પ્રસ્તાવના
ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે ભૌતિક (physical), ડિજિટલ અને જૈવિક (biological) જગતની સરહદો ભૂંસાઈ જવી તે. તેમાં કૃત્રિમ બુદ્ધિ (AI), રૉબોટિક્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, થ્રીડી છાપકામ, જનીન – ઇજનેરી, ક્વૉન્ટમ ગણતરી અને એવી બીજી ટેક્નોલૉજીથી થતા વ્યવહારોનો સમાવેશ થાય છે. આ ક્રાંતિથી આપણે જે રીતે જીવીએ છીએ, કામ કરીએ છીએ અને એકબીજા સાથે જે વ્યવહાર કરીએ છીએ તેમાં મૂળભૂત ફેરફારો આવે છે. માનવજાતે ભૂતકાળમાં કદી અનુભવ્યા ના હોય તેવા બહોળા પ્રમાણમાં જટિલ રીતે પરિવર્તન આવી રહ્યું છે. ખાનગી ક્ષેત્ર, સરકાર અને નાગરિકસમાજ ત્રણેયે તેનો સંકલિત અને સર્વગ્રાહી પ્રતિભાવ આપવો પડે તેમ છે.
પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિમાં પાણી અને વરાળની શક્તિનો ઉપયોગ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન માટે થયો. દ્વિતીય ઔદ્યોગિક ક્રાંતિમાં વીજળીનો ઉપયોગ ઉત્પાદન માટે થયો. તૃતીય ઔદ્યોગિક ક્રાંતિમાં વીજાણુ સાધનો અને માહિતી ટેક્નોલૉજીનો ઉપયોગ થયો. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ત્રીજી ક્રાંતિના પાયા પર ઊભી છે. ચોથી ક્રાંતિમાં અનેક પ્રકારની ટેક્નોલૉજી ભેગી થઈ છે કે જે ભૌતિક (physical), ડિજિટલ અને જૈવિક (biological) જગતની સરહદો ભૂંસી નાખે છે. આ ક્રાંતિએ ઝડપ, કાર્યાવકાશ અને વ્યવસ્થાઓ પર તેના પ્રભાવની બાબતમાં મોટી અસરો ઊભી કરી છે. નવી ટેક્નોલૉજી અને નવી ચીજો અગાઉ કરતાં અનેક ગણી ઝડપથી બજારમાં આવતી જ જાય છે. દરેક દેશમાં અને અર્થતંત્રના એકેએક ક્ષેત્રમાં તથા વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન, સંચાલન અને શાસનવ્યવસ્થામાં બહુ જ ઝડપથી તે વિક્ષેપ ઊભો કરે છે.
મોબાઇલફોનથી કરોડો લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા છે, તેઓ માહિતી પર પ્રક્રિયા કરવાની, તેનો સંગ્રહ કરવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની અમર્યાદ તાકાત ધરાવે છે. ડ્રૉન, સ્વયંચાલિત કાર અને અનેક પ્રકારનાં સૉફ્ટવેર આવી ચૂક્યાં છે અને આવી રહ્યાં છે. આ બધું જ માનવજાતની સંસ્કૃતિ પર પ્રભાવ પાડે છે.
નવા સ્વરૂપના બજારમાં પડકારો અને તકો
ચોથી ઔદ્યોગિક ક્રાંતિથી વૈશ્વિક સ્તરે આવક વધી શકે છે અને જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. ગ્રાહકોને પોસાય તે ભાવે નવું ડિજિટલ જગત મળે છે, નવી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ થાય છે કે જે અંગત જીવનમાં કાર્યક્ષમતા અને ખુશાલી વધારે છે. અનેક વસ્તુઓ અને સેવાઓ ખરીદવાનું ડિજિટલ થઈ ગયું છે. બજારમાં જેમ માંગપક્ષે ફેરફાર થયો છે તેમ પુરવઠાપક્ષે પણ ફેરફર થઈ શકે છે. ભવિષ્યમાં પરિવહન અને સંચારકર્મનું ખર્ચ ઘટી શકે છે અને ઉત્પાદકતા વધી શકે છે તેમ જ આંતરાષ્ટ્રીય અને દેશીય વ્યાપાર માટે થતું ખર્ચ ઘટી શકે છે.
બીજી તરફ, અર્થશાસ્ત્રીઓ બ્રિન્જોલ્સન અને એન્ડ્રુ મેકાફી કહે છે તેમ ચોથી ઔદ્યોગિક ક્રાંતિને લીધે આર્થિક અસમાનતા વધી શકે છે, કારણ કે શ્રમબજારમાં તે વિક્ષેપ ઊભો કરે છે. દુનિયાભરમાં ઑટોમેશન વધી રહ્યું છે, તેથી મૂડીને મળતું વળતર વધે છે અને શ્રમને મળતું વળતર ઘટે છે; એટલું જ નહિ પણ તે બે વચ્ચેનો તફાવત વધતો જાય છે. જો કે, જે નોકરીઓ સલામત છે, તેમાં વળતર વધે છે. કોનામાં કેટલી પ્રતિભા ટેક્નોલૉજીના સંદર્ભમાં છે તેના પર બધો આધાર રહે છે. ઉત્પાદનમાં પણ મૂડી કરતાં વ્યક્તિગત પ્રતિભાનું મહત્ત્વ વધી જાય એમ બને. ઓછી કુશળતા અને ઓછો પગાર તથા વધુ કુશળતા અને વધુ પગાર – એવી રીતે બે ભાગમાં શ્રમનું બજાર વહેંચાઈ જાય એમ બની રહ્યું છે. તેનાથી સામાજિક તનાવો વધશે.
નિષ્ણાતો એમ કહે છે કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં બૌદ્ધિક અને ભૌતિક મૂડી જેની પાસે છે, તેવા સંશોધકો, શૅરધારકો અને શોધકોને સૌથી વધુ લાભ થશે. તેને લીધે જ અસમાનતા વધી શકે છે. જેઓ મોટે ભાગે શારીરિક શ્રમ પર આધાર રાખે છે, તેઓ સમાજમાં નીચલી પાયરી પર જ રહેશે. અત્યંત કુશળતા ધરાવતા લોકોની માંગ વધારે છે અને ઓછી કુશળતા ધરાવતા લોકોની માંગ ઓછી છે. ધનવાન દેશોમાં પણ અસમાનતા વધી રહી છે તેનું કારણ એ જ છે. કામદારોની વાસ્તવિક આવક લગભગ સ્થિર થઈ રહી છે અને તેથી તેમનામાં ભારે અસંતોષની લાગણી જન્મી છે. દુનિયાની ૩૦ ટકા વસ્તી સામાજિક માધ્યમોનો ઉપયોગ કરે છે અને કામદારોનો અસંતોષ તેમાં છતો થાય છે. તેઓ માહિતીની આપલે કરે છે અને એકબીજાના સંપર્કમાં રહે છે. આને પરિણામે સંસ્કૃતિઓનું આદાનપ્રદાન વધ્યું છે, એકબીજા વિશેની જાણકારી વધી છે. જે ઝડપે નવી નવી શોધો થઈ રહી છે, નવી-નવી વસ્તુઓ બજારમાં આવી રહી છે અને તેને લીધે જે વિક્ષેપો ઊભા થઈ રહ્યા છે, તે સમજવાનું અને કે તેમની ધારણા કરવાનું પણ અઘરું થઈ પડ્યું છે. એ બધાની વેપારધંધાઓ પર મોટી અસર થઈ રહી છે.
સંશોધન અને વિકાસ, ખરીદ-વેચાણ અને વિતરણ માટેનાં ડિજિટલ પ્લૅટફૉર્મ વધી ગયાં છે અને ગુણવત્તા, ગતિ અને ભાવ પર તે અસર કરી રહ્યાં છે. ગ્રાહકોનું વર્તન બદલાઈ રહ્યું છે અને તેઓ તેમને સામાજિક માધ્યમો પર મળતી માહિતી પર વિશેષ આધાર રાખતા થયા છે. તે મુજબ વસ્તુઓ અને સેવાઓની ડિઝાઇન અને બજાર ગોઠવાય છે. આમ, ગ્રાહકોની અપેક્ષાઓ, ઉત્પાદનમાં વધારો, સહયોગી સંશોધન અને સંગઠનોનું સ્વરૂપ એ બધા ઉપર આ નવી ડિજિટલ ટેક્નોલૉજીની અસર થઈ રહી છે. ગ્રાહકો વધુ માહિતગાર બની રહ્યા છે, કારણ કે દરેક વસ્તુ કે સેવામાં નવું ડિજિટલ તત્ત્વ ઉમેરાયું છે. વ્યક્તિગત પ્રતિભા, સંસ્કૃતિ અને સંગઠનની વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. તેને લીધે જ કંપનીઓના સંગઠનમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. ઘરે બેઠા-બેઠા ઑફિસનું કામ કરવાની શક્યતાઓ વધે છે અને એ રીતે જાણે કે ઔપચારિક સંગઠનની આવશ્યકતા જ ઘટી જાય છે.
સરકારો પરની અસરો
ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં સરકારો પર મોટી અસરો નીચેની રીતે પડી રહી છે અથવા પડી શકે છે :
(૧) સરકારો માટે લોકો પર નિગરાની રાખવાનું બહુ સરળ બની ગયું છે. કારણ કે ડિજિટલ વ્યવહારોને લીધે સર્વેલન્સ વધી શકે છે અને માળખાગત સવલતો પર સરકારનો અંકુશ પણ વધી શકે છે. તેથી પોલીસ-રાજ ઊભું થવાની શક્યતાઓ વધી જાય છે. આ રીતે સરકારોમાં સરમુખત્યારી વલણોને વેગ મળે એમ પણ બને. લોકશાહી દેશોમાં પણ સરકારો વધુ ને વધુ સરમુખત્યાર વલણો અખત્યાર કરે એમ બની શકે છે.
(૨) બીજી તરફ, નવી ટેક્નોલૉજી સરકારમાં લોકોની ભાગીદારી વધી શકે છે. સરકારે આ ભાગીદારી વધારવા માટે પ્રયાસ કરવો પડે અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડે. અમેરિકન પત્રકાર અને લેખક એલ્વિન ટોફ્લર દ્વારા ૧૯૮૦માં લખાયેલા પુસ્તક ‘The Third Wave’માં સેટેલાઇટ ટેક્નોલૉજી સાથે મહાત્મા ગાંધીનો વિકેન્દ્રિત સમાજ કેવી રીતે શક્ય બની શકે તેમ છે, તેની છણાવટ કરવામાં આવી છે. સરકારની નિર્ણયપ્રક્રિયામાં અને કાયદાના કે નિયમોના ઘડતરમાં લોકોની સામેલગીરી કેવી રીતે વધારવી તેના રસ્તા ડિજિટલ ટેકનોલૉજીને લીધે વધુ ખૂલી ગયા છે. સત્તાનું વિકેન્દ્રીકરણ આ રીતે શક્ય છે.
(૩) સામાજિક માધ્યમોએ લોકશાહીને વધુ વિકેન્દ્રિત કરી છે. દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય અન્ય અનેક લોકો સુધી પહોંચાડી શકે છે કે જે અગાઉ અશક્ય હતું. સરકારોએ પણ આ અભિપ્રાયોને ધ્યાનમાં લેવા પડે છે.
(૪) સરકારની યોજનાઓનો અમલ સારી રીતે થાય તેમાં સરળતા ઊભી થાય છે અને લાભાર્થીઓની સાચી ઓળખ શક્ય બને છે.
(૫) સરકાર વિશેની માહિતી બહુ ઝડપથી લોકો સુધી પહોંચે છે અને તેથી વધુ પારદર્શિતા ઊભી થાય છે. સરકારોએ બહુ ઝડપથી નવી ટેક્નોલૉજીને અપનાવવી પડે છે અને તેથી પણ પારદર્શિતા વધવી સંભવ બને છે. જો સરકારો આધુનિક ના બને તો તેમને લોકોના અસંતોષના ભોગ બનવું પડે છે. તેને માટે સરકારોએ નાગરિકસમાજ અને ઉદ્યોગ – જગત સાથે વધુ સંપર્કમાં રહેવું પડે છે.
(૬) રાજ્યની અને લોકોની સલામતીના ખ્યાલમાં સાયબર-સલામતીનો ખ્યાલ પ્રવેશ્યો છે. યુદ્ધ અને તેની સાથે સંબંધિત વ્યૂહરચનાઓમાં પણ સાયબર-સલામતી અને સાયબર-હુમલાના ખ્યાલો વધુ મજબૂત બનતા જાય છે.
લોકો પરની અસરો
ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આપણે બજારમાં ગ્રાહક તરીકે અને રાજ્યમાં નાગરિક તરીકે શું કરીએ છીએ તેને જ બદલે છે, એવું નથી પણ આપણે ખરેખર શું છીએ તેને વિશેના ખ્યાલો પણ બદલે છે. તે આપણી ઓળખ અને તેની સાથે જોડાયેલા પ્રશ્નોને પણ અસર કરે છે. અંગતતા વિશેના ખ્યાલો અને તેના અધિકારોને પણ તે બાબત સ્પર્શે છે. કામ કરવાની શૈલી તથા પદ્ધતિ, ચીજવસ્તુઓના વપરાશની તરાહ, આરામ માટેનો સમય કેવી રીતે વિતાવીએ છીએ તે, આપણી કારકિર્દી ઘડવાની અને કુશળતા વિકસાવવાની તૈયારી, લોકોને મળવાની અને લોકો સાથે સંપર્કમાં રહેવાની તથા સંબંધો નિભાવવાની આપણી ઇચ્છા અને શૈલી વગેરે તમામ બાબતોને એ અસર કરે છે. આપણા આરોગ્ય ઉપર અને બીમારીમાં થતી સારવાર ઉપર પણ આ નવી ટેક્નોલૉજી અસર કરે છે. આયુષ્ય, આરોગ્ય, બોધાત્મક અને શારીરિક ક્ષમતા વગેરે બદલાય છે અને તેથી નૈતિકતાના ખ્યાલો બદલાય છે.
પરસ્પર હળવામળવાની આપણી રીતો અને સહકાર સાધવાની આપણી જીવનશૈલી ઉપર તે અસર કરે જ છે. ચિંતન અને મનન જાણે કે દૂરની અને અલભ્ય ચીજો બની જાય છે. પ્રેમ અને લાગણીઓને તે ટેક્નિકલ બનાવે છે અને સાથે સાથે વિશ્વાસભંગ કરવો અને દગો દેવો એ સામાન્ય ઘટના બની જાય છે, કારણ કે માનવસંબંધો અવૈયક્તિક બને છે. મનુષ્યો વધુ ને વધુ ક્રૂર અને ઘાતકી બની રહ્યા છે કે શું? તેથી જુઠ્ઠાણાં પર અપાર વિશ્વાસ કરવો, અસત્ય આચરનારની ભક્તિ કરવી અને તેને આધારે પોતાની જિંદગીને આકાર આપવો એ સામાન્ય બાબત બની ગઈ છે. પ્રેમ અને દગો બંને ટેક્નિકલ બની ગયાં છે.
કદાચ સૌથી મહત્ત્વનો પ્રશ્ન અંગતતાના અધિકાર(right to privacy)નો છે. આપણા પોતાના વિશેની માહિતી પર આપણો પોતાનો કોઈ અંકુશ રહ્યો નથી અને રાજ્ય એની કોઈ ખાતરી આપવા માટે પણ મોટે ભાગે તૈયાર નથી. રાજ્ય જ વ્યક્તિઓ પર નિગરાની રાખે છે અને જાસૂસી કરે છે એવું નથી પણ માહિતી ટેક્નોલૉજીએ ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે પણ બીજા લોકોની જાસૂસી કરવાનું શક્ય બનાવી દીધું છે. સરકારી કે ખાનગી રાહે ફોન હેકિંગ એ જાણે કે સામાન્ય બાબત બની ગઈ છે. તેને પરિણામે લોકોમાં ડર જન્મે છે અને તેઓ પોતે સ્વતંત્રતા ભોગવી શકતા નથી.
બજાર આ નવી ટેક્નોલૉજીથી અસમાનતા વધારે તો રાજ્ય તે દૂર કરવા માટે પ્રયાસ કરવો પડે. ટેક્નોલૉજી માણસ માટે છે, માણસ ટેક્નોલૉજી માટે નથી એ ત્યારે જ સમજાય કે જ્યારે આપણે ટેકનોલૉજીને માનવમૂલ્યોની દૃષ્ટિએ તટસ્થ ના સમજીએ. જોખમો અને તકોથી ભરપૂર એવી આ નવી ટેક્નોલૉજી જો માનવ-અધિકારોને મહત્ત્વ ના આપે તો તે વધુ ને વધુ અસમાનતા, અન્યાય અને પર્યાવરણનું ધોવાણ સર્જશે તથા તે નાનાં કે મોટાં વિનાશક યુદ્ધો તરફ દોરી જશે.
જો કે, એવી કોઈ ટેક્નોલૉજી હોઈ શકે નહિ કે જેના પર મનુષ્યનો અંકુશ ના હોય કે અંકુશ ના રહી શકે. ટેક્નોલૉજી પેદા કરનાર મનુષ્ય છે અને મનુષ્ય જ તેનાથી અંકુશિત થઈ જાય તે તો તેની ઇચ્છા વિના શક્ય ના બને. એટલે રાજ્યમાં નાગરિકો તરીકે તથા બજારમાં ગ્રાહકો અને રોકાણકારો તરીકે જે નિર્ણયો આપણે લઈશું, અને સમાજમાં માનવસંબંધો અંગે જે વ્યવહાર કરીશું તે જ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં મનુષ્યની જીવનશૈલીને નક્કી કરશે.
ગિગ ઇકોનૉમી
‘ગિગ ઇકોનૉમી’ શબ્દસમૂહ સામાન્ય રીતે એવી કાર્યસ્થિતિ માટે વાપરવામાં આવે છે કે જેમાં મજૂરો કે કર્મચારીઓ કોઈક કંપની, સંગઠન કે સરકાર માટે ટૂંકા ગાળા માટે કામ કરે છે કે હંગામી કરાર પર કામ કરે છે. ડિજિટલ અર્થતંત્રમાં દરેક વ્યક્તિ સાથે કામ માટે સ્વતંત્ર કરાર કરવા એ કંપનીઓ માટે સામાન્ય બાબત બની ગઈ છે. ટેક્નોલૉજી પ્લૅટફૉર્મ્સ પર આ ‘ગિગ ઇકોનૉમી’ વધુ કામ કરે છે. આમ, ‘ગિગ ઇકોનૉમી’માં કામનું સ્વરૂપ બદલાઈ ગયું છે અને કામનું પરંપરાગત સ્વરૂપ પરિવર્તન પામ્યું છે. એક અભ્યાસ એમ કહે છે કે અમેરિકામાં ૨૦૨૦ સુધીમાં ૪૩ ટકા કામદારો કે કર્મચારીઓ આ રીતે કરાર આધારિત ટૂંકા સમયનું સ્વતંત્ર કામ કરનારા હશે. યુરોપીય સંઘના ૧૪ દેશોમાં ૨૦૧૭માં ૯.૭ ટકા કામદારો આ રીતે કરાર પર જુદું-જુદું કામ કરીને આવક રળતા હતા. દુનિયાના અનેક દેશોમાં ડિજિટલ અર્થતંત્રને પરિણામે આ પદ્ધતિ દાખલ થઈ રહી છે. દરેક વ્યક્તિને તેનું નિશ્ચિત કામ સોંપવામાં આવે છે અને તે કામપૂરતું જ તે વ્યક્તિ જે-તે સંગઠન કે કંપની કે સરકાર સાથે જોડાય છે. ‘ગિગ’નો અર્થ છે વ્યક્તિગત કામ કે સોંપવામાં આવેલું કામ. ‘ગિગ ઇકોનૉમી’નાં લક્ષણો નીચે મુજબ છે :
(૧) મજૂરો કે કર્મચારીઓ ક્યાં ય કોઈ આર્થિક સાહસ કે એકમમાં કાયમી ધોરણે કામ કરતા નથી. બધે જ કરાર આધારિત કામથી જ જોડાય છે.
(૨) વ્યક્તિની કુલ આવકમાં કોઈ એક કામમાંથી થતી આવકનો ફાળો નજીવો હોય છે. આવાં નાનાં નાનાં અનેક કામો કરીને વ્યક્તિ તેની આવક રળે છે કે જે તેની કાયમી નોકરીના કામમાંથી મળતી આવક જેટલી થઈ જાય કે ના પણ થાય.
(૩) કંપનીઓને કાયમી કર્મચારી તરીકેના લાભ વ્યક્તિને આપવા પડતા નથી. એટલે કે સાપ્તાહિક રજા, પ્રોવિડન્ટફંડની કપાત, ઈજાના સંદર્ભમાં વળતર કે પેન્શન જેવા કોઈ પણ લાભ કામદારને આપવામાંથી કંપનીને મુક્તિ મળે છે. પરિણામે કંપનીનું વહીવટી કામ ઘટી જાય છે. કંપનીનો નફો વધવાની સંભાવના પણ તેથી વધી જાય છે.
(૪) વ્યક્તિને કામમાં લવચીકતા મળે છે, તે પોતાની ઇચ્છા અને સમય અનુસાર કામ મેળવે છે અને પોતાને અનુકૂળ હોય તે સમયે કામ કરે છે. કામ દિવસના કયા સમયે કરવું તે વ્યક્તિ જાતે નક્કી કરે છે. જેઓ સ્વતંત્ર રીતે કામ કરવા માગે છે, તેમને આ વ્યવસ્થા વધુ અનુકૂળ આવે છે. જો કે, વ્યક્તિએ જુદાં-જુદાં કામો વચ્ચે સંકલન કરવું પડે છે અને બધાં કામો સમયસર પૂરાં થાય તે માટે ધ્યાન આપવું પડે છે.
(૫) કરારમાં નિશ્ચિત કરેલા કામ માટે નિશ્ચિત કરેલી રકમ કામદારને કે કર્મચારીને કંપની તરફથી મળે છે.
(૬) આવકમાંથી વેરો ચૂકવવાની જવાબદારી વ્યક્તિની પોતાની હોય છે. કંપની કે કોઈ આર્થિક એકમ તે જવાબદારી લેતાં નથી.
(૭) જ્યારે કોઈ કર્મચારી કે કામદાર કોઈક સંગઠન સાથે કાયમી ધોરણે જોડાતા નથી, ત્યારે તેમની સંગઠન પ્રત્યે કોઈ જવાબદારીની ભાવના પેદા થતી નથી કે તેમની કોઈ વફાદારી પણ પેદા થતી નથી.
(૮) કોઈ પણ કંપની કોઈ કામદાર પર અમુક કામ કરવા માટે ફરજ પાડી શકતી નથી. કામદારને તે કામ અનુકૂળ હોય તો જ તે કામ કરવાનું સ્વીકારે છે.
(૯) કોઈ પણ કંપની કે સંગઠન કે સરકાર કોઈ પણ નિષ્ણાત વ્યક્તિ પાસેથી ગમે ત્યારે કરાર આધારિત કામ લઈ શકે છે. તેને લીધે ખર્ચ ઘટે છે અને છતાં કુશળ વ્યક્તિની સેવાઓ પ્રાપ્ત થાય છે.
(૧૦) કામની ઝડપ વધે છે. વસ્તુઓ અને સેવાઓ ઝડપથી ઉત્પન્ન થાય છે અને કાર્યક્ષમતાથી એટલે કે ઓછા ખર્ચે પેદા થાય છે.
(૧૧) ‘ગિગ ઇકોનૉમી’માં કામદાર કે કર્મચારી માટે કામની કોઈ સલામતી નથી, તેથી તેના માથે સતત અસલામતીની તલવાર લટકતી રહે છે. પણ કોઈક કામ બંધ થાય, તો કોઈક કામ ચાલુ રહે છે અથવા નવું કામ મળે છે અને તેથી બધી આવક ગુમાવવાનો વારો આવતો નથી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 20-22