Opinion Magazine
Number of visits: 9680429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમકાલીન શા માટે ? એક મેગ્ના કાર્ટા

હસમુખ ગાંધી, હસમુખ ગાંધી|Opinion - Opinion|15 January 2021

પત્રકાર મહર્ષિ હસમુખ ગાંધીના માનસસંતાન અને ઇતિહાસસર્જક આધુનિક ગુજરાતી અખબાર 'સમકાલીન'ની આજે [14 જાન્યુઆરી 2021] 38મી વર્ષગાંઠ. એ નિમિત્તે 'સમકાલીન'નો પ્રથમ તંત્રીલેખ સાદર:

•

ભણકારા વાગતા હતા. હવે પડો વજડાવીએ છીએ. સાદ સાંભળજો. નરીમાન પૉઇન્ટ પર ઍક્સપ્રેસ ટાવર્સમાંથી ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ જૂથનું ગુજરાતી દૈનિક આજથી, 14મી જાન્યૂઆરી, 1984થી પ્રસિદ્ધ થઈ રહ્યું છે. દૈનિકનું નામ છે ‘સમકાલીન’.

એક વધુ ગુજરાતી અખબારની, ‘સમકાલીન’ની, શી જરૂર? ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં તેમ જ પરદેશોમાં (જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત) ફેલાયેલા સાત કરોડ ગુજરાતીઓ માટે ગુજરાતી દૈનિકોની માત્ર દસ લાખ નકલ છપાય છે. અંગ્રેજી દૈનિકના પૂરક (કૉમ્પ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી) દૈનિક તરીકે નહીં પણ વિકલ્પ તરીકે અથવા સમાંતર દૈનિક તરીકે ઊભા રહેવાના ‘સમકાલીન’ને કોડ છે.

છાપાળવી ભાષા, પ્રાદેશિક બોલી, ચીલાચાલુ પ્રયોગો, વ્યાકરણના ગ્રાઉન્ડ રૂલ્સનો ભંગ કરતાં લખાણો, ન સમજાય તેવાં વાક્યો, જોડણીને કૂટી મારતા શબ્દો : આ બધાંને ચાતરી જવાની ‘સમકાલીન’ની નેમ છે. કોઈ એક જિલ્લાનું મુખપત્ર બની રહેવાને બદલે બૃહદ્દ ગુજરાતને ‘સમકાલીન’ ધ્યાનમાં રાખશે. ઉમાશંકરની ‘ગુજરાત મોરી મોરી’ને, નર્મદની ‘ગરવી ગુજરાત ’ને અને ગુજરાતનો નાથ આલેખનાર કનૈયાલાલ મુનશીની ‘ગુજરાતની અસ્મિતા’ને ‘સમકાલીન’ સલામ કરે છે. દોહ્યલી ગુજરાતવાળા મહાત્મા ગાંધી, લોખંડી વલ્લભભાઈ પટેલ અને શહીદ બળવંતરાય મહેતાએ ગુજરાતને બક્ષેલા ગૌરવનું ‘સમકાલીન’, પક્ષાપક્ષીથી દૂર રહીને, જતન કરશે.

ગુજરાતીઓએ દેશભરમાં અને જગતભરમાં દરેક ક્ષેત્રમાં નામના કાઢી છે. વિજ્ઞાનથી માંડીને હોટેલ-મોટેલ સુધીનાં તમામ ક્ષેત્રે ગુજરાતીઓ અગ્રેસર રહ્યા છે. હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ જેવાં નામો ભારતીય વિજ્ઞાનની પ્રગતિનાં સીમાચિહ્નો છે. ગુજરાતની સહકારી મંડળીઓ અને પંચાયત દેશમાં નમૂનેદાર ગણાય છે. ગોપાલક કૃષ્ણની વિહારભૂમિ ગુજરાતે સમગ્ર ભારતને ડેરીઉદ્યોગની તાલીમ આપી છે. દેશનાં ઉદ્યોગપ્રધાન રાજ્યોની હરોળમાં પહેલે નંબરે બેસવા માટે ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે.

‘સમકાલીન’ ગુજરાતી વાચકોની આકાંક્ષાઓ અને તેમનાં જીવનમૂલ્યોનું દર્પણ બની રહેશે. વાચકોની શ્રદ્ધેયતા અને વિશ્વસનીયતા ટકાવી રાખવા ‘સમકાલીન’ આકાશપાતાળ એક કરશે.

‘સમકાલીન’ આ દેશના સૌથી મોટા અખબારી પરિવારનું સભ્ય છે. 50 વર્ષ પહેલાં ગાંધીજીની પ્રેરણાથી ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’નું મદ્રાસ ખાતેથી પ્રકાશન શરૂ થયું હતું. એ વખતે બધાં અંગ્રેજી અખબારો અંગ્રેજી સલ્તનતની આરતી ઉતારતાં હતાં. ‘ઇન્ડિયન ઍક્સપ્રેસે’ હમેશાં સ્વતંત્રતાનો ઝંડો ઉપાડ્યો છે અને દુ:શાસન સામે બગાવત કરી છે. અબ્દુલ રહેમાન અંતુલેના પ્રતિષ્ઠાન અને સિમેન્ટની તેમણે કરેલી લહાણી વચ્ચેની કડી (નેક્સસ) ઍક્સપ્રેસે પ્રસ્થાપિત કરી હતી. જૂન, 1975થી માર્ચ, 1977 સુધી નાગરિકો અને અખબારો પર વીંઝાયેલા કટોકટીના કોરડા સામે 'ઇન્ડિયન ઍક્સપ્રેસ’ અડીખમ ઊભું હતું. ‘સમકાલીન’ આ ટિમ્બરનું બનેલું છે. ભાંગી જશે પણ વળશે કે ઝૂકશે નહીં, ચંડીગઢથી મદુરાઈ સુધી વિસ્તરેલા ઍક્સપ્રેસ વારસા બદલ ‘સમકાલીન’ મગરૂર છે. તમિળ, તેલુગુ, કન્નડ, મરાઠી અને ગુજરાતીમાં ઍક્સપ્રેસનાં આઠ દૈનિક નીકળે છે. ઍક્સપ્રેસના ભાષાકીય દરબારમાં ‘સમકાલીન’ નવમું રત્ન છે.

વાચકો કે પાઠકો જ અખબારના અડીખમ રખેવાળો છે. અખબાર આડુંતેડું, વાંકુંચૂંકું ચાલવા લાગે ત્યારે ગાડીતની જેમ એને પરોણી મારવી એ જાગરૂક વાચકોનો ધર્મ છે. પ્રિય વાચક, સુજ્ઞ પાઠક, ‘સમકાલીન’ને સીધે રસ્તે ચલાવવાની ફરજ આપની છે. પ્રિય ‘સમકાલીન’ને જરૂર પડ્યે ટપારવું, એને ઝોંકો વાગે તો તે ઉતારવો, એને નજર લાગે તો મરચાંનો વઘાર કરવો એ જવાબદારી, પ્રિય વાચક, આપની છે. આ વર્જિન પત્ર આપની અનામત છે.

‘સમકાલીન’ નવા જમાનાનું મૉડ દૈનિક છે. ‘સમકાલીન’ સમય સાથે કદમ મિલાવશે. સમકાલીનનો અર્થ થાય છે કૉન્ટેમ્પરરી. ‘સમકાલીન ખરેખર કૉન્ટેમ્પરરી હશે.

ગુજરાતી અખબારોમાં ‘સમકાલીન’ અનોખી ભાત પાડશે. ‘સમકાલીન’ ગુજરાતીઓનું, ગુજરાતીઓ માટેનું અખબાર છે. મુંબઈ એનું વડું મથક છે, એટલે મુંબઈગરાની સમસ્યાઓને એ પડઘાવશે.

‘સમકાલીન’ વેપારી વર્ગને ખાસ લક્ષમાં રાખશે. શૅરબજાર, કૉમોડિટીઝ, સોનું-ચાંદી, કસ્ટમ્સ, આયાત-નિકાસ, યુનિટ ટ્રસ્ટ, કાપડથી માંડીને લોખંડબજાર, દૂધથી શરૂ કરીને ઘાસના અને પસ્તીના તેમ જ સિંગતેલથી માંડીને ખાંડ સુધીની પ્રત્યેક જણસના ભાવ, ભાવની ચઢઊતર, બજારોના પ્રવાહોનું બારીકીભર્યું અવલોકન અને કૉમર્સ બિઝનેસ ફાઇનાન્સ કે ઇન્ડસ્ટ્રીઝનાં તમામ ક્ષેત્રોને ‘સમકાલીન’ વામનનાં ત્રણ વિરાટ પગલાંની જેમ આવરી લેશે. અર્થકારણના નિષ્ણાતો ‘સમકાલીન’માં વેપાર, મૂડીરોકાણ, કરવેરા અને બજારોનાં વહેણ વિશે નુક્તેચીની કરશે. ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ જૂથના માતબર આર્થિક દૈનિક ફાઇનાન્શિયલ ઍક્સપ્રેસનું ‘સમકાલીન’ને મોટું પીઠબળ રહેશે.

ગુજરાતભરનાં કેન્દ્રોમાંથી ‘સમકાલીન’ ગુજરાતના સમાચાર મેળવશે. ઍક્સપ્રેસ જૂથનાં જનસત્તા (અમદાવાદ, રાજકોટ) અને લોકસત્તા (વડોદરા) દૈનિકોનાં તમામ સાજ-અસબાબ ‘સમકાલીન’ને સમૃદ્ધ બનાવશે. ઍક્સપ્રેસની અમદાવાદ આવૃત્તિની પણ તેના તમામ સંવાદદાતાઓ સાથે ‘સમકાલીન’ને મોટી ઓથ રહેશે.

દેશભરમાં અને વિદેશોમાં ફેલાયેલા ઍક્સપ્રેસ ન્યૂઝ એજન્સીના વિશાળ નેટવર્કનો ‘સમકાલીન’ને લાભ મળશે.

‘સમકાલીન’નું કમ્પોઝિંગ આધુનિક ફોટોકમ્પોઝિંગ (કમ્પ્યૂટરો) દ્વારા થશે અને તેનું મુદ્રણ છેક અત્યાધુનિક ઑફ-સેટ પદ્ધતિથી થશે. તસવીરો (કેટલીક તો અનેકરંગી) અને કળાત્મક લે-આઉટ ‘સમકાલીન’ને સમયની સાથે રાખશે.

ગુજરાતના ચુનંદા લેખકો, પત્રકારો અને કટારલેખકોની ફોજ ‘સમકાલીન’ના વાચકોને બની રહેલી ઘટનાઓની પાર્શ્વભૂમિકા તથા સમીક્ષા પૂરી પાડશે. ઊંડાણ અને પૅલેટેબિલિટી (ભાવે તેવું, શીરાની જેમ ઝટ ગળે ઊતરી જાય તેવું) એ ‘સમકાલીન’ કૉમેન્ટનો મુદ્રાલેખ છે. ‘સમકાલીન’ ન્યૂઝ અને વ્યૂઝના સમતોલ, સોનેરી-રૂપેરી તાણાવાણાથી, કાર્ટૂન અને કૉમિક્સથી વાચકોને મંત્રમુગ્ધ કરશે. પ્રથમ નજરે પ્રેમ કરવા માટે ‘સમકાલીન’ ગુજરાતી વાચકો ભણી હાથ લંબાવે છે.

(પ્રકાશન તારીખ : 14-1-1984)

Loading

ઓળખપાળખની ભુલભુલામણી

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|15 January 2021

ગુજરાતીના એક ચિંતક, વક્તા, સાહિત્યકાર તેમ જ કેળવણીકાર આચાર્ય યશવંત શુક્લના મતે ‘પેટલીકરે પત્રકારધર્મ, લોકધર્મ અને સમાજધર્મ બરાબર પાળી બતાવ્યો છે.’ વરિષ્ટ સાહિત્યકાર, અધ્યાપક અને વિવેચક અનંતરાય રાવળના કહેવા મુજબ, ‘પેટલીકર પ્રગતિશીલ વિચારસરણી ધરાવનારા લેખક અને સમાજસેવક હતા.’ તો બીજી પાસ, ગુજરાતી આલમના એક આગેવાન વિચારક, કર્મશીલ તેમ જ અધ્યાપક પુરુષોત્તમ માવળંકર લખતા હતા, ‘પેટલીકર સત્ય અને સ્પષ્ટ વક્તા હતા, લેખક હતા, રાજકીય સમીક્ષક હતા.’ વાત ખરી છે. તેથી એમનું આ અવતરણ વિશેષે તપાસવા સમ બને છે :

'મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’

યુગાન્ડાની ‘યુવક સંઘ’ સંસ્થાના મહેમાન તરીકે ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે હતા, ત્યારે મોમ્બાસામાંની એક જાહેર સભામાં આ ઉચ્ચારણ એમણે કરેલું તેમ નોંધાયું છે. એ દિવસોમાં મોમ્બાસામાંથી ‘કેન્યા ડેયલી મેલ’ નામક ગુજરાતી સાપ્તાહિક નીકળતું. વળી, નાઇરોબીથી ‘કેન્યા ક્રોનિકલ’, ’આફ્રિકા સમાચાર’ તેમ જ ‘નવયુગ’ નામે ત્રણેક ગુજરાતી સાપ્તાહિકો પ્રગટ થતા. તો વળી, દારેસલ્લામમાંથી ‘ટાંગાનિકા હેરલ્ડ’ પણ પ્રકાશિત થતું. આ ગુજરાતી સાપ્તાહિકોની ફાઈલો જળવાઈ હોય તેમ જાણમાં નથી અને તેથી આ ભાતીગળ બેઠકની વિશેષ વિગતમાહિતી હાથવગી બનતી નથી. પરિણામે ઈશ્વર પેટલીકરની આ સભાબેઠકોની માહિતીનોંધ મેળવી શકાતી નથી. તેથી સવાલ થાય : આ સશક્ત આગેવાન સુધારક, વિચારક, સાહિત્યકાર, સંપાદકે આ બાબતને આ મુલાકાતો દરમિયાન, આ ભોજન સમારંભોમાં અને વળી આ ધાર્મિક પ્રવૃત્તિઓના મેળાવડામાં, છેડી હશે જ ને ? કે પછી, પાછળથી પોતાનાં લખાણમાં જ તેનો સમાવેશ થયો છે ? ભલા, કોણ કહી શકે ? આ લોકધર્મી સ્પષ્ટ વક્તા તેમ જ રાજકીય સમીક્ષકે આવી આવી ચર્ચા કોથળે બાંધી ન જ હોય; એમણે પાંચશેરી બાંધીને રજૂઆત કરી જ હોય ને ?

સવાલ અહીં ઓળખ માટેનો છે. જગત ભરના દરેક આપ્રવાસી જમાતનો આ કોયડો છે. પોતાના મૂળ વસવાટથી દૂરસુદૂર ગયેલી જમાત પોતાના સમૂહમાં સ્વભાવગત રહેવાનું રાખે છે. એમને પરિચિતતા કોઠે પડી ગઈ હોય છે.

આ પહેલાં પૂર્વ આફ્રિકાની વાત થઈ. હવે આફ્રિકા ખંડના દખણાદા વિસ્તારની વાત જાણીએ, સમજીએ:

ગઈ સદીની ચાળીસીને આરંભે મણિલાલ ગાંધીએ ‘ઇન્ડિયન ઓપીનિયન”માં લખેલું, ‘જે દહાડે દક્ષિણ આફ્રિકાના હિન્દીઓમાં કોમવાદનો રોગ ફાટી નીકળશે, તે વેળા એમણે જાણી લેવું કે તેમનો સવર્નાશ આવી પહોંચ્યો. આપણે અહીં હિન્દુ નથી, કે નથી મુસલમાન, નથી પારસી કે નથી ઈસાઈ; આપણે હિન્દી જ છીએ. હિન્દુસ્તાનના કયા પ્રાન્તમાંથી આપણે મૂળે આવ્યા છીએ તે મુદ્દો ય પછી અગત્યનો રહેતો નથી, કેમ પછી તે પ્રાન્ત મદ્રાસ હોય, મુંબઈ હોય કે બંગાળ હોય.’ મહાત્મા ગાંધી સ્થાપિત આ અઠવાડિકના તંત્રી તરીકે લખતા, મણિલાલભાઈ કહેતા હતા આ મુલકે હિન્દુ મહાસભા વગેરે જેવી કોમી સંસ્થાઓ કાર્યપ્રવૃત્ત હોય તે એમને સમજાતું નથી. ‘કેમ કે થોડાઘણા સમયથી આ મુલકે કોમવાદી વલણવૃત્તિનું ચલણ વધી રહ્યું છે. … સમગ્ર રાષ્ટૃને કેન્દ્રમાં રાખીને આપણે શા સારુ વિચારતા નથી અને આપણી સમગ્ર કોમના ભલા માટે તેમ કાર્યપ્રવૃત્ત રહેતા નથી.’ આવું નિરીક્ષણ એમનું હતું.

મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધી ને સુશીલાબહેન ગાંધીનું સૌથી મોટું સંતાન એટલે સીતા ધૂપેલિયા. સીતાબહેનની દીકરી ઉમા ધૂપેલિયા મિસ્ત્રી એક પંકાયેલાં અધ્યાપક છે. કેપ ટાઉનની વેસ્ટર્ન કેપ યુનિવર્સિટીમાં હાલ ઇતિહાસ વિભાગમાં સહાયક પ્રાધ્યાપકનો હોદ્દો સંભાળે છે. એમણે ઊંડું સંશોધન કરીને આપણને એક પુસ્તક આપ્યું છે : Gandhi’s Prisoner ? The Life of Gandhi’s Son Manilal. [ગાંધીના બંદીવાન ? ગાંધીપુ્ત્ર મણિલાલની જીવનકથા] સન 2004માં પ્રસિદ્ધ થયો આ ગ્રંથ અભ્યાસુ માટે બૃહદ્દ ગુજરાતી સમાજને સમજવા, પામવા સારુ એક અગત્યનું સાધન છે.

બૃહદ્દ ગુજરાતે વસી આપણી જમાત વિશે અનેક પુસ્તકો આપણે મળ્યાં છે. કિનિયાથી, યુગાન્ડાથી, ટાન્ઝાનિયાથી જેમ મળ્યાં છે તેમ દક્ષિણ આફ્રિકાથી પણ સાંપડ્યાં છે. આ પુસ્તકોમાંથી પસાર થતાં થતાં આપણી વિવિધ ઓળખોની ઝાંખી પામતાં જવાય છે. અહીં પણ પુસ્તકમાં કેન્દ્રમાં છે તો મણિલાલ ગાંધી. પણ તે જે તે મણિલાલ નથી; મોહનદાસ કરમચંદ ગાંધીના બીજા સંતાન છે. ગાંધીએ તો 1914માં દક્ષિણ આફ્રિકાનો કિનારો છોડ્યો તે છોડ્યો. પણ મણિલાલભાઈએ એમના વારસાનું શાનદાર રખોપું કરેલું છે, ન માત્ર ફિનિક્સ વસાહતનું તેમ જ ‘ઇન્ડિયન ઓપીનિયન’નું, બલકે જોડાજોડ હિન્દીઓને થતા રહેલા અનેકવિધ અન્યાયો સામેનો એમનો, એમના પરિવારજનોનો તેમ જ સાથીદારોનો અહિંસક પ્રતિકાર અને તેની તલસ્પર્શી ઊંડી વાતોના સગડ પણ અહીં છે.

ગાંધીભાઈ તરીકે સુખ્યાત બનેલા મોહનદાસ કરમચંદ ગાંધીના વારાથી ગાંધી પરિવાર દક્ષિણ આફ્રિકામાં હિન્દી કોમમાં એકરૂપ હતું. દાયકા પહેલાં ગાંધી અને ગાંધી વિચારના એક અભ્યાસુ આગેવાન ગોપાળકૃષ્ણ ગાંધીએ દાખલાદૃષ્ટાન્તો આપીને મને અહીં લંડનમાં સમજાવેલું કે દક્ષિણ આફ્રિકા માંહેના હિન્દીઓમાં, કોઈ પણ જાતના ભેદભાવ વિના સૌ કોઈના એ પ્રીતિપાત્ર બની ગયેલા. સૌ કોઈ એમનો પડ્યો બોલ ઝીલી લેતા એવા એ દિવસો હતા. અને તેનો કોઈ જોટો હિન્દમાં જોવા મળ્યો નહોતો.

અને આવું છતાં, ઉમાબહેનનું એક તારણ ઊડીને આંખે વળગે છે. ગાંધી પરિવારે ડરબનમાં ગુજરાતીઓ જોડે બહુ નજીકનો તાલમેળ રાખ્યો હતો. તેમ છતાં, શહેરના ગુજરાતી સમાજ સાથેનો એમનો વહેવાર જૂથ બહાર બરાબરના હોય તેમ રહેતો. ડરબનમાં સુરતીઓ તેમ જ કાઠિવાડીઓની અલગ અલગ સંસ્થાઓ હતી. હિન્દુસ્તાનના જ નહીં, બલકે ગુજરાતના જુદા જુદા પ્રાન્તવિસ્તારની અહીં આ છાપ હતી. સુશીલાબહેન ગાંધી તો જાણીતા મશરૂવાળા પરિવારનું સંતાન. એમનાં મૂળ સુરતમાં નીકળે. જ્યારે મણિલાલ ગાંધીનાં મૂળ કાઠિયાવાડમાં. આથી દેખીતી રીતે બન્નેની નાતજાત જુદી લેખાતી. કાઠિયાવાડ હિન્દુ સેવા સમાજ એમને આવકારવા ઠંડોબોળ રહેતો ! એમનાં ત્રીજાં સંતાન ઇલાબહેનને ટાંકીને ઉમાબહેન લખે છે : એમને કોઈકે એકાદી વાર ‘વર્ણસંકર’ [half-caste] છો તેમ કહ્યું તેથી ઇલાબહેનને ઊંડી વેદના થયેલી. વળી, જ્યારે ત્યારે આ અંગે ગાંધી પરિવારને તે જણ ટોણો ય માર્યા કરતા. બીજી તરફ, સુરતી સમાજ પરિવાર અંગે થોડોઘણો કૂણો વર્તાતો. આ ભેદભાવથી પર રહી ગાંધી પરિવાર ગુજરાતી ઓળખને સતત જાળવવી રાખવા પ્રયત્નશીલ રહ્યું છે, તેવું લેખિકા લખે છે.

આ અને આવી ઓળખને જે ઝંઝાવાતો વેઠવી પડે છે તેનાં કેટલાંક દૃષ્ટાન્તો પણ અહીં છે. દેશ દેશ વચ્ચે જ સરહદો બંધાઈ હોય તેવું થોડું છે ? સંસ્થાઓ વચ્ચે, જાતિ, ધર્મ, જમાત વચ્ચે ય આપણે કોઈક સીમાઓ બંધાઈ હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. અને તેને અનેક કારણો ય રહેવાનાં.

“સંદેશ” માંહેના પોતાના એક લેખમાં, 26 જુલાઈ 2020ના, જાણીતા વિચારક, લેખક રમેશભાઈ ઓઝા લખતા હતા, ‘ટૂંકમાં કાઠિયાવાડમાં મધ્યકાલીન જીવનમૂલ્યો અને અંગ્રેજ પૂર્વેની સામંતશાહી તેની સોળે કળાએ કાયમ હતાં. આધુનિકતાની દિશાની યાત્રામાં કાઠિયાવાડ એક પાછળ રહી ગયેલો, બાજુએ હડસાઈ ગયેલો, લગભગ ભૂલાઈ ગયેલો ઉપેક્ષિત પ્રદેશ હતો. કાઠિયાવાડમાં જાણે કે સમય થીજી ગયો હતો. પણ અંગ્રેજો કાઠિયાવાડને ભૂલ્યા નહોતા. તેનો તેમને ખપ હતો. બ્રિટિશ ભારતમાંના ઉપદ્રવીઓ માટે કાઠિયાવાડ આશ્રયસ્થાન હતું. દયાનંદ સરસ્વતીએ તો આધુનિક યુગના એક પ્રસિદ્ધ સંતને ઉત્તર ભારતમાંથી ભાગીને આવેલા અને કાઠિયાવાડમાં છૂપાયેલા ગુનેગાર તરીકે ઓળખાવ્યા હતા. ભારતમાં જેટલા સાધુઓ છે એમાંથી લગભગ ૭૦ ટકા સાધુઓ આજે પણ કાઠિયાવાડમાં જોવા મળશે. આજના દિવસે ભારતમાં જેટલા પરમ પૂજ્યો છે તેમના અનુયાયીઓ મોટા ભાગના ગુજરાતીઓ અને તેમાં પણ કાઠિયાવાડીઓ છે, પછી ભલે તે બિન ગુજરાતી હોય. અહીં કોઈનો વાળ પણ વાંકો ન થાય અને ઉપરથી પૂજાય. અંગ્રેજો કાઠિયાવાડનો ઉપયોગ રાજકીય ઉપદ્રવીઓને તગેડવા માટે પણ કરતા હતા કે જેથી ફરી વાર ૧૮૫૭ જેવી ઘટના ન બને.’

કોણ જાણે ! … આમ આવી સામંતશાહી આપણી જમાતમાં ઢબૂરાઈને પડી છે. આ એકવીસમી સદીમાં ય અમેરિકા, યુરોપ સમેતના પશ્ચિમી દેશોમાં પથરાઈ આપણી વસાહતમાં પણ આજે આવું આવું જ ચિત્ર જોવા મળે છે.

વારુ, સન 1967 દરમિયાન, આપણને એક ભારે સરસ અંગ્રેજી ફિલ્મ સાંપડી હતી : Guess Who’s Coming to Dinner. વિલિયમ રોસે પટકથા લખી છે અને સ્ટેનલી ક્રેમરે દિગ્દર્શન આપ્યું છે. આ ચલચિત્રમાં સિડની પોટિયેરે ડૉ. જ્હોન વેઇડ પ્રેન્ટિસનું પાત્ર ભજવેલું છે. શ્વેત કન્યા જોઆનાના પિતા મેટ ડ્રેયટનનું પાત્ર સ્પેન્સર ટ્રેસીને અફલાતૂન ભજવ્યું છે. તેમ તેની માતા તરીકેનું [ક્રિસ્ટિનાનું પાત્ર] કેથરિન હેપબર્ને મન ને દિલ ઠારે તેવું કર્યું છે. ખ્યાતનામ આફ્રિકન-અમેરિકન દાક્તર વેઇડ પ્રેન્ટિસ ઉદારમતવાદી તેમ જ જાણીતા અખબારના પ્રકાશક પિતાની પુત્રી જોઆના ડ્રેયટનના પ્રેમમાં પડે છે અને બન્ને પરણવાનું નક્કી કરી લે છે. તે જાણી વરિષ્ઠ પ્રેન્ટિસ પુત્ર જ્હોનને કહી બેસે છે, તું ભૂલ કરી બેઠો છે. જવાબમાં જ્હોન પાછો વળતો નથી; બલકે તે મક્કમતાથી પિતાને કહી બેસે છે : You think of yourself ‘as a coloured man [while] I think of myself as a man’. [તમે તમારી જાતને હબસી તરીકે જુઓ છો; હું મારી જાતને માણસ તરીકે જોઉં છું.]

… અને, અહીં આપણી પણ મુસીબત શરૂ થાય છે. પૂર્વ આફ્રિકા, ભારત, બ્રિટન સમેત યુરોપમાં પથરાઈ આપણી જમાતને જોઈએ, તપાસીએ તો સમજાય છે, તે ય પારદર્શકતાની સપાટીએ ગુજરાતી તરીકે ભાગ્યે જ જોવા પામીએ છીએ. એ ક્યાંક બ્રાહ્મણ છે, ક્યાંક જૈન છે, ક્યાંક પટેલ છે, ક્યાંક લોહાણા છે, વગેરે. પણ આ ય ઓછું હોય તેમ આ દરેક પેટાસમૂહના ય પાછા અનેક નાનામોટા વિભાજનો છે. આટલું ઓછું હોય તેમ વળી બીજાત્રીજા ય આટાપાટામાં આપણી જમાતને ભાળીએ છીએ. એ દિવસોમાં શું આફ્રિકે, આજે શું વિલાયત-યુરોપમાં; આપણી જમાત વેપારઉદ્યોગનાં જૂથ તેમ જ નોકરિયાત વર્ગમાં સ્વાભાવિક વહેંચાયેલી છે. પરિણામે પોતપોતાના હિતોને કારણે મંડળો રચતી આવી છે. જેમ બીજાત્રીજા સમાજજૂથો બને છે તેમ આપણી કોમમાં ય આવું બનતું આવ્યું છે.

સ્વામી સચ્ચિદાનંદજીના કોઈક લખાણમાંથી આ એક અવતરણ ઉદ્ધૃત કરીએ : ‘આપણી પાસે સંખ્યા છે, પણ સરવાળો નથી. જ્ઞાન છે, પણ દૃષ્ટિ નથી. પૈસો છે, પણ આયોજન નથી. એટલે છતી શક્તિએ શૂન્ય છે.’

સ્વામીજીએ એમની લાક્ષણિક ઢબે એકતાની વાત અહીં છેડી છે. પણ એમણે ગણિતશાસ્ત્રની એરણે આ વાતને ચડાવી આપી છે. પરંતુ આ ‘શૂન્ય’ અવકાશની પરિસ્થિતિ ખરેખર મૂંઝવે છે.

રમેશભાઈ ઓઝા “ગુજરાતમિત્ર” માંહેના એક લેખમાં, 26 જુલાઈ 2020ના, લખતા હતા તેમ, ‘લોહી સિવાયનાં બાકીનાં પરિવારોને રચવા માટે અને રચ્યા પછી ટકાવી રાખવા માટે માણસ બે રસ્તા અજમાવે છે. એક રસ્તો છે ઓળખનો અને બીજો રસ્તો છે ઉદ્દેશનો. આપણે બ્રાહ્મણ છીએ કે હિંદુ છીએ અથવા મુસલમાન છીએ એટલે પરિવાર રચવાનો છે. આ ઓળખ થઈ. આપણે બ્રાહ્મણ છીએ, હિંદુ છીએ કે મુસલમાન છીએ એટલે દેખીતી રીતે મહાન છીએ એ ઓળખને પાકી કરવા માટેનો વરખ થયો. ઉપરનો ઓપ થયો. ધીરે ધીરે વરખનો ચળકાટ મૂળ પદાર્થની જગ્યા લઈ લે. આ ઓળખનું મિથ્યાભિમાન થયું. આપણે મહાન છીએ માટે આપણે આપણી મહાનતા સ્થાપિત કરવી જોઈએ, સરસાઈ મેળવવી જોઈએ અને બીજાઓ પાસે કબૂલ કરાવવું જોઈએ એ ઉદ્દેશ થયો.’

જગત બે સાલ પહેલાં જેની જન્મ-દ્વિશતાબ્દી ઉજવી રહ્યું હતું તે વિદ્વાન ચિંતક અને ફિલસૂફ કાર્લ માર્ક્સને નામે એક વાક્ય બોલે છે : ‘It is not the consciousness of men that determines their being, but, on the contrary, their social being that determines their consciousness.’ [માનવીની અસ્મિતા તેનું અસ્તિત્વ નિશ્ચિત કરતું નથી, બલકે તેનું સામાજિક અસ્તિત્વ તેની અસ્મિતાને નિશ્ચિત કરતું હોય છે.]

પાનબીડું :

આપણે બધા થોડા વધારે માણસ, થોડા વધારે ભારતીય ન થઈ શકીએ ?

“મારા દેશની ગમે એવી વિશેષતા શી છે? અહીં અસહિષ્ણુતા કે અંતિમવાદી વલણ માટે  પરસ્પર દોષારોપણ થતું રહેશે છતાં વાસ્તવિક્તા એ છે કે આ દેશમાં ઉદારમતવાદી હિંદુઓની સંખ્યા કટ્ટર માનસિકતા ધરાવતા હિંદુઓથી ઘણી વધારે છે. આજે પણ આ સાચું છે. એવું અન્ય કોમ માટે પણ કહી શકાય. જો કે આ સત્ય હોવા છતાં વાતાવરણ ડહોળાયું હોય એવું લાગે, સલામતી અને લાગે તે કહેવાની હિંમત ઓછી થતી લાગે તો તમામ ઉદાર માનસિકતા ધરાવનારાઓએ અવાજ વધારે બુલંદ કરવો પડશે. મારા તમામ ઉત્તમ મિત્રો હિંદુ કે પારસી કે જૈન છે એનું કારણ એ તમામ ભારતીય પહેલાં છે મારી જેમ, પછી બીજી ઓળખ. આપણે બધા થોડા વધારે માણસ, થોડા વધારે ભારતીય ન થઈ શકીએ? આજે સમયની આ માંગ છે એવું નથી લાગતું?”

— શરીફા વીજળીવાળા

(શરીફાબહેનની ફેઇસબૂક વૉલ પરેથી સાભાર)

હેરૉ, 29 જૂન – 28 જુલાઈ 2020

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

[શબ્દો : 1713]

પ્રગટ : “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક”, પુસ્તક : 85; અંક : 04; પૃ.61-65

Loading

આશાની પતંગ લઈને, અરમાનોની ફીરકી ઉપાડી આસમાને ઊડવા ચલી સવારી…

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|14 January 2021

હૈયાને દરબાર

આજની નવી પેઢી સંગીત ક્ષેત્રે કમાલ કરી રહી છે! ખાસ કરીને ગુજરાતમાં. માતૃભાષા માટે એ કટિબદ્ધ છે. પોતાની ભાષા સાચવીને યુવા પેઢીને ગમે એવાં ઉમેરણ કરી રહી છે. કન્ફ્યુઝ થવાય એવું ફ્યુઝન તેઓ નથી આપતા. એમના વિચાર સ્પષ્ટ છે, સંગીત સરળ છે, અભિવ્યક્તિ સચોટ છે. ગુજરાતની યુવા પેઢી આ નવાં ગુજરાતી ગીતો સાંભળીને ઊછરી રહી છે. બે દિવસ પહેલાં એવું જ એક આધુનિક પતંગ ગીત સાંભળ્યું. રાગ મહેતાનો કંઠ અને આકાશ શાહનું સ્વરાંકન. રાગ મહેતા યુવા સંગીતકાર અને ગાયક છે. છેલ્લાં આઠ વર્ષથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે. આજે ઉત્તરાયણ નિમિત્તે આ ગીત તો સાંભળવું જ પડે એવું સુંદર છે.

ઉતરાણ એ એવો તહેવાર છે જે નાના-મોટા, આબાલવૃદ્ધ, સ્ત્રી-પુરુષ, ગરીબ-તવંગર, હિંદુ-મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી સૌ ઉત્સાહપૂર્વક ઊજવે છે. મકરસંક્રાંતિ તરીકે ઓળખાતા આ તહેવારની મજા તો ગુજરાતમાં જ.

ઉતરાણની આગલી રાતથી જ સુરત-વડોદરા-અમદાવાદ જેવાં શહેરોમાં આખી રાતનું પતંગ બજાર ભરાય. શોખીન લોકો તો આગલી રાત્રે જ ડઝનબંધ પતંગો કિન્ના બાંધીને ક્યારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે-છાપરે જઈને ચગાવીએ એની રાહમાં સરખું ઊંઘે પણ નહીં! ગૃહિણીઓ આગલે દિવસે તલ-સાંકળી કે તલના લાડુ બનાવી રાખે છે. સાથે બોર, જામફળ ને શેરડીની જ્યાફત તો ખરી જ! અમદાવાદીઓ ઊંધિયું-જલેબી કે ધનુર્માસની ખીચડી બનાવીને ઉતરાણ ઊજવે છે.

ઉતરાણના દિવસે વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરવા કર્યા વિના હાથે ગરમ મોજાં સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધનો મંગલ પ્રારંભ કરી દે. આઠ-નવ વાગતાંમાં તો આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય. પેચ માત્ર આકાશમાં જ લડાય એવું નહીં, ધાબા પર પહોંચેલાં યુવા હૈયાંના પેચ પણ લાગી જાય. આ બધાની સાથે સંગીત તો જોઈએ જ. એના વિના તો રંગ જામે નહીં. ગુજરાતી ફિલ્મોમાં પતંગની વાત આવે તો લોકોને જલસા પડે જ, પરંતુ હિન્દી ફિલ્મોમાં ય પતંગ ગીતો ઊજવાય છે, જેમ કે,

ઊડી ઊડી જાય, દિલ કી પતંગ દેખો ઊડી ઊડી જાય
કહેને કો તો ખેલ હૈ યે તેરા મેરા સાંઝા
પર મેરા દિલ હૈ પતંગ ઔર તેરી નઝર માંઝા
માંઝે સે લિપટી હૈ પતંગ જુડી જુડી જાએ …!

કેટલાંક ગીતો સાથે વળી માનવ સ્વભાવ અને ચિંતન પણ રજૂ થાય, જેમ કે,

ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા ઉસ પતંગ કો ઢીલ દે
જૈસે હી મસ્તી મેં આયે ઉસ પતંગ કો ખીંચ દે ..!

રમેશ પારેખની આ ગુજરાતી કવિતા જુઓને;

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ!

ખરેખર, ગુજરાતીઓનો ઉમળકો ઉતરાણને દિવસે પતંગ જેટલો જ ઊંચે ચગે છે.

રઈશ મનીઆર લિખિત મેહુલ સુરતીએ સ્વરબદ્ધ કરેલું આ ગીત

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઊમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો …

ગુજરાતીઓની શાન જેવું છે. સુરતનાં ધાબાંઓ પર અચૂક સાંભળવા મળે. ફિલ્મી ગીતોની ભરમાર વચ્ચે હવે નવાં ગુજરાતી ગીતો પણ પ્રજા સાંભળતી થઈ છે. તેથી અમદાવાદના યુવા કલાકાર રાગ મહેતાએ એક સરસ મજાનું પતંગ ગીત આ ઉતરાણે રિલીઝ કર્યું.

ડાયનેમિક કલાકારો રાગ મહેતા અને આકાશ શાહે મળીને છેલ્લાં થોડાંક વર્ષોમાં દસ ઓરિજિનલ ગુજરાતી ગીતો આપ્યાં છે. ‘ઊડે ઊડે રે પતંગ …’ ગીત વિશે રાગ મહેતા કહે છે, ‘ઊડે રે પતંગ ગીત માટે અમે સૌ ઉત્તેજના અનુભવીએ છીએ. વિડિયોગ્રાફી, શબ્દ અને સૂરના સુંદર સંયોજનને લીધે આખું ગીત મજેદાર બન્યું છે.’

ઉજ્જ્વલ દવે લિખિત આ ગીત કમ્પોઝ અને ડિરેક્ટ કર્યું છે આકાશ શાહે. મૌલિકા પટેલ, રાગ મહેતા અને આકાશ શાહના અભિનય સાથેનો આ વીડિયો પણ રોમેન્ટિક અને મસ્તીસભર છે. ગીતની પંક્તિઓને અનુરૂપ ભાવ સાથે રજૂ થયેલું આ ગીત ‘ઊડે રે પતંગ …’ આ વખતે અમદાવાદનાં ધાબાંઓ પર સાંભળવા મળે તો નવાઈ નહીં.

ગીતનું હાર્દ ઉત્તરાયણ અને ધાબાંઓ પર પાંગરતી પ્રેમ કહાણી છે. રંગબેરંગી પતંગોની વચ્ચે બે દિલોની ધડકનની અભિવ્યક્તિ થઈ છે.

રાગ મહેતાએ આ પહેલાં ‘નવ નવરાત’, ‘આવી નવરાત્રિ’, ‘લીલા લહેર’, ‘તરવરાટ’ જેવાં ટ્રેક્સ આપ્યાં છે. આકાશ શાહનાં રક્ષાબંધન અને હોળી ગીત પણ લોકપ્રિય થયાં છે.

રાગ મહેતાએ માતા-પિતા ગાયત્રી-રિષભ મહેતા પાસેથી જ સંગીતના સંસ્કાર મેળવ્યા છે. ગાયત્રી-રિષભ મહેતા એ સુગમ સંગીતની અગ્રગણ્ય ગાયક બેલડી છે. રાગ મહેતાએ ગુરુ અનિકેત ખાંડેકર પાસે સંગીતની વિશેષ તાલીમ લીધી છે. રાગ કહે છે, ‘પિતાએ હંમેશાં મને આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાની સલાહ આપી હોવાથી હું પોતે જ મારું મ્યુઝિક બનાવું છું. ક્યારેક પપ્પાનાં લખેલાં ગીતો સ્વરબદ્ધ કરું છું. ગુજરાતી સુગમ સંગીત પણ મને ગમે છે, કારણ કે એમાં સુંદર કાવ્યતત્ત્વ સાથે કર્ણપ્રિય મેલડી હોય છે. ઉતરાણનું અમારું આ ગીત યુવાનોને પસંદ આવશે જ.’

આજે ઉતરાણના તહેવારે પતંગની મજા સાથે નવી અરેન્જમેન્ટ સાથેનું ગીત માણજો. હેપ્પી ઉત્તરાયણ.

————————

આશાની પતંગ લઈને
અરમાનોની ફીરકી ઉપાડી
આસમાને ઊડવા ચલી સવારી
આખું ધાબું એ ગજાવે
આજુબાજુ સૌને સતાવે
ફીરકીથી ખુશીઓ ચગાવે
ઊડે ઊડે રે પતંગ
જાણે આકાશે જામ્યો છે મસ્તીનો જંગ
એની પતંગ કોઈ કાપી જો નાખે તો,
ગુસ્સામાં બીજો ચગાવે,
કિન્નાઓ બાંધીને, ફીરકીઓ પકડીને
જુસ્સો આ એનો વધારે,
ઢીલ ખેંચથી પેચ લડાઈ
સામેની જો પતંગ કપાઈ
ખુશીઓ આ બધા મનાવે
આખું ધાબું એ ગજાવે
ફીરકીથી ખુશીઓ ચગાવે
ઊડે ઊડે રે પતંગ …!

•   ગીતકાર : ઉજ્જ્વલ દવે   •   સંગીતકાર: આકાશ શાહ   •   ગાયક : રાગ મહેતા

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 14 જાન્યુઆરી 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=673112

Loading

...102030...2,0622,0632,0642,065...2,0702,0802,090...

Search by

Opinion

  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved