Opinion Magazine
Number of visits: 9965825
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાઇરસ, સુશાંત, કંગના, રિયાઃ તહી ઝિંદગી સે નહીં યે ફઝાયેં, યહાં સૈંકડોં કારવા ઔર ભી હૈ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 September 2020

મોટામસ બ્રહ્માંડમાં આવેલી આપણી પૃથ્વી પર ઘણું ય ઘટી રહ્યું છે, બસ આપણે ચૂકી જઇએ છીએ ક્યારેક બીજા પરીઘનાં સંજોગો પર નજર નાખવાનું

આપણી આસાપાસ અત્યારે ઘણો ઘોંઘાટ છે. લૉકડાઉન ખૂલ્યાનો, કેસિઝ વધ્યાનો, મર્ડર કે આત્મહત્યાનો કોયડો ઉકેલવાનો, કંગના રણૌત અને રિયા ચક્રવર્તી સાથે અને સામે જે થઇ રહ્યું છે તેનો પણ! આ બધું ચાલી રહ્યું છે ત્યાં સાથે સાથે ધસમસમતો નીચે જઇ રહેલો આપણા દેશનો જી.ડી.પી. પણ ક્યારેક ચર્ચાઇ જાય છે તો ક્યારેક ખેડૂતો અને મજૂરોની વ્યથા પણ વાતોનો ભાગ બની જાય છે. પણ આ ઘોંઘાટ, બૂમરાણ અને ધીમા સાદની સમાંતર એવી ઘણી ઘટનાઓ છે જેની પર કાં તો આપણું ધ્યાન જતું નથી અને જાય છે તો તરત આપણે એવા મુદ્દાઓ પર ધ્યાન આપવા માંડીએ છીએ જેમાં ગેજેટ ગૉસિપ કરવાનો વધારે સ્કોપ હોય, જેમ કે ખૂનની થિયરીઓ બનાવવી, રાજકારણનું મોહરું કોણ છે એ બધું ચર્ચવું, શોધવું વગેરે.

આપણે આ બધામાં વ્યસ્ત હતા ત્યારે એવી પણ ઘટનાઓ બની જેની વિશ્વમાં, આપણા દેશ પર અથવા તો લાંબે ગાળે કોઇને કોઇ રીતે આપણી જિંદગી પર, અરે આપણી નહીં તો આવનારી પેઢીની જિંદગીઓ પર અસર પડવાની છે. ઘર આંગણે નજર કરીએ તો મુકેશ અંબાણીએ જિઓ પ્લેટફોર્મ રોકાણકારોની લાઇન લગાડી દીધી, તે એમેઝોન સાથે વાટાઘાટો કરે એવી ય વકી છે એવા સમાચાર પણ આવ્યા અને અત્યારે રિલાયન્સ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં ૪૦માં સ્થાને છે. રિલાયન્સ ભારતની પહેલી એવી કંપની છે જે ૨૦૦ બિલિયન એમ-કેપને પાર કરી શકી છે તેમ માર્કેટ એનાલિસ્ટ્સનું કહેવું છે. એક્સોન, પેપ્સિકો, એસ.એ.પી., ફાઇઝર, ઓરેકલ, નોવાર્ટિસ આ બધાયથી રિલાયન્સ આગળ વધી ચૂકી છે. એશિયાની દસ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક છે રિલાયન્સ અને આ બધું ધીમા અને મક્કમ પ્રયાસોને પગલે છેલ્લા ત્રણથી ચાર મહિનામાં હાંસલ કરાયું છે. આ સમાચાર અગત્યનાં છે કારણ કે એક ખંતીલા ઉદ્યોગકારે પોતાની કુનેહથી કપરા સંજોગોમાં પણ પોતાને જે કરવાનું હતું એ કર્યું.

બીજી તરફ વાઇરસે આખી દુનિયાને થોભાવી છે, જ્યાં થંભ્યું નથી ત્યાં ધીમી ગતિએ બધું ચાલે છે પણ કુદરતી દુર્ઘટનાઓ પૃથ્વીના ગોળા પર ઘટતી જ રહે છે, માણસની હાજરી કે ગેરહાજરીથી એમાં કોઇ ફેર નથી પડી રહ્યો, હા એ છે કે અમુક પરિવર્તનો માણસનાં કર્મોનાં પરિણામ છે. કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કો, બર્કલી અને ઓકલેન્ડના વાઇલ્ડ ફાયર્સે ત્યાંનું આકાશ કેસરિયું કરી દીધું છે. આપણે આપણાં માસ્ક કેટલો વખત પહેરવા પડશે એની ચિંતામાં છીએ, પણ અહીં તો રાખનાં થર જામી રહ્યાં છે અને સૂર્યનો પ્રકાશ પણ આ દાવાનળને કારણે ઢંકાઇ ગયો છે. સોશ્યલ મીડિયા પર આની તસવીરો પણ સતત શૅર થઇ રહી છે પણ કંગના અને ઉદ્ધવ ઠાકરેની બબાલમાં આ બધું મગજમાં કોરાણે મૂકાઇ જાય છે. આ દાવાનળને કારણે જાનહાનિ પણ થઇ છે.

બીજી તરફ મેક્સિકન પાટનગરમાં જે સ્થળે નવું કોમર્શિલ એરપોર્ટ બનવાનું છે ત્યાં ખોદકામ કરતાં અંદાજે ૨૦૦ જેટલી એક્સકેવેશન સાઇટ્સ મળી આવી છે જેમાંથી કેટલીક તો આઇસ એજ એટલે કે પાષાણ યુગ પહેલાં જે હિમ યુગ હતો ત્યારના મોટાંમસ સ્તનધારી પ્રાણીઓનાં અવશેષો ધરાવે છે. બ્રહ્માંડમાં ય ઘણું બધું ચાલી રહ્યું છે જેમાંની એક ઘટના તો ૧૪મી સપ્ટેમ્બરે પૃથ્વીની બાજુમાંથી પસાર થવાની છે. નાસાના અહેવાલ અનુસાર એસ્ટ્રોઇડ ૨૦૨૦ QL2 જે ૧૨૦ મિટર જેટલા કદનો હોઇ શકે છે તે ૩૮,૬૨૦ કે.એમ.પી.એચ.ની ઝડપી પૃથ્વીની બાજુમાંથી પસાર થશે, તેનું કદ ફૂટબૉલના ગ્રાઉન્ડ જેટલું છે અને તે જો પૃથ્વી સાથે ટકરાશે તો શું થશે એની અટકળો પણ ચાલે છે જો કે એવું થવાની શક્યતા પાંખી જરૂર છે પણ હવે નકામી બાબતોમાં અટકળો બાંધવા કરતાં તો આવી ધારણાઓમાં મગજ પરોવવું વધારે હિતાવહ છે.

વાઇરસના જોખમે પાંચ મહિનામાં ઘણું નુકસાન કર્યું છે પણ છેલ્લા પાંચ દાયકામાં દુનિયાએ ૬૫ ટકા બાયોડાવર્સિટી ગુમાવી દીધી છે, એ પણ એક માનવ સર્જિત સમસ્યા છે.

જેન્ડર અને મહિલાઓને થતી કનડગતની વાતો જે સમાજમાં ન અટકતી હોય ત્યાં મહિલાનું ઉત્થાન મોટા સમાચાર જ બને છે, પછી ભલે તે વિશ્વનાં કોઇપણ ખૂણે થયેલી ઘટના હોય. ન્યુ યોર્કનાં સિટી ગ્રુપે જેન ફ્રેઝરને તેમના આગામી સી.ઇ.ઓ. નિમ્યાં છે, પહેલી વાર વૉલ સ્ટ્રીટની બૅંકની સી.ઇ.ઓ. તરીકે કોઇ મહિલાની નિમણૂંક થઇ છે. વેટિકન સિટીનાં પોપે કહ્યું છે કે ખાવાનો શોખ રાખનારા અને શારીરિક સંબંધનો શોખ રાખનારાઓ કંઇ પાપી ન કહેવાય. નાની અમસ્તી વાતમાં જાતને કોસનારા લોકોએ સમજવું જ રહ્યું કે ધર્મ પણ ઘણો મોકળો બની જ શકે છે, વાત તો અંતે માન્યતાની જ છે. આપણે વરસાદમાં આસામનાં પૂરની તારાજીની વાત કરી હતી પણ વાઇરસ સાથે લડી રહેલી દુનિયામાં પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં ૭,૬૦,૦૦૦ લોકો પૂરને કારણે તારાજી વેઠી રહ્યા છે. ક્યાંક ફ્રાંસમાં શોધાયેલો એક રોબોટ માસ્ક ન પહેરનારાઓને પકડી પાડે એવી AI સાથે ડેવલપ થયો છે અને માસ્ક ન પહેરનારાઓને ટકોર કરીને માસ્ક પહેરવાનું યાદ પણ કરાવી દે છે.

આ દરેક સમાચાર પર હજી ઘણું લખી શકાય એમ છે અને આવી બીજી અનેક ઘટનાઓ તમારી, મારી આસપાસ બની રહી છે. પ્રાથમિકતા શું છે તે નક્કી કરવું આપણા હાથમાં હોય છે. આ સંજોગોમાં પણ જેને મેડિટેશન કરવું છે એ કરી જ લે છે, જેઓ બિનશરતી પ્રેમનો સંદેશ ફેલાવવા માગે છે તેઓ પણ તે કરી જ રહ્યા છે, માણસનાં બેફામ વહેવારથી કુદરતને થયેલું નુકસાન ક્યાંક હજી વધી રહ્યું છે, તો ક્યાંક માણસની ગેરહાજરીમાં બધું સહેજ સુધરી પણ રહ્યું છે. અરે, હા, બોરીસ જોન્સનની તસવીરોમાં દેખાતો શ્વાન શું વિચારે છે તે મુદ્દે પણ સમાચાર બને છે. આપણે કલ્પી ન શકીએ રીતે બધું બદલાઇ રહ્યું છે, આપણે પણ ઉત્ક્રાંતિના નિયમને આધારે અનુકૂલન સાધતા શીખવું પડશે તે માત્ર શારીરિક સ્તરે હશે તો નહીં ચાલે.

બાય ધી વેઃ

સોશ્યલ મીડિયા પર સતત પોતાના અભિપ્રાય આપનારા, ફોન પર લાંબી ચર્ચાઓ કરનારા, કોરોનાથી તો કંઇ જ નથી થતું એવા ફાંકા મારનારા આ બધાની વચ્ચે પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે, કુદરત પોતાનું કામ કરી રહી છે અને માણસ પણ જ્યાં જેમ શક્ય બને એમ પોતાની વાત, પોતાના વિચાર અને વહેવારથી સંજોગોમાં જીવવાની કોશિશ કરી રહ્યો છે. કોઇ પોતાના કોચલામાં શાંતિ મેળવે છે તો કોઇને બીજા રસ્તા જડે છે અને કોઇને સમજાતું જ નથી કે તેને શાંતિની જરૂર છે તો વળી બધું શાંત હોવા છતાં ય અંદરનો ખળભળાટ બધું બદલતો રહે છે. આ છે દુનિયા, જિંદગી વગેરે વગેરે. આ બધું તો ઠીક બાકી ભોંયતળિયે ગયેલા જી.ડી.પી.નો અને બેવડ વળી ગયેલા અર્થતંત્રના મુદ્દા પણ આપણે સમજવા અને એનાલિસસ કરવા માટે ઘણા મોટા અને અગત્યના છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 સપ્ટેમ્બર 2020 

Loading

‘કામઢા’નાં ડાબલાંમાં જાદુ

જગત જતનકર|Opinion - Opinion|13 September 2020

તેલઘાણી એટલે ઘાલમેલનો ધંધો; પણ મહંમદના કામમાં લગીરે ય ગરબડ નહીં. તેલનું ટીપું ય આઘુંપાછું થાય નહીં. ખોળ પણ વાળી-ઝૂડીને ઘરાકને આપી દે. આસપાસનાં પાંચ-સાત ગામમાં મહંમદની ઘાણીની શાખ. તેની પત્ની મુમતાઝ આખાબોલી; પણ મનમાં જરીકે ય મેલ નહીં. પડોશમાં જ સમજુભા રહે, સમજણપૂર્વક અપરિણીત રહેલા. એમનું વતન તો ખાસ્સું આઘું; પણ પાંત્રીસ વરસથી ગામમાં શિક્ષક તરીકે કામ કરે, એટલે આ વિચારપુર ગામ જ એમનો પરિવાર થઈ ગયેલું. મુમતાઝ એમની જમવાની કાળજી કરી લે.

ઘરને આંગણે રોજ રાતે ડાયરો જામે. દેશ-દુનિયાના સમાચાર અને ગામમાં બનતી ઘટનાને આધારે અલકમલકની વાતો થાય. માત્ર નિશાળિયા જ નહિ; વડેરાં ય આવીને સમજુભાની વાતો સાંભળવા બેસે. આ ડાયરો એટલે ગામના સમજણ અને સંપમાં વધારો કરનારો સહજતાથી ચાલતો વર્ગ! વેકેશનમાં સમજુભા પ્રવાસે કે શિબિરમાં જાય તો આખા ય ગામને ખોટ વર્તાય. બધા એમના આવવાની વાટ જુએ. સમજુભા આવીને પ્રવાસના અનુભવોની વાતો કરે. સમજુભા અને મહંમદને લીધે વિચારપુર ગામ પંકાય.

મહંમદની ઘાણી બળદથી ચાલે. કદાવર, સફેદ, કાંકરેજી બળદ. રોજ ઘરનો ખોળ મળે એટલે શરીરે અલમસ્ત. ઉંમરે બાર વર્ષનો. મહંમદે તેને ખરીદ્યો ત્યારે તે નવ માસનો વાછરડો હતો. તેને બીજે જ અઠવાડિયે મુમતાઝે ઈસ્માઈલને જન્મ આપેલો. બે ય સાથે જ મોટા થયા. પતિ-પત્નીને બે ય વહાલા. બળદનું નામ પાડ્યું ‘કામઢો’. નામ એવા ગુણ. કામઢો રોજ આઠ-દસ કલાક ઘાણી ફેરવે એટલે કસાયેલું શરીર. ચામડી ચમકે, માખી બેસે તો ય ચામડી થથરાવે તેવો સ્ફૂર્તિલો. તેને કોઈ દિવસ કામની આળસ નહીં. ઘરનાં બારણાંનાં મીજાગરાં સવારે ખૂલે ત્યારે કિચૂડ કિચૂડ બોલે તે કામઢાનું એલાર્મ.

ઊઠતાંવેંત કામે ચઢવા તૈયાર. ગામ આખામાં કામઢો સૌથી પહેલો કામે ચઢે. થાકે એટલે ઘડીક ઊભો રહે. સરખી જ ઉંમરનો ઈસ્માઈલ સમજી જાય. પાણીની ડોલ મોઢા આગળ મૂકે. ડોલ ખસવાનો અવાજ આવે એટલે વળી પાછો વગર ડચકારે કામઢે ચાલવા માંડે. ચાલવામાં તેજ, બીજા બળદ કરતાં તેની ચાલ સવાઈ. આગળના પગની છાપની આગળ પાછલો પગ પડે. કેટલાક ઘરાક ખાસ ચાલ જોવા ઊભા રહે. કોઈ વળી જતાં જતાં કામઢા માટે એકાદ બે કિલો ખોળ મૂકતાં ય જાય.

સૌ કામઢાના કામનાં વખાણ કરે, ‘આપણો બળદ જો કામઢા જેવો હોય તો કેટલું સારું!’ મુમતાઝ એ સાંભળી જાય તો રોકડું જ પરખાવે, ‘દીકરાની જેમ સાચવો તો તમારા બળદ પણ કામઢા જેવું કામ કરે.’ આવે વખતે પરગજુ મહંમદ મુમતાઝને વારે; પછી વખાણ કરનાર તરફ હાથ જોડીને કહે, ‘પરવરદિગારની કૃપા કે અમારી પર ગામ આખાનો દયાભાવ છે. બધાને ઘાણીકઢું તેલ ખવરાવવાનું અમને જ નહિ; આ કામઢાને ય ગમે છે!’ આ સંવાદ સાંભળી કામઢો તો ભારે પોરસાય.

કામઢાની એક જ મર્યાદા. એને ગોળ-ગોળ ફરતા જ આવડે! મહંમદે તેને ઘાણી માટે જ પલોટેલો તે ! ઘાણીએ જોતરીને પહેલું કામ કાળાં ડાબલાં પહેરાવવાનું. ગામનાં છોકરાંને નવાઈ લાગે, ‘બીજા બળદ ડાબલાં પહેર્યા વિના જ ચાલે છે તો કામઢાને ડાબલાં કેમ?’ સવારથી સાંજ એક જ કામ; ગોળ-ગોળ ફરવાનું. દિવસો વીત્યા, મહિના વીત્યા, દાયકો વીત્યો. કોઈ દિવસ નહિ વેકેશન; નહિ રજા. રજાનો વિચાર કરવાની ફુરસદ ન’તી મહંમદને કે ન’તી કામઢાને. જેમ અર્જુનને માછલીની આંખ સિવાય કાંઈ ન દેખાય તેમ આ બંનેને ઘાણી સિવાય કાંઈ ન દેખાય.

એક વાર ઉનાળાનો સમય. વેકેશનમાં સમજુભા ધ્યાન શિબિરમાં ગયેલા. બરાબર તે જ વખતે અલ્લાનું કરવું ને કામઢાને કાંધ આવી. ધ્યાન ન રહે તો કાંધ પાકે અને લાંબું થાય. મુમતાઝે તો મહંમદનો ઊધડો લીધો, ‘આટલું ય ધ્યાન નથી રાખતા!’ મહંમદે ચાલુ ઘાણ પૂરો કરી કામ કર્યું બંધ. ઘરાક ભલે ધક્કા ખાય. કામઢો પહેલો; ઘરાક પછી. ઈસ્માઈલ દા’ડામાં બે-ત્રણ વાર કાંધ પર ઘરનું તાજું દિવેલ લગાવી આપે. ઈસ્માઈલનો ફોરો હાથ કામઢાને ખાસ શાતા આપે.

મુમતાઝ રોજ ઊઠતાંની સાથે જ તેને પસવારતાં કહે, ‘ઘણું ય કામ કર્યું છે. પૂરતો આરામ કરી લે. આવી તક મળતી નથી’. આટલું સાંભળી મિજાગરાના અવાજ સાથે ઊભો થયેલો કામઢો પાછો બેસી જાય. કામ વિનાના કામઢાને ચેન પડે નહીં. જિંદગીમાં પહેલી વાર કામઢાને ડાબલાં વગર દિવસો કાઢવાના આવ્યા. સવારથી સાંજ સુધી ગામમાં થતી આવન-જાવન પર તેની નજર રહે. એણે જોયું કે રોજ સવારે એનાં બીજાં ભાઈ-ભાંડુઓ અલગ અલગ સાંતી લઈને સીમ તરફ જાય છે. કોઈ ઓરણી, કોઈ કરબ, તો વળી કોઈ હળ લઈને જાય છે. કોઈ વળી ગાડું ખેંચી જાય છે. કોઈને તો કાંઈ જ જોતર્યું નથી. સાંજે પાછો વળતો ક્રમ. કેટલાં બધાં ઘાટનાં સાંતી, જુદા જુદા રંગ-કદના બળદ, બધાની ચાલે ય અલગ!

શરૂઆતના ત્રણ દિવસ તો આ જોવામાં કામઢાને ભારે રસ પડ્યો. ચોથે દિવસે કામઢાને અચાનક ઝબકારો થયો : ‘આ શું? તેના આ ભાઈ-ભાંડુઓમાંથી એકે ય એનાં જેવાં ડાબલાં તો પહેરતા જ નથી ! બધા ખુલ્લી આંખે અને સીધી દિશામાં ચાલે છે. એકે ય એની જેમ એકલા તો છે જ નહિ ! બધા કોઈ ને કોઈ સાથીદારની સાથે જ ચાલે છે!’ હવે એનું મગજ ચકરાવે ચડ્યું, ગડમથલ થવા માંડી કે, ‘રોજ સાંજે પાછું જ આવવાનું હોય તો બધાં એની જેમ ગોળ ફરીને કામ જલદી પતાવતા કેમ નથી? ઝડપ આટલી ધીમી કેમ? બધા જાય છે ક્યાં અને આવે છે ક્યાંથી? ત્યાં શું કામ કરતા હશે? ભાર વગર ચલાતું કેમ હશે? બધાની ઘાણી કેવીક હશે? આટલા બધા ઘાટના સાંતીની અને તેને વળી બદલતાં રહેવાની જરૂર શી?’ વિચારોના ઘમસાણથી એનું માથું દુખવા લાગ્યું અને એ ઝોકે ચડી ગયો. બીજા બે દિવસ ગયા. રોજ આ જ મથામણ ચાલે અને ઝોકાં આવે પછી એનું માથું ઊતરે.

તેવામાં એક દિવસ તેણે સાંભળ્યું, ‘ચાલો ચાલો, આપણે આજે તો ઓરવાનું છે, મોડા પડે નહીં ચાલે. આ કામઢાની જેમ બેસી રહેવું આપણને ના પાલવે.’ પોતાનું નામ સાંભળી કામઢાના કાન સરવા થયા. તેણે જોયું તો એક વાંકાબોલો ખેડૂત તેના બળદોને પરોણો મારતો હતો. કામઢાને વાત સમજાઈ ગઈ. એની તો ઊંઘ ઊડી ગઈ. તેનું મન વ્યાકુળ થઈ ગયું. દસ વરસની એકધારી અને એકચિત્ત મહેનત પછી ગામમાં આવી વાતો થાય કેમ? તેની કામ પ્રત્યેની લગનને કોઈ પડકારી કેમ શકે? તે રાત્રે કામઢો સૂઈ ન શક્યો. આખી રાત તેણે ઊઠબેસ જ કરી. એને એમ થાય કે પોહ ફાટે ક્યારે અને ઘાણીએ વળગું ક્યારે? તેના માંહ્યલાના અવાજ સામે કાંધની પીડા તો ક્યાં ય ભુલાઈ ગઈ.

ઈસ્માઈલ ઘાણીએ બેસીને મોટેથી એક વારતા વાંચતો તે તેને યાદ આવી ગઈ. તેમાં બંને પગ વગરની એક છોકરી ગિરનાર ચડી ગઈ હતી. શારીરિક તકલીફો તો નબળા મનવાળાને નડે. એને તો ધૂન સવાર થઈ કે, ‘મારે કામ કરવું જોઈએ. ધૂંસરું નાંખી ગોળ-ગોળ ફરવું એ મારો સ્વધર્મ છે, એ જ મારી ફરજ છે અને એ જ મારો સેવાધર્મ છે. મને ઈશ્વરે તેને માટે તો મોકલ્યો છે. આવી રીતે કોઈ નવરું બેસે જ નહિ. કામ વિના જીવનનો સંતોષ મળે જ કેમ? કામ ન કરીએ તો જીવતર એળે જાય. હું બેઠો હોઉં ને ગામ ભેળસેળવાળું તેલ ખાય? અને પછી કામ કેટલું ચડી જાય? ઘાણી પડી પડી બગડી તો નહિ જાય ને?’ તેમાં વળી ઘણા વખતથી બાકી રહેલાં કામો પતાવવા મહંમદ બહારગામ જઈ આવ્યાની વાત જાણી. કામઢાને તો એમે ય વિચાર આવી ગયો કે, ‘આ મહંમદ, કોઈ બીજો ધંધો તો શોધી નહિ કાઢે ને! તે તેનો સ્વધર્મ તો ભૂલી નહિ જાય ને!’ તે રાતે કામઢાએ કશીક ગાંઠ વાળી લીધી.

સવાર પડી; પણ બારણું ખૂલવાનો અવાજ આજે આવ્યો કેમ નહિ? તાવલા ઈસ્માઈલને પોતાં મૂકવા મા-બાપે મોડી રાત સુધી ઉજાગરો કરેલો. બહારના શોરબકોરથી જાગીને મહંમદ જુએ છે તો આખું ફળિયું કામઢાની ફરતે ભેગું થઈ ગયેલું. ટોળાની વચમાં ખીલા ફરતે કામઢો ગોળ-ગોળ ફરે છે. જેમ ઘાણીની પડાળમાં લાટ ફરે તેમ હાલી ગયેલો ખીલો ય ગોળ-ગોળ ફરે છે. અને લોકો આ નવતર જોવાની મઝા માણે છે. કોઈ બોલ્યું, ‘કામઢો ગાંડો થયો લાગે છે.’ કોઈ કહે, ‘હવે આફરો ચડશે.’ કોઈને થયું, ‘બેઠા-બેઠ ખાધું તેની આળસ ઉતારે છે.’ કોઈ શું બોલે છે તેની કામઢાને પડી નથી. એ તો એના તાનમાં ફર્યે જ જાય છે.

આ તમાશો જોઈને મહંમદને ભારે અચરજ થયું. ઘડીક તો તેને કશી ગતાગમ પડી નહિ. કામઢાનું આવું વર્તન ક્યારે ય જોયું નહોતું. ન તો કોઈ દિ’ આવી બીમારી વિશે સાંભળેલું. આની દવા શી? આનો દાક્તર કોણ? આ તો દરદ જ નવું! આંખ ચોળતી મુમતાઝ બોલી, ‘ખીલો બદલી જુઓ.’ મહંમદ તરત કામઢા પાસે ગયો, પૂચકાર્યો. પણ કામઢો ગાંઠે શેનો? મુમતાઝે પાણી પાયું એટલે ઘડીક શાંત થયો.  દરમ્યાન મહંમદે એને ખીલેથી છોડી લીધો. તે જેવો નવા ખીલા તરફ દોરી જાય છે તેવો કામઢો માથું નીચું કરી મહંમદ પાસે ઊભો રહ્યો. કામઢાને એમ કે હવે ધૂંસરી મુકાય એટલે ઘાણી શરૂ. ‘પણ હજી તો કાંધ મટી ક્યાં છે?’ મુમતાઝ ઊંચા અવાજે બોલી. ‘કામઢાને કામે ન ચડાવાય.’ કામઢાને શંકા થઈ કે પેલી ગિરનાર ચડવાવાળી વારતા મુમતાઝે સાંભળી નહિ હોય?

તેણે તો નવા ખીલે ફરી ગોળ-ગોળ ફરવાનું શરૂ કર્યું. પડોશમાં સમજુભા સવારથી બધો તાલ જોયા કરે. આગલી રાતે જ શિબિરમાંથી પાછા આવેલા. તે તો જીવનના મર્મજ્ઞ હતા, બધું પામી ગયા. કહે, ‘ખીલો બદલ્યે નહિ ચાલે, કાંધ મટે નહીં ત્યાં સુધી ડાબલાં પહેરાવેલાં રાખો.’ મહંમદે જેમતેમ કરી કામઢાને ડાબલાં ચડાવી દીધાં. અને ઉપાય તો ભારે કારગર નીવડ્યો! ઘડીકમાં કામઢો શાંત થઈ બેસી ગયો. ડાબલાં જ તેને ગોઠ્યાં. હવે તેની નજર બીજે ફરતી બંધ થઈ. તેનું મન ચકરાવે ચડતું નહોતું અને સદ્ભાગ્યે કોઈ વાંકાબોલો નજીક ફરકતો નો’તો.

એકાદ અઠવાડિયું ગયું. કાંધ સાજી થઈ ગઈ, ઘાણી ચાલુ થઈ ગઈ. હવે બધાં ય રાજી છે, ઘરાક રાજી, મહંમદ રાજી અને કામઢો ય રાજી! પણ રોજ ભરાતા ડાયરામાં ગામનાં વડેરાં પૂછ્યે રાખે છે, ‘હેં સમજુભા, ડાબલાંમાં એવું તો શું છે કે કામઢો શાંત થઈ ગયો?’ સમજુભા મૂછમાં હસે ને એટલું જ બોલે, ‘ડાબલાંમાં જાદુ છે!’ પછી કરુણાભાવથી કામઢા તરફ જોયા કરે.

પણ એટલેથી અટકે તો સમજુભા શેના? આવો મોકો એ જવા દે? એક માર્મિક ગમ્મત કરવાનું તેમને સૂઝ્યું. ઓસરીમાં એક મોટો અરીસો લટકાવ્યો. પછી તેના ઉપરના ભાગે એક આકર્ષક ચબરખી ચોંટાડી, તેમાં કંઈક લખ્યું. ડાયરામાં આવતા લોકોને આજે આ નવું લાગ્યું. અરીસા પર કોઈ ચબરખી થોડી ચોંટાડે? વિચારપુરનાં લોકો આ કૌતુક જોવા જાય છે અને તેમાં પોતાનો ચહેરો દેખાય ત્યારે ચબરખી કપાળે આવે છે. ચબરખી વાંચી સૌ વિચારતાં થઈ જાય છે!

મહંમદે પણ અરીસામાં જોયું ને બોચી ખંજવાળી. કપાળ ઉપર દેખાતી ચબરખીમાં લખ્યું હતું, ‘કામઢો’! તેણે મલકાતાં મલકાતાં સમજુભાને પૂછ્યું, ‘આ અરીસો કામઢાની સામે ધરું?’ મુમતાઝ બોલી, ‘કામઢાને ચાલતાં આવડે છે; વાંચતાં નહિ.’ સમજુભા કહે, ‘અરે, વાંચતાં ન આવડે તો ય ચાલે, અરીસામાં જોતાં આવડે તો ભયો ભયો!’

(સમજુભાના અરીસામાં જોતાં જોતાં સૂઝેલી વાર્તા)  

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑગસ્ટ 2020

Loading

ન્યાયતંત્ર નહીં ઊગરે તો દેશ અરાજકતા તરફ ધકેલાઈ જશે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 September 2020

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને સર્વોચ્ચ અદાલતના નહીં, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અર્થાત્ ચીફ જસ્ટીસ ઑફ ઇન્ડિયા તરીકે ઓળખાવવામાં આવે છે, એના પરથી ખ્યાલ આવશે એ હોદ્દો કેટલો મોટો છે અને એનાથી પણ વધુ એનું ગૌરવ કેટલું મોટું છે. પ્રોટોકોલની યાદીમાં મુખ્ય ન્યાયમૂર્તિ અનુક્રમે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (જો હયાત હોય તો) પછી પાંચમાં ક્રમે આવે છે. આમાં નિવૃત્ત રાષ્ટ્રપતિને અપાયેલો ચોથો ક્રમ એક આદર માત્ર છે એટલે સત્તા ધરાવનારાઓમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ વડા પ્રધાન પછી તરત જ ચોથા ક્રમે આવે છે.

તમને યાદ હશે કે ૨૫મી એપ્રિલ ૨૦૧૬ના રોજ દેશના ચોથા ક્રમના હોદ્દેદાર, મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર દેશના ત્રીજા ક્રમના હોદ્દેદાર વડા પ્રધાન નામે નરેન્દ્ર દામોદાર મોદીની હાજરીમાં જાહેરમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેઓ રીત સર હીબકા ભરતા ભરતા વડા પ્રધાનને કહી રહ્યા હતા કે હવે દેશનું ન્યાયતંત્ર પડી ભાંગ્યું છે. એને બચાવો. સરકાર જ એને બચાવી શકે એમ છે. પ્લીઝ ન્યાયતંત્રને ચુસ્ત-દુરુસ્ત કરો. ન્યાયતંત્ર નહીં બચે તો દેશમાં કાયદાનું રાજ્ય પડી ભાંગશે.

કાયદાનું રાજ્ય. સામાન્ય જનોનું કાયદાના રાજ્યમાં કેટલું હિત જળવાયેલું છે એનું લોકોને અને ખાસ કરીને ભક્તોને ભાન નથી. ધોળે દિવસે દીકરીનું અપહરણ થશે ત્યારે રડતાં માં-બાપને ક્યાંયથી ન્યાય મળવાનો નથી. જે ન્યાય આપનાર છે એ જ શાસક પાસે કરગરે છે કે પ્લીઝ ન્યાયતંત્રને બચાવો.

તમને કદાચ જાણ નહીં હોય કે ૧૮૧૮માં પેશ્વાઓના રાજનો અંત આવ્યો અને તેની જગ્યાએ અંગ્રેજોનું રાજ આવ્યું ત્યારે પેશ્વાઓની રૈયતે ઘરને ટોડલે દીવાઓ પ્રગટાવીને દિવાળી ઉજવી હતી. શા માટે? કારણ કે કાયદાનું રાજ નહોતું. ઘાસીરામ કોટવાલો પેશ્વાઓના શ્રીમંત સરદારો માટે કે તેના લંપટ સગાંઓ માટે ગમે તેની મા-બહેનોને ઉઠાવી જતા હતા. ફરિયાદ ક્યાં કરો અને કોને કરો? વિજય તેંડુલકરે ‘ઘાસીરામ કોટવાલ’ નાટક લખ્યું અને ભજવાયું ત્યારે મહારાષ્ટ્રના દેશપ્રેમી સંસ્કૃતિ-રક્ષક બ્રાહ્મણોને મરચાં લાગ્યાં હતાં અને નાટક ન ભજવાય એ માટે ધમપછાડા કર્યા હતા. ખેર, એ વાત જવા દઈએ. પેશ્વાઓની રૈયતે દીવા કરીને દીવાળી ઉજવી હતી એ વાત તમને ગળે ન ઉતરે એવું બને.

મને ખાતરી છે કે તમે આપણા કવિ દલપતરામની પેલી જાણીતી કવિતા ‘હરખ હવે તું હિન્દુસ્તાન’! તો સાંભળી જ હશે. હરખ કઈ વાતનો હતો એ તો મનહર છંદમાં લખાયેલી કવિતા વાંચશો એટલે ખબર પડી જશે. કવિતા આ મુજબ છે :

ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર;
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

કવિતા ઘણી લાંબી છે એટલે આખી ઉતારતો નથી (આખી કવિતા ઈંટરનેટ પર ઉપલબ્ધ છે), પણ હજુ વચ્ચેથી બે પંક્તિ ટાંકુ છું :

ઈગ્લીશ નેજા નીચે તારાં તનુજ કરે ગુલતાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

આ કવિતા પરથી ખ્યાલ આવશે કે કાયદાના રાજ માટે પ્રજા કેટલી વલખાં મારતી હતી. દલપતરામ તો શિક્ષિત બ્રાહ્મણ હતા અને છતાં અંગ્રેજોના રાજનું સ્વાગત કરતા હતા તો કલ્પના કરો કે દેશી રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કેવી હશે! લગભગ દરેક રાજ્યમાં ઘાસીરામ કોટવાલો જ રાજ કરતા હતા. દલપતરામની કવિતા વાંચીને કદાચ તમને ખાતરી થશે કે મહારાષ્ટ્રમાં પ્રજાએ પેશ્વાઓના રાજના અંતનો અને અંગ્રેજોના રાજના આરંભનો કેવો ઉત્સવ મનાવ્યો હશે.

હિંદુરાષ્ટ્ર અને દેશપ્રેમના નામે દરેક કુકર્મોનો બચાવ કરનારાઓને એક સવાલ પૂછવાનું મન થાય છે. દલપતરામ ડાહ્યાભાઈ આપણી ભાષાના આધુનિક યુગના આદ્યકવિ છે. નર્મદ કરતાં ઉંમરમાં મોટા હતા અને નર્મદ જેટલા જ આધુનિક હતા એટલે હું તેમને આધુનિક યુગના આદ્યકવિ કહું છું. વળી નર્મદ તો પાછલાં વર્ષોમાં બદલાયો હતો, જ્યારે દલપતરામ જેટલા આધુનિક હતા એટલા જીવનભર રહ્યા હતા. એક છેડેથી બીજે છેડે નહોતા ગયા. આ દલપતરામ ૧૯મી સદીમાં ભારતીય શાસકોને અને તેમના આંગળિયાતોને કાળા કેર કરનારાઓ તરીકે ઓળખાવે છે. બકરી અહીં દીકરી-વહુ તેમ જ ગરીબ લાચાર પ્રજાના પ્રતિકરૂપે છે. પાછું દેશીરાજ્યોથી મુક્તિને તેઓ આવકારે છે અને અંગ્રેજ રાજ્યનું સ્વાગત કરીને પ્રજાને હરખાવાની સલાહ આપે છે.

તમને નથી લાગતું કે કવિ દલપતરામ આધુનિક ગુજરાતના આદ્યકવિ ભલે હોય, સૌ પહેલા તો તેઓ આધુનિક ગુજરાતના આદ્યદેશદ્રોહી હતા? આવું કહેવાતું હશે, હરખ હવે તું હિન્દુસ્તાન! આ લખનાર જેવા તો દલપતરામના દેશદ્રોહી નાનાં છોરું કહેવાય. મહારાષ્ટ્રમાં આપણા પોતાના, પાછા હિંદુ અને હિન્દુમાં પણ સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ એવા પેશ્વાઓનું રાજ જાય તો હરખાવાનું હોય! કોઈ દેશપ્રેમ અને હિંદુગૌરવ જેવી ચીજ ખરી કે નહીં? ૧૮૧૮માં જે જે ઘરોમાં ટોડલે દીવા પ્રગટ્યા હતા એને પાછલી મુદ્દતથી દેશદ્રોહી જાહેર કરવા જોઈએ.

હિંદુરાષ્ટ્ર અને દેશપ્રેમના નામે કુકર્મોનો બચાવ કરનારાઓને એ પણ જણાવી દઉં કે અફઘાન પ્રજાને જ્યારે તાલેબાનોથી મુક્તિ મળી ત્યારે ત્યાં પણ પ્રજાએ હરખ મનાવ્યો હતો અને ત્યાં પણ કોઈ દલપતરામે હરખ હવે તું અફઘાનિસ્તાન કવિતા લખી હશે. તમને ખબર નથી કે કાયદો અને વ્યવસ્થા શું ચીજ છે. હિંસા તમારે ઉંબરે આવશે, બહેન-દીકરીને સાંજ પડ્યા પછી ઘરની બહાર નીકળતા ડર લાગશે અને ગાયબ થઈ ગયેલો દીકરો ક્યારે ય ઘરે પાછો નહીં ફરે કે નહીં તેની લાશ મળે ત્યારે ભાન થશે કે કાયદો અને વ્યવસ્થા શું ચીજ છે. છેલ્લાં સો વરસમાં આ ધરતી ઉપર સોએક જેટલા દેશોએ કમકમાં આવે એવી અરાજકતા વેઠી છે. એને જઈને પૂછો કે ધર્મ, વંશ અને ભાષાની અસ્મિતાઓ કરતાં કાયદો કેટલો મહાન છે અને કેટલો જીવનાવશ્યક છે. જીવનાવશ્યક દવા તો માત્ર આપણી જિંદગી બચાવે છે; જ્યારે કાયદો અને કાયદા આધારિત રાજ્ય તમારી, તમારા પરિવારની અને તમારા વહાલાં સંતાનોની જિંદગી બચાવે છે. એના થકી તમે રાતના ઊંઘી શકો છો.

માટે ૨૦૧૬માં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરનાં જાહેરમાં, કેમેરાની સામે બધાં બંધનો તૂટી પડ્યા હતાં અને હીબકા ભરતાં ભરતાં દેશના વડા પ્રધાનને કહ્યું હતું કે ન્યાયતંત્રને ઉગારો. તેનો નાભીશ્વાસ ચાલી રહ્યો છે. ન્યાયતંત્ર નહીં ઊગરે તો દેશ અરાજકતા તરફ ધકેલાઈ જશે. જગતનો ઇતિહાસ આની સાક્ષી પૂરે છે. આ વાતને ચાર વર્ષ થઈ ગયાં છે. આ ઘટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બની હતી. તેમણે ન્યાયતંત્રને ઉગારવા શું કર્યું? કાંઈ જ નહીં. ઊલટું, એક ધક્કા ઔર દોની નીતિ અપનાવી છે.

પણ એ પહેલાં દેશના ન્યાયતંત્રની આવી અવસ્થા થઈ શેના કારણે એનું વિવેચન કરીશું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,2932,2942,2952,296...2,3002,3102,320...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved