ભારતનાં બંધારણનું ઘડતર પ્રમાણમાં આસાનીથી થઈ શક્યું એનાં કારણો બતાવતાં આગળના લેખમાં આપણે બે કારણોની વાત કરી હતી. એક તો એ કે ભારતમાં ક્યારે ય અખિલ ભારતીય શાસનવ્યવસ્થા જ નહોતી એટલે અંગ્રેજોને જૂનું હટાવીને નવું દાખલ કરવાપણું હતું નહીં. આને કારણે પ્રજાના વિરોધનો પણ સામનો નહોતો કરવો પડ્યો. બીજું કારણ એ કે ભારતની પ્રજા મહદ્દ અંશે રાજકીય કરતાં સામાજિક ધારાધોરણો દ્વારા શાસિત હતી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં રાજ્યતંત્ર કરતાં સમાજતંત્ર વધારે પ્રભાવી હતું અને એનું જ શાસન હતું. પ્રજાને રાજાનો ડર ઓછો લાગતો હતો, જ્ઞાતિની પંચાયતોનો ડર વધુ લાગતો હતો. આમાં ગ્રામીણ ભારત તો લગભગ રાજ્યશાસનથી મુક્ત હતું.
અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા ત્યારે તરત તેમને આ વાત સમજાઈ ગઈ હતી. પહેલાં તો તેમને લાગ્યું હતું કે ભારતમાં કોઈ એક ચક્રવર્તી રાજા હશે, એની આખા દેશ ઉપર આણ હશે, એક જ સ્થાનેથી આખા દેશ ઉપર શાસન ચાલતું હશે, ઉપરથી નીચે સુધીનો વહીવટીતંત્રનો પીરામીડ હશે, એક સરખા કાયદા હશે, એક સરખી ન્યાયવ્યવસ્થા હશે, વેપાર-ધંધાના ધારાધોરણ હશે, રાજ્ય વેપારીઓને ચોર લૂંટારા અને ચાંચિયાઓ સામે સુરક્ષા પૂરી પાડતું હશે અને સામે વેરા લેતું હશે, વગેરે વગેરે. પણ પછી થોડા સમયમાં જ તેમને સમજાઈ ગયું હતું કે આ દેશમાં શાસન અને શાસનવ્યવસ્થા છે જ નહીં અને જે છે એ વ્યક્તિસાપેક્ષ અને સમાજસાપેક્ષ છે.
પેલી બાજુ ઇંગ્લેંડમાં કાયદાનું રાજ જરા વધારે પડતું આગ્રહી હતું. અંગ્રેજો બે પ્રકારની લાક્ષણીકતા ધરાવતી પ્રજા છે. એક કાયદા માટેનું વળગણ. તેઓ જે કાંઈ કરે એ કાયદેસર કરે પછી શોષણ અને લૂંટ કેમ ન હોય! બીજી લાક્ષણિકતા રેકોર્ડ રાખવાની ચીવટ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કે તેના અમલદારોએ ભારતમાં જેટલાં કુકર્મો કર્યાં છે એમાંના મોટાભાગના નોંધાયેલા છે. કાયદાના રાજ માટેના આગ્રહના કારણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ધંધો કરવાનો બ્રિટિશ સરકાર પાસેથી પરવાનો લેવો પડ્યો હતો, એ પરવાનો બાંધેલી મુદ્દતનો હતો. મુદ્દત પૂરી થયે નવો પરવાનો લેવો પડતો હતો. કંપની ઉપર સરકાર નજર રાખતી હતી અને પરવાનાની મુદ્દત વધારતી વખતે કંપનીના કામકાજનું અને વ્યવહારનું મૂલ્યાંકન થતું હતું અને તે ત્યાં સુધી કે આમ અને ઉમરાવની સભામાં ચર્ચા થતી હતી.
આ સ્થિતિમાં કંપનીને જવાબદાર વહીવટીતંત્ર વિના ચાલે એમ નહોતું. આમ પણ છ હજાર માઈલ્સ દૂરથી ધંધો કરવા આવ્યા હોય, મોટું રોકાણ હોય, બહોળો ધંધો હોય, જોઈન્ટ સ્ટોક કંપની હોય, કંપનીનું સંચાલન બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કરતા હોય શેરહોલ્ડરોને જવાબ આપવો પડતો હોય, બીજા દેશોની વેપારી કંપનીઓ સાથે ગળાકાપ હરીફાઈ ચાલતી હોય અને ધંધો કર્મચારીઓ હસ્તક હોય ત્યારે બેખબર રહેવું પોસાય નહીં. કોઈક પ્રકારની વ્યવસ્થા તો જોઈએ જ. ખાસ કરીને કંપનીના માલ-સામાનની તેમ જ તેના માણસો(દેશી અને વિદેશી બન્ને)ની સુરક્ષાની વ્યવસ્થા પાકી હોવી જોઈએ અને જો માણસો ખોટું કામ કરે તો તેને દંડવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ. અહીં ભારતમાં આમાનું કાંઈ જ નહોતું.
ભારતમાં અંગ્રેજ વહીવટીતંત્રના શ્રીગણેશ મુંબઈથી થયા હતા. ઈ.સ. ૧૬૬૮ની સાલમાં ઇંગ્લેન્ડના રાજાએ પોર્ટુગીઝની રાણીએ દહેજમાં આપેલો મુંબઈનો ટાપુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને લીઝ ઉપર આપી દીધો હતો. બ્રિટિશ સરકારે કંપનીને અધિકાર આપ્યો હતો કે તે સુચારુ શાસન માટે મુંબઈના બંદર, મુંબઈના ટાપુઓ અને ત્યાંની પ્રજા પરના શાસન માટે કાયદાઓ ઘડી શકે છે અને જરૂર પડ્યે વટહુકમ પણ કાઢી શકે છે. મુંબઈના ગવર્નરને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો અને આગળ જતા બ્રિટિશ ઢબની અદાલતો સ્થાપવાની પણ પરવાનગી આપવામાં આવી હતી. સૌથી મોટી ચિંતા કંપનીના જાન-માલની પણ હતી તો તે માટે લશ્કરભરતી કરવાની અને શાસ્ત્રો પૂરાં પાડવાની પણ પરવાનગી આપવામાં આવી હતી. ૧૬૬૮ પછી નવ વરસે ૧૬૭૭માં કંપનીને તેનું પોતાનું ચલણ છાપવાની પણ પરવાનગી આપવામાં આવી હતી.
હવે શું બાકી રહ્યું? મુંબઈમાં વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, સુરક્ષાતંત્ર અને નાણાતંત્ર એમ ચારે ય બાબતે બ્રિટિશ શાસકીય મોડેલ લાગુ કરવામાં આવ્યું અને એ સફળ નીવડ્યું. એમ કહી શકાય કે મુંબઈ એક પ્રયોગશાળા હતું. વિદેશી ભૂમિ ઉપર કબજો કરવો એ એક વાત છે અને વિદેશની ભૂમિ ઉપર પ્રજાને સાવ અજાણ્યું હોય એવું વિદેશી ઢબનું શાસન તેના ચારે ય અંગ સાથે લાદવું એ જુદી વાત છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈમાં એવો પ્રયોગ કર્યો જેનો મુઘલ સમ્રાટ, બીજા દેશી રાજવીઓ કે પ્રજાએ વિરોધ નહોતો કર્યો. નવ વરસમાં મુંબઈમાં અંગ્રેજ વહીવટીતંત્રનું વર્તુળ પૂરું થયું એટલે કંપનીએ બીજા વરસે ૧૬૭૮માં મદ્રાસમાં બ્રિટિશ ઢબનું કંપનીનું વહીવટીતંત્ર લાગુ કરવા માંડ્યું. ૧૬૮૩ની સાલમાં બ્રિટિશ સરકારે એક ચાર્ટર બહાર પાડીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને બીજાં રાજ્યો સાથે સંધી કરવાની અને જરૂર પડ્યે લડાઈ કરવાની પરવાનગી આપી.
અહીં આપેલી સાલવારી ઉપર એક નજર ફરી વાર કરો. કેટલી ઝડપથી ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ભારતની પ્રજાને અજાણ્યું હતું એવું તંત્ર દાખલ કરતી ગઈ અને સાથે પગપેસારો કરતી ગઈ. કારણ ઉપર કહ્યું એમ આપણે ત્યાં શાસનવ્યવસ્થાનો તેમ જ શાસકીય સમગ્રતાનો અભાવ હતો એટલે શૂન્યાવકાશ ભરવામાં અંગ્રેજોને મુશ્કેલી નહોતી પડી. હકીકત એ છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત ઉપર કબજો કરવામાં તેની શાસકીય વ્યવસ્થાએ અને શાસકીય સમગ્રતાએ મદદ કરી હતી. કંપનીએ ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી બંગાળ ઉપર કબજો કર્યો અને એ સાથે તેની શાસનવ્યવસ્થા દાખલ કરી એવું નથી. એની શરૂઆત તો એના લગભગ સો વરસ પહેલાં મુંબઈનાં ખોબા જેવડા ટાપુઓમાં થઈ હતી. બંગાળ કબજે કર્યા પછી તેનું સ્વરૂપ વ્યાપક બન્યું એટલું જ. બીજી હકીકત એ છે કે ભારતની પ્રજાને પણ અવ્યવસ્થા અને અરાજકતાની વચ્ચે વ્યવસ્થા ગમવા લાગી હતી. ધારાધોરણ તેને ગમવા લાગ્યા હતા. એવું પણ હોય કે આ વ્યવસ્થા, ધારાધોરણ, સાતત્ય અને એક રીતની શાસકીય સમગ્રતાને કારણે ભારતની પ્રજાએ અંગ્રેજોની ગુલામી સ્વીકારી લીધી હશે. ભારતની પ્રજાને ગુલામી મીઠી લાગવા માંડી હતી એવું કહેનારા ઘણાં પ્રમાણ ઉપલબ્ધ છે.
તો વાતનો સાર એટલો કે ભારતીય શાસનવ્યવસ્થાના અભાવમાં અંગ્રેજ શાસનવ્યવસ્થા માટે ભારતમાં અનુકૂળતા હતી અને બીજું, અંગ્રેજી શાસનમાં જોવા મળેલી શાસકીય સમગ્રતાને કારણે ભારતની પ્રજાએ તેનો વિરોધ તો નહોતો કર્યો, પણ ઊલટો આવકાર આપ્યો હતો. આઝાદી માટેનાં આંદોલન વખતે કેટલાક ભારતીય નેતાઓ કહેવા પણ લાગ્યા હતા કે આઝાદીનો અર્થ અંગ્રેજોના શાસનનો અંત હશે, અંગ્રેજી ઢબના શાસનનો અંત નહીં હોય. આમ કહેવાની એટલા માટે જરૂર પડી હતી કે ભારતની પ્રજાનો એક મોટો વર્ગ અંગ્રેજી ઢબના શાસનનો હિમાયતી બની ગયો હતો.
પણ આનો અર્થ એવો નથી કે આપણે પૂરેપૂરું અંગ્રેજ ઢબનું શાસન અપનાવ્યું છે અને એવું પણ નથી કે બંધારણ ઘડતી વખતે અને એ પહેલાં કોઈ મતભેદ નહોતા.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 માર્ચ 2021