Opinion Magazine
Number of visits: 9747559
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રીયાર્થ : વાંધાવિરોધથી વધામણી સુધી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|1 February 2021

શબ્દલીલા

અસમાનતાને ઓગાળવા માટે પ્રયોજાતા નવા શબ્દોની વિચિત્ર નિયતિ હોય છે. અસમાનતા સામેની આગ ચળવળને બળતણ પૂરું પાડે છે, તો ક્યારેક એ આગમાં સૂકા ભેગું લીલું પણ બળતું હોય છે. તેનો એક નમૂનો રજનીકુમાર પંડ્યા સાથે થયેલી વાતચીત અને તેમની પાસેથી મળેલી વિગતોમાંથી જાણવા મળ્યો.

રજનીકુમાર પંડ્યાએ તેમની બેહદ વખણાયેલી નવલકથા ‘કુંતી’માં એક પાત્રના મોઢે સંવાદ મૂક્યો હતો, ‘હિંમતકુમાર, ઘણાંને પુરુષાર્થ ફળે છે. તમને સ્ત્રીયાર્થ ફળ્યો.’ વર્ષ ૧૯૮૯-૯૦ દરમિયાન આ નવલકથા ‘ચિત્રલેખા’માં હપતાવાર પ્રગટ થઈ, ત્યારે ‘સ્ત્રીયાર્થ’ શબ્દ ચલણમાં ન હતો. એ નિતાંત રજનીકુમારની સર્જકતાનું પરિણામ હતો. અભિવ્યક્તિના ધસમસતા પ્રવાહમાં, નીપજાવવા ખાતર નહીં, પણ સ્વાભાવિક ક્રમમાં નીપજી આવતા નવા શબ્દો રજનીકુમારના લેખનની ખાસિયત છે. તેમણે યોજેલા ‘સ્ત્રીયાર્થ’ પાછળનો તર્ક સ્પષ્ટ હતો : પુરુષ કરે તે પુરુષાર્થ, તો સ્ત્રી કરે તે સ્ત્રીયાર્થ કેમ નહીં?

૧૯૯૦ના અરસાના નારીવાદી વિમર્શમાં આ શબ્દ પોંખાય ને ચલણી બને એવી પૂરી સંભાવના હતી. પણ બન્યું તેનાથી સાવ ઊલટું. બકુલાબહેન ઘાસવાલાએ ‘સ્ત્રીયાર્થ’ શબ્દ સામે વાંધો ઉઠાવતું ચર્ચાપત્ર સુરતના દૈનિક ‘ગુજરાતમિત્ર’માં લખ્યું. ત્યાર પછી બીજી કેટલીક બહેનોએ પણ તેમના વાંધાને સમર્થન આપતાં ચર્ચાપત્રો લખ્યાં. એ વાતનાં આઠેક વર્ષ પછી, ૧૯૯૮માં ‘ટીવીના પડદે રજૂ થતું નારીરૂપ’ એ વિષય પર નવલેખિકાઓ માટેની એક શિબિર તીથલમાં યોજાઈ હતી. તેમાં વક્તા તરીકે રજનીકુમારે સ્ત્રીગૌરવના હેતુથી – એ સંદર્ભે ‘સ્ત્રીયાર્થ’ શબ્દ પહેલી વાર પ્રયોજ્યાનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમના પર નવેસરથી પસ્તાળ પડી. એક બહેને કહ્યું કે ‘અમારે એવા સદ્‌ભાવની જરૂર નથી’, તો બીજાં બહેને કહ્યું,’ તમારી આ સાઇકોલૉજી એમ બતાવે છે કે તમે પુરુષો સ્ત્રીઓને નિર્માલ્ય ગણો છો.’ બે-ચાર બહેનોએ તો વળી, ખબર નહીં શું સમજીને, ‘તમારે પણ મા-બહેન-પત્ની-પુત્રી હશે’, એવું આક્રમકતાથી કહ્યું — જાણે, ‘સ્ત્રીયાર્થ’ શબ્દથી સ્ત્રીજાતિનું અપમાન થતું હોય.

તીથલની એ શિબિરમાં બીજાં બહેનોની સાથે ભાવનગરનાં પ્રતિભાબહેન ઠક્કર પણ હાજર હતાં. વર્ષો પછી, ૨૦૧૫માં પ્રતિભાબહેને લેખિકાઓનું એક વૃંદ સ્થાપ્યું અને તેનું નામ આપ્યું ‘સ્ત્રીયાર્થ’. તેમાં ઘણી બહેનો ઉત્સાહભેર સામેલ થઈ. અત્યાર લગીમાં ‘સ્ત્રીયાર્થ’ વૃંદ તરફથી એ જ નામે કેટલાંક પ્રકાશનો પણ થયાં છે. ત્યારે એવો સવાલ સહજ થાય કે ૧૯૯૦માં ને ૧૯૯૮માં ‘સ્ત્રીયાર્થ’ શબ્દનો ઉગ્ર વિરોધ કરનારાં બહેનોનો ‘સ્ત્રીયાર્થ’ વિશે અભિપ્રાય હવે બદલાયો હશે કે અગાઉ એ શબ્દ કોઈ પુરુષ દ્વારા યોજાયો, તેની સામે વાંધો પડ્યો હશે સાચું કારણ તો ત્યારે વાંધો પાડનારાં અને હવે તે શબ્દનો ઉત્સાહભેર સ્વીકાર કરનારાં બહેનો જ કહી શકે.

રજનીકુમારે નીપજાવેલો શબ્દ ઝુંબેશના ભાગ રૂપે નહીં, સર્જકતાની અભિવ્યક્તિ રૂપે હતો. સમાનતાના ઊંચા આદર્શની દૃષ્ટિએ ઇચ્છનીય તો એ ગણાય કે પુરુષો ‘પુરુષાર્થ’ ન વાપરે, સ્ત્રીઓ ‘સ્ત્રીયાર્થ’ ન વાપરે અને બંને ‘મનુષ્યાર્થ’ જેવો કોઈ સર્વસામાન્ય શબ્દ અપનાવે — જેમ, ગુજરાતી ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ટૂંકા ગાળાના તંત્રી-અવતાર દરમિયાન, ‘નિરીક્ષક’તંત્રીએ મહિલાઓના આત્મકથાનકની કૉલમ માટે ‘પ્રથમ પુરુષ એકવચન’ને બદલે ‘પ્રથમ વ્યક્તિ એકવચન’ જેવું શીર્ષક પ્રયોજ્યું હતું. (તેમના મતે, વ્યાકરણની દૃષ્ટિએ સ્ત્રી+અર્થ = સ્ત્ર્યર્થ વધુ યોગ્ય ગણાય.)

પરંતુ મનુષ્યાર્થ જેવું કંઈ તો થાય ત્યારે ખરું. ત્યાં સુધી ‘સ્ત્રીયાર્થ’ના આરંભે આક્રમક અસ્વીકાર અને પછી ઉલ્લાસભેર સ્વીકાર પાછળનું રહસ્ય, કોઈ પણ ભાષાપ્રેમીને કે સમાજના પ્રવાહોના વિદ્યાર્થીને મૂંઝવે એવું નથી?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 24

Loading

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને ગિગ ઇકોનૉમી

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|1 February 2021

પ્રસ્તાવના

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે ભૌતિક (physical), ડિજિટલ અને જૈવિક (biological) જગતની સરહદો ભૂંસાઈ જવી તે. તેમાં કૃત્રિમ બુદ્ધિ (AI), રૉબોટિક્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, થ્રીડી છાપકામ, જનીન – ઇજનેરી, ક્વૉન્ટમ ગણતરી અને એવી બીજી ટેક્નોલૉજીથી થતા વ્યવહારોનો સમાવેશ થાય છે. આ ક્રાંતિથી આપણે જે રીતે જીવીએ છીએ, કામ કરીએ છીએ અને એકબીજા સાથે જે વ્યવહાર કરીએ છીએ તેમાં મૂળભૂત ફેરફારો આવે છે. માનવજાતે ભૂતકાળમાં કદી અનુભવ્યા ના હોય તેવા બહોળા પ્રમાણમાં જટિલ રીતે પરિવર્તન આવી રહ્યું છે. ખાનગી ક્ષેત્ર, સરકાર અને નાગરિકસમાજ ત્રણેયે તેનો સંકલિત અને સર્વગ્રાહી પ્રતિભાવ આપવો પડે તેમ છે.

પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિમાં પાણી અને વરાળની શક્તિનો ઉપયોગ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન માટે થયો. દ્વિતીય ઔદ્યોગિક ક્રાંતિમાં વીજળીનો ઉપયોગ ઉત્પાદન માટે થયો. તૃતીય ઔદ્યોગિક ક્રાંતિમાં વીજાણુ સાધનો અને માહિતી ટેક્નોલૉજીનો ઉપયોગ થયો. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ત્રીજી ક્રાંતિના પાયા પર ઊભી છે. ચોથી ક્રાંતિમાં અનેક પ્રકારની ટેક્નોલૉજી ભેગી થઈ છે કે જે ભૌતિક (physical), ડિજિટલ અને જૈવિક (biological) જગતની સરહદો ભૂંસી નાખે છે. આ ક્રાંતિએ ઝડપ, કાર્યાવકાશ અને વ્યવસ્થાઓ પર તેના પ્રભાવની બાબતમાં મોટી અસરો ઊભી કરી છે. નવી ટેક્નોલૉજી અને નવી ચીજો અગાઉ કરતાં અનેક ગણી ઝડપથી બજારમાં આવતી જ જાય છે. દરેક દેશમાં અને અર્થતંત્રના એકેએક ક્ષેત્રમાં તથા વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન, સંચાલન અને શાસનવ્યવસ્થામાં બહુ જ ઝડપથી તે વિક્ષેપ ઊભો કરે છે. 

મોબાઇલફોનથી કરોડો લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા છે, તેઓ માહિતી પર પ્રક્રિયા કરવાની, તેનો સંગ્રહ કરવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની અમર્યાદ તાકાત ધરાવે છે. ડ્રૉન, સ્વયંચાલિત કાર અને અનેક પ્રકારનાં સૉફ્‌ટવેર આવી ચૂક્યાં છે અને આવી રહ્યાં છે. આ બધું જ માનવજાતની સંસ્કૃતિ પર પ્રભાવ પાડે છે.

નવા સ્વરૂપના બજારમાં પડકારો અને તકો

ચોથી ઔદ્યોગિક ક્રાંતિથી વૈશ્વિક સ્તરે આવક વધી શકે છે અને જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. ગ્રાહકોને પોસાય તે ભાવે નવું ડિજિટલ જગત મળે છે, નવી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ થાય છે કે જે અંગત જીવનમાં કાર્યક્ષમતા અને ખુશાલી વધારે છે. અનેક વસ્તુઓ અને સેવાઓ ખરીદવાનું ડિજિટલ થઈ ગયું છે. બજારમાં જેમ માંગપક્ષે ફેરફાર થયો છે તેમ પુરવઠાપક્ષે પણ ફેરફર થઈ શકે છે. ભવિષ્યમાં પરિવહન અને સંચારકર્મનું ખર્ચ ઘટી શકે છે અને ઉત્પાદકતા વધી શકે છે તેમ જ આંતરાષ્ટ્રીય અને દેશીય વ્યાપાર માટે થતું ખર્ચ ઘટી શકે છે.

બીજી તરફ, અર્થશાસ્ત્રીઓ બ્રિન્જોલ્સન અને એન્ડ્રુ મેકાફી કહે છે તેમ ચોથી ઔદ્યોગિક ક્રાંતિને લીધે આર્થિક અસમાનતા વધી શકે છે, કારણ કે શ્રમબજારમાં તે વિક્ષેપ ઊભો કરે છે. દુનિયાભરમાં ઑટોમેશન વધી રહ્યું છે, તેથી મૂડીને મળતું વળતર વધે છે અને શ્રમને મળતું વળતર ઘટે છે; એટલું જ નહિ પણ તે બે વચ્ચેનો તફાવત વધતો જાય છે. જો કે, જે નોકરીઓ સલામત છે, તેમાં વળતર વધે છે. કોનામાં કેટલી પ્રતિભા ટેક્નોલૉજીના સંદર્ભમાં છે તેના પર બધો આધાર રહે છે. ઉત્પાદનમાં પણ મૂડી કરતાં વ્યક્તિગત પ્રતિભાનું મહત્ત્વ વધી જાય એમ બને. ઓછી કુશળતા અને ઓછો પગાર તથા વધુ કુશળતા અને વધુ પગાર – એવી રીતે બે ભાગમાં શ્રમનું બજાર વહેંચાઈ જાય એમ બની રહ્યું છે. તેનાથી સામાજિક તનાવો વધશે.

નિષ્ણાતો એમ કહે છે કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં બૌદ્ધિક અને ભૌતિક મૂડી જેની પાસે છે, તેવા સંશોધકો, શૅરધારકો અને શોધકોને સૌથી વધુ લાભ થશે. તેને લીધે જ અસમાનતા વધી શકે છે. જેઓ મોટે ભાગે શારીરિક શ્રમ પર આધાર રાખે છે, તેઓ સમાજમાં નીચલી પાયરી પર જ રહેશે. અત્યંત કુશળતા ધરાવતા લોકોની માંગ વધારે છે અને ઓછી કુશળતા ધરાવતા લોકોની માંગ ઓછી છે. ધનવાન દેશોમાં પણ અસમાનતા વધી રહી છે તેનું કારણ એ જ છે. કામદારોની વાસ્તવિક આવક લગભગ સ્થિર થઈ રહી છે અને તેથી તેમનામાં ભારે અસંતોષની લાગણી જન્મી છે. દુનિયાની ૩૦ ટકા વસ્તી સામાજિક માધ્યમોનો ઉપયોગ કરે છે અને કામદારોનો અસંતોષ તેમાં છતો થાય છે. તેઓ માહિતીની આપલે કરે છે અને એકબીજાના સંપર્કમાં રહે છે. આને પરિણામે સંસ્કૃતિઓનું આદાનપ્રદાન વધ્યું છે, એકબીજા વિશેની જાણકારી વધી છે. જે ઝડપે નવી નવી શોધો થઈ રહી છે, નવી-નવી વસ્તુઓ બજારમાં આવી રહી છે અને તેને લીધે જે વિક્ષેપો ઊભા થઈ રહ્યા છે, તે સમજવાનું અને કે તેમની ધારણા કરવાનું પણ અઘરું થઈ પડ્યું છે. એ બધાની વેપારધંધાઓ પર મોટી અસર થઈ રહી છે.

સંશોધન અને વિકાસ, ખરીદ-વેચાણ અને વિતરણ માટેનાં ડિજિટલ પ્લૅટફૉર્મ વધી ગયાં છે અને ગુણવત્તા, ગતિ અને ભાવ પર તે અસર કરી રહ્યાં છે. ગ્રાહકોનું વર્તન બદલાઈ રહ્યું છે અને તેઓ તેમને સામાજિક માધ્યમો પર મળતી માહિતી પર વિશેષ આધાર રાખતા થયા છે. તે મુજબ વસ્તુઓ અને સેવાઓની ડિઝાઇન અને બજાર ગોઠવાય છે. આમ, ગ્રાહકોની અપેક્ષાઓ, ઉત્પાદનમાં વધારો, સહયોગી સંશોધન અને સંગઠનોનું સ્વરૂપ એ બધા ઉપર આ નવી ડિજિટલ ટેક્નોલૉજીની અસર થઈ રહી છે. ગ્રાહકો વધુ માહિતગાર બની રહ્યા છે, કારણ કે દરેક વસ્તુ કે સેવામાં નવું ડિજિટલ તત્ત્વ ઉમેરાયું છે. વ્યક્તિગત પ્રતિભા, સંસ્કૃતિ અને સંગઠનની વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. તેને લીધે જ કંપનીઓના સંગઠનમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. ઘરે બેઠા-બેઠા ઑફિસનું કામ કરવાની શક્યતાઓ વધે છે અને એ રીતે જાણે કે ઔપચારિક સંગઠનની આવશ્યકતા જ ઘટી જાય છે.

સરકારો પરની અસરો

ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં સરકારો પર મોટી અસરો નીચેની રીતે પડી રહી છે અથવા પડી શકે છે :

(૧) સરકારો માટે લોકો પર નિગરાની રાખવાનું બહુ સરળ બની ગયું છે. કારણ કે ડિજિટલ વ્યવહારોને લીધે સર્વેલન્સ વધી શકે છે અને માળખાગત સવલતો પર સરકારનો અંકુશ પણ વધી શકે છે. તેથી પોલીસ-રાજ ઊભું થવાની શક્યતાઓ વધી જાય છે. આ રીતે સરકારોમાં સરમુખત્યારી વલણોને વેગ મળે એમ પણ બને. લોકશાહી દેશોમાં પણ સરકારો વધુ ને વધુ સરમુખત્યાર વલણો અખત્યાર કરે એમ બની શકે છે.  

(૨) બીજી તરફ, નવી ટેક્નોલૉજી સરકારમાં લોકોની ભાગીદારી વધી શકે છે. સરકારે આ ભાગીદારી વધારવા માટે પ્રયાસ કરવો પડે અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડે. અમેરિકન પત્રકાર અને લેખક એલ્વિન ટોફ્‌લર દ્વારા ૧૯૮૦માં લખાયેલા પુસ્તક ‘The Third Wave’માં સેટેલાઇટ ટેક્નોલૉજી સાથે મહાત્મા ગાંધીનો વિકેન્દ્રિત સમાજ કેવી રીતે શક્ય બની શકે તેમ છે, તેની છણાવટ કરવામાં આવી છે. સરકારની નિર્ણયપ્રક્રિયામાં અને કાયદાના કે નિયમોના ઘડતરમાં લોકોની સામેલગીરી કેવી રીતે વધારવી તેના રસ્તા ડિજિટલ ટેકનોલૉજીને લીધે વધુ ખૂલી ગયા છે. સત્તાનું વિકેન્દ્રીકરણ આ રીતે શક્ય છે.

(૩) સામાજિક માધ્યમોએ લોકશાહીને વધુ વિકેન્દ્રિત કરી છે. દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય અન્ય અનેક લોકો સુધી પહોંચાડી શકે છે કે જે અગાઉ અશક્ય હતું. સરકારોએ પણ આ અભિપ્રાયોને ધ્યાનમાં લેવા પડે છે. 

(૪) સરકારની યોજનાઓનો અમલ સારી રીતે થાય તેમાં સરળતા ઊભી થાય છે અને લાભાર્થીઓની સાચી ઓળખ શક્ય બને છે.

(૫) સરકાર વિશેની માહિતી બહુ ઝડપથી લોકો સુધી પહોંચે છે અને તેથી વધુ પારદર્શિતા ઊભી થાય છે. સરકારોએ બહુ ઝડપથી નવી ટેક્નોલૉજીને અપનાવવી પડે છે અને તેથી પણ પારદર્શિતા વધવી સંભવ બને છે. જો સરકારો આધુનિક ના બને તો તેમને લોકોના અસંતોષના ભોગ બનવું પડે છે. તેને માટે સરકારોએ નાગરિકસમાજ અને ઉદ્યોગ – જગત સાથે વધુ સંપર્કમાં રહેવું પડે છે.

(૬) રાજ્યની અને લોકોની સલામતીના ખ્યાલમાં સાયબર-સલામતીનો ખ્યાલ પ્રવેશ્યો છે. યુદ્ધ અને તેની સાથે સંબંધિત વ્યૂહરચનાઓમાં પણ સાયબર-સલામતી અને સાયબર-હુમલાના ખ્યાલો વધુ મજબૂત બનતા જાય છે.

લોકો પરની અસરો

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આપણે બજારમાં ગ્રાહક તરીકે અને રાજ્યમાં નાગરિક તરીકે શું કરીએ છીએ તેને જ બદલે છે, એવું નથી પણ આપણે ખરેખર શું છીએ તેને વિશેના ખ્યાલો પણ બદલે છે. તે આપણી ઓળખ અને તેની સાથે જોડાયેલા પ્રશ્નોને પણ અસર કરે છે. અંગતતા વિશેના ખ્યાલો અને તેના અધિકારોને પણ તે બાબત સ્પર્શે છે. કામ કરવાની શૈલી તથા પદ્ધતિ, ચીજવસ્તુઓના વપરાશની તરાહ, આરામ માટેનો સમય કેવી રીતે વિતાવીએ છીએ તે, આપણી કારકિર્દી ઘડવાની અને કુશળતા વિકસાવવાની તૈયારી, લોકોને મળવાની અને લોકો સાથે સંપર્કમાં રહેવાની તથા સંબંધો નિભાવવાની આપણી ઇચ્છા અને શૈલી વગેરે તમામ બાબતોને એ અસર કરે છે. આપણા આરોગ્ય ઉપર અને બીમારીમાં થતી સારવાર ઉપર પણ આ નવી ટેક્નોલૉજી અસર કરે છે. આયુષ્ય, આરોગ્ય, બોધાત્મક અને શારીરિક ક્ષમતા વગેરે બદલાય છે અને તેથી નૈતિકતાના ખ્યાલો બદલાય છે.

પરસ્પર હળવામળવાની આપણી રીતો અને સહકાર સાધવાની આપણી જીવનશૈલી ઉપર તે અસર કરે જ છે. ચિંતન અને મનન જાણે કે દૂરની અને અલભ્ય ચીજો બની જાય છે. પ્રેમ અને લાગણીઓને તે ટેક્નિકલ બનાવે છે અને સાથે સાથે વિશ્વાસભંગ કરવો અને દગો દેવો એ સામાન્ય ઘટના બની જાય છે, કારણ કે માનવસંબંધો અવૈયક્તિક બને છે. મનુષ્યો વધુ ને વધુ ક્રૂર અને ઘાતકી બની રહ્યા છે કે શું? તેથી જુઠ્ઠાણાં પર અપાર વિશ્વાસ કરવો, અસત્ય આચરનારની ભક્તિ કરવી અને તેને આધારે પોતાની જિંદગીને આકાર આપવો એ સામાન્ય બાબત બની ગઈ છે. પ્રેમ અને દગો બંને ટેક્નિકલ બની ગયાં છે. 

કદાચ સૌથી મહત્ત્વનો પ્રશ્ન અંગતતાના અધિકાર(right to privacy)નો છે. આપણા પોતાના વિશેની માહિતી પર આપણો પોતાનો કોઈ અંકુશ રહ્યો નથી અને રાજ્ય એની કોઈ ખાતરી આપવા માટે પણ મોટે ભાગે તૈયાર નથી. રાજ્ય જ વ્યક્તિઓ પર નિગરાની રાખે છે અને જાસૂસી કરે છે એવું નથી પણ માહિતી ટેક્નોલૉજીએ ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે પણ બીજા લોકોની જાસૂસી કરવાનું શક્ય બનાવી દીધું છે. સરકારી કે ખાનગી રાહે ફોન હેકિંગ એ જાણે કે સામાન્ય બાબત બની ગઈ છે. તેને પરિણામે લોકોમાં ડર જન્મે છે અને તેઓ પોતે સ્વતંત્રતા ભોગવી શકતા નથી.

બજાર આ નવી ટેક્નોલૉજીથી અસમાનતા વધારે તો રાજ્ય તે દૂર કરવા માટે પ્રયાસ કરવો પડે. ટેક્નોલૉજી માણસ માટે છે, માણસ ટેક્નોલૉજી માટે નથી એ ત્યારે જ સમજાય કે જ્યારે આપણે ટેકનોલૉજીને માનવમૂલ્યોની દૃષ્ટિએ તટસ્થ ના સમજીએ. જોખમો અને તકોથી ભરપૂર એવી આ નવી ટેક્નોલૉજી જો માનવ-અધિકારોને મહત્ત્વ ના આપે તો તે વધુ ને વધુ અસમાનતા, અન્યાય અને પર્યાવરણનું ધોવાણ સર્જશે તથા તે નાનાં કે મોટાં વિનાશક યુદ્ધો તરફ દોરી જશે.

જો કે, એવી કોઈ ટેક્નોલૉજી હોઈ શકે નહિ કે જેના પર મનુષ્યનો અંકુશ ના હોય કે અંકુશ ના રહી શકે. ટેક્નોલૉજી પેદા કરનાર મનુષ્ય છે અને મનુષ્ય જ તેનાથી અંકુશિત થઈ જાય તે તો તેની ઇચ્છા વિના શક્ય ના બને. એટલે રાજ્યમાં નાગરિકો તરીકે તથા બજારમાં ગ્રાહકો અને રોકાણકારો તરીકે જે નિર્ણયો આપણે લઈશું, અને સમાજમાં માનવસંબંધો અંગે જે વ્યવહાર કરીશું તે જ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં મનુષ્યની જીવનશૈલીને નક્કી કરશે.

ગિગ ઇકોનૉમી

‘ગિગ ઇકોનૉમી’ શબ્દસમૂહ સામાન્ય રીતે એવી કાર્યસ્થિતિ માટે વાપરવામાં આવે છે કે જેમાં મજૂરો કે કર્મચારીઓ કોઈક કંપની, સંગઠન કે સરકાર માટે ટૂંકા ગાળા માટે કામ કરે છે કે હંગામી કરાર પર કામ કરે છે. ડિજિટલ અર્થતંત્રમાં દરેક વ્યક્તિ સાથે કામ માટે સ્વતંત્ર કરાર કરવા એ કંપનીઓ માટે સામાન્ય બાબત બની ગઈ છે. ટેક્નોલૉજી પ્લૅટફૉર્મ્સ પર આ ‘ગિગ ઇકોનૉમી’ વધુ કામ કરે છે. આમ, ‘ગિગ ઇકોનૉમી’માં કામનું સ્વરૂપ બદલાઈ ગયું છે અને કામનું પરંપરાગત સ્વરૂપ પરિવર્તન પામ્યું છે. એક અભ્યાસ એમ કહે છે કે અમેરિકામાં ૨૦૨૦ સુધીમાં ૪૩ ટકા કામદારો કે કર્મચારીઓ આ રીતે કરાર આધારિત ટૂંકા સમયનું સ્વતંત્ર કામ કરનારા હશે. યુરોપીય સંઘના ૧૪ દેશોમાં ૨૦૧૭માં ૯.૭ ટકા કામદારો આ રીતે કરાર પર જુદું-જુદું કામ કરીને આવક રળતા હતા. દુનિયાના અનેક દેશોમાં ડિજિટલ અર્થતંત્રને પરિણામે આ પદ્ધતિ દાખલ થઈ રહી છે. દરેક વ્યક્તિને તેનું નિશ્ચિત કામ સોંપવામાં આવે છે અને તે કામપૂરતું જ તે વ્યક્તિ જે-તે સંગઠન કે કંપની કે સરકાર સાથે જોડાય છે. ‘ગિગ’નો અર્થ છે વ્યક્તિગત કામ કે સોંપવામાં આવેલું કામ. ‘ગિગ ઇકોનૉમી’નાં લક્ષણો નીચે મુજબ છે :

(૧) મજૂરો કે કર્મચારીઓ ક્યાં ય કોઈ આર્થિક સાહસ કે એકમમાં કાયમી ધોરણે કામ કરતા નથી. બધે જ કરાર આધારિત કામથી જ જોડાય છે.

(૨) વ્યક્તિની કુલ આવકમાં કોઈ એક કામમાંથી થતી આવકનો ફાળો નજીવો હોય છે. આવાં નાનાં નાનાં અનેક કામો કરીને વ્યક્તિ તેની આવક રળે છે કે જે તેની કાયમી નોકરીના કામમાંથી મળતી આવક જેટલી થઈ જાય કે ના પણ થાય.

(૩) કંપનીઓને કાયમી કર્મચારી તરીકેના લાભ વ્યક્તિને આપવા પડતા નથી. એટલે કે સાપ્તાહિક રજા, પ્રોવિડન્ટફંડની કપાત, ઈજાના સંદર્ભમાં વળતર કે પેન્શન જેવા કોઈ પણ લાભ કામદારને આપવામાંથી કંપનીને મુક્તિ મળે છે. પરિણામે કંપનીનું વહીવટી કામ ઘટી જાય છે. કંપનીનો નફો વધવાની સંભાવના પણ તેથી વધી જાય છે.

(૪) વ્યક્તિને કામમાં લવચીકતા મળે છે, તે પોતાની ઇચ્છા અને સમય અનુસાર કામ મેળવે છે અને પોતાને અનુકૂળ હોય તે સમયે કામ કરે છે. કામ દિવસના કયા સમયે કરવું તે વ્યક્તિ જાતે નક્કી કરે છે. જેઓ સ્વતંત્ર રીતે કામ કરવા માગે છે, તેમને આ વ્યવસ્થા વધુ અનુકૂળ આવે છે. જો કે, વ્યક્તિએ જુદાં-જુદાં કામો વચ્ચે સંકલન કરવું પડે છે અને બધાં કામો સમયસર પૂરાં થાય તે માટે ધ્યાન આપવું પડે છે.

(૫) કરારમાં નિશ્ચિત કરેલા કામ માટે નિશ્ચિત કરેલી રકમ કામદારને કે કર્મચારીને કંપની તરફથી મળે છે.

(૬) આવકમાંથી વેરો ચૂકવવાની જવાબદારી વ્યક્તિની પોતાની હોય છે. કંપની કે કોઈ આર્થિક એકમ તે જવાબદારી લેતાં નથી.

(૭) જ્યારે કોઈ કર્મચારી કે કામદાર કોઈક સંગઠન સાથે કાયમી ધોરણે જોડાતા નથી, ત્યારે તેમની સંગઠન પ્રત્યે કોઈ જવાબદારીની ભાવના પેદા થતી નથી કે તેમની કોઈ વફાદારી પણ પેદા થતી નથી.

(૮) કોઈ પણ કંપની કોઈ કામદાર પર અમુક કામ કરવા માટે ફરજ પાડી શકતી નથી. કામદારને તે કામ અનુકૂળ હોય તો જ તે કામ કરવાનું સ્વીકારે છે.

(૯) કોઈ પણ કંપની કે સંગઠન કે સરકાર  કોઈ પણ નિષ્ણાત વ્યક્તિ પાસેથી ગમે ત્યારે કરાર આધારિત કામ લઈ શકે છે. તેને લીધે ખર્ચ ઘટે છે અને છતાં કુશળ વ્યક્તિની સેવાઓ પ્રાપ્ત થાય છે.

(૧૦) કામની ઝડપ વધે છે. વસ્તુઓ અને સેવાઓ ઝડપથી ઉત્પન્ન થાય છે અને કાર્યક્ષમતાથી એટલે કે ઓછા ખર્ચે પેદા થાય છે. 

(૧૧) ‘ગિગ ઇકોનૉમી’માં કામદાર કે કર્મચારી માટે કામની કોઈ સલામતી નથી, તેથી તેના માથે સતત અસલામતીની તલવાર લટકતી રહે છે. પણ કોઈક કામ બંધ થાય, તો કોઈક કામ ચાલુ રહે છે અથવા નવું કામ મળે છે અને તેથી બધી આવક ગુમાવવાનો વારો આવતો નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 20-22

Loading

રાજધાનીમાં ૨૬મી જાન્યુઆરી, એક રિપોર્તાજ

કુમાર પ્રશાંત|Opinion - Opinion|31 January 2021

આઝાદી પછી આ પહેલો ગણતંત્ર દિવસ હતો જ્યારે રાજધાની દિલ્હીમાં બે પરેડ થઈ – એક હરહંમેશ થતી સરકારી પરેડ, બીજી કિસાનોની ટ્રૅક્ટર પરેડ. કોણે ધાર્યું ‘તું કે ૭૨મા ગણતંત્ર દિવસ સુધી પહોંચતાં પહોંચતાં દેશ આ રીતે વહેંચાયેલો માલૂમ પડશે? આજે તે કિસાનો અને બિનકિસાનોમાં જ નહીં, પક્ષ અને વિપક્ષમાં જ નહીં, લોક અને તંત્ર વચ્ચે જ નહીં, તનમનથી એટએટલે ઠેકાણે વહેંચાયેલ છે કે તમે એનો વિચાર કરતાં ગભરામણ અનુભવવા લાગો. તિરંગો પણ એક નથી રહ્યો. જો એ એક રહ્યો હોય તો કોઈ બીજા ઝંડા લઈ લાલ કિલ્લા પર ચડવાની જરૂરત જ કેમ પડી?

આઈ.ટી.ઓ. ચાર રસ્તે ઉત્તર પ્રદેશના ભાવાવેશથી કાંપતા કિસાન સતનામસિંહે આ સ્તો કહેવાની કોશિશ કરી હતી : “તમે જ કહો, જો આ ગણતંત્ર કહેવાતું હોય તો ક્યાં છે ગણ? અમને અમારી રાજધાનીમાં રોકનારા કોણ છો તમે? અમે જ તમને બનાવ્યા છે, આવતી કાલે અમે જ કોઈ બીજાને બનાવીશું તો તમે તો નહીં રહો, પણ અમે તો હોઈશું જ. તમે અમારા અસ્તિત્વને જ નકારવા ચાહો છો? … તમે અમને બેરોકટોક આવવા દીધા હોત તો આવો ઉત્પાત થાત જ શેનો. અમે જો અહીં બેરોકટોક પહોંચી ગયા હોત તો વિમાસણમાં જ પડી ગયા હોત કે અહીં આવીને કરવું શું ? અહીં પહોંચીને અમે કરીકરીને એવું તો શું કરી લેવાના હતા? પણ તમે તો અમને રોકીને, અમારાં ટ્રૅક્ટર તોડીને, અમારી ગાડીઓના કાચ ચૂરચૂર કરીને, અમારા પર લાઠીઓ વરસાવીને, અમને વળતાં એવાં કામ ઝલાવી દીધાં જેને માટે હવે તમે અમારી વિરુદ્ધ પ્રચાર કરાવી રહ્યા છો!” ભાવુક થઈ સતનામસિંહ બોલતા રહ્યા : “ઉત્તર પ્રદેશમાં હિંદુઓ અને શીખો વચ્ચે ફાટ પાડવામાં તમે કશું બાકી નથી રાખ્યું. હિંદુઓના મનમાં એવું ઝેર રેડવાની કોશિશ કરી કે કિસાન આંદોલનનું ઓઠું લઈ અમે ખાલીસ્તાન બનાવીશું. અમે તો હિંદુ ભાઈઓને લાખ લાખ ધન્યવાદ દઈએ છીએ કે એમણે આ ઝેરને ચિત્તમાં સ્થાન નથી આપ્યું. ખરેખર તો આંદોલનની સૌથી મોટી તાકાત જ એ છે કે હિંદુ-શીખ-મુસ્લિમ-પારસી-દલિત સૌને એણે જોડ્યા છે અને એક મંચ પર આણ્યા છે. ભૈસાબ, હું કહું છું કે અમારાં મક્કા-મદીના, કાબા-કૈલાસ, ખાલીસ્તાન બધું આ હિંદુસ્તાન છે. અમે ન તો એ સિવાય કશું ઈચ્છીએ છીએ, ન તો કશું માંગીએ છીએ.”

કિસાન સંગઠનોએ સમાંતર ટ્રૅક્ટર રેલીની જાહેરાત કરી હતી અને ભારે સાવધાનીપૂર્વક એ માટેની તૈયારી પણ કરી હતી. પણ એમને ય એવો અંદાજ નહોતો કે કેટલા કિસાન, કેટલાં ટ્રૅક્ટર સાથે આવી લાગશે. સરકારને પણ અંદાજ નહોતો કે કિસાન આંદોલનનાં મૂળિયાં કઈ હદે ઊંડે ગયેલાં છે. એટલે આંદોલન અને સરકાર બેઉ ગણતંત્ર દિવસની સવારે આંખો ચોળતાં ઊઠ્યાં તો સૂરજ માથે ચડી ગયો હતો. દિલ્હી-ગાઝીપુર સીમાએ એકત્ર થયેલ કિસાન જમાવડો દિલ્હી પોલીસ સાથેની સમજૂતી તોડીને નીકળી પડ્યો હતો. એણે ન તો નિર્ધારિત સમયનું પાલન કર્યું, ન તો નિર્ધારિત રસ્તાનું. ને સીધો દિલ્હી ભણી વળી ગયો. એક ટોળી આમ વળી ગઈ તો બીજી ટોળીઓએ પણ વગર વિચાર્યે એમ કર્યું … આનેસ્તો ભીડ કહે છે ને!

જેને ટ્રૅક્ટરોનો કાફલો કહેવાય છે તે શું ને કેવો હશે એનો કોઈ પૂર્વાનુભવ ન તો કિસાનોને હતો, ન તો પોલીસોને. કિસાનોએ બે-ચાર-દસ ટ્રૅક્ટરોને ખેતરમાં જતાં જોયાં હોય તો હોય; અને પોલીસ બચાડી મહાનુભાવોના કાર કાફલાને જાણતી હોય. એટલે જ્યારે કિસાનોની ટ્રૅકટર રેલી દિલ્હીની સીમમાં દાખલ થઈ તો પોલીસ અધિકારીઓના ચહેરા પર અચરજ અને અવિશ્વાસ સિવાય કોઈ ખાસ ભાવ પણ નહોતો. ટ્રૅક્ટર તો શું, માનસિકતાની રીતે મીની ટૅંક જ કહોને, રસ્તા પર ચાલી રહ્યાં હતાં. રસ્તા પરનાં બેરિકેડ એવી રીતે ખડી રહ્યાં હતાં, જાણે કે પત્તાં. પોલીસે ખડા કરેલ અવરોધની આવી અવમાનના મીડિયાબંધુઓને બહુ વાગી અને એમણે એના પર એક સંદર્ભહીન પણ તીખી ટિપ્પણી કરી. મને તો રાજધાનીમાં આવી હર કોઈ ઘેરાબંધી હંમેશ કઠતી રહી છે, અને ગોબરી લાગતી રહી છે. આ વખતે કિસાનોએ તે તોડી પાડી એટલું જ નહીં પોલીસ ખાતાનો એ ભ્રમ પણ તોડી નાખ્યો કે પોલીસે ઊભો કરેલ અવરોધ અનુલ્લંઘ્ય જ હોય. લોખંડી રૂકાવટ હો કે કાનૂની, કોઈ પણ અવરોધ ત્યાં લગી જ મજબૂત રહી શકે છે અને એટલા જ મજબૂત હોય છે જ્યાં લગી લોક એને સ્વીકારે છે. એકવાર અવરોધ નકારી દીધો તો લોક એવરેસ્ટ પણ સર કરી શકે છે. સરકાર અને સંબંધિત સૌ  આ સંદેશ યાદ રાખી શકે તો ગણ અને તંત્ર બેઉનું હિત થશે.

જો કે દિલ્હીના હૃદયસ્થળ રૂપ આઈ.ટી.ઓ. લગી પહોંચ્યા પછી રાજપથ અને લાલ કિલ્લે પૂગવા સારુ ખેડૂતોએ અને એમના ટ્રૅક્ટરોએ આંખ મીંચીને જે દોટ મેલી તે શરમજનક જ નહીં બેહદ ખતરનાક પણ હતી. કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના પર હતી તે પોલીસવાળાનું સંખ્યાબળ ને મનોબળ બેઉ ઓછાં હતાં. વળી નોકરિયાત અને આંદોલનકાર વચ્ચે મનોબળનો ફરક તો સાફ દેખાઈ આવતો હતો. સાચા આંકડા તો પોલીસ ખાતું જ આપી શકે પણ નાખી નજરે ૫૦૦-૭૦૦ આંદોલનકારોએ સરાસરી એક પોલીસ પણ કદાચ નહોતો.

સંખ્યા વચ્ચેની આ વિષમતા જોતાં પોલીસ કારવાઈ બેઅસર રહેવાનો સંભવ સાફ હતો. તેમ છતાં, અહીં એટલું પણ ઉમેરવું જોઈએ કે પોલીસ અધિકારીઓએ સંયમ જાળવીએ સમજદારીભર્યો ફેંસલો લીધો અને ઉન્મત્ત કિસાનોને ઠીકઠીક મનમાની કરવા દીધી. નહીં તો, આઈ.ટી.ઓ. ચોક ખાતે ગણતંત્ર દિવસ ૪ જૂન ૧૯૮૯ના રોજ બૈજિંગના ટાઈનામેન ચોકની યાદ આપતો બની રહ્યો હોત.

આનો અર્થ એ નથી કે જે હાલત રાજધાનીમાં પેદા થવા દેવાઈ તેની આપણે પ્રશંસા કરવી. ૨૦૨૦ના જૂન મહિનાથી કિસાન આંદોલન ઊંડા શ્વાસ ભરતું હતું અને છેલ્લા સાઠ દિવસથી એનું તાપમાન ગર્જનવત્‌ અનુભવાતું હતું. દિલ્હી પ્રવેશના સઘળા રસ્તા પર કિસાનોએ કિસાનનગરી વસાવી દીધી હતી : એક કિલ્લેબંધી સરકારી નિર્દેશ મુજબ પોલીસોએ કરી રાખી હતી તો બીજી કિસાનોએ. કોઈ પણ રાજધાની આ રીતે પ્રભાવહીન શાસકો અને નાસમજ વહીવટકારોને ભરોસે કેવી રીતે છોડી શકાય ?  સર્વોચ્ચ અદાલતે પણ, કેવી રીતે કામ લેવું તે પોલીસે નક્કી કરવાનું છે કહીને હાથ ઊંચા કરી દીધા હતા. ખબરદાર, તમે બંધારણીય મર્યાદા તોડી તો એટલું તો કમસેકમ કહેવું જ જોઈતું હતું. ગમે તેમ પણ, કિસાનો કોઈ પણ નિર્ણય લેવાની સરકારની અક્ષમતા સમજી ગયા હતા. વાતચીતનાં દસ રાઉન્ડ દરમિયાન એમણે જોઈ લીધું કે સરકાર પાસે કશી સૂઝ નથી. કોણે કોનું ખાધું, ન ખાધું, શું ખાધું, હવે આગલી બેઠક ક્યારે, એ સિવાય કશું આગળ ચાલ્યું નહીં. કિસાનોએ પહેલેથી છેલ્લે સુધી એક જ વાત કહી કે ત્રણે કાયદા પાછા લો અને અમને ઘરભેગા થવા દો. કાયદા પાછા નહીં ખેંચવા સબબ સરકાર પાસે કોઈ તર્ક નહોતો. વળી નકલી સંગઠનો આગળ કરવાની અને વડા પ્રધાન જાણે અલાદીનના જાદુઈ ચિરાગનો જીન હોય એવી છાપ આપવાની સત્તાવાર કોશિશ હતી.

પરિણામે ૨૬મીએ શું બન્યું? કિસાનોનો દિશાહીન જમાવડો અને એના પર લાઠી ને ટિયરગેસ વરસાવતી પોલીસ. કિસાનોએ પણ હાજર સો હથિયારની રીતે પોલીસ પર વળતો હુમલો કર્યો એ સાચું – પણ એવા કિસ્સા પણ વાસ્તવમાં આંગળીને વેઢે ગણાય એટલા જ હતા. મારપીટ થઈ, પોલીસ ગાડીઓના કાચ તૂટ્યા પણ ક્યાં ય બાળઝાળ ન થઈ, ગાડીઓ ન બળાઈ. સ્થળે સ્થળે એવા અનુભવી કિસાનો પણ મળી રહ્યા જે ઉન્મત્ત જુવાનોને વારતા હતા.

થાકેલા ને વળી ભરમાયેલા કિસાનોએ લાલકિલ્લા જતી સડકને કિનારે ટ્રૅક્ટરો ખડાં કરી દીધાં હતાં. સંગરુરથી આવેલા એક કિસાનને મેં પૂછ્યું : “શું થયું, ભાઈ! આવો તો કોઈ કાર્યક્રમ નહોતો!” એણે કહ્યું : “લાલ કિલ્લા પર ઝંડો લહેરાવવાનો તો કાર્યક્રમ હતો જ”. મેં કહ્યું કે હું જાણું છું ત્યાં સુધી તો શહેરમાં પ્રવેશ નહીં કરવાનો ને શાંતિથી નિશ્ચિત સ્થળે પણ ફરવાનો કાર્યક્રમ હતો. એવું ન કરી આંદોલને પોતાના પગ પર કુહાડી મારી છે. મારી આ ટિપ્પણી પર સામાન્ય સંજોગોમાં આક્રમક પ્રતિભાવ અપેક્ષિત હતો પણ એણે મારી વાત શાંતિથી સાંભળી લીધી. ભલે એ બોલ્યો કશું નહીં પણ સહમતિમાં માથુયે હલાવતો રહ્યો.

ગાઝીપુરના કિસાન જમાવડાનું એક જૂથ જેને સતનામસિંહ પન્નુ જૂથ કહેવાતું હતું તેમ જ દીપ સિધ્ધુ જેવા એકબે જૂથ જ જુદો રાગ આલાપતા હતા. આ એક મોટી ભૂલ થઈ એમ જ કહેવું જોઈશે, કેમ કે સંયુક્ત કિસાન મોરચાએ એમને પોતાનાથી અલગ વિધિવત્‌ જાહેર નહોતા કર્યા. અલબત્ત આ જૂથો પણ એટલાં તો પ્રામાણિક હતાં જ કે એમણે કિસાન મોરચા સાથેની પોતાની અસહમતિ છુપાવી નહોતી. પોલીસ સાથેની સમજૂતી પણ એમને કબૂલ નહોતી. એમણે આંદોલન અને પોલીસ બેઉને કહી દીધું હતું કે અમે બંધાયેલા નથી : “અમે ૨૬મીએ દિલ્હીમાં પ્રવેશીશું અને લાલ કિલ્લા જઈશું.” સંયુક્ત કિસાન મોરચાએ એમની આ રૂખની ખબર દેશને આપવી જોઈતી હતી અને પોલીસને પણ લેખી જાણ કરવી જોઈતી હતી. આમ ન થયું તે આંદોલનની ભૂલ હતી.

પ્રશાસનની ભૂલ એ થઈ કે એણે ૨૬મીના કાર્યક્રમ સાથે કામ પાડવાની કોઈ અલગ યોજના બનાવી નહોતી. એવું તો નથીને કે આંદોલનકારીઓ અને સરકાર બેઉના મનમાં ચોર હતો કે અલગ પડતા જૂથને પરિણામે આપણે ‘ક્લિક’ થઈ જઈશું – કાં તો આંદોલન ‘સફળ’ થશે કે પછી પોલીસ!

૨૬મીએ બધી ચેનલોએ અને છાપાંએ કહેવુંલખવું શરૂ કરી દીધું કે આંદોલન ભટકી ગયું છે. એનો ખરો ચહેરો ખુલ્લો પડી ગયો છે. ૨૭મીએ પણ આ વાજાં ચાલુ રહ્યાં. પણ કોઈને એટલું કહેવું કે લખવું ઠીક ન લાગ્યું કે દુનિયાભરમાં ‘ક્રાંતિ’ આમ જ થતી આવી છે. રક્ત નહીં તો ક્રાંતિ કેવી ? ફ્રાન્સ ને રશિયાની ક્રાંતિઓનાં ગીત ગવાય છે પણ એમાંયે શું થયું હતું? એ તો ગાંધીએ આવીને આપણને બીજો રસ્તો બતાવ્યો. એટલે સ્તો કિસાન આંદોલનની ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી શૈલી અંગે આપણને પ્રશ્ન રહે છે. પણ જો ગાંધીની જ કસોટી પ્રિય હોય તો સરકાર અને એના સમર્થકો પોતાને એ કસોટીએ કેમ નથી મૂલવતા? સૌથી પહેલાં શરદ પવારે આ સમગ્ર ચિત્ર આપણી સામે મૂક્યું અને કહ્યું કે જે બન્યું એની જવાબદારી સરકારની છે. ગાંધીએ એકથી વધુ વાર અંગ્રેજોને કહ્યું હતું કે જનતાને હિંસા વાસ્તે મજબૂર કરવાના અપરાધી આપ છો.

લાલ કિલ્લા પર ખાલસા પંથનો ઝંડો લગાવાયો એ ખોટું જ થયું. કાં તો એ કોઈની નાદાની હતી કે પછી કોઈ એજન્ટની ચાલ, જે પણ હોય, આંદોલને પૂરી તપાસ અને જવાબદારી સાથે આ મુદ્દે બહાર આવવું જોઈએ. જો કે આ ઝંડો (નિશાન સાહેબ) લગાવાતો હતો ત્યારે નીચેના કિસાન સમુદાયમાંથી એનો વિરોધ કરનારાઓ પણ સ્પષ્ટ જણાઈ આવતા હતા. એક ગાઝીપુર સરહદ બાદ કરતાં બાકી બધા કિસાન જથ્થા શાંતિમય ને નિયમબદ્ધ પેશ આવ્યા. દેશમાં અન્યત્ર પણ એના સમર્થનમાં યોજાયેલ કાર્યક્રમો શાંતિમય રહ્યા. શું કિસાન આંદોલનને આપણે એ માટે શ્રેય નહીં આપીએ?

આ નોંધ લખાઈ રહી છે ત્યારે સડકો સૂની છે. અહીં તહીં કોઈ ટ્રૅક્ટર પડ્યાં હોય તો ભલે. સડકો પર લાઠી ને હથિયારધારી પોલીસનો કબજો છે. ફ્લૅગ માર્ચ જારી છે … જીવનનો પ્રાણવાયુ નહીં પણ આંતકની હવા!

૨૭-૧-૨૦૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 01-02 તેમ જ 17 

Loading

...102030...2,0772,0782,0792,080...2,0902,1002,110...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved