Opinion Magazine
Number of visits: 9664095
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાર વિનાનું ભણતર કે સાર વિનાનું ભણતર…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 July 2025

રવીન્દ્ર પારેખ

મોટે ઉપાડે જાહેરાત કરવામાં ગુજરાતના શિક્ષણ વિભાગને કોઈ પહોંચે તેમ નથી. જાહેરાતો કરવામાં તો કૈં જતું નથી, એટલે બણગાં ફૂંકાતાં રહે છે. તુક્કાઓ પર જ શિક્ષણ વિભાગના હુક્કાપાણી ચાલે છે, એટલે રોજ ફતવાઓ બહાર પડતા રહે છે ને ઘેટાંની જેમ શિક્ષણાધિકારીઓ, શાસનાધિકારીઓ, શિક્ષણ સમિતિઓ, સ્કૂલના આચાર્યો, શિક્ષકો સમજ્યા વગર આદેશોને ફોલો કરતાં રહે છે. આ લોકો ફોલો કરવામાં તો ઘેટાંને ય શરમાવે એવા છે. નવી શિક્ષણ નીતિ-2020 અમલમાં આવી, ત્યારે લાગતું હતું કે વિદ્યાર્થીઓનું, શિક્ષકોનું દળદાર ફીટશે, પણ નીતિ નવી હોય ને દાનત જૂની (ખોરી) હોય તો નીતિ પણ, અનીતિ જ પુરવાર થાય છે.  

કોઈ નબળી ક્ષણે કોઈ અધિકારીને તુક્કો આવ્યો કે એગલેસની જેમ દર શનિવાર પ્રાથમિકનાં બાળકો માટે બેગલેસ કરીએ. તરત જ 1 જુલાઈ, 2025ને રોજ જી.સી.ઈ.આર.ટી. અને દૂરવર્તી શિક્ષણે ફરફરિયાં બહાર પાડી દીધાં કે હવેથી શનિવાર એટલે બેગલેસ ! આ દિવસ શરૂ કરવાનો ઉદ્દેશ એ પરિપત્રમાં દર્શાવાયો છે. તેની થોડી લાઇન જોઈએ, ‘.. વિવિધતાસભર અભ્યાસક્રમમાં નવ વિષયો આવરી લેવામાં આવ્યા છે – ત્રણ ભાષાઓ, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ અને સુખાકારી તેમ જ વ્યાવસાયિક શિક્ષણ – જે તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NSF-SE) અનુસાર એક વિષયક્ષેત્ર ‘શારીરિક શિક્ષણ અને સુખાકારી’ છે. આ વિષયનો મુખ્ય ઉદ્દેશ શારીરિક પ્રવૃત્તિ અને રમતો પ્રત્યેનો રસ જગાવવાનો, રમતોમાં કુશળતાપૂર્વક જોડાવાની ક્ષમતા વિકસાવવાનો અને સંઘર્ષો બાદ પણ ફરીથી ઊભા થવાની ક્ષમતા, સહાનુભૂતિ તથા સહકાર જેવાં માનવીય મૂલ્યો વિકસાવવાનો છે.’

ખરેખર તો બેગલેસ ડે એકમ કસોટીના વિકલ્પે આવ્યો છે. શનિવારે એકમ કસોટી લેવાતી હતી, તેને અટકાવીને ‘ભાર વિનાનું ભણતર’ ફરી કોઈ સાહેબના ભેજામાં ઘૂસ્યું ! આ વેપલો વર્ષો અગાઉ પણ થયેલો ને પરિણામ ‘પાર વિનાનાં ભણતર’માં આવેલું. હવે ફરી કોઈ સાહેબને તઘલખ થવાનું મન થતાં એકમ કસોટીનો ભોગ લેવાયો છે. હવે એકમ કસોટીનું ઠેકાણે પડે ત્યાં સુધી ‘બેગલેસ બેગલેસ’ ચાલશે. વળી કોઈને તઘલખ થવાનું મન થાય ને તેને લાગે કે એકમ કસોટી જ જરૂરી છે, તો બેગલેસનો ઉલાળિયો થઈ જાય એમ બને. જો થોડી પણ અક્કલ વાપરવાનું મન થાય તો એકમ કસોટી પર કાયમી ચોકડી મારવા જેવી છે. કોઈ તઘલખને લાગે કે શનિવારે જ બેગ ભરીને બાળકોએ આવવું ને બાકીના દિવસે બેગલેસ ! તો, તે ય શક્ય છે. આ તો રાજા, વાજા ને વાંદરા છે. કૈં કહેવાય નહીં !

બેગલેસનો હેતુ ખરેખર ઉમદા છે. બાળકો એક દિવસ પીઠને બોજ વગરની રાખે તે સારું જ છે. આ બધું સારું જ છે, પણ ખાટલે મોટી ખોડ અમલીકરણની છે. શિક્ષણખાતાને તો એમ જ છે કે પરિપત્રો બહાર પડે એટલે કામ થઈ ગયું. તુક્કા, પ્રચાર, વિચારની ચરબીથી શિક્ષણ વિભાગ પીડાય છે, પણ આચારમાં તો તે સૂકતાનથી પીડાય છે. અમલ તેના સ્વભાવમાં જ નથી. જે થાય છે, તેણે ‘થવું’ છે, એટલે થાય છે, એમાં શિક્ષણ વિભાગનો ફાળો નહિવત છે.

રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ શનિવારે દફતર વગર ચાલે અને બાળકો હસતાં રમતાં આવે કે શારીરિક માનસિક વ્યાયામમાં પ્રવૃત્ત થાય ને શનિવાર આનંદદાયી નીવડે એનાથી રૂડું કૈં નથી. વારુ, એનો અમલ જુલાઇના પહેલા જ વીકથી થાય એ પણ આવકાર્ય, કારણ ફાંફાં જ અમલના છે, એ સ્થિતિમાં 1 તારીખે પરિપત્ર બહાર પડે ને 4 તારીખથી જ અમલનો આદેશ અપાય એનાથી વધુ ઝડપી બીજું શું હોય, તો એમાં ટીકા કરવા જેવું કૈં છે? છે –

સવાલ એ છે કે 5મીએ પરિપત્રનો અમલ થયો ખરો? વાત એવી હતી કે 5 જુલાઈએ શનિવારે બેગ વગર આવીને બાળકોએ રમતગમત, સાંસ્કૃતિક, યોગની, ચિત્રની પ્રવૃત્તિઓ કરવાની હતી, પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ જ અમદાવાદમાં, ખાનગી, સરકારી સ્કૂલોમાં બાળકો દફતરનો બોજ ઉપાડતાં જ આવ્યાં. એનો અર્થ એ કે અમદાવાદની સ્કૂલોમાં પરિપત્ર પહોંચ્યો નથી. બાકી, ના પાડી હોય ને બાળકો દફતર લઈને દોડે એટલા સુંવાળા તો નથી જ ! ટૂંકમાં, પરિપત્ર સ્કૂલ સુધી પહોંચ્યો નથી ને અમલમાં અખાડાનો આ તાજો દાખલો છે.

વેલ, સુરતમાં બાળકો બેગ તો લાવ્યાં, પણ પુસ્તકોને બદલે તેમાં વોટર બોટલ અને ટિફિન હતાં. એ સાથે જ તેઓ ભણતરને બદલે વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત જણાયાં. શિક્ષણ વિભાગ ગાંધીનગરમાં છે ને પરિપત્રનો અમલ નજીકના અમદાવાદમાં ન થતાં દૂરનાં સુરતમાં થયો એનું આશ્ચર્ય જ છે ! રાજકોટમાં પણ બેગલેસ ડે ઉજવાયો. બાળકો બેગ વગર આવ્યાં ને સેટરડેને જોયડેમાં ફેરવ્યો. તેમણે સ્કૂલમાં સંગીત, નૃત્ય, યોગ જેવી પ્રવૃત્તિ આનંદ અને ઉત્સાહથી કરી. વડોદરામાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 123 સ્કૂલોમાં બેગલેસની શરૂઆત થઈ હતી ને એકાદ સ્કૂલમાં તો AIનુ શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.

ભારે વજનની બેગ, બાળકોમાં કરોડરજ્જુની મુશ્કેલી ઊભી કરી શકે, એવામાં બાળકો અઠવાડિયે એક દિવસ બોજ વગર આવે તેવો સરકારનો નિર્ણય ચોક્કસ જ આવકાર્ય છે, પણ તેના અમલમાં જીવ રેડવો જોઈએ ને મુશ્કેલી જ ત્યાં છે. આમ તો સારી શરૂઆત થઈ, પણ તે લાંબી ટકે એ પણ જરૂરી છે. આપણે આરંભે છવાઈ તો જઈએ છીએ, પણ પછી ફોલોઅપના પ્રશ્નો રહે જ છે. સૌથી મોટો પ્રશ્ન શિક્ષકોની ભરતીનો છે. 2017થી ચાલી આવતી શિક્ષકોની અછત બાબતે શિક્ષણ વિભાગ પૂરી ખંધાઈથી ઉદાસીન છે. બેગલેસ ડેની જાહેરાત થઈ તે સાથે જ શિક્ષણ સાથે સંકળાયેલા ભાવિક ભક્તો બહુ મોટું કામ થયું હોય તેમ ડાકલાં વગાડતા હતા, ત્યારે તેમને એ વિચાર આવતો ન હતો કે ઓછા શિક્ષકોથી બાળકોને ભણતર વગર પ્રવૃત્ત કઈ રીતે રાખી શકાય? ઈતર પ્રવૃત્તિ માટે પણ સાધન-સામગ્રી તો જોઇએને ! તે કેવી રીતે શક્ય બનશે એ અંગે પણ ફોડ પાડીને શિક્ષણ વિભાગે વાત કરી નથી.

આજે પણ 40,000 હજાર શિક્ષકોની અછતથી સરકાર ચલાવે છે, તેમાં પણ બેગ વગરનાં શનિવારને જોગવવા વ્યાયામ, સંગીત, ચિત્ર શિક્ષકો પૂરતી સંખ્યામાં નથી. સાચું તો એ છે કે છેલ્લાં પંદર વર્ષથી વ્યાયામ, સંગીત, ચિત્રના શિક્ષકોની ભરતી જ થઈ નથી. આ શિક્ષકો હોય જ નહીં, તો વ્યાયામ, સંગીત, ચિત્ર શીખવવાનું શું? તે વગર શિક્ષકે શીખવી શકાશે એવું સરકારને કઈ રીતે લાગે છે? જો કે, વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા સરકારે એક કમિટીની રચના કરી છે. કમિટી રચાતી રહે છે, પણ નિમણૂકોનું ઠેકાણે પડતું નથી. 15 વર્ષથી નિમણૂક થઈ નથી, એવું દુનિયા જાણે છે, પણ નિમણૂકને બદલે સમિતિ રચાય છે. કમિટી શું કરશે? તો કે, વ્યાયામ શિક્ષકોની ભરતી અંગેના નિયમો કે પગાર વગેરે નક્કી કરશે. તે અગાઉ ભરતી થઈ જ નથી, વ્યાયામ શિક્ષકોની? તેના નિયમો અગાઉ ન હતા કે બધું નવે નામે કરવું પડે? આ બધું રાતોરાત થવાનું નથી, એટલે જેની તાત્કાલિક જરૂર છે તે નિમણૂકો થતાં બીજો કેટલો સમય ખવાશે તે નક્કી નથી. વળી આ કમિટી માત્ર વ્યાયામ શિક્ષકો માટે જ છે. તે પણ એટલે રચાઈ કે આંદોલન થયેલું. એમ તો ચિત્ર-સંગીત શિક્ષકોની નિમણૂક પણ બાકી છે, તો નોકરી તો ઠીક, કમિટી રચાવવા, તેમણે પણ આંદોલન કરવું પડશે? કારણ, આંદોલન વગર કામ થતાં નથી તે સરકાર સિવાય બધાં જાણે છે.

ખરી ભવાઇ ચાલે છે !

બાળકોને વ્યાયામ  કરાવવાનો છે, પણ સરકાર જાણે છે કે 6,921 પ્રાથમિક શાળાઓને મેદાન જ નથી? મેદાન પર માટી વાળો, પણ આખી સ્કૂલો પણ કેટલી? ખંડેર જેવી હાલતમાં જોખમો વચ્ચે કેટલી ય સ્કૂલો ચાલે છે. એક જ વર્ગમાં એકથી વધુ ધોરણ ભણાવાતાં હોય કે કેટલી ય સ્કૂલો શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલતી હોય, ત્યાં વ્યાયામ માટે અલગ મેદાનનું તો સપનું ય પડે એમ નથી. આ પરિસ્થિતિ હોય તો વિદ્યાર્થીઓ વ્યાયામ ક્યાં કરશે એનો જવાબ સરકાર આપી શકે એમ છે? શિક્ષકોની હાજરી વગર પણ શિક્ષણ થાય એવો પ્રયોગ ગુજરાતમાં જ શક્ય છે. અન્ય દેશ કે રાજ્યોમાં આવું હોય તો ભડકો થયા વગર ન રહે. પ્રવેશોત્સવ દ્વારા રાજકારણીઓની આરતી ઉતરાવાય છે, તેને બદલે શિક્ષકોનો પ્રવેશોત્સવ ઉજવાય તો દા’ડો વળશે, બાકી, આવી હાલતમાં બેગલેસ ડે ચમત્કાર વગર સફળ થાય એ વાતમાં માલ નથી.

હકીકત એ છે કે બાળકો બેગ લઈને આવે એ દિવસોમાં પણ હાલત બેગલેસથી બહુ સારી હોતી નથી, કારણ પુસ્તકો તો હોય છે, પણ તેને ભણાવનારા શિક્ષકો હોતા નથી. હોય તો તે ઈતર પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રખાતા હોય છે. એટલે ભરેલી બેગે પણ હાલત તો ખાલી બેગ જેવી જ હોય છે ને વધારામાં બેગનું ભારે વજન ઉપાડીને ઘરે ઢસડાવાનું તે નફામાં !

કોઈ પણ બાબત લાગુ કરતી વખતે તેનો ગંભીરતાથી અભ્યાસ કરવાનું કે જે તે સ્થિતિમાં તેનો અમલ કરાવવાનું કે તેનાં સંભવિત પરિણામો અંગે આગોતરું વિચારવાનું શિક્ષણ વિભાગના લોહીમાં જ નથી. એ તો પડશે તેવા દેવાશે – એ રીતે ચાલે છે ને એનો ભોગ નિર્દોષ બાળકો બને છે.

એટલું સમજી લઈએ કે બાળકો, શિક્ષણ વિભાગના અખતરાઓ કરવાની પ્રયોગશાળા નથી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જુલાઈ 2025

Loading

દલાઇ લામાના ઉત્તરાધિકારીની પસંદગીના પ્રશ્નમાં અધ્યાત્મ અને રાજકારણ વચ્ચે રસાકસી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 July 2025

આ એવો પ્રશ્ન છે જેની ફિકર આખા વિશ્વએ ધર્મશાસ્ત્રીય જિજ્ઞાસાની દ્રષ્ટિએ નહીં, પણ સાંસ્કૃતિક પ્રભાવ અને રાજકીય નિયંત્રણ વચ્ચે શ્રધ્ધાના અધિકારો અને સરમુખત્યારશાહી સત્તાની પહોંચ વચ્ચેની નિર્ણાયક સ્પર્ધાના પ્રતીક તરીકે કરવી જ જોઇશે

ચિરંતના ભટ્ટ

14મા દલાઇ લામા 90 વર્ષના થવાના છે અને એક મહત્ત્વનો યુગ પરિવર્તનનાં પડખાં ફેરવી રહ્યો છે. આ માત્ર અધ્યાત્મની વાત નથી બલકે આ જિઓ-પોલિટિક્સ એટલે ભૌગોલિક રાજકારણનો મુદ્દો પણ છે.  દલાઇ લામાએ જાહેરાત કરી છે કે તેમના અનુગામીને પસંદ કરવાનો અધિકાર માત્ર સ્વતંત્ર તિબેટિયનોને જ છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે છેલ્લાં ચૌદ વર્ષથી તિબેટ, રશિયા, મોંગોલિયા અને ચીનમાંથી તેમના ઉત્તરાધિકારીને પસંદગ કરવાની વિનંતી કરાઇ રહી છે, પણ તિબેટિયનોથી રચાયેલા ગાડેન ફોડ્રંગ ટ્રસ્ટને જ ભાવિ દલાઇ લામા પસંદ કરવાનો અધિકાર છે અને તેઓ પરંપરા અનુસાર આ પ્રક્રિયા પૂરી કરશે. વર્તમાન દલાઇ લામા આ કામગીરીની જવાબદારી ચીનના રાજકીય તંત્ર પર છોડવા નથી માગતા. આ એક જૂનો વિવાદ છે, જેમાં હવે આધુનિક ભૌગોલિક રાજકારણના દાવ-પેચ પણ ભળ્યા છે જે તિબેટિયન ધાર્મિક મતભેદ કરતાં ઘણાં પેચીદા છે. તે ચીન-ભારતના સંબંધો અને વૈશ્વિક રાજદ્વારીના ઉચ્ચ સ્તરીય શક્તિ પ્રદર્શન, પ્રતીકવાદ અને સાર્વભૌમત્વની પરીક્ષા છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. 

પારંપરિક રીતે જે વર્તમાન દલાઈ લામા હોય તે અન્ય વરિષ્ઠ લામા સાધુઓની મદદથી તેમના અનુગામીને, તેના પુનર્જન્મને ઓળખી શકે છે. તેમણે તાજેતરમાં જ એક વીડિયોમાં પણ એક વાતને પુષ્ટિ આપી હતી કે 2015માં સ્થપાયેલ ગાડેન ફોડ્રંગ ટ્રસ્ટ પાસે જ તેમના ઉત્તરાધિકારી પસંદ કરવાનો અધિકાર છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ઉત્તરાધિકારી કોઇપણ લિંગ એટલે જેન્ડરનો હોઈ શકે છે અને મોટે ભાગે તે ચીનની બહાર જન્મેલો હોઇ શકે છે. તેમનું આ વિધાન એક રીતે રાજકીય અવજ્ઞા અને આધ્યાત્મિક સ્તરે તેમની વૈચારિક મોકળાશનો પુરાવો છે. 

ચીનને આ આખી પ્રક્રિયાને પોતાના તાબામાં કરી લેવી છે અને સુવર્ણ કળશ લોટરી સિસ્ટમથી નવા દલાઈ લામા નિમવા છે જેમાં સ્વાભાવિક રીતે રાજકીય સત્તાધીશોની મંજૂરી પણ હોય. કિયાંગલોંગના સમ્રાટે 1792માં આ પ્રથા શરૂ કરી હતી, જે ત્યારે તો ક્વિંગ રાજ્યની ક્ષમતાઓના મૂલ્યાંકન માટે અનુસરાતી હતી. ચીનને આ પ્રથા ફરી જીવંત કરવી છે અને દલાઈ લામાની નિયુક્તિ આ જ રીતે થાય તેમ તે ઇચ્છે છે, જો કે ચીનની સત્તા ભૂખ અને તિબેટ પ્રત્યેનો અભિગમ કોઈનાથી અજાણ નથી. ધર્મ અને રાજકારણ જ્યાં ભેગા થાય ત્યાં અલગ જ પ્રકારની પેચીદગી ખડી થતી હોય છે તે સ્વભાવિક છે. ચીન વર્તમાન દલાઈ લામાની પસંદગી કરવાની શૈલીને ગેરકાયદે ગણાવે છે. જો આ લાંબુ ખેંચાયું તો શું બે દલાઇ લામા ચૂંટાશે – એક જેને તિબેટના લોકોનું સમર્થન છે અને બીજા જેમને બેઇજિંગે દલાઈ લામા બનાવ્યા છે? – આ એક મોટો આધ્યાત્મિક રાજકીય પ્રશ્ન બની ગયો છે. 

ભારત જેણે લાંબા સમયથી દલાઈ લામા અને તિબેટ સાથે સારા સંબંધો રાખ્યા છે, જેમને માટે તે યજમાન દેશ પણ બન્યો છે તે હવે રાજદ્વારી પડકારોનો સામનો કરી રહ્યો છે. દલાઈ લામાના વિધાને ટેકો આપતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જાહેરમાં એ વાત પર ભાર મૂક્યો કે નવા દલાઈ લામાને તો ટ્રસ્ટ જ પસંદ કરી શકે છે. કેન્દ્ર સરકારનું આ વલણ ધાર્મિક સ્વાયત્તતા પર ભાર મૂકે છે અને દલાઈ લામાના આધ્યાત્મિક મિશનને ઘોંઘાટ કર્યા વિના ટેકો આપનારું છે. જો કે આ બહુ મુત્સદ્દી અભિગમ છે અને તેમ જ રાખવો પડે એમ છે કારણ કે ચીન સાથે સરહદે સ્થિરતા જળવાય તે પણ વ્યૂહાત્મક રીતે બહુ અનિવાર્ય બાબત છે. 

આખી પરિસ્થિતિમાં વૈશ્વિક અભિગમ અને રાજકારણના તાણાવાણા પણ સમજવાનો પ્રયાસ કરીએ. જો ચીન – બેઇજિંગ દ્વારા દલાઇ લામાની નિમણૂંક થશે તો તિબેટી લોકો માટે તેમને ટેકો આપવો અઘરો પડશે. વળી માત્ર તિબેટીઓ નહીં પણ વૈશ્વિક સ્તરે બૌદ્ધ અનુયાયીઓ પર પોતાનો પ્રભાવ જમાવવાને મામલે બેઇજિંગ યુક્ત દલાઈ લામામાં નૈતિક અધિકારનો સાહજિક અભાવ વર્તાશે જ. 1995માં પંચેન લામા વિવાદ થયો હતો, જેનાથી આપણે અજાણ નથી જ્યારે ચીને પસંદ કરેલા ઉમેદવારને અનુયાયીઓએ નકાર્યા હતા, ટાળ્યા હતા. તેનાથી વિપરીત જોઇએ તો ધર્મશાલામાંથી ખરેખર માન્યતા પ્રાપ્ત ઉત્તરાધિકારી તિબેટીય સાંસ્કૃતિક અને રાજકીય સાતત્યને પુનર્જીવિત કરી શકે છે. 

ભારત અને ચીન વચ્ચેનો તણાવ આ ધાર્મિક વિવાદને પગલે માંડ રૂઝાયેલા ઘા ખોલી નાખે તેવી પૂરી શક્યતા છે. ભારતને દલાઇ લામા સાથે સારાસારી જ રહી છે. ચીને ભારતની સરહદ પર જે કર્યું હતું તેમાં માંડ સ્થિરતા આવી છે – હવે ભારત આ નવા સંજોગોમાં શું કહે છે કે શું નથી કરતો એના આધારે ભારત-ચીનના સંબંધોનો આગલો તબક્કો નક્કી થાય એમ બને. ભારત જે કરે તેને બેઇજિંગ ભૌગોલિક રાજકારણના પગલાં તરીકે જોશે તો ફરી અથડામણ થવાની પૂરી શક્યતાઓ છે. 

યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન, જાપાન અને અન્ય લોકશાહી રાષ્ટ્રોએ અનેકવાર તિબેટની સ્વાયત્તતા અને તેની સાથે જોડાયેલા વિવાદો અંગે ચિંતા વ્યક્ત કરી છે. યુ.એસ. 2020માં ધી તિબેટ પૉલિસી એન્ડ સપોર્ટ એક્ટ હેઠળ તિબેટી બાબતોમાં ધાર્મિક સ્વતંત્રતાને મામલે મુક્તિ આપવામાં આવી હતી. ઉત્તરાધિકારને મામલે છેડાયેલો વિવાદ ભારત પર નિર્વાસિત-પસંદ કરેલા ઉમેદવારને માન્યતા આપવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ લાવી શકે છે. કેન્દ્ર સરકારની સ્થિતિ કફોડી છે કારણ કે એક તરફ તિબેટ અને તેની સંસ્કૃતિની સ્વયત્તતા સચવાય તે નૈતિક રીતે જરૂરી છે તો બીજી તરફ બેઇજિંગ સાથે માંડ સચવાયેલા વ્યૂહાત્મક સંબંધો પણ દાવ પર લાગેલા છે. આ એવી સ્થિતિ છે કે ભારત જે પણ કંઇ કરે તેની સાથે હરીફ દેશ ચીનના અભિગમને કારણે વૈશ્વિક સ્તરે આ પ્રશ્નને લગતી સર્વસંમતિ વધુ જટિલ બની શકે છે. જો કે ભારતે ધીમા પણ મક્કમ વિધાનથી એ કહી દીધું છે કે દલાઇ લામાના ટ્રસ્ટને જ નવા ઉત્તરાધિકારીની પસંદગી કરવાનો અધિકાર છે. ટૂંકમાં આડકતરી રીતે ચીન જે રીતે આ મામલાને રાજકીય રંગે રંગવા માગે છે તે યોગ્ય નથી, એવું આપણે માનીએ છીએ તે સંદેશો આપણે સ્પષ્ટ રીતે આપી દીધો છે. ભારતનો તિબેટને ટેકો એ વાત સ્પષ્ટ કરશે કે ભારત ધાર્મિક સ્વતંત્રતામાં દૃઢપણે માનનાર લોકતાંત્રિક દેશ છે. 

ઉત્તરાધિકારીનો આ પ્રશ્ન એવડો મોટો છે કે ખોબા જેવડા તિબેટને કારણે વૈશ્વિક રાજકારણની ચોપાટ પર સીધી અસર થઇ શકે છે. દલાઇ લામાના ઉત્તરાધિકારીની પસંદગીની ચર્ચાએ ધાર્મિક સ્વાતંત્ર, રાજકીય સાર્વભૌમત્વ અને ચીનની અન્ય લોકશાહી રાષ્ટ્રો સાથે વધતી જતી શત્રુતાની ફૉલ્ટ લાઇન્સ તરફ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. 

આ સંજોગોમાં બે દલાઈ લામાની શક્યતાઓ પણ ખડી થાય. એક આધ્યાત્મિક માર્ગદર્શનથી બનેલા દલાઈ લામા અને બીજા ચીનના સત્તાધીશોએ નક્કી કરેલા દલાઇ લામા. જો આમ થશે તો તિબેટિયન એકતા ભંગ થશે અને વિશ્વની વિવિધ રાજકીય તાકાતો વગર કારણે રાજદ્વારી બખડજંતરમાં ખેંચાશે. પશ્ચિમી દેશોએ પણ પોતાની નિષ્ઠા કોની તરફ છે તે સ્પષ્ટ કરવું પડશે તો એશિયાના નાના રાષ્ટ્રો જ્યાં બૌદ્ધ બહુમતી છે – જેમ કે મોંગોલિયા, ભૂતાન અથવા નેપાળ તેમની પર બેઇજિંગે પસંદ કરેલા ઉત્તરાધિકારીને સ્વીકારવાનું રાજદ્વારી રીતે દબાણ થઇ શકે છે.

આ એવો પ્રશ્ન છે જેની ફિકર આખા વિશ્વએ ધર્મશાસ્ત્રીય જિજ્ઞાસાની દૃષ્ટિએ નહીં પણ સાંસ્કૃતિક પ્રભાવ અને રાજકીય નિયંત્રણ વચ્ચે શ્રદ્ધાના અધિકારો અને સરમુખત્યારશાહી સત્તાની પહોંચ વચ્ચેની નિર્ણાયક સ્પર્ધાના પ્રતીક તરીકે કરવી જ જોઇશે. ચીન માટે ધર્મ હંમેશાં એક સંસાધન રહ્યો છે – અહીં શ્રદ્ધા કે આસ્થા ત્યાં સુધી જ સહન કરાય છે જ્યાં સુધી તે રાજ્યના હિત સાથે સુસંગત હોય. આ તરફ દલાઈ લામા નૈતિક સ્વાયત્તતા, આંતરિક સ્વતંત્રતા અને શાંતિપૂર્વકના વિરોધમાં માનનારી પરંપરા છે. આ માટે આપણે એ સમજવું રહ્યું કે આગામી દલાઇ લામા કોણ હશે તેની લડાઇ કયા પ્રકારનું વિશ્વ આ વારસાને આકાર આપશે તે અંગેની છે. 

ભારતનો અભિગમ ચીન સાથેની નીતિ પર પ્રભાવ પાડશે. ચીનના રાષ્ટ્રપતિ ધાર્મિક નિયંત્રણ સ્થાપિત કરવા માગે છે તો વૈશ્વિક સત્તાઓનો અભિગમ લોકશાહીની પ્રતિબદ્ધતાની કસોટીમાં પાર ઉતરશે કે કેમ તે આ પરિસ્થિતિમાં તેમના ઝુકાવ પરથી નક્કી થશે. અહીં શ્રદ્ધા અને રાજકારણના સંતુલનની વાત છે જે પ્રતીક વાદ, સાર્વભૌમત્વ અને ભૌગોલિક રાજકીય સંજોગોની ત્રિરાશીમાંથી શોધવાનું છે. આપણે સાવચેત રહીને વચલો માર્ગ શોધવાનો છે જેથી સાપે છંછુદર ગળ્યા જેવી સ્થિતિ ન થાય. 

બાય ધી વેઃ 

શ્રદ્ધા અને ભૌગોલિક રાજકારણ એક ત્રિભેટે છે. બેઇજિંગના નિયંત્રણને દલાઇ લામા નકારી રહ્યા છે ત્યારે ભારત સહિતના અન્ય રાષ્ટ્રોનો પ્રતિભાવ ધાર્મિક કાયદેસરતા અને પ્રાદેશિક સ્થિરતાને આકાર આપશે. મૂળ પ્રશ્ન છે કે શું 21મી સદીમાં રાજ્યની મંજૂરીથી સ્વતંત્ર રીતે પવિત્ર ધાર્મિક અસ્તિત્વ ધરાવી શકાય? આ સવાલનો જવાબ ધર્મશાલાના મઠ કે ઝોંગનાનહાઇના ઓરડાઓમાંથી નહીં પણ નાગરિકો, વૈશ્વિક સરકારો અને ધાર્મિક સમુદાયોના પ્રતિભાવોથી  મળશે. 14મા દલાઇ લામાએ તો પોતાનો ધર્મ સરળ છે અને તે દયા છે તેમ કહ્યું જ છે. તેમનામાં સમજ અને આધ્યાત્મિક શાલીનતા બન્ને છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને તમામ રાષ્ટ્રો જે આ નિર્ણયમાં રસ ધરાવે છે તેમણે પણ મૂલ્યોને મહત્તા આપવી જોઇએ, સ્પર્ધાત્મક દાવાઓ કે રાજકીય કાવાદાવાને નહીં. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 જુલાઈ 2025

Loading

ગાંધીજી જીવતા હોત તો

આચાર્ય જીવતરામ કૃપલાણી [અનુવાદ- ગોવિંદરાવ ભાગવત]|Gandhiana|6 July 2025

પ્રૉફેસર અને મહાત્મા ! કૃપાલાણી અને ગાંધીજી

ગાંધીજી જીવતા હોત તો હિંદુસ્તાનની અત્યારની પરિસ્થિતિમાં તેમણે શું કર્યું હોત? આવો પ્રશ્ન જો કે કેવળ ચર્ચા પૂરતો જ છે; છતાં તેમણે શું કર્યું હોત તેની કલ્પના કરવી કઠણ નથી. કારણ કે ગાંધીજીની હત્યા થઈ તે પૂર્વે આઠ માસ દરમિયાન સ્વરાજ સરકારનું શાસન ચાલતું હતું. તે સમયે આપણા દેશના જાહેર જીવનમાં જે પ્રવાહો વહેતા હતા અને જેમણે છેવટે આપણને અત્યારની મુશ્કેલ સ્થિતિમાં આણી મૂક્યા તે જેઓ જોતા હતા તેમને તો સ્પષ્ટ દેખાતા હતા. આ સંદર્ભમાં જેઓને વિશેષ વિગતે જાણવું હોય તેઓ કાઁગ્રેસનું પ્રમુખપદ – જેને તે સમયે રાષ્ટ્રપતિપદ કહેતા – તે છોડતી વખતે મેં જે નિવેદન કર્યું હતું તે વાંચી શકે છે. આ નિવેદન ગાંધીજી પોતે જોઈ ગયા હતા અને તેમણે નિવેદનના મૂળ ભાવમાં ફેરફાર કર્યા વિના તેમાં થોડાં સૂચનો અને સુધારા સૂચવ્યાં હતાં.

તે દિવસોમાં કાઁગ્રેસની નેતાગીરી જે રાહ અપનાવતી હતી તેની સાથે ગાંધીજી સમરસ નહોતા એ વાત તો જાણીતી છે. હિંદુસ્તાનનો વિચ્છેદ જે પાછળથી ભાગલા કહેવાયો તેની તેઓ વિરુદ્ધ હતા. એક પરોઢિયે તેમના મુખમાંથી આ અંગે જે ઉદ્ગારો નીકળ્યા હતા તે તેમના ચરિત્રકારે નોંધી રાખ્યા છે.

તેમના શબ્દો આ હતા :

“આજે હું મને એકલો પડી ગયેલો જોઉં છું. સરદાર અને જવાહરલાલ પણ માને છે કે પરિસ્થિતિનો મારો ક્યાસ ખોટો છે. અને જો ભાગલાનો સ્વીકાર કરવામાં આવે તો દેશમાં સુલેહશાંતિ અવશ્ય સ્થપાશે. તેમને લાગે છે કે ઉંમરની સાથે મારી બુદ્ધિ પણ લથડી ગઈ છે.

તેમ છતાં હું કાઁગ્રેસ અને બ્રિટિશ પ્રજાનો સાચો અને વફાદાર મિત્ર છું એ મારે સાબિત કરી આપવું હોય તે મને જે લાગે છે તે મારે કહેવું જોઈએ … … મને સ્પષ્ટ દેખાય છે કે આપણે આ બાબતને ખોટી જ રીતે ઉકેલવા માંડીએ છીએ. આની પૂરી અસર આજે તરત આપણે ન અનુભવી શકીએ પણ હું સ્પષ્ટ જોઈ શકું છું કે આવી રીતે મેળવેલ સ્વાતંત્ર્યનું ભાવિ અંધકારમય જ થવાનું છે. 

… કદાચ એમ પણ હોય કે તેઓ બધા ખરા છે અને હું એકલો જ અંધારામાં બાથોડિયાં મારું છું. એ જોવા માટે હું કદાચ જીવતો મારું છું. એ જોવા માટે હું કદાચ જીવતો નહિ હોઉં. પણ જે આફતનો મને ભય છે તે જો હિંદુસ્તાન ઉપર ઊતરી આવે તો … એના ખ્યાલથી આ બુઢ્ઢાના આત્માને કેટલી વેદનામાંથી પસાર થવું પડ્યું હતું તે ભારતની ભાવિ પ્રજા તો જાણે. હિંદુસ્તાનના વિચ્છેદમાં ગાંધીજીનો પણ હાથ હતો એવું કોઈ ન કહે. પણ આજે તો દરેક જણને હિંદુસ્તાનનું સ્વાતંત્ર્ય લેવાની અધીરાઈ થઈ છે. અને તેથી કોઈ ઉપાય છે નહીં!”

તો પછી પ્રશ્ન એ ઊઠે છે કે કાઁગ્રેસની વર્કિંગ કમિટીએ ભાગલાનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે લોકોને તેમની સામે ઉશ્કેર્યા કેમ નહિ અથવા તો તેમણે કાઁગ્રેસની મહાસમિતિને કાઁગ્રેસના નેતાઓની સલાહ પ્રમાણે ચાલવા કેમ કહ્યું ?

તે કાળે દેશના ભાગલાનો સામનો કરવા બાબત તેમને પૂછવામાં આવ્યું હતું અને તેમનો જવાબ આ હતોઃ “જો મારી પાસે સમય હોત તો તે કર્યા વિના હું કેવી રીતે રહેત ? પણ જ્યાં સુધી હું બીજી નેતાગીરી ઊભી કરી લોકો સમક્ષ ન મૂકી શકું ત્યાં સુધી કાઁગ્રેસની અત્યારની નેતાગીરીને હું ન પડકારી શકું કે લોકોનાં મનમાં તેને વિશે જે શ્રદ્ધા છે તે ન ખંડિત કરી શકું. આવી નવી નેતાગીરી જમાવવાનો મારી પાસે સમય નથી. આવી પરિસ્થિતિમાં અત્યારની નેતાગીરીને નબળી પાડવી ખોટું કહેવાય. અને તેથી મારે આ કડવો ઘૂંટડો ગળ્યે જ છૂટકો.”

°°°

(2)

ગાંધીજી એક મહાન સંગઠનકાર હતા. તેમણે કોઈ પ્રવૃત્તિ એવી નહોતી ઉપાડી કે જે પાર પાડવા તેમણે સંગઠન ઊભું ન કર્યું હોય. ભાગલાનો સામનો કરવા તુરતા-તુરત આવું કોઈ સંગઠન ઊભું કરવાની શક્યતા તેમને લાગતી નહોતી. તેમ છતાં આ નવી સરકારનાં જે કાર્યો દેશનાં શ્રેષ્ઠ હિતનાં ન હોય તેમની સામે લોકમત કેળવવા કંઈક કરવાનું તેઓ વિચારી રહ્યા હતા. આ માટે કોઈ સંગઠન ઊભું કરવાનો વિચાર તેમના મનમાં ઘોળાયા કરતો હતો.

એક દિવસ મારાં પત્ની શ્રીમતી સુચેતાજી તેમને મળવા ગયાં ત્યારે તેમણે મારે વિશે પૂછતાછ કરી. હું મુંબઈ ગયો છું એવું તેમને કહેવામાં આવ્યું. તેમણે તેને કહ્યું : “પ્રોફેસર (મને તે એ નામથી બોલાવતા) છૂટા રહે એમ હું ઇચ્છું છું. મારે તેમનું કામ છે.” આ ઉપરથી તે અને હું એવું સમજ્યાં કે સરકારનાં જે કામો તેમને ખોટાં લાગતાં હોય તેનો પ્રતિકાર કરવા તેઓ એક મંડળ રચવાનું વિચારી રહ્યા હતા.

તે દિવસોની તેમની પ્રાર્થના સભાઓમાં તેઓ સરકારની એક બાબતમાં સતત ટીકા કરતા. યુદ્ધસમયની રેશનિંગની પ્રથાને છોડી ન દેતા તે ચાલુ રાખવાની સરકારની ખચકાતી નીતિની તેઓ વારંવાર ટીકા કરતા. મને શંકા નથી કે જો તેઓ થોડાં વધુ વર્ષ જીવ્યા હોત તો સરકારની જે નીતિઓ તેમને ખોટી અને ભૂલભરેલી લાગતી હતી તેમની સામે લોકમત કેળવવા તેમણે એક સંગઠન અવશ્ય ઊભું કર્યું હોત. સ્વાતંત્ર્ય મેળવવા માટે અને મેળવ્યા પછી તે ટકાવવા માટે તેમણે લોકો સમક્ષ પરદેશી રાજ્ય સામે લડવા માટે જેમ સત્યાગ્રહનું શસ્ત્ર મૂક્યું હતું તેમ જ રચનાત્મક કાર્યક્રમ પણ મૂક્યો હતો; જેનો હેતુ તેમના કહેવા મુજબ હિંદુસ્તાનની આત્મશુદ્ધિનો હતો.

તેઓ માનતા હતા કે શુદ્ધિ પામેલું હિંદુસ્તાન જ સાચા અર્થમાં સ્વતંત્ર હિંદુસ્તાન થશે. 

એ જાણીતી વાત છે કે તે સમયે તેમનું સર્વ ધ્યાન હિંદુ-મુસ્લિમ એકતામાં કેન્દ્રિત થયું હતું. આ માટે તેઓ પાકિસ્તાનની મુલાકાતે જવાનું પણ વિચારતા હતા પણ એક ક્રૂર હત્યારાના હાથે તેમની જીવાદોરી એકાએક કપાઈ ગઈ. 

રચનાત્મક કાર્યક્રમના બીજા મુદ્દાઓ પણ તેમના સતત ખ્યાલમાં હતા.

હિંદી કે પરદેશી કુશાસન યા જુલમ વચ્ચે ગાંધીજી કોઈ ભેદ કરતા નહોતા. જેમનો એક જ ધર્મમાં સમાવેશ થતો હતો તેવા લાખો લોકો પ્રત્યે અસ્પૃશ્યતા દ્વારા આચરાતી ક્રૂરતા કે અવમાનના એ કંઈ પરદેશીઓનું નહીં પણ આપણું જ પાપકૃત્ય હતું. એ જાણીતી વાત છે કે ગાંધીજીને અંગ્રેજો સાથે કોઈ ઝગડો નહોતો; પાણ તેમણે હિંદુસ્તાનમાં જે શાસનપદ્ધતિ દાખલ કરી હતી તેની સાથે ઝઘડો હતો. આપણે અંગ્રેજોને કાઢ્યા પણ તેમની આ શાસનપદ્ધતિ જીવતી રાખી.

એમના અત્યંત સ્નેહપાત્ર જવાહરલાલનો પણ એમણે જરૂર પડ્યે સામનો કર્યો હોત. સર્વન્ટ્સ ઑવ ઇંડિયા સોસાયટીવાળા શ્રીનિવાસ શાસ્ત્રી પ્રત્યે તેમ જ તેના બીજા સભ્યો પ્રત્યે તેમને આવો જ સ્નેહભાવ હતો. પણ જ્યારે તેમને લાગ્યું કે તેમની પ્રવૃત્તિઓ પાછળ હેતુ ગમે તે હોય છતાં તે દેશની સેવાને બદલે તેને નુકસાન કરતી હતી, ત્યારે તેમણે તેમનો વિરોધ કર્યો હતો. સ્વરાજ આવ્યા પછી શાસનકર્તા આ લોકો મારા સ્વાતંત્ર્ય સંગ્રામના સાથીઓ હતા એવો વ્યક્તિનિષ્ઠ ખ્યાલ તેમની નીતિરીતિનો વિરોધ કરવા જતાં તેમને સ્પર્શ્યો ન હોત. તેમના મનમાંનો સર્વોપરી ખ્યાલ એક જ હતો, અને તે દેશની સેવા.

મને એ વિશે લગારે શંકા નથી કે તેઓ આજે જીવતા હોત તો જે સડાએ દેશને અત્યારની વિફળતા કે હતાશાના ગર્તમાં ધકેલ્યો છે તેને તો તેમણે રોક્યો જ હોત.

05-06 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 354/5

Loading

...102030...223224225226...230240250...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved