Opinion Magazine
Number of visits: 9573455
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક યાદગાર સવાર … કવિતાની કેફિયતનો કાર્યક્રમ ..

દેવિકા રાહુલ ધ્રુવ|Opinion - Opinion|9 December 2020

૫મી ડિસેમ્બરને શનિવારના રોજ યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા આયોજિત કવિ રાજેન્દ્ર શુક્લ-નયના જાનીનો કાવ્યપાઠ અને કેફિયતનો અનોખો કાર્યક્રમ મન ભરીને માણ્યો. કોઈ પ્રસન્નતાના અગાધ સાગર કિનારે સમાધિસ્થ થઈને શાંત બની બહાર આવ્યા હોઈએ તેવી જબરદસ્ત અનુભૂતિ થઈ.

સંચાલન કર્તા મહેન્દ્રસિંહ પરમારે કહ્યું તેમ જેઓ સ્વયં સંચરણ કરે અને પ્રદીપ્ત કરે એવી જેમની ઉર્જા છે તે નયનાબહેન જાનીએ ‘ગુજરાતી ભાષા’ની કવિતાથી માંડીને માની મીઠી બોલી ગુર્જરીની કવિતા શબ્દે શબ્દે ભાવ જગવતી વહેતી કરી. શસ્ય શ્યામલા માટીની સોડમ તેમના અક્ષરે અક્ષરના ઉચ્ચારણમાંથી મહેંકતી હતી. તે પછી તેમની પ્રથમતમ ગઝલની પૂર્વભૂમિકા અને સર્જન-પ્રક્રિયાની વાતો સંભારતાં સંભારતાં ‘પ્રતીક્ષા’ ગઝલ સંભળાવીઃ “મારગ અને મુકામ પ્રતીક્ષા જ છે હવે. પ્રત્યેક પળની પ્રતીક્ષા જ છે હવે.’ અને બીજી પણ એક મઝાની ગઝલ  કે ‘દૄશ્યો બધાં પ્રવાહી’- કોની છે વાહવાહી, કોની શહેનશાહી? ક્યાંથી ઊતરતા શબ્દો, નીરખ્યા કરે છે સ્યાહી! પણ એક અનોખા પ્રશ્નાર્થસૂચક અંદાઝમાં રજૂ કરી.

તે પછી પોતાની બ્રહ્મવાદિની સખીઓ અરુંધતી, મૈત્રેયી, ગાર્ગી વગેરેની કલ્પના કરી એક  ખૂબ ઊંચા mystic experienceની પ્રતીતિની, ઊગતા અને આથમતા સૂર્યના રહસ્યમય અનુભવની અછાંદસ કવિતા  તો વળી ’આ ઊંચી માટીના ઘડૂલિયાને તમે કોરો નહિ’ કહી પરમ આદ્યાશક્તિને વિનવતો ગરબો પણ ગાઈને સંભળાવ્યો. છેલ્લે તેમણે  નરસિંહ મહેતાના ઝુલણા છંદમાં સૌને પરિતૃપ્ત કરતી રચના ‘આ અણુમાં અણુ થઈ સમાઈ જવું’ પણ શાંત, સ્વસ્થ, પ્રસન્ન મુખભાવો સાથે રજૂ કરી. આમ, નયનાબહેનની એક પછી એક આવતી જતી કવિતાઓ વાતાવરણમાં દીવા જેવું અજવાળું અજવાળું કરાવતી રહી.

તે પછી ઋષિકવિ રાજેન્દ્રભાઈ શુક્લ થકી ભારતીય પરંપરાના તેજસ્વી સ્ફુલિંગોની ઝાંખી કરાવતી એક પછી એક કવિતાઓનો રસથાળ ભરાતો ગયો.

કવિતા આંદોલનો રચે છે,વાતાવરણ સર્જે છે. કવિતા પામવાનો પદારથ છે. એનું લાવણ્ય છંદમાં છે, પઠનમાં છે એવી પ્રસ્તાવના સાથે પોતાના પ્રથમ કાવ્યસંગ્રહના પરિપાક રૂપે રચાયેલી એક સઘન કવિતા ‘અવાજ’ અદ્દભુત જાદૂઈ, મોહક અંદાઝમાં રજૂ કરી. વસંતતિલકા છંદમાં રચાયાની પ્રક્રિયા અને પ્રથમ અક્ષરના લઘુનાદની વાત સાથે ‘અવાજનું નગર ચણતો રહ્યો’ સાંભળવાનો અનુપમ રસ માણ્યો. તે પછી તો અવાજના શબ્દને અતિક્રમીને આવતું મૌન, પરિપ્રશ્નોની ગઝલ “શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે, સળ જેવું એ નથી તો ઝળહળ પડાવ શું છે? કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે? સંભળાવી.

વેદથી માંડીને ચાલ્યા આવતા કવિ-જનોના પ્રવાહનો ઉલ્લેખ કરીને તે વિષે કેટલીક કવિતાઓ વહાવી. કબીરના પદના અનુસંધાનમાંથી આવતી ગઝલમાં મનુષ્યના કુતૂહલને શબ્દસ્થ કર્યું. ‘एकाकी न रमते आत्मा  એટલે ‘ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી’ કહી ત્યારબાદ બિંદુથી ઊભી થતી સૃષ્ટિની વાત દ્વારા સ્વયંના સર્જાવાની ખૂબ ગહન કવિતા ‘કૂંપળ થઈને કોળ્યો’ પ્રસ્તૂત કરી. તે પછી નગરકવિતાની અછાંદસ અપેક્ષા સામે પોતે કેવી રીતે ગઝલ લખી તેની રસપ્રદ વાત કરીને ‘નગરની સરાહીનો મુકામ’સંભળાવી. ”ઘોર ઘોંઘાટે સમય ગાતો મળ્યો. મૌનમાં હું મુજને મલકાતો મળ્યો.”

પ્રકૃતિ અને પુરુષના સંબંધ વિશેની ગઝલ રજૂ કરતા પહેલાં એક મઝાની વાત એ કહી કે, માયાના સ્વીકાર સાથે એનાથી પર થવું એ કવિનું કર્મ છે. કેવી મનનીય વાત! “હું વરસું  છું, તું વરસે છે, વચમાં આખું નભ વરસે છે. અમથું અમથું પૂર ન આવે, નક્કી કો’ક છાનું વરસે છે.” બીજી એક ધૂળેટીના રંગની ગઝલ ક્યારે અને કેવા સંજોગોમાં લખી તે પ્રસંગની યાદ સાથે દ્વૈતથી અદ્વૈતમાં શમતી ગઝલના શબ્દેશબ્દ અધ્યાત્મિક ભાવથી રંગતા હતા. “કેસર ઘૂંટ્યા અજવાસથી રંગુ તને, મહેંકતા મધુમાસથી રંગુ તને. કોણ રંગે, કોણ રંગાતું રહે? આ રંગે રચાતા રાસથી રંગુ તને … આહાહાહા … પંચેન્દ્રિયોને જાણે પરિતૃપ્તિનો આનંદ મળતો જતો હતો. ત્યાં તો એક ‘ગોઠડી’ની ગઝલ ઊતરી આવી.  કવિવરે કહ્યું કે,ગઝલની પરિભાષા ગૂફ્તેગુ હોય છે પણ તેમાં આમ તો એકોક્તિ હોય છે. પણ આ ‘ગોઠડી’માં તેમણે સંવાદ રચ્યો છે. કેવો મઝાનો છે એ!

એ કશું ગણગણે ને કહે; ગા હવે.
હું કશું યે કહું તો કહે; જા, હવે.

રેશમી રમતની આ શેષ રસાકસી
જા, તને કોણ કીધા કરે; ના હવે! 

ઋષિકવિના અંદાઝમાં  આ  ‘ગોઠડી’નો સંવાદ સાંભળતા તો જાણે કાન ધન્ય ધન્ય ..

આગળ વધતા સંતોના સાહચર્યની અસર જેવી કવિતાઓ કે જેમાં નરસિંહના ‘હજો હાથ કિરતાલ’, મીરાંની રાજસ્થાની બોલી, તુલસીદાસ, નાનક અરે મુસલસલ જેવા મનસૂરીની છાયા જેવી કંઈ કેટલી અદ્દભુત પંક્તિઓ સાંભળી. કઈ લખું ને કઈ છોડું? એ જ સવાલ જાગે ત્યાં તો તરત જ  ….

”વાણી ક્યાંકથી આવે, ક્યાંક જઈ સમાશે રે.

ચાખડીના ચિન્હોમાં ક્ષણ ગહન ગૂંથાશે  રે”માં  ‘રે’ના લહેકામાં પાનબાઈના ગીતના ‘રે’ને સ્મર્યો. તો વળી એની સુંદર છણાવટ કરતા કહ્યું કે આ રે, અરેરેના દુઃખદ ઉદ્દગારવાળો રે નથી. પણ અવિનાભાવી ગતિ તરફ લઈ જતો પરમ આનંદદાયી રે છે.

“પિંડ પૂરો જે ઘડીએ શબ્દનો પમાશે  રે.
એક એવું ઉછળશે, શિર નમી જવાશે  રે.

મહેંકના શ્વાસનો તરાપો આ,
ઊતરીને નાદના સમંદરમાં, વાગશું વગર સાઝે  રે..

કેટલું આહ્લાદક!

ત્યારબાદ મૌનના આકર્ષણની શોધમાં નકારાકાત્મક પ્રાપ્તિ પછી જે વિજયાત્મક મૌન લાધ્યું તેની સરસ વાત કરી. ”શમે મૌનમાં શબ્દ મારા પછી પણ કોઈ સોરઠે, કોઈ દોહરે હું મળીશ જ. શિલાલેખના અક્ષરે હું મળીશ જ ..મને ગોતવામાં ખોવાયેલ છું હું, જૂનાગઢ, તને તો ખબર છે ઝાંખરે, કાંકરે હું મળીશ જ.’રચના સંભળાવી. મહેન્દ્રસિંહજીના એક પ્રશ્નના જવાબમાં ઉદાહરણરૂપે ‘નગારે ઘાવ પહેલો’માં ઘાવને બદલીને શા માટે ‘દાંડી’ શબ્દ બદલ્યો તેની કાવ્યાર્થ ભાવની નિયંત્રિત વ્યંજના વિશે સમજણ આપી. સમયનું ભાન ભૂલી સૌ સાંભળતાં જતાં હતાં. છેલ્લે જયદેવની અષ્ટપદી, કોઠાની બાનીથી માંડીને સચ્ચિદાનંદની બાનીના સ્તર સુધીની, વેદાંતી કવિ અખાની બાની, પ્રાકૃત, સંસ્કૃત અને જૈનદર્શન સુધીના ભાષાપ્રવાહની આરાધના અને ધ્યાન વગેરેની કવિની અસ્ખલિત ધારા વહેતી રહી અને સૌ શ્રોતાજનો ભીંજાતાં રહ્યાં. અંતે, ના કોઈ બારું,ના કોઈ બંદર, ચેત મછંદર .. અને ભોર ભઈ, ભૈરવસૂર ગાયા, ગોરખ આયા .. એક ઘડીમાં રૂક્યો સાંસ ગોરખ આયા .. અટક્યો ચરખો ગોરખ આયા .. બિન માંગે મુક્તાફળ પાયા, ગોરખ આયા .. કહી વિવેકાનંદ અને રામકૃષ્ણની અસરનો પણ ઉલ્લેખ કર્યો અને એ સાથે પૂર્ણતાનો અનુભવ કરાવતી ચતુષ્પદી ગાયત્રી છંદયુક્ત ‘સ્વાહા’ કવિતાથી વિરામ આપ્યો.

આમ ભાષાના, સંવેદનાના અને અનુભૂતિના જુદા જુદા સ્તરોના ત્રીવેણીસંગમ પર સ્નાન કરાવતી જતી આ ઝૂમ બેઠક અવિસ્મરણીય બની રહી. વિપુલભાઈ, પંચમભાઈ, મહેન્દ્રસિંહજી અને કવિયુગલ(ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ અને નયનાબહેન જાની)ને તહેદિલથી વંદન.

અસ્તુ..

(ડિસેમ્બર ૭,૨૦૨૦)

હ્યુસ્ટન, અમેરિકા

 Email: Ddhruva1948@yahoo.com

Loading

વિદાય વેળાએ ………

રક્ષા ભટ્ટ|Opinion - Opinion|9 December 2020

સૌંદર્ય અને ઉત્તમોત્તમના ઉપાસક અને ભાવક જયંતભાઈએ ફરી પુસ્તકોના પ્રસારની અભ્યાસુ અને વાંચન પ્રેમથી ભરપૂર યાત્રા આરંભી હશે તેવું અનુભવાય છે. અનેક પ્રકાશકો, કવિ-લેખકો, કટાર લેખકો, ગ્રંથપાલો અને પુસ્તક પ્રેમીઓના મિત્ર, સ્વજન-પ્રિયજન એવા જયંતભાઈ મેઘાણી આજે સદેહે નથી છતાં આપણી આસપાસ તેઓ ખેવના અને દરકારથી વહેતી કાર્યશક્તિ અને સ્ફૂર્તિ સ્વરૂપે જાણે કોઈ બૌદ્ધ સાધક માફક વિહાર કરી રહ્યા હોય એવું અનુભવાય છે. તેમનું આવું હોવું એટલું cosmic છે કે તેઓ સદા ય આપણામાં, આપણી સાથે ચાલશે અને કોઈ જાદુઇ સ્મિત આપતાં-આપતાં ધીમા સ્વરે આપણી સાથે કવિવર ટાગોરના પત્રોની વાતો કરશે.

મને હંમેશાં એવું લાગ્યું છે કે જયંતભાઈ સાથે બેસીને વાતો કરવી એટલે તેઓના મિતભાષી સ્મિતની મીઠાસમાં ઝબોળાઈને આવતા તેમના realized સત્યો અને તથ્યો સાથે વાતો કરવી. જયંતભાઈના વાંચન અને વિચારના નિચોડરૂપ અભ્યાસુ વિચાર ગોષ્ઠી એ તેમની સાથેની વાતોનું એક એવું essence હતું કે જેમાં કશું ઉધાર ન હોય અને જેમાં reflect થતો હોય તેમનો સંવેદનશીલ સ્વભાવ.

આવા સંવેદનશીલ જયંતભાઈને ચાલવું બહુ ગમતું હશે એવું માનું છું. એક સમય હતો જ્યારે જયંતભાઈ સવારે વિકટોરિયા પાર્કમાં ચાલવા આવતા. અનેક વખત હિલડ્રાઈવના તેઓના ઘરેથી ‘પ્રસાર’ સુધીની તેઓની મક્કમ પગલાંની ટટ્ટાર વૉક આપણામાંના ઘણાએ જોઈ છે. ખાદીની લાંબી કફની અને આપણને ખરીદવાનું મન થાય તેવો બગલ થેલો લઈ ચાલતા જયંતભાઈ મને હંમેશાં શાંતિ નિકેતનના પરિસરમાં ચાલતા કોઈ કલાકાર અને રવીન્દ્ર ભાવક લાગ્યા છે.

આ સમયે આપણામાંના અનેકોને યાદ આવે છે જયંતભાઈએ પૂર્ણ પ્રેમથી મોટી કરેલી પુસ્તકોની નાનકડી દુનિયા, ‘પ્રસાર’ કે જેનું એક ખાસ character હતું. વર્ષો પછી ‘પ્રસાર’માં પગ મુકતા જ ઊંડા શ્વાસ સાથે nostalgiaની લાગણી થઈ આવવી અને બાળપણના દિવસોમાં પહોંચી જઇ પપ્પાની આંગળીએ સચિત્ર બોથકથાઓના પંચતંત્રીય જગતને સ્મરી લેવું એ કેટલું મૂલ્યવાન હતું એ આજે ફરી આપણને સૌને યાદ આવે છે. એ સાથે એ પણ યાદ આવે છે કે કોલેજના દિવસોમાં જ્યારે પ્રિય મિત્રને ભેટ આપવા પુસ્તક ખરીદવું હોય અને તે પુસ્તકનું સરસ મજાનું ગિફ્ટ પેક કરાવી ઉપર મૂકવી હોય ઓરોવીલાની અગરબત્તી જેથી મૈત્રીની સાદગીથી ભરેલી કોઈ જુદી જ સુવાસના બીજ રોપાય અને એ મૈત્રી કાયમ અખંડ રહે તો એવી અખંડતામાં પણ ‘પ્રસાર’ને કેમ ભૂલી શકાય. ‘પ્રસાર’ની આવી ન ભૂલાય તેવી યાદોએ ભાવનગરની અનેક પેઢીઓનાં બાળકોમાં વાંચન રસ કેળવ્યો છે અને એ પુસ્તક મૈત્રીની કેળવણી પેઢી દર પેઢી કેળવાતી રહી છે.

પુસ્તકોની આવી મૈત્રીપૂર્ણ બારાક્ષરી જેવા ‘પ્રસાર’માં પ્રવેશતા ડાબા હાથે હતો એક વાંસ જે આપણને પુસ્તકોની વાંસવન જેવી વિશાળ દુનિયામાં લઈ જતો. આ દુનિયામાં અંદર પ્રવેશતા જ જ્ઞાન-વિજ્ઞાન, જીવન ચરિત્રો, નવલકથાઓ-વાર્તાઓ, કાવ્યો અને વિચાર કણિકાઓનું એક સરસ્વતી મંદિર ખુલ્લી જતું. આ પુસ્તક મંદિરના ગવાક્ષમાંથી કયું પુસ્તક ખરીદીને વાંચી લઇએ તેની ઉતાવળ હંમેશ રહેતી અને ઉતાવળ રહેતી ‘પ્રસારે’ બનાવેલા બુકમાર્ક લઈને જ ઘરે જવાની. વળી ‘પ્રસાર’માં વાગતું ધીમું સંગીત અને ઓરોવીલાની અગરબત્તીનું સુવાસિત વાતાવરણ કોઈ music concert પહેલાનો માહોલ ઘડતું અને એ classical ambiance વચ્ચે નજર પડતી જયંતભાઈની cosy working place પર જેમાં જયંતભાઈ તેઓનાં ગમતાં કામમાં ઓતપ્રોત હોય અને ક્યારેક કોઈ મુલાકાતી સાથે વાતો કરતાં હોય. એમાં વળી કેટલાક મિત્રો તો એટલા સદ્દભાગી હતા કે જેઓને જયંતભાઈ સ્ટીલના ક્યૂટ ડબ્બામાં ઘરેથી જે નાસ્તો કે મીઠાઇ લાવ્યા હોય તેમાંથી ભાગ પણ મળ્યો હોય.

આવો ભાગ જયંતભાઈનું caring sharing હતું જે ગાંધી સ્મૃતિના ગ્રંથપાલ પુનાભાઇ સાગઠિયા સહિતના તેમના ચહીતા વર્તુળોમાં વહેતું રહેતું હતું. આ વર્તુળનો વિસ્તાર વ્યાપક હતો. એ વિસ્તાર માત્ર પુસ્તકો પૂરતો મર્યાદિત પણ ન હતો. એ વિસ્તાર ગુજરાતી ભાષાની પ્રિત-રીતને પોષક પણ હતો અને ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત બહાર રહેતા ગુજરાતીઓને પણ ભાવનગર આવી જયંતભાઈને મળવા મજબૂર કરી માતૃભાષાના પ્રેમ માફક સ્પર્શતો રહેતો હતો. પુસ્તક પ્રેમમાંથી વિસ્તરતા રહેલા જયંતભાઈ સાથેની વાંચન મૈત્રીના અને વિચાર ગોષ્ઠીના આવા અનેક પૂરાવાઓ આપણને મળતા રહેતા. કારણ કે ભાવનગરમાં યોજાતા સાહિત્યિક કાર્યક્રમોમાં આવતા કવિ-લેખકો અને પુસ્તક પ્રેમીઓની મુલાકાત યાદીમાં જયંતભાઈ હોય. આથી અનેક વખત એવું બનતું કે ‘પ્રસાર’ના આંગણે ભાવનગર બહારની ગાડીઓ પડી હોય અને એ જોતાં ખ્યાલ આવે કે ‘પ્રસાર’ના મંદિર જેવા ગર્ભગૃહમાં ધૂપ-દીપ વગરની કોઈ સાહિત્ય પૂજાનો દૌર ચાલી રહ્યો છે કે ચાલી રહી છે વિશ્વના ખ્યાતનામ લેખકોનાં પુસ્તકો, ઉત્તમ ફિલ્મો, પ્રવાસો અને ચિત્ર શૈલીઓની genuine વાતો.

આ દૌર છેલ્લાં વર્ષોમાં પણ અખંડ રહ્યો. ’પ્રસાર’ નિવૃત્તિ પછી તો જયંતભાઈ તેઓને ગમતા કાર્યક્રમોમાં હાજરી પણ આપતા. તેઓની સાત્વિક હાજરી સૌને ગમતી અને જયંતભાઈને આવેલા જોઈને તેમનો નાનકડો એવો ચાહક વર્ગ તેમની આસપાસ ગોઠવાઈ જતો.

આવા ચાહકો વચ્ચે જયંતભાઈની ભાઈ મહેન્દ્રસિંહ પરમાર જેવી એક નાનકડી રખડું ટોળકી પણ હતી, જેમની સાથે જયંતભાઈ નાના-મોટા outings કરતાં. એ outingsમાં હું માનું છું ત્યાં સુધી ભોજનને પણ એટલું જ પ્રાધાન્ય અપાતું હશે કારણ કે જયંતભાઈને સ્વાદની દુનિયામાં પણ તેમની પસંદગીની વાનગી અને વ્યંજનોમાં રસ પડતો.

આજે થાય છે કે એ રસ જીવન રસ હતો. જીવનની નાની-નાની વસ્તુઓમાં જે સૌંદર્ય છે તેને પીંછાણવાનો એ રસ હતો. જયંતભાઈને પરદેશની પાનખરના રંગો પસંદ હતા. તેઓને વોટર કલર paintingsના impressionismની વહેતી પીંછીના લસરકામાં વાનગોઘ કે વિલિયમ બ્લેકને શોધી લેવા ગમતા. તેઓ મૂળ તો પ્રકૃતિ અને લલિત કળાઓમાં અભિવ્યકત સૌંદર્યના ચાહક અને ભાવક હતા અને આથી જ, કદાચ, તેઓ ગુરુદેવ રવીન્દ્રનાથની ખૂબ નિકટ હતા. તેમની પસંદગીઓ બોન્સાઈના છોડ પરના અપાર પ્રેમની હતી અને તેઓ ‘એકલો જાને રે’ની કોઈ ગમતી યાત્રાના સંવેદનશીલ પ્રિય જન પણ હતા કે જેને ઘોંઘાટથી દૂર રહી બનારસના કોઈ નિરવ ઘાટ પર બેસી વહેતી ગંગા પર સરકતી હોડીનું સૌદર્ય માણવું છે. તેઓ બોધિ વૃક્ષની આસપાસની સાધના હતા કે જેના મૂળ ક્યારેક લાઓત્સુની કોઈ વિચાર કણિકાને તો ક્યારેક સપ્તપર્ણીના સાત સૂરોની સુસંવાદિતતાને  સ્પર્શતા હતા.

તેઓની જીવન સાથેની આવી જીવંત નિસ્બતે તેમને જીવનની છેલ્લી ક્ષણ સુધી ગમતાં કાર્યોમાં ઓતપ્રોત રાખ્યા. તેઓ છેક સુધી અભ્યાસુ રહી શક્યા અને રહી શક્યા એક ખોજી જેને જીવનને કલાત્મક રીતે એક્સપ્લોર કરવું છે અને એ કરવામાં કોઈ ઉતાવળ નથી કે નથી કોઈ ભાગંભાગ પણ. આવી નિતાંત નિરાંતના માલિકને મૃત્યુએ પણ જે સ્પર્શ કર્યો છે તે તેમના સ્વભાવ જેટલો જ ઋજુ છે. તેમની અંતિમ ક્ષણોની આભાએ તેમના જીવનના અરીસાને જાણે વધુ ઉજળો કર્યો છે. પોતાનાં વાંચન-લેખન દરમિયાન માથું ઝુકાવી દઈ બ્રહ્માંડના લયમાં વિલીન થવાની તેમની યાત્રાનો આરંભ પણ કેવો સ્થિર, શાંત અને કેટલો લયબદ્ધ અને ગતિશીલ પણ છે !!

જયંતભાઈના જીવનનો અને જીવનની અંતિમ ક્ષણો સુધીનો આવો લય મેં મારી રીતે અવલોકયો છે અને જ્યારે આજે લખું છું ત્યારે એવું અનુભવાય છે કે કવિવર રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં જાણે જયંતભાઈ આપણને સૌને તેમની વિદાય વેળાએ એવું કહે છે કે,

‘જ્યારે હું અહીંથી વિદાય લઉં છું ત્યારે મારા વિદાય વેળાના એ શબ્દો હોય કે મેં આ પૃથ્વી પર જે જોયું છે તે સર્વોત્તકૃષ્ટ છે, unsurpassable છે.

મેં અહીં પ્રકાશના દરિયા પર વિસ્તરતા કમળમાં છૂપાયેલા મધનો સ્વાદ ચાખ્યો છે અને આથી જ [મને થાય છે કે ] હું આશીર્વાદ પામેલો છું. આ જ મારા વિદાયના શબ્દો હજો.

અનંત સ્વરૂપોના આ પ્લેહાઉસમાં મારી પાસે મારી ખુદની રમત છે અને અહીં જ મને આટલા બધા સ્વરૂપો વચ્ચે જે નિરાકાર છે તેનું દર્શન પણ થયું છે.

મારું આખું ય શરીર અને તેના દરેક અંગ તે નિરાકારના સ્પર્શે રોમાંચિત થયેલા છે કે જે નિરાકાર પોતે સ્પર્શની પેલે પાર છે; અને જો અહીં જ મારો અંત આવે તો તેને આવવા દો. આ જ મારા વિદાય વેળાના શબ્દો હજો.’

મને એવું લાગે છે કે જયંતભાઈની વિદાયમાં જીવન જીવવાની રીત સમાયેલી છે. તેમાં કવિવરનું સાનિધ્ય છે અને છે વિનસેન્ટ વાનગોઘના intense અને bold જીવન રંગોના બળવાન strokes પણ. તેમાં સમષ્ટીને સમીપ લાવવાની પ્રેરણા છે અને છે પૂર્ણમાં પૂર્ણને સમાવી પૂર્ણને વૃદ્ધિ પામવાનો અવકાશ આપતી spaceનો અહેસાસ પણ. જયંતભાઈની વિદાય વેળાએ આવા શુદ્ધ-સાત્વિક અહેસાસને હ્રદયે ધરી એટલું કહેવું છે કે જયંતભાઈ, તમે પણ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર જેવા જ વિધાત્રીના પનોતા પુત્ર છો અને અમે સૌ તમને ખૂબ ચાહીએ છીએ …

આ સાથે, લતાબહેન અને સમગ્ર પરિવારને વંદન અને પરમ આદરણીય જયંતભાઈના પરમ આત્માને પણ વંદન ….

સૌજન્ય :  https://www.facebook.com/raksha.bhatt

છવિ સૌજન્ય : અપૂર્વભાઈ આશર

Loading

જયંતભાઈ મેઘાણી : હવે સ્મરણો ભીનાં

રમજાન હસણિયા|Opinion - Opinion|9 December 2020

ચૂપચાપ કામ કરતો એક ઓલિઓ જીવ ચૂપચાપ સરકી ગયો …

ઝવેરચંદ મેઘાણીની પ્રજ્ઞા જેમાં તંતોતંત ઊતરી … પણ જેમણે મેઘાણીપુત્ર તરીકે વારસામાં મળેલા સન્માનનો ક્યારે ય લાભ ન લીધો એવા એક વિનમ્ર સાધુજન જયંતભાઈના પ્રથમ દર્શનનો લાભ ભાવનગરના વિદ્યાતીર્થ ‘પ્રસાર’ મુકામે મારા ગુરુજન દર્શનાબહેન ધોળકિયા સાથે મળેલો … ‘પ્રસાર’ના એક આછા પ્રકાશવાળા ખંડમાં પ્રજ્ઞાથી ચમકતું એમના વદનનું એ પ્રથમ દર્શન આજે પણ આંખોમાં અકબંધ છે.

સાહિત્ય, સંગીત અને ચિત્ર સાથે જાણે તેમને નાળ સંબંધ ! સુંદરમ્‌ની કવિતા 'રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને …..'માં નાયક નાયિકા તેમની પ્રસ્તુતિથી પ્રભાવિત થયેલા ને કશુંક માંગી લેવા કહેતા રાજાને સાંભળી જે રીતે કોઈ પણ અપેક્ષા વિના પોતાની મસ્તીમાં ગાયા વગાડ્યા કરે છે … એમ જયંતભાઈએ આજીવન ગાયા વગાડ્યા કર્યું. કલાઉપાસનનો હેતુ માત્ર નિજાનંદ છે એ એમણે જીવી બતાવ્યું.

સદા ય હળવા સ્મિતથી છલકાતો એમનો રૂપકડો ચહેરો, ઓછા પણ મીઠા શબ્દોમાં વહેતું એમનું વાત્સલ્ય ને એવો જ કોમળ વ્યવહારે તેમને ગૃહસ્થ સાધુના રૂપમાં મારા હૃદયમાં સદાય માટે અંકિત કરી દીધાં છે, જ્યાંથી તેઓ ક્યારે ય જઈ નહિ શકે.

આચાર્ય વિજયશીલચંદ્રસૂરિની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મુકામે 'જ્ઞાનની બારી'ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે પધારેલા જયંતભાઈનો મારે પરિચય આપવાનો હતો. મને મૃદુ સ્વરે એમણે કહેલું કે, 'હું ઝવેરચંદ મેઘાણીનો પુત્ર છું એવું તમે જાહેરમાં કહેશો નહિ …. આ રીતે પરિચય આપતાં લોકોનો આદર ખૂબ વધી જાય જેને લાયક હું હજુ બન્યો નથી. માટે માત્ર જયંત મેઘાણી એટલા ઉલ્લેખથી જ તમારી વાત સંકેલો એવું ઈચ્છીશ.' આ એક જ અનુભવે મને એમની સામે નતમસ્તક કરી દીધેલો.

એકાદ બે વર્ષ પૂર્વે સોનટેકરી નિલપર આવેલાં ત્યારે એક નાનકડી રૂપકડી છવિ ભેટ આપી ગયેલા જયંતભાઈ પોતાની પણ એવી જ સુંદર છવિ ભાવવિશ્વને ભેટ આપતાં ગયેલા.

આમ ઓછું બોલનારા જયંતભાઈ કોઈ નાનકડા વાચક, વિદ્યાર્થી કે અભ્યાસીને જુએ કે મળે તો સસ્મિત રાજીપો વ્યક્ત કર્યા વિના ન રહે. મારા એક નાનકડાં વિદ્યાર્થિની સોનબાઈના  એક એક કાર્યને નીરખીને જોનારા ને પીઠ થાબડી દેખાડા વિના પ્રોત્સાહિત કરનારા જયંતભાઈનું આ વાત્સલ્ય મેં પણ અનુભવ્યું છે ને એને મારું પરમ સદ્ભાગ્ય ગણું છું.

ઓનલાઈન પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં શકિતભાઈ જેવા યુવા અભ્યાસી મિત્રોને ચૂપચાપ સાંભળી મૌન આનંદ વ્યક્ત કરનારા આવા વડીલની ખોટ કોણ પુરશે ?

જયંતભાઈએ આજ લગી એક પણ કામ દેખાઈ જાય એ રીતે ગાઈ વગાડીને નથી કર્યું એટલે જીવનનું છેલ્લું કામ પણ આ રીતે ચૂપચાપ  કરીને જ સરકી જાય ને ! 

પોતાના વર્કિંગ ટેબલ પર કામ કરતાં કરતાં સ્હેજ વિસામો ખાવા હાથનો તકિયો કરી ચિરનિદ્રામાં પોઢી ગયેલા જયંતભાઈ ભાવનગરના એક ભાવસભર વ્યક્તિત્વ તરીકે સદૈવ હ્રદયસ્થ રહેશે.

જયંતભાઈનું મૌન જીવન શાશ્વત્‌ મૌનમાં મૌનપૂર્વક સરકી ગયું ને મારા જેવા બોલકાને મૌનનું મૂલ્ય સમજાવતું ગયું.

વંદન એ વિરલ વિભૂતિને …

સૌજન્ય : https://www.facebook.com/ramjan.hasaniya.5

છવિ સૌજન્ય : અપૂર્વભાઈ આશર

Loading

...102030...2,0622,0632,0642,065...2,0702,0802,090...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved