Opinion Magazine
Number of visits: 9752194
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એમનો ય જમાનો હતો, કોણ માનશે

ધીમંત પુરોહિત, ધીમંત પુરોહિત|Opinion - Opinion|4 December 2020

ઠાકોરકાકા હતા દિલદાર. ૮૮ વરસની પાકટ ઉંમરે જતા જતા પણ કૈક આપતા ગયા – ભૂલી ના શકાય એવો એક અનુભવ. અમદાવાદના થલતેજ સ્મશાનગૃહમાં સવાર સવારમાં હું, એમનો ભત્રીજો પોચી અને બીજા આઠેક સ્વજનો છેલ્લા બે કલાકથી રાહ જોઇને ઊભા છીએ. નંબર ક્યારે આવશે એ નક્કી નથી. સી.એન.જી. ભઠ્ઠીમાં ત્રણ મૃતદેહોના અગ્નિદાહ ચાલુ છે અને બીજા ત્રણ લાઈનમાં છે. ભઠ્ઠીમાં બે કોરોનાવાળા મૃતદેહો છે. વધુ બે કોરોનાવાળા મૃતદેહો સ્મશાન બહાર શબવાહિનીમાં બંધ છે. એમનો નંબર આવશે ત્યારે જ બહાર કાઢી શકાશે. ઠાકોરકાકા એમના સ્વભાવથી વિરુદ્ધ નનામીમાં બંધાઈને અમારી સામે જ શાંતિથી જમીન પર સૂતા છે. અમદાવાદમાં કોરોનાના કેર વિષે સાંભળેલું તો હતું, પણ સ્મશાનમાં હારબદ્ધ આવે જતા કોરોનાગ્રસ્ત મૃતદેહોને સગી આંખે જોવાનો આ પહેલો ધ્રુજાવી નાખનારો અનુભવ હતો. સરકારી આંકડા આખા ગુજરાતમાં આજે કોરોનાથી ૧૪ મૃત્યુ બતાવે છે. જ્યારે ચાર તો અહીં સવાર સવારમાં અમારી સામે છે. દૂધેશ્વર, વાડજ, વી.એસ., સપ્તર્ષિ, દરેક સ્મશાનમાં આ જ હાલત છે. ચૌદથી વધુ તો એકલા અમદાવાદમાં હશે. આખા ગુજરાતની તો વાત જ શી કરવી?

ઠાકોરભાઈ પટેલ ગુજરાતના સૌથી વરિષ્ઠ, વયોવૃદ્ધ, અનુભવવૃદ્ધ અને વર્સેટાઈલ પત્રકારનું ૮૮ વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું. આજના નવા પત્રકારોમાંથી તો ભાગ્યે જ કોઈ એવા હશે, કે જે ઠાકોરભાઈને ઓળખતા હોય, પણ અમારા જમાનાના જૂના પત્રકારોમાં  ભાગ્યે જ કોઈ એવું હશે કે જે ઠાકોરભાઈથી પરિચિત ના હોય કે ઠાકોરભાઈની મહેફિલોનો હિસ્સો ના બન્યા હોય. છેલ્લાં ત્રીસ વરસથી અમેરિકા અને ઇન્ડિયામાં નિવૃત્ત જીવન ગાળતા ઠાકોરભાઈનું એક જ વ્યસન હતું – મિત્રો અને એક જ શોખ અમેરિકાથી ઊંચા માંયલો સોમરસ લાવી, પીવો અને મિત્રોને પીવડાવવો. એ તો પરમિટવાળા હતા અને  બિનપરમિટવાળા અમદાવાદી મિત્રો પણ એમાં ભળી જતા. અમદાવાદ જેવા ઉજ્જડ ગામમાં જ્યાં કામ વગર કોઈ અડધી ચા પણ ના પીવડાવે, ત્યાં ઠાકોરભાઈ સાવ નિ:સ્વાર્થ ભાવે મહેમાનોએ નામ પણ ના સાંભળ્યું હોય, એવી એવી બ્રાન્ડોનાં પીણાં ગળા છલકાઈ જાય ત્યાં સુધી પીવડાવે અને પછી સરલાબહેન આગ્રહ કરી કરીને સૌને છપ્પન ભોગ ખવડાવે. ઠાકોરભાઈની અભૂતપૂર્વ લોકપ્રિયતાનું આ પણ એક કારણ હતું.

ઠાકોરભાઈના ગાઢ મિત્ર અને વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ લખે છે કે, “ઠાકોર પટેલને ગુજરાતના તમામ સિનિયર પત્રકારો સારી રીતે ઓળખે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રકારો પણ તેમને ઓળખે છે. દેશ-વિદેશની રાજનીતિના તેઓ અચ્છા અભ્યાસુ છે. ગુજરાતી અને અંગ્રેજી બેઉ ભાષાઓ પર તેઓ કાબૂ ધરાવે છે. ઠાકોર પટેલ અને એમનાં પત્ની સરલાબહેન આમ તો અમેરિકન સિટિઝન છે, પરંતુ વર્ષનો અડધો સમય તેઓ અમેરિકા અને અડધો સમય ગુજરાત, અમદાવાદમાં રહે છે. સેટેલાઇટ વિસ્તારમાં શ્યામલ રો હાઉસ ખાતે રહે છે. તેમનું ઘર પત્રકારો, લેખકો, સાહિત્યકારો અને અંગ્રેજી અખબારોના તંત્રીઓ માટે એક પ્રકારની પ્રેસ ક્લબ જેવું છે. અહીં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના કે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના નિવાસી તંત્રી પણ આવે અને પી.ટી.આઈ.ના બ્યુરો ચીફ પણ આવે. ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો પણ આવે અને પ્રીતિસેન ગુપ્તા પણ આવે. મધુ રાય પણ આવે અને ચિનુ મોદી પણ આવે. રજનીકુમાર પંડ્યા પણ આવે અને ‘જયહિંદ'ના તંત્રી-માલિક યશવંત શાહ પણ આવે. દિગંત ઓઝા કે અશરફ સૈયદને અહીં બેસી ગુજરાતની અને દેશની રાજકીય પરિસ્થિતિ પર ગરમાગરમ ચર્ચા કરતા અનેક લોકોએ જોયા હશે. લંડનના (એક ઉપનગર, બ્રેન્ટનાં) પૂર્વ મેયર લતા પટેલ પણ આવે અને અમેરિકામાં પાટીદારોના અગ્રણી નરેન્દ્ર પટેલ પણ આવે. ગુજરાત કોન્ગ્રેસના અગ્રણીઓ પણ આવે અને હસમુખ પટેલ જેવા પૂર્વ શિક્ષણ મંત્રી અહીં બેસી પક્ષની નીતિઓની ચર્ચા કરતા પણ જોવા મળે.”

મૂળે તો ઠાકોરભાઈ મધ્ય ગુજરાતના ચરોતરના સુણાવ ગામના. ત્યાંથી એ ઉત્તર ગુજરાતના તલોદ ગયા. ત્યાંથી અમદાવાદ આવ્યા અને પછી અહીંથી અમેરિકાના શિકાગોમાં ઝંડા ગાડી આવ્યા. સામાન્ય પટેલ પરિવારના ઠાકોરભાઈએ ૬૦ વરસ પહેલાં વિપ્ર કન્યા સરલાબહેન સાથે એ જમાનામાં પ્રેમ લગ્ન કર્યા હતા, જ્યારે કડવા અને લેઉવા પટેલો પણ અંદર અંદર લગ્ન નહોતા કરતા. ‘જયહિન્દ’, ‘ગુજરાત સમાચાર’, ‘ગુજરાત ટાઈમ્સ’ અને 'ઇન્ડિયા એબ્રોડ’ જેવા અખબારોના પત્રકાર ઠાકોરભાઈ એક કાળે અમદાવાદ ઈલેક્ટ્રીસિટી કંપની અને પછી ગુજરાત એસ.ટી. કોર્પોરેશનમાં મોટા  ટ્રેડ યુનિયન લીડર હતા. અમદાવાદમાં રહ્યા રહ્યા ઠાકોરભાઈ કાશ્મીરના કામદારો માટે લડત આપતા. અમદાવાદ જ નહિ, ભારતના વીજળી કામદારોને દિવાળી બોનસ અપાવનારા ઠાકોરભાઈ હતા. જો કે આ ખટપટવાળું કામ હતું એનાથી કંટાળીને ઠાકોરભાઈનાં પટેલ ડી.એન.એ.એ અમેરિકા ભણી નજર દોડાવી અને એક દિવસ પોતાનું સ્કુટર ૬,૬૦૦માં વેચી, ૬,૦૦૦ની એર ટિકિટ લીધી અને ૬૦૦ની મૂડી અને ત્રણ દીકરીઓ શિક્ષિકા પત્નીને ભળાવી, અમેરિકાની ફ્લાઈટ પકડી. એ પછી પટેલે પાછું વાળીને જોયું નથી.

અમેરિકામાં રહ્યા રહ્યા ઠાકોરભાઈ ૧૯૭૫ની કટોકટી પછી ઘેર બેઠેલાં ઇન્દિરા ગાંધીની અમેરિકા – કેનેડાની યાત્રાઓ ગોઠવતા. એક અમેરિકન પત્રકાર હર્ષે મોરારજી દેસાઈ સામે જાસૂસીનો આરોપ મુકેલો અને મોરારજી દેસાઈએ એની સામે અમેરિકન અદાલતમાં માનહાનિનો દાવો કરેલો. ત્યારે મોરારજી દેસાઈના અમેરિકન યજમાન આપણા ઠાકોરભાઈ બનેલા. આ ઠાકોરભાઈની ભ્રમણકક્ષા હતી.

સરલાબહેન ઠાકોરભાઈને ઠાકોરજી કહેતા અને ઠાકોરભાઈ ઠાકોરજીની જેમ જ મીઠું મીઠું મરકતા. પ્રેમાળ જોડી હતી બંનેની. અમદાવાદ હોય, આબુ હોય, કે શિકાગો ઠાકોરભાઈ અને સરલાબહેન હંમેશાં સાથે સાથે જ હોય. ત્યારે અમેરિકામાં કેન્સરની સારવાર લેતાં સરલાબહેનને દીકરીઓ સોનલ, રૂપલ અને તેજલ સાથે છોડીને જીવનના છેલ્લા પડાવમાં ઠાકોરભાઈ એકલા અમદાવાદ શું કામ આવ્યા હશે એ પ્રશ્ન જરૂર થાય. શક્ય છે, અંત કાળનો અણસાર આવી ગયો હશે અને  જન્મભૂમિમાં જ પંચમહાભૂતમાં વિલીન થઇ જવાની ઈચ્છા હશે!

અમદાવાદ આવીને એ બધા જૂના મિત્રોને મળવા માટે ફોન કરતા પણ કોરોનાનાં કારણે મોટી ઉંમરના એમના મિત્રો આવી નહોતા શકતા. એક સાંજે મને કાકાનો ફોન આવ્યો અને એક સેકન્ડનો બીજો વિચાર કર્યા વિના હું ઠાકોરકાકાને મળવા ઉપડ્યો. હવે કાકાની ઉંમર વરતાતી હતી પણ સ્પિરીટ એ જ. કેટલી બધી વાતો કરી. જતી વેળા કહે, ધીમંત, મારા પુસ્તકોમાંથી તને ગમે તે તું લઇ જા હવે મારે કોઈ કામનાં નથી. તો ય મને ખ્યાલ ના આવ્યો, કે આ કાકાની છેલ્લી મુલાકાત હોઈ શકે. પાર્ટીઓના શોખીન કાકાએ એમની અને કાકીનાં લગ્નજીવનની પચાસમી વર્ષગાંઠ અમદાવાદના ફાર્મહાઉસમાં બધા મિત્રોને બોલાવીને ધામધૂમથી ઉજવી હતી. હતું, કે નેવુંએ પહોચવા આવેલા કાકાની સોમી વર્ષગાંઠ આનાથી પણ મોટી પાર્ટી કરીને ઉજવીશું. કાકા ફાઈટર હતા, ૮૮ સુધી રમતા રમતા પહોંચેલા કાકા બાકીના ૧૨ વરસ આમ જ રમતા રમતા કાઢી નાખશે એમાં કોઈને શંકા નહોતી.

પણ અચાનક કાકાને કોરોના થયો અને એમની નામરજી છતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જો કે ફાઈટર કાકા કોરાનાને પણ હરાવીને નેગેટીવ રિપોર્ટ લઇને ઘેર પાછા આવ્યા. કોરોના તો ગયો પણ એની આડ અસરો  જીવલેણ નીકળી.

પહેલી ડિસેમ્બરની સાંજે ઠાકોરકાકાના ભત્રીજા અને મારા મિત્ર પોચીનો ફોન આવ્યો, “કાકાની તબિયતમાં ગડબડ લાગે છે. વાતચીત નથી કરતા, મને પણ નથી ઓળખતા. લાગે છે, ઓક્સિજનની વ્યવસ્થા કરાવી પડશે.” મેં કીધું, ઓક્સિજનનું તો થઇ જશે, પણ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરી દે. વ્યવસ્થિત સારવાર થાય.” પોચીએ કીધું, “મારે કાકી સાથે અમેરિકા વાત થઇ, પણ કાકી હોસ્પિટલની ના પડે છે.” કાકાએ ચોખ્ખું કીધેલું કે “હોસ્પિટલમાં આપણા શરીરમાં જ્યાં ત્યાં કાણાં પાડીને ટોટીઓ નાખે. આપણે એમ વેન્ટીલેટર પર પડ્યા નથી રહેવું.” આ ઠાકોરકાકાની અંતિમ ઈચ્છા. આપણાથી એમની અંતિમ ઈચ્છાને કેમ ઉથાપાય. એટલે હું અને પોચી કાકા માટે ઓક્સિજનનો બાટલો શોધવા નીકળ્યા. કાકા અહીં પણ જતા જતા ભત્રીજાઓને કૈક અનુભવ આપવા માંગતા હશે. અમારા વિશેના અને અમદાવાદ-ગુજરાત વિશેના અમારા બધા ભ્રમ ભાંગી ગયા જ્યારે અમને સ્માર્ટ સિટી અમદાવાદમાં ઓક્સિજનનો એક બાટલો ના મળ્યો. જો કે કાકાને ઓક્સિજનના બાટલાની જરૂર જ ના પડી. આમે ય ઉછીના શ્વાસ પર કાકા પાછલા નવ દાયકામાં કદી જીવ્યા નહોતા, ત્યારે જતી વેળા શું કામ અને એ પણ ઠાકોરભાઈ પટેલ! બીજી ડિસેમ્બરની સવારે પોચીનો ફોન આવ્યો, મેં ધડકતે હૈયે ઉઠાવ્યો – “ઠાકોરકાકા ગયા!”

ઠાકોરકાકા ઉપર શું કરતા હશે એ એમના બધા મિત્રોને ખબર છે. ખણકતી પ્યાલીઓ, ખડખડાટ હાસ્ય અને અલકમલકની વાતો વચ્ચે ઠાકોરકાકા દેવ-દેવીઓની ભીડ વચ્ચે મહેફિલ માંડીને બેઠા હશે. ઉપરવાળાને તો મોજ પડી ગઈ પણ અહીં અમારું શું, કાકા!

સૌજન્ય : https://www.facebook.com/dhimant.purohit

Loading

જિંદગી …

નારણ મકવાણા|Poetry|4 December 2020

હવે મને બીક નથી લાગતી જિંદગીની,
હું આ લોકોને જોઉં છું.
માણસ માણસની રમત શીખું છું.

બગીચાની બહારની ફૂટપાથે,
સપનાંનાં ડોકાં મરડી રાત સૂઈ જાય છે
પછી આળસ ખાતો ખાતો દિવસ ઊગે છે.

ધૂંધળું અજવાળું ભડ ભડ બળતાં
ચૂલાની તાવડીમાં શેકાવા લાગે છે.

ફૂટપાથે વહેલાં સૂઈ ગયેલાં મજૂરો
દિવાલોના ખૂણે અડધી ડોલ પાણી વડે
અડધાં નગ્ન થઇ ઠંડાં ખંખોળિયા ખાય છે.
લાજ ઉધાડી થાય છે.

તાપણાંની આજુબાજુ નાગાં બેઠેલાં
આંખો ચોળતાં બાળકો જિંદગીનાં હાલરડાં ગાય છે.

ટપ ટપ મકાઇનાં રોટલા શેકતી બાયું અને
ધાર વગરનાં ચપ્પુથી શાકભાજી કાપતાં આદમીના હાથોમાં કામે જવાની ઉતાવળ દેખાય છે.

ઉભડક બેસી ફાફડા જેવા રોટલા ઉપર શાક પાથરી ખૂણેથી બટકાં કાપી કુટુંબ લબાલબ ખાય છે.

માયા મૂડી પ્લાસ્ટિકના લબાચામાં ગોઠવી,
ધોયેલી સાડી લપેટી, 
દાતાં તૂટેલા દાંતિયા વડે
જટા જેવાં વાળ ઓળી બાયું 
કાચનાં ટૂકડામાં ચહેરો જોઈને તૈયાર થાય છે.
જવાન છોકરાં, છોકરીઓ વધારે ટાપટીપ થાય છે.

બગીચામાં ફીટ રહેવા, દોડવા ને ચાલવા
સ્ત્રી પુરુષો નાઇટ ડ્રેસમાં આવતા જાય છે 
ને બગીચાની ફૂટપાથે મજૂરોનું કાર્યાલય બંધ થાય છે.. 
(અલબત્ત કાખમાં છોકરાં ને માથે ભાથું બાંધી મજૂર નજીકના કડિયા નાકે જાય છે.)

તનતોડ મહેનત કરી, સાંજે ઇંટ રેતીમાં આળોટતા બાળકોને પાણી વડે સમા નમા કરી ઘર ભણી (ફૂટપાથ) પ્રયાણ થાય છે.

પૈસા સાચવીને પોતડી અંદર પહેરેલી ચડ્ડીનાં ચોર ખીસ્સામાં મૂકી દે છે.

અંધારું લેલૂબ જામે છે, ફૂટપાથ વાળે છે. ફરી પાછાં કામ પરથી લાવેલા લાકડાં ફાડી ચૂલો સળગાવે છે … સવારના ભાંખોડિયા અજવાળાં જેવું સાંજનું અંધારું ચૂલાની તાવડીમાં શેકાવા લાગે છે ..

ક્યાંક મોબાઈલ પણ ઘૂણે છે .. ખબરઅંતર પૂછાય છે, પથારીમાં થાકેલાં તન પછી ભેગા ભેગાં સૂઇ જાય છે ..

માણસ માણસની રમત ચાલ્યા કરે છે…

૩/૧૨/૨૦૨૦

e.mail : naranmakwana20@gmail.com

Loading

દાર્શનિક ચિંતન પ્રણાલીઓઃ આધ્યાત્મવાદી અને પાર્થિવવાદી

જયંતી પટેલ|Opinion - Opinion|4 December 2020

આ વિશ્વના ઉદ્ભવ, વિકાસ, સંચાલન, જીવો અને માનવીનું સર્જન, તેમના અસ્તિત્વનું કારણ અને હેતુ વિષે માનવીનું કુતૂહલ સ્વાભાવિક હતું. આ પ્રશ્નો વિષે તે કલ્પના કરતો, વિચારતો, વિવાદ કરતો સંશોધન કરતો અને પ્રાપ્ત જ્ઞાનના આધારે તર્ક કરતો, વિવેચન કરતો તારણ કાઢતો તથા તેમાં સુધારા-વધારા કરતો રહ્યો છે. પ્રાથમિક અવસ્થાના સમયથી બુદ્ધિસંપન્ન માનવી એટલું તો સમજી ચુક્યો હતો કે દરેક ઘટના પાછળ તેના કર્તારૂપ કારણ હોય છે. પરિણામે, વિશ્વના સર્જનથી માંડી તેની આસપાસની ઘટનાઓ માટે તે કર્તા કે કારણ વિષે કલ્પના કરતો કે વાસ્તવિક કારણ ખોજતો રહ્યો છે.

બુદ્ધિ સાથે સંકળાયેલા તર્ક અને તેના ફલસ્વરૂપ વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસણી કરી તારણ પર આવવાની તથા વધુ જ્ઞાન મળતાં તેમાં સુધારા-વધારા કરતા જવાની તેની કાર્યપદ્ધતિના કારણે દાર્શનિક ચિંતન અને તેની પ્રણાલીઓ, તેમના સંયોજન અને સમજની ક્ષિતિજોનું વિસ્તરણ અને પરિશુદ્ધિ થતાં રહ્યાં છે. પ્રારંભિક અવસ્થાના કોરા કલ્પનાવિહારથી આગળ વધી તે રેશનલ ઢબે, વૈજ્ઞાનિક પદ્ધતિના સહારે, નિષ્કર્ષ પર  આવવા લાગ્યો છે. દાર્શનિક ચિંતન પ્રણાલીના આ બે પ્રવાહો, કલ્પના આધારિત (સ્પેક્યુલેટિવ, આધ્યાત્મિક), અને રેશનલ-વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત (ભૈતિકવાદી-પાર્થિવ પ્રકૃતિવાદ (ફિઝિકલ નેચરાલિઝમ), વચ્ચેના વિવાદની ખાઈ ધીરેધીરે ઘટવા લાગી છે અને, વિશ્વસનીયતાની દૃષ્ટિએ, રેશનલ-વૈજ્ઞાનિક (ભૈતિકવાદી-પાર્થિવ પ્રકૃતિવાદ (ફિઝિકલ નેચરાલિઝમ) પ્રવાહનું મહત્ત્વ સ્વીકાર પામવા લાગ્યું છે.

માનવીનું જ્યાં જ્યાં અવતરણ થયું હતું ત્યાં બધે માનવી ઉપરોક્ત પ્રશ્નો વિષે વિચારતો હતો. પરંતુ, ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો વ્યવસ્થિત દાર્શનિક ચિંતન પ્રણાલીના પ્રારંભનો યશ ભારત, ચીન, ગ્રીકના ચિંતકોને ફાળે જાય છે. આ પ્રદેશોના વિવિધ ચિંતકો અને તેમના વૈવિધ્યપૂર્ણ ચિંતને આપણા વૈચારિક વારસાની ઈમારતનો પાયો નાંખ્યો છે. તેમનાં ચિંતનમાં પણ આ બંને પ્રવાહોના અંશો ઓછાવત્તા પ્રમાણમાં મળી આવે છે (દા.ત. ચાર્વાક, ભારતની સાંખ્યાદિ પ્રણાલી, એપિક્યુરિયસ, કન્ફ્યુસિયસ વગેરેમાં ભૌતિકવાદ-પાર્થિવ પ્રકૃતિવાદ (ફિઝિકલ નેચરાલિઝમ). અલબત્ત, આવા અપવાદોને બાદ કરતાં, આ સમયગાળાનું ચિંતન મહદંશે કલ્પનાપ્રધાન-સ્પેક્યુલેટિવ-ઈશ્વરવાદી-પરલોકવાદી, આધ્યાત્મવાદી કહી શકાય તેવું હતું.

આધ્યત્મવાદઃ

આધ્યાત્મવાદી પ્રણાલીમાં, વિશ્વના સર્જન તથા સંચાલક તરીકે કોઈ વ્યક્તિ કે માનવેતર શક્તિ અને તેની ઈચ્છા, મૃત્યુ પછીના જીવન, પરલોકવાદ જેવી બાબતો હોવાથી ઈશ્વરનો ખ્યાલ, તેની પાઠપૂજા કે ભક્તિ દ્વારા લાભની હિમાયત કરતા અનેકવિધ ધર્મો, ધર્મપ્રવર્તકો, ધર્મસ્થાનો અને તેના સંચાલકો (પૂજારી, બાવા, સાધુ, સંત, ધર્મગુરુ, મૌલવી, પાદરી ઇત્યાદિ.) સર્જાયા, પરલોકમાં સુખ-સગવડોની પ્રાપ્તિના નામે સ્વર્ગ, જન્નત, મોક્ષ, નિર્વાણ તથા તે પામવા માટેનાં વિધિ-વિધાનો અને માર્ગદર્શકોની માયાજાળ રચાઈ. આ જગતને મિથ્યા, ક્ષણિક, ગણી તેમાં માનવીને સુખ શોધવા કે પામવાને બદલે પરલોકનાં મૃગજળ પાછળ જવા પ્રેરવામાં આવ્યો અને, આ જગતમાં પ્રવર્તતા અન્યાય, દરિદ્રતા, શોષણ, ભેદભાવ, તકલીફોની નાબૂદી માટે મથવાને બદલે, ઈશ્વર, તેની ઈચ્છા, પરલોકમાં કે આગળના જન્મમાં તેનાં ફળ મળવાની ભ્રામક વાતો, દ્વારા પલાયનવાદી વલણને પોષવામાં આવ્યું. (એ લક્ષમાં રાખવા જેવું છે કે, બૌદ્ધ, જૈન જેવા નિરીશ્વરવાદી ધર્મોમાં પણ, અવતારવાદ, પાઠપૂજા, ધર્મગુરુઓ, ધર્મસ્થાનો, પરલોક, કર્મનો સિદ્ધાત, તથા આ જગતને મિથ્યા ગણવાની માન્યતા વગેરેનું ચલણ છે.).

તદુપરાંત, અનેકવિધ ધર્મો, ધર્મપ્રવર્તકો, તેમનાં વિધિ-વિધોનો, ગ્રંથો, તેનું અર્થઘટન કરનારા સંતો, સમર્થકો પેદા થયા. તેઓ પોતાનો ધર્મ જ સાચો છે અને અન્ય ધર્મીઓ ગેરમાર્ગે છે, તેમણે આમારો ધર્મ સ્વીકારવો જોઈએ અથવા તેમનો નાશ કરવો જોઈએ, તેવા આગ્રહો પણ વ્યક્ત થવા લાગ્યા. આ પ્રકારની ધર્માંધતા તથા ધર્મઝનૂનથી પ્રેરાયોલા જૂથોએ પોતાના ધર્મના ફેલાવા માટે બળપ્રયોગનો પણ સહારો લીધો અને ધર્મ સાથે ભૂમિવિસ્તારની લાલસા અને રાજસત્તાના પ્રસારનું ગઠબંધન થયું. ધર્માંધતા વધી અને અન્ય ધર્મ કે માન્યતા ધરાવનારાની હત્યા, તેમની સંપત્તિની લૂંટફાટ, સ્ત્રીઓ-બાળકોનું અપહરણ, જેવા અત્યાચારોનો સિલસિલો વ્યાપક બન્યો. અન્ય વાણી, વિચાર, માન્યતા કે મંતવ્યની અભિવ્યક્તિની સ્વતંત્રતા ઝુંટવાઈ ગઈ.

પાર્થિવવાદી પરિવર્તનઃ

અનેક ધર્મો, ધર્મપ્રવર્તકો, ધર્મગુરુઓ, ધર્મસ્થાનો, ધાર્મિક ઝનૂનના પ્રભાવ, ઈશ્વર અને પરલોકવાદના ખ્યાલોથી માનવીનું વિચારજગત અને વ્યવહારો ગ્રસ્ત જણાતા હતા. આમ છતાં, માનવીના મગજને વિચારો કરતાં, તર્ક કરતાં, પ્રશ્નો કરતાં, સત્યની ખોજ કરતાં, હકીકતની ચકાસણી કરતાં રોકી શકાતું નથી.

ઉપરાંત, રેશનલ વિચારણા અને પાર્થિવવાદી વિચારધારાનો પ્રવાહ સાવ લુપ્ત થયો ન હતો. ગ્રીક અને ભારતીય ચિંતનની પાર્થિવવાદી જ્યોત બુઝાઈ નહોતી. આ વિશ્વની પ્રકૃતિ અને પ્રક્રિયાઓનાં નિરીક્ષણ, તેની પાછળ રહેલાં કાર્ય-કારણ સંબંધો વિષે વધતી સમજ, જિજીવિષાની વૃત્તિથી પ્રેરાઈ આદરાયેલી સલામતી તથા સવલતો માટેનીની ખોજ વગેરે વિષયો માનવીના મગજમાં કાર્યરત હતા.

આસપાસના જગતના વ્યાપારોના નિરીક્ષણ, કાર્ય-કારણ સંબંધની સાંકળની સમજ, તારણોની ચકાસણી, પ્રયોગશીલતા દ્વારા માનવી જોઈ શક્યો કે આ વિશ્વના વ્યવહારો અમુક ચોક્કસ નિયમો અનુસાર ચાલે છે, તે કોઈ મનસ્વી વ્યક્તિની મુનસૂફી પ્રમાણે ચાલતા નથી. સૂર્ય-ચંદ્રના ઉદય-અસ્ત, ઋતુચક્ર, જન્મ-મરણ, વનસ્પતિનું ઊગવું, વિકસવું અને વિલાવવું વગેરે ઘટનાઓ નિયમબદ્ધ છે. આ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિ અને દૃષ્ટિકોણથી જગતને તથા તેના વ્યાપારોને સમજવાની, તેનો પોતાના હેતુઓ માટે ઉપયોગ કરવાની સૂઝ વિકસી તેમ જ, માનવીને જણાયું કે આ વિશ્વના વ્યવહારોના સર્જન કે સંચાલન માટે કોઈ અલૌકિક વ્યક્તિ કે શક્તિ જરૂરી નથી. માનવી પોતે પણ ઘણી ઘટનાઓને આકાર આપી શકે છે. આથી, માનવી તરીકેની આત્મશ્રદ્ધા વિકસી તથા આસપાસના જગતના ઘડતર તથા નિર્માણ માટે તેણે મથામણ આદરી.

આ સાથે, ઈશ્વર તથા પરલોકની હ્યાતિ, ધર્મપ્રવર્તકોના આદેશો, ધર્મગુરુઓ અને ધર્મગ્રંથોનાં વિધાનો, પરંપરાગત માન્યતાઓ અને વિધિ-વિધાનોને નિર્વિવાદ માની લેવાના બદલે તે વિષે પ્રશ્નો કરવાનું, શંકા ઊઠાવવાનું, તેની ટીકા તથા વિવેચન કરવાનું, હકીકતોના આધારે ભિન્ન મત વ્યક્ત કરવાનું વલણ વિકાસ પામ્યું. વિચાર અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટેનો આગ્રહ સર્જાયો તથા તે માટે ઘણાએ શહાદત અને અત્યાચારો પણ સહ્યા.

રસપ્રદ અને નોંધપાત્ર હકીકત તો એ છે કે સનાતની-અસહિષ્ણુ-કટ્ટરવાદી ધર્મોનો પ્રભાવ હતો ત્યાં એવા વિદ્રોહી ચિંતકો પ્રગટ થયા જેમણે પાર્થિવવાદી-રેશનલ-વૈજ્ઞાનિક વિચારોનો વારસા ઉપરની ધૂળ ખંખેરી, તેને જાળવ્યો, સંમાર્જિત કર્યો અને પ્રચારિત કર્યો. આ સમયગાળામાં અનેક વિદ્યાપીઠો સ્થપાઈ, ગ્રંથાલયો રચાયાં, વિજ્ઞાન, ગણિતનાં વિષયોનું ખેડાણ થયું. આ સમય નવજાગરણ (રેનેસાંસ) અને પ્રબોધન (એનલાઈટનમેન્ટ) યુગનો પૂર્વસૂરી બની રહ્યો.

આ વૈચારિક પરિવર્તનના અનુસંધાનમાં, પ્રવર્તમાન સામાજિક-રાજકીય અને, સમય જતાં, આર્થિક વ્યવસ્થામાં પ્રવર્તતા ભેદભાવ, અન્યાય, દમન, શોષણ વગેરે સામે પણ વિરોધનો સૂર આકાર પામવા લાગ્યો.

નિંદનીય પાસુઃ

દરેક જીવ પોતાની તથા પોતાના કુટુંબ-સમાજની અસ્તિ ટકાવી રાખવા, સલામતી મેળવવા સુખ-સગવડ જાળવવા ઉપરાંત તેમાં વૃદ્ધિ કરવાની પણ અપેક્ષા રાખે છે. આ વલણ ભોગવાદનો અતિરેક, વધુ અને વધુ મેળવવાની લાલસા તથા સંગ્રહવૃત્તિ પ્રેરે છે. માનવીએ વિકસાવેલી ખોજવૃત્તિ તથા પ્રયોગશીલતાને કારણે આવિષ્કાર પામેલી યાંત્રિક અને તાંત્રિક (વ્યવસ્થાલક્ષી) ક્ષમતાઓને કારણે તેની શક્તિઓમાં અદ્વિતીય વૃદ્ધિ થઈ હતી. આશાઓના આધારે તે પ્રકૃતિ, અન્ય જીવજગત, અન્ય માનવસમૂહો ઉપર કાબૂ જમાવી, આધિપત્ય સ્થાપી, પોતાની સુખ-સમુદ્ધિમાં અનર્ગળ વધારો કરવા લાગ્યો. આ પ્રકારની પ્રવૃત્તિનાં પરિણામે રાજાશાહી, સામંતશાહી, મૂડીવાદ, સામ્રાજ્યવાદ, ગુલામીપ્રથા, વર્ણવ્યવસ્થા જેવી શોષણખોર અને અન્યાયી વ્યવસ્થાઓ રચાઈ. તદુપરાંત, પર્યાવરણનો નાશ તથા પ્રદૂષણમાં વૃદ્ધિની સમસ્યાઓ પણ સર્જાઈ છે.

આવકારદાયક પાસુઃ

માનવીની વિશિષ્ઠતા એ છે કે તે પોતાનાં વર્તનને કારણે સર્જાયેલી હાનિકારક પરિસ્થિતિ સમજી શકે છે તથા તેનાં નિવારણ માટેનાં પગલાં લેવાની ક્ષમતા પણ ધરાવે છે. વધુમાં, સમાજિક વ્યવસ્થાના ભાગરૂપે તેણે વિકસાવેલાં નૈતિક વ્યવહારનાં ધારાધોરણો તથા ન્યાયબુદ્ધિ પણ માનવીય સમાજરચના માટેની માંગને સંકોરતી રહે છે. આ સાથે, માનવીમાં રહેલી સહાનુભૂતિ અને હમદર્દીની લાગણી પણ તેને ન્યાયી અને માનવીય વ્યવહારોનો આગ્રહ સેવવા પ્રેરે છે. આથી, માનવ ઇતિહાસમાં આપખુદશાહી, પરાધીનતા, અન્યાય, ભેદભાવ, અત્યાચારો, શોષણ વગેરે સામે ઝૂંબેશ ચાલતી રહી છે, વિદ્રોહ અને ક્રાંતિઓનો સિલસિલો ચાલતો રહ્યો છે. પરિણામે, માનવજીવનને સુખમય, તેની સર્વ પ્રતિભાઓના વિકાસની મોકળાશ આપતી, વ્યવસ્થા માટેની માંગ તથા તે માટે જરૂરી સત્યની ખોજ માટેના વૈચારિક અને અભિવ્યક્તિનાં સ્વાતંત્ર્ય, સ્વાધીનતા, લોકશાહી, સામાજિક અને આર્થિક સમાનતા, માનવ અધિકારો જેવી બાબતોનો આગ્રહ વ્યાપક બન્યો છે. 

પૂર્વમાં અવળી ગંગાઃ

દાર્શનિક ચિંતનના વિકાસની એ ઐતિહાસિક વિચિત્રતા છે કે બુદ્ધિપ્રધાન વિચારણા, વિશ્લેષ્ણ અને વિવેચનનો ઉષઃકાળ ધરાવતા ગ્રીક અને પૌર્વાત્ય ચિંતનમાંથી પ્રેરણા મેળવીને પશ્ચિમનું ચિંતન આગળ વધી રહ્યું હતું ત્યારે તેનાં જન્મસ્થાનમાં પ્રત્યાઘાતી પરલોકવાદી, વહેમ-અંધશ્રદ્ધા, ધર્માંધતા, ભક્તિવાદી અને પલાયનવાદી વિચારણાનો પ્રભાવ વધી રહ્યો હતો. આપખુદ રાજ્યસત્તા, સામાજિક ભેદભાવ અને આર્થિક અસમાનતાનો વ્યાપ વધતો જતો હતો. પરિણામે, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિચારણા વિકસી નહીં, માનવીની સુખ-સગવડ અને સલામતીમાં વૃદ્ધિ કરતાં ઉપકરણો સુલભ ના બન્યા, રાજકીય-સામાજિક-આર્થિક વ્યવસ્થા પરંપરાવાદી અને કાલગ્રસ્ત રહી. અલબત્ત, વર્તમાનકાળમાં, છેલ્લી બેએક સદીના વૈચારિક પરિવર્તન પછી પણ, આ પ્રત્યાઘાતી વલણો સામેનો સંઘર્ષ હજી ચાલી રહ્યો છે. આ સંઘર્ષની ફલશ્રુતિનાં મીઠાં ફળ ક્યારેક તો જરૂર પાકશે તેવી આશા રાખીયે.

—

e.mail : jaykepatel@gmail.com

Loading

...102030...2,1352,1362,1372,138...2,1502,1602,170...

Search by

Opinion

  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved