Opinion Magazine
Number of visits: 9572903
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરબનાં મીઠાં જળ

સમ્પાદક – અમૃત મોદી, સમ્પાદક – અમૃત મોદી|Opinion - Opinion|11 December 2020

1. હમદર્દી

ગાંધીયુગના જાણીતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના બાળપણની વાત છે. ઝવેરચંદના પિતા પોલીસ અધિકારી હતા. એક વાર મોટા મોટા સરકારી અધિકારીઓને તેમણે જમવા બોલાવ્યા હતા. દૂધપાક બનાવવાનો હતો. ગામડેથી દૂધ મંગાવવામાં આવ્યું. મજાનો દૂધપાક તૈયાર થયો. બધાં હોંશે હોંશે ખાવા લાગ્યાં. વખાણ કરતાં જાય અને વાટકો ખાલી કરતાં જાય. પણ કિશોર ઝવેરચંદે દૂધપાકમાં આંગળી ય બોળી નહીં. કોઈકે કારણ પૂછ્યું તો કિશોરની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. રડમસ સાદે કિશોર ઝવેરચંદ બોલ્યા : ‘દૂધપાક મારા ગળે ઊતરતો નથી. કેમ કે સવારે દૂધ લાવનાર માણસો કહેતા’તા કે આ દૂધ લાવવા મારાં વાછડાં વાસ્તેય રાખ્યું નથી. છોકરાં સારુ પણ રહેવા નથી દીધું. આવી રીતે ભેગા કરેલા દૂધનો દૂધપાક ગળે શેં ઊતરે ? હું નહીં ખાઈ શકું.’

2. પ્રજાપ્રેમી

મુંબઈ વિશ્વ-વિદ્યાલયના ઉપકુલપતિ શ્રી ચીમનલાલ સેતલવડ એકવાર સ્ટૉકહોમ ગયા હતા. ત્યાં એમને એક અવનવો અનુભવ થયો. બસ કંડક્ટર ટિકિટ આપતો આપતો સેતલવડ પાસે આવ્યો. તેમની પાસેના એક સજ્જનને ટિકિટ આપતી વેળા તેણે આદરપૂર્વક સલામ કરી. સેતલવડને કુતૂહલ થયું. પેલા ભાઈ ઊતરી ગયા, ત્યારે તેમણે કંડક્ટરને પૂછ્યું, તો જાણવા મળ્યું : ‘એ તો અમારા રાજા હતા.’

‘એમ! તો તેઓ પોતાની મોટરમાં નથી ફરતા?’

‘ના જી, અમારા રાજા સામાન્ય માનવીની જેમ જ જીવે છે. પ્રજાનાં સુખદુઃખ નિહાળવા તે આમ જ બધે ફરે છે.’

3. નામનું શું કામ?

દેશના ભાગલા પહેલાંની વાત છે, જમશેદજી મહેતા કરાંચીમાં રહેતા હતા. કરાંચીના વિકાસમાં એમનો ભારે હિસ્સો રહ્યો છે. કરાંચીમાં હૉસ્પિટલ બાંધવાનો નિર્ણય થયો. જે દાતા દસ હજાર રૂપિયા આપે તેના નામની આરસની તકતી મુકવાનો સમિતિએ નિર્ણય કર્યો હતો. ઘણા ઉદાર સજ્જનોએ મોટી રકમનું દાન કર્યું. પણ જમશેદજીએ દસ હજારમાં પચાસ રૂપિયા ઓછા આપ્યા. આ જોઈ એક મિત્રને આશ્ચર્ય થયું. પૂછ્યું, ‘જમશેદજી, તમે આમ કેમ કર્યું? 50 રૂપિયા કેમ ઓછા આપ્યા ?’

જમશેદજીએ પોતાની ભૂમિકા સમજાવી. નમ્રતાપૂર્વક તે બોલ્યા, ‘ભાઈ, ભગવાને મને જે કાંઈ આપ્યું છે, એનો ઉપયોગ લોકસેવામાં થાય તેમાં મને સંતોષ અને આનંદ છે; મારા નામની તક્તી મુકાવવામાં નહીં.’

4. બાપના નામે નહીં

થોડાં વર્ષો પહેલાંની વાત છે. માર્શલ ટીટોના નિવાસ-સ્થાને થોડાક પત્રકાર પહોંચ્યા. તેમના તેર વર્ષના પુત્રના ફોટા લેવા દેવાની વિનંતી કરી. ટીટોએ ના પાડી. સંકોચપૂર્વક તેમણે કહ્યું, ‘‘મહેરબાની કરીને એના ફોટા લેશો નહીં. એથી એના મનમાં મોટાઈનો ભાવ-અભિમાન આવી જવાનો સંભવ છે. ‘હુંયે કંઈક છું’ એવી ભાવના જાગ્રત થવાનો સંભવ છે. મારો દીકરો છે, માટે એનું બહુમાન કરવાની જરૂર નથી. આપબળથી અને પુરુષાર્થથી ભલે એ આગળ વધે.’’ – એટલા માટે તો ટીટોએ પોતાના પુત્રને આમજનતાની શાળામાં ભણવા મુક્યો હતો.

5. નરસૈંયાની હૂંડી

એક વાર લીલાધરભાઈ દાવડા પોતાના વતનના શહેર વેરાવળમાં સર્વોદય આંદોલન માટે ફંડ એકત્ર કરી રહ્યા હતા. ત્યાંની પ્રાથમિક શાળાનું મકાન સાવ જીર્ણશીર્ણ થઈ ગયું હતું. સ્થાનિક ભાઈઓ ફાળાનો પ્રયત્ન કરતા હતા; પણ જરૂરિયાત જેટલી રકમ થતી નહોતી. લીલાધરભાઈ તો લાગી ગયા શાળાના ફાળા માટે! મોટાઓને કોરાણે મૂકી જનતા જનાર્દનને સીધી અપીલ કરી. કઈ રીતે? શાળાના બાળકોનું રોજ સરઘસ કાઢવા માંડ્યું અને નરસિંહ મહેતાની હૂંડીના ઢાળમાં છોકરાંને ગવરાવવા લાગ્યા :

અમને નોટું આપો ને મહારાજ રે, શામળા ગિરધારી …
અમને નોટુંનું પડ્યું છે કામ રે, શામળા ગિરધારી ….
શાળા અમારી જીર્ણ થઈ ને, સડી ગયું છે સાજ,
શામળશા શેઠનું રૂપ ધરી, પ્રભુ દોડી આવજો આજ.

ને બાળકોની હૂંડીનો સ્વીકાર થવા લાગ્યો. લોકો પર ભારે પ્રભાવ પડ્યો. ગીતમાં ‘નોટુંનો થાય રે વરસાદ’ એવી કડી આવતી હતી, તો અગાશી-મેડા પરથી ય લોકો નોટું ફેંકવા લાગ્યા! ફાળો ઝડપભેર થવા લાગ્યો. જૂનું મકાન રિપેર તો થઈ જ ગયું; સાથે સાથે, નવા પાંચ ઓરડા બંધાય એટલી રકમ પણ થઈ ગઈ.

5. કલાની સાધિકા

ભારતમાં લતા મંગેશકરનું જે સ્થાન છે, તેવું જ અમેરિકામાં જોન બાયજનું છે. દરેક સંગીત-રસિયા અમેરિકન ઘરમાં, એનાં ગીતોની રેકર્ડ મળે જ. એના સ્વરમાં જાદુ છે. નવા યુગની એ મીરાંબાઈ છે. એનાં ગીત બજારૂ પ્રેમ-ગીત નથી. પણ એમાં શાન્તિ, સ્વતંત્રતા અને માનવતાનો પોકાર છે. સમાનતા માટે ચાલતા નિગ્રો આંદોલનમાં જોન, ધનની મદદ તો કરે જ છે; પણ પોતાના સ્વર-ઝંકારથી એ આંદોલનના નાદને ચારે બાજુ ફેલાવી રહી છે. અમેરિકાની યુદ્ધનીતિનો વિરોધ કરીને તેણે સરકારી કર ભરવાની ધરાર ના પાડી અને કાનૂનભંગ કર્યો.

આ જોન 17 વર્ષની કિશોરી હતી, ત્યારે પણ મશહૂર ગાયીકા હતી. તે વેળા એક પરિચિત ભાઈએ એનાં કેટલાંક ગીત ટેપ કરી લીધાં હતાં. એ પછી તેની ખ્યાતી વધતી જ ગઈ. ઘેરઘેર એનાં ગીતો સંભળાવા લાગ્યાં. પેલા ભાઈએ જોનનાં ગીતો વડે પૈસા કમાવાનો વિચાર કર્યો. છ વર્ષ પહેલાંની ટેપ પરથી પચાસ હજાર રેકોર્ડ્સ તૈયાર કરી દીધી. જોનને ખબર પડી. તેણે વેચાણ માટે રેકોર્ડ્સ બજારમાં ન મૂકવાની વિનંતી કરી. પેલા ભાઈ તો મોં માગ્યા પૈસા આપવા તૈયાર હતા; પણ રેકોર્ડ્સ પાછી ખેંચવા તૈયાર ન હતા. એટલે જોને કોર્ટ દ્વારા, રેકોર્ડ્સ બજારમાં જતી અટકાવવા, અપીલ કરી. કેસ શરૂ થયો. ન્યાયાધીશે કહ્યું, ‘કાયદાની દૃષ્ટિએ તમારી માગણી યોગ્ય હોવા છતાં; મને તે બિનજરૂરી લાગે છે. એ મોં માગ્યા પૈસા આપવા તૈયાર છે. છતાં તમે કેમ ના પાડો છો?’

ત્યારે જોને જે જવાબ દીધો એ સાંભળી સહુ સ્તબ્ધ થઈ ગયાં, ‘મારો આરાધ્યદેવ ધન નથી; પણ કલા છે. હું કલાની ઉપાસિકા છું. છ વર્ષ પહેલાં ગાયેલાં મારાં એ ગીત આજે કલાની કસોટી પર બરાબર ઊતરે તેવાં નથી. મારી આજની ખ્યાતિ પર છ સાલ પહેલાંનાં નબળાં ગીત વેચી શ્રોતાઓને છેતરવા માગતી નથી. પૈસાના પ્રલોભનમાં કલા સાથે અન્યાય કરવાની વાત હું સહન કરી શકતી નથી.’

જોન બાયજ એક ગાયીકા છે. યુદ્ધ-વિરોધ આંદોલનની આગેવાન છે; પણ સૌથી વિશેષ તો કલાની સાધિકા છે.

7. રીત જગતસે ન્યારી

બાળલકવો! ભારે ભયંકર છે એ શબ્દ! હજી તો માંડ ખીલવા માંડેલી કોમળ કળીઓ પર બાળલકવા-પોલિયોનો પંજો પડે છે, ને નટખટ બાળુડાં બાપડાં પંગુ બની જાય છે. ફૂલની કળી સમાં કેટલાંક તો અકાળે જ ખરી પડે છે. એ રોગનો ઉપાય શોધવા દુનિયાના દેશદેશના વિજ્ઞાનીઓએ સંગઠિત પ્રયાસ કર્યો. રશિયામાં 1956માં જાણીતા જીવાણુશાસ્ત્રી પ્રો. અનાતોલી અલગ્જાન્દ્રોવીચ સ્મોરોદીન્ત્સેવે આ કામ હાથમાં લીધું. પહેલાં વાંદરાં પર પ્રયોગો કર્યા, પછી પોતાની જાત પર, પોતાના સાથીઓ પર પ્રયોગો કર્યા. પણ બાળલકવો તો બાળકોનો રોગ! માટે બાળકો પર પ્રયોગો કરવા જોઈએ. પણ કયાં મા-બાપ એ માટે પોતાનું બાળક આપે? એટલે તેમણે પોતાની પાંચ વર્ષની પૌત્રી પર પ્રયોગો કર્યા. છેવટે સફળતા મળી. આવા વીરલા વિજ્ઞાનજગતમાં બીજાયે છે.

એક અર્થમાં એ બધા સંતો જ છે. માટે તો કહ્યું છે કે : ‘સંત પરમ હિતકારી, રીત જગતસે ન્યારી.’

8. વેપારની પ્રામાણિકતા

પુસ્તક પ્રકાશન ક્ષેત્રે ભાતભાતનાં દૂષણ આજે દેખાય છે, ત્યારે પ્રયાગના ઈન્ડિયન પ્રેસના માલિક સ્વ. ચિંતામણ ઘોષનો લેખક સાથેનો વ્યવહાર જાણવા જેવો છે. તેમણે પ્રયાગના પ્રો. ઈશ્વરીપ્રસાદ પાસે એક પુસ્તક લખાવ્યું. ઉચ્ચક પુરસ્કાર આપીને કોપીરાઈટ લઈ લીધો. થોડાક સમય પછી તે પુસ્તક પાઠ્યપુસ્તક થયું. એટલે એની માંગ વધી ગઈ. ત્યારે પ્રકાશકે લેખકને બોલાવ્યા અને કહ્યું : ‘હવે સંજોગો બદલાઈ ગયા. પાઠ્યપુસ્તક થવાથી એનો લાભ લેખક તરીકે તમને પણ મળવો જ જોઈએ. માટે હવે એની વધારાની રોયલ્ટી પણ આપીશ.’ આથી લેખકને ખૂબ લાભ થયો. વેપારની કેવી પ્રામાણિકતા!

9. ધન ધન ગાંધી મહારાજ

ગાંધીજી એકવાર ચંપારણથી બેતિયા જઈ રહ્યા હતા. રાતની વેળા હતી. ગાડીમાં જગ્યા હતી. એટલે ત્રીજા વર્ગના પાટિયા પર એ સૂઈ ગયા. સાથીદારો બીજી બેઠકો પર બેઠા હતા. અરધી રાતે એક સ્ટેશને ગાડી થોભી. એક ગામડિયો ખેડૂત ડબ્બામાં ચડ્યો. અંદર ઘૂસતાં જ એણે ગાંધીજીને હડસેલીને કહ્યું : ‘ઊઠો, બેઠા થાવ. ઓહો! ગાડી બાપની હોય એમ પડ્યા છો તે!’ ઘોંઘાટ સાંભળી બાપુ બેઠા થયા. પડખે જ બેસીને પેલો ખેડૂત ભાવપૂર્વક ગાવા લાગ્યો :

‘ધન ધન ગાંધીજી મહારાજ,
દુઃખીકા દુઃખ મિટાનેવાલે.’

એના મોં પર ઉલ્લાસ છલકાતો હતો. કહી રહ્યો હતો, ‘ગાંધી મા’તમા બેતિયા આવવાના છે. એમનાં દર્શન કરવા જઉં છું. ગાંધી મા’તમા દુઃખીયાંના બેલી છે.’ એની વાત સાંભળી ગાંધીજી મંદ મંદ મલકાઈ રહ્યા હતા. બેતિયા આવ્યું. સ્ટેશન પર સેંકડો લોકોની ભીડ હતી. ‘મહાત્મા ગાંધીની જય’થી સ્ટેશન ગાજી ઊઠ્યું. ખેડૂતને પોતાની ભૂલની ખબર પડી ત્યારે રડતાં રડતાં એ મહાત્માજીના પગે પડ્યો. ગાંધીજીએ તેને ઊઠાડ્યો ને બરડે હાથ ફેરવી, આશ્વાસન આપ્યું.

10. પાડોશીને પહેચાનો

એક ઉત્સાહી યુવકની વાત છે. એ વિનોબા પાસે આવ્યો. ગર્વભેર પોતાનો પરિચય આપતાં તેણે કહ્યું :

‘મને જવાહરલાલજી પણ ઓળખે છે.’

‘બીજું કોણ કોણ ઓળખે છે?’ વિનોબાજીએ ધીરે રહીને પૂછ્યું.

‘રાજાજી ઓળખે છે,’  યુવકે કહ્યું, ‘ટંડનજી ને સરદાર સાહેબ પણ ઓળખતા હતા.’

‘ગામનાં અને પાડોશનાં ગામનાં લોકો, તમને ઓળખે કે?’ વિનોબાએ પૂછ્યું.

‘ના, બાબા! મોટે ભાગે હું બહાર રહ્યો છું ને … એટલે ગામમાં કોઈને ખાસ ઓળખું નહીં. ગામવાળા મને પણ ના ઓળખે.’

‘તો જાઓ. પહેલાં એમને ઓળખો, એમનો પરિચય કરો, પછી મારી પાસે આવજો.’ વિનોબા બોલ્યા. ‘વિચાર પોથી’માં વિનોબાએ લખ્યું છે : ‘પર્વત સમા ઊંચા થવામાં મને સુખ નથી દેખાતું. મારી માટી તો આસપાસની જમીન પર ફેલાઈ જાય, એમાં જ મને આનંદ છે.’

[અમૃત મોદી સમ્પાદિત ‘પરબનાં મીઠાં જળ’ પુસ્તક (આવૃત્તિ : 1989)માંથી સાભાર …. પુસ્તક હાલ અપ્રાપ્ય છે.]

તા. 25 એપ્રિલ, 2011ના દિવસે આ લેખ ગુજરાતી ભાષાની પ્રસિદ્ધ વેબસાઈટ 

http://www.readgujarati.com/2011/04/25/parab-jal/  પર મુકાયેલો.

સ્વ. ભાઈ મૃગેશની પ્રસિદ્ધ વેબસાઈટ http://www.readgujarati.com/ હાલ, અનેક વ્યસ્તતા વચ્ચે પણ સંભાળતા ભાઈ જિજ્ઞેશ અધ્યારુનો ખૂબ આભાર, જેમણે ‘સન્ડે ઈ.મહેફીલ’માં આ લેખ મુકવાની પરવાનગી આપી.

♦●♦

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 467 – December 06, 2020

Loading

ચરૈવેતિ ચરૈવેતિ

ભાવાનુવાદઃ પંચમ શુક્લ|Poetry|11 December 2020

                            (ખંડ વસંતતિલકા)


આઘે ભલે જનપદે ઘર દૂર સહુના,
લાગે મને ખબર છે-
કોના હશે ઉપવનો અહિંયા વસેલાં!
થંભી ગયો તુરગ, આરૂઢ હુંય સાથે,
.             હિમ તણા શુભ ગૌર-વસ્ત્રે-
ઢંકાયલાં ઉપવનોની કને ક્ષણેક…
કિંતુ અરે!
જોઈ શકે નવ ક્શું અતિ દૂરથીે એ,
મ્હાલી રહ્યા જનપદે નિજમાં મજેથી!
ભાસે વિચિત્ર (મુજ) શિશુ-અશ્વને કે –
થંભ્યા ક્યહાં?
.               ન પથિકાશ્રમ છે અહીં, છે-
થીજી ગયેલ-
કાસાર ને ઉપવનો બિચ ઘોર સંધ્યા!
તાણી-લગામ ઝટકી નિજ ડોક વાળી
પૃચ્છા કરે રણકતી મધુ ટોકરીને
રે! રે! કશી ચૂક થઈ અસવારની શું?
ને સૂસવે ધ્વનિ કશો વળતા જવાબે
તે હીમ પિચ્છલ કણે તર વાયુ ક્રાંત…
જોયા કરું, ન મટકું લગીરેય મારું,
કેવાં રૂડાં ઉપવનો વળી ગાઢ, ઊંડા-
.         પ્રવેશ કરવા લલચાવતાં;
કિંતુ દીધાં વચન, તે સહુ પાળવાના,
થંભ્યા વિના-
આ યોજનો અવિરતે બસ કાપવાના!
આ યોજનો અવિરતે બસ કાપવાના,
નિદ્રા મહી સરી પડાય રખે! તે પહેલા!
થંભ્યા વિના…

૧૫/૫/૨૦૧૨

—

Stopping by Woods on a Snowy Evening

                                                                       • Robert Frost

Whose woods these are I think I know.
His house is in the village, though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.
My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.
He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sound's the sweep
Of easy wind and downy flake.
The woods are lovely, dark, and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.

e.mail : spancham@yahoo.com

Loading

દેશનું સુકાન ઉદ્યોગપતિઓના હાથમાં જઈ રહ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 December 2020

વિચિત્ર લાગે એવું છે, પણ ઘણાં અનિષ્ટોનું મૂળ ચૂંટણી છે. હવે લોકશાહીમાં તો ચૂંટણી અનિવાર્ય ગણાય, ત્યાં અનિષ્ટ કેવી રીતે એ પ્રશ્ન થાય. ચૂંટણી પોતે અનિવાર્ય, પણ એને નામે જે ચાલે છે એમાં સાધનશુદ્ધિના પ્રશ્નો છે. દરેક પક્ષ પાસે પોતાનું ભંડોળ છે, દરેક ઉમેદવાર પોતાની આવક ઉમેદવારી કરતી વખતે જણાવે છે, ચૂંટણી કમિશનરની નિમણૂક થાય છે, આચારસંહિતા લાગુ થાય છે, છતાં ચૂંટણી શુદ્ધ અને સાત્ત્વિક રીતે થતી નથી તે હકીકત છે. ચૂંટણી પ્રચારમાં, એક પક્ષમાંથી બીજા પક્ષમાં ખેંચવા માટે જે રીતે કરોડો રૂપિયા ખર્ચાય છે, એક ઉમેદવાર એકથી વધુ જગ્યા પરથી ચૂંટણી લડી પેટા ચૂંટણીની જે તકો ઊભી કરે છે ને એવી તો એટલી કરામતોમાં કરોડો ખર્ચાય છે કે એ કોઈ સાધારણ પક્ષ કે સભ્યના હાથની વાત જ ન રહે, છતાં એક યા બીજાં કામો માટે રાજકીય તત્ત્વોને અબજો રૂપિયા આવી જ મળે છે. કોઈ સત્તાધીશને નાણાંની ખોટ ક્યારે ય પડી નથી. ક્યાંથી આવે છે આ પૈસા? કોણ આપે છે? કઈ શરતે આપે છે? બદલામાં શું આશા રાખે છે આવા મદદનીશો?

બીજી બધી રીતે મદદ આવે જ છે, પણ મોટાં ફંડ રાજકારણીઓ માટે ઉદ્યોગપતિઓ ફાળવે છે. એ મદદ ન મળે તો દેશની ચૂંટણી સસ્તી થઈ જાય. સૌથી વધુ સંપત્તિ ઉદ્યોગપતિઓ ધરાવે છે ને એ લોકો સત્તાધીશોને કામમાં આવીને પોતાનું કામ યુક્તિથી કઢાવતા હોય છે. ગુજરાતમાં તેલિયા રાજાઓ એ રીતે “રાજા” થયા હતા, પણ એને બચ્ચું કહેવડાવે એવા વિરાટ ઉદ્યોગપતિઓ અત્યારે દેશમાં છે ને એમના જોરે રાજકારણીઓ કૂદે છે. અત્યારે ઉદ્યોગપતિઓ અનેક ક્ષેત્રોમાં ભારે વર્ચસ્વ ધરાવે છે. આ વર્ચસ્વ રાજકારણીઓને લીધે શક્ય બને છે. મોંઘવારી ઘણે અંશે આ ઉદ્યોગપતિઓને આભારી છે. અનેક કોન્ટ્રાક્ટો મેળવીને, ચીજ વસ્તુઓના ભાવો વધારતા જઈને ઉદ્યોગપતિઓ મનમાની કરતા આવ્યા છે. આવી તકો ખરેખર તો રાજકીય સત્તાધીશો પૂરી પાડે છે. એ પૂરી પાડે જ, કારણ એમના જીવ પર તો ચૂંટણી જેવા મોટા કાર્યક્રમો પાર પડતા હોય છે.

શોપિંગ મોલ્સનો જમાનો ઉદ્યોગપતિઓ દ્વારા આ દેશમાં આવ્યો. એમાં સસ્તું તો બહુ ન થયું, પણ એણે નાના વેપારીઓને ખતમ કરવાનું કામ તો કર્યું જ ! શોપિંગ મોલ્સમાં અનાજ ને શાકભાજીઓ આવી ને તેણે સીધું ખેડૂતો પાસેથી મેળવવાનું શરૂ કર્યું. એનો લાભ થોડા વખત પૂરતો ગ્રાહકોને થયો, પછી એને ય વાસી અને મોંઘું જ મળવા માંડયું. એમાં તકલીફો ઉત્પાદકોને થઈ. કોર્પોરેટ્સે ઉત્પાદકો પાસેથી સસ્તામાં પડાવીને ગ્રાહકોને મોંઘું વેચવાનું ને મોટો નફો રળવાનું શરૂ કર્યું. એમાં જ્યાં વચેટિયાઓ હતા એમણે વધારે શોષણ મૂળ ઉત્પાદકોનું કર્યું, પણ નફો તો ઉદ્યોગપતિઓએ કર્યો જ !

આ ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ વધારવા જ કદાચ સરકારે ગયા સપ્ટેમ્બરમાં ત્રણ કૃષિ કાનૂનો અમલમાં મૂક્યા હોવાનું ખેડૂતોનું માનવું છે, ને એ જ મુદ્દે ખેડૂતો દિલ્હી પહોંચીને સરકારનો પંદરેક દિવસથી ઠંડીમાં વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ ભારત બંધનું એલાન આઠમી ડિસેમ્બરે આપ્યું, પણ એની જોઈએ એવી અસર ન પડી. છ, છ મીટિંગો થવા છતાં નવમી તારીખની મીટિંગમાં પણ સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન થયું નથી. ખેડૂતોએ આંદોલનને વધુ ઉગ્ર અને વ્યાપક બનાવવાની ધમકી આપી છે, તો સરકારે પણ કાયદાઓ નાબૂદ નહીં જ થાય એવો હુંકાર ભર્યો છે. સરકારે સાતેક મુદ્દે સુધારાઓ કરવાની ખાતરી આપી છે, પણ ખેડૂતોને એટલાથી સંતોષ નથી. તેમણે તો આ કાયદાઓ જ રદ્દ કરવાની માંગણી ચાલુ રાખી છે. આમાં થશે એવું કે સરકાર મચક નહીં આપે. તે ખેડૂતોને થકવશે ને છેલ્લે વાત સમાધાન પર આવીને અટકશે.

સરકાર ગાઈ વગાડીને કહે છે કે ત્રણે કાયદાઓ ખેડૂતોનું હિત વિચારીને કરવામાં આવ્યા છે. માની લઈએ કે સરકાર સાચી છે. એને એટલું જ પૂછવાનું થાય કે જેને માટે કાયદા કરવામાં આવ્યા એમને વિશ્વાસમાં લેવામાં કયું અહિત થતું હતું? જો આ કાયદા શુદ્ધ બુદ્ધિથી જ ઘડવામાં આવ્યા હતા તો તેને સંસદમાં ને રાજ્યસભામાં ચર્ચા વગર પસાર કરાવી દેવાની ઉતાવળ કેમ આવી? કયાં દબાણ હેઠળ સરકારે આ ઉતાવળ કરી?

ખેડૂતોને મુખ્ય ભય બે છે. એક તો એ કે સરકાર મંડી – એ.પી.એમ.સી. ખતમ કરીને કોર્પોરેટ્સનું વર્ચસ્વ વધારી રહી છે ને બીજો ભય કોન્ટ્રાક્ટ ખેતીના કાયદામાં પોતે માલિક મટીને મજૂર થઈ રહે એ છે. સરકાર કહે છે કે મંડી ખતમ નહીં થાય. ખેડૂત મંડીમાં કે ખુલ્લાં બજારમાં જ્યાં પણ ખેતીનું ઉત્પન્ન વેચવા માંગે છે ત્યાં તે વેચી શકશે. સરકાર કહે છે કે ખેડૂત કોઈ પણ રાજ્યમાં પોતાની પેદાશ વેચી શકશે. આ બકવાસ છે. ખેડૂતો નજીકના વિસ્તારમાં પેદાશ વેચતા જ ખપી જતો હોય ત્યાં આસામવાળો અમદાવાદ ઉત્પન્ન વેચવા લાંબો થવાનો હતો ? આ વાત વ્યવહારુ નથી.

એ.પી.એમ.સી.માં ટેકાના ભાવ મળતા રકમ વધારે મળતી હતી, પણ તે રોકડમાં મળતી ન હતી. જ્યારે બહાર વેચવામાં ભાવ ઓછા મળતા હતા, પણ રોકડ હાથમાં આવતી હતી. એને કારણે નાનો ખેડૂત તો બહાર વેચીને જ રોકડી કરી ખોટ ખાઈ લેતો હતો. એક વાત સ્પષ્ટ છે કે એ.પી.એમ.સી.માં ટેકાના ભાવ મળતા હતા ને ભાવોનું રક્ષણ થતું હતું, એ શક્યતા બહાર ઉત્પન્ન વેચવા જતાં રહેતી ન હતી, એટલે બહાર તો વધારે ભાવ મળે એ શક્યતા નહિવત હતી. આ સ્થિતિમાં બહાર ઉત્પન્ન વેચવાનું ખેડૂતને રોકડ મળવા સિવાય કયું આકર્ષણ રહે એ સમજાતું નથી. એ ખરું કે મંડીમાં પણ ખેડૂતનું તો શોષણ જ થતું હતું ને જે ભાવ પડે એટલામાં ખેડૂતે મન મારીને રહેવાનુ હતું. એ શોષણ બહાર વેચવામાં ન હતું, પણ અહીં તેને ઓછો ભાવ મળે એ શક્યતા વધારે હતી. ખરેખર તો સરકારે મંડીની વ્યવસ્થા ને નીતિરીતિમાં સુધાર કરવાની જરૂર છે. સરકાર એટલું તો કરી જ શકે કે મંડીના ભાવ કરતાં ઓછી કિંમતે, બહાર, ખેડૂતનું ઉત્પન્ન નહીં જ ખરીદી શકાય. એટલું થશે તો પણ બહાર ખેડૂતોનું શોષણ થતું અટકશે.

સરકારે ખરી સગવડ તો સંગ્રહખોરીને ઉત્તેજન આપવાની કરી છે. સંગ્રહખોરીની કોઈ મર્યાદા ન હોવાને લીધે કોર્પોરેટ્સ બહારથી ગમે તે ભાવે ઉત્પન્ન ખરીદે ને કૃત્રિમ અછત ઊભી કરી, પછી મોંઘાભાવે એ જ વસ્તુ વેચીને વધુ નફો કરી શકે. આ વ્યવસ્થા સરકારે ઊભી કરી છે. આમ થાય તો ખેડૂતને તો નુકસાન છે જ, પણ મોંઘા ભાવે વસ્તુ ખરીદવી પડતી હોવાને કારણે ગ્રાહકને પણ છે.

એ તપાસ કરવા જેવી છે કે સ્ટોરેજ ને શીતાગારો માટેની જમીન કોણે ખરીદી છે ને તેનો કયા હેતુ માટે ઉપયોગ થાય છે? કોર્પોરેટ્સ આ જ કામ કરે છે. તે સસ્તા ભાવે અનાજ ખરીદે છે ને અમર્યાદ સંગ્રહખોરી દ્વારા મોંઘા ભાવે વસ્તુ બજારોમાં મૂકે છે. એક ઉદ્યોગપતિએ દેશના જુદા જુદા ગામોમાં હજાર હજાર એકરમાં ફેલાયેલ નવેક હજાર સ્ટોરેજ ઊભા કરવાનું પ્લાનિંગ કર્યું છે ને એવા તો બીજા પણ હશે. આ બધું પહેલાં થાય છે ને કૃષિ કાનૂન પછી આવે છે. આ સ્ટોરેજ દાંડિયારાસ રમવા તો પ્લાન ન જ થાય ને ખૂબી જુઓ કે આ વ્યવસ્થાનો સરકાર પણ ખુશી ખુશી હાથો બને છે. તે બને જ, કારણ તેણે આ લોકોને પૈસે ભ્રષ્ટ કારભારો ચાલુ રાખીને સત્તામાં રહેવાનું છે. આમાં કોઈ એક પક્ષ કે સરકારને દોષ દેવાથી ચાલે એમ નથી, કારણ, તક મળી ત્યારે કોઈ જ આમાંથી બાકાત રહ્યું નથી. સીધી વાત તો એ છે કે ખેડૂતોને નામે કાયદા થયા છે ને એટલી કાળજી રખાઈ છે કે લાભ ઉદ્યોગપતિઓને થાય. ઉદ્યોગપતિઓ ફંડ આપે છે તે કૈં દયાદાન કે દક્ષિણામાં આપતા નથી. એ પણ વખત આવ્યે પોતાની શરતે, અનેકગણું વસૂલીને ધંધો કરે જ છે ને એ હકીકત છે કે સરકારને ખટાવનાર કોઈ ઉદ્યોગપતિએ આજ સુધી માથે હાથ દેવાનો વારો આવ્યો નથી.

માથે હાથ દેવા તો જનતા જનાર્દન છે જ ને !

ખરેખર તો વાત ખેડૂતોને સરકાર વચ્ચેની છે. એમાં વિપક્ષો ખેડૂતોને પક્ષે ઊભા રહી જાય છે ને તેમનું ભલું કરવાને નામે પોતાનો પ્રચાર પણ ચાલુ કરી દે છે. વિપક્ષમાં એટલી તાકાત જ નથી કે તે પોતાનું પણ ભલું કરી શકે. એટલી તાકાત હોત તો એ સરકારમાં હોત ! નબળા વિપક્ષોને કારણે આંદોલન નિષ્ફળ જાય તેનો અર્થ સરકાર એવો કરે છે કે જનતા ખેડૂતની સાથે નથી. આ બરાબર નથી. જનતા વિપક્ષની સાથે નથી એનો અર્થ એવો ન થાય કે તે ખેડૂતની સાથે પણ નથી. જો આંદોલન રાજકીય પક્ષોનો હાથો ન હોય તો જનતા ખેડૂતની સાથે મોડી વહેલી પણ જોડાઈ શકે અને ત્યારે સરકારની મુશ્કેલીઓ વધે એમ બને. અત્યારે સરકાર એમ માનીને ચાલે છે કે ખેડૂતોનું આંદોલન એક બે રાજ્યોના ખેડૂતનું જ આંદોલન છે. એવું નથી. આમાં થોડા ખેડૂતોનો જ વિરોધ છે એવું નથી. મોંઘવારી ને સંગ્રહખોરી સામાન્ય માણસને પણ પીડે છે એ અર્થમાં એ સામાન્ય જનતાનો પ્રશ્ન પણ છે જ ! સરકાર સામાન્ય માણસ સંદર્ભે પણ ખેડૂતોના વિરોધને જુએ ને ખેડૂતો પણ રાજકીય પક્ષોના હાથા બન્યા વગર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની રીતે સરકાર સાથે વાટાઘાટ કરે એ જરૂરી છે. કોઈ પણ પક્ષે કોઈ પણ સમસ્યાને અહમ્‌નો પ્રશ્ન બનાવવાનો આ સમય નથી. આ દેશ કોરોનાને કારણે ઘણા જીવ ખોઈ ચૂક્યો છે એ સ્થિતિમાં એ જરા ય ઇચ્છનીય નથી કે ખેડૂત આંદોલન સંપત્તિ કે મનુષ્યોનો ભોગ લે-

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 11 ડિસેમ્બર 2020

Loading

...102030...2,0592,0602,0612,062...2,0702,0802,090...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved