Opinion Magazine
Number of visits: 9680460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દર્પણ

દેવિકા રાહુલ ધ્રુવ|Poetry|6 January 2021

એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

દીવડાની ઝીણી આશકાને નિરખી,
ભીતરના ઓજસની ઝાંખી કરી,
તન–મનની શુદ્ધિની આરતી ઉતારે.
એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

 

રસ્તે પડેલા કો’ કંકરને હાથ ધરી,

હળવેથી ઊંચકી, સાચવી સાચવી,

મૂર્તિ બનાવી, એમાં પ્રાણ પૂરી આપે.
એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

 

કાગળ પર ફરતી કલમની કમાન,
કાપે છો જોજન આ શબ્દો ચોપાસ,
અક્ષર એક પામે જ્યાં સત્ય આરપાર,
એવું એક દર્પણ મળી આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

 

જાન્યુઆરી 05, 2021

 

e.mail : ddhruva1948@yahoo.com

Loading

કોરોના કાળના એક શિક્ષકનાં લેખાં-જોખાં

રમઝાન હસણિયા|Opinion - Opinion|5 January 2021

કેટકેટલું લઈ લીધું આ કોરોનાએ …પણ એનાં ગણિત અહીં નથી લગાડવા. એક જ અફસોસ વ્યક્ત કરવો છે કે વર્ગ નામે મારું સ્વર્ગ પડાવી લઈને જાણે શાપિત યક્ષની જેમ પૃથ્વી પર પટકી દીધો મને આ કોરોનાએ ..

વર્ષ શરૂ થાય ને નવાં નવાં યુવાન વિદ્યાર્થી મિત્રોને જોવા આંખો રીતસરની વાટ જુએ … એક પછી એક નવા મિત્રો સાથે પરિચય કેળવાતો જાય ને જૂના મિત્રો સાથેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બનતો જાય …

જે કંઈ નવું નવું કરવાનું મન થાય તે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીએ કે તરત બધાં ખડે પગે હાજર … એમની તત્પરતા જ મારામાં જોમ પૂરે …

હા .. ભણાવતા ભણાવતા હૈયે દાટી રાખેલી કેટકેટલી વાતો સૌથી નિકટના સ્વજન તરીકે વિદ્યાર્થી મિત્રો સમક્ષ સહજ વ્યક્ત થઈ જાય .. ગત વર્ષે વનાંચલ ભણાવતે ભણાવતે મારું વનાંચલ પણ ભણાવી દીધેલું .. ને ભીની આંખોની કોરને લૂછતાં મારાં મરદ મુછાળા વિદ્યાર્થીઓએ કહેલું કે, ‘સાહેબ, અમે બે વનાંચલ સાથે ભણ્યા ને એટલે જ ત્રીજા અમારા જીવનના વનાંચલને પણ સારી પેઠે સમજી શક્યા …'

રાપર જેવા નગરમાં જ્યાં સાહિત્યિક કાર્યક્રમો ભાગ્યે જ યોજાય ત્યાં જયંત પાઠકની શતાબ્દી વંદનાનો કાર્યક્રમ કર્યો ત્યારે કોઈ વડીલે હસતાં હસતાં પૂછેલું કે જયંત પાઠક કોનાં સગાં થાય ? એ ભાઈ જ્યારે કાર્યક્રમમાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની તૈયારીઓ જોઈને આભા બની ગયેલા … એક એક વિદ્યાર્થીને પોતાનાં સ્વજનનાં સ્મરણો વાગોળતાં હોય એમ બોલતાં જોઈ એમને સમજાઈ ગયેલું કે જયંત પાઠક અમારા શું સગાં થતાં હતાં ….

પાંચ સાત વર્ગો ભરીને હજુ તો તાજા બંધાયેલા પ્રેમ સંબંધને વ્યક્ત કરવા પરમાર ભરત નાનકડી રબારી કન્યાનું શિલ્પ બનાવી ભેટ ધરે ત્યારે હાથની સાથે હૈયું પણ ભરાઈ જાય … ચૂપચાપ બેસી રહેતાં મિત્રો ધીરેધીરે બોલવાનું શરૂ કરે ને પછી તો એટલે સુધી વાત પહોંચે કે મારે કશું બોલવું ન પડે ને એ સમજી જાય … પ્રહ્લાદ પારેખની 'પછી તો ના વાતો .. ' પંક્તિ  મારા માટે જીવતી થઈ જાય …

વર્ગમાં નરસિંહ, મીરાં ભણતાં ભણાવતાં કોઈ પ્રકાશ જેવા ભજનિક નીકળી આવે. મુખ્ય વિષય ગુજરાતી ન હોય ને છતાં એમાં બહુ રસપૂર્વક કામ કરે એવા મિત્રોને જોઈએ ત્યારે હૈયે ટાઢક વળે ને ભાષાની સઘળી ચિંતાઓ ખરી પડે.

વર્ગમાંથી વહેલા ઘરે જતાં કોઈ મિત્રને કારણ પૂછતાં માથે હાથ મુકાઈ જાય ને ખબર પડે એ તાવથી ધગધગે છે. પગે ક્યાં ચાલ્યા એમ પૂછતાં તો પુછાઈ જાય પણ તરત યાદ આવે કે એના ખિસ્સામાં રાખેલી  દસની નોટ તો સવારે વપરાઈ ગઈ હશે …. ઈબ્રાહિમને દોડાવીને એક્ટિવા પર બેસાડી એને દવાખાને દવા લઈ ઘરે પહોંચતો કરીએ .. ને  સાંજે ખબર પૂછવા ફોન કરું ત્યારે love you sir કહીને પોતાનો સઘળો ભાવ વ્યક્ત કરી દેતા એ ભાઈબંધને જોયે કેટલો બધો સમય થઈ ગયો !

સાહેબ, આપણે ગણેશ ઉત્સવ કરીશું, નવરાત્રિમાં આ વખતે કંઈક નવું વિચારીએ … એન્યુઅલ ફંક્શન તો જોરદાર કરીશું … આવા દરેક સંવાદોમાં છલકાતો વિદ્યાર્થીઓનો ઉત્સાહ ચાવી ગયો આ કોરોના ….

હાર્દિક ને એમની મંડળી જાણે અમારી હનુમાનમંડળી … આ મંડળી જ મારું બાહુબળ. કોઈ દિવસ કોઈ વિશેષ કપડાં પહેરીને જાઉં તો બધા સ્ટાફ રૂમમાં જોવા આવે … અમારી સાથે ફોટો પડાવોને કહી હું જાણે સેલિબ્રિટી હોઉં એવું ફીલ કરાવે … હું પણ એમ કરવા દઉં એમના રાજીપા માટે …

આજે તો બહુ ઠંડી છે ચાલોને અગાસીમાં તડકે બેસીને ભણીએ … એવું કોઈ બોલે ને અમે  નભમંડપની નીચે ગોઠવાઈ જઈએ. એકબીજાંમાં ઘૂસીને બેઠેલાં ને વચ્ચે વચ્ચે અડપલાં કરતાં એ મિત્રો વિના અગાસી સૂની પડી છે.

કોલેજમાં પગ મુકતાની સાથે ગુડ મોર્નિંગ સર, કહી વળગી પડતાં એ વિદ્યાર્થીઓ વિના કોલેજ ફૂલો વિનાના બગીચા જેવી લાગે છે.

હજુ તો આ કથા કંઈ એમ સંકેલાય એમ નથી. પણ આવા સંજોગોમાં અંદરનો શિક્ષક જૂના દિવસોને ઝંખે જરૂર પણ ચૂપચાપ બેસી તો ન જ રહે … ઓનલાઈન શિક્ષણની નવી પદ્ધતિમાં ઝડપથી ગોઠવાઈ જઈ એમ તો એમ વિદ્યાર્થીઓ સમક્ષ થયા વિના તો કેમ રહેવાય …

જ્યારે બધા ઓનલાઈન શિક્ષણમાં ગોઠવાઈ રહ્યા હતા, ત્યારે રાપર કોલેજ દ્વારા વર્ગોનો આરંભ થઈ ગયેલો … એક બહુ મોટો ફાયદો એ થયો કે હવે કોલેજના સીમાડા ઓગળી ગયા, વર્ગની ભીંતો પડી ગઈ ને એમાં પ્રવેશી ગયા ભુજ, આદિપુર, અમદાવાદ, ગઢડા જેવી કેટલી ય કોલેજના મિત્રો … પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પણ વિદ્યાર્થીઓનો સંગ મળ્યો એનો રાજીપો … એ બધા સાથે મૈત્રી કેળવાતી ગઈ ..  બહારના મિત્રોમાં ઘણાં ઉત્સાહી મિત્રો મળ્યા … એમની સાથે ભણવા-ભણાવાની મજા પડતી ગઈ. એ લોકો એટલાં પોતીકા થઈ પડ્યાં કે એ જાતે વર્ગો લેતાં થઈ ગયા. કેટલાં ય ઓનલાઈન કાર્યક્રમો કર્યા.  એક દિવસ તોલાણી કોલેજના એક આવા મિત્રનો ફોન આવ્યો, સાહેબ, ઘરે છો ?  ઘરે આવું ? મેં કહ્યું, જરૂર આવો. આવ્યા, મળ્યા. એક જ મિનિટમાં પાછા જવાની વાત કરી તો મેં કહ્યું કે કેમ આટલી વારમાં ? તો કહે મારી પાસે બિલકુલ સમય નહોતો પણ નિલપર પાટિયું જોયું તો તમને જોવાની ઈચ્છા રોકી ન શક્યો … હું માત્ર તમને જોવા જ આવ્યો હતો .. ક્ષણાર્ધમાં બાઈકથી સરકી જતાં એ પ્રિન્સ વાઘેલાની આંખોમાં વાંચતો પ્રેમ આ કોરોનાની જ ભેટ !!!!

કોરોનાના કારણે જ કાવ્યાસ્વાદ શ્રેણી ચલાવવાનું સૂઝ્યું ને પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી પણ એની જ સોગાદ…

નવા મિત્રોનો પ્રવેશોત્સવ પણ ઓનલાઈન થયો ને ઓરીએન્ટેશન પણ થયું ઓનલાઈન … નવા સિત્તેર જેટલાં મિત્રોનું એડમિશન થયું પણ એમાંથી વીસેક જેટલાં મિત્રો નિયમિત વફાગમાં જોડાય. બાકીના આવે જાય એવું થાય …

થોડું નવું નવું કરવાનું મન થયા કરે ને વિદ્યાર્થીઓ એને શબ્દશઃ ઝીલે પણ ખરા … આદરણીય મહેન્દ્રસિંહ પરમાર સાહેબ કેટકેટલું સાહિત્ય ઓડિયો વીડિઓ રૂપે ધરતાં જાય છે એ જોઈ વિદ્યાર્થીઓ પણ એવું કંઈક કરે એવું  વિચારી અસાઈનમેન્ટના રૂપમાં આ કામ સોંપ્યું ને વિદ્યાર્થીઓએ જે કરી બતાવ્યું તે જોઈ હરખથી છાતી ફાટફાટ થાય છે.

ભોળાભાઈ પટેલના નિબંધસંગ્રહ ‘વિદિશા’ના નિબંધોમાંથી ને સ્વામી અને સાંઈના પત્રોમાંથી વિદ્યાર્થીઓ પસાર થાય ને એમની આવડતનો ઉપયોગ કરી એને નવલાં રૂપરંગે તૈયાર કરે એવી ઈચ્છા વ્યક્ત કરી જેનાં સુફળરૂપ કેટલાંક વીડિયો … જોવાં સમ છે …

અવાજના જાદુગર હુશેન હોય કે ભાવભીનાં નરેન્દ્ર, મેરિયા પ્રકાશ હોય કે નાનકડા લખમણ. અંગ્રેજી સરસ બોલતા અરવિંદ હોય કે તડપદું બોલતા મહેશ … રૂપકડા અબ્દુલ હોય કે પરમાર ભરત .. બધાએ બહુ મહેનત કરી પત્રો તૈયાર કર્યા. તો નવા આવેલા મિત્રો રવીન્દ્ર ચાવડા, હરિજન ઊર્મિલા, અમિત રાઠોડ ને એની પ્રજાપતિ પણ પાછળ ન રહ્યાં …

હિમાંશીબહેન શેલતે પણ રાજીપો વ્યક્ત કર્યો આ બધું જોઈને.

આ બધા વીડિયો યુટ્યુબ પર મુકીશું. એક ડોક્યુમેન્ટ તૈયાર થશે. શેષ રહેતાં પત્રો બીજા અધ્યાપક મિત્રો તૈયાર કરાવે તો બધું મોબાઈલવગું થઈ જશે.

ફરિયાદના સૂર કરતાં આનંદની આ ક્ષણો વહેંચવી વધુ ગમે છે.

આ કથા ખૂટે તેમ નથી, પણ અહીં અટકું કોરોનાને એટલું કહીને કે તું જલદી જાજે જેથી મારું સ્વર્ગ મને પાછું મળે … મારા શાપનો સમય જો પૂરો થયો હોય, તો ફરી મને એ આનંદલોકમાં વિહરવાની અનુમતિ આપ .. હા … તેં જે આપ્યું છે એનો ઉપકાર પણ જિંદગી નહિ ભૂલાય. ને છતાં ઈચ્છા તો એ  જ રહેશે કે મારો જૂનો સમય ક્યારે પાછો જીવતો થાય …..

સૌજન્ય : લેખકની ફેઈસબૂક દિવાલેથી આંતરીને સાભાર

Loading

જૂઠ અને કલ્પનામાં ફર્ક એ છે કે જૂઠમાં તમને ખબર હોય કે તે સત્ય નથી, જ્યારે કલ્પનામાં તમને વિશ્વાસ હોય છે.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 January 2021

અમેરિકન વ્યંગકાર માર્ક ટ્વેઇનના નામે એક કથિત વિધાન છે (કથિત એટલા માટે કે એવા જ મતલબનું વિધાન એન્ગલો-આઈરિશ લેખક જોનાથન સ્વિફ્ટ નામે અંકિત છે) : "સત્ય હજુ ચપ્પલ પહેરે તે પહેલાં જૂઠ અડધી દુનિયામાં પહોંચી જાય છે." કોરોનાની મહામારીમાં આ વિધાન સાચું પડ્યું છે. અમેરિકામાં એક સર્વેમાં બહાર આવ્યું છે કે આ મહામારી કોઈ કારસ્તાનના ભાગરૂપે ફેલાઈ છે તેવી માન્યતાના કારણે લોકો વાઈરસ ફેલાતો રોકાય તેવા (માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, લોક ડાઉન, હાથની સફાઈ વગેરે જેવા) ઉપાયોમાં સહકાર આપવા તૈયાર નથી થતા.

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના અન્નેનબર્ગ પબ્લિક પોલિસી સેન્ટરે કરેલા આ સર્વેમાં અમેરિકન લોકોમાં કોરનાને લઈને કારસ્તાનની ત્રણ મુખ્ય શંકાઓ હતી : એક, ચીનની સરકારે તેની જૈવિક શસ્ત્રોની નીતિ હેઠળ લેબોરેટરીમાં કોરોના વાઈરસને પેદા કરીને છોડ્યો હતો. બે, યુ.એસ. સરકારના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી જીતીને ન આવે તે માટે કોરોનાનો વધારે પડતો હાઉ ઊભો કર્યો હતો, અને ત્રણ, ફાર્માસ્યુટિકલ કંપનીઓએ તેમની દવાઓ અને પાછળથી રસીઓ વેચવા માટે આ મહામારી ઊભી કરી છે.

દુનિયાના લગભગ દરેક દેશમાં, કોરોનાને લઈને લોકોમાં જાતભાતની માન્યતાઓ પ્રચલિત છે. દિલ્હીમાં તબલીગી જમાતના સંમેલનનો ફિયાસ્કો થયો, તે પછી આખા દેશમાં એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે એ સંમેલનનો હેતુ જ કોરોના ફેલાવવાનો હતો. મીડિયાએ તેના માટે ‘સુપરસ્પ્રેડર’ શબ્દ ઘડી કાઢ્યો હતો. હવે એ શબ્દ ગાયબ થઇ ગયો છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને ભારતીય ન્યૂઝ ટેલિવિઝન પર બે મહિના સુધી રોજ એક નવી ‘થિયરી’ આવતી હતી.

અમેરિકાના ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્ર અનુસાર, કોરોનાના ઉદ્ભવને લઈને ટેલિવિઝન અને સોશ્યલ મીડિયા પર ૧૨ લાખ વખત માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સનું નામ સંડોવામાં આવ્યું હતું. કેમ? બિલ ગેટ્સે ૨૦૧૫માં વાનકોવરમાં યોજાયેલી ટેડ કોન્ફરન્સમાં સીધી જ ચેતવણી ઉચ્ચારી હતી કે, “આગામી થોડા દાયકાઓમાં કોઈ યુદ્ધ નહીં, પણ અત્યંત ચેપી વાઈરસના કારણે એક કરોડથી વધુ લોકો મરી જશે.” ગેટ્સનું ફાઉન્ડેશન એઈડ્સ અને બીજી મહામારી માટે થઈને આખા વિશ્વમાં કામ કરે છે. ગેટ્સ ફાઉન્ડેશન રોગોના અભ્યાસ પણ કરે છે, પરંતુ ‘વાંકદેખ્યા’ લોકોએ એવો કુતર્ક કર્યો કે ગેટ્સે ભવિષ્યવાણી કરી હતી કારણ કે તેમને કોરોનાના કારસ્તાનની આગોતરી જાણ હતી અને તેમનું ફાઉન્ડેશન કોરોનાની રસી વેચવા અને માઈક્રોચીપ બેસાડવા સક્રિય છે.

બિલ ગેટ્સ સાથેના જ એક પોડકાસ્ટમાં, ઇઝાયેલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ કહ્યું હતું કે આપણી સામે કોરોના વાઈરસ કરતાં ય સૌથી વધુ મોટો ખતરો કારસ્તાનની આવી થિયરીઓનો છે. તેમણે કહ્યું હતું કે જૂઠ અને કલ્પનામાં ફર્ક એ છે કે જૂઠમાં તમને ખબર હોય કે તે સત્ય નથી, છતાં તમે બીજા લોકોને છેતરવા માટે તેને ફેલાવો, જયારે કલ્પનામાં તમને વિશ્વાસ હોય અને બીજા લોકો તેને માને એટલા માટે તેને ફેલાવો. દાખલા તરીકે, ધર્મમાં કે ઈશ્વરના અસ્તિત્વમાં માનવું એ જૂઠ નથી, કારણ કે તેમાં ઈરાદો બીજા લોકોને છેતરવાનો નથી, પરંતુ જર્મનીમાં નાઝી શાસકોની વંશીય થિયરી (કે એક જાતિનું લોહી શ્રેષ્ઠ છે અને બીજી જાતિનું કનિષ્ઠ છે) શુદ્ધ રૂપે જૂઠ અથવા કારસ્તાન હતું.

સવાલ એ છે કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં વૈજ્ઞાનિક જાણકારી છે, આપણે પ્રમાણમાં ઘણા શિક્ષિત છીએ, આપણી પાસે ટેકનોલોજીઓ છે, છતાં આપણે એવું કેમ માનવા પ્રેરાઈએ છીએ કે ચીની લોકોએ વિશ્વગુરુ બનવા માટે વાઈરસને છોડીને દુનિયાને નમાવી દીધી છે અથવા દવા કંપનીઓએ ભેગા થઈને રોગનું કારસ્તાન કર્યું છે?

તેનું એક કારણ છે કે મોટા ભાગના લોકોને સાદી રીતે સમજમાં આવે તેવી વાતો વધુ સાચી લાગે છે. આપણા દિમાગની આ એક વિશેષતા છે. આપણે દિમાગને દુનિયાનું સૌથી કાર્યક્ષમ અને સૌથી વિકસિત ‘યંત્ર’ ગણીએ છીએ, જે સાચું પણ છે, પરંતુ જ્યારે પરસ્પર વિરોધાભાસી માહિતીઓ આવતી હોય અથવા ગૂંચવાડાભરી પરિસ્થિતિ હોય, ત્યારે દિમાગ સૌથી સુસંગત જાણકારીને સાચી માની લે છે. આપણને અનિશ્ચિતતા ગમતી નથી. જગત જટિલ છે તે સાચું, પરંતુ આપણા માટે રોજેરોજ જગત સાથે પનારો પાડવાની અનિવાર્યતા હોય છે, એટલે એ જરૂરી બની જાય છે કે ગમે તેવી જટિલતા હોય, પણ આપણે તેને ‘આપણી રીતે’ બોધગમ્ય બનાવીને નિત્ય જિંદગી જીવતા રહીએ.

દાખલા તરીકે, કોરોના વાઈરસને લઈને એટલી બધી વિરોધાભાસી જાણકારીઓ છે (વૈજ્ઞાનિકો પણ એકરાર કરે છે કે તેમની પાસે હજુ વાઈરસના વર્તનને લઈને સંપૂર્ણ માહિતી નથી) કે મોટા ભાગના લોકો નિષ્ણાતોની જેમાં કપાળ પર આંગળી મુકીને વાઈરસનું વિજ્ઞાન શું છે, કોરોના કેવી રીતે વિકસ્યો હશે, તેની પહેલી જાણ કોને થઇ હશે, ચીનના વડાનો પહેલો પ્રતિભાવ શું હતો, ચીને બીજા દેશોને શું જાણ કરી હતી, વગેરે સવાલોનું વિશ્લેષણ કરવા બેસી રહેતા નથી.

તેના કરતાં ‘આ ચાઇનીઝ લોકો દુષ્ટ છે અને તેમને મહાસત્તા બનવું છે એટલે વાઈરસનું કારસ્તાન ઘડ્યું છે’ એવી વાત આસાનીથી સમજમાં આવે તેવી હોય છે. બીજું એક કારણ એ છે કે લોકો તેમની સમજને અનુકૂળ આવે તેવી વાત વધુ સ્વીકારે છે. દાખલા તરીકે, ચીન પ્રત્યે અમેરિકામાં વધુ નફરત છે એટલે ‘ચીનનું કારસ્તાન છે’-વાળી વાત અમેરિકનો વધુ માને. પાકિસ્તાનમાં ચીન માટે પ્રમાણ દુશ્મનાવટની ભાવના ઓછી છે એટલે ત્યાં આ થિયરીને હસી કાઢવામાં આવે.

વાસ્તવિકતા જ્યારે અસ્પષ્ટ અને અણધારી હોય ત્યારે આપણે સહજ રીતે એવું માનવા પ્રેરાઈએ છીએ કે તે ઘટના પાછળ કોઈ યોજના હશે. આપણે તેમાં અકસ્માતની કલ્પના કરી શકતા નથી. દાખલા તરીકે જેના કારણે પોણા બે કરોડ લોકો માર્યા ગયા હોય અને જે છેલ્લા એક વર્ષથી દુનિયાના તમામ દેશોને ધમરોળી રહ્યો હોય તેવો વાઈરસ એક સાધારણ અકસ્માત કેવી રીતે હોઈ શકે?

આપણે સ્કૂલમાં હતા ત્યારે આપણને ન ગમતા છોકરાઓ કે છોકરીઓ આપણી સામે કોઈ કાવતરું ઘડી રહ્યા છે એવા વિચારને પંપાળવાનું આપણને ગમતું હતું. ઘર કે ઓફિસ બહાર પાર્ક કરેલી આપણી કારના બોનેટ પર કોઈએ તીક્ષ્ણ વસ્તુથી કોઈ અક્ષર પાડ્યો હોય, તો તે મસ્તી-મજાકનું પરિણામ છે તેવું માનવાને બદલે આપણે તેમાં ‘છૂપો’ સંદેશો શોધવા પ્રયાસ કરીએ છીએ : મને હેરાન કરવા માટે હશે? મને ધમકી હશે?

કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ છુપી રીતે અમુક કામોને અંદાજ આપી રહ્યો છે તે વિચાર એટલો તાકતવર છે કે વૈજ્ઞાનિકોથી લઈને ઓફિસનું મેનેજમેન્ટ કે એક સરકાર આવી રીતે ષડ્યંત્રકારી તરીકે કોઈને પણ નજર આવી શકે.

કારસ્તાનની થિયરીની સૌથી મોટી સમસ્યા એ છે કે તેને (સાચી નહીં) ખોટી સાબિત ન કરી શકાય! જો કોઈ એમ કહે કે બિલ ગેટ્સ જેવો માણસ એમાં સામેલ ન હોય, તો તેની સામે દલીલ એવી આવે કે એ તો તમને ગેટ્સ ફાઉન્ડેશને પૈસા આપીને ખરીદી લીધા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો વિશાળ ચાહક વર્ગ એવું માને છે કે પર્યાવરણનું સંકટ એ અમેરિકા વિરોધી દેશો, ઉધોગપતિઓ અને વૈજ્ઞાનિકોએ ઊભું કરેલું તુત છે. એટલા માટે ટ્રમ્પની સરકાર ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટેની આંતરરાષ્ટ્રીય પેરિસ સંધીમાંથી નીકળી ગઈ હતી. જો બાઈડેનની સરકાર હવે તેમાં પાછી જોડાવાની છે.

આ જ ડોનાલ્ડ ટ્રમ્પે કોરના વાઈરસને ‘ચાઇનીઝ વાઈરસ’ કહીને તેને ચાઇનીઝ કારસ્તાનનો રંગ ચડાવ્યો હતો. પ્રોફેસર યુવલ નોઆ હરારી કહે છે કે, “કોરોના વાઈરસના ઉદ્દભવને લઈને કોઈ વ્યક્તિ તમને કોઈ થિયરી ગળે ઉતારવા મથતી હોય, તો તમારે એને કહેવું કે તમે મને વાઈરસ શું છે અને એ કેવી રીતે ફેલાય છે તે સમજાવી શકો? જો તમને એક સાદી બાયોલોજીમાં સમજણ ન પડતી હોય, તો તેમની થિયરી શું કામની !”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 જાન્યુઆરી 2021

Loading

...102030...2,0722,0732,0742,075...2,0802,0902,100...

Search by

Opinion

  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved