Opinion Magazine
Number of visits: 9964793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તે સમયે ભારતમાં શાસન અને શાસનવ્યવસ્થા હતાં જ નહીં

રમેશ ઓઝા|Opinion - Opinion|21 March 2021

ભારતનાં બંધારણનું ઘડતર પ્રમાણમાં આસાનીથી થઈ શક્યું એનાં કારણો બતાવતાં આગળના લેખમાં આપણે બે કારણોની વાત કરી હતી. એક તો એ કે ભારતમાં ક્યારે ય અખિલ ભારતીય શાસનવ્યવસ્થા જ નહોતી એટલે અંગ્રેજોને જૂનું હટાવીને નવું દાખલ કરવાપણું હતું નહીં. આને કારણે પ્રજાના વિરોધનો પણ સામનો નહોતો કરવો પડ્યો. બીજું કારણ એ કે ભારતની પ્રજા મહદ્દ અંશે રાજકીય કરતાં સામાજિક ધારાધોરણો દ્વારા શાસિત હતી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં રાજ્યતંત્ર કરતાં સમાજતંત્ર વધારે પ્રભાવી હતું અને એનું જ શાસન હતું. પ્રજાને રાજાનો ડર ઓછો લાગતો હતો, જ્ઞાતિની પંચાયતોનો ડર વધુ લાગતો હતો. આમાં ગ્રામીણ ભારત તો લગભગ રાજ્યશાસનથી મુક્ત હતું.

અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા ત્યારે તરત તેમને આ વાત સમજાઈ ગઈ હતી. પહેલાં તો તેમને લાગ્યું હતું કે ભારતમાં કોઈ એક ચક્રવર્તી રાજા હશે, એની આખા દેશ ઉપર આણ હશે, એક જ સ્થાનેથી આખા દેશ ઉપર શાસન ચાલતું હશે, ઉપરથી નીચે સુધીનો વહીવટીતંત્રનો પીરામીડ હશે, એક સરખા કાયદા હશે, એક સરખી ન્યાયવ્યવસ્થા હશે, વેપાર-ધંધાના ધારાધોરણ હશે, રાજ્ય વેપારીઓને ચોર લૂંટારા અને ચાંચિયાઓ સામે સુરક્ષા પૂરી પાડતું હશે અને સામે વેરા લેતું હશે, વગેરે વગેરે. પણ પછી થોડા સમયમાં જ તેમને સમજાઈ ગયું હતું કે આ દેશમાં શાસન અને શાસનવ્યવસ્થા છે જ નહીં અને જે છે એ વ્યક્તિસાપેક્ષ અને સમાજસાપેક્ષ છે.

પેલી બાજુ ઇંગ્લેંડમાં કાયદાનું રાજ જરા વધારે પડતું આગ્રહી હતું. અંગ્રેજો બે પ્રકારની લાક્ષણીકતા ધરાવતી પ્રજા છે. એક કાયદા માટેનું વળગણ. તેઓ જે કાંઈ કરે એ કાયદેસર કરે પછી શોષણ અને લૂંટ કેમ ન હોય! બીજી લાક્ષણિકતા રેકોર્ડ રાખવાની ચીવટ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કે તેના અમલદારોએ ભારતમાં જેટલાં કુકર્મો કર્યાં છે એમાંના મોટાભાગના નોંધાયેલા છે. કાયદાના રાજ માટેના આગ્રહના કારણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ધંધો કરવાનો બ્રિટિશ સરકાર પાસેથી પરવાનો લેવો પડ્યો હતો, એ પરવાનો બાંધેલી મુદ્દતનો હતો. મુદ્દત પૂરી થયે નવો પરવાનો લેવો પડતો હતો. કંપની ઉપર સરકાર નજર રાખતી હતી અને પરવાનાની મુદ્દત વધારતી વખતે કંપનીના કામકાજનું અને વ્યવહારનું મૂલ્યાંકન થતું હતું અને તે ત્યાં સુધી કે આમ અને ઉમરાવની સભામાં ચર્ચા થતી હતી.

આ સ્થિતિમાં કંપનીને જવાબદાર વહીવટીતંત્ર વિના ચાલે એમ નહોતું. આમ પણ છ હજાર માઈલ્સ દૂરથી ધંધો કરવા આવ્યા હોય, મોટું રોકાણ હોય, બહોળો ધંધો હોય, જોઈન્ટ સ્ટોક કંપની હોય, કંપનીનું સંચાલન બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કરતા હોય શેરહોલ્ડરોને જવાબ આપવો પડતો હોય, બીજા દેશોની વેપારી કંપનીઓ સાથે ગળાકાપ હરીફાઈ ચાલતી હોય અને ધંધો કર્મચારીઓ હસ્તક હોય ત્યારે બેખબર રહેવું પોસાય નહીં. કોઈક પ્રકારની વ્યવસ્થા તો જોઈએ જ. ખાસ કરીને કંપનીના માલ-સામાનની તેમ જ તેના માણસો(દેશી અને વિદેશી બન્ને)ની સુરક્ષાની વ્યવસ્થા પાકી હોવી જોઈએ અને જો માણસો ખોટું કામ કરે તો તેને દંડવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ. અહીં ભારતમાં આમાનું કાંઈ જ નહોતું.

ભારતમાં અંગ્રેજ વહીવટીતંત્રના શ્રીગણેશ મુંબઈથી થયા હતા. ઈ.સ. ૧૬૬૮ની સાલમાં ઇંગ્લેન્ડના રાજાએ પોર્ટુગીઝની રાણીએ દહેજમાં આપેલો મુંબઈનો ટાપુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને લીઝ ઉપર આપી દીધો હતો. બ્રિટિશ સરકારે કંપનીને અધિકાર આપ્યો હતો કે તે સુચારુ શાસન માટે મુંબઈના બંદર, મુંબઈના ટાપુઓ અને ત્યાંની પ્રજા પરના શાસન માટે કાયદાઓ ઘડી શકે છે અને જરૂર પડ્યે વટહુકમ પણ કાઢી શકે છે. મુંબઈના ગવર્નરને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો અને આગળ જતા બ્રિટિશ ઢબની અદાલતો સ્થાપવાની પણ પરવાનગી આપવામાં આવી હતી. સૌથી મોટી ચિંતા કંપનીના જાન-માલની પણ હતી તો તે માટે લશ્કરભરતી કરવાની અને શાસ્ત્રો પૂરાં પાડવાની પણ પરવાનગી આપવામાં આવી હતી.  ૧૬૬૮ પછી નવ વરસે ૧૬૭૭માં કંપનીને તેનું પોતાનું ચલણ છાપવાની પણ પરવાનગી આપવામાં આવી હતી.

હવે શું બાકી રહ્યું? મુંબઈમાં વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, સુરક્ષાતંત્ર અને નાણાતંત્ર એમ ચારે ય બાબતે બ્રિટિશ શાસકીય મોડેલ લાગુ કરવામાં આવ્યું અને એ સફળ નીવડ્યું. એમ કહી શકાય કે મુંબઈ એક પ્રયોગશાળા હતું. વિદેશી ભૂમિ ઉપર કબજો કરવો એ એક વાત છે અને વિદેશની ભૂમિ ઉપર પ્રજાને સાવ અજાણ્યું હોય એવું વિદેશી ઢબનું શાસન તેના ચારે ય અંગ સાથે લાદવું એ જુદી વાત છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈમાં એવો પ્રયોગ કર્યો જેનો મુઘલ સમ્રાટ, બીજા દેશી રાજવીઓ કે પ્રજાએ વિરોધ નહોતો કર્યો. નવ વરસમાં મુંબઈમાં અંગ્રેજ વહીવટીતંત્રનું વર્તુળ પૂરું થયું એટલે કંપનીએ બીજા વરસે ૧૬૭૮માં મદ્રાસમાં બ્રિટિશ ઢબનું કંપનીનું વહીવટીતંત્ર લાગુ કરવા માંડ્યું. ૧૬૮૩ની સાલમાં બ્રિટિશ સરકારે એક ચાર્ટર બહાર પાડીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને બીજાં રાજ્યો સાથે સંધી કરવાની અને જરૂર પડ્યે લડાઈ કરવાની પરવાનગી આપી.

અહીં આપેલી સાલવારી ઉપર એક નજર ફરી વાર કરો. કેટલી ઝડપથી ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ભારતની પ્રજાને અજાણ્યું હતું એવું તંત્ર દાખલ કરતી ગઈ અને સાથે પગપેસારો કરતી ગઈ. કારણ ઉપર કહ્યું એમ આપણે ત્યાં શાસનવ્યવસ્થાનો તેમ જ શાસકીય સમગ્રતાનો અભાવ હતો એટલે શૂન્યાવકાશ ભરવામાં અંગ્રેજોને મુશ્કેલી નહોતી પડી. હકીકત એ છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત ઉપર કબજો કરવામાં તેની શાસકીય વ્યવસ્થાએ અને શાસકીય સમગ્રતાએ મદદ કરી હતી. કંપનીએ ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી બંગાળ  ઉપર કબજો કર્યો અને એ સાથે તેની શાસનવ્યવસ્થા દાખલ કરી એવું નથી. એની શરૂઆત તો એના લગભગ સો વરસ પહેલાં મુંબઈનાં ખોબા જેવડા ટાપુઓમાં થઈ હતી. બંગાળ કબજે કર્યા પછી તેનું સ્વરૂપ વ્યાપક બન્યું એટલું જ. બીજી હકીકત એ છે કે ભારતની પ્રજાને પણ અવ્યવસ્થા અને અરાજકતાની વચ્ચે વ્યવસ્થા ગમવા લાગી હતી. ધારાધોરણ તેને ગમવા લાગ્યા હતા. એવું પણ હોય કે આ વ્યવસ્થા, ધારાધોરણ, સાતત્ય અને એક રીતની શાસકીય સમગ્રતાને કારણે ભારતની પ્રજાએ અંગ્રેજોની ગુલામી સ્વીકારી લીધી હશે. ભારતની પ્રજાને ગુલામી મીઠી લાગવા માંડી હતી એવું કહેનારા ઘણાં પ્રમાણ ઉપલબ્ધ છે.

તો વાતનો સાર એટલો કે ભારતીય શાસનવ્યવસ્થાના અભાવમાં અંગ્રેજ શાસનવ્યવસ્થા માટે ભારતમાં અનુકૂળતા હતી અને બીજું, અંગ્રેજી શાસનમાં જોવા મળેલી શાસકીય સમગ્રતાને કારણે ભારતની પ્રજાએ તેનો વિરોધ તો નહોતો કર્યો, પણ ઊલટો આવકાર આપ્યો હતો. આઝાદી માટેનાં આંદોલન વખતે કેટલાક ભારતીય નેતાઓ કહેવા પણ લાગ્યા હતા કે આઝાદીનો અર્થ અંગ્રેજોના શાસનનો અંત હશે, અંગ્રેજી ઢબના શાસનનો અંત નહીં હોય. આમ કહેવાની એટલા માટે જરૂર પડી હતી કે ભારતની પ્રજાનો એક મોટો વર્ગ અંગ્રેજી ઢબના શાસનનો હિમાયતી બની ગયો હતો.

પણ આનો અર્થ એવો નથી કે આપણે પૂરેપૂરું અંગ્રેજ ઢબનું શાસન અપનાવ્યું છે અને એવું પણ નથી કે બંધારણ ઘડતી વખતે અને એ પહેલાં કોઈ મતભેદ નહોતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 માર્ચ 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—87

દીપક મહેતા|Opinion - Opinion|20 March 2021

બધા કામદારોના ‘ભાઉ’ બનનાર લક્ષ્મણ અજિંકય

કારકૂનમાંથી બંદર બાંધવાના કોન્ટ્રેક્ટર બન્યા ભાઉ

બંદરને નામ મળ્યું ગવર્નરનું, પણ લોકો તો આજે ય કહે છે ‘ભાઉચા ધક્કા’ 

‘હમ હોંગે કામયાબ એક દિન’ એ ગીત ૧૯મી સદીના એક સરકારી કારકૂને તો ન જ સાંભળ્યું હોય. પણ આ ગીત પ્રમાણે જીવનારાઓમાંના એક તેઓ નહોતા. જેમના જીવન પરથી આવાં ગીત લખાય તેવા થોડાઓમાંના એક તેઓ હતા. કોલાબાના ટાપુ પર હતી અંગ્રેજ સરકારની ગન કેરેજ ફેક્ટરી. કંપની સરકારના લશ્કર માટે ત્યાં તોપ, તોપના ગોળા, અને એવો બીજો સરંજામ બને. અધિકારીઓ તો બધા અંગ્રેજ, પણ કામદારો ‘દેશી’. મુંબઈના સૌથી જૂના વસાહતીઓમાંના એક પાઠારે પ્રભુ જાતિના લોકો. એ જાતિનો એક યુવક, નામે લક્ષ્મણ હરિશ્ચન્દ્રજી અજિંક્ય. રાયગઢ જિલ્લાના ઉરણ નજીકના કરંજા નામના ગામડામાં ૧૭૮૯માં તેમનો જન્મ. એ જમાનામાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઘણા યુવાનો નસીબ અજમાવવા મુંબઈ આવતા. એમ તેઓ પણ આવ્યા અને ગન કેરેજ ફેક્ટરીમાં કારકૂન બન્યા.

લક્ષ્મણ હરિશ્ચન્દ્રજી અજિંક્ય ઉર્ફે ભાઉ

હવે બન્યું એવું કે એ ફેક્ટરીના એક કામદારે ચોરી કરી. ફેક્ટરી હતી લશ્કરી. એટલે લશ્કરના નિયમ પ્રમાણે પેલા ચોરને જાહેરમાં ફટકા મારવાની સજા થઈ. પણ આ રીતે તો એક મરાઠી માણુસની જાહેરમાં બદનામી થશે એમ લક્ષ્મણને લાગ્યું. એટલે પહોંચ્યા સીધા ફેકટરીના વડા રસેલસાહેબ પાસે, અને કહ્યું કે પેલા ચોર કામદાર વતી હું માફી માગું છું, પણ તેને આવી સજા ન કરો. સાહેબે પૂછ્યું કે એ જુવાન તારો કાંઈ સગો થાય છે? એના વતી તું કેમ માફી માગવા આવ્યો છે? ભાઉએ કહ્યું : મારો સગો તો નથી થતો પણ અમે બંને એક બિરાદરીના છીએ, એક ગામના છીએ. એટલે તેને નીચાજોણું થાય તે મારાથી કેમ જોઈ રહેવાય? સાહેબ પોતે અંગ્રેજ હોવાનો ગર્વ ધરાવતા હતા. એક સામાન્ય ‘દેશી’ કારકૂનને પણ પોતાના દેશની આટલી દાઝ છે એ જોઈ રાજી થયા અને પેલા જુવાનની સજા માફ કરી. એટલું જ નહિ, ત્યારથી લક્ષ્મણ અજિંક્યને ‘બ્રધર’ કહી બોલાવવા લાગ્યા. એટલે પછી બધા કામદાર પણ ‘ભાઉ’ કહેવા લાગ્યા.

માણસ મહેનતુ અને પ્રામાણિક એટલે થોડા વખતમાં મુખ્ય કારકૂન બની ગયા. મહેનત અને સૂઝને કારણે લક્ષ્મણ રસેલસાહેબના માનીતા થઈ પડ્યા. એટલે તેમના કેટલાક સાથીઓ તેમને  ‘ભાઉ રસૂલ’ કહેતા. એ વખતે હજી ડબ્બાવાળા તો હતા નહિ. એટલે કામદારોને બપોરના ખાણાની બહુ મુશ્કેલી પડતી. આ વાત ભાઉના ધ્યાનમાં આવી. એટલે એક દિવસ લાગ જોઈને રસેલસાહેબને તેમણે કહ્યું : ‘સાહેબ, ફેક્ટરીના કામદારો દૂર દૂરથી આવે છે, ઘણાખરા હોડીમાં આવે છે. એટલે તેમના બપોરના જમવાનાં ઠેકાણાં રહેતાં નથી. ઘરેથી લૂખીસૂકી ભાખરી પોટલીમાં બાંધીને લાવ્યા હોય તે ખાઈને, તેના પર પાણી પીને પેટ ભરી લે છે. આ કામદારો માટે અહીં એક કેન્ટીન શરૂ કરીએ તો કેવું?' આ ‘કેન્ટીન’ શબ્દ તો આપણે વાપર્યો, તેમણે તો શુદ્ધ મરાઠી શબ્દ ‘ખાણાવળ’ શબ્દ વાપર્યો હશે. રસેલસાહેબને ગળે આ વાત ઊતરી ગઈ. તેમણે કહ્યું : ‘આ માટેની પરવાનગી તો હું આપું, પણ એક શરતે.’ ભાઉ જરા ગભરાયા હશે એટલે મૂંગા રહ્યા. સાહેબ વાત સમજી ગયા એટલે કહે : ‘મારી શરત એ છે કે એ ખાણાવળ તમારે જ ચલાવવાની.’ ભાઉને તો દોડવું હતું ને ઢાળ મળ્યો! કારકૂનમાંથી ધંધાદારી બનવાનું પહેલું પગથિયું મળી ગયું! તાબડતોબ ખાણાવળ શરૂ કરી. સાદું, પણ સારું, સ્વાદિષ્ટ જમવાનું, અને પાછું ખૂબ કિફાયતી ભાવે. એટલે બધા કામદારોના ભાઉ માનીતા થઈ ગયા.

કેન્ટીન જે રીતે ચલાવતા હતા તે જોઈ રસેલસાહેબ ખુશ થયા. વિચાર્યું કે આ માણસ છે હોનહાર. એ જમાનામાં મુંબઈની વસતી કૂદકે ને ભૂસકે વધતી જતી હતી. જેમ વધારે લોકો, તેમ વધારે કચરો ભેગો થાય. એનો નિકાલ કઈ રીતે કરવો એ સરકાર માટે મોટો સવાલ થઈ પડ્યો. આપો કોન્ટ્રેક્ટ. આ વાતની રસેલસાહેબને ખબર. એક દિવસ ભાઉને બોલાવીને કહ્યું : ‘તમે આ કચરો ઉપાડવાનો એક કોન્ટ્રેકટ લઈ લો. નોકરી છોડવાની જરૂર નથી. બંને કામ સાથે કરજો.’ આ કામ પણ ભાઉએ એવી ધગશથી કર્યું કે તેઓ બીજા અંગ્રેજ અફસરોના પણ માનીતા બની ગયા. તેમણે ગન કેરેજ ફેક્ટરીની નોકરીને રામ રામ કર્યા, રસેલસાહેબની મંજૂરી લઈને. આ નવું કામ શરૂ કર્યા પછી તેમની સામે સવાલ ઊભો થયો : રોજ રોજ એકઠા થતા આ કચરાને નાખવો ક્યાં? હવે, એ જ વખતે સરકારે દરિયો પૂરીને નવી જમીન મેળવવાનું શરૂ કરેલું. આ માટેની ‘ભરણી’ પૂરી પાડવાનો કોન્ટ્રેક્ટ પણ ભાઉએ મેળવ્યો. મૂળે ગામડાનો માણસ. એટલે જાણતો હતો કે આ ઘરગથ્થુ કચરાને દરિયા કાંઠે નાખ્યો હોય તો કોહવાઇને થોડા વખતમાં પથ્થર જેવો બની જાય. એટલે ગામમાંથી કચરો એકઠો કરે અને દરિયા કિનારે ઠાલવે. એક પંથ ને દો કાજ.

જૂદા જૂદા પ્રકારનાં શઢવાળાં વહાણ

મૂળ ઉરણના રહેવાસી એટલે ‘દેશ’માં આવવા-જવાનું તો અવારનવાર થાય. એક તો વહાણની મુસાફરી. બીજું, કિનારા પર ‘ધક્કા’ની સગવડ નહીં, એટલે વહાણ કિનારાથી થોડે દૂર નાંગરે. દરિયાનાં છીછરાં પાણીમાંથી ચાલીને, કિચડથી ખરડાયેલા પગે, માંડ કિનારે પહોંચે. પણ ત્યાંથી આગળ પણ પાકા રસ્તા નહિ. એટલે કલેકટર બ્રુસસાહેબને ભાઉએ વિનંતી કરી કે જ્યાં વહાણો નાંગરે છે ત્યાં સુધીનો પાકો રસ્તો મારે ખર્ચે બનાવવાની પરવાનગી આપો. ‘પણ એમાં સરકારને શો ફાયદો?’ બ્રુસસાહેબ ઉવાચ. ભાઉ કહે કે રસ્તાની સગવડ થશે તો દરિયા માર્ગે થતો વેપાર પણ વધશે, અને વેપાર વધશે તો સરકારની તિજોરીમાં ભરાતું મહેસૂલ પણ વધશે. એટલે દરખાસ્ત ગઈ ગવર્નર ગ્રાંટ પાસે. તેમણે મંજૂરી આપી. પણ એ વખતે સરકાર આવા રસ્તા બાંધવા માટે ફદિયું ય આપતી નહિ. હા, મહેનતના બદલામાં રસ્તાની આજુબાજુની થોડી જમીન કોન્ટ્રેક્ટરને લાંબા લીઝ પર આપતી. પરવાનગી મળી, અને મસ્જિદ બંદરથી ક્રાફર્ડ માર્કેટ સુધી અને ડોંગરીથી દરિયા કિનારા સુધીના રસ્તા ભાઉએ બાંધ્યા – પેલો રોજ રોજ ભેગો થતો કચરો વાપરીને!

ભાઉચા ધક્કા

આજે તો મુંબઈ શહેરમાં જમીનનો ખાલી ટુકડો ય શોધ્યો ન જડે. અને જડે તો એના કરોડો રૂપિયા ઉપજે. પણ એ જમાનામાં મુંબઈ શહેરમાં અને તેની બહાર પણ પુષ્કળ ઉજ્જડ જમીન પડી હતી, સરકારી માલિકીની. સરકારે પોતે તેનું ડેવલપમેન્ટ કરવાને બદલે આજે જેને ડેવલપર કહીએ છીએ તેને લાંબા લીઝ પર આપવાનું શરૂ કર્યું. આ ડેવલપરો એ વખતે ‘ખોત’ તરીકે ઓળખાતા. આવી જમીન મેળવવા માટે ભાઉએ સરકારમાં અરજી કરી. સરકારે તેમને દિન્ડોશી (ગોરેગાંવ), ચીંચવલી (મલાડ) અને આકુર્લી (કાન્દીવલી) એ ત્રણ ગામના કાયદેસરના હક્ક ભાઉને આપ્યા, અને એક વખતના કારકૂન બન્યા જમીનદાર.

પણ પ્રિય વાચક! તમે કહેશો કે અ બધું તો બરાબર, પણ આમાં બંદરની વાત ક્યાં આવી? ગયે અઠવાડિયે તો કહેલું કે આવતે અઠવાડિયે બીજા એક બંદરની વાત. જરા ધીરા પડો દોસ્ત! હવે આવે છે એક અનોખા બંદરની વાત. 

એ જમાનામાં પણ એક કુદરતી બંદર તરીકે મુંબઈની નામના હતી, પણ માલસામાન કે મુસાફરો માટે ઝાઝી સગવડ નહોતી. કાંઈ નહિ તો માલસામાન માટે તો એક ધક્કો બાંધવો જોઈએ એ વાત સરકારને પણ સમજાઈ. પણ એ વખતે દરેક નાનાં મોટાં કામ માટે મંજૂરી અને પૈસા બ્રિટનથી મગાવવા પડતા. અને ત્યાંના હાકેમો આવાં કામ માટે ઝટ રાજી થાય તેવા નહોતા. એટલે ફરી જમીન લીઝ પર આપીને ધક્કો બંધાવવાનું નક્કી કર્યું અને એ માટેની જાહેરાત સરકારે કરી. આવી તક ભાઉ જતી કરે? આવું ગંજાવર કામ કરવાની ઇચ્છા તો બીજાને પણ હતી, પણ ખરચનો વિચાર કરી અરજી કરવાનું માંડી વાળ્યું. પૈસા તો ભાઉ પાસે પણ નહોતા, પણ આગે આગે ગોરખ જાગે એમ વિચારી અરજી કરી, અને તે મંજૂર પણ થઈ ગઈ. સરકારે કેટલીક શરતો મૂકી તે ભાઉએ સ્વીકારી. સરકારે બાંધવાના ધક્કાનો પ્લાન માગ્યો, તો તે ય મોકલ્યો. દરિયામાં આવતી ભરતી-ઓટના સમય, ઋતુ પ્રમાણે તેમાં થતો ફેરફાર, પાણીની ઊંડાઈ, આવતાં-જતાં વહાણોની સરેરાશ લંબાઈ, વગેરે બધી બાબતોનો અભ્યાસ કરીને ભાઉએ સરકારને પ્લાન મોકલ્યો. દરિયાનાં મોજાંની સતત થાપટો સામે માટીનો બંધ ટકે નહિ એ ભાઉ જાણતા હતા. એટલે અહીં પણ તેમણે શહેરના કચરાનો ઉપયોગ સૂચવ્યો. સરકારે વખતોવખત શરતોમાં ફેરફાર કર્યા, કેટલાક વિરોધીઓએ ભાઉની મર્યાદાઓ બતાવીને તેમને આપેલી મંજૂરી પાછી ખેંચી લેવા સરકાર પર દબાણ મૂક્યું. પણ ભાઉ મક્કમ હતા, અને સરકારમાં તેમની છાપ સારી હતી એટલે કામ તો તેમને જ મળ્યું.

ગવર્નર જેમ્સ કર્ણાક

જ્યાંથી મળ્યા ત્યાંથી પૈસા ભેગા કરવા માંડ્યા ભાઉ. પણ દોઢ લાખ રૂપિયા જેવી એ જમાનામાં મોટી કહેવાય તેવી રકમનો બંદોબસ્ત થઈ શક્યો નહિ. એટલે પોતાના ઓળખીતા અમલદારો મારફત ભાઉએ વાત ગવર્નર રોબર્ટ ગ્રાન્ટના કાને પહોંચાડી. તેમણે છ ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજથી દોઢ લાખ રૂપિયાની સરકારી લોન મંજૂર કરી. એટલે ભાઉમાં અને ધક્કો બાંધવાના કામમાં જીવ આવ્યો. અને ચાર વરસમાં તો નવો નક્કોર ધક્કો બંધાઈને તૈયાર. સરકારને જે પ્લાન મોકલેલો તેમાં ક્યાં ય નજીકમાં વખારો બાંધવાની વાત નહોતી. પણ વેપારીઓની સગવડ ખાતર ભાઉએ ધક્કા નજીક માલ સંઘરવા માટે વખારો પણ બાંધી! આખા દેશમાં વખાર સાથેનું આ પહેલું બંદર. એ ઉપરાંત બંદર નજીક છાપરાં, કચરા અને ગંદા પાણીના નિકાલની સગવડ, બંદર સુધીનો એપ્રોચ રોડ, વગેરે બધી જ સગવડો ભાઉએ ઊભી કરી. આથી અહીંનો વેપાર વધ્યો, અને એથી સરકારની આવક વધી. એટલે ભાઉ પર ખુશ થઈને સરકારે પચાસ વરસ સુધી અહીં માલની ચડ-ઉતર કરવાનો એકાધિકાર ભાઉને આપ્યો! બાંધકામ દરમ્યાન ભાઉ બને ત્યાં સુધી આસપાસના વિસ્તારોના મજૂરોને જ કામ માટે રોકતા. એટલે સ્થાનિક લોકો પણ ભાઉ પર ખુશ. એટલે લોકો તો અ જગ્યાને ‘ભાઉચા ધક્કા’ તરીકે જ ઓળખવા લાગ્યા.

પણ ભાઉની અંગ્રેજભક્તિનો પ્રભાવ હોય, કે પછી તેમની મુત્સદ્દીગિરીનો પ્રતાપ હોય, ભાઉએ તો સરકારને એક અરજી મોકલી. એ અરસામાં જ જેમ્સ કર્ણાકની નિમણૂંક મુંબઈના ગવર્નર તરીકે થઈ હતી. એટલે ભાઉએ અરજીમાં લખ્યું કે આ નવા બંદરને કર્ણાક બંદર એવું નામ આપવામાં આવે. સરકાર માટે તો ભાવતું’તું ને વૈદે કીધું. એટલે તરત નામ પાડ્યું કર્ણાક બંદર. અને નામકરણ વિધિ કરેલો ગવર્નર કર્ણાકે પોતે! પણ મુંબઈના લોકો જેનું નામ! આજ સુધી તેને ‘ભાઉચા ધક્કા’ તરીકે જ ઓળખે છે. આઝાદી પછી તો દરવાજા પર પણ એ જ નામ લખાયું.

કોંકણ ને મુંબઈ વચ્ચેની મુસાફરી માટે એ વખતે નહોતી ટ્રેનની સગવડ કે નહોતી બસની સગવડ. એટલે નાની આગબોટ એ જ મુસાફરી માટેનું એક માત્ર સાધન. એટલે કોંકણના લોકો માટે તો આ ભાઉચા ધક્કાનું બંદર એ જાણે બીજું મંદિર. ભાઉએ આ ધક્કો બાંધ્યા પછી લગભગ દોઢ સો વરસ સુધી કોંકણના લોકો એ વાપરતા રહ્યા અને ભાઉને દુઆ દેતા રહ્યા. મુંબઈમાં બંદરો તો ઘણાં છે, અને તેમાંનાં કેટલાંકની મુલાકાત હજી બાકી છે. પણ આવતે શનિવારે આપણે ઈન્ટરવલ પાડશું, કારણ ૨૭ માર્ચ એ એક ખાસ દિવસ છે. એટલે થોડી વાતો કરશું એ ખાસ દિવસ સાથેના મુંબઈના સંબંધની.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 20 માર્ચ 2021

Loading

કોરોના કરતાં પણ ભયંકર રોગચાળો ગુજરાતમાં પરીક્ષાનો ચાલે છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 March 2021

બીજા કોઈ રાજ્યમાં ન હોય એટલો રોગચાળો ગુજરાતમાં પરીક્ષાનો ફાટ્યો છે ને પરીક્ષા લીધા વગર શિક્ષણ વિભાગથી જીવાવાનું જ ન હોય એમ રોજ જ પરીક્ષા પરીક્ષાનું નાટક ચેટક ચાલે છે. બોર્ડની પરીક્ષાઓ મે મહિનામાં લેવાનું આયોજન થયું ને કોલેજનાં મહત્ત્વનાં વર્ષોની પરીક્ષા લેવાય ત્યાં સુધી એ બધું બરાબર હતું, પણ લોકોએ અને ચૂંટણીએ એ સ્થિતિ સર્જી કે આખા રાજ્યને વેન્ટિલેટર પર મૂકવું પડે. અત્યારે તો ઘણા વ્યવહારો પર કાપ મૂકવા પડ્યા છે, પણ કોણ જાણે કેમ, શિક્ષણ વિભાગનું પરીક્ષા લેવાનું ઝનૂન ઘટતું નથી. શિક્ષણ વિભાગ પરીક્ષા લેવાની મનોગ્રંથિથી પીડાતો હોય તેમ છાશવારે પરીક્ષા લેવાના પરિપત્રો બહાર પાડતો જ રહે છે. શિક્ષણ વિભાગને, સંજોગો કાબૂ બહાર જતા હોય ત્યારે યોગ્ય નિર્ણયો લેવાનું ભાગ્યે જ ફાવ્યું છે. ખાસ કરીને કોરોના કાળના તેના નિર્ણયો અપવાદરૂપે જ તરંગી નથી રહ્યા.

અન્ય રાજયોની તુલનામાં ગુજરાતનું ધોરણ કથળતું જાય છે તેમ તેમ શિક્ષણ વિભાગ, સ્તર વધુ કેમ કથળે તેની સારી એવી મહેનત કરે છે. એ સાચું કે કોરોનાએ આખી દુનિયાની હાલત કફોડી કરી છે, એ સ્થિતિમાં કેટલુંક કાબૂ બહાર જાય એ સમજી શકાય એમ છે. ગુજરાત પણ એમાં બાકાત ન જ રહે, પણ એવી સ્થિતિમાં રાજ્યે વધુ ગંભીર અને સ્વસ્થ નિર્ણયો અન્ય ક્ષેત્રોની જેમ શિક્ષણ બાબતે પણ લેવાના રહે. કમનસીબે એવું ઓછું થયું છે. વર્ગમાં મહિનાઓ સુધી શિક્ષણ બંધ રહ્યું, એનો વિકલ્પ ઓનલાઈન શિક્ષણમાં જોવાયો. એ બહુ સારો વિકલ્પ નહોતો જ, પણ ન મામા કરતાં કાણો મામો સારો – એ ન્યાયે મહિનાઓ સુધી ઓનલાઈન શિક્ષણ પણ ચાલ્યું. એમાં ભણવા – ભણાવવાનું થોડું થયું પણ ખરું, તે સાથે જ કેટલાક વિદ્યાર્થીઓએ ઊંઘ કાઢી તો કેટલાક શિક્ષકોએ ઝોકું ખાઈ લઈને ફરજ બજાવ્યાનો સંતોષ પણ લીધો. જો કે, એમાં પણ ભણવા – ભણાવવા કરતાં એકમ કસોટીઓનો મહિમા જ વધારે રહ્યો. એમાં જેમની પાસે ઓનલાઈન ભણવાની વ્યવસ્થા ન હતી, અંતરિયાળ ગામડાંઓમાં તો નહોતી જ, ત્યાંનું શિક્ષણ તો નહિવત જ રહ્યું, પણ જ્યાં સાધનો ઊભાં કરાયાં ત્યાં પણ પરીક્ષાનો મહિમા જ વધારે થયો. ભણાવાય કે ન ભણાવાય, પણ પરીક્ષા તો લેવાય જ એ આગ્રહ તીવ્ર રહ્યો. જ્યારે પણ શિક્ષણ વિભાગ બોલ્યો, પરીક્ષા વિષે બોલવાનું તે ભાગ્યે જ ચૂક્યો.

શિક્ષણમંત્રીશ્રીનો એ આગ્રહ અચૂક પ્રશંસનીય હતો કે માસ પ્રમોશનનો લાભ વિદ્યાર્થીઓને ન જ આપવો, ને પરીક્ષાઓ તો લેવી જ, પણ ભણાવીને પરીક્ષા લેવી એ ધ્યાન ઓછું જ રહ્યું. જ્યાં પરીક્ષા લેવાઈ ત્યાં પણ, પરીક્ષાની ગંભીરતા ન હતી. એ તો જવા દો, કોરોના પહેલાં બોર્ડની પરીક્ષા લેવાઈ, તેમાં પણ 5 માર્કવાળાને 21 માર્કસનું ગ્રેસિંગ અપાયાની વાત બહાર આવી. બોર્ડની, કોરોના પહેલાંની પરીક્ષાનું આ ધોરણ હોય તો કોરોના દરમિયાન લેવાતી પરીક્ષામાં કેટલો ભલીવાર હોય તે ન કહેવામાં જ સાર છે.

ઓનલાઈન લેવાયેલી કસોટીઓમાં એસાઇનમેન્ટ અને એક્ઝામ વચ્ચે ભેદરેખા ના રહી. વિદ્યાર્થી કોઈની પણ દેખરેખ વગર જવાબો જાતે લખે કે તે કશાક્માં જોઈને લખે કે કોઈ લખાવે કે લખી આપે એવી ઘણી ગરબડો વચ્ચે પરીક્ષાનું નાટક ચાલ્યું. એમાં ગામડાંના વિદ્યાર્થીઓનું શું થયું એની વિગતો તો બહાર નથી આવી એટલે એની તો અટકળ જ કરવાની રહે.

એ પછી સ્કૂલો ચાલુ થઈ. એ દરમિયાન પણ પરીક્ષાનું નિરંતર રટણ તો ચાલુ જ રહ્યું. મે મહિનામાં બોર્ડની પરીક્ષાઓ લેવાશે એ સંકીર્તન વચ્ચે ધોરણ ત્રણથી આઠની પરીક્ષાઓ લેવાની જાહેરાત થઈ. વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી. સભા સરઘસો, વિજયયાત્રા, લગ્નો, મેળાવડાઓ ને મહેફિલોની મોસમ બેઠી ને બધું એવી રીતે ચાલ્યું કે રાજ્યમાં કોરોનાનો ‘ક’ – કદી હતો જ નહીં જાણે ! મોટેરા સ્ટેડિયમમાં T20ની બબ્બે મેચો, ફેંકી દેતાં પચાસ પચાસ હજાર પ્રેક્ષકોની હાજરીમાં, બધી સાવચેતીની ઐસીતૈસી કરીને રમાઈ. અહીં આવનારા પ્રેક્ષકો, અન્ય રાજ્યો અને દેશોમાંથી આવનારા પણ હતા. આવામાં કોરોનાએ ના ફેલાવું હોય તો પણ પરાણે ફેલાવું જ પડે એવી સ્થિતિ સર્જાઈ ને તેણે વધુ ક્રૂરતાથી પોતાનો પ્રભાવ પાથરવા માંડ્યો.

18મીએ પ્રગટ થયેલા આંકડા સાચા માનીએ તો ગુજરાતમાં 1,122 કેસ નવા ઉમેરાયા છે ને 3 મૃત્યુ નોંધાયાં છે. તેમાં સૌથી વધુ કેસ સુરતમાં 345 છે ને 271 કેસ સાથે અમદાવાદ બીજા નંબરે છે. દેશની વાત કરીએ તો નવા 28,903 કેસ 24 કલાકમાં ઉમેરાયા છે ને 188 મૃત્યુ નવાં નોંધાયાં છે. અત્યાર સુધીના માર્ચમાં 16 રાજયોના 70 જિલ્લાઓમાં 150 ટકાનો કોરોના કેસમાં વધારો નોંધાયો છે. ગુજરાત પૂરતી વાત કરીએ તો ચૂંટણી, ક્રિકેટ અને રાજકીય તથા સાંસ્કૃતિક મેળાવડાઓએ કોરોનાને વકરાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. આ બધું છતાં, પરીક્ષામાં ઓટ આવી નથી. બીજા કોઈ રાજ્યમાં પરીક્ષાનો આટલો વકરાટ સંભળાયો નથી, પણ કોણ જાણે કેમ, શિક્ષણ વિભાગની પરીક્ષાની ખંજવાળ મટતી નથી.

15મીથી 3થી 8 ધોરણની પરીક્ષાઓ ચાલી છે. 3થી 5ની પરીક્ષા ઓનલાઈન ને 6થી 8ની પરીક્ષા શાળામાં લેવાનું ચાલ્યું. એમાં પણ જ્યાં વ્યવસ્થા ન થઈ શકી ત્યાં પરીક્ષાની સામગ્રી 6થી 8માં પણ ઘરે મોકલી આપવામાં આવી. હાલત વધારે કથળી, શિક્ષકો ને વિદ્યાર્થીઓ સંકર્મિત જણાયા તો ક્યાંક વર્ગો બંધ કરવામાં આવ્યા, તો પણ એ રટણ તો ચાલુ જ રહ્યું કે ઓફલાઇન પરીક્ષાઓ ચાલુ રહેશે. જો સ્કૂલો બંધ કરવાનો આદેશ અપાયો હોય તો એવું ક્યાં લખેલું છે કે ઓફલાઇન પરીક્ષા લેવાય તો કોરોના ડિસ્ટર્બ નહીં જ કરે? કોરોનાએ સાબિત કરી આપ્યું છે કે દેશમાં તઘલખ એક જ ન હતો ને નથી.

આટલું ઓછું હોય તેમ ધોરણ 9 અને 12ની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા હોય ત્યારે ને સ્કૂલો-કોલેજો બંધ થવા માંડી હોય ત્યારે, 9થી 12ની પરીક્ષાઓ સંદર્ભે બોર્ડ કહે છે કે આંતરિક મૂલ્યાંકન માટે ને વર્ગ બઢતી માટે આ પરીક્ષા જરૂરી છે ને વિદ્યાર્થીઓના હિતમાં છે. ટૂંકમાં, આ પરીક્ષાઓ ફરજિયાત છે. એમાં એક વિકલ્પ એવો પણ રાખ્યો કે કોરોનાને કારણે જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓ ન આપી શકે કે કન્ટેન્મેન્ટ ઝોનમાં હોવાને કારણે શાળા સુધી ન પહોંચી શકે તો તેમની પરીક્ષાઓ નવા પ્રશ્નપત્રો સાથે પછીથી લેવાશે. એ ઉપરાંત કોઈ શાળા પોતે જ કન્ટેન્મેન્ટ ઝોનમાં હોય તો પરીક્ષાનું આયોજન પછીથી કરવાનું રહેશે, એવી સૂચના પણ અપાઈ છે. એક બાજુએ શાળાઓ બંધ કરાવાતી હોય, કોરોનાના કેસો ખરાબ રીતે વધી રહ્યા હોય ત્યારે આ રીતે પરીક્ષાઓ લેવાનું માનવીય છે?

ગમ્મત તો એ છે કે રાજય સરકારે 4 મહાનગરો – અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ-માં 10 એપ્રિલ સુધી સ્કૂલ – કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, એટલું જ નહીં, આજથી જ શરૂ થનારી કોલેજો અને યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામા આવી છે. જો કે, આજથી જ શરૂ થનારી 9થી 12ની પરીક્ષાઓ અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી એટલે એવું લાગે છે કે પરીક્ષાઓ લેવાનું નિશ્ચિત છે. અહીં સવાલ એ થાય કે યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષાઓ 10 એપ્રિલ સુધી મુલતવી રખાઈ હોય તો 9થી 12ની પરીક્ષા એનાથી પણ વધારે મહત્ત્વની છે કે તે લેવી જ પડે? બધી કાળજી લેવાતી હોય તો પણ અત્યારનું વાતાવરણ એવું નથી કે જીવને જોખમે પરીક્ષાઓ લેવી જ પડે. વિદ્યાર્થીઓ ને શિક્ષકો પરીક્ષા નિમિત્તે ભેગા થાય એ સ્થિતિ સ્વાસ્થ્ય ને સુરક્ષા સંદર્ભે હાલ ઇચ્છવા જેવી નથી. બીજું, વારંવાર બદલાતાં વાતાવરણમાં વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પરીક્ષા આપવા જેટલી સ્વસ્થ કઈ રીતે હોય તે નથી સમજાતું. વારુ, પરીક્ષા ન આપી શકનાર કે ન લઈ શકનાર શાળાઓ માટે પાછળથી પરીક્ષા લેવાનો વિકલ્પ અપાયો જ હોય તો બધાની જ પરીક્ષાઓ વાતાવરણ સુધરે પછી લેવાય તો તે વધુ હિતાવહ છે એવું નહીં?

બોર્ડે અત્યારના દિવસોને હળવાશથી લેવા જેવા નથી. આ પરીક્ષાઓ લેવાય તો વાતાવરણ વધુ બગડે એવા પૂરા સંજોગો છે, સ્કૂલો-કોલેજોમાં કેસો પોઝિટિવ આવ્યા તેથી તો તે બંધ કરવાની નોબત આવી. ભણાવાય તો જોખમ અને પરીક્ષા લેવાય તો વાઇરસ ન જ વકરે એવું શિક્ષણ વિભાગને લાગતું હોય તો નવાઈ નહીં, તે વગર એ સ્કૂલો-કોલેજો બંધ કરવાનો અને શાળાની પરીક્ષાઓ ચાલુ રાખવાનો નિર્ણય લે? સૌથી પહેલાં તો શિક્ષણ વિભાગે તટસ્થ અને તંદુરસ્ત વલણ અપનાવીને કેવળ પરીક્ષાલક્ષી અભિગમ બદલવાની જરૂર છે. એ સાચું કે કપરા સંજોગોમાં સ્વસ્થતા જાળવવાનું અઘરું હોય છે, પણ મહત્ત્વનું તો એ જ બને ને કે વિશિષ્ટ સંજોગોમાં જ સ્વસ્થતાથી મહત્વના નિર્ણયો લેવાય. આડે દા’ડે તો ઘોડું દોડે જ, મહત્ત્વનું તો ત્યારે કે એ દશેરાએ દોડે, એટલીસ્ટ, દશેરાએ તો દોડે જ –

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 માર્ચ 2021

Loading

...102030...2,0762,0772,0782,079...2,0902,1002,110...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved