Opinion Magazine
Number of visits: 9843025
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મારો દુર્વ્યવહાર એ જ મારો સંદેશ છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|30 August 2025

એક રેલીમાં, એક અજાણી વ્યક્તિએ વડા પ્રધાનને અપશબ્દ કહ્યા. તેથી વડા પ્રધાનનું આખું તંત્ર અશાંત છે. રાહુલ ગાંધી પાસે માફી માંગવાની માંગ છે. 

પરંતુ સત્ય એ છે કે મોદી પોતે વાવેલા ફસલને લણી રહ્યા છે. ઇતિહાસ નરેન્દ્ર મોદીને એવા નેતા તરીકે યાદ કરશે જેમણે મુખ્ય પ્રવાહમાં અપશબ્દો અને અસભ્યતા સ્થાપિત કરી. 

ગુજરાતમાં સત્તામાં આવ્યા ત્યારથી તેમના મોંમાંથી અપશબ્દોનો પ્રવાહ વહેતો રહ્યો છે. તેમનો માર્ગ વિપક્ષનું અપમાન કરવાનો અને તેમના પર બિનસંસદીય શબ્દોનો વરસાદ કરવાનો રહ્યો છે.

2002ના રમખાણો પછી તરત જ, ગુજરાત ગૌરવ યાત્રામાં, તેમણે સતત એક સમુદાય પ્રત્યે અસંવેદનશીલતા અને તિરસ્કાર દર્શાવ્યો. તેમણે મુસ્લિમોથી ભરેલી રાહત શિબિરોને બાળકો ઉત્પન્ન કરતી ફેક્ટરીઓ ગણાવી !  અને મહેસાણામાં, તેમણે ‘હમ પાંચ હમારે પચ્ચીસ’ કહીને તેમની મજાક ઉડાવી. આ રમખાણો પીડિતો સામે થયેલા ગુનાઓને સીધું પ્રોત્સાહન હતું. ત્યારથી આજ સુધી તેઓ કપડાં, ઘુસણખોર, કબ્રસ્તાન અને સ્મશાનગૃહ દ્વારા ઓળખ જેવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

તેમને સ્ત્રીઓ પર ખાસ કૃપા છે. ૫૦ કરોડની કિંમતની ગર્લફ્રેન્ડ, જર્સી ગાય, કાઁગ્રેસની વિધવા, દીદી ઓ દીદી એ ઇતિહાસમાં તેમના અવિસ્મરણીય શબ્દસમૂહો છે.

વ્યક્તિગત ટોણા તેમની શૈલી છે. નેહરુ અને સોનિયા તેમના પ્રિય વિષયો છે. તેમણે રાહુલ ગાંધી પર અપશબ્દોને સમગ્ર ભારતમાં કુટીર ઉદ્યોગ બનાવી દીધો છે.

પરંતુ વિપક્ષની સાથે, તેમણે બંધારણીય સંસ્થાઓને પણ બક્ષ્યા નહીં. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જે.એમ. લિંગદોહ પર વ્યક્તિગત રીતે ટોણા મારતા રહ્યા, એટલા માટે તો અટલ બિહારીએ તેમને ચૂપ કરવા પડ્યા.

જો રાજા બગીચામાંથી ફૂલ તોડે છે, તો સેના તેને મૂળમાંથી ઉખેડી નાખે છે. આ સેના તેમનો આઈ.ટી. સેલ, એન્કર અને પ્રવક્તા છે.

મોદીએ તેમના નાસમજ, મૂર્ખ અને જાતીય રીતે હતાશ મતદારોને બેશરમ, અભદ્ર રાજકીય સેનામાં પરિવર્તિત કરી દીધાં. 

તેમના સમર્થકો સોશિયલ મીડિયાથી લઈને ચોક-રસ્તા-બગીચાઓ અને તેમના ઘરની ચાર દીવાલોની અંદર મુક્તપણે ખરાબ ભાષાનો ઉપયોગ કરતા હતા.

મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે, દરરોજ સાંજે ટી.વી. પર એક સર્કસ શરૂ થતું હતું. એન્કર ઉશ્કેરણીજનક મુદ્દાઓ પસંદ કરતા હતા અને ઉશ્કેરણીજનક ભાષામાં બોલતા હતા. તેઓ એક પક્ષને ખુલ્લેઆમ દુરુપયોગ કરવા અને જૂઠું બોલવાની છૂટ આપતા હતા. 2019 સુધીમાં, ટી.વી. ખુલ્લામાં અપશબ્દો બોલવાનું અને અપશબ્દો બોલવાનું તાલીમ કેન્દ્ર બની ગયું હતું.

હવે, ફક્ત તે નેતાઓ અને પ્રવક્તાઓ જ પ્રમોટ થાય છે જે જૂઠું બોલે છે અને અપશબ્દો બોલે છે. કોઈ પણ ઉચ્ચ કક્ષાની વ્યક્તિ તેમની સામે ટકી શકતી નથી. તેથી, હવે, શાસક પક્ષ હોય કે વિપક્ષ, દરેક વ્યક્તિ અપશબ્દો બોલવાની સંસ્કૃતિમાં સંપૂર્ણ રીતે તાલીમ પામેલા છે.

મોદીની જાહેર સંદેશાવ્યવહાર પ્રણાલી મૂળભૂત રીતે અપશબ્દો બોલવાની પ્રણાલી છે. અસંસ્કારી અને બેશરમ ભાષાએ દરેક ખૂણામાં ઝેર ફેલાવી દીધું છે.

સામાન્ય કાર્યસ્થળમાં, મીટિંગ્સ, દ્વિપક્ષીય વાર્તાલાપ, શૈક્ષણિક ક્ષેત્રો અથવા સામાન્ય મંચોમાં, અપશબ્દો બોલવા હવે અનિચ્છનીય નથી, પરંતુ સામાન્ય છે.

એક સરળ ચર્ચામાં, અવજ્ઞા, જૂઠું બોલવું અને વરિષ્ઠ વ્યક્તિનું વ્યક્તિગત અપમાન હવે હાથવગાં શસ્ત્રો છે. ચર્ચામાંથી કોઈ નિષ્કર્ષ કાઢવો મુશ્કેલ છે.

સૌથી ખતરનાક બાબત એ છે કે આ આદતે યુવાનોને બેરોજગાર બનાવી દીધા છે. આ પેઢી હવે નોકરી મેળવવા અને ઉપયોગી કામ આપવા માટે યોગ્ય નથી.

મોદીએ ભારતની ભાષા બદલી નાખી છે. તેમના રાજકીય જીવનની સાંજે, તેમની પાસે આ વારસાને બદલવા માટે સમય બચ્યો નથી. બીજી કોઈ ઊંડી, ક્રાંતિકારી સિદ્ધિની ગેરહાજરીમાં, આ શબ્દકોશ તેમનું યોગદાન છે.

મહાત્મા ગાંધીનું પ્રખ્યાત વાક્ય છે – મારું જીવન મારો સંદેશ છે.

દુરુપયોગની સંસ્કૃતિ મોદીનો સંદેશ છે. સંદેશ હવે તેમની પાસે પાછો ફરી રહ્યો છે. આ દેશમાં દુરુપયોગની સુનામી બનાવનાર નેતા હવે પોતે દુરુપયોગની સુનામીમાં ડૂબી રહ્યા છે.

તો ફરિયાદ કેમ કરવી જોઈએ? તમારે ન કરવી જોઈએ. આ પાક તેમણે વાવ્યો છે. તે તેમનો ઇતિહાસ છે, તે તેમનો વારસો છે.

‘મારો દુર્વ્યવહાર એ જ મારો સંદેશ છે !’ 

[સૌજન્ય : મનીષસિંહ, ‘X’ ઉપર, 
કાર્ટૂન સૌજન્ય : કીર્તીશ ભટ્ટ]
29 ઓગસ્ટ 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સરકારી સ્કૂલો, કોલેજો બંધ થાય એને માટે સરકાર જ મહેનત કરે છે…..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 August 2025

રવીન્દ્ર પારેખ

અંગ્રેજી માધ્યમની સ્કૂલોને લાઈસન્સ આપીને અને ગુજરાતી માધ્યમની સ્કૂલોને બંધ કરીને ગુજરાત સરકારે દાટ વાળ્યો છે, તો, બીજી તરફ ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપવાનો ને સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને બંધ કરવાનો ઉપક્રમ એક નફાખોર વેપારીની જેમ રાખીને, સરકારે ધંધો જ કર્યો છે. સાચું તો એ છે કે સરકારને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી ચલાવવાનું જીવ પર આવે છે, એટલે તે બંધ થાય અને ખાનગી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીને ઉત્તેજન મળે એવી પેરવી કર્યા કરે છે, જેથી સરકારનો એજ્યુકેશન પર ખર્ચો બચે ને સરકારી અધિકારીઓ, વિધાનસભ્યોની ખાનગી શિક્ષણ સંસ્થાઓને ઉત્તેજન મળે ને તેમની કમાણી વધે. આવો હેતુ હોય તો, તે શરમજનક છે. સરકાર, ગ્રાન્ટેડ ને સરકારી સ્કૂલ, કોલેજો ને યુનિવર્સિટીઓ ચલાવે છે ને તેનો ખર્ચ ઉપાડે છે તો તે ઉપકાર નથી કરતી. આ ખર્ચ સરકાર, પ્રજાના જુદા જુદા ટેક્સમાંથી કરે છે. સરકાર એટલી ગરીબ નથી કે તેનો સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી ચલાવવામાં હાથ તંગ રહે. ખરેખર, તો તે બધું ખાનગી સંસ્થાઓને સોંપીને હાથ ઊંચા કરી દેવા માંગે છે. આમ તો શિક્ષણ ‘ખાતું’ છે, પણ તે તઘલખી કારભાર માટે ‘ખ્યાત’ છે. એને એટલા બધા તુક્કાઓ આવે છે કે શિક્ષણનો ધુમાડો થયા વગર રહે નહીં !

પ્રાથમિકથી માંડીને યુનિવર્સિટી સુધીમાં સરકારનો હેતુ – ખાનગીને ઉત્તેજન અને સરકારી કે ગ્રાન્ટેડનું ઉઠમણું – એટલો જ રહ્યો છે. સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિકમાં શિક્ષકોનો દુષ્કાળ સર્જીને અને છે તે શિક્ષકોને શિક્ષણેતર પ્રવૃત્તિમાં જોતરીને, સરકારે પ્રાથમિકથી જ બાળકોને શિક્ષણથી વંચિત કર્યાં છે. તે એટલે પણ કે તેઓ ભણીગણીને, વિચારશીલ બનીને સામે શિંગડાં ન કરે. શિક્ષણ સંસ્થાઓ ચાલે, પણ શિક્ષણ ન ચાલે એવી વ્યવસ્થા યુનિવર્સિટી સુધી કરી દેવાઈ છે. સ્કૂલો બંધ કરવાનું હવે કોલેજો બંધ કરવા સુધી વિસ્તર્યું છે. મોટે ઉપાડે કોલેજો તો ખૂલી, પણ હવે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા જ પૂરતાં પ્રમાણમાં નથી.

ગુજરાત કોમન એડમિશન સર્વિસથી 2025-’26 માટે અન્ડર ગ્રેજ્યુએટ એડમિશન ગયા જૂનથી શરૂ થયાં. એડમિશન્સ ત્રણ તબક્કાઓમાં 19 ઓગસ્ટે પૂરાં થયાં, છતાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં 22,745 સીટ ખાલી રહી છે. કોણ જાણે કેમ, પણ ગ્રાન્ટેડ તેમ જ સરકારી આર્ટસ, સાયન્સ, કોમર્સમાં સીટ ખાલી રહે છે. બી.કોમની 5,87૦, બી.એ.ની 12,50૦, બી.એસસી.ની 4,375 બેઠકો વીર નર્મદ યુનિવર્સિટીમાં ખાલી રહી છે. બી.કોમની 5,87૦ ખાલી સીટમાંથી 4,050 ગ્રાન્ટેડમાં અને સરકારી કોલેજમાં 1,820 સીટ ખાલી છે. બી.એ.ની ગ્રાન્ટેડ કોલેજોમાં 6,97૦ અને સરકારી કોલેજોમાં 5,53૦ સીટ ખાલી છે. બી.એસસી.ની ગ્રાન્ટેડ કોલેજોમાં 1,330 અને સરકારી કોલેજોમાં 3,045 સીટ ખાલી છે. આ તો વીર નર્મદ યુનિવર્સિટીની વાત થઈ, રાજ્યની વાત કરીએ તો બી.કોમની 22,920, બી.એ.ની 32,450 અને બી.એસસી.ની 35,250 બેઠકો ખાલી રહી છે. ટૂંકમાં, સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની કુલ 90,620 બેઠકો  ખાલી છે. બી.કોમની ગ્રાન્ટેડ કોલેજોમાં 17,350 અને સરકારીમાં 5,57૦ સીટ ખાલી છે. બી.એ.ની ગ્રાન્ટેડ કોલેજોમાં 24,990 અને સરકારીમાં 7,46૦ સીટ ખાલી છે. બી.એસસી.ની ગ્રાન્ટેડમાં 21,195 અને સરકારીમાં 14,055 સીટ ખાલી છે.

એવું નથી કે વિદ્યાર્થીઓ નથી. વિદ્યાર્થીઓ તો છે, પણ આર્ટસ, કોમર્સ, સાયન્સ ગ્રેજ્યુએટ થવા કરતાં તેમને સેલ્ફ ફાઈનાન્સ કોર્સનું ખેંચાણ વધુ છે, એ સાથે જ રોજગારલક્ષી અભ્યાસક્રમમાં પણ તેમને વિશેષ રુચિ છે. એક તરફ ફોરેન એજ્યુકેશનની નવી ક્ષિતિજો ખૂલી છે, તો પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તથા સેલ્ફ ફાઈનાન્સ કોર્સિસ ઝડપી પ્લેસમેન્ટની ખાતરી આપે છે. આ સ્થિતિમાં ગ્રેજ્યુએટ થઈને શિક્ષિત બેકારમાં ખપવાનું ભાગ્યે જ કોઈ સ્વીકારે. એક તરફ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં હજારો સીટ ખાલી છે, તો બીજી તરફ કેન્દ્રીય પ્રવેશના નાટક પછી હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. આ સ્થિતિ આયોજનની ખામીને કારણે થઈ છે. એ કેવી અરાજકતા છે કે એક તરફ એડમિશન નથી ને બીજી તરફ ખાલી જગ્યાઓ ભરાતી નથી !

એ ખરું કે અર્થોપાર્જનની દૃષ્ટિએ વિદ્યાર્થીઓ એવું જ ભણતર કોલેજ કક્ષાએ ઈચ્છે છે. તેઓ ગ્રેજ્યુએટ થઈને નોકરી વગર લાંબો સમય રહેવાનું ન જ ઈચ્છે તે સમજી શકાય એવું છે. ઇવન બી.કોમ. કે બી.એસસી.ને પણ નોકરીના થોડા સ્કોપ છે, પણ આર્ટસ ને તેમાં ય સાહિત્ય શિક્ષણ મેળવનારને શિક્ષક સિવાયની તકો બહુ ઓછી રહે છે. એ સંજોગોમાં જતે દિવસે આર્ટસ કોલેજો બંધ થાય એવા પૂરા સંજોગો છે. 40 વર્ષ જૂની અમદાવાદની ગુજરાત કોલેજ બંધ થવાને આરે છે. ત્યાં એમ.એ., એમ.એસસી.ના વર્ગો ગયે વર્ષે જ બંધ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ઘણી કોલેજો અમદાવાદમાં બંધ થવાને આરે છે. 2022માં સાબરમતી આર્ટસ કોલેજે સામે ચાલીને બંધ કરવાની અરજી કરી. એ અને એવી બીજી કોલેજો એટલે બંધ થાય એમ છે, કારણ તેને સરકાર ગ્રાન્ટમાં 50,000 જ આપે છે. એટલામાં નિભાવ કરવાનું મુશ્કેલ થતાં ને પૂરતો સ્ટાફ ન મળતા તે બંધ જ થાય એમાં નવાઈ નથી. પગાર ન આપવો પડે એટલે સ્ટાફ ન રાખીને કે ગ્રાન્ટ ચીંથરા જેટલી આપીને સરકાર શિક્ષણની જ્યોત જલતી રાખવા માંગે છે, તો એનાથી અજવાળું નહીં, ધુમાડો જ વધે, તે સમજી લેવાનું રહે.

અહીં સવાલ એ થાય કે સાહિત્ય, કલાની પ્રાપ્તિ શી છે? આમ પણ કળા, સાહિત્ય, સંગીત. શિલ્પ-ચિત્રકળાની અનિવાર્યતા આજકાલ બહુ વર્તાતી નથી. જે શિક્ષણ અપાય છે તે પણ હવે કળા, સાહિત્યલક્ષી રહ્યું નથી અને કેવી રીતે ન રહે એની સરકાર ચિંતા કરે છે, એ જોતાં જતે દિવસે આર્ટસ કોલેજ બંધ થાય ને ન થાય તો સાહિત્ય, સંગીત તો બંધ થાય જ એમાં શંકા નથી ! આજે જે પ્રકારનું જીવન સામે આવી રહ્યું છે તે આનંદ આપનારું ઓછું જ છે. જે પ્રકારનો ધર્માંધ અને સંવેદનહીન સમાજ બહાર આવી રહ્યો છે તે કોઇથી અજાણ્યો નથી. શાળાના વિદ્યાર્થીઓ ચાકુ ચલાવતા થયા છે. આજે જે રીતે હત્યા, આત્મહત્યા, દુષ્કર્મ, હિંસા, શોષણનું વાતાવરણ ઘેરાતું આવે છે, તે આપણી સંવેદના બુઠ્ઠી થઈ રહી છે તેનું પ્રમાણ છે. એક તરફ કળા, સાહિત્ય, સંગીત….નો મહિમા ઘટતો આવતો હોય ને શિક્ષણ પણ સંવેદનહીન થતું આવતું હોય, તો સત્યનું સ્થાન અસત્ય, અહિંસાનું સ્થાન હિંસા અને પ્રેમનું સ્થાન તિરસ્કાર લે એમ બને. આપણે વધુને વધુ મટિરિયાલિસ્ટિક થવા તરફ છીએ, ત્યાં શિક્ષણ પણ એ જ દિશા ચીંધવાનું હોય તો આંસુ પણ ન બને એવી નિષ્ઠુરતા માટે માણસે તૈયાર રહ્યે જ છૂટકો છે. આ બધું અત્યારે બહુ નજરે પડે એવું ન હોય, તો પણ જે ગતિ શિક્ષણની છે તે ભવિષ્ય માટે બધું ન રહેવા દેતાં, વર્તમાનમાં લઇ આવે તો આઘાત ન લાગવો જોઈએ.

કમાવા કે આર્થિક લાભ અંગે ન વિચારવું એવું કહેવાનું નથી, પણ કમાણી આપે તે જ શિક્ષણ એવી વ્યાખ્યા સાકાર થઈ રહી હોય તો તે અંગે વિચારવું જોઈએ. ઉપજાઉ ન હોય તે શિક્ષણ નહીં. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ઉપજાઉ ન હોય તેવા વિષયો પ્રવેશી જ ન શકે એવી જડબેસલાક વ્યવસ્થા થાય તો નવાઈ નહીં ! હવેની મમ્મી પોતાનાં બાળકને હાલરડું સંભળાવવાને બદલે શેર બજારના ભાવ સંભળાવે એમ બને. શિક્ષણ આર્થિક બાબતો સાથે સંકળાય તેની ના જ નથી, પણ તે શેરના ભાવની સાથે ગઝલનો શેર પણ સાંભળે તે અપેક્ષિત છે. આપણે રોબોટ્સ તો ઘણાં બનાવ્યાં, પણ શિક્ષણ, માણસને રોબોટ તો નહીં બનાવે ને- એવી દહેશત પાળવા જેવી છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઑગસ્ટ 2025

Loading

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મુદ્દો : હારજીત નહીં પણ વિચારધારા  

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 August 2025

શાસકીય – રાજકીય ઊહાપોહ

સત્તાપક્ષે બહુ વરવી રીતે સલવા જૂડેમવાળા ચુકાદાનો મુદ્દો ઉછાળ્યો છે : વસ્તુત: એ એક બંધારણબાહ્ય રચના હતી અને જે કટોકટી સામે તે પોતે લડયાનું કહે છે, તે કટોકટીનું જ એક અનુસંધાન એમાં હતું.

પ્રકાશ ન. શાહ

ઉપરાષ્ટ્રપતિપદનું ચૂંટણીપરિણામ અલબત્ત નવમી સપ્ટેમ્બરે આવશે, પણ ભા.જ.પ. અને સાથીઓ તેમ જ ‘ઇન્ડિયા’ બેઉની વાસ્તવિક મતસંખ્યા જોતાં ભા.જ.પ. ઉમેદવાર રાધાક્રિષ્ણનનું ચૂંટાઈ આવવું સ્વાભાવિક છે – સિવાય કે સાંસદો સ્વતંત્રપણે મતદાનનો માર્ગ લે, અને કંઈક જુદું જ બની આવે. ‘ઇન્ડિયા’ ઉમેદાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી મતદારમાત્રને સીધી અપીલ કરવાની કોશિશ એ જ આશાએ કરી રહ્યા હશે. પણ અણધાર્યું પરિણામ સામાન્યપણે અશક્ય માનીને જ ચાલવું જોઈએ. 

તેમ છતાં, આ ચૂંટણીમાં રસ કેમ જાગ્રત થયો છે? કદાચ, (પૂર્વ) ઉપરાષ્ટ્રપતિ ધનખડનું અચાનક રાજીનામું આપવું એમાં કંઈક કારણ રૂપ ચોક્કસ જ હોઈ શકે. પણ આ ટિપ્પણી લખાઈ રહી છે એ ગાળામાં સંઘ-જનસંઘ-ભા.જ.પ.ના વફાદાર કાર્યકર કહી શકાય તેવા ઉમેદવાર રાધાક્રિષ્ણન અને પૂર્વ ન્યાયમૂર્તિ બી. સુદર્શન રેડ્ડીની સામસામી ઉમેદવારીએ કંઈક નવતર ચર્ચા જગવી છે. એક પક્ષીય કાર્યકર અને બીજી ન્યાયિક પરંપરામાં ઉછરેલી બિનપક્ષીય પ્રતિભા, આ બે વચ્ચેનો ભેદ અલબત્ત તરત સામે આવે છે. ઉપરાંત રાજકીય બલાબલની ચર્ચાથી નિરપેક્ષપણે બેઉ ઉમેદવારીએ જે, ચુસ્ત અર્થમાં વિચારધારાકીય નહીં તો પણ પ્રજાકીય વલણોવાળી શાસકીય-રાજકીય ઊહાપોહ જગવ્યો છે તે ય નોંધપાત્ર છે. 

જસ્ટિસ રેડ્ડીની કોઈ રાજકીય પક્ષીય પૃષ્ઠભૂ નથી. એ બંધારણમાં ખોડાયેલા છે. 2024ની લોકસભાની ચૂંટણીના વારાથી રાહુલ ગાંધી ‘બંધારણ’ને લોકશાહી સ્વરાજમાં અપેક્ષિત ધારાધોરણ સંદર્ભે આગળ કરી રહ્યા છે, અને તે લોક માનસને ઠીક ઠીક પકડાવા લાગેલો મુદ્દો છે. જોવાનું એ છે કે રાહુલ ગાંધી આ મુદ્દો લઈ લોકમોઝાર ઘૂમી રહ્યા છે. મતાધિકારનો જે મુદ્દો એમણે ઉછાળ્યો છે તેનું સમર્થન એ બેશક બંધારણ સાથે સાંકળે છે. 

આ સાથે, આશ્ચર્યકારક રીતે જસ્ટિસ રેડ્ડી બંધારણની ફરતે એક ગતિશીલ વિચારધારાના વધૈયા લેખે ઉપસી રહ્યા છે. ‘ઇન્ડિયા’ સાંસદોને સંબોધતાં એમણે લોહિયાને ભરીબંદૂક સંભાર્યા હતા કે જ્યારે સડકો સૂની પડી જાય છે ત્યારે સંસદ ભટકી જાય છે. (જબ, સડકેં ખામોશ હો જાતી હૈં, સંસદ આવારા હોય જાતી હૈ.) ‘પાવડો’ એટલે કે રચનાત્મક કાર્ય, ‘જેલ ભરો’ એટલે કે અન્યાય પ્રતિકાર અને મતદાન – આ ત્રણ વાનાં દેશના સમાજવાદી આંદોલને એના તારુણ્યમાં દેશજનતા સમક્ષ મૂક્યા હતા. દેશનું સમાજવાદી આંદોલન નેવું વરસે પહોંચ્યું છે ત્યારે જીવંત લોકશાહી સારું રુધિરાભિસરણ અને ચયાપચય પ્રક્રિયા સુનિશ્ચિત કરી આપતો આ ત્રિસૂત્રી નુસખો સ્વીકારાતો થાય તો એથી રૂડું શું. 

સત્તાપક્ષે જસ્ટિસ રેડ્ડીની ઉમેદવારીના મુદ્દે જે મુદ્દો ઉછાળવાની મરોડમાસ્તરીનો રાહ લીધો છે તે મુદ્દો રેડ્ડીને નક્સવાદના સમર્થક ને સંરક્ષક તરીકે ચીતરવાનો છે. આ મરોડમાસ્તરી વાસ્તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક સંનિષ્ઠ ન્યાયમૂર્તિની કારકિર્દી ને કામગીરી પર એમ કહીને કૂચડો ફેરવવા જેવું કર્યું છે કે જસ્ટિસ રેડ્ડીએ અમુક ચુકાદો ન આપ્યો હોત તો 2020 સુધીમાં નક્સવાદ ખતમ થઈ ગયો હોત. 

વાત સાચી કે જસ્ટિસ રેડ્ડીએ 2011માં ચુકાદો આપ્યો હતો કે સલવા જુડૂમ ગેરકાયદે છે. એને કોઈ બંધારણીય સમર્થન નથી. આ સલવા જુડૂમ એ છત્તીસગઢ ભા.જ.પ. મુખ્ય મંત્રી રમણસિંહે અશિક્ષિત આદિવાસી યુવાનોને શસ્ત્રસજ્જ કરી કથિત નક્સલ તત્ત્વોનો નાશ કરવા માટે ઊભી કરેલી જોગવાઈ હતી. એકબાજુ, જળ, જમીન, જંગલના અધિકારોથી આમ આદમી વંચિત થતો જાય તો બીજી બાજુએથી સરકાર પોતે કરવાની કામગીરી બાબતે આદિવાસી યુવાનોની સશસ્ત્ર ટુકડી મારફતે ધરાર આઉટસોર્સિંગ કરે, એ તો એક અનવસ્થા હતી જ. તે સાથે, નક્સલવાદને નાથવાને નામે સ્થાનિક વસ્તીને માટે રંજાડભરી પરિસ્થિતિ પણ એ હતી. જસ્ટિસ રેડ્ડી અને અન્ય ન્યાયમૂર્તિએ સલવા જુડૂમ જેવી ગેરબંધારણીય વ્યવસ્થાને બહાલ રાખતા નીચલી અદાલતના ચુકાદા સુપ્રીમ સ્તરે અમાન્ય કરાવ્યા હતા. 2011થી આ ચુકાદો પડકારાતો રહ્યો છે, અને હજુ હમણાં મેં 2025માં પણ સુપ્રીમ કોર્ટે તે સતત વળતી સરકારી રજૂઆત છતાં બહાલ રાખેલ છે. છત્તીસગઢની રમણસિંહ સરકારનો રેકર્ડ તો આદિવાસી ભૂખમરા સામે નોંધપાત્ર કામગીરી કરનાર વિનાયક સેન સરખી વિશ્વપ્રતિષ્ઠ પ્રતિભાને પણ નક્સલતરફી લેબલ સાથે ગોંધી રાખવાની છે … કેટલે વરસે નીચલી અદાલતોની ચુડમાંથી સુપ્રીમ સ્તરે પહોંચી એમને જામીન મળી શક્યા હતા તે ઇતિહાસદર્જ છે. 

સત્તાપક્ષ જ્યારે સલવા જુડૂમ ચુકાદાને ઉછાળી રહ્યો છે અને એને નક્સલવાદ વકરાવવાનો યશ આપવા મથી રહેલ છે, ત્યારે કોઈકે તો એને પૂછવું રહે છે કે 2007થી 2025 લગી સતત સર્વોચ્ચ અદાલતે સલવા જુડૂમ ગેરબંધારણીય અને પ્રજાદ્રોહી હોવાનું જે વલણ લીધું છે એ જોતાં તમે સર્વોચ્ચ અદાલતે પણ નક્સલવાદીની સંરક્ષક-સંવર્ધક કહેશો?

ચૂંટણીપરિણામથી નિરપેક્ષપણે પણ જસ્ટિસ રેડ્ડીની ઉમેદવારીએ જે મૂળભૂત મંથનસામગ્રી સંપડાવી છે તે અવશ્ય સ્વાગતાર્હ છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 ઑગસ્ટ 2025

Loading

...102030...213214215216...220230240...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved