Opinion Magazine
Number of visits: 9735919
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 February 2026

રવીન્દ્ર પારેખ

ગઈ કાલના જ સમાચાર મુજબ સુપ્રીમ કોર્ટે FSSAI (ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ) અને કેન્દ્ર સરકારને કહ્યું છે કે પેકેજ્ડ ફૂડ પર ‘ફ્રન્ટ-ઓફ-પેક વોર્નિંગ લેબલ’ લગાવવા મુદ્દે વિચાર કરવામાં આવે. આમ તો તૈયાર ફૂડ પેકેટ્સ આરોગ્યના શત્રુ છે, પણ તેની વેચનાર કે ખરીદનાર બહુ ચિંતા કરતા નથી. ન્યૂટ્રિશનલ વેલ્યુ શું છે તે પેકેટના પાછલા ભાગમાં ઝીણા અક્ષરે છપાયેલી હોય છે, એટલે તે તરફ ધ્યાન જતું નથી ને આપણે તે જાણ્યા વગર જોખમો ઘરે લાવતાં હોઈએ છીએ. એ જ કારણે સુપ્રીમે FSSAI અને સરકારને કહ્યું કે ન્યૂટ્રિશન વેલ્યુ પેકેટની આગળ પ્રગટ કરવી, જેથી ખરીદનાર તે જાણીને ખરીદ કરે. જો કે, આપણે એ વેલ્યુ વિશે જાણીશું, એટલે જોઈ તપાસીને જ ખરીદીશું એવી ખાતરી નથી. હકીકત જ એ છે કે તૈયાર ફૂડ પેકેટ્સ જોખમી જ છે તો વેલ્યુ આગળ છપાય કે પાછળ, શો ફરક પડે છે? આપણે ભાગ્યે જ સુગર, ફેટ, સોલ્ટ … વગેરેની માત્રા જોઈને ખાદ્યપદાર્થ ખરીદતા હોઈએ છીએ. કયો ખાદ્યપદાર્થ કેટલો આરોગ્યપ્રદ છે કે નથી, તે ભાગ્યે જ કોઈ જુએ છે. મોટે ભાગે તો પેકેટ્સ ખરીદાય છે ને તેને ઘરભેગાં કરી દેવાય છે.

સુપ્રીમનું માનવું છે કે ન્યૂટ્રિશન વેલ્યુ છપાઈને સામે જ દેખાશે તો ગ્રાહકો તે ખરીદતી વખતે જોશે અને પેકેટ ખરીદવું કે નહીં તેનો નિર્ણય કરશે. આમ આગળ વેલ્યુ છાપવી તેને ‘ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ’ કહે છે, પણ જે પેકેટમાં, વેલ્યુમાં જ વધઘટ હોય, તો તે સરભર કરાવવાને બદલે કે તે રદ કરાવવાને બદલે, જોખમી તત્ત્વોની જાણકારી આપી દેવાથી શો ફરક પડશે તે નથી સમજાતું. વધારે સારું એ નથી કે જોખમી ફૂડ પેકેટ્સ ગ્રાહકો સુધી પહોંચે જ નહીં એટલી તકેદારી રખાય? ગ્રાહકને ચેતવાય અને કમ્પની વેલ્યુ આગળ છાપે એટલી જવાબદારીથી જ કંપનીઓ ફરજ મુક્ત થઇ જાય એ બરાબર નથી. પેકેટ પર વેલ્યુ સામે જ લખાયેલી હોય ને ગ્રાહક તે ન ખરીદે એવું ઓછું જ બનવાનું. સિગારેટના પેકેટ્સ પર તે હાનિકારક છે, એવું લખેલું જ હોય છે ને ખરીદનાર પણ તે જાણતો હોય છે, છતાં ખરીદી થાય જ છેને ! એવું જ આ છે, આગળ વેલ્યુ લખાયેલી જોઈને પણ ખરીદનારા તો તે ખરીદવાના જ છે. ખરીદનાર જોખમ જોઇને ભાગ્યે જ ખરીદે છે, મોટે ભાગે તો બધું બરાબર જ છે અથવા તો એ બધું ક્યાં જોવા બેસવાનું – એમ માનીને જ ખરીદનાર ખરીદે છે. આમાં વેચનાર કરતાં પણ ખરીદનારની બેદરકારી વધુ જવાબદાર છે. ન્યૂટ્રિશન વેલ્યુ બધી બરાબર છાપી હોય, તો પણ તેની ખરાઈના પ્રશ્નો છે જ ! એ આદર્શ સ્થિતિ છે કે વેચનાર ને ખરીદનારને પક્ષે પ્રમાણિકતા હોય. બાકી, સ્થિતિ તો એવી છે કે એક છેતરવા તૈયાર છે ને બીજો છેતરાવા –

ઠેર ઠેર ખાદ્ય પદાર્થોની બનાવટમાં છેતરવાનો જ ઈરાદો રાખીને બધું ચાલતું હોય, ત્યાં સાવધાની કેટલીક રહે? સુપ્રીમ તો પ્રજા હિત જુએ, બાકી સુપ્રીમને નથી ખબર કે લશ્કર ક્યાં લડે છે? તે તો પ્રજા હિતનું ચિંતન કરે, પણ વેચનારમાં પ્રમાણિકતા, સચ્ચાઈ, ગ્રાહકની ચિંતા અપવાદરૂપે પણ જોવા મળતી નથી. એ ન હોય ને માત્ર દેખાવ ખાતર આંકડાકીય સચ્ચાઈ કૂટ્યા કરતાં હોઈએ તેનો કોઈ અર્થ નથી. ફૂડ પેકેટ્સમાં વપરાતા પદાર્થો ને તેની ગુણવત્તા અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. હેતુ એક જ હોય છે, છળવાનો. નફાખોરી જ લોહીમાં એટલી ભરાઈ પડી હોય કે કોઈ સાચું હોય તો પણ ખોટું લાગે. એવું જ ખરીદનારાઓનું પણ છે. કોઈ ઘડિયાળીને બેવાર ચકાસીને ઘડિયાળ રીપેરીંગમાં આપનારા આપણે ફૂડ પેકેટ્સને, કશું પણ જોયા વગર જાત સોંપી દઈએ છીએ.

ગ્રાહક લૂંટાય નહી એની ચિંતા કરવી જોઈએ, પણ તે મફતિયું શોધે એ પણ બરાબર નથી. એક પર એક ફ્રીની લાલચે ગ્રાહક ઘણાં સાહસો કરી શકે છે. તેણે શું ખરીદ્યું એ તેની ચિંતાનો વિષય નથી, પણ તેણે ખરીદ્યું તેનો તેને સંતોષ છે. મોટે ભાગના ગ્રાહકો ગુણવત્તાની બાબતે દુર્લક્ષ સેવતા હોય છે. તેમાં પણ સૌથી વધુ દુર્લક્ષ તૈયાર ખાદ્ય સામગ્રી ખરીદવામાં સેવાય છે. હોટેલોમાં, અરે! ઘરોમાં, ફૂડ કોર્ટમાં, તૈયાર ફૂડ પેકેટ્સમાં, ફાસ્ટ ફૂડમાં સારું ઓછું જ હોય છે, પણ શનિ, રવિ ઘણાં કુટુંબો સાંજે બહાર જ જમતાં હોય છે. આ ટ્રેન્ડ ઘણાં વખતથી ચાલે છે, એમાં દાળમાં વાંદો નીકળે કે દેડકી નીકળે તો પણ બધું ખપી જાય છે. કેટલી ય વખત નકલી ઘી અસલી તરીકે વેચાતું રહે છે. નકલી ઘી બનાવવાની ફેકટરીઓ ચાલે છે ને થોડી લાલચ આપીને ફૂડ ઇન્સ્પેકટરોને પણ પટાવી લેવાતા હોય છે. નકલી ઘી, નકલી દૂધ, નકલી મસાલા, નકલી પનીર …. કેટલું ગણીએ, એમાં પેકેટ પર ‘ખાવા લાયક’ કે ‘હાનિકારક’ છાપવાથી શો ફેર પડશે? આ સ્થિતિ હોય ત્યાં ગુણવત્તાની તો વાત જ શું કરવાની?

ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ સારી જ વાત છે ને સુપ્રીમ તેનો FSSAIને અને સરકારને નિર્દેશ કરે તે જરૂરી છે, પણ આ, ગુનેગારને ઘણી ઓછી સજા કરવા જેવું છે. ફ્રન્ટ ઓફ પેક લેબલિંગથી ફૂડ હેલ્ધી છે કે મિડિયમ હેલ્ધી કે અનહેલ્ધી તે અનુક્રમે ગ્રીન, યેલો કે રેડ કલરથી સૂચવી શકાય, પણ તે તેવું જ છે ને તેમાં રમત નથી જ થઈ એવું કઈ રીતે નક્કી કરવું? આમ ઉપરી સ્તર પર આ બધી ચોક્સાઈ સારી લાગે, પણ પેકેટની અંદર એ જ ગુણવત્તાનો ખોરાક છે તે ખબર પડવાનું મુશ્કેલ છે. આ બધું દેખાડા પૂરતું સારું છે, પણ તેથી જે ખરીદાય તે ફૂડ પેકેટ 100 ટકા સુરક્ષિત છે, એની ખાતરી તો સુપ્રીમને પણ થાય કે કેમ તે પ્રશ્ન જ છે. એ ખરું કે ફ્રન્ટ ઓફ પેક લેબલિંગનો હેતુ પોષણની માહિતી સરળ બનાવવાનો છે, પણ એમ સહેલાઈથી કોઈ વાંચી લે એટલા પરથી ફૂડ હેલ્ધી થઇ જતું નથી. ગ્રાહકો જોઇને ખરીદે તો ગંભીર બીમારીઓનું જોખમ ઘટે એમાં પૂરું સત્ય નથી, થોડો ફેર જરૂર પડે, પણ ફ્રન્ટ ઓફ પેક લેબલિંગથી જોખમ ન જ રહે એવું કહી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે FSSAI અને સરકારને એટલે સભાન કર્યાં કે દેશમાં લાઈફ સ્ટાઈલ બીમારીઓ ઝડપથી વધી રહી છે, તે એટલે કે દેશમાં ખાનપાન અનહેલ્ધી છે. પેકેજ્ડ અને અલ્ટ્રાપ્રોસેસ્ડ ફૂડમાં રહેલાં સુગર, ફેટ, સોલ્ટ બીમારીઓનું મોટું કારણ છે. ફ્રન્ટ ઓફ પેક લેબલિંગનો હેતુ, સંભવિત હેલ્થ રિસ્ક ખરીદનાર સમજે એ છે. ભારતમાં 1 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે. પ્રિ-ડાયાબિટીસ 13.6 કરોડને છે. ઓબેસિટીથી 25.4 કરોડ, હાઈકોલેસ્ટ્રોલથી 21.3 કરોડ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝથી 2.24 કરોડ લોકો પીડાય છે. આ હાલત હોય ત્યારે લેબલિંગ મદદરૂપ જરૂર નીવડે, પણ એટલું જ પૂરતું નથી. ફ્રન્ટ ઓફ પેક લેબલિંગમાં હાઈ સુગર વાળું લેબલ ફૂડ હેલ્ધી નથી એવી જાણ થતાં તેનાથી દૂર રહેવાનો સંકેત મળે છે, એ જ રીતે લો ફેટ કે લો સોલ્ટવાળો સંકેત હેલ્ધી વિકલ્પ પસંદ કરવામાં મદદ કરે છે. આવી પસંદગી રોગનું જોખમ ઘટાડે છે. એ ખરું કે પેકેજ્ડ ફૂડમાં સુગર, સોલ્ટ જેવાં તત્ત્વનું પ્રમાણ વધુ જ હોય છે. એટલે એના પર લેબલિંગ હોય તો પણ તેનો મર્યાદિત ઉપયોગ જ હિતાવહ છે. ખરેખર તો પ્રોસેસ્ડ ફૂડને બદલે કુદરતી અને પોષક તત્ત્વોવાળો ખોરાક જ વધુ ઇચ્છનીય છે. આ પિઝા, બર્ગરવાળી પેઢીને વધારે ભારપૂર્વક સમજાવવાની જરૂર છે. એક તરફ ડ્રગ્સ, શરાબથી દેશ ખોખલો કરવાનું ચાલે છે, તેમાં પ્રોસેસ્ડ ફૂડનો ઊભરો એ પેઢીની કઈ દિશા નક્કી કરે તે કહેવાની જરૂર નથી. કોણ જાણે કેમ પણ આ દેશની યુવા પેઢીના સર્વનાશની દિશા, કોઈએ નક્કી કરી આપી હોય તેમ એ તરફ ગતિશીલ છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ફેબ્રુઆરી 2026

Loading

અમીના પહાડ (1918 – 1973) 

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar, Diaspora - Features|19 February 2026

દક્ષિણ આફ્રિકાની આઝાદીની લડતના એક અગ્રેસર ઈસપ પહાડ એમની સ્મૃતિકથા, ‘ઍ લાઈફ કમીટેડ – ઍ મેમોયર’માં લખતા હતા :

અમીના પહાડ

વરસો પહેલાની વાત છે. … મારાં માતાની સ્મૃતિને આધારે કહી શકાય કે તે વેળા મારાં માતાપિતાના ફ્લેટમાં એક બાજુ સભા ચાલતી હતી, તો બીજી પા રાંધણિયામાં મારાં મા નાસ્તાપાણીની તેમ જ ભોજનની તૈયારી કરી રહ્યાં હતાં. દરમિયાન, સભામાંથી ડૉ. યુસૂફ દાદુ બહાર આવ્યા. લાગલા મારાં માતા સવાલી બેઠાં ! તમે લોકો લાંબીચોડી વાતોમાં કેમ અટવાયા છો ? યુસૂફ દાદુએ જવાબ વાળ્યો : અમે ડરબન ખાતે યોજાનારી અહિંસક પ્રતિકાર ચળવળમાં ભાગ લેનારી સ્વયંસેવકોની ટૂકડી માટે નામોની વિચારણા કરીએ છીએ. લાગલા માતા બોલ્યાં : સરસ. લખો, મારું નામ. ડૉ. દાદુએ પૂછ્યું, પરંતુ આ વિશે ગુલામ (ઈસપ પહાડના પિતાનું નામ) શું કહેશે ? માએ જવાબ વાળ્યો, ના, ગુલામ જેલમાં નહીં જાય. તમે મારું નામ લખો. અને પછી, એમણે સૂચવ્યું, ઈન્દ્રસ, રમણી અને શાન્તિ નાયડુનાં માતા અમ્મા નાયડુનું તેમ જ મૌલવી કાછલિયાનાં પત્ની મરિયમ કાછલિયાનાં નામ પણ લખો. વળી, તેમાં મારાં વડીલ ઔમા ભાયાતનું ય નામ ઉમેરો. તમારી બહેનને પણ યાદીમાં મૂકો. … અને પછી કેટકેટલી સન્નારીઓનાં નામો ય ઉમેરાયાં.

ડૉ.. યુસૂફ મોહમદ દાદુ

એશિયાટીક લેન્ડ ટેન્યોર ઍન્ડ ઇન્ડિયન રિપ્રેસન્ટેશન ઍક્ટ ઑવ્ 1946[Asiatic Land Tenure and Indian Representation Act of 1946]નો વિરોધ કરવા માટે યોજાયેલા આ અહિંસક પ્રતિકાર આંદોલનમાં જોહાનિસબર્ગની આ મહિલા ટૂકડીમાં દાક્તરીનો અભ્યાસ કરતાં, ભણતરને કોરાણે મૂકીને, ઝૈયનબ અસ્વાત પણ જોડાયેલાં હતાં. વળી, આ પ્રતિકાર માટેની ટૂકડીમાં ઝોહરા ભાયાત, ઝૂબેદા પટેલ અને મારી માતા ય સામેલ હતાં.  

આ મહિલાઓ કાર વાટે ડરબન પહોંચી. એ દરેકને જેલવાસ થશે તેની તેમને ખાતરી હતી. અને જ્યારે એવો વખત આવ્યો, ત્યારે મારાં માતા પહેલીવાર જેલવાસ ભોગવવાનાં હતાં. એ પાછળ પાંચ સંતાનોને પિતાને હવાલે મુકીને જેલવાસ માટે જતાં હતાં. તેમાંના સૌથી મોટાનું વય માંડ બારનું જ હતું. દરમિયાન, મારા પિતાની ભાણી, આયેશા સલૂજી અમારી દેખભાળ સારુ અને રસોઈકામ કરવા માટે આવી પહોંચ્યાં હતાં. 

ગાંધી દીધા સત્યાગ્રહ અને અહિંસક પ્રતિકારમાં અમીનાબહેનને શ્રદ્ધા. ગુલામ પહાડ અને યુસૂફ દાદુ એક દા જ્યારે હિંદના પ્રવાસે હતા ત્યારે ગાંધીજીને મળવા ગયા હતા અને એમના માર્ગદર્શનની અસર હેઠળ ચળવળ ચલાવવાનું વિચારેલું.

આવી અહિંસક પ્રતિકાર ચળવળમાં અમીનાબહેને બે વખત – 1946 તથા 1948માં – જેલવાસ નોતર્યો હતો. આ ઓછું હોય તેમ, આ જેલવાસ વેળા સંધિવાનો રોગ તેમને લાગુ પડેલો. પરિણામે તેમની કાર્યપ્રવૃત્તિમાં ઢીલાશ પહોંચી હતી. બન્ને હાથની કોણીને ય તેની અસર પહોંચતી હતી. પરંતુ અમીનાબહેન જેનું નામ; પોતાની કાર્યપ્રવૃત્તિઓ, રસોઈકામ અને આઝાદીની લડત માટેની સક્રિયતા એમણે ઓછી નહોતી કરી. સરકારી કાનૂનો અને રીતરસમની પૂર્ણપણે અવગણવા માટેની ઝુંબેશમાં જોડાતાં 1952માં ફરી વાર એમને જેલવાસ ભોગવવાનો થયો. જેલવાસ દરમિયાન એમનો સંધિવા વકરશે તેમ એઓ આગોતરું જાણતાં જ હતાં.       

દક્ષિણ આફ્રિકાની આઝાદીની લડતમાં અભૂતપૂર્વ ફાળો આપનાર તરીકે તેમ જ સાર્વભૌમ પ્રજાસત્તાક માટે લોકશાહી, એકતા તેમ જ ન્યાય માટેની ઝુંબેશમાં અગ્રેસર રહેનારી મહિલાઓનો ય ફાળો નોંધપાત્ર તો છે જ, પણ હિન્દવી જમાત માટે તો પારાવાર પોરસાવનારી આ વિગતમાહિતી રહી છે. આવાં એક અગ્રેસર રહેનાર તરીકે અમીના પહાડનું યોગદાન પહેલી હરોળનું રહ્યું તેમ જાણવા મળે છે.

સમાજના વિકાસ તેમ જ પોષણ માટે મહિલાઓએ, અપરિહાર્ય, તેમ જ બહુધા પાયાગત ફાળો આપ્યાનું સમગ્ર ઇતિહાસ જોતાં જોવાજાણવાનું માલૂમ પડે છે. તેમનો ફાળો અર્થતંત્ર, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકારણ ક્ષેત્રે ય રહ્યો છે. વળી, સામાજિક જનજીવન તેમ જ પારિવારિક સારસંભાળ બાબત એમની સામેલગીરી કરોડરજ્જુ સમાન જ જોવા મળી છે.

જ્હોનિસબર્ગમાં આજની જેરાર્ડ સેકોટો સ્ટૃીટ [Gerard Sekoto Street] તે દિવસોમાં બેકર સ્ટૃીટ [Becker Street] તરીકે ઓળખાતી. આ શેરીમાં 1939માં બંધાયેલું સાત માળી ‘ઓરિયેન્ટ હાઉસ’ નામે મકાન છે, તેમાં 11 નંબરનો ફ્લેટ પહાડ દંપતીને નામ હતો. એ પહાડ પરિવારનું રહેણાક. હિન્દવી જમાતનાં રહેણાકો, તેમની નાનીમોટી દુકાનો તેમ જ શાકભાજી ને ફળફૂળ વેંચતી રેકડીઓનો કાયમી વિસ્તાર. દરેક ધર્મના લોકો અહીં વસે. વારુ, તેની ચોપાસ, આશરે સોએક મીટરના વિસ્તારમાં માર્કેટ સ્ટૃીટમાં ખોલવડ હાઉસ, ભૂતકાળની સાખે આજે ય અડીખમ ઊભું છે. એમાં 13 નંબરનું રહેણાક ઇતિહાસને પાને રણકે છે. આ ફ્લેટમાં એક વેળા ઇસ્માઈલ મીર વસતા હતા, પાછળથી એમણે અહમદ કથરાડાને રહેવા સારુ ત્યાં ગોઠવી આપેલું.

ગુજરાતના પશ્ચિમી કાંઠેથી વેપારી આલમના આ આપ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરે બોટ વાટે આવી પહોંચેલા; અને તેઓની સરકારી દફતરમાં ‘પેસેન્જર ઇન્ડિયન્સ’ તરીકેની ઓળખ પાકી બની. એમાંના કેટલાક મુલકના અંદરના વિસ્તારોમાં રોજીરોટી સારુ વિસ્તારાઈ ગયા. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ‘ખોલવડ’ નામક ગામથી આ વસાહતીઓ દક્ષિણ આફ્રિકે સ્થળાંતર કરી ગયા હતા. ટૂંકમાં જોઈએ તો ડરબનથી જ્હોનિસબર્ગ વચ્ચેના અંતરિયાળ મથકોમાં આ હિન્દવી જમાતના લોકો ધંધાધાપા સારુ ફેલાઈ ગયા હતા.  

આ બેકર સ્ટૃીટ સાંકડી શેરી છે અને એક બીજાને કાપતા કમિશનર સ્ટૃીટ, માર્કેટ સ્ટૃીટ, પ્રેસિડન્ટ સ્ટૃીટ તેમ જ ફોક્સ સ્ટૃીટ જેવા બીજા નાનામોટા રસ્તાઓ ચોપાસ છે. કમિશનર સ્ટૃીટમાં જ્હોનિસબર્ગ મેજિસ્ટેૃટ્સ કોર્ટ અને તેની પડખે ચાન્સેલર હાઉસ. અહીં, બેકર સ્ટૃીટ તથા ફોક્સ સ્ટૃીટને નાકે નેલસન મન્ડેલા તેમ જ ઓલિવર ટામ્બોની, તે દહાડે, વકીલાત સારુ ઓફિસો. 

જ્હોનિસબર્ગ મહાનગરનું જૂનામાં જૂનું પરુ એટલે ફૂહરેરુટાઉન[Ferreiratown]નો આ સમૂળગો વિસ્તાર. આ વિસ્તારમાં આફ્રિકન નેશનલ કાઁગ્રેસ, ત્રાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રેસ તેમ જ ત્રાન્સવાલ ઇન્ડિયન યૂથ કાઁગ્રેસનાં, એ દિવસો વેળા, અહીં દફતરો ધમધમતા. બાજુમાં, વળી, ટેૃડર્સ હૉલ, અને ત્યાં અનેક ભાતભાતની સભાઓ ભરાય. આમ આ સૌને માટે હળવા મળવાનાં અનેક કારણો મળી રહેતાં.

બીજી તરફ ઈસપ પહાડના પિતા, ગુલામ પહાડ ત્રાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રસના પ્રમુખપદે લાંબા અરસા સુધી હતા. આ સક્રિયતાને કારણે ઓરિયેન્ટ હાઉસના એમના રહેણાકે અનેક નાનીમોટી સભાબેઠકો જોઈ છે. ક્યારેક મન્ડેલા, ટામ્બો, સિસુલુ વગેરે ય આમાંની બેઠકો માટે આવી ચડતા.

•••

હિંદવી જમાતનાં એક સાદાંસીધાં સન્નારી તરીકે અમીનાબહેનનું બાળપણ, એમની યુવાવસ્થા વીત્યાં હતાં. એમનો જન્મ દક્ષિણ આફ્રિકાના એક વેળાના ત્રાન્સવાલ વિસ્તારના ક્લકર્સડોર્પ (Klerksdorp) ખાતે જુલાઈ 1918માં થયો હતો. અમીના પહાડ(લગ્ન પહેલા ટીલી)નાં માવતર, સને 1880ની આસપાાસ, દક્ષિણ આફ્રિકામાં વસવાટી તરીકે આવેલાં. ક્લકર્સડોર્પમાં ધમધોકાર ચાલતા એકાદા ‘જનરલ શોપ’ના એ માલિક હતા. આ વિસ્તારમાં આફ્રિકાનારોની વધારે વસ્તી હતી અને વળી, વિસ્તારના કાયદા અનુસાર દેસી વેપારીઓ માટે જે જગ્યા નિયત થયેલી ત્યાં વસવાટ અને ધંધા માટે ચાલી જવાનો આદેશ હતો. તેની સામે ન્યાય મેળવવા અદાલતે ધા નંખાઈ; અને અદાલતમાં હાર થતાં, ધંધોધાપો વીંટી સાટીને અમીનાબહેનનાં માવતર અને પરિવારજનો મૂળ વતન ખોલવડ ખાતે પાછા વળી ગયેલાં. અમીનાબહેનને ખોલવડના આ દિવસો ભારે લાગતા હતા.  એમને ત્યાં સોરવાતું જ નહોતું, અને લગીર ગમતું જ નહોતું. આની વચ્ચે,

ચીફ આલ્બર્ટ લુથુલી

ટીલી પરિવારને માટે પહાડ કુટુંબમાંથી સંબંધ બાંધવાનો પ્રસ્તાવ આવ્યો. અમીનાબહેનને તો ભાવતું હતું અને જાણે કે વૈદ્યે જ કીધું, તેવો ઘાટ થયો. અને અમીનાબહેન ગુલામ પહાડ જોડે પરણી ગયાં અને પોતાને ગમતા મુલકમાં ફેર પહોંચી ગયાં. એ દિવસોમાં ગુલામ પહાડ હજુ શ્વીત્ઝર – રેનેહકે [Schweizer-Reneke] ગામે વસવાટ કરતા હતા. એ 1940ના અરસાનાં વરસો હતાં. આફ્રિકન નેશનલ કાઁગ્રેસના આગેવાનો અને ક્યારેક કમ્યુનિસ્ટ પાર્ટી ઑવ્‌ સાઉથ આફ્રિકાના હોદ્દેદારો આ તરફ પ્રવાસે નીકળ્યા હોય તો તેઓ પણ પહાડ પરિવારના મહેમાન બનતા. જેવો પહાડ પરિવાર જ્હોનિસબર્ગના ઓરિયન્ટ હાઉસમાં વસવાટ માટે ગયો, તેની સાથેસાથે આ આગેવાનોનો ધામો ય અહીં પહોંચતો થયો. ડૉ. યુસૂફ દાદુ તો હતા જ અને વળી એ પહાડ પરિવારના દાક્તર રૂપે ય સેવા આપવા લાગેલા. ઇન્ડિયન કાઁગ્રેસના આગેવાનો નાનાંમોટાં કામો અર્થે આવતા રહેતા, તેમ આફ્રિકન નેશનલ કાઁગ્રેસના આગેવાનોમાં  મન્ડેલા તેમ જ વૉલ્ટર સિસુલુની પણ આવનજાવન વધી ગયેલી.

ઓરિયેન્ટ હાઉસ માંહેના પહાડ પરિવારના ફ્લેટમાંની બેઠક ખંડમાં યુસૂફ દાદુની છબિ રહેતી. ગાંધી-નેહરુની સંયુક્ત છબિ ય ધ્યાનાકર્ષક હતી. વળી સૌનું ધ્યાન ખેંચાય તેમ આફ્રિકન નેશનલ કાઁગ્રેસના વડા ચીફ આલ્બર્ટ લુથુલીની છબિ રહેતી. લુથુલી તો અમીનાબહેનને પોતાની દીકરી જ માનતા. જ્યારે જ્યારે લુથુલીને જ્હોનિસબર્ગ આવવાનું બનતું ત્યારે ત્યારે તેમનો ઊતારો પોતાની આ ‘દીકરી’ને ઘેર જ રહેતો.

•••

તાજૂબીની જાણે વાત હોય તેમ બેએક ઘટનાની વિગતો જોઈએ :

એક વખત, બે આફ્રિકીઓ પહાડ પરિવારના ફ્લેટમાં ધસી આવ્યા. બન્નેનો આશય ઘરફોડ ચોરીનો જ હતો. અમીનાબહેનની હાજરીમાં બૂમાબૂમ કરીને પૈસોટકો, જરઝવેરાત જે કંઈ તેમની કને હોય તે સઘળું તત્કાળ તેમને આપી દેવાની તેમાં હાકલ હતી. અને તે વચ્ચે તેમની નજર લુથુલીની છબિ પર પડી. લાગલા બેમાંથી એકે પડપૂછ અદરી : ‘આ કોણ છે ?’ અમીનાબહેનનો જવાબ હતો : ‘એ મારા બાપાની છબિ છે.’ ‘આ તમારા બાપ કઈ રીતે હોય ?’ ‘ના, એ ચીફ લુથુલી છે, મારા પિતા.’ વળી અહીં આવે ત્યારે અહીં જ ઊતરે છે અને અમારી સાથે જ વસે છે.’ લાગલા એ બન્ને ચોરો કહેવા લાગ્યા : ‘અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ. પરંતુ આ જગ્યાએથી હટશો મા. અને બીજુંત્રીજું કંઈ કરશો મા !’ … અને પછી બન્ને દરવાજો બંધ કરી ભાગી ગયા !

બીજો પ્રસંગ બાજુની ડાયગોનલ સ્ટૃીટ [Diagonal Street] માંહેનો છે :

આ શેરીમાં અનેક હિન્દવી જમાતીઓની શાકભાજી તેમ જ ફળફૂલ વેંચતી દુકાનો રહેતી. આવી એક દુકાનમાં અમીના પહાડ જઈ ચડે છે. દુકાનમાલિક અમીનાબહેનને ઓળખી ગયા. ત્યાં તો તરત એક આફ્રિકન નબીરાએ અમીનાબહેનને ઝડપી લીધાં. ચોમેર સોપો પડી ગયો. એ જણને સામે થવા જેવાં અમીનાબહેન ફર્યાં કે તરત પેલા જણે કહ્યું, ‘મમ્મી, તમે છો ! તમે મને ઓળખો છો કે ?’ અમીનાબહેને હા પાડી. હું તમારી ઘરે આવી ગયો છું. અમે તમારે ઘેર બેઠકો કરી છે. તમે જાગતાં રહેતાં. તમે રાંધી કરીને અમને જમાડતાં. તમે મારી મા છો !’ તરત દુકાનમાલિક સાંભળે તેમ પેલો નબીરો ઊમેરણમાં કહેવા લાગ્યો. ‘હવે તમે લોકો સાંભળો. તમે મારી મા જોડે સારો માનવાચક વહેવાર કરજો. આ મારી પણ મા છે.’

નેલ્સન મન્ડેલાએ એમની આત્મકથા, ‘લૉન્ગ વૉક ટુ ફ્રિડમ’માં લખ્યું છે તે અગત્યનું છે. એમણે આદરપૂર્વક અમીના પહાડને મોહક, વીરતાભર્યાં કર્મશીલ તરીકે સંભાર્યાં છે. બપોરનું ભાણું લેવા માટે અનેકવાર એમના રહેઠાણની એમણે મુલાકાત પણ લીધી છે. હંમેશાં આદર સત્કાર કરતાં ગૃહિણીમાંથી જેલવાસ ભોગવનાર આ રાજકીય કર્મશીલને કારણે રંગભેદ સામે અનેકાનેક ભોગ આપનારી હિન્દવી જમાતને સમજવામાં એમને સહાયતા સાંપડી છે. 

મન્ડેલા ઉપરાંત, વૉલ્ટર સિસુલુએ પણ એમની આત્મકથામાં અમીનાબહેન વિશે પોરસાવતી વિગતો આપી છે. વળી, તે જ આઝાદી આંદોલનના હિન્દવી આગેવાનો – ઈસ્માઇલ મીર તથા અહમદ કથરાડાએ પણ એમની પોતીકી સ્મરણકથામાં અમીનાબહેન અંગે આદરભર્યું લખાણ આપ્યું છે. કાઁગ્રેસ આંદોલનમાં પણ એમના અંગે આદરભેર યાદ કરવામાં આવ્યાં છે. નેલ્સન મન્ડેલા તો છેવટ સુધી અવારનવાર ભાવપૂર્વક સંભારતા હતા કે કોઈ એક બિન-આફ્રિકી વ્યક્તિએ એમને આરંભથી ખવડાવ્યા, પીવડાવ્યા હોય તો એ ચોક્કસપણે અમીનાબહેન જ છે.

અહમદ કથરાડા

અહમદ કથરાડાએ પોતાની સ્મરણકથામાં નોંધ્યું હતું, અમીનાબાઈ હકીકતે તો અસાધારણ માણસ હતાં. એ હૂંફાળાં હતાં, માયાળુ પણ હતાં, હંમેશાં એમના મોં પર સ્મિત ફરકતું રહેતું. વળી, એ મોટાં દિલનાં ય હતાં. કરુણાથી ભરપુર અમીનાબહેનની તલ ભાર પણ ભૂલથાપ કાઢી ન શકાય તેવાં યજમાન પણ હતાં. રાજકારણ માંહેનાં અસંખ્ય સાથીસહોદરોમાં, પારિવારિક સભ્યોમાં તેમ જ નિજી મિત્રવર્તૃળમાં એમનું મજબૂત કામ અને યજમાનગીરીની અનેકાનેક વાયકાઓ પ્રસાર પામતી જ રહેતી. આ મહેમાનનવાજીનો લાભ લેનારામાંના કેટલાંક તો તદ્દન અજાણ્યાં ય હતાં. આવાં લોકો દક્ષિણ આફ્રિકાના અનેક વિસ્તારમાંથી પહાડ કુટુંબને સારુ હળવામળવા ય આવતું રહેતું. પહાડ પરિવારની યજમાનનવાજી, દિલની મોટાઈ, એમના માયાળુપણાનો જોટો મળવો મુશ્કેલ. કોઈ પણ જાતના જણાવ્યા વિનાના સમયે આવી જનારાંઓ માટે ય મહેમાનગતિની સોઈ રહેતી. દરેકને ભાવતાં ભોજનની સગવડ અમીનાબાઈ સલુકાઈએ કરી લેતાં.

ઈસપ પહાડનાં સ્મરણ મુજબ, ઇન્ડિયન કાઁગ્રેસનાં કામ માટે ક્યારેક કથરાડા કે પછી સુલેમાન ‘બાબલા’ સલૂજી જોડે ભંડોળ એકઠું કરવા ય ગામપરગામ પણ એ નીકળી પડતાં. આલ્બર્ટીના સિસુલુ, એડેલેઇડ ટામ્બો, ડોરીન મોત્સાબી તેમ જ રીકા હોજસન જોડે ય એમને ઘરોબો રહેતો. અમીનાબહેને ક્યારે ય નિશાળ તો કરી નહોતી, પરિણામે એમનું અંગ્રેજી નબળું હતું. પણ એ મજબૂતાયે રોળવતાં રહેતાં. હા, એ પોતાની માતૃભાષા ગુજરાતીમાં વાંચી, લખી, બોલી શકતાં હતાં. આવું છતાં એ દરેક જોડે સંવાદ કરી લેતાં.

અમીનાબહેન માનવતાવાદી હતાં. ચામડીનાં રંગ અનુસાર તેમ જ વિધર્મીઓ પ્રત્યે ય કોઈ ભેદભાવ રાખેલો જ નહોતો. એમના સંતાનોમાં આ ગુણ ઊતરે તે માટે એ સતત કહેતાબોલતાં.

•••

એમને દક્ષિણ આફ્રિકા છોડવું જ નહોતું, પરંતુ બે પુ્ત્રો ઈસપ અને અઝીઝનાં પરિવારના સભ્યો લંડન ચાલ્યા ગયાં તેનો અસાંગરો એમને લાગતો હતો તેથી પોતાના પતિ ગુલામ પહાડ અને સંતાનો અને પૌત્રોપૌત્રીઓ જોડે રહેવાનું થાય તે સારુ નછૂટકે તે લંડન જવા રાજી થયાં. ગયાં પણ ખરાં. ત્યાં થોડો સમય રહ્યાં અને પછી ગુલામ પહાડ અને અમીના પહાડે વતન જવાનું વિચાર્યું. વતન એટલે ખોલવડ. અને તેને સારુ એ બન્ને મુંબઈ જવા નીકળ્યાં. એ 1973નો સમય હતો.

મુંબઈના રોકાણ વેળા, એક જીવલેણ કાર અકસ્માતમાં, 26 મે 1973ના રોજ, અમીનાબહેન ખરાબ રીતે ઘવાયાં અને મૃત્યુ પામ્યાં. લંડનમાં ડૉ. યુસૂફ દાદુની આગેવાનીમાં ઉત્તર લંડનમાંના પહાડ પરિવારના રહેણાકમાં એક અંજલિ સભાનું આયોજન પણ થયું હતું.

20 ઍપ્રિલ 2006નો એ દિવસ હતો જ્યારે દક્ષિણ આફ્રિકાના બીજા રાષ્ટૃપતિ થાબો  મ્બેકીએ અમીના પહાડની અપ્રતિમ સેવાઓને ધ્યાનમાં લઈ, એમને મરણોત્તર ‘નેશનલ ઑર્ડર ઑવ્‌ લુથુલી’ રજત ચંદ્રકથી નવાજ્યાં ય હતાં. જ્યારે પાંચમાના બે સંતાનોએ – ઈસપે અને અઝીઝે પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકાની સરકારમાં નોંધપાત્ર સેવાઓ આપી છે. અઝીઝ પહાડ 1994થી 2008ના ગાળામાં વિદેશ ખાતામાં નાયબ પ્રધાન પદ સંભાળ્યું હતું. જ્યારે, ઈસપ પહાડ 1999થી 2008 વેળા પ્રમુખના દફતરમાં પ્રધાન પદ સંભાળેલું.

18 ફેબ્રુઆરી 2026 
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ
E.mail : vipoolkalyani.opinion@btinternent.com

Loading

એક સરકારી કર્મીનો પ્રેમપત્ર

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|19 February 2026

પ્રિય સખી, 

સરકારના વહીવટી કામગીરી માટે વપરાતી કચેરી કાર્ય પદ્ધતિને અનુસરીએ તો પત્ર લખનાર કે પત્ર વાંચનાર કોઈ કોઈને પ્રિય હોતું નથી તેમ છતાં પ્રિય શબ્દના માનવાચક સંબોધન સાથે તારી પ્રત્યેના મારા માફકસરના પ્રેમને શબ્દદેહમાં ઢાળી તારા નમ્ર ધ્યાને મૂકવા પ્રયાસ કરું છું! 

એક સરકારી કર્મીનું ગજુ સાદર રજૂથી આગળ બીજુ તો શું હોય! ને એટલે ઘણા લાંબા સમયથી પડતર રહેલ મારા દિલની સ્વયંસ્પષ્ટ વાત આ પ્રેમપત્રના શાબ્દિક માધ્યમથી આપની સમક્ષ સાદર રજૂ કરું છું. 

પુખ્ત વિચારણાને અંતે હવે આપના પ્રત્યેની મારી કુણી લાગણીઓ અંગે ઉચિત નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે એવું મને લાગે છે. મારા હૃદયમાં આપના પ્રત્યે લાગણીનો જે મહાસાગર હિલોળા લઈ રહ્યો છે એ પત્રમાં લખવા બેસું તો પત્ર અનાવશ્યક લંબાઈ જશે એ ડરથી મારી સઘળી લાગણીઓ શબ્દોમાં સંકલિત કરી ધ્વજ – “અ” પર સામેલ રાખું છું, જે વંચાણે લેવા વિનંતી.

વધુમાં, આપના પ્રત્યેની મારી સપ્રમાણ સંવેદનાઓ પરિશિષ્ટ – “ક” પર બીડું છું, જે ગ્રાહ્ય રાખવા જોગ લાગે તો વિચારણા હેઠળ લેશો તો આપનો આભારી થઈશ. 

સરકારી કર્મી છું એટલે લાગણીવેડા બહુ ફાવે નહિ અને ફુરસદનો સમય એમાં વાપરવો અમને પોષાય પણ નહિ એટલે શક્ય એટલી શબ્દોની કરકસર કરી આ પત્ર લખું છું અને મારા દિલમાં એનો જાવક નંબર પાડી આપને મોકલું છું એને ઝાઝું ગણીને વાંચજો. 

ઘણા લાંબા સમયથી પડતર એવા મારા આ પ્રેમ પ્રસ્તાવ અંગે અગાઉ પણ આપને વારંવાર સ્મૃતિપત્રો પાઠવેલ છે જે આપની કક્ષાએ વિચારાધિન હશે એવું મને જણાય છે. 

પ્રસ્તુત બાબતે હવે વધુ વિલંબ ન કરતા આપની કક્ષાએથી ઘટિત કાર્યવાહી કરી યોગ્ય તે નિર્ણય થઈ આવવા વિનંતી જેથી કરીને અન્ય પ્રેમ પ્રસ્તાવ વિચારણામાં લઈ શકાય. 

અંતે, મંજૂરીની અપેક્ષાએ લિખિતંગમાં “તમારો” એ સંબોધન વાપરવાની કુ-ચેષ્ટા કરી આ પત્ર પૂરો કરું છું.  

લિ. તમારો “અબક” 

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

...1020...22232425...304050...

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved