આ લખાય છે ત્યારે ગુરુપૂર્ણિમા છે. ગુરુનું માન ભર્યું સ્થાન એક કાળે હતું તેનું કારણ એ હતું કે ગુરુ વિદ્યાનો વાહક હતો. તેની પાસે વિદ્યાર્થીઓને આપવાના આદર્શો હતા. ગુરુ જ્ઞાન આપતો ને વિદ્યાર્થી તે ગ્રહણ કરીને જીવનને સંસ્કારી ને સમાજોપયોગી બનાવતો. તે પછી તો મનુષ્યે અનેક પ્રકારની પ્રગતિ જ્ઞાન-વિજ્ઞાનને ક્ષેત્રે કરી, પણ ગુરુ અને વિદ્યાર્થીઓનું સ્થાન ઉત્તરોત્તર ઉતરતું ગયું છે. વિદ્યાર્થી વિદ્યાની ‘અર્થી’ ઉપાડી રહ્યો છે ને ગુરુ ‘માસ્તર’ થઈને રહી ગયો છે. બંનેમાં અપવાદો આજે પણ છે જ અને એના પર જ દુનિયા ટકેલી જણાય છે. એ ખરું કે સરકાર અને તંત્રો સુચારુ વ્યવસ્થા અને સંકલન માટે અસ્તિત્વમાં આવ્યાં, પણ થોડા અપવાદોને બાદ કરતાં પ્રજા કલ્યાણનાં કાર્યો ઘટતાં આવ્યાં છે ને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર માટે જ સરકાર અને તંત્રો જાણે અસ્તિત્વ ધરાવે છે. એમાં જે ક્ષેત્ર ભ્રષ્ટ હોવું જ ન જોઈએ એ શિક્ષણનાં ક્ષેત્રમાં સૌથી વધુ ગેરવ્યવસ્થા ને ભ્રષ્ટતા જોવાં મળે છે.
આખા ય ભારતમાં સૌથી વધુ તુક્કાઓ ને તરંગો કોઈ શિક્ષણ વિભાગમાં ચાલતા હોય તો વિશ્વાસથી કહી શકાય કે તે ગુજરાતમાં ચાલે છે. કદાચ સૌથી વધુ નધણિયાતો વિભાગ શિક્ષણ વિભાગ છે અથવા તો એને કોઈ કહેનારું નથી કે પછી એની કોઈ જવાબદારી બનતી ન હોય એ રીતે તે વર્તે છે. તમામે તમામ વર્ગોને, સ્કૂલ કક્ષાએ ચાલી રહેલાં ઓનલાઈન શિક્ષણનો સખત વિરોધ છે, પણ આ વિરોધ બહેરા કાને અથડાઈને રહી ગયો છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ૨૯-૩૦ જુલાઈએ શિક્ષણ વિભાગ તમામ ધોરણોની ૧ કલાકની પરીક્ષા લેવાનો છે ને આ પરીક્ષા બધી સ્કૂલો માટે ફરજિયાત છે. આની સામે યુનિવર્સિટીની પરીક્ષાઓ અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવામાં આવી છે. આખા શિક્ષણ વિભાગને કોઈ મનોવૈજ્ઞાનિક સારવારની જરૂર જણાય છે અથવા તો એમ માનવું પડે કે તે મનસ્વી રીતે વર્તવામાં જ પોતાની સાર્થકતા અનુભવે છે.
ધોરણ બારમાં કોઈક કારણસર પરીક્ષા ન આપી શકનાર કે નાપાસ થનાર વિદ્યાર્થીની વિજ્ઞાન વિભાગમાં પૂરક પરીક્ષા ફી લઈને લેવાય છે. એ સારો ઉપક્રમ છે. અહીં આશ્ચર્ય એ વાતે થાય કે સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા કેમ નથી લેવાતી? એ પરીક્ષા લેવડાવવા માટે વિદ્યાર્થી મંડળોએ ધરણા કરવા પડ્યા. શિક્ષણ વિભાગને કુટેવ પડી ગઈ છે કે વિરોધ ન થાય ત્યાં સુધી પોતાની સમજ વાપરીને કોઈ નિર્ણય લેવો જ નહીં.
આવો વિરોધ પ્રાથમિક શિક્ષકોએ કરવો પડે એવું કારણ શિક્ષણ વિભાગે ૪ જુલાઈએ આપ્યું છે ને સરકાર નહીં માને તો શિક્ષકો મોટું આંદોલન છેડશે એવું લાગી રહ્યું છે. આમ પણ શિક્ષકોની ભરતી કરવામાં સરકાર ને શાળા સંચાલકો અખાડા કરતા જ રહે છે. ધારો કે શિક્ષકોની ભરતી કરે તો શિક્ષકોને તેમનો હક કઈ રીતે ન મળે એનાં છીંડાં જ તંત્રો શોધતાં રહે છે.
પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૦ પછી જે શિક્ષકો ભરતી પામ્યા છે એમના પેટ પર પગ મૂકવાનું સરકારે નક્કી કર્યું છે. નવ વર્ષે મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણનો ગ્રેડ ૪,૨૦૦ રૂપિયા નક્કી થયેલો છે. તેનો એક પરિપત્ર દોઢેક વર્ષ પર કરીને, શિક્ષણ વિભાગે, ૪,૨૦૦નો ગ્રેડ ઘટાડીને ૨,૮૦૦ કરી નાખ્યો છે. આનો ત્યારે જ શિક્ષકોએ વિરોધ કરેલો. સરકારે ત્યારે એક સમિતિ રચેલી. એ સમિતિએ એઝ યુઝવલ કંઈ ન કર્યું ને વાત હવે વકરી છે ત્યારે પેલી સમિતિ ને સરકાર, બંને ચૂપ છે. નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો હોય ને તે યોગ્ય છે કે નહીં, તેની સ્પષ્ટતા વિભાગે પોતે કરવાની હોય, તેને બદલે સરકાર સમિતિ પાસેથી કામ લે છે. આ કામ લેવાનું ભાગ્યે જ ઉપકારક નીવડતું હોય છે. મોટે ભાગની સમિતિઓ હાજરી ને હોજરીનું જ ધ્યાન રાખતી હોય છે તે આટલા અનુભવો પરથી પણ સરકારને સમજાતું નથી તે દુખદ છે.
શિક્ષણ વિભાગે આવું કેમ કર્યું, તેનું કોઈ કારણ અપાયું નથી. બસ કર્યું એટલું જ શિક્ષકોએ સમજવાનું રહે. સરકારે સામે ચાલીને મધપૂડો છંછેડ્યો છે. દેખીતું છે કે શિક્ષકોને વાંધો પડે જ! લગભગ ૧૭,૦૦૦થી વધુ શિક્ષકોએ ઓનલાઈન અને ટ્વીટર પર વિરોધ કર્યો છે ને આમાં વધુ શિક્ષકો જોડાય તો નવાઈ નહીં. રાજ્યના ૬૦ હજારથી વધુ શિક્ષકો સરકારના આવા અણઘડ પરાક્રમથી દર મહિને અંદાજે ૧૦,૦૦૦થી વધુ રકમનું નુકસાન વેઠી રહ્યા છે.
ક્યાં ય પણ આર્થિક કાપ મૂકવાનો હોય તો સરકારની નજર પ્રાથમિક શિક્ષક પર પહેલાં બગડે છે. ઉચ્ચતર પગાર ધોરણનો મળવા પાત્ર ગ્રેડ જે તે શિક્ષકનો અધિકાર છે ને તે વિરોધ કે આંદોલન વગર મળે જ નહીં એ કેવું? આ કેવળ ને કેવળ શરમજનક છે. ઉચ્ચ અધિકારીઓ, વિધાન સભ્યો, સાંસદોને ન મળવા પાત્ર પણ ઘણું બધું મળતું હોય છે તો જેને મળવા પાત્ર ગ્રેડ છે તેના પર કાપ શું કામ?તઘલખને સારો કહેવડાવે એવા તુક્કા સરકારને આવે છે ને લાંબો વિચાર કર્યા વગર તે લાગુ પણ કરી દે છે.
૨૦૧૦ પહેલાં ભરતી થયેલા શિક્ષકને ૪,૨૦૦નો ગ્રેડ આજે મળે જ છે, પણ તે પછી ભરતી થયેલાને ૪,૨૦૦ને બદલે ૨,૮૦૦નો ગ્રેડ મળે (સીધો ૧,૪૦૦નો તફાવત). આ ભેદ શિક્ષકોમાં પણ ભેદભાવ રખાવશે. બે શિક્ષકો એક જ પ્રકારનું સરખું કામ કરતા હોય, પણ તેમના પગારમાં તફાવત રહે તો તેમની વચ્ચે સ્વસ્થતા નહીં રહે ને આ સ્થિતિ અનેક સમસ્યાઓને જન્મ આપશે. એક તરફ કોરોના મહામારીને કારણે અનેક લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય ને શિક્ષક પણ એમાંથી બાકાત ન હોય ત્યારે સરકાર કારણ વગરનો વિવાદ છેડે તે કોઈ રીતે યોગ્ય નથી.
અહીં શિક્ષકો કામ નથી કરતા કે તેઓ દુર્વ્યવ્હારોમાં સંડોવાયેલા છે એવો આરોપ આવી શકે ને તે સાવ ખોટું છે એવું ય નથી, પણ બધા શિક્ષકો એવા છે એવું કહી શકાય નહીં. જે પણ જવાબદાર છે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેનો વાંધો નથી, પણ તેનો અર્થ એવો નથી કે શિક્ષકોને મળવા પાત્ર પગાર ગ્રેડમાં કાપ મૂકી દેવાય. બધે જ પગાર ધોરણો વધતાં હોય, સાંસદો ગમે ત્યારે પગાર વધારી લેતા હોય, એટલું જ નહીં, હક વગરનું પેન્શન પણ ગજવે ઘાલતા હોય તો શિક્ષકની ગરદન મારવાનો આખો ઉપક્રમ કોઈ ગુનાથી ઉતરતો નથી. સરકાર એક બહાનું જરૂર કાઢી શકે કે તેની પાસે પૈસા નથી. એ સાચું પણ છે, પણ એવા તો કેટલાં બધાં લોકો છે જેમને આવક મહિનાઓથી બંધ છે ને ખર્ચ તો ચાલુ જ છે. સરકાર તો દિવસો સુધી પેટ્રોલના ભાવ વધારીને ઉપરની આવક પણ કરી લે, પણ મધ્યમવર્ગ આવક વધારવા કોનો ભાવ વધારીને ઉપરની આવક મેળવે? એ ક્યાં જાય? પ્રાથમિક શિક્ષક મધ્યમવર્ગનું જ પ્રતિનિધિત્વ કરે છે, એવા ૬૦ હજારથી વધુ શિક્ષકોને મળવા પાત્ર ગ્રેડથી વંચિત રાખવાનું પાતક સરકાર શું કામ વહોરી રહી છે તે નથી સમજાતું.
પ્રાથમિક શિક્ષક, શિક્ષણ વિભાગનું ઓરમાયું સંતાન છે. ચૂંટણી આવી રહી છે? તો તેની કામગીરી સોંપો શિક્ષકને. વસતિ ગણતરી કરવાની છે? મોકલો ‘માસ્તર’ને! રસી, ટીકાનું કામ છે તો બોલાવો પ્રાથમિક શિક્ષકને, મંત્રી આવવાના છે ને વિદ્યાર્થીઓને ટાઢ તડકામાં ઊભા રાખવાના છે, તો એ કામ સોંપો શિક્ષકને, કોરોનાનો સરવે કરવાનો છે? તો માસ્તર ક્યારે કામ આવશે? આજનો જ દાખલો લઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળમાં જરૂરી વસ્તુઓ પહોંચાડવાની જવાબદારી શિક્ષકને નામે ચડાવાઈ છે. એવાં તો કેટલાં કામો છે જે શિક્ષકને માથે વર્ષોથી મરાતા આવ્યા છે ને શિક્ષકોએ તે મૂંગા મોઢે કર્યા પણ છે. તે તેનું શિક્ષણકાર્ય વફાદારીથી કરી જ ન શકે એ રીતે તેને બીજાં કામો નિયમિત રીતે સોંપાતા જ રહે છે. એમાં જો વર્ગનું પરિણામ નબળું આવ્યું તો આ જ વિભાગ શિક્ષકને માથે પસ્તાળ પાડે છે. તેને શિક્ષણકાર્ય કરવાની પૂરતી મોકળાશ જ ન હોય તો તેના વર્ગનું પરિણામ નબળું આવે તેમાં તેનો વાંક કાઢી શકાય નહીં. વિદ્યાર્થીઓનું પાયાનું શિક્ષણ એ જ કારણે કાચું રહી જાય છે એ સરકારથી માંડીને દરેક લાગતા વળગતાઓએ સમજી લેવાનું રહે. શિક્ષણ વિભાગે ‘માસ્તર’ અને મજૂર વચ્ચે ફરક કરવો જ પડશે. એ ફરક નહીં કરવામાં આવે તો નબળાં શિક્ષણનો દોષ શિક્ષકનો નહીં, પણ શિક્ષણ વિભાગનો જ ગણાય તે સમજી લેવાનું રહે.
૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “ધબકાર”, 06 જુલાઈ 2020