પણ થતાં રહેતાં. આજની ભાષામાં કહીએ તો આ મલ્ટીપર્પઝ હોલ હતો. તેનું નામ ‘કોરોનેશન’ પાડ્યું એટલે તેના માલિક અંગ્રેજ રાજવટ માટે આદર-ભક્તિ ધરાવનાર હોવા જોઈએ. નામમાં તે શું બળ્યું છે એમ કહેવાય છે, પણ ઘણી વાર ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, સંસ્કૃતિ વિશેનાં મહત્ત્વનાં સૂચનો નામમાંથી મળી રહેતાં હોય છે.

‘કોરોનેશન’ નામમાંથી મળતાં કેટલાંક સૂચન અંગેની વાત આવતે અઠવાડિયે. ત્યાં સુધી સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર કી જય!  

e.mail : deeepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 04 જુલાઈ 2020

Loading

...102030...2,3992,4002,4012,402...2,4102,4202,430...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved