Opinion Magazine
Number of visits: 9456089
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વારસો

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|2 September 2025

આજે ન્યાયાધીશ સાહેબની કોર્ટમાં એક અજીબ પ્રકારનો વારસાઈ તકરારનો કેસ હતો. તકરારી બે પુત્ર, એક પુત્રી અને મૃતક પૂનમચંદ શેઠનાં પત્ની હતાં. ચારેયનો એવો દાવો હતો કે પૂનમચંદ શેઠ જ્યારે જીવિત હતા, ત્યારે પૂનમચંદ શેઠે સંપૂર્ણ મિલકત તેમને આપવાની વાત કરી હતી, પણ, કોઈ પાસે દાર્શનિક પુરાવા નહોતા, આથી કોઈ એક બીજાનો દાવો માન્ય રાખતા નહોતા. પૂનમચંદ શેઠનું આકસ્મિક મૃત્યુ થયું હતું અને પૂનમચંદ શેઠે વિલ બનાવ્યું છે એ બધાંને ખબર હતી, પણ તે કોની પાસે છે એ કોઈને ખબર નહોતી. શેઠશ્રીની મિલકત ઘણી હતી એટલે વારસાઈ ઝગડો પણ મોટો હતો. સૌને સંપત્તિમાં રસ હતો. 

ભાઈઓનું કહેવું હતું બહેનને લગ્નમાં દહેજમાં ખૂબ જ આપવામાં આવ્યું છે, એટલે તે હક ન માગી શકે. પૂનમચંદ શેઠની પત્નીનું કહેવું હતું, હું તેમની પત્ની છું એટલે સઘળી મિલકત ઉપર મારો પ્રથમ અધિકાર છે. એક બીજાં પોતાનો દાવો સાચો છે, એ પુરવાર કરવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. ચારેય દાવેદારને પૂરી મિલકત જોઈતી હતી. વારસાઈ ભાગ પાડવા તૈયાર નહોતા અને વિલ શોધવા કે વિલ કોની પાસે છે એ જાણવા પણ તૈયાર નહોતા.

જજ સાહેબે ચારેયને સાંભળીને કહ્યું, “તમને ખબર છે કે મૃતક પૂનમચંદ શેઠે વિલ બનાવ્યું છે?”

 “હા, સાહેબ, અમને વાત કરી હતી કે મેં વિલ બનાવ્યું છે અને તે પ્રમાણે કરશો તો જ મારી સંપત્તિ મળશે.”

 “તો તમે વિલ કેમ નથી શોધતા?”

 “સાહેબ, અમને બીક છે કે વિલ અમને લાભ અને સંતોષ આપતું ન હોય તો. અમે કંઈ ન કરી શકીએ.” 

“તો પહેલાં વિલની તપાસ કરો, અને વિલ મળે મારી હાજરીમાં ખોલવામાં આવશે, એ પહેલાં હું એ જાણવા માગું છું કે મૃતક પૂનમચંદ શેઠનાં પત્ની અને તમારા માતુશ્રીની જવાબદારી કોણ લેવા તૈયાર છે, મિલકત મળે તો અને મિલકત ન મળે તો પણ ?” કોઈએ જવાબ ન આપ્યો. “તમારી ચુપકીદીમાં મને જવાબ મળી ગયો છે, એટલે વિલ શોધીને કોર્ટમાં હાજર થજો.”

કોર્ટનો ઓર્ડર થયો એટલે વિલ શોધવાના પ્રયત્ન ચાલુ થયા. પૂનમચંદ શેઠનાં પત્નીએ કહ્યું, “વકીલ મુકેશભાઈ વોરા તેમના મિત્ર હતા, તેમને ખબર હોય તો તેમને પૂછી જોઈએ. “

“મારી પાસે પૂનમચંદ શેઠે વિલ બનાવડાવ્યું છે, અને તમે ન માગો ત્યાં સુધી તમને વાત કરવાની ના કહી હતી.”

 “પિતાજીએ એમ કેમ કર્યું હશે?”

 “એટલાં માટે કે તેમને શંકા હતી કે તમે તમારી માતુશ્રીનું ધ્યાન રાખવાને બદલે મિલકતના ઝઘડામાં પડશો, અને થયું પણ એમ જ. હું વિલ કોર્ટમાં રજૂ કરીશ.”

“પૂનમચંદ શેઠના વિલનું વાંચન કરવામાં આવે”, જજ સાહેબે આદેશ કર્યો.

“જજ સાહેબ, પૂનમચંદ શેઠના વિલમાં લખ્યું છે કે જે મારી પત્નીની જવાબદારી સ્વીકારે તેને મારી સંપત્તિ મળશે અને જો કોઈ તૈયાર ન થાય તો કોર્ટના ઓર્ડર પ્રમાણે મિલકતનો વહીવટ કરવાનો રહેશે.”

“બોલો, કોણ તૈયાર છે?” બંને ભાઈઓ તૈયાર થઈ ગયા કે માતાજીનું અમે ધ્યાન રાખશું, બંને ભાઈઓ વચ્ચે સંપત્તિની વહેંચણી કરી દ્યો.”

 “દીકરી, તું કેમ કાઈ ન બોલી, તે પણ સંપત્તિમાં ભાગ માગ્યો છે.” 

“જજ સાહેબ, હું મારા ઘરે ખૂબ સુખી છું. મારે સંપત્તિમાં ભાગની જરૂર નથી. બંને ભાઈઓ વચ્ચે જ્યારે સંપત્તિ માટે ઝગડા જોયા, પણ ક્યાં ય મારી માતાનું સ્થાન ન જોયું ત્યારે મેં નક્કી કર્યું, હું પણ કાયદેસરની વારસ છું સંપત્તિમાં ભાગ માગી ભાઈઓને તેમની ભૂલનું ભાન કરાવીશ. જજ સાહેબ અમારે સંપત્તિ નથી જોઈતી.”

 “જજ સાહેબ, માતુશ્રી અમારી સાથે રહે તેવી વિનંતિ છે.” 

“તમે કોણ છો?”

 “સાહેબ એ મારા પતિદેવ છે.”

“વાહ, અહીં દીકરાને સંપત્તિ મળે તો માતાને રાખવી છે, જ્યારે દીકરી જમાઈને સંપત્તિ નહીં, માતા જોઈએ છે. હવે કંઈ સમજાય છે.”

 “જજ સાહેબ, અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. અમે પિતાજીના વિલનો આદર કરીએ છીએ અને માતાજીની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ.”

“મુકેશભાઈ વોરા, તમે પૂનમચંદ શેઠના મિત્ર હતા, આથી વિલ પ્રમાણેની વ્યવસ્થા અને સંચાલન હું તમને સોપુ છું.” 

“જજ સાહેબ, મને વિલના લખાણની ખબર હતી પણ દીકરીના સહકાર વગર સોલ્યુશન શક્ય નહોતું, કારણ કે કોઈ વાત માનવા કે સ્વીકારવા તૈયાર નહોતું, એટલે આપ સાહેબની મદદ લેવી પડી. જજ સાહેબ ખૂબ ખૂબ આભાર.”

(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com

Loading

૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

જગદીશ પટેલ|Diaspora - Features|2 September 2025

જગદીશ પટેલ

બ્રિટનમાં એક ગુજરાતણ માલિકો સામે જંગે ચડે તે વાત જ નવાઈની ! પરદેશમાં પહેલી પેઢીના ગુજરાતીઓ મોટા ભાગે વેપાર કરે, કારણ રંગભેદ અને ભાષા, સંસ્કૃતિને કારણે નોકરીઓમાં પત્તો પડે નહીં. નોકરીઓ કરનારા આપણા લોકોની સામાન્ય માનસિકતા સંગઠન કરી સંઘર્ષ દ્વારા પોતાના હિત અને અધિકારનું રક્ષણ કરવાની નહીં, પણ માલિકોને વફાદાર રહી, નીચી મૂંડીએ વૈતરું કર્યે રાખવાની હોય છે તેવી સામાન્ય છાપ છે. એ સંજોગોમાં છેક ૧૯૭૬માં જયાબહેને જે સંઘર્ષ કર્યો હતો, તેની વાતો ભારતમાં મારા સુધી પહોંચતી હતી અને એ સમાચાર જાણી હું બહુ પોરસાતો. ૧૯૯૨માં મારે બ્રિટન જવાનું થયું, ત્યારે ત્યાં અનેક મજૂર કાર્યકરોને મળ્યો. મેં જયાબહેનને મળવા અને તેમનું ઠામઠેકાણું મેળવવા પ્રયાસ કર્યા પણ કોઈ માહિતી મળી નહીં. તેથી તેમની મુલાકાત લીધા વિના જ પરત ફરવાનું થયું. આજે આટલાં વર્ષે ‘ઇંડિયન એક્સપ્રેસ’માં તેમના વિશેનો આ લેખ જોઈ આનંદ થયો. લેખનો મુક્ત અનુવાદ પ્રસ્તુત છે જ.

— જગદીશ પટેલ

•

જયાબહેન દેસાઈનું નામ ભારતીય મહિલાના ઇતિહાસમાં અથવા મહિલા દિવસ જેવા દિવસોના સંદર્ભમાં ભાગ્યે જ સાંભળવા મળે છે. પણ આ સામાન્ય દેખાતી, સાડી પહેરેલી મહિલાએ એક વાર લંડનની શેરીઓમાં ખળભળાટ મચાવ્યો હતો. બ્રિટનમાં વસેલા સ્થળાંતરિત નાગરિકોના જીવનમાં આ એક મહત્ત્વનો વળાંક હતો. ૧૯૭૬ના બ્રિટન માટે આકરા કહેવાય તેવા ઉનાળામાં, તે સમયે ૪૩ વર્ષીય જયાબહેને ઉત્તર લંડનની ‘ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસિંગ લેબોરેટરી’માંથી મજૂરોની હડતાલનું નેતૃત્વ કર્યું હતું. કામદારોનો આ વિરોધ કહો, ધરણાં કહો કે હડતાલ કહો, આગામી બે વર્ષ સુધી ચાલ્યો હતો, તેણે બ્રિટનમાં રાષ્ટ્રવ્યાપી મીડિયાને વર્ષો સુધી આકર્ષિત કર્યું હતું અને બ્રિટનના તત્કાલીન ટ્રેડ યુનિયનોનું સંપૂર્ણ હૃદયપૂર્વક સમર્થન મેળવનાર કોમનવેલ્થ દેશોમાંથી સ્થળાંતરિત કામદારોની પ્રથમ હડતાલ તરીકે ઇતિહાસનાં પુસ્તકોમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

જયાબહેન ૧૯૬૦ના દાયકાના અંતમાં અને ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં નવા સ્વતંત્ર થયેલા પૂર્વ આફ્રિકન દેશોની આફ્રિકીકરણ નીતિઓને કારણે બ્રિટન આવી જનારા દક્ષિણ એશિયાઈ દેશોના નાગરિકોના સમુદાયનો ભાગ હતાં. ૧૯૩૩માં ગુજરાતના ધર્મજ ખાતે જન્મેલાં જયાબહેને ૨૨ વર્ષની ઉંમરે ફેક્ટરી માલિક સૂર્યકાંત દેસાઈ સાથે લગ્ન કર્યાં અને તેમના પ્રથમ બાળકના જન્મ પછી આ દંપતી તાન્ઝાનિયા રહેવા ગયું.

સુંદરી અનીથા અને રૂથ પીયર્સને, પોતાના ૨૦૧૮માં પ્રકાશિત પુસ્તક ‘સ્ટ્રાઈકીંગ વિમેન’ માટે ગ્રુનવિક હડતાલનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાના આ પુસ્તકમાં જણાવ્યું કે જયાબહેન અને તેમના મોટાભાગના સાથી હડતાલિયા કામદારો, ‘શહેરી, અંગ્રેજી ભણેલા અને મધ્યમ-વર્ગીય પૃષ્ઠભૂમિ’માંથી આવ્યાં હતાં.

તેઓ અત્યાર સુધી જે જીવન જીવતા હતાં તેનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિમાં તેમને હવે કામ કરવાનું આવ્યું હતું. એશિયન દેશોમાંથી આવેલા નાગરિકોને અહીં ઓછા પગારની નોકરીઓ અને નીચા સામાજિક મોભાની નોકરીઓ સ્વીકારવી પડતી હતી. હેલન લુઈસ નામના પત્રકારે લખેલા પુસ્તક ‘ડીફીકલ્ટ વિમેન’(૨૦૨૦)માં જણાવ્યા મુજબ જયાબહેનની મધ્યમ વર્ગીય સામાજિક પૃષ્ઠભૂમિ અને પોતાની કિશોરવયમાં ભારતીય સ્વતંત્રતા આંદોલનના અનુભવને કારણે બ્રિટનના સ્થાનિક કામદારો અને એશિયન દેશોમાંથી આવેલા સ્થળાંતરિત કામદારો વચ્ચે કામને સ્થળે રોજિંદા જીવનમાં કરવામાં આવતા ભેદભાવને જયાબહેન પારખી શક્યાં.

જે ગ્રુનવિક કંપનીમાં જયાબહેન કામ કરતાં હતાં ત્યાં પહેલાં ગોરા-કાળા બધા કામદારોને કામ આપવામાં આવતું હતું પણ ધીમે ધીમે ત્યાં એશિયન દેશોમાંથી આવેલાં સ્થળાંતરિત મહિલા કામદારોની જ ભરતી કરવામાં આવતી, જેમને બહુ ઓછા પગારે (અઠવાડિક અને કલાક દીઠ) રાખવામાં આવતાં. ૧૯૭૬માં ગ્રુનવિકમાં ૫૦૦ કામદાર પૈકી મોટાભાગની એશિયન મહિલાઓ હતી, ખાસ કરીને મેઇલ ઓર્ડર ખાતા જેવા જ્યાં ભારે શારીરિક મજૂરી કરવાની હોય તેવા વિભાગોમાં તેમને કામ આપવામાં આવતું. હડતાલ પહેલાંના થોડા દિવસોનો રેકોર્ડ જોતાં જાણવા મળે છે કે આ બહેનો સાથે બહુ ખરાબ વ્યવહાર કરવામાં આવતો. તેમને રેસ્ટરૂમ જવું હોય તો પણ પરવાનગી માગવી પડે, ફરજિયાત ઓવરટાઈમ કરાવવો, વગેરે.

અનીથા અને પીયર્સને પોતાના પુસ્તકમાં હડતાલના દિવસનું વર્ણન કર્યું છે. શુક્રવારનો દિવસ હતો, ૧૯૭૬ના ઓગસ્ટ મહિનાની ૨૦મી તારીખ. સપ્તાહના અંત પહેલાં પ્રોસેસ કરેલા ફોટોગ્રાફ્સ મોકલવા માટે પેઢી પર વધારાનું દબાણ હતું. દિવસના અંત સુધીમાં આઉટગોઈંગ મેઇલનાં ૧૩ ખોખાં છૂટાં પાડવાનું કામ પતાવી દેવા માટે કહેવામાં આવ્યું. એક વિદ્યાર્થી કામદારને લાગ્યું કે આ તો વધુ પડતું અને ગેરવાજબી કામ છે ત્યારે તેણે તેનો વિરોધ કર્યો. તેથી વાતાવરણ ગરમાયું. જ્યારે તેને બરતરફ કરવામાં આવ્યો ત્યારે અન્ય ત્રણ પુરુષ કામદારો પણ તેની સાથે તેના સમર્થનમાં બહાર નીકળી ગયા. જ્યારે જયાબહેને ઘરે જવાની તૈયારી કરવા માંડી, ત્યારે તે ઓવરટાઈમ કરશે કે કેમ તે અંગે મેનેજર સાથે ઝગડી પડ્યાં. ગુસ્સામાં ને ગુસ્સામાં તેમણે મેનેજરને કહ્યું, “સારું, તમે અહીં જે ચલાવો છો તે ફેક્ટરી નથી, તે પ્રાણી સંગ્રહાલય છે. પ્રાણી સંગ્રહાલયમાં ઘણા પ્રકારનાં પ્રાણીઓ છે. કેટલાંક એવાં છે જે તમે કહો તેમ નાચે છે; પણ કેટલાક એવા સિંહો છે જે તમારું માથું વાઢી શકે છે. અમે એવા સિંહો છીએ, મેનેજર સાહેબ.”

તકરાર પછી તરત જ, દેસાઈ અને તેમના પુત્ર સુનિલને, જે સ્ટાફનો ભાગ હતો, એક મેનેજરે ધીરે રહીને બહાર મોકલી આપ્યા. પરંતુ મેનેજર સાથે જયાબહેનને થયેલી જીભાજોડીની વાત ગ્રુનવિકના કામદારોમાં ફેલાઈ ગઈ. અને કામદારો એ શબ્દોનો ઉપયોગ વિરોધ દર્શાવવા કરવા લાગ્યા. પછીના થોડા દિવસોમાં, વિરોધ કરી રહેલા કામદારો ફેક્ટરીના દરવાજાની આસપાસ એકઠા થયા, અને પ્લેકાર્ડ લઈ ધરણાં કરવા લાગ્યા. પ્લેકાર્ડમાં લખેલું હતું, “ગ્રુનવિક એ પ્રાણી સંગ્રહાલય છે.” ગ્રુનવિકના ૫૦૦ કર્મચારીઓમાંથી ૧૩૭ કામદારો જયાબહેન સાથે જોડાતાં હડતાલને ઘણું બળ મળ્યું.

જો કે સમસ્યા એ હતી કે વિરોધ કરનારા કામદારોને ટ્રેડ-યુનિયનનો કોઈ અનુભવ નહોતો. તે સમયે યુનાઇટેડ કિંગ્ડમમાં મોટાં ટ્રેડ યુનિયનોમાં ગોરા પુરુષોનું વર્ચસ્વ હતું જેઓ પરંપરાગત ઉત્પાદન ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા હતા. વિરોધ કરનારાઓએ નોકરીઓ ગુમાવી અને તેઓને કોઈ પણ પ્રકારની નાણાંકીય સુરક્ષા ન હતી. દેસાઈના પુત્ર સુનિલે સૌપ્રથમ મજૂર પક્ષના આગેવાન જેક ડ્રોમીનો સંપર્ક કર્યો, જેઓ તે સમયે બ્રેન્ટ ટ્રેડ્સ કાઉન્સિલના સેક્રેટરી હતા. તેમણે તેમને એપેક્સ યુનિયન સાથે સંપર્ક કરાવી આપ્યો. એપેક્સના સમર્થનને કારણે હડતાલિયા કામદારોને હડતાલનો પગાર અને કાનૂની સલાહ બંને મળ્યાં.

જેમ જેમ હડતાલ કરનારાઓને વ્યાપક મજૂર ચળવળમાંથી ટેકો મળવા માંડ્યો, તેઓએ તેમના પ્રતિનિધિમંડળને દેશભરનાં કાર્યસ્થળો પર ટેકો મેળવવા મોકલવાનું શરૂ કર્યું. લેવિસે લખ્યું છે, “સાડી પહેરેલી મહિલાઓ સ્ટીલ મિલો અને એન્જિનિયરિંગ ફેક્ટરીઓ અને કાર પ્લાન્ટ્સ અને ડોકયાર્ડ્સ પર પહોંચી.”

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથેની એક મુલાકાતમાં, સુંદરી અનીથાએ જણાવ્યું હતું કે, “આ હડતાલ અંગે તે સમયનાં પ્રતિભાશાળી માધ્યમોની રજૂઆતમાં આશ્ચર્યનું તત્ત્વ દેખાય છે. તે સમયે બ્રિટનમાં દક્ષિણ એશિયાની મહિલાઓની સામાન્ય છાપ નિષ્ક્રિય, દબાયેલી અને ઘરકામમાં સીમિત હોવાની હતી. કામદારો તરીકે પોતાના અધિકારો માટે સંઘર્ષ કરનાર કામદારોની છાપ તેમની ન હતી.”

વિરોધ તેના બીજા વર્ષમાં પ્રવેશ્યો ત્યાં સુધીમાં, તેને ૨૦,૦૦૦થી વધુ લોકોનું સમર્થન હતું. તેઓ ફેક્ટરીના દરવાજાની આસપાસ એકઠા થઈને બિન-હડતાળિયા કામદારોને પરિસરમાં પ્રવેશતા રોકવાનો પ્રયાસ કરતા હતા. અનિથાએ સમજાવ્યું કે, “માધ્યમોમાં હડતાળિયા કામદારો અને તેમના સમર્થકોને તોફાનીઓ અને વિક્ષેપ પાડનારાઓ તરીકે ચીતરવામાં આવતા હતા.” યુનાઇટેડ કિંગ્ડમમાં ૧૯૩૦ના દાયકાથી જોયા ન હોય તેવા સ્તર પર પોલીસે કડક હાથે કામ લીધું અને હડતાલ કરનારાઓની ધરપકડ કરવામાં આવી.

જુલાઈ ૧૯૭૮ સુધીમાં સરકાર તેમના પર ચડી બેઠી અને વિરોધ કહેતાં હડતાલ પડી ભાંગી. મજૂર પક્ષ સત્તામાં હતો અને વડા પ્રધાન જેમ્સ કેલાહનને માટે આ હડતાલ ક્ષોભજનક હતી. તેમણે વિવાદનો ઉકેલ લાવવા ન્યાયાધીશ, લોર્ડ જસ્ટિસ સ્કેરમેનની નિમણૂક કરી. હડતાળિયા મજૂરો અને મેનેજેમેન્ટની જુબાનીઓ પછી, સ્કેરમેને ભલામણ કરી કે યુનિયનને માન્યતા આપવી જોઈએ. પરંતુ ગ્રુનવિકના માલિક, નવી દિલ્હીના એંગ્લો-ઇન્ડિયન જ્યોર્જ વોર્ડે આ ભલામણનો એમ કહીને વિરોધ કર્યો કે એ પોતે પણ સ્થળાંતરિત નાગરિક છે. મજૂર પક્ષની સરકારના દબાણ હેઠળ એપેક્સ યુનિયને હડતાલને આપેલું સમર્થન પાછું ખેંચ્યું. એટલું જ નહીં, હાઉસ ઓફ લોર્ડસ(આપણી રાજ્યસભા)એ યુનિયનને માન્યતા ન આપવાના માલિકના અધિકારને માન્ય રખ્યો.

હડતાલ ભલે નિષ્ફળ નિવડી, સ્થળાંતરિત મહિલા કામદારોના સંઘર્ષને કામદારો, અને સામાન્ય માણસોના વ્યાપક સમાજ દ્વારા જે ટેકો મળ્યો તે માટે તેને આજે પણ યાદ કરાય છે.

તે પછી જયાબહેને બીજે નોકરી કરી અને પછી હેરોની કૉલેજમાં શિક્ષક થયાં. ૨૦૧૦માં ૮૦ વર્ષની વયે તેમનું અવસાન થયું.

(આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘ઇંડિયન એક્સપ્રેસ’ના ૦૯/૩/૨૫ના અંકમાં પ્રગટ થયેલ અદ્રિજા રોય ચૌધરીના લેખને આધારે)

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 મે 2025; પૃ. 15-16  

Loading

લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ …

સોનલ પરીખ|Opinion - Opinion|2 September 2025

લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ
વહી આગ સીને મેં ફિર જલ પડી હૈ …

કુછ ઐસે હી દિન થે વો જબ હમ મિલે થે
ચમન મેં નહીં ફૂલ દિલ મેં ખીલે થે
કહી તો હૈ મૌસમ મગર રુત નહીં વો
મેરે સાથ બરસાત ફિર રો પડી હૈ …

કોઈ કાશ દિલ પે જરા હાથ રખ દે
મેરે દિલ કે ટુકડો કો એકસાથ રખ દે
મગર હૈ યે ખ્વાબોં ખયાલોં કી બાતેં
કભી ટૂટ કર ચીજ કોઈ જુડી હૈ …

યુરોપ-અમેરિકામાં વરસાદની અલગ ઋતુ નથી, આપણે ત્યાં વરસાદની ઋતુ ચાર મહિનાની ગણાય છે. તમિલનાડુમાં વર્ષમાં બે વાર વરસાદની ઋતુ આવે છે. કર્ણાટકમાં એપ્રિલ મહિનો આવે ને દિવસ ગરમ થાય એટલે સાંજે એક ઝાપટું પડી જાય એવો નિયમ છે. પણ બોલિવૂડ એવી રીતે વર્તે છે જાણે શ્રાવણ મહિનો જ સર્વેસર્વા છે – વરસાદ પણ શ્રાવણમાં જ થાય, રોમાન્સ પણ શ્રાવણમાં જ થાય અને વિયોગ પણ શ્રાવણમાં જ વધુ ઘેરો બને. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે આવા લાડકા ‘સાવન’ને વિવિધ ભાવોનું પ્રતીક બનાવીને લખાયેલાં ગીતો યાદ આવે.

શ્રાવણ અને વર્ષના અનુસંધાનમાં કેટલાં ગીતો લખાયાં છે એનો હિસાબ કરવા જઈએ તો ભૂલા પડી જઈએ. બાકી તો સાવન આયે યા ન આયે જીયા જબ ઝૂમે સાવન હૈ, તાર મિલે જબ દિલ સે દિલ કે વહી સમય મનભાવન હૈ – છે ને શકીલ, નૌશાદ, રફી અને દિલીપકુમારની સદાબહાર ટીમનું શાશ્વત જાદુ! આજે લઈએ છીએ ફિલ્મ ‘ચાંદની’નું ગીત ‘લગી આજ સાવન કી ફિર વો લડી હૈ’ – સુરેશ વાડકરના જન્મદિન નિમિત્તે.

સુરેશ વાડકર

સંગીતની દુનિયામાં સુરેશ વાડકર એક મોટું, આગવું નામ છે. ફિલ્મ સંગીત અને શાસ્ત્રીય સંગીત બંને પલ્લા સરભર. સુરેશ વાડકરનો જન્મ 7 ઑગસ્ટ 1955માં. શાસ્ત્રીય સંગીતની તાલીમ આઠ વર્ષની ઉંમરથી જ શરૂ થઈ ગઈ, બી.એડ. સમકક્ષ પ્રભાકર ડિગ્રી બહુ ઝડપથી મેળવી લીધી અને મુંબઈના આર્ય વિદ્યામંદિરમાં શીખવવા માંડ્યું. ‘સુરસિંગાર’ સ્પર્ધા જીત્યા ત્યારે એક જજ, સંગીતકાર જયદેવ હતા. 23 વર્ષના આ હોનહાર યુવક પાસે તેમણે પોતાની આગામી ફિલ્મ ‘ગમન’ની ગઝલ ગવડાવી, ‘સીને મેં જલન આંખોં મેં તૂફાન સા ક્યોં હૈ’ સાંભળીને લક્ષ્મીકાંત-પ્યારેલાલ એટલા પ્રભાવિત થયાં કે ‘ચલ ચમેલી’, ‘મેઘા રે મેઘા રે’ આપ્યાં. રાજ કપૂરની ફિલ્મો ‘પ્રેમ રોગ’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘હીના’ કારકિર્દીનો વળાંક સાબિત થઈ. ‘પહેલી’, ‘ઉત્સવ’. ‘લિબાસ’, ‘લમ્હેં’, ‘રંગીલા’, ‘માચીસ’, એક વિવાહ ઐસા ભી’, ‘હૈદર’ જેવી અનેક ફિલ્મોમાં ગાયું. મરાઠી દિગ્ગજ સંગીતકારો સાથે, ‘જબ વી મેટ’ના તમિલ વર્ઝનમાં અને અન્ય ભાષાઓમાં પણ ગાયું. મુંબઈ અને ન્યૂ જર્સીમાં મ્યૂઝિક સ્કૂલો ચલાવી. આમ ભરી ભરી કારકિર્દી અને ભર્યા ભર્યા જીવનના પર્યાય સમા સુરેશ વાડકરના કંઠમાં મુલાયમતા અને પહાડીપણાનો સરસ સંગમ છે, જે આપણા આજના ગીતમાં પણ પડઘાય છે. એમાં મધુર ઉમેરો કરે છે અનુપમા દેશપાંડેનો આલાપ.

80ના દાયકામાં રિલિઝ થયેલી ‘ચાંદની’ ટિપીકલ યશ ચોપરા સ્ટાઈલ ફિલ્મ હતી. પૉશ લાઈફસ્ટાઈલ, મધુર સંગીત, વિદેશી લોકેશનો અને નાયિકાકેન્દ્રી સંવેદનશીલ વાર્તા : એક લગ્નમાં ખૂબસૂરત ચાંદની(શ્રીદેવી)ને જોઈ રોહિત (રિશિ કપૂર) તરત તેના પ્રેમમાં પડે છે. એના શ્રીમંત માબાપને મધ્યમવર્ગની ચાંદની ખાસ પસંદ નથી, પણ દીકરાની જિદ સામે એ લોકો નમતું જોખે છે. લગ્ન થાય એ પહેલા રોહિતને અકસ્માત થાય છે, એ વ્હીલચૅરમાં જકડાઈ જાય છે. ચાંદની રોજ આવીને રોહિતની સેવા કરે છે, પોતાની વાતોથી એને આનંદમાં રાખે છે. રોહિતને ચાંદનીના પ્રેમનો મોટો ટેકો છે, પણ એનો પરિવાર જે રીતે ચાંદનીને અપમાનિત કર્યા કરે છે એ જોઈ તે ખોટો ઝઘડો કરી ચાંદનીને કાઢી મૂકે છે. દુ:ખી ચાંદની નોકરી લઈને મુંબઈ ચાલી જાય છે. એનો બોસ લલિત (વિનોદ ખન્ના) ભલો પણ હૃદયભંગ પુરુષ છે. શાંત, શાલીન, સુંદર ચાંદની લલિતને ગમવા લાગે છે.

‘લગી આજ સાવન કી ફિર વો લડી હૈ’ ગીતમાં તૂટી પડતો વરસાદ, ટેરેસમાં ઊભેલા લલિતના જખમો તાજા કરે છે અને નીચે લોનમાં ભીંજાઈ રહેલી ચાંદનીના ઘા પર મલમ બને છે. લલિતની પ્રિયતમા તરીકે જૂહી ચાવલા આ ગીત અને બેચાર દૃશ્યો પૂરતી આવતી ફિલ્મની અતિથિ કલાકાર છે. આ ગીતમાં ચાંદનીને પહેલી વાર એના સોહામણા હસમુખા બોસના દર્દનો અહેસાસ થાય છે. એક જ ગીત અહીં ત્રણ કહાણીને જીવતી કરે છે – ચાંદનીમાં ફરી આંખો ખોલતો ઉમંગ, લલિતને ફરી વાર ભરડો લેતી એકલતા અને લલિત-જૂહીનો ખોવાયેલો પ્રણય. બોલિવૂડના વરસાદી ગીતોમાં આ ગીતમાં એક જુદું કવિત્વ, જુદી ભાત, જુદું આકર્ષણ છે.

આ ગીતે જગાડેલો અહેસાસ લલિત અને ચાંદનીને નજીક લાવે છે ત્યાં જ પરદેશથી સાજા થઈ આવેલા રોહિતનું આગમન થાય છે … બૉલીવુડ સુંદરતાનું પૂજારી છે. આ ફિલ્મના ત્રણે કલાકારો વિનોદ ખન્ના, શ્રીદેવી અને ઋષિ કપૂર એક એકથી ચડે તેટલા, ભવ્ય કહી શકાય એવાં સુંદર છે. એવી સુંદરતા એમના પછી અને પહેલા પણ ઓછી જોવા મળી છે. અત્યારે ત્રણમાંથી કોઈ હયાત નથી.

‘ચાંદની’એ યશ ચોપરાની એ વખતે ડામાડોળ થયેલી કારકિર્દીને ફરી સ્થિર કરી હતી. ‘ચાંદની’ શ્રીદેવી માટે પણ એ ટર્નિંગ પૉઈંટ સાબિત થઈ હતી. ‘ચાંદની’થી સંગીતમય-રોમેન્ટિક ફિલ્મોનો દોર ફરી શરૂ થયો હતો. ‘ચાંદની’ને સિનેમેટોગ્રાફી માટે અવૉર્ડ મળ્યો હતો અને વિનોદ ખન્ના, રિશિ કપૂર અને શ્રીદેવી સહિત દસ નૉમિનેશન મળ્યા હતાં. લીના દરુએ બનાવેલા પોષાકોએ શ્રીદેવીને પરફેક્ટ ‘ચાંદની લુક’ આપ્યો હતો. કહે છે કે ખુદ યશ ચોપરાને એ લુક એટલો પસંદ આવી ગયો હતો કે ‘ડર’ અને ‘દિલ તો પાગલ હૈ’માં જૂહી અને માધુરીને એમણે એ લુક આપ્યો – પણ એ બન્ને શ્રીદેવીથી અડધી પણ ક્લાસિક લાગતી ન હતી.

‘ચાંદની’નાં 11 ગીતો સદાબહાર આનંદ બક્ષી (જન્મદિન 21 જુલાઇ) એ લખ્યાં હતાં અને સંગીત શિવ-હરિએ આપ્યું હતું. શિવ-હરિ એટલે સંતુરવાદક શિવકુમાર શર્મા અને બાંસુરીવાદક હરિપ્રાદ ચૌરસિયા. આ બન્નેનું આલ્બમ ‘કૉલ ઑફ ધ વેલી’ શાસ્ત્રીય સંગીતના આલ્બમોમાં સૌથી લોકપ્રિય એવું આલ્બમ હજી ય છે. એ પછી 30 વર્ષે એમણે ‘ધ વેલી રિકૉલ્સ’ આપ્યું અને એ બેની વચ્ચે આપી ‘લમ્હેં’, ‘ફાંસલે’, ‘ચાંદની’, ‘સિલસિલા’, ‘ડર’ જેવી દસેક ફિલ્મો.

અને ‘બેશક મંદિર મસ્જિદ તોડો, બુલ્લેશાહ યે કહતા, પર પ્યારભરા દિલ કભી ન તોડો, ઈસ દિલ મેં દિલબર રહતા’ અને ‘એ કાશ કહીં ઐસા હોતા કિ દો દિલ હોતે સીને મેં, એક ટૂટ ભી જાતા ઈશ્ક મેં તો તકલીફ ન હોતી જીને મેં’ જેવી સરળસુંદર પંક્તિઓ આપનાર આનંદ બક્ષી એક અચ્છા ગાયક પણ હતા … મોમ કી ગુડિયા ફિલ્મનું ‘બાગો મેં બહાર આઈ, હોઠો પે પુકાર આઈ’ લતા મંગેશકર સાથે ગાયું હતું. અને એક સોલો પણ, જેની પંક્તિઓ હતી, ‘દિપક કી તરહ જલતે જલતે, જીવન પાઠ પર ચલતે ચલતે રસ્તે મેં મુઝે સંસાર મિલા તો મૈંને કહા, સંસાર તૂ કિતના અચ્છા હૈ, લેકિન જંજીર હૈ દોર નહીં, જા તૂ મેરા ચિતચોર નહીં …
એક ગીત પાછળ કેટલી કહાણીઓ છુપાઈ હોય છે!

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 01 ઑગસ્ટ 2025

Loading

...1020...22232425...304050...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved