Opinion Magazine
Number of visits: 9843023
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોમનાથ સંઘર્ષ …..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 August 2025

રવીન્દ્ર પારેખ

ઉત્તરકાશીના ધરાલી અને અન્ય બે સ્થળો પર વાદળ ફાટવાને કારણે ઘણાં લોકો મૃત્યુ પામ્યાં અને સેંકડોની હજી કોઈ ભાળ મળી નથી. એ ખરું કે વાદળ ફાટવાની આગાહી થઇ શકતી નથી, એટલે હાનિ વધુ થાય છે. હાનિ કરનારાં કારણો નજર સામે હોય, તો તે દૂર કરી શકાય, પણ હંમેશ દૂર થાય જ એવું નથી. પર્વતીય ક્ષેત્રોમાં નાના મોટા પ્રોજેક્ટ્સ દ્વારા વિકાસ સાધવાની જે ઘાતક ઘેલછા સરકારોમાં ઘર કરી ગઈ છે, તે વિકાસને વિનાશમાં પલટ્યા કરે છે. વારુ, આ પર્વતીય ક્ષેત્રોમાં પવિત્ર યાત્રાધામો આવેલાં છે ને તે વિકાસને નામે વધુ પ્રદૂષિત થઇ રહ્યાં છે, પણ તેમાં સુધારો કરવાની તંત્રોની તૈયારી નથી. તે એટલે કે આ વિકાસ વધુ કમાણી કરાવનારો છે. કોણ જાણે કેમ પણ, આપણા ઘણા ખરા વિકાસનું લક્ષ્ય આર્થિક લાભ જ છે, એથી વચમાં કંઇ પણ આવે તો તેને જમીનદોસ્ત કરવાનો કોઈને ય સંકોચ થતો નથી. સાચું તો એ છે ધાર્મિક ઓઠાં હેઠળ પણ હેતુ તો આર્થિક લાભ ખાટવાનો જ હોય છે. આવો ધાર્મિક લાભ ખાટવાની ઈચ્છા તંત્રોની જ હોય છે એવું નથી, એ ઈરાદો પ્રજાનો ય હોય જ છે. આવું અત્યારે સોમનાથ કોરિડોર મુદ્દે જોવા મળી રહ્યું છે.

સોમનાથ, બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે ને પહેલું છે. ભારતની સ્વતંત્રતા પછી, તે વખતના નાયબ વડા પ્રધાન વલ્લભભાઈ પટેલના આદેશથી આ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું ને તે 1951માં પૂર્ણ થયું. આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે ને દેખીતી રીતે જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શન-પૂજન-અર્ચન માટે ઉમટશે, પણ આ બધાંમાં ત્યાંના નિવાસીઓનો અસંતોષ પણ સપાટી પર આવ્યો છે. અસંતોષનું કારણ સોમનાથ મંદિર નથી, પણ સોમનાથ કોરિડોર છે. સોમનાથ કોરિડોર અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ આઠેક મહિના પર મળેલી મંદિર ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ અને વડા પ્રધાન મોદીએ કોરિડોર પ્રોજેક્ટ પર આખરી મહોર મારતાં તેમાં વેગ આવ્યો છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટની કામગીરીનો એક નમૂનો જાણવા જેવો છે. દશનામ ગોસ્વામી સમાજના સભ્યો  રુદ્રેશ્વર મંદિર પાસે વર્ષોથી રહેતા હતા, પણ કોર્ટના આદેશ બાદ સમાજે જગ્યા ખાલી કરી આપી હતી. એ સાથે જ ટ્રસ્ટને મંદિરમાં પૂજા કરવા દેવાનું અને 200 વર્ષ જૂનું સમાધિ સ્થળ ન તોડવાનું સમાજ દ્વારા કહેવામાં આવ્યું હતું. ટ્રસ્ટ મૌખિક રીતે તો સંમત થયું, પણ 9 જુલાઈ, 2025ની રાત્રે દોઢેક વાગે 100 જૂનાં સમાધિ સ્થળો તોડી પાડવામાં આવ્યાં ને રુદ્રેશ્વર મંદિર કોર્ડન કરી દેવાયું. આમ તો સોમનાથ અને રુદ્રેશ્વર વચ્ચેનું અંતર દોઢેક કિલોમીટરનું જ છે ને બન્ને શિવ મંદિરો જ છે, છતાં બન્ને વચ્ચે કેટલું બધું ‘અંતર’ છે ! આ મામલે દશનામ ગોસ્વામી સાધુ સમાજે ગંભીર આરોપો સોમનાથ ટ્રસ્ટ પર મૂક્યા ને સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું તે સાથે જરૂર પડે તો સમાજની તૈયારી હાઈકોર્ટ સુધી જવાની છે તે ય સ્પષ્ટ કર્યું. આશ્ચર્ય એ વાતે છે કે વિધર્મીઓને શરમાવે એવો આ મામલો બે મંદિરો વચ્ચેનો છે.

જો કે, સોમનાથ કોરિડોરનું નિર્માણ હાથ ધરાતાં ત્યાંના સ્થાનિકો પર તવાઈ આવી છે. તવાઈ આવે તો પણ ભવાઈ ન અટકે એવી તંત્રોની ગતિ છે, એટલે યેન કેન પ્રકારેણ જમીન સંપાદિત થયા વિના રહેવાની નથી એ સ્થાનિકોએ સમજી લેવાનું રહે. કારણ, ધાર્મિક હોય તો પણ, આર્થિક લાભ માટે ને ભક્તોને વધુ સગવડ મળી રહે એ નામે, કોરિડોર થઈને રહે એવી પૂરી શક્યતાઓ છે. સ્થાનિકો સમજીને આપે તો ઠીક છે ને ન સમજે તો જમીન આંચકી લેતાં પણ, સત્તાધીશો અચકાવાના નથી તે નક્કી છે. આ સંપાદનમાં 8 મંદિરો સહિત 384 મિલકતો જમીનદોસ્ત થાય એમ છે. આ મિલકતદારોની અહીં પાંચથી વધુ પેઢીઓ વર્ષોથી રહી છે અને અહીં જ તેઓ દુકાનો, હોટેલો, ગેસ્ટ હાઉસ દ્વારા વ્યવસાય કરતા આવ્યા છે. આ મંદિર સાથે ને આ ભૂમિ સાથે તેમનો ઘરોબો છે. અહીં ઘણાં જન્મ્યાં છે ને ઘણાં આ ભૂમિમાં જ મર્યાં છે. એમાં હિંદુઓ છે, તો મુસ્લિમો પણ છે. એમને આ ભૂમિ છોડવાનો સ્વાભાવિક જ વિરોધ હોય તે સમજી શકાય એવું છે.

વિરોધ એટલે પણ તીવ્ર છે કે કોઈ પણ નોટિસ કે વળતર વગર તેમને જગ્યા ખાલી કરવાનું કલેકટર કે પોલીસ દ્વારા ક્યારેક ધાકધમકીથી પણ કહેવાયું છે. એટલે જ એક મહિલા વિરોધમાં સૂચક રીતે કહેતી સંભળાય છે, ‘વિનાશના ભોગે વિકાસ ન હોય.’ ઘણાનું આ ભૂમિ, જીવન નિર્વાહનું નિમિત્ત બની છે ને સ્વાભાવિક જ જીવ કરતાં જીવાઈ એમને વધારે વ્હાલી હોય. અહીં જ રહેણાંક વિસ્તાર ઉપરાંત ધર્મશાળા, મંદિરો, દરગાહ, ખુલ્લા પ્લોટ પણ છે. આ માત્ર નિર્જીવ જમીન નથી. અહીં ઘણાનાં સંવેદનો ઊછર્યાં છે, એ ભૂમિ જાય તો લાગી આવે ને એટલે જ પ્રભાસ પાટણ રોષે ભરાયું છે. ઘણાં ઘર આપવા તૈયાર નથી. તેની સામે બીજું કંઇ પણ મળે, તેમને આ ઘર સિવાય કંઇ ખપે એમ નથી. 6 ઓગસ્ટને દિવસે પ્રભાસ પાટણે સજ્જડ બંધ પાળ્યો. મહિલાઓનું સ્પષ્ટ કહેવું છે કે તેમને કોરિડોર જોઈતો જ નથી-

આગેવાનોનું માનવું છે કે સમજાવટથી જ આનો ઉકેલ આવે એમ છે. નાયબ કલેકટરને આવેદન પત્રો આપીને વિરોધ નોંધાવાયો છે. વેરાવળના નાયબ કલેકટર વિનોદ જોશીનું માનવું છે કે કિંમત જાહેર થશે તો બધું શાંત થઈ જશે ને 25,000 ચોરસ મીટરનું સંપાદન ઝડપથી પૂર્ણ થઈ શકશે. જો કે, આ મામલે વિનોદ જોશીએ મહિલાઓની વાતો ન સાંભળી હોવાનું પણ કહેવાય છે. એક વૃદ્ધાનું કહેવું હતું કે તેને પૈસા નથી જોઈતા, ઘર જોઈએ છે. ઘણી મહિલાઓએ ‘કોરિડોર હાય હાય’ના નારા પણ લગાવ્યા. ઘણાને એમ પણ છે કે આ કોરિડોર સેવા માટે નહીં, પણ કમાણી માટે થઈ રહ્યો છે. એટલે જ કોઈ કહે છે – એ કમાણી માટે અમારે જીવથી વ્હાલી જમીન આપી દેવાની? અમે જીવ આપીશું, જમીન નહીં ! ઘણાં 5 કરોડ રૂપિયા મળે તો પણ ઘર આપવા તૈયાર નથી, તો ઘણાનું એમ પણ માનવું છે કે જે વળતર મળે એમાં બીજે ઘર ન ખરીદી શકાય. એને બદલે બીજે ઘર અપાય અથવા એટલું વળતર અપાય કે ઘર ખરીદી શકાય તો તેમને જગ્યા છોડવાનો વાંધો નથી. આગળ જતાં સ્થાનિકોમાં બે ભાગ પડી જાય કે બે ભાગ પડાવાય, તો તંત્રોનું કામ થઈ જાય એમ બને.

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ સ્થાનિકોની મુલાકાત કરી. તેમણે અસરગ્રસ્તોની રજૂઆતો સાંભળી અને તેમને એ મુદ્દે આશ્વસ્ત કર્યા કે તંત્રો સાથે તેમની મુલાકાત કરાવીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કોશિશ કરવામાં આવશે. પ્રભાસ પાટણ ગામ સમસ્તની બ્રહ્મલુરી ખાતે એક બેઠક મળી હતી, જેમાં જેમની જમીન જાય એમ છે એ 384 પરિવારો પણ હાજર રહ્યા હતા ને કોરિડોર મુદ્દો ઉકેલવા ‘પ્રભાસ હિત રક્ષક સમિતિ’ની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં દરેક સમાજના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પછીની જે કંઇ રજૂઆતો હશે તે આ સમિતિ દ્વારા થશે. લગભગ 2,500 લોકોને સ્પર્શતો આ મુદ્દો કેવી રીતે ઉકેલાશે તે તો નજીકના ભવિષ્યમાં ખબર પડશે, પણ વિકસી રહેલી બુલડોઝર સંસ્કૃતિ જ વિકાસ કહેવાય એવી તાજી વ્યાખ્યા પુનર્વિચાર તો માંગે જ છે. આ બધાં પરથી એવું લાગે છે કે કોઈ ધર્મ, કોઈ પક્ષ, કોઈ નીતિ, કોઈ શિક્ષણ, કોઈ વ્યક્તિ કે કોઈ સમૂહ છેવટે તો લોકશાહીમાં પણ એ જ સૂત્ર સાચું ઠેરવે છે કે સત્તા જ સર્વોપરી છે …..

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ઑગસ્ટ 2025

Loading

“ઇગલ અને ડ્રેગન વચ્ચે ભારતનું સંતુલન : નવી વૈશ્વિક વ્યવસ્થામાં રાજકીય કુશળતા”

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 August 2025

વધુ મુશ્કેલ બાબત એ છે કે ભારતની સંરક્ષણ સંપાદનની કામગીરી ધીમી તો છે જ પણ અમુક વાર અપારદર્શક પણ હોય છે. બોઈંગના સોદાની કિંમતનો વધારો એ તંત્ર સ્તરે કાર્યક્ષમતાનો અભાવ દર્શાવે છે. આ કારણે જ આપણે બાહ્ય આર્થિક દબાણોમાં સપડાવા માટે સંવેદનશીલ રાષ્ટ્ર બનીએ છીએ.

ચિરંતના ભટ્ટ

વૈશ્વિક વ્યવસ્થાની ચાકીઓ ફરી રહી છે, રાષ્ટ્રીય સત્તાઓના સ્તર, તેમની તાકાત, તેમની નીતિઓ – બધું જ બદલાઈ રહ્યું છે. ફેરફાર આવી રહ્યા છે અને લીલા ભેગું સૂકું બળે એવો ઘાટ પણ થઇ રહ્યો છે.  એક તરફ ખાઈ અને બીજી તરફ કૂવો જેવી સ્થિતિ ઓછે વત્તે અંશે બધા જ દેશો માટે છે. આપણે માત્ર આપણા દેશની દૃષ્ટિએ વાત કરીએ તો રાજકીય ભૌગોલિક સંજોગો એવા રચાયા છે કે અમેરિકન ઇગલ અને ચાઈનીઝ ડ્રેગન સાથે આપણો ભારતીય હાથી સંતુલન કરવા માટે જાણે દોરડા પરનું તરકટ કરતો હોય એવી રીતે સંતુલન બનાવી રહ્યો છે.

ટ્રમ્પની ભૂલભરેલી વ્યૂહરચના

ડોનાલ્ડ ટ્રમ્પને યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ તરીકે બીજીવારની ઇનિંગના આઠ મહિના પૂરા થયા છે. આટલા વખતમાં તેણે ભારત-યુ.એસ.ની આટલાં વર્ષોની વ્યૂહાત્મક ભાગીદારીને ભૂતકાળ બનાવી દીધી હોય એવું લાગે છે. અમેરિકા ફર્સ્ટ – એ ટ્રમ્પનો નારો હતો. પોતાના આ એજન્ડાને લઈને વિચાર્યા વગર આગળ વધેલા ટ્રમ્પે એશિયા પેસિફિકના તેના સૌથી સારા સાથી રાષ્ટ્ર પર આર્થિક શસ્ત્રોનો હુમલો કર્યો.

પરિણામ? ભારતે આ અઠવાડિયે 3.6 બિલિયન ડૉલર્સની બોઈંગ P-8I મેરિટાઈમ સર્વિલિયન્સ એરક્રાફ્ટના સોદાને અટકાવી દીધો છે. ટ્રમ્પે 25 ટકા (અમુક કિસ્સામાં 50 ટકા સુધી) ટેરિફ ઝીંક્યાનો આ સીધો જવાબ છે. 1998માં ભારત અને યુ.એસ.એ. વચ્ચેના સંબંધોમાં ન્યુક્લિયર ટેસ્ટને કારણે નાટ્યાત્મક તિરાડ પડી હતી. તે પછી એ પ્રકારના સંજોગો અત્યારે ખડા થયાં છે.

આ પરિસ્થિતિમાં વિરોધાભાસ દેખીતો છે. ટ્રમ્પ, જેણે ચીનને કાબૂમાં રાખવાની ઝુંબેશ ચલાવી, તેણે પોતાના સાથી ગણાતા રાષ્ટ્ર ભારતને જાણે પોતાના હરીફ ચીનના હાથમાં ધકેલ્યો. આને ભૌગોલિક રાજકીય કૂટનીતિ નહીં પણ રાજદ્વારી આત્મહત્યા કહેવાય. ટ્રમ્પ ભારત સાથે જે વહેવાર કરે છે તે અતાર્કિકતા અને અસંગતતાનો માસ્ટર ક્લાસ છે. જાન્યુઆરી 2025થી ટ્રમ્પે ટેરિફના ગાણાં ગાયાં હતા અને આખરે તેણે ધાર્યું કર્યું પણ.

ભારતીય આઈ.ટી. સેવાઓ અને ફાર્માસ્યુટિકલ્સની અમેરિકા તરફથી તોતિંગ માંગ છે જે સરપ્લસમાં છે. યુ.એસ.એ. સાથેના આ વ્યાપારનો ભારતને હંમેશાંથી લાભ મળતો આવ્યો છે. હવે જેટના મામલે જે રીતે સોદો અટક્યો છે તે બતાડે છે કે ટ્રમ્પની લેવડ-દેવડની કૂટનીતિ સાવ ઢંગ ધડા વગરની છે.

2021માં 2.42 બિલિયન ડૉલર્સમાં મંજૂર થયેલો આ સોદો આમે ય પુરવઠાની ચેઈનમાં આવેલા અવરોધો અને ફુગાવાને કારણે 3.6 બિલિયન ડૉલર્સ પર પહોંચ્યો હતો. ટ્રમ્પના ટેરિફના દાવને કારણે એરક્રાફ્ટ ભારતના સુરક્ષા બજેટ માટે બહુ મોંઘા થઈ ગયા. ભારતીય નૌકા દળ બાર P-8I એરક્રાફ્ટ ઓપરેટ કરે છે અને તે ઈન્ડો-પેસિફિક સર્વેલિયન્સ માટે અનિવાર્ય છે. હવે ભારતીય નૌકાદળે નવા અને સ્વદેશી વિકલ્પો શોધવા પડશે. અમેરિકા તરફથી સુરક્ષા માટેના સંસાધનોના નિકાસકારો માટે આ સ્થિતિ બહુ આવકાર્ય નથી.

ટ્રમ્પનો આ વહેવાર સાબિત કરે છે કે તેને મિત્રો અને શત્રુઓ વચ્ચેનો ભેદ પારખતા નથી આવડતું. આ એ જ પ્રેસિડન્ટ છે જેણે અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચી લીધું અને ભાગીદાર દેશોને પણ ગણતરીમાં ન લીધા. જોવાનું એ છે કે ટ્રમ્પને એવી અપેક્ષા છે કે પોતાની આ દાદાગીરી અથવા તો આર્થિક દંડને ભારતે ચૂપચાપ વેઠી લઈને ચીન સામેનું પોતાનું વિરોધાભાસી વલણ યથાવત રાખે. રાજદ્વારી સ્તરનું આવું આંધળુકિયું વલણ હાસ્યાસ્પદ સાબિત થઈ શકે છે એવું ટ્રમ્પ સમજે તો સારું.

ચીનનો તકવાદી અભિગમ

આ તરફ ભારતે જેટનો સોદો અટકાવ્યો તેની સાથે બેઈજિંગ સાથે રાજદ્વારી વાતચીત પુનર્જીવિત કરી. ચીને જે વ્યૂહાત્મક ધીરજ દાખવી છે જે ટ્રમ્પમાં ક્યાં ય વર્તાતી નથી. 2020માં ગલવાનમાં થયેલા સંઘર્ષ અને સરહદ પરના તણાવ છતાં બેઈજિંગે બહુ સિફતથી અમેરિકાની ભૂલનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. તાજેતરમાં જ્યારે ચીન-ભારતના સૈન્ય વચ્ચે થયેલા સંવાદને પગલે સમયાંતરે પૂર્વ લદાખમાંથી લશ્કરી ટૂકડીઓનું વિસર્જન થયું, તે અચાનક થયેલી ઘટના નથી પણ બહુ ગણતરીપૂર્વકનો તકવાદ છે. ચીનની ઉદારતા નથી પણ હોંશિયારી છે. જે રીતે ટ્રમ્પની આડોડાઈને કારણે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાન જેવા દેશોએ ચીન સાથે સંબંધો સુધાર્યા છે, તે જ દિશામાં ભારત પણ કદમ માંડે એવો વખત આવ્યો છે.

વડા પ્રધાન મોદીએ શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં હાજરી આપી તે પણ એક વૈચારિક પગલું હતું. જ્યારે તમારા કૂટનૈતિક ભાગીદાર તમને આર્થિક શત્રુ તરીકે જોતા હોય ત્યારે તમારા પરંપરાગત શત્રુ સાથે સંબંધો હળવા કરવાની પહેલ ભૌગોલિક-રાજકીય સ્તરે તાર્કિક પગલું જ ગણાય.

ભારતનો પડકાર – “સંતુલન!”

જો કે ભારતે ચીન સાથેની દોસ્તીમાં ચેતતા રહેવું પડશે તે જરૂરી છે. દિલ્હી અને બેઈજિંગ વચ્ચે વિશ્વાસની અછત તો સરહદના સંઘર્ષો કરતાં ઘણી ઊંડી છે. પાકિસ્તાન માટે ચીનનો સતત ટેકો અવગણી ન શકાય.

વળી મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ગુપ્ત માહિતીની આપ-લેમાં ચીનનો હાથ હોવાનો અહેવાલ પણ છે. કોઈપણ વ્યૂહાત્મક દોસ્તીની, ભાગીદારીની કે સહયોગની આગવી મર્યાદાઓ હોય છે. ભારત-અમેરિકા વચ્ચેના તણાવને બેઈજિંગ ભારતની સ્વાયત્તતાને મર્યાદામાં રાખવાની તક તરીકે જુએ છે, ખરેખર દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે નહીં.

અત્યારે આપણી સરકાર એક સંકુલ પરિસ્થિતિમાં છે. એક તરફ આર્થિક વ્યવહાર માટે આપણે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. બીજી તરફ વ્યૂહાત્મક વાસ્તવિકતા માટે હિંદ મહાસાગર અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન પોતાનો પ્રસાર ન કરે, પકડ ન જમાવે તેની પણ પૂરી કાળજી રાખવાની જરૂર છે.

ટ્રમ્પના ટેરિફના તાંડવ સામે ભારતે બહુ માપી-જોખીને મક્કમ જવાબ આપ્યો છે. બોઈંગના સોદાને અટકાવીને આપણે ચોખ્ખો સંદેશ આપ્યો છે કે જો આર્થિક દબાણ કરાશે તો સામે આર્થિક ખોટ જાય એવાં પગલાં જ લેવાશે. જો કે સરકારે બેઈજિંગ તરફ વધુ પડતો ઝુકાવ રાખવાની લાલચ ટાળવી જોઈએ. ચીન પણ પોતાનો સ્વાર્થ જ જુએ છે, ચીનને ભારત સાથે વ્યૂહાત્મક સ્તરે સારાસારી કરીને સરળતાની કોઈ ચાહ ન હોય એ આપણે ન ભૂલવું જોઈએ. આપણો પડકાર છે વોશિંગ્ટન હોય કે બેઈજિંગ હોય – કોઈની ય શરણાગતિ સ્વીકાર્યા વિના વ્યૂહાત્મક સ્વાયત્તતા સચવાયેલી રહે.

સરકારની ભૂલો અને સુધારાની અનિવાર્યતા

હવે ટ્રમ્પે ટેરિફના નામે અરાજકતા ફેલાવી છે તો આપણી સરકારે પણ કંઈ બહુ શાલીનતા નથી જાળવી. ભારતને વિશ્વ ગુરુ ગણાવવાની કેન્દ્ર સરકારની ઘેલછાને કારણે સત્તાના રાજકારણનું સત્ય ઢંકાઈ ગયું છે. આપણે યુ.એસ.એ. સાથેની દોસ્તી જાહેરમાં અનેકવાર ઉજવી છે. આપણને તેની સ્થાનિક રીતે જરૂર હતી ત્યારે પણ આપણે અમેરિકા પાસેથી આપણી કેટલી અપેક્ષાઓ પૂરી થઈ શકે છે તેનું અવાસ્તવિક ચિત્ર આપણે ખડું કરી ચૂક્યા છીએ. વધુ મુશ્કેલ બાબત એ છે કે ભારતની સંરક્ષણ સંપાદનની કામગીરી ધીમી તો છે જ પણ અમુક વાર અપારદર્શક પણ હોય છે. બોઈંગના સોદાની કિંમતનો વધારો એ તંત્ર સ્તરે કાર્યક્ષમતાનો અભાવ દર્શાવે છે. આ કારણે જ આપણે બાહ્ય આર્થિક દબાણોમાં સપડાવા માટે સંવેદનશીલ રાષ્ટ્ર બનીએ છીએ.

આપણે સંરક્ષણના મામલે સ્વદેશીકરણની વાત ત્યારે જ કરીએ છીએ જ્યારે ટ્રમ્પના કારણે આપણું નાક દબાય છે. આપણે પ્રો-એક્ટિવ થવાની જરૂર છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવામાં કોઈ સાર નથી. આપણી સુરક્ષાના મામલે આપણું સ્વદેશીકરણ કાયમી વ્યૂહરચનાનો હિસ્સો બને એ રીતે તેને વેગ આપવો જોઈએ.

હવે આગળ શું?

આપણે ઘણી મહત્ત્વપૂર્ણ ગણતરીઓ કરવી પડે તેમ છે. પહેલાં તો ભારતે અમેરિકન સિસ્ટમોથી આગળ વધીને ઓપરેશનલ પ્રભાવમાં કોઈપણ સમાધાન કર્યા વિના સંરક્ષણના સંસાધનો મેળવવાં જોઈએ.

સ્વદેશી વિકલ્પો કદાચ વ્યૂહાત્મક રીતે મજબૂત ન હોય – તે રાતોરાત ખડાં પણ ન થઈ શકે. પણ અમેરિકા નહીં હોય તો આપણે સંરક્ષણના મામલે કાચા રહી જઈશું એવું અન્ય રાષ્ટ્રો ન માની લે તે જરૂરી છે.

બીજું એ કે નવી દિલ્હીએ અમેરિકા-ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે ફ્રાન્સ, જર્મની અને જાપાન જેવા રાષ્ટ્રો સાથે સંબંધ બહેતર કરવા જોઈએ.

ભારતે ચીન સાથેના સંબંધોને કાયમી દોસ્તી માની લેવાની ભૂલ તો કોઈ કાળે ન કરવી જોઈએ. બેઈજિંગની અત્યારે મધ્યસ્થી તરીકેની માનસિકતા અમેરિકન દબાણ અને ભારતીય લાભનું પ્રતિબિંબ છે. જો ટ્રમ્પની આડોડાઈ ભારતને નબળો પાડે તો ચીનનું વર્તન જેવું હતું એવું ફરી થઈ જ શકે છે.

રશિયન તેલ પર આપણી વધુ પડતી નિર્ભરતાથી વોશિંગ્ટન બુરાશે. ભારતનો તર્ક ટ્રમ્પને માફક નહીં આવે એ આપણે યાદ રાખવું જોઈએ. ચીન પર બહુ આધાર રાખીશું તો આપણે તેની મહત્ત્વાકાંક્ષાઓનો ભોગ બનીએ એમ તો બને જ પણ અન્ય વૈશ્વિક સાથીઓને પણ ચિંતા થઈ જશે.

મોદીએ ટ્રમ્પને દોસ્તીના નામે બહુ માથે બેસાડ્યા હતા તેની ટીકા પણ ચોમેર છે એટલે આવા જોખમો આપણે ટાળીએ એ પણ જરૂરી છે.

બાય ધી વે: 

આપણે ઈગલ અને ડ્રેગન વચ્ચેથી પસંદગી કરવામાં સમય બગાડવા કરતાં સ્વતંત્ર કાર્યવાહી માટે આપણું સ્થાન મજબૂત કરવામાં સમય અને બળ વપારવા જોઈએ. આ માટે આર્થિક વૈવિધ્ય, સુરક્ષાના મામલે સ્વદેશીકરણ અને અમેરિકા-ચીન સાથેના સંબંધોમાં કાળજી અને સાવચેતી રાખવાની જરૂર છે. આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતા ત્યારે મજબૂત બનશે જ્યારે આપણે સમજદારી વાપરીશું. અન્ય લોકશાહી રાષ્ટ્રોની તાકાત અને આવડત આપણને કઈ રીતે કામ લાગી શકે છે તે વિચારીને આગળ વધવું પડશે. અમેરિકાના દબાણ અને ચીનના પ્રલોભનનો પ્રતિકાર કરવાની આપણામાં આવડત હોય તે અનિવાર્ય છે. અત્યારે સંજોગો આકરા હોવા છતાં હંમેશાં આપદામાંથી અવસર કરનારા આપણા વડા પ્રધાને અત્યારે પણ એ કરી બતાડવું જોઈએ. ટ્રમ્પે અમેરિકા માટે રાષ્ટ્રીય હિતોની વાત કરી પણ પોતાનું જોર બતાડવામાં ચીનને પ્રભુત્વ મળે એવી પરિસ્થિતિ બનાવી દીધી. આજના જમાનામાં ભારતની મજબૂતાઈ પસંદગીમાં નહીં પણ સ્વતંત્ર નિર્ણયની ક્ષમતામાં છે. ટ્રમ્પે ચીનને મહાસત્તા બનાવવાનું કામ અજાણ્યે કર્યું છે. ભારતે આ પરિસ્થિતિમાં પોતાની ગરિમા અને હિતોને સાચવીને આગળ વધવું જ પડશે. અમેરિકાના નાટકમાં હિસ્સો લીધા વિના, આપણી ગરિમા જાળવી આપણે નુકસાનથી દૂર રહી તાકાત ખડી કરીએ તે જ જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2025

Loading

ટૂંકું અજંપ જીવન, રંગસમૃદ્ધ ભવ્ય ચિત્રો : અમૃતા શેરગિલ 

સોનલ પરીખ|Opinion - Opinion|10 August 2025

અમૃતાના જીવનનાં છેલ્લાં વર્ષો ભવ્ય અભિવ્યક્તિ અને વિકટ સંજોગોનાં હતાં. કલાકાર તરીકે તે અદ્દભુત હતી. ઓગણત્રીસ વર્ષની જિંદગીમાં આ કક્ષાએ ભાગ્યે જ પહોંચી શકાય. પણ તેણે જે શિખરો સર કરવા ધાર્યું હતું ત્યાં તે પહોંચી હતી? તેનામાં કેટલી કલાભૂખ, વ્યાકુળતા, ઝંખના ને પીડા સળગતી હતી તેની આપણે તો કલ્પના જ કરવાની રહે છે …

અમૃતા શેર-ગિલ

‘અમૃતા શેરગિલ ભારતીય ઉપખંડમાં આધુનિક ચિત્રશૈલીનો પાયો નાખનારાઓમાંની એક હતી. પોતાની પીંછી દ્વારા તેણે 1930ના ભારતીય સ્ત્રીપુરુષોની રોજિંદી જિંદગીને, એની હતાશાઓ અને એકલતાઓ સમેત અભિવ્યક્તિ આપી.’ 1941માં અમૃતા શેરગિલ મૃત્યુ પામી ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ ઓબિચ્યુરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં માત્ર શ્વેત લોકોને શ્રદ્ધાંજલિ અપાતી, અપવાદરૂપ વ્યક્તિઓની જ નોંધ લેવાતી. અમૃતા શેરગિલ આવો અપવાદ હતી. માત્ર ઓગણત્રીસ વર્ષના ટૂંકા અજંપ જીવન અને ભવ્ય કલાકૃતિઓ વડે તે હંમેશાં આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહી. 2021માં સેફ્રોનેટ ઑક્શન હાઉસે એનું એક પેઈન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ 37.8 કરોડ રૂપિયામાં વેચ્યું હતું. 2023માં આ જ હાઉસે એનું બીજું પેઈન્ટિંગ ‘ધ સ્ટોરી ટેલર’ 61.8 કરોડમાં વેચ્યું અને તે વિશ્વભરના સૌથી ‘એક્સ્પેન્સીવ’ કલાકારોમાં ગણાઈ. તેની ચિત્રશૈલીએ કલાકારોની એકથી વધારે પેઢીઓને પ્રભાવિત કરી છે. તેના પર પુસ્તકો લખાયાં છે, ટપાલ ટિકિટ નીકળી છે, સલમાન રશદીની એક નવલકથા ‘ધ મૂર્સ લાસ્ટ સાય’નું પાત્ર તેનાથી પ્રેરિત છે, દિલ્હીમાં તેના નામનો એક માર્ગ છે. 

મહારાજા રણજિતસિંહની પૌત્રી એક યુરોપયાત્રા દરમિયાન એક હંગેરિયન યહૂદી ઓપેરા સિંગર મેરી ઍન્તૉનિયેતને મળી અને પોતાની સાથે ભારત લાવી. સિમલામાં પંજાબી રાજકુળના સંસ્કૃત-ફારસીના વિદ્વાન ઉમરાવસિંહ શેરગિલ અને ઍન્તૉનિયેત પ્રેમમાં પડ્યાં ને પરણી ગયાં. 1913માં ડાન્યુબ નદીને કાંઠે, બુડાપેસ્ટના એક સુંદર-શાંત ઘરમાં અમૃતાનો જન્મ થયો.

આઠેક વર્ષ પછી શેરગિલ પરિવાર ભારત આવી સિમલામાં વસ્યો. અમૃતાના પેઈન્ટિંગની શરૂઆત અહીં જ થઈ. નોકરોને મોડેલ બનાવી તે ચિત્રો દોરતી. એટલી નાની ઉંમરે પણ તે પોતાને ‘એથેઈસ્ટ’ કહેતી – એ માટે એક વાર તેને કૉન્વેન્ટ સ્કૂલમાંથી કાઢી મૂકી, તો પણ. અમૃતા અને એની બહેન ઇન્દિરા બન્ને પિયાનો શીખતી અને સિમલાના ગેઈટી થિયેટરમાં યોજાતાં નાટકો અને કૉન્સર્ટ્સમાં ભાગ લેતી. 

મામા અર્વિન બેકેટ સિમલા આવ્યા ત્યારે એમણે અમૃતાની કલાને પારખી, માએ પણ પ્રોત્સાહન આપ્યું. પેઈન્ટિંગ શીખવા અમૃતા ઈટલી, ફ્રાન્સ અને અન્ય યુરોપીય દેશોમાં ફરી અને ત્યાંની પ્રખ્યાત આર્ટસ્કૂલોમાં ભણી. પેરિસમાં ‘યંગ ગર્લ્સ’ને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. ત્યાં કરેલું ‘ટ્રેડિશનલ વુમન’ આજે પણ સીમાચિહનરૂપ ગણાય છે. ત્યાં તેણે ઘણાં ન્યૂડ પેઈન્ટિંગ અને સેલ્ફ પોટ્રેટ્સ બનાવ્યાં. ઉપરાંત સ્ટીલ લાઈફ, પેરિસનું જીવન, મિત્રો-વિદ્યાર્થીઓનાં પેઈન્ટિંગ પણ કર્યાં. ‘કન્વર્ઝેશન્સ’ પણ અહીંનું. ભરપૂર પ્રશંસા અને પ્રસિદ્ધિ મળતાં ગયાં. પેરિસના ગ્રાન્ડ સલૂનમાં ચૂંટાનારી તે પ્રથમ અને સૌથી નાની ઉંમરની એશિયન હતી. આ બધું છતાં પોતાના અપાશ્ચાત્ય, અપરિચિત મૌલિક સ્વની શોધ તેને ભારત જવા પ્રેરતી હતી. 

તેણે માને લખ્યું, ‘હું પેઈન્ટિંગ શીખું છું, છતાં કોઈ મને એ શીખવે છે એમ નથી. મારું મન પોતાને શું જોઈએ છે તે જાણે છે અને બહારની અસરને સ્વીકારવાનો વિરોધ કરે છે.’ તેનાં પેઈન્ટિંગ પર હંગેરિયન પેઈન્ટર્સ અને પૉસ્ટ ઈમ્પ્રેશનિઝમનો થોડો પ્રભાવ ખરો, પણ તેના એક પ્રોફેસર કહેતા કે ‘અમૃતાના પેઈન્ટિંગમાં જે રંગસમૃદ્ધિ છે તે પશ્ચિમની દેણ નથી. અમૃતાની કલાપ્રતિભા તેનો સાચો ઉન્મેષ પૂર્વમાં જ પ્રાપ્ત કરી શકશે.’ 

1934માં પેરિસના ઠંડા, ભૂખરા સ્ટુડિયોઝને છોડી તે ભારત આવી – સૂર્યપ્રકાશિત ધરતી, ઘેરા રંગો અને ઘઉંવર્ણ નમ્ર લોકોના દેશમાં. અહીં તેને પત્રકાર માલ્કમ મુગેરિન મળ્યો. તેણે બનાવેલું માલ્કમનું પેઈન્ટિંગ દિલ્હીની નેશનલ ગૅલેરી ઑફ મોર્ડન આર્ટમાં છે. ભારત સરકારે અમૃતાનાં પેઈન્ટિંગ્સને ‘રાષ્ટ્રિય કલાનિધિ’ ઘોષિત કરી આ ગેલેરીમાં સાચવ્યાં છે. લાહોર અને પેરિસનાં મ્યુઝિયમોમાં પણ તેનાં ચિત્રો છે. 

સિમલાના મકાનના ઉદ્યાનમાં એક તરફ અમૃતાએ સ્ટુડિયો બનાવ્યો હતો. આખો વખત તે ચિત્રો બનાવતી. 1935માં સિમલાની ફાઈન આર્ટ્સ સોસાયટી ચિત્રપ્રદર્શન ભરવાની હતી. અમૃતાએ 10 ચિત્રો મોકલ્યાં. તેમણે પાંચ પાછાં મોકલ્યાં જે ખરેખર તો વધારે સારાં હતાં. જે પાંચ સ્વીકાર્યાં હતાં એમાંના એકને ગોલ્ડ મેડલ મળ્યો, જે પાછું એ પાંચમાં છેલ્લા ક્રમે આવે. અમૃતાને આખી વાતનો એટલો કંટાળો આવ્યો કે તેણે મેડલ ‘વધુ યોગ્ય વ્યક્તિના લાભાર્થે’ પાછો મોકલ્યો. દિલ્હીમાં યોજાયેલા એક પ્રદર્શનમાં પણ આવો જ અનુભવ થયો. કલાપ્રદર્શનોની ‘મિડિયોક્રસી’થી ત્રાસીને તેણે પ્રદર્શનમાં ચિત્રો મોકલવા બંધ કર્યાં.  

1936માં એ પોતાનાં ભુલાયેલા ભારતીય મૂળને શોધવા ખૂબ ફરી. ભારતીય પરિધાન અપનાવ્યું. લોકજીવન નજીકથી જોયું. મોગલ અને પહાડી શૈલી, પદ્મનાભપુરમના મહેલના મધ્યકાલીન ચિત્રો તેમ જ અજંતાનાં ગુફાચિત્રોથી પ્રભાવિત થઈ. કોચીન અને ત્રાવણકોર પણ ગઈ. ‘મને મારું લક્ષ્ય મળી ગયું છે – ગરીબ, ગ્રામીણ ભારતીયોની મૌન, ધૈર્યપૂર્ણ, એકલવાઈ છબિને, તેમનાં શ્યામલ છાયાચિત્રો સમાં શરીરો દ્વારા મારે ચિત્રિત કરવી છે.’ 

1937માં તેણે દક્ષિણ ભારતમાં ત્રણ ચિત્રો બનાવ્યાં – ‘બ્રાઈડલ ટૉયલેટ્સ’, ‘બ્રહ્મચારીઝ’ અને ‘સાઉથ ઇન્ડિયન વિલેજર્સ ગોઈંગ ટુ માર્કેટ.’ એ જ વર્ષે તેને ‘થ્રી ગર્લ્સ’ માટે બોમ્બે આર્ટ સોસાયટીએ ગોલ્ડ મેડલ આપ્યો. શરણાગતિ અને નિયતિના સ્વીકારના ભાવવાળી, ઢળેલી આંખોવાળી ત્રણ છોકરીઓના ચહેરા અને બેસવાની રીત ઘણું કહી જાય છે. 1938માં તે હંગેરી ગઈ. વિક્ટર એગન સાથે લગ્ન કર્યાં. પતિપત્ની ભારત આવ્યાં અને પિતાની જાગીર સરાયામાં જઈને રહ્યાં. ‘બીજે ક્યાં ય હું એટલી સહજ, સ્વાભાવિક કે આત્મવિશ્વાસપૂર્ણ નથી રહી શકતી. યુરોપ પિકાસો, મેટિસ અને બ્રાકનું છે પણ ભારત માત્ર મારું છે.’ 

‘ધ સ્વિંગ’, ‘ધ એન્શિયન્ટ સ્ટોરી ટેલર’, ‘ધ બ્રાઈડ’, ‘ધ હૉર્સ એન્ડ ધ ગ્રુમ’, ‘વુમન રેસ્ટિંગ ઓન ચારપાઈ’, ‘ટાહિટિયન’, ‘રેડ બ્રિક્સ હાઉસ’, ‘હિલ સીન’, ‘વિમેન ઈન રેડ’, ‘એલિફન્ટ્સ બૅધિંગ ઈન ધ ગ્રીન પૂલ’, ‘ધ હલ્દી ગ્રાઈન્ડર’, ‘રેસ્ટિંગ’ ‘વિલેજ સીન’, ‘ઇન ધ લેડીઝ એન્ક્લૉઝર’, ‘સીએસ્ટા’ ચિત્રો તેણે અહીં કર્યાં. તે ખૂબ કામ કરતી. કહેતી, ‘સમય નથી.’ એક જાતનો અજંપો તેને ઘેરતો. 

1941ના સપ્ટેમ્બરમાં પતિપત્ની લાહોર ગયાં. લાહોર ત્યારે સંસ્કૃતિ અને કલાનું કેન્દ્ર ગણાતું. તેને લાહોરમાં પોતાના ચિત્રોનું મોટું પ્રદર્શન ભરવું હતું. પણ તે માંદી પડી, કોમામાં ચાલી ગઈ અને બે દિવસમાં મૃત્યુ પામી. તેનું મૃત્યુ આજ સુધી અફવાઓમાં વીંટળાયેલું એક રહસ્ય જ રહ્યું છે. 

અમૃતાનાં ચિત્રો ભારતીય સંસ્કૃતિ માટે એટલાં મહત્ત્વનાં ગણાયાં કે જ્યારે પણ લીલામ થાય, સરકાર આગ્રહ રાખે કે દેશની કલા દેશમાં જ રહેવી જોઈએ. દસેક ચિત્રો જ બહાર વેચાયાં છે. 2006માં તેનું ચિત્ર ‘વિલેજ સીન’ 6.9 કરોડના વિક્રમી ભાવે વેચાયું હતું. 2018માં ‘ધ લિટલ ગર્લ ઈન બ્લ્યૂ’ 18.69 કરોડમાં વેચાયું. એ અમૃતાની પિતરાઈ બહેન બબીતનું પોટ્રેટ હતું. યુનેસ્કોએ વર્ષ 2013ને અમૃતા શેરગિલ ઈન્ટરનેશનલ યર ઘોષિત કર્યું હતું. 

પોતાના સમયથી બહુ આગળ, નિર્ભય મુક્તતા સાથે એ જીવી. એ કાળના ભારતમાં તેના જેવી આધુનિક, પ્રતિભાશાળી અને કંઈક નિરંકુશ જીવન જીવતી સ્ત્રીનો સ્વીકાર થવો મુશ્કેલ હતો. તેનો પરિવાર બ્રિટિશ રાજ સાથે ઘરોબો ધરાવતો હતો, પણ અમૃતાને ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ, પંડિત નહેરુ અને મહાત્મા ગાંધી પ્રત્યે આકર્ષણ હતું.

અમૃતા ભારતની ફ્રિડા કાહલો ગણાતી. ફ્રિડા મેક્સિકન પેઈન્ટર હતી. બન્ને ન્યૂડ ચિત્રો અને સેલ્ફ પોટ્રેટ માટે જાણીતાં હતાં. ફ્રેડા પણ નાની ઉંમરે મૃત્યુ પામી હતી અને અનેક સ્ત્રીપુરુષો સાથે અંતરંગ સંબંધ ધરાવતી હતી. કલા અને પોતાની જાત પ્રત્યેનું ઉગ્ર વળગણ બન્નેમાં સમાન હતું. 

કલા-વિવેચક રિચર્ડ બાર્થોલોમ્યુ લખે છે, ‘અમૃતાના જીવનનાં છેલ્લાં વર્ષો ભવ્ય અભિવ્યક્તિ અને વિકટ સંજોગોનાં હતાં. કલાકાર તરીકે તે અદ્દભુત હતી. ઓગણત્રીસ વર્ષની જિંદગીમાં આ કક્ષાએ ભાગ્યે જ પહોંચી શકાય. પણ તેણે જે શિખરો સર કરવા ધાર્યું હતું ત્યાં તે પહોંચી હતી? તેનામાં જે કલાભૂખ, વ્યાકુળતા, ઝંખના ને પીડા સળગતી હતી તેની આપણે તો કલ્પના જ કરવાની રહે છે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 જુલાઈ  2025

Loading

...102030...232233234235...240250260...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved