આ વિશ્વના ઉદ્ભવ, વિકાસ, સંચાલન, જીવો અને માનવીનું સર્જન, તેમના અસ્તિત્વનું કારણ અને હેતુ વિષે માનવીનું કુતૂહલ સ્વાભાવિક હતું. આ પ્રશ્નો વિષે તે કલ્પના કરતો, વિચારતો, વિવાદ કરતો સંશોધન કરતો અને પ્રાપ્ત જ્ઞાનના આધારે તર્ક કરતો, વિવેચન કરતો તારણ કાઢતો તથા તેમાં સુધારા-વધારા કરતો રહ્યો છે. પ્રાથમિક અવસ્થાના સમયથી બુદ્ધિસંપન્ન માનવી એટલું તો સમજી ચુક્યો હતો કે દરેક ઘટના પાછળ તેના કર્તારૂપ કારણ હોય છે. પરિણામે, વિશ્વના સર્જનથી માંડી તેની આસપાસની ઘટનાઓ માટે તે કર્તા કે કારણ વિષે કલ્પના કરતો કે વાસ્તવિક કારણ ખોજતો રહ્યો છે.
બુદ્ધિ સાથે સંકળાયેલા તર્ક અને તેના ફલસ્વરૂપ વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસણી કરી તારણ પર આવવાની તથા વધુ જ્ઞાન મળતાં તેમાં સુધારા-વધારા કરતા જવાની તેની કાર્યપદ્ધતિના કારણે દાર્શનિક ચિંતન અને તેની પ્રણાલીઓ, તેમના સંયોજન અને સમજની ક્ષિતિજોનું વિસ્તરણ અને પરિશુદ્ધિ થતાં રહ્યાં છે. પ્રારંભિક અવસ્થાના કોરા કલ્પનાવિહારથી આગળ વધી તે રેશનલ ઢબે, વૈજ્ઞાનિક પદ્ધતિના સહારે, નિષ્કર્ષ પર આવવા લાગ્યો છે. દાર્શનિક ચિંતન પ્રણાલીના આ બે પ્રવાહો, કલ્પના આધારિત (સ્પેક્યુલેટિવ, આધ્યાત્મિક), અને રેશનલ-વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત (ભૈતિકવાદી-પાર્થિવ પ્રકૃતિવાદ (ફિઝિકલ નેચરાલિઝમ), વચ્ચેના વિવાદની ખાઈ ધીરેધીરે ઘટવા લાગી છે અને, વિશ્વસનીયતાની દૃષ્ટિએ, રેશનલ-વૈજ્ઞાનિક (ભૈતિકવાદી-પાર્થિવ પ્રકૃતિવાદ (ફિઝિકલ નેચરાલિઝમ) પ્રવાહનું મહત્ત્વ સ્વીકાર પામવા લાગ્યું છે.
માનવીનું જ્યાં જ્યાં અવતરણ થયું હતું ત્યાં બધે માનવી ઉપરોક્ત પ્રશ્નો વિષે વિચારતો હતો. પરંતુ, ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો વ્યવસ્થિત દાર્શનિક ચિંતન પ્રણાલીના પ્રારંભનો યશ ભારત, ચીન, ગ્રીકના ચિંતકોને ફાળે જાય છે. આ પ્રદેશોના વિવિધ ચિંતકો અને તેમના વૈવિધ્યપૂર્ણ ચિંતને આપણા વૈચારિક વારસાની ઈમારતનો પાયો નાંખ્યો છે. તેમનાં ચિંતનમાં પણ આ બંને પ્રવાહોના અંશો ઓછાવત્તા પ્રમાણમાં મળી આવે છે (દા.ત. ચાર્વાક, ભારતની સાંખ્યાદિ પ્રણાલી, એપિક્યુરિયસ, કન્ફ્યુસિયસ વગેરેમાં ભૌતિકવાદ-પાર્થિવ પ્રકૃતિવાદ (ફિઝિકલ નેચરાલિઝમ). અલબત્ત, આવા અપવાદોને બાદ કરતાં, આ સમયગાળાનું ચિંતન મહદંશે કલ્પનાપ્રધાન-સ્પેક્યુલેટિવ-ઈશ્વરવાદી-પરલોકવાદી, આધ્યાત્મવાદી કહી શકાય તેવું હતું.
આધ્યત્મવાદઃ
આધ્યાત્મવાદી પ્રણાલીમાં, વિશ્વના સર્જન તથા સંચાલક તરીકે કોઈ વ્યક્તિ કે માનવેતર શક્તિ અને તેની ઈચ્છા, મૃત્યુ પછીના જીવન, પરલોકવાદ જેવી બાબતો હોવાથી ઈશ્વરનો ખ્યાલ, તેની પાઠપૂજા કે ભક્તિ દ્વારા લાભની હિમાયત કરતા અનેકવિધ ધર્મો, ધર્મપ્રવર્તકો, ધર્મસ્થાનો અને તેના સંચાલકો (પૂજારી, બાવા, સાધુ, સંત, ધર્મગુરુ, મૌલવી, પાદરી ઇત્યાદિ.) સર્જાયા, પરલોકમાં સુખ-સગવડોની પ્રાપ્તિના નામે સ્વર્ગ, જન્નત, મોક્ષ, નિર્વાણ તથા તે પામવા માટેનાં વિધિ-વિધાનો અને માર્ગદર્શકોની માયાજાળ રચાઈ. આ જગતને મિથ્યા, ક્ષણિક, ગણી તેમાં માનવીને સુખ શોધવા કે પામવાને બદલે પરલોકનાં મૃગજળ પાછળ જવા પ્રેરવામાં આવ્યો અને, આ જગતમાં પ્રવર્તતા અન્યાય, દરિદ્રતા, શોષણ, ભેદભાવ, તકલીફોની નાબૂદી માટે મથવાને બદલે, ઈશ્વર, તેની ઈચ્છા, પરલોકમાં કે આગળના જન્મમાં તેનાં ફળ મળવાની ભ્રામક વાતો, દ્વારા પલાયનવાદી વલણને પોષવામાં આવ્યું. (એ લક્ષમાં રાખવા જેવું છે કે, બૌદ્ધ, જૈન જેવા નિરીશ્વરવાદી ધર્મોમાં પણ, અવતારવાદ, પાઠપૂજા, ધર્મગુરુઓ, ધર્મસ્થાનો, પરલોક, કર્મનો સિદ્ધાત, તથા આ જગતને મિથ્યા ગણવાની માન્યતા વગેરેનું ચલણ છે.).
તદુપરાંત, અનેકવિધ ધર્મો, ધર્મપ્રવર્તકો, તેમનાં વિધિ-વિધોનો, ગ્રંથો, તેનું અર્થઘટન કરનારા સંતો, સમર્થકો પેદા થયા. તેઓ પોતાનો ધર્મ જ સાચો છે અને અન્ય ધર્મીઓ ગેરમાર્ગે છે, તેમણે આમારો ધર્મ સ્વીકારવો જોઈએ અથવા તેમનો નાશ કરવો જોઈએ, તેવા આગ્રહો પણ વ્યક્ત થવા લાગ્યા. આ પ્રકારની ધર્માંધતા તથા ધર્મઝનૂનથી પ્રેરાયોલા જૂથોએ પોતાના ધર્મના ફેલાવા માટે બળપ્રયોગનો પણ સહારો લીધો અને ધર્મ સાથે ભૂમિવિસ્તારની લાલસા અને રાજસત્તાના પ્રસારનું ગઠબંધન થયું. ધર્માંધતા વધી અને અન્ય ધર્મ કે માન્યતા ધરાવનારાની હત્યા, તેમની સંપત્તિની લૂંટફાટ, સ્ત્રીઓ-બાળકોનું અપહરણ, જેવા અત્યાચારોનો સિલસિલો વ્યાપક બન્યો. અન્ય વાણી, વિચાર, માન્યતા કે મંતવ્યની અભિવ્યક્તિની સ્વતંત્રતા ઝુંટવાઈ ગઈ.
પાર્થિવવાદી પરિવર્તનઃ
અનેક ધર્મો, ધર્મપ્રવર્તકો, ધર્મગુરુઓ, ધર્મસ્થાનો, ધાર્મિક ઝનૂનના પ્રભાવ, ઈશ્વર અને પરલોકવાદના ખ્યાલોથી માનવીનું વિચારજગત અને વ્યવહારો ગ્રસ્ત જણાતા હતા. આમ છતાં, માનવીના મગજને વિચારો કરતાં, તર્ક કરતાં, પ્રશ્નો કરતાં, સત્યની ખોજ કરતાં, હકીકતની ચકાસણી કરતાં રોકી શકાતું નથી.
ઉપરાંત, રેશનલ વિચારણા અને પાર્થિવવાદી વિચારધારાનો પ્રવાહ સાવ લુપ્ત થયો ન હતો. ગ્રીક અને ભારતીય ચિંતનની પાર્થિવવાદી જ્યોત બુઝાઈ નહોતી. આ વિશ્વની પ્રકૃતિ અને પ્રક્રિયાઓનાં નિરીક્ષણ, તેની પાછળ રહેલાં કાર્ય-કારણ સંબંધો વિષે વધતી સમજ, જિજીવિષાની વૃત્તિથી પ્રેરાઈ આદરાયેલી સલામતી તથા સવલતો માટેનીની ખોજ વગેરે વિષયો માનવીના મગજમાં કાર્યરત હતા.
આસપાસના જગતના વ્યાપારોના નિરીક્ષણ, કાર્ય-કારણ સંબંધની સાંકળની સમજ, તારણોની ચકાસણી, પ્રયોગશીલતા દ્વારા માનવી જોઈ શક્યો કે આ વિશ્વના વ્યવહારો અમુક ચોક્કસ નિયમો અનુસાર ચાલે છે, તે કોઈ મનસ્વી વ્યક્તિની મુનસૂફી પ્રમાણે ચાલતા નથી. સૂર્ય-ચંદ્રના ઉદય-અસ્ત, ઋતુચક્ર, જન્મ-મરણ, વનસ્પતિનું ઊગવું, વિકસવું અને વિલાવવું વગેરે ઘટનાઓ નિયમબદ્ધ છે. આ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિ અને દૃષ્ટિકોણથી જગતને તથા તેના વ્યાપારોને સમજવાની, તેનો પોતાના હેતુઓ માટે ઉપયોગ કરવાની સૂઝ વિકસી તેમ જ, માનવીને જણાયું કે આ વિશ્વના વ્યવહારોના સર્જન કે સંચાલન માટે કોઈ અલૌકિક વ્યક્તિ કે શક્તિ જરૂરી નથી. માનવી પોતે પણ ઘણી ઘટનાઓને આકાર આપી શકે છે. આથી, માનવી તરીકેની આત્મશ્રદ્ધા વિકસી તથા આસપાસના જગતના ઘડતર તથા નિર્માણ માટે તેણે મથામણ આદરી.
આ સાથે, ઈશ્વર તથા પરલોકની હ્યાતિ, ધર્મપ્રવર્તકોના આદેશો, ધર્મગુરુઓ અને ધર્મગ્રંથોનાં વિધાનો, પરંપરાગત માન્યતાઓ અને વિધિ-વિધાનોને નિર્વિવાદ માની લેવાના બદલે તે વિષે પ્રશ્નો કરવાનું, શંકા ઊઠાવવાનું, તેની ટીકા તથા વિવેચન કરવાનું, હકીકતોના આધારે ભિન્ન મત વ્યક્ત કરવાનું વલણ વિકાસ પામ્યું. વિચાર અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટેનો આગ્રહ સર્જાયો તથા તે માટે ઘણાએ શહાદત અને અત્યાચારો પણ સહ્યા.
રસપ્રદ અને નોંધપાત્ર હકીકત તો એ છે કે સનાતની-અસહિષ્ણુ-કટ્ટરવાદી ધર્મોનો પ્રભાવ હતો ત્યાં એવા વિદ્રોહી ચિંતકો પ્રગટ થયા જેમણે પાર્થિવવાદી-રેશનલ-વૈજ્ઞાનિક વિચારોનો વારસા ઉપરની ધૂળ ખંખેરી, તેને જાળવ્યો, સંમાર્જિત કર્યો અને પ્રચારિત કર્યો. આ સમયગાળામાં અનેક વિદ્યાપીઠો સ્થપાઈ, ગ્રંથાલયો રચાયાં, વિજ્ઞાન, ગણિતનાં વિષયોનું ખેડાણ થયું. આ સમય નવજાગરણ (રેનેસાંસ) અને પ્રબોધન (એનલાઈટનમેન્ટ) યુગનો પૂર્વસૂરી બની રહ્યો.
આ વૈચારિક પરિવર્તનના અનુસંધાનમાં, પ્રવર્તમાન સામાજિક-રાજકીય અને, સમય જતાં, આર્થિક વ્યવસ્થામાં પ્રવર્તતા ભેદભાવ, અન્યાય, દમન, શોષણ વગેરે સામે પણ વિરોધનો સૂર આકાર પામવા લાગ્યો.
નિંદનીય પાસુઃ
દરેક જીવ પોતાની તથા પોતાના કુટુંબ-સમાજની અસ્તિ ટકાવી રાખવા, સલામતી મેળવવા સુખ-સગવડ જાળવવા ઉપરાંત તેમાં વૃદ્ધિ કરવાની પણ અપેક્ષા રાખે છે. આ વલણ ભોગવાદનો અતિરેક, વધુ અને વધુ મેળવવાની લાલસા તથા સંગ્રહવૃત્તિ પ્રેરે છે. માનવીએ વિકસાવેલી ખોજવૃત્તિ તથા પ્રયોગશીલતાને કારણે આવિષ્કાર પામેલી યાંત્રિક અને તાંત્રિક (વ્યવસ્થાલક્ષી) ક્ષમતાઓને કારણે તેની શક્તિઓમાં અદ્વિતીય વૃદ્ધિ થઈ હતી. આશાઓના આધારે તે પ્રકૃતિ, અન્ય જીવજગત, અન્ય માનવસમૂહો ઉપર કાબૂ જમાવી, આધિપત્ય સ્થાપી, પોતાની સુખ-સમુદ્ધિમાં અનર્ગળ વધારો કરવા લાગ્યો. આ પ્રકારની પ્રવૃત્તિનાં પરિણામે રાજાશાહી, સામંતશાહી, મૂડીવાદ, સામ્રાજ્યવાદ, ગુલામીપ્રથા, વર્ણવ્યવસ્થા જેવી શોષણખોર અને અન્યાયી વ્યવસ્થાઓ રચાઈ. તદુપરાંત, પર્યાવરણનો નાશ તથા પ્રદૂષણમાં વૃદ્ધિની સમસ્યાઓ પણ સર્જાઈ છે.
આવકારદાયક પાસુઃ
માનવીની વિશિષ્ઠતા એ છે કે તે પોતાનાં વર્તનને કારણે સર્જાયેલી હાનિકારક પરિસ્થિતિ સમજી શકે છે તથા તેનાં નિવારણ માટેનાં પગલાં લેવાની ક્ષમતા પણ ધરાવે છે. વધુમાં, સમાજિક વ્યવસ્થાના ભાગરૂપે તેણે વિકસાવેલાં નૈતિક વ્યવહારનાં ધારાધોરણો તથા ન્યાયબુદ્ધિ પણ માનવીય સમાજરચના માટેની માંગને સંકોરતી રહે છે. આ સાથે, માનવીમાં રહેલી સહાનુભૂતિ અને હમદર્દીની લાગણી પણ તેને ન્યાયી અને માનવીય વ્યવહારોનો આગ્રહ સેવવા પ્રેરે છે. આથી, માનવ ઇતિહાસમાં આપખુદશાહી, પરાધીનતા, અન્યાય, ભેદભાવ, અત્યાચારો, શોષણ વગેરે સામે ઝૂંબેશ ચાલતી રહી છે, વિદ્રોહ અને ક્રાંતિઓનો સિલસિલો ચાલતો રહ્યો છે. પરિણામે, માનવજીવનને સુખમય, તેની સર્વ પ્રતિભાઓના વિકાસની મોકળાશ આપતી, વ્યવસ્થા માટેની માંગ તથા તે માટે જરૂરી સત્યની ખોજ માટેના વૈચારિક અને અભિવ્યક્તિનાં સ્વાતંત્ર્ય, સ્વાધીનતા, લોકશાહી, સામાજિક અને આર્થિક સમાનતા, માનવ અધિકારો જેવી બાબતોનો આગ્રહ વ્યાપક બન્યો છે.
પૂર્વમાં અવળી ગંગાઃ
દાર્શનિક ચિંતનના વિકાસની એ ઐતિહાસિક વિચિત્રતા છે કે બુદ્ધિપ્રધાન વિચારણા, વિશ્લેષ્ણ અને વિવેચનનો ઉષઃકાળ ધરાવતા ગ્રીક અને પૌર્વાત્ય ચિંતનમાંથી પ્રેરણા મેળવીને પશ્ચિમનું ચિંતન આગળ વધી રહ્યું હતું ત્યારે તેનાં જન્મસ્થાનમાં પ્રત્યાઘાતી પરલોકવાદી, વહેમ-અંધશ્રદ્ધા, ધર્માંધતા, ભક્તિવાદી અને પલાયનવાદી વિચારણાનો પ્રભાવ વધી રહ્યો હતો. આપખુદ રાજ્યસત્તા, સામાજિક ભેદભાવ અને આર્થિક અસમાનતાનો વ્યાપ વધતો જતો હતો. પરિણામે, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિચારણા વિકસી નહીં, માનવીની સુખ-સગવડ અને સલામતીમાં વૃદ્ધિ કરતાં ઉપકરણો સુલભ ના બન્યા, રાજકીય-સામાજિક-આર્થિક વ્યવસ્થા પરંપરાવાદી અને કાલગ્રસ્ત રહી. અલબત્ત, વર્તમાનકાળમાં, છેલ્લી બેએક સદીના વૈચારિક પરિવર્તન પછી પણ, આ પ્રત્યાઘાતી વલણો સામેનો સંઘર્ષ હજી ચાલી રહ્યો છે. આ સંઘર્ષની ફલશ્રુતિનાં મીઠાં ફળ ક્યારેક તો જરૂર પાકશે તેવી આશા રાખીયે.
—
e.mail : jaykepatel@gmail.com